સાહિત્ય પલ્લવ – ભાગ ૩/પાંડુ અને માદ્રી
બચુભાઈ રાવત
‘પાંડુ અને માદ્રી’નું આ સાથે આપેલું ‘છાયાચિત્ર’ એ ચિત્રકળાનો એક અનોખો જ પ્રકાર છે. આપણી છાયા કે પડછાયામાં જેમ આપણાં મોં, આંખ, નાકકાનની રેખાઓ, કપડાંની કરચલીઓ કે એવી કોઈ વિગતો નથી દેખાતી, પણ માત્ર સળંગ કાળું ધાબું જ દેખાય છે; તેમ આ ચિત્રપ્રકારમાં પાત્રો અને પદાર્થની એવી વિગતો ન આલેખતાં તેની આકૃતિઓના ગાળાને સળંગ રંગથી ભરી દેવામાં આવે છે. કોઈ કહેશે, ‘ઓહો! એમ સાદાં ધાબાં ભરી દેવાં એ તો બહુ સહેલું.’ પણ આમ ઉપલક નજરે લાગે છે એટલી સહેલી એ ચિત્રણા નથી. એવાં ચિત્રોનું આયોજન બહુ જ વિચારપૂર્વક કરવું પડે છે. પાત્રો માત્ર કાળાં નિર્જીવ ધાબાં ન બની રહે પણ ચિત્રમાં જે વાત કહેવાની હોય તે અસરકારક રીતે અને જીવંતપણે કહી બતાવે એવી રીતે તેમની બેસણી, અભિનય તથા ક્રિયા ગોઠવવાની હોય છે. અને એમાં કુશળતા જોઈએ. કેમકે બીજાં ચિત્રોમાં ચહેરા અને અંગઉપાંગ ઉપર ભાવ બતાવવાની જે સરળતા છે તે આમાં નથી હોતી. વળી એની રચના કરતાં આખા ચિત્રમાં કાળાં ધાબાંનાં બેડોળ ચોસલાં ન વધી પડે, પરંતુ સફેદ અને કાળી જગ્યાઓની વહેંચણી બહુ જ પ્રમાણપૂર્વક તથા આંખ અને મનને રંજન પમાડે એવી રીતે થાય તેની પણ કાળજી રાખવી પડે. આમ, આ છાયાચિત્રોનો કસબ બહુ અઘરો હોય છે. આવા એ મુશ્કેલ ચિત્રપ્રકારને કેવળ આપણા ગુજરાતમાં જ નહિ પણ હિંદભરમાં સૌ પહેલો અને અત્યંત સફળતાપૂર્વક ઉતારનાર કલાકાર કનુ દેસાઈની આ એક ઉત્તમ કૃતિ છે. એમાં એક નહિ પણ બે છાયાચિત્રોનું સંયોજન છે. એક મુખ્ય ચિત્રનું અને બીજું તેને અનુમોદન આપતા પાછલા વાતાવરણના રંગનું. હવે એ સમજવા આપણે કથાપ્રસંગ જોઈએ. હસ્તિનાપુરના રાજા પાંડુને મૃગયામાં એક મૃગબેલડીને મારતાં શાપ લાગેલો કે સ્ત્રીનો સ્પર્શ કરતાં જ તે મરણ પામશે. આથી રાજપાટ પોતાના ભાઈ ધૃતરાષ્ટ્રને સોંપી, શેષ જીવન તપસ્યામાં ગાળવાનો સંકલ્પ કરી તે હિમાલયમાં ચાલી નીકળ્યો. તેની સ્ત્રીઓ કુંતી તથા માદ્રી પણ તાપસ જીવનનો નિશ્ચય કરી તેની સેવામાં સાથે રહી. એક વખત શતશૃંગ પર્વતના સુંદર વનમાં સુદ્યુમ્ન સરોવરને તીરે વસંતઋતુ પૂર-બહારમાં ખીલી હતી, તેના માદક વાતાવરણથી મત્ત થઈ પાંડુએ માદ્રીની વિનવણીઓને ન ગણકારતાં તેનો સ્પર્શ કર્યો અને તે મૃત્યુ પામ્યો. તપસ્યાના સંકલ્પ ઉપર વસંતઋતુએ મેળવેલા વિજયના આ પ્રસંગ વિષે કવિ ‘કાન્ત’ ‘વસંતવિજય’ નામનું અદ્વિતીય ખંડકાવ્ય લખ્યું છે. તેમાં આલેખેલા વસંતના વાતાવરણને ચિત્રકારે અહીં ઉતારવા પ્રયત્ન કર્યો છે :
ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય,
ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય;
બેસીને કોણ જાણે ક્યહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય,
ગાળી નાખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય.
કલાકારને વાતાવરણ વસંતની શોભાથી ખીલી ઊઠતું બતાવવું છે અને તેની વચ્ચે ઋષિ રાજા તથા તપસ્વિની રાણીની કાંતિ પણ બતાવવી છે; અધીન વિનવણીઓમાં પણ રહેલી રાણીની મોહકતા બતાવવી છે, અને તેની સામે સંશયગ્રસ્ત તથા અસ્વસ્થ રાજા બતાવવો છે. અને આ બધું માત્ર છાયાશૈલીના બંધનમાં રહીને. એ કપરું કામ ચિત્રકારે સફળતાથી પાર પાડ્યું છે. આમ આ પ્રસંગ ઉપર ગુજરાતને શ્રેષ્ઠ કાવ્ય અને શ્રેષ્ઠ ચિત્ર મળ્યાં છે. અને ચિત્રનો મુખ્ય ભાવ પ્રણયભર્યા યુગલનો છે તેને વધુ વાચા આપવા ચિત્રકારે ઉપર વેલમાં પક્ષીની અને નીચે પાણીમાં પોયણીની બેલડીઓ આલેખી છે તે જોઈ? જેમ બારીબારણાંનાં કમાડમાં પાટિયાં સળંગ હોવા કરતાં તે વચ્ચેની પટ્ટીઓ કે પૅનલથી વધારે શોભે છે, તેમ આ ચિત્રના વિસ્તારને ઉપર નીચે બે ઝીણા કાપ વડે ભાંગી નાંખીને કલાકારે તેને વધુ નયનરંજક બનાવ્યું છે. અને આમ જુદી પડતી ઉપર નીચેની બે પટ્ટીઓ સળંગ ચિત્રનો જ ભાગ હોવા છતાં, તમે ચિત્રને દાબીને એ દરેકને એકલી નીરખશો તો તે દરેક પણ એક એક નાનું સ્વતંત્ર ડિઝાઈન જણાશે. વળી એ બે પટ્ટીઓ નાની મોટી રાખી છે તે પણ વિચારપૂર્વક. બંને સરખી હોત તો ચિત્રની ભંગી આટલી નયનમનોહર ન લાગત. ચિત્રનું સંયોજન, કાળાં અને ધોળાં ધાબાંઓની વહેંચણી તથા ગૂંથણી, અને ઉપર કહી તે તેની સુંદર ભંગી, આ બધાંમાં કલાકારે પ્રમાણની જે કુશળતા દાખવી છે તેને કારણે આ ચિત્ર લાંબો વખત આંખ સામે રહેવા છતાં કંટાળો નહિ આપે. અને એ તેનો શ્રેષ્ઠ ગુણ છે.