સાહિત્ય પલ્લવ – ભાગ ૧/રમણભાઈ નીલકંઠ

રમણભાઈ નીલકંઠ

[‘રાઈનો પર્વત’ શ્રી. રમણભાઈ નીલકંઠનું લખેલું નાટક છે. કેટલાક વિદ્વાનો એને આપણી ભાષાનું સર્વોત્તમ નાટક ગણે છે. પર્વતરાય નામના વૃદ્ધ રાજાને જુવાન કરવાનું જાલકા નામે એક માલણ સ્વીકારે છે. રાતે વાડીમાં રાજા આવે છે ત્યારે જંગલી પશુ કલ્પીને જાલકાનો પુત્ર રાઈ તેનો બાણથી વધ કરે છે. આ છુપાવવા રાજાની સાથેના માણસ શીતલસિંહ જોડે જાલકા યોજના કરે છે કે, રાજાને કોઈ પરદેશી વૈદે યૌવન પાછું મેળવવાનું ઔષધ આપ્યું છે તે છ માસ લેવાનું છે અને તેટલો સમય તેમને એકાંત ભોંયરામાં રહેવું પડશે. આ સમય દરમ્યાન રાઈને રાજકાજથી માહિતગાર કરી છ મહિના પૂરા થતાં ગાદીએ બેસાડવાનો બેત એ બંને રચે છે. રાજકાજ સમજવા મંડલેશ (પ્રાન્તના સૂબા) દુર્ગેશ જોડે રાઈ મૈત્રી કરે છે. પાછળથી સમજાય છે કે, જાલકા એ પર્વતરાયે જે રાજાને પદભ્રષ્ટ કરેલ તેની રાણી છે અને રાઈ તે રાજકુમાર જગદીપ છે. આ રીતે રાઈને પોતાના જીવનમાં ઘણા પાઠ ભજવવાના છે. એ જગતને માલણના છોકરા રાઈ તરીકે જાણીતો છે; જાલકાને મન રાજકુમાર જગદીપ છે; જાલકા અને શીતલસિંહ એને પર્વતરાય તરીકે રાજગાદી પર બેસાડી દેવા માગે છે; દુર્ગેશ એને પોતાના એક અજાણ્યા સ્નેહી તરીકે ઓળખે છે. આટલા વેશ ભજવવાના અધૂરા હોય એમ રાઈ આ પ્રવેશમાં વળી દુર્ગેશ અને તેની પત્ની જોડે વેશપલટો કરીને નગરચર્ચા જોવા નીકળી પડ્યો છે.... તેથી એને શંકા થાય છે કે પોતાને કોઈ ખરું સ્વરૂપ છે કે નહિ. નાટકમાં તો નટ પોતાનું કામ પૂરું થાય એટલે પછી મૂળનો માણસ બની જાય છે. પણ રાઈને તો ચાલુ કાંઈ ને કાંઈ નવો નવો પાઠ લેવાનો રહે છે.... રાઈ પોતાની આ દશા તપાસે છે એનો અર્થ એ નથી કે એથી એ અકળાય છે, ગભરાય છે. જનસેવા કરનારને જે કાંઈ કાર્ય આવી પડે તે બજાવવું જ જોઈએ એમ કરી એ બધી પરિસ્થિતિઓમાં હસતે મન પસાર થાય છે. રાઈનું પાત્ર દુનિયાના વ્યવહારોનો મેલ જેને લાગી શક્તો નથી એવા મહાન આત્માની ઝાંખી કરાવે છે. રાઈ આપણા સાહિત્યનું એક અમર સર્જન છે.]