હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/મારાં વચન

મારાં વચન

મારાં વચન જો માર્ગના પર્વત થઈ જશે,
તો કાલ આવનારને આફત થઈ જશે.

બોલું નહીં, તો ભીરુતા મારી પ્રગટ થશે,
બોલીશ તો એ મારી બગાવત થઈ જશે.

તૂટી પડે યુગોથી અવિચળ ખડક છતાં,
જળની સપાટી પળમાં યથાવત્ થઈ જશે.

ક્યાં ક્યાં લઈને હું ફરું મારા વિષાદને?
કાગળ ઉપર મૂકીશ તો વસિયત થઈ જશે.

આ શેર કંઈ અગમ્ય ને આછો રહે તો બસ,
બનશે બહુ સચોટ તો કહેવત થઈ જશે.
આખરે ૭