ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/સ્વ. વિજયાલક્ષ્મી ત્રિવેદી

From Ekatra Foundation
Revision as of 14:47, 2 February 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સ્વ. વિજયાલક્ષ્મી ત્રિવેદી.

શ્રી વિજ્યાલક્ષ્મીનો જન્મ સંવત ૧૯૪૫ના વૈશાખ શુદ ૩ (અખાત્રીજ) ને દિવસે થયો હતેા. ત્હેમના પિતા રા. રા. પીતાંબર જેઠાભાઈ, વડોદરા રાજ્યના એકાઉન્ટન્ટ જનરલના હોદ્દા પર હતા. આ પ્રમાણે આપણાં સ્ત્રી-કવિ ગર્ભશ્રીમંત હતાં, એમ કહી શકાય.

આ સાધ્વીના નશીબમાં તહેનાં નિકટનાં સગાંઓનો લ્હાવો લેવાનું ન હતું, એમ ત્હેમની જીવનરેખા સૂચવે છે. તે હજુ થોડાએક માસની બાલકી થયાં ન થયાં એટલામાં તેમની માતાનું મૃત્યુ થયું અને જ્યારે પિતાનો પ્રેમ સમજી શકે તેવડી ઉમ્મરનાં થયાં ત્યારે કમભાગ્યે તેમના પિતાશ્રીએ પણ પરલોકવાસ કર્યો. આ સમયે ત્હેમનું વય સાત આઠ વર્ષનું હતું, છેવટ જ્યારે ત્હેમના પતિ પોતાની કેળવણી પૂરી કરી રહ્યા અને ગૃહસ્થાશ્રમમાં દાખલ થવાનો વખત ત્હેમને પ્રાપ્ત થયો, તે પહેલાં તો એમણે આ ફાની જગતનો ત્યાગ કરી પરલોકમાં વાસ કર્યો!

ઉપર જણાવ્યું તે પ્રમાણે શ્રીમંત કુટુંબમાં જન્મ થવાથી પ્રાથમિક કેળવણી મેળવવાનું સૌ. વિજ્યાલક્ષ્મીને ઘણું સુલભ થઈ પડયું. ત્હેમના કુટુંબમાં કોઈ સમવયી બાલિકાઓ ન હતી. માત્ર ત્હેમની ઉમ્મરના ભાઈઓજ હતા. અને તે ભાઈઓની સાથે ઘેર જ ગુજરાતી પાંચ ધોરણનો અભ્યાસ ત્હેમણે પૂરો કર્યો. પછી તો ભાઈઓએ અંગ્રેજી ભણવું શરૂ કર્યું એટલે સૌ. વિજ્યાલક્ષ્મીનો અભ્યાસ બંધ કરવામાં આવેલો. ત્હેમણે શિક્ષક પાસે અંગ્રેજી ભણવાનો વિચાર રાખેલો, પરન્તુ તે અનુકૂલ નહિં જણાવાથી તેમ બની શકેલું નહિ. આ પ્રમાણે સૌ. વિજ્યાલક્ષ્મીએ જે જે સાહિત્ય ગુજરાતી પત્રોદ્વારા પ્રસિદ્ધ કર્યું છે તે સર્વનું મૂળ ગુજરાતી પાંચ ધોરણ સુધીનો જ અભ્યાસ અને ગૃહ કેળવણી જ હતાં. અભ્યાસ જોકે બંધ થયો તોપણ ત્હેમણે વાચન ચાલું જ રાખ્યું હતું. ત્હેમને વાર્તાઓ સાંભળવાનો ઘણો શોખ હતો. આથી અંગ્રેજી તેમજ આપણી ગુજરાતી વાર્તાઓ તેમણે ઘણી સાંભળી હતી. ત્હેમનું વાચન પણ નવલકથાઓથી જ શરૂ થયું, અને ત્હેમણે આજથી પંદરેક વર્ષ પહેલાંની પ્રચલિત નવલકથાઓનો મોટો ભાગ વાંચ્યો હતો. ઘણીખરી વાર્તાઓ તે વાંચતાં, તે આપણા પારસી લેખકોએ ઉત્તમ અંગ્રેજી નવલકથાઓના કરેલા અનુવાદ જ હતા. વાચન માટે મોડી રાત સુધી ઉજાગરા ઘણી વાર તે કરતાં. થોડા વખતમાં સૌ. વિજ્યાલક્ષ્મી અભ્યાસ છોડી ગૃહકાર્યમાં જોડાયાં અને આ કામ પણ ત્હેમને પોતે વયે પહોંચ્યા પહેલાં શીખવાની ફરજ પડી ! ત્હેમના સમજુ વડીલોએ પુત્રીની કમઆવડતથી તેને શ્વસુરગૃહમાં દુઃખ ન થાય માટે સર્વ ગૃહકાર્ય શીખવાને સૌ. વિજ્યાલક્ષ્મીની દશ અગીઆર વર્ષની ઉમ્મર થઈ કે તુરત જ પ્રારંભ કર્યો. ગૃહકાર્ય પણ આ અકાલપક્વ (Precocious) બાલિકાએ તુરતજ સમજી લીધું, એટલુંજ નહિ પણ તે સર્વ પોતાને માથે ઉપાડી લીધું. અને જ્યારે તેમની ચૌદ વર્ષની ઉમ્મરે લગ્ન પછી શ્વશુરગૃહે જવું થયું, ત્યારે ત્યાંનો સર્વ ભાર પણ તે ગર્ભશ્રીમંત અને કાચી વયની બાલિકાએ પહેલે જ દિવસથી ઉપાડી લીધો:-પોતાનાં બાલક નણંદ તથા દીયરોને ઉછેરવામાં તેમનાં સાસુને મદદરૂપ થઈ પડ્યાં અને તેમના જવાની સાથે તેમનાં સાસુ ગૃહકાર્યમાંથી લગભગ નિવૃત્ત થઈ ગયાં.

સૌ. વિજયાલક્ષ્મીનું લગ્ન સંવત ૧૯૫૭ ના માહ સુદ ૧૦)ને દીવસે હાલમાં ભાવનગર રાજ્યના મુખ્ય વકીલ રા. રા. વિઠ્ઠલદાસ ગીરજાશંકરના જ્યેષ્ઠપુત્ર રા. હર્ષદરાય જેઓ બી. એ; એલએલ, બી. થઈ હાલ મુંબાઈમાં સેલીસીટરનો અભ્યાસ કરે છે, ત્હેમની સાથે થયું હતું. આ પતિપત્ની વયમાં સમોવડીયાં જ હતાં. ઉમ્મરમાં માત્ર એકાદ દોઢ વર્ષનો ફરક હશે. જ્યારે સૌ. વિજ્યાલક્ષ્મી શ્વશુર ઘેર આવ્યાં, ત્યારે ત્હેમના પતિ અંગ્રેજી છટ્ઠા ધોરણનો અભ્યાસ કરતા હતા. આ જણાવવાનું કારણ એટલુંજ છે કે પતિપત્ની બન્ને લગ્ન સમયે કિશોરવયનાં હતાં, પરંતુ સૌ. વિજ્યાલક્ષ્મીએ પોતાની સુશીલતાથી અને પ્રેમથી ત્હેમના પતિનું મન હરી લીધું હતું. ત્હેમના પતિ તરફ તેમનો પ્રેમ અમાપ અને અવિચળ હતો. જેટલા પ્રેમથી વિજયાલક્ષ્મી પોતાના પતિને ચ્હાતાં હતાં, તેટલા પ્રેમથી ભાગ્યેજ કોઈ પણ સ્ત્રી પોતાના પતિને ચાહી શકે. આમાં જરા પણ અતિશયોક્તિ નથી. સામાન્ય રીતે જ્યારે મનુષ્ય Ideals (જીવનના આદર્શ) બાંધે છે અને ત્હેને પહોંચવા માટે વૃથા પ્રયાસ કર્યાજ કરે છે, ત્યારે સૌ. વિજયાલક્ષ્મી પોતાના જીવનના (Ideals) આદર્શોને ઘણીજ સહેલાઈથી અમલમાં મૂકી શકતાં, અને જીંદગીમાં ઉતારી શકતાં. ત્હેમનો આત્મા પણ આવા આદર્શોને ધારણ કરી શકે તેટલો ઉચ્ચગામી હતો. અને ત્હેની સાથે તે આત્મા પ્રેમપૂર્ણ હતો. સૌ. વિજયાલક્ષ્મીનું જીવનસૂત્ર “પ્રેમ” હતું. અને ત્હેમનો આ પ્રેમ ત્હેમના પતિમાં જ વિરમી જતો હતો એમ નહતું; પ્રભુ પ્રત્યે ત્હેમનો પ્રેમ અનહદ હતો અને કુટુમ્બીજનો પ્રત્યે પણ તે બેહદ પ્યાર રાખતાં હતાં. ભાઈ અગર બહેન, માતા અથવા પિતા, સાસુ અથવા સસરા, સર્વને માટે પ્રેમ જ હતો. તે સહૃદય એટલાં બધાં હતાં કે કોઈપણ વ્હાલાજનનું જરા પણ દુ:ખ સાંભળતાં કે ત્હેમનાથી અશ્રુપાત થઈ જતો. આ સત્ય એકાદ બે દ્રષ્ટાન્તથી વધારે સમજાશે. પાંચેક વર્ષ પહેલાં ત્હેમનાં એક કપોળ સખીનો સ્વર્ગવાસ થયો હતો; છતાં પણ આજ સુધી ત્હેનું સ્મરણ ત્હેમને એટલું કષ્ટ આપતું કે તે સખીના નામ માત્રથી ત્હેમને રડવું આવતું. વિજયાલક્ષ્મીની તિવ્ર લાગણી અને પ્રેમાળ વૃત્તિઓનું બીજું દ્રષ્ટાન્ત ત્હેમનાં મ્હોટાં ભાભીનું મરણ આપે છે. આ સુશીલ સ્ત્રી ગઈ સાલમાં સપ્ટેમ્બર માસમાં મરણ પામ્યાં. તે વખતે સૌ. વિજયાલક્ષ્મી તેમના પતિ સાથે મુંબઈ હતાં. આ માઠા બનાવના સમાચારથી ત્હેમના કોમળ હૃદય ઉપર એટલી છાપ પડી કે તે સમાચાર જાણવાની સાથે ત્હેમને તાવ ચડી આવ્યો. સૌ. વિજયાલક્ષ્મીનું મરણ પણ આ સુશીલ સ્ત્રીના અવસાન પછી એક વર્ષે થયું; પરંતુ તે દરમ્યાન તેમની તબીયત કદી પણ સારી થવા પામી ન હતી.

સૌ. વિજયાલક્ષ્મી જેમ જેમ યુવાવસ્થા પ્રાપ્ત કરતાં ગયાં તેમ તેમ તેમના ગુણો દ્રઢીભૂત થવા લાગ્યા. અભ્યાસ પ્રત્યે તેમની લાલસા વૃદ્ધિંગત થઈ. વળી એવામાં ત્હેમના પતિ વિદ્યાર્થી અવસ્થામાં હતા તેથી મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કર્યા પછી ત્હેમને અભ્યાસ અર્થે બહાર જવું પડયું. આને લીધે વિજયાલક્ષ્મીને વાંચવાને ફુરસદ વધારે મળતી. ત્હેમના ન્હાના દીયેરો અંગ્રેજી અભ્યાસ કરતા હતા; તેથી ત્હેમની સહાયથી અને પોતાની ખંતથી અંગ્રેજી અભ્યાસ શરૂ કર્યો અને લગભગ ચારેક ચોપડી અંગ્રેજી જેટલું જ્ઞાન મેળવ્યું. પરન્તુ સાહિત્યનો શોખ વિશેષ હોવાને લીધે જે અંગ્રેજી જાણવા જેવા ફકરા ત્હેમના વાંચવામાં આવતા તે તેઓ વગર પ્રયાસે યાદ રાખતાં અને તેને થોડી ઘણી મદદવડે બહુ સારી રીતે સમજી શકતાં. ત્હેમના લેખોનું જેણે અધ્યયન કર્યું હશે તેને માલુમ પડશે કે અંગ્રેજી લેખકોના ઘણા ઉતારાઓ તે ટાંકતાં અને તે પણ સમજીને જ, સંસ્કૃતને માટે પણ તેમ જ હતું. સંસ્કૃતનો જાતે અભ્યાસ કર્યો નહતો, પરન્તુ ગુજરાતીની મદદવડે ભગવદ્ગીતા અને ધર્મનાં અન્ય પુસ્તકો તે વાંચતાં અને આપણી માતૃભાષાની મદદવડે મૂળ શ્લોક પણ સારી રીતે સમજતાં. વળી તેઓ ધાર્મિક વૃત્તિવાળા હોવાથી ઘણા શ્લોકો તો એમને મુખપાઠ હતા. ત્હેમની સાથે વિવેચન કરતાં કોઈ પણ માણસ ત્હેમનાં સમયોચિત અંગ્રેજી અને સંસ્કૃત અવતરણોથી ચકિત થઈ જતો. અંગ્રેજી અને સંસ્કૃતનું આ પ્રમાણે ઉપરચોટીયું જ્ઞાન મેળવ્યા ઉપરાંત ત્હેમણે સ્વભાષાનો અભ્યાસ ખંતથી વધાર્યો હતો. અને બાલપણમાં વાંચેલી નવલકથાઓ ઉપરાંત ધર્મ અને નીતિનાં અંગ્રેજી તેમજ સંસ્કૃત પુસ્તકોના ગુજરાતીમાં થયેલા અનુવાદો ઘણાખરા ત્હેમણે વાંચી નાંખ્યા હતા. આપણા પ્રાચીન તથા આપણા અર્વાચીન કવિઓની કવિતા, જે માસિકો તથા પુસ્તકોદ્વારા પ્રસિદ્ધ થયેલી તે પણ ત્હેમણે વાંચી હતી. ત્હેમને વાંચવાના શોખની સાથે પુસ્તકસંગ્રહનો પણ શોખ હતો અને ત્હેમના મરણ સુધીમાં ઉપયોગી ગુજરાતી પુસ્તકોની એક ન્હાની લાયબ્રેરી તેમણે એકઠી કરી હતી.

લેખક તરીકેની જીંદગી તેમણે તેમના સોળ અથવા સત્તરમાં વર્ષમાં શરૂ કરી. શરૂઆતમાં ભીંતો ઉપર તેમજ કાગળના ન્હાના ટુકડાઓ ઉપર કવિતાઓ લખવા માંડી. પોતે પ્રસિદ્ધિમાં આવ્યાં તે પહેલાં પોતાના પ્રયાસો તેઓ આપણા સાહિત્યમાં જાણીતાં થયેલાં સ્ત્રીલેખક સૌ. હરિસુખગૌરી, રા. વામનરામ કપિલારામનાં પત્નીને સુધારવા માટે મોકલતાં અને તે લાયક સન્નારીએ ઓળખાણ ન હોવા છતાં આ કવિતાઓ સુધારવાની કૃપા કરી, કવિતા લખવાના સૌ. વિજયાલક્ષ્મીના પ્રયાસને ઉત્તેજીત કર્યો હતો. ખરી કવિતા હમ્મેશાં સ્વયંપ્રેરિત-નૈસર્ગિકજ હોય છે, છતાં પણ તે બનાવવાનું પણ શીખવું પડે છે અને કવિતાઓ બનાવવાના નિયમો સૌ. હરિસુખગૌરીએ સૌ. વિજયાલક્ષ્મીને શીખવ્યા હતા અને તેટલે અંશે સૌ. હરિસુખગૌરીનાં પોતે શિષ્ય છે એમ સ્વર્ગસ્થ સાધ્વી કહેતાં.

કવિતા લખવાની શરૂઆત કરતાંની સાથે, પહેલા જ વર્ષમાં ત્હેમણે ઘણાં કાવ્યો લખી કાઢ્યાં હતાં; પરન્તુ કેટલાક સંજોગોને લઈને ત્હેમણે તે સર્વેનો નાશ કર્યો હતો. તે કાવ્યો જો મોજુદ હોત તો પાછળથી મેળવેલી તેમની કવિત્વશક્તિથી તેમાં સુધારોવધારો કરી શકત અને આપણને ત્હેમના પહેલા પ્રયાસો જોવાનો લાભ પણ મળી શકત. પરન્તુ કમનસીબે ત્હેનો નાશ થયો છે.

પોતાના ગદ્ય તથા પદ્ય લેખો માસિકોદ્વારા પ્રસિદ્ધ કરવાની શરૂઆત ચારેક વર્ષ પહેલાં એટલે ૧૯૦૯ ની સાલમાં કરી. શરૂઆતના લેખો તથા કાવ્યો સુધારી “સુન્દરી સુબોધ”માં-તે સ્ત્રીઉપયોગી માસિકના અધિપતિએ પ્રસિદ્ધ કરવાની પહેલ કરી. ત્યાર પછી થોડા વખતે તેમનાં કપોળ સખી કે જેને વિષે ઉપર થોડું લખવામાં આવ્યું છે ત્હેના આગ્રહથી “કપોળમિત્ર’માં પણ પોતાના ગદ્ય અને પદ્ય લેખો આપવાની શરૂઆત કરી. ત્યારબાદ તો આપણા સાહિત્યનાં આગેવાન માસિકોમાં પણ ત્હેમની કવિતાએં સ્વીકારાવા લાગી. વસંત, બુદ્ધિપ્રકાશ અને સાહિત્ય જેવાં પહેલી પંક્તિનાં માસિકોમાં ત્હેમની કવિતાની કદર થઈ છે. આ ઉપરાન્ત તેમના અપ્રસિદ્ધ લેખોનો એક મોટો સમૂહ છે અને તે ઈશ્વર ઈચ્છા હશે તો પુસ્તક દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે.

આ લેખ ઉપરથી સૌ. વિજયાલક્ષ્મીના ત્રણ મુખ્ય ગુણો વાચકની દ્રષ્ટિએ આવ્યા વગર રહ્યા નહિ હોય. (૧) ત્હેમની પ્રેમાળતા (૨) ત્હેમની હોંશ અને (૩) ત્હેમનો ઉદ્યમ. તે એટલાં ઉદ્યમી હતાં કે ત્હેમને નવરાશનો વખત જ નહતો-જ્યારે કંઈ પણ ઘરનું ઉપયોગી કામ કરવાનું ન હોય અથવા તો જ્યારે લખવા તરફ વૃત્તિ ન હોય ત્યારે પોતાનો સમય ભરત, ગૂંથણ અથવા સીવણમાં તે ગાળતાં. આ કામમાં પણ ત્હેમના સ્વભાવ પ્રમાણે તે બહુ કુશળ થયાં હતાં અને ૧૯૧૧ ની સાલમાં ભાવનગર ખાતે ભરવામાં આવેલા “હુન્નર ઉદ્યોગ મેળા” માં ત્હેમને ત્હેમના ભરત તથા ગુંથણ કામ માટે બે ચાંદો એનાયત કરવામાં આવ્યા હતા. વળી કેટલાએક નમૂના માટે ત્હેમને Certificate of Merit (બાહોશીનું સર્ટીફીકેટ) પણ મળ્યું હતું. આ મેળાના સ્ત્રીવિભાગની મેનેજીંગ કમીટી (વ્યવસ્થાપક મંડળી) નાં ત્હેમને એક સભાસદ નીમવામાં આવ્યાં હતાં*[1] અને આ વખતથી દરેક સ્ત્રી ઉપયોગી હીલચાલમાં સૌ. વિજયાલક્ષ્મીએ ભાગ લેવા માંડ્યો અને પોતાની ભગિનીઓને મદદ કરવામાં ઉત્સુકતા દેખાડી હતી. સ્ત્રીઓના મેળાવડામાં તે હમ્મેશ હાજરી આપતાં અને પોતાની બહેનો માટે ત્હેમને હમ્મેશાં કંઈને કંઈ કહેવાનું હતું જ. ભાવનગરના સ્ત્રીમંડળમાં ત્હેમની પહેલી પંક્તિના વક્તા તરીકે ગણત્રી થતી. આ સર્વ તેમની હોંશ અને ઉદ્યમીપણાનું જ પરિણામ હતું. વળી જે કામ તે કરતાં-પછી તે લખવાનું હો અગર બીજું કોઈ પણ હો, તેમાં તે એટલાં તલ્લીન થઈ જતાં કે તે કામ સંપૂર્ણ રીતે પાર પાડતાં. ત્હેમના લેખોમાં કૃત્રિમતા માત્ર આવવા દેતાં નહિં. અને જે ઉર્મિઓ ત્હેમના હૃદયમાંથી નીકળે ત્હેનોજ આવિર્ભાવ કરતાં. ત્હેમના લેખો તેમના વર્તનની છાયા રૂપ જ હતા અને ત્હેને જ લીધે તે લેખો અસરકારક બનતા.

જેણે લેખોથી સાહિત્યની સેવા કરી છે, તથા જાત મહેનતથી કુટુંબની સેવા કરી છે, તેવી સ્ત્રીમાં હાલની કેળવણીના દોષોને દાખલ થવાનો વખત જ નહોતો. પોતે શ્રીમંત પિતાની પુત્રી હતાં અને શ્રીમંત શ્વશુરનાં પુત્રવધૂ હતાં,છતાં પહેરવેશ તો સાદો જ રાખતાં. તવંગર અને ગરીબ, કેળવાયલાં અને બીનકેળવાયલાં, બધા સંબંધીઓ ઉપર તે સરખોજ પ્રેમ રાખતાં અને બધાંનાં ઘણાંજ માનીતાં હતાં.

આવા અનેક ગુણવાળી આ યુવતીના આયુષ્યની દોરી સંવત ૧૯૬૯ ના ભાદ્રપદ શુદ ૯ ને દીવસે તુટી ! ત્હેમના પતિને સોલીસીટરના અભ્યાસ અર્થે મુંબઈ રહેવાનું થવાથી તેઓ પણ મુંબઈ ગયાં હતાં. પણ મુંબઈનાં હવાપાણી ત્હેમને અનુકૂળ ન આવ્યાં અને મુંબઈમાં ભાગ્યે બે એક માસ વાસ નહિ કર્યો હોય એટલામાં તો ત્હેમને મરડાનું દર્દ લાગુ પડ્યું. એકાદ માસ માંદગી ભોગવ્યા પછી ત્હેમને લઈ ત્હેમના પતિ પોતાના પિતાને ઘેર દીવાળીના તહેવારોમાં આવ્યા. તબીયત સુધારા ઉપર આવી એટલે ફરીથી મુંબઈ ગયાં. પણ દોઢ બે માસમાં મરડાએ જોર કર્યું અને એપ્રીલ માસની શરૂઆતમાં ફરીથી ત્હેમને પાછાં મોકલી આપવાં પડયાં. પરંતુ ભાગ્યવશાત્ આ વખતે મરડો લંબાયો, ખોરાકમાં દુધ ઉપરજ તે રહેતાં હતાં. શરીર નબળું પડયું હતું. છેવટ મરડો મટયો હતો પણ નબળાઈ વિશેષ રહી હતી. અમદાવાદમાં ગઈ તા. ૩-૯-૧૩ને દિને એક પુત્રને જન્મ આપ્યો ત્યારે ત્હેમનું સર્વ ચેતનબળ નષ્ટ થયું અને પ્રસૂતિને બીજે જ દિવસે બેભાન થયાં. સારા ઉપચારો કર્યાં પણ ભાવિ મિથ્યા થયું નહિં અને તા. ૯-૯-૧૩ ના પ્રભાતમાં બે વાગતાના સુમારે આ સાધ્વીએ જે જે પ્રાણી પોતાના સહવાસમાં આવ્યું હતું તેની સેવા કરીને-તેનામાં કંઈ પણ નવું તત્વ રેડીને—પોતાના આત્માને બ્રહ્મની સાથે મેળવી દીધો.*[2]


  1. *આ બનાવની નોંધ સુંદરી સુબોધના સાતમા વર્ષના ૧૨માં અંકમાં પ્રકટ થઈ છે.
  2. *બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી સન ૧૯૧૪

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.