અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/સંસ્કૃતિક્ષય

From Ekatra Wiki
Revision as of 09:27, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સંસ્કૃતિક્ષય|મણિલાલ હ. પટેલ}} <poem> <center>(શિખરિણી – સૉનેટ)</center> ગય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સંસ્કૃતિક્ષય

મણિલાલ હ. પટેલ

(શિખરિણી – સૉનેટ)

ગયા એ દા’ડાઓ, તરુ સર નદી ને વન ગયાં,
કપાયા પ્હાડો ને અસલ વનવાસી જન ગયાં.
વીતેલાં એ વર્ષો હરિત તડકે વાંસવનમાં,
નદી કાંઠે જ્યોત્સ્ના-રૂપ વદન આજે ય મનમાં!
ભર્યાં વૃક્ષો પંખી — કૂજન, ઝરણે ગાન ઝરતાં,
વળી આકાશેથી સૂરજ — વિધૂ થૈ પાન ખરતાં!
અરે! રાને રાતે વનપવન કેવો નીકળતો...!
સવારે કૂંણેરી કણજી-વિટપે સૂર્ય મળતો...

ગયો ક્યાં એ મારા વતન-વનનો આદિમલય?
સદી આખ્ખી વીતી વસમી વીસમી, સંસ્કૃતિક્ષય!
બધાં યંત્રેઘેર્યાં નગર, ઘર, વેરાન વલખે
મથું ચ્હાવા તોયે સ્વ-જન દૂર! ના, આંખ પલકે!
વિસામા થાક્યાના પણ નવ જડે, રાત પડતી...
નથી મારા વ્હાલા! અસલ ઘરની વાટ જડતી...!
તા. ૧૯.૦૯.૨૦૦૦ (પ્રથમ)
તા. ૧૫.૦૯.૨૦૧૪ (સંમાર્જન), વલ્લભવિદ્યાનગર