હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/મારાં વચન
મારાં વચન
મારાં વચન જો માર્ગના પર્વત થઈ જશે,
તો કાલ આવનારને આફત થઈ જશે.
બોલું નહીં, તો ભીરુતા મારી પ્રગટ થશે,
બોલીશ તો એ મારી બગાવત થઈ જશે.
તૂટી પડે યુગોથી અવિચળ ખડક છતાં,
જળની સપાટી પળમાં યથાવત્ થઈ જશે.
ક્યાં ક્યાં લઈને હું ફરું મારા વિષાદને?
કાગળ ઉપર મૂકીશ તો વસિયત થઈ જશે.
આ શેર કંઈ અગમ્ય ને આછો રહે તો બસ,
બનશે બહુ સચોટ તો કહેવત થઈ જશે.
આખરે ૭