સુહાસ અજયભાઈ ઓઝા

ઓઝા સુહાસ અજયભાઈ (૨૫-૧૧-૧૯૩૬): નવલકથાકાર. જન્મ ખંભાતમાં. ૧૯૫૭માં મુંબઈની વિલ્સન કૉલેજમાંથી તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના વિષયો સાથે બી.એ. ત્યાંથી જ, એ જ વિષયો સાથે ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૮થી ૧૯૭૦ સુધી જન્મભૂમિ પ્રકાશન (મુંબઈ)ના સામયિક ‘સુધા’ સાથે સંકળાયેલાં. ૧૯૭૧થી ૧૯૭૫ દરમિયાન ગોકળીબાઈ હાઈસ્કૂલ (મુંબઈ)માં શિક્ષિકા. હાલ, ૧૯૭૭થી અંકુર ઉચ્ચતર માધ્યમિક શાળામાં. એમની વીસ પ્રકરણમાં વિસ્તરેલી નવલકથા ‘દ્વિધા’ (૧૯૭૧)માં એમ.એ. થયેલા કથાનાયક અનિલ પાસે ટ્યૂશન માટે આવતી નંદિતા સાથે બંધાતો પ્રેમસંબંધ પછીથી દામ્પત્યમાં ફેરવાતાં અનિલના મનમાં પૂર્વેની પરિચિતા નલિનીને સંદર્ભે ઊઠેલી દ્વિધાનું આલેખન મુખ્ય છે.