અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/લેખનકર્મ અને દીપજ્યોતિનો સંગમ

From Ekatra Foundation
Revision as of 04:14, 25 October 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
લેખનકર્મ અને દીપજ્યોતિનો સંગમ

રાધેશ્યામ શર્મા

બળે દીવાની જ્યોત
ધીરેન્દ્ર મહેતા

હાથમાં લીધાં કલમ ને દોત,

ટ્યૂબ–ગ્લોબ–નિયોન–ફ્લડ–ફોક્સ લાઇટના જમાનામાં ‘દીવાની જ્યોત’ અધુનાતન સમયની બહારની વસ કે ઘટના લાગશે. પૂજાઘર કે પાલખામાં પોઢતાં દેવીદેવતાઓનાં પ્રતિમા–ચિત્રો સમક્ષ ધાતુપાત્રની દીવીઓમાં ચોખ્ખા (?) ઘીના દીવાની જ્યોતને પવિત્ર ગણવામાં આવશે ત્યાં સુધી તે પ્રજળ્યા કરશે, બાકી અગાઉના સમયનું ઑબ્સોલિટ સિમ્બલ થઈ રહેશે.

પરંતુ કવિતાકળાને કાળના કોઈ સીમાડા અડે નહીં, નડે નહીં. ઉપમા–પ્રતીક–કલ્પન–રૂપક સ્વરૂપે કવિઓ એનો ઉપયોગ લેતા રહેવાના. તેથી બળતા દીવાની જ્યોત અસ્ત નહિ થવાની, પ્રજ્વલિત રહેશે સર્જનના શબ્દવિશ્વમાં.

દીપજયોતિ, કવિના આત્મલક્ષી સંદર્ભ અને સંરચનાકર્મના કારણે જર્જર નહિ અમર રહેવાની. પ્રસ્તુત રચનાની બીજી પંક્તિમાં દીવાની જ્યોત જલે એ પૂર્વે કાવ્યનાયકની ક્રિયા નિરૂપાઈ છે: હાથમાં લીધાં કલમ ને દોત.

ધર્મપંથદીધા સંસ્કારોના દીવાની જ્યોતને કર્તા જ્ઞાનજ્યોતમાં સરળતાથી ઢાળી દઈ શકે, પણ એવાં તૈયાર બીબાંઓમાં કળા લળીઢળી પડતી નથી. એ અંતરા શા પ્રથમ શ્લોકમાં શબ્દ પ્રત્યક્ષ થઈ જાય છે:

રેતનદીના પટ શો કાગળ હાથમાં કરચલિયાળો,
કરચલિયા અક્ષર જાણે કોઈ વીંખેલો માળો.

કાગળનું ટેક્ષ્ચર, પોત બે ઉપમાથી ઇન્દ્રિયગ્રાહ્ય કલ્પન-સદૃશ મૂર્ત થયું છે.

હાથમાં કલમદોત લીધા બાદ લીધેલો કરચલિયાળો કાગળ કેવોક છે? રેતનદીના પટ શો. કાગળના ભાતપોતને ‘નદીરેતના પટ શો’ નહિ કહેતાં રેતનદીનો પટ વર્ણવ્યો તે ભૂલવું ના ઘટે. નદીરેતનો પટ’ લખ્યો હોત તો ભેજભીનાશની શક્યતા હતી પણ રેતને અગ્રપદ અપી રેતનદી સર્જી દેઈ કમાલ કરી. અહીં કાગળ સાથે શુષ્કતા, ઉત્તપ્તતા અને કરકરાશનાં સાહચર્ય ઝંકૃત થાય છે.

કરચલિયાળો કાગળ છે તો તરત બીજી પંક્તિની સંરચનામાં કરચલિયાળા’ વિશેષણનો સવિશેષ વિનિયોગ છે: કરચલિયા અક્ષર જાણે કોઈ વીંખેલો માળો (ભાવક બહુશ્રુત હોય તો ટાગોરની કૃતિ ‘નષ્ટનીડ’ની આકૃતિને સાનંદ સ્મરી લે…) અક્ષર કરચલિયાળા હોય ત્યાંથી વીંછેલા માળા સુધી ‘ટ્રાન્સપૉર્ટ’ કરી, ઉડાવી લઈ જવાનો કીમિયો કવિકલ્પના જ કરી શકે ને!

રતનદીનો પટ–કાગળ–વીંખેલો માળો પછી અંગુલિ–અગ્ર… ‘ટેરવે આવી તલપી તલપી થીર થયાં છે કપોત!’ પેલો વીંખાયેલો માળો કોનો હશે? કપોત કહેતાં કબૂતરનો માળો હોઈ શકે. અહીં કવિકર્મ નોંધવા સરીખું છે: કપોત ટેરવે સુધી આવવા તલપ્યાં નથી, વાંચીએ ફરી, ટેરવે આવીને બે વાર તલપી તલપી થીર થયાં છે. માળો વીંખાયો હોય એવાં કપોત તલપી તલપી પોતાની વેદનાને અભિવ્યક્તિ અર્પવા ના મથે તો નવાઈ! બહુ તલસ્યાં, તપ્યાં, તલપ્યાં પછી કપોત થીર થયાં છે. આને થીરવવા માનવા કરતાં થીર થીજ્યાં કલ્પવું વધુ ગમે.

બીજા શ્લોક–અંતરામાં લેખન બાદની પ્રક્રિયા (રાઇટિંગ ડિગ્રી ઝીરો…રોલાં બાર્થની વીજ અકારણે ઝબકી જતી રહી….) આરેખાઈ છે કરચલિયાળા કાગળ પર… કંઈક શબ્દો તરેડાય નહિ તો શું થાય બીજું? (fragmented words in distrorted universes…) જે. કૃષ્ણમૂર્તિ–છબિ અનંતે ઊડી ગઈ…) પ્રથમ અંતરા-આરોહની રીતિએ જ ‘તરડાયા’ શબ્દનો ઉપયોગ બે વાર સ–રસ લીધો છે ફરીથી: તરડાયા શબ્દમાં, (તલપીતલપી જેમ બે વાર) સળવળ સળવળ મારી છાયા. નાયકની છાયામાં સરિસૃપનો સંચાર સાક્ષાત્ કરાવાયો છે, ક્યાં? તરડાયા શબ્દોમાં. સ્વાભાવિક છે. વાસ્તવિકતા નાયકની પોતાની છાયા વિષે અંતિમ પંક્તિની પરાકોટિ કૃતિને જાતની આસપાસમાં મઢી આપે: આયખું આખું મેં ગોતી (શું? તો કહે છટકિયાળ તું સુધીની છાયા) પણ જે હાથ ના લાગી તેને ‘લે, તુંય હવે એ ગોત!’ ‘હું’ થી ‘તું’ સુધીની વિભક્ત છતાં નિજી અધ્યાત્મયાત્રા અત્રે એક પડકારને પ્રસ્તુત તો કરે છે, પરન્તુ આત્મખોજની દિશા જરીકે પરાજય-હતાશાની છાંટ સાથે ચીંધે પણ છે. લેખનકર્મ અને દીપજ્યોતિનો આ પુણ્યસંગમ યાદગાર…

(રચનાને રસ્તે)