સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ચંદ્રવદન મહેતા

ચંદ્રવદન મહેતા

[આ બંને કાવ્યો તેની એકસરખી લંબાઈથી તરત ધ્યાન ખેંચશે. બંને ચૌદ પંક્તિનાં છે. આવાં કાવ્યો ‘સૉનેટ’ એ અંગ્રેજી નામથી ઓળખાય છે. મૂળ એ પ્રકાર ઇટાલીમાં શરૂ થયો. ધીમે ધીમે ત્યાંથી યુરોપની બીજી ભાષાઓમાં પ્રચાર પામ્યો. આપણે ત્યાં અંગ્રેજીની અસરથી પ્રો. બલવન્તરાય ઠાકોરે એ પ્રચલિત કર્યાં. પણ એને લોકપ્રિય કરવામાં શ્રી. ચંદ્રવદન મહેતાનો ફાળો ઘણો મોટો છે.

સૉનેટના અંગ્રેજીમાં ત્રણ મુખ્ય પ્રકાર છે :

(૧) પેટ્રાર્કન -ઇટાલીમાં સૉનેટને લોકપ્રિય કરનાર (શરૂ કરનાર નહિ) કવિ પેટ્રાર્કે જે રીતે લખી હતી તે રીતે લખાયેલી સૉનેટ. તેનું લક્ષણ એ છે કે ૧૪ પંક્તિના ૮ અને ૬ એવા ભાગ પાડવા. તે વિભાગને આપણે અષ્ટક અને ષટ્ક કહીશું. બીજું, તે પંક્તિઓના પ્રાસ પણ અમુક રીતે જ ગોઠવવા જોઈએ. અષ્ટકમાં ૧, ૪, ૫, ૮ પંક્તિનો સરખો પ્રાસ જોઈએ. તેમ જ ૨, ૩, ૬, ૭નો પણ એક જ જોઈએ. શ્રી. ચંદ્રવદનનું ‘સ્મારક’ પેટ્રાર્કન ઢબનું હોઈ તેના અષ્ટકના પ્રાસ આ રીતે જ છે. ૧ ઘડી, ૪ દીવડી, ૫ રાખડી, ૮ વડી, તે એકસરખા પ્રાસ છે. અને ૨ દઉં, ૩ લઉં, ૬ સહુ, ૭ ચહું તે પણ એક સરખા ગોઠવ્યા છે. ઘડી-દીવડી-રાખડી-વડીને આપણે થી ઓળખીએ અને દઉં-લઉં-સહુ-ચહુંને ખથી, તો પ્રાસની યોજના કખખક કખખક એ રૂપની થઈ. પેટ્રાર્કન સૉનેટના અષ્ટકમાં કખખક કખખક મુજબ પ્રાસરચના યોજાય છે. ષટ્કમાં પછી ૯-૧૨, ૧૦-૧૩, ૧૧-૧૪, એ પંક્તિઓના સરખા પ્રાસ લાવવામાં આવે છે. તેમને ક ખ સિવાયના એટલે ગ, ઘ, ઙથી ઓળખીએ તો ષટ્કમાં ગઘઙ ગઘઙ એ રીતે પ્રાસરચના હોય છે.

(૨) શેક્સપિરિયન- અંગ્રેજ મહાકવિ શેક્સપિયરે ચાલુ રૂપમાં ફેરફાર કરવાથી તેના પોતાના પ્રકારને એના નામથી ઓળખવામાં આવે છે. તેનું લક્ષણ એ છે કે ૧૪ પંક્તિના ૮-૬ને બદલે ૪-૪-૪-૨ એ રીતે વિભાગ પાડવામાં આવે છે. એટલે કે ત્રણ ચતુષ્ક અને એક યુગ્મ એ રીતે તે પંક્તિઓ ગોઠવે છે. તેના પ્રાસ દરેક ચતુષ્કમાં આંતરે આંતરે અને છેલ્લી બેનો એક એ રીતે હોય છે. ક ખની ઢબે બોલીએ તો કખકખ, ગધગધ, ઙચઙચ અને છછ એમ પ્રાસરચના હોય છે.

(૩) અનિયમિત - ઉપરના બે પ્રકાર સિવાયની. તે વિભાગ પાડવામાંયે અનિયમિત હોય છે અને પ્રાસરચનામાં પણ અનિયમિત હોય છે. વિભાગો ૬-૬-૨, ૭-૭, ૯-૫, ૮II-૫II, એમ વિવિધ ઢબના હોય. ચૌદ લીટી સળંગ પણ હોય. પ્રાસ કક, ખખ, ગગ એમ અથવા મન ફાવે તેમ ગોઠવ્યા હોય. પ્રાસનો ત્રાસ દૂર પણ કર્યો હોય.

શ્રી. ચંદ્રવદનનું ‘સ્મારક ’ વિભાગની દૃષ્ટિએ ૮-૬નું હોઈ પેટ્રાર્કન અને ‘વિસર્જન’ ૪-૪-૪-૨નું હોઈ શેક્સપિરિયન છે. પણ પ્રાસની દૃષ્ટિએ ‘વિસર્જન’ બરોબર શેક્સપિરિયન પદ્ધતિના પ્રાસ જાળવે છે. તેમ ‘સ્મારક’ની બાબતમાં નથી. અષ્ટક સુધી પેટ્રાર્કન પદ્ધતિના પ્રાસ સાચવ્યા છે. અષ્ટકમાં ગઘઘઙઙગ એમ અનિયમિત પ્રાસરચના છે. એટલે ‘સ્મારક ‘ને શુદ્ધ પેટ્રાર્કન સૉનેટ ગણી શકાય નહિ.

ગુજરાતીમાં આપણે આંટીધૂંટીવાળા પ્રાસનો મોહ જતો કર્યો છે. એટલે આપણી સૉનેટ તે સામાન્યત : અનિયમિત જ હોય છે.

કોઈને થશે કે તો પછી આપણે રાખ્યું શું? આપણે ઘણું રાખ્યું છે. ઉપર જે વર્ણન કર્યું તે તો બહારના ખોખાનું કર્યું. સૉનેટના આત્મા ઉપર આપણે વધારે ભાર મૂક્યો છે. માત્ર ચૌદ લીટીનું હોવાથી કે ઉપર મુજબ પ્રાસની જાળ ગૂંથવાથી કોઈ કાવ્ય સૉનેટ બની શકતું નથી. સૉનેટનું રહસ્ય તો સમાયું છે તેમાં ભાવ કે વિચાર શી રીતે મૂકવામાં આવે છે એમાં. એ ભાવ કે વિચાર એવો હોવો જોઈએ કે તેમાં વચ્ચે ક્યાંક વળાંક, મરોડ, પલટો, ગુલાંટ, છેવટે આછો લહેકો પણ, હોય. અષ્ટકમાં વિષયનું નિરૂપણ હોય, કવિ કળે કળે પોતાની વાત રજૂ કરવા માંડે. પણ પછી જાણે એને એકદમ યાદ આવ્યું હોય કે મારે જે વાત કહેવાની છે તે ક્યારે કહીશ, એમ એકાએક ષટ્કના આરંભમાં એ પલટો સાધે છે. અને ઉતાવળ હોય એમ ઝટ ઝટ પોતાની ઊર્મિ કે વિચારનો સ્ફોટ કરી દે છે. પણ તેથી તે પોતાની વાતને નુકસાન પહોંચવા દેતો નથી. જતાં જતાં જોરથી પૂછડું પછાડતો ન હોય એમ ચોટપૂર્વક પોતાની વાત એ પૂરી કરે છે. અને એના ભણકારા સાંભળનારના ચિત્તમાં વાગ્યા કરે છે. એક અંગ્રેજ કવિએ તેથી અષ્ટકને ભરતીનું મોજું ધસી આવતું હોય એની સાથે, અને ષટ્કને એ મોજાના પાછા ફરી જવા સાથે (ઓટ સાથે) સરખાવેલ છે. સૉનેટનો અંત તે દૂર દૂર ક્ષિતિજમાં લીન થઈ જતા મોજાની જાણે મનોહર રેખા.

શેક્સપિરિયન સૉનેટમાં વિષય ત્રણ ઊછાળાથી આગળ વધે છે. અને છેવટના યુગ્મમાં એને પકડમાં લેવામાં આવ્યો હોય છે.

આપણાં ગુજરાતી સૉનેટ પંક્તિવિભાગ અને પ્રાસરચનાને કારણે અનિયમિત ગણવાં પડે એમ હોવા છતાં, વિષયનિરૂપણ, પલટો, સ્ફોટ અને ચોટ સાધવામાં આવે ત્યાં સુધી સૉનેટના આત્માને પૂરેપૂરાં વફાદાર રહેવાના કારણે કુલિન સૉનેટ ગણાવાને પાત્ર છે.

૧. ૨. શકલ – ટુકડો. ૬. પંચમહાભૂતો - પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ. ૯. ગંગોદક- ગંગાજળ, ૧૩ મિષે—બહાને. ૧૪મી પંક્તિ હૃદયની નિખાલસ છતાં ખુમારીભરી સાચી લાગણીને લીધે કેવી સ-ચોટ છે!

૨. ૧. છંકારી -છાંટી (છમ્ અવાજ ઉપરથી) ૪. દૃગજલ-આંખનાં આંસુ. ૧૩-૪. ત્રણે ચતુષ્કમાંનાં વારાફરતી (૧) નિસાસા, (૨) આંસુ અને (૩) ઉરધબક આપીને કહે છે કે, છેવટે તો મારી એ ચીજો મારી પાસેથી તારી પાસે જઈને નવા સર્જનની ક્રિયામાં તુજ સ્વરૂપને જ પામશે. શરૂઆતની બાર લીટીની ખુમારી સાથે વિરોધમાં આ એકાએક આવતો નમ્રતાભાવ કેવો દીપી ઊઠે છે?]