સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/આ સંપાદન વિશે–

Revision as of 16:15, 19 January 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આ સંપાદન વિશે

ગુજરાતી વિવેચનમાં ભોળાભાઈ પટેલ એમની તુલનાત્મક વિવેચનદૃષ્ટિથી તેમજ વિદેશી-ભારતીય-ગુજરાતી લેખકો અને કૃતિઓના અધ્યયન-આસ્વાદનથી વિશેષ જાણીતા છે. વિશ્વસાહિત્યના સંદર્ભે એમણે ક્યારેક સાહિત્ય/સિદ્ધાન્ત-વિચારણા પણ કરી છે એ વિશેના બે લેખો અહીં સમાવ્યા છે. ભારતીય–ગુજરાતી સાહિત્યકારો અને એમની કૃતિઓ વિશેના સર્જકકેન્દ્રી લેખો ઉપરાંત એમણે તુલનાસંદર્ભે કે આસ્વાદસંદર્ભે કૃતિચર્ચા અને ગ્રંથસમીક્ષાઓ પણ કર્યાં છે એનું વૈવિધ્ય ઘણું છે. એટલે પસંદગીમાં એ પ્રકારના લેખોનું પ્રમાણ સ્વાભાવિક રીતે જ વધુ છે. ‘પરબ’ના સંપાદન દરમ્યાન એમણે સામ્પ્રત સાહિત્યના વાતાવરણને ને એના પ્રશ્નોને લઈને દ્યોતક ઊહાપોહ કરેલો છે. એવા કેટલાક લેખો બહુ વિશિષ્ટ છે. ભોળાભાઈના વિવેચક-વ્યક્તિત્વને રજૂ કરી શકાય એ રીતે, એમના, વિવિધિ પ્રકારના લેખોમાંથી ઉત્તમ ને પ્રતિનિધિ લેખોનું ચયન અહીં કર્યું છે. વિશદતા અને સાહિત્યરસિકતાના ગુણોને લીધે ભોળાભાઈ પટેલનું વિવેચન વિચારણીય ઉપરાંત સુવાચ્ય પણ બનેલું છે એની પ્રતીતિ આ સંપાદનમાંથી થઈ શકશે