સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/શૃંગારરસમાં એકવાક્યતા

From Ekatra Foundation
Revision as of 02:17, 11 February 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૭. શૃંગારરસમાં શાસ્ત્રની અને પ્રકૃતિયોજનાની એકવાક્યતા

રસમીમાંસકોએ જે આઠ કે શાન્ત રસ ગણતાં નવ રસના પ્રકારો સ્વીકાર્યા છે તેમાંથી એવા તો થોડા છે જે કોઈ સળંગ કાવ્ય કે નાટકમાં આદિથી અંત સુધી અંગી અથવા તો પ્રધાન રસ બનીને રહે અને વાચકને અથવા પ્રેક્ષકને સતત એ રસની આનંદાનુભૂતિમાં નિમગ્ન રાખે. જેની આ પ્રકારોમાં ગણના થઈ છે એવા ભયાનક અને બીભત્સ રસોનું પ્રધાનરસ તરીકે નિર્વહણ થયેલું જાણ્યામાં નથી. એવું કોઈ કાવ્ય કે નાટક આપણે જાણતા નથી, જેમાં ભયાનક અથવા બીભત્સ રસ પ્રધાનરસ હોય. આ રસોને માત્ર પ્રાસંગિક અને ગૌણ સ્થાન સાંપડ્યું છે અને એથી વિશેષ એનો અધિકાર હોય એવું આપણને લાગતું નથી. રૌદ્ર અને અદ્‌ભુત રસની સ્થિતિ પણ લગભગ એવી છે. વીરરસ સાહિત્યકૃતિનો સાદ્યન્ત નિર્વાહ્ય પ્રધાનરસ થઈ શકે છે. હાસ્યરસનું કાવ્યમાં કે નાટકમાં સાદ્યન્ત પરિપોષણ અને નિર્વહણ શક્ય છે. પરંતુ એ જીવનને એમાંની અસંગતિ, વિકૃતતા, વિચિત્રતા વગેરે હાસ્યપ્રેરક સામગ્રી પારખી કાઢનારી વિશિષ્ટ દૃષ્ટિ સર્જકમાં પોતામાં હોય તો ખીલવી શકાય. જીવનમાં પ્રેમ છે, ક્રોધ છે, શોક છે અને હાસ્ય પણ છે. પરંતુ પ્રેમ, ક્રોધ અને શોક એ સંસારીજીવનના પોતમાં વણાઈ ગયેલી અને અવશપણે અનુભવાતી ચિત્તવૃત્તિઓ છે; જ્યારે હાસ્ય, અથવા રસશાસ્ત્રની પરિભાષામાં જેને હાસ્યરસના સ્થાયીભાવ તરીકે હાસ કહેવામાં આવે છે એ મનોભાવ, આ પ્રકારની ચિત્તવૃત્તિ નથી. પ્રેમ, ક્રોધ અને શોક એ ચિત્તવૃત્તિઓનો અનુભવ સંસારી માનવને પોતાના જીવનમાં સ્વયમેવ થાય છે, જ્યારે જ્યારે એ મનોવૃત્તિને જન્માવે એવાં પ્રસંગો પોતાના જીવનમાં આવે ત્યારે. પણ માનવને હાસ્યનો પ્રસંગ બહુધા પોતાના જીવનમાંથી નહીં પણ અન્યના જીવનમાંથી મળે છે. જ્યારે એ પોતાના જ જીવનમાંના પોતાના જ કોઈ વ્યવહાર પ્રત્યે હસે, ત્યારે એટલા સમય પૂરતો એ, જાણે કે પોતે પોતારૂપ મટી જઈને, તટસ્થ દૃષ્ટાની કક્ષામાં બેસી જાય છે. માણસ અન્ય પ્રત્યે હસે છે અને પોતા પ્રત્યે પણ હસી શકે છે, તેમ માણસને પ્રેમ, ક્રોધ અને શોક એ મનોવૃત્તિઓ પણ બીજા પ્રત્યે ઊપજે છે અને પોતા પ્રત્યે પણ ઊપજી શકે એવું કોઈ કહે તો તેનો સ્વીકાર કરી શકાય. પણ પ્રેમ, ક્રોધ અને શોક એ જે પ્રકારના ચિત્તસંક્ષોભ કરે છે તે પ્રકારનો ચિત્તસંક્ષોભ હાસ્યની વૃત્તિ કરતી નથી. પ્રેમ અને ક્રોધ માટે વપરાતા અંગેજી અને સંસ્કૃત પ્રચલિત પર્યાયોના અર્થવિકાસનો ઇતિહાસ એ મનોભાવમાં થતા ચિત્તસંક્ષોભનું સૂચન કરે છે. મનોવૃત્તિને માટે અંગ્રેજીમાં વપરાતો emotion શબ્દ પોતે ગતિવાચક ધાતુમાંથી ઉદ્‌ભવ્યો છે; પ્રેમ, ક્રોધ, શોક એને આપણે emotion કહી શકીએ – એ emotion છે – પણ હાસને emotion ન કહી શકાય. પણ આપણે જે મનોવૃત્તિસૂચક શબ્દોના અર્થનો ઇતિહાસ જોવાનો છે એ શબ્દો છે અંગ્રેજી love અને cupid, cupidity શબ્દો તથા તેની સામે સંસ્કૃત ‘લોભ’ અને ‘કોપ’ શબ્દો : love અને લોભ શબ્દોના અર્થો જુદા છે, પણ એમને ઉદ્‌ભવ એક મૂળમાંથી છે. એક જ મૂળ ધાતુમાંથી નીકળેલા આ બે શબ્દોએ જુદા જુદા, જુદી જુદી મનોવૃત્તિને સૂચવતા, અર્થો પ્રાપ્ત કર્યા છે.[1] તે જ પ્રમાણે cupid, cupidity અને કોપ એ શબ્દોનું મૂળ એક જ છે તે છતાં એમને અર્થવિકાસ ભિન્ન ભિન્ન દિશામાં, ભિન્ન મનોવૃત્તિઓના વાચક તરીકે થયો છે. આ રીતે એક જ મૂળ ધાતુમાંથી નીકળેલા સગોત્ર શબ્દયુગલમાંના પ્રત્યેક શબ્દના અર્થનો વિકાસ કે વિસ્તાર જુદી દિશામાં થઈ શક્યો એનું કારણ એ છે કે એ શબ્દોનો મૂળ ધાતુ ગતિવાચક હતો, અને એમાંથી નીકળેલા શબ્દોના જુદા જુદા જે અર્થો છે તે પણ મનની ગતિના, મનના ક્ષોભના, વાચક છે. એ શબ્દો અત્યારે જુદી જુદી લાગણી સૂચવે છે, પણ એ બધી લાગણીઓમાં ચિત્તક્ષોભ એ સમાનતત્ત્વ છે, અને એ ચિત્તક્ષોભ તે જ મૂળ ધાતુનો અર્થ હતો. આ ઘટનામાં આપણને પ્રેમ, ક્રોધ એ લાગણીઓ ચિત્તક્ષોભરૂપ છે એનું સમર્થન મળે છે. શોકની ચિત્તદ્રાવકતા પણ સૂચવે છે કે શોક પણ ચિત્તક્ષોભરૂપ છે. આ ત્રણ ચિત્તવૃત્તિઓમાં પણ પ્રેમ એ વિલક્ષણ અને વિશિષ્ટ પ્રકારની ચિત્તવૃત્તિ છે. ક્રોધ અને શોક ક્ષણિક, અલ્પકાલિક, ચિત્તવૃત્તિઓ છે, જ્યારે પ્રેમમાં ચિરંતન જીવનવ્યાપક મનોવૃત્તિ બની રહેવાનું સામર્થ્ય વિશેષ છે. એ પ્રેમમાં પણ સ્ત્રીપુરુષ વચ્ચે પ્રેમ, જેને રસશાસ્ત્રની પરિ-ભાષામાં રતિ કહે છે એ પ્રેમ, અન્ય પ્રકારોથી પ્રબલતર મનોભાવ છે. સર્વ સ્થાયી ભાવોમાં પ્રબલતમ અને સર્વે સંસારીજનોથી અનુભવાતો જે આ રતિ નામનો સ્થાયીભાવ છે એમાંથી નિષ્પન્ન થતો શૃંગાર રસોમાં મુખ્ય મનાયો છે, રસના રાજાની પદવીને પામ્યો છે. ધ્વન્યાલોક કહે છે : शृंगाररसो हि संसारिणां नियमेन अनुभवविषयत्वात् सर्वरसेम्यः कमनीयतया प्रधानभूतः એટલે : શૃંગારસ સંસારીઓનો નિયમરૂપે અનુભવવિષય છે તેથી એ સર્વ રસોમાં એની કમનીયતાને લીધે પ્રધાન છે. શૃંગારરસની કમનીયતા, અને કમનીયતાને કારણે પ્રધાનતા, કેવળ એની સર્વભોગ્યતામાંથી, સર્વનો એ અનુભવવિષય છે એમાંથી, નથી ઉદ્‌ભવી. એ સર્વભોગ્યતા, એ સર્વાનુભવવિષયતાને લીધે એની પ્રધાનતા છે, એની હું ના નથી કહેતો. પણ આગળ વધીને હું એમ કહેવા ઇચ્છું છું કે શૃંગારરસની આ સર્વાનુભવવિષયતાની પાછળ, સર્વભોગ્ય રતિભાવની, અથવા એક સ્ત્રીને અને એક પુરુષને અન્યોન્ય માટે થતી પ્રેમવૃત્તિની પાછળ પ્રકૃતિની – કુદરતની, અદ્‌ભુત યોજના કાર્ય કરી રહી છે, એક દિવ્ય શક્તિ કાર્ય કરી રહી છે, અને એ કારણે શૃંગારરસ સર્વ રસોમાં પ્રધાન છે, રતિભાવ સર્વ ભાવોમાં પ્રધાન છે. અમુક સ્ત્રીને અમુક પુરુષ પ્રત્યે જ આકર્ષણની અને અમુક પુરુષને અમુક સ્ત્રી પ્રત્યે જ આકર્ષણની પ્રેમવૃત્તિ જીવનમાં અનુભવાતી સર્વ મનોવૃત્તિઓમાં પ્રબલતમ છે, વ્યાપકતમ છે. રસમીમાંસાના શૃંગારરસની પ્રધાનતા વિશ્વનિયામકના અદ્‌ભુત શક્તિના કાર્યને આભારી છે. એટલું જ નહીં, રસશાસ્ત્રે શૃંગારરસના, અથવા રતિભાવના, વિભાવના ઔચિત્યને અંગે જે નિયમો સ્વીકાર્યા છે એમાં પણ એ સનાતન વિશ્વનિયામક શક્તિ જે રીતે પોતાનું કાર્ય સાધ્યા કરે છે તે રીતનું પ્રતિફલન થતું જોઈ શકાય છે. પ્રથમ તો એ જુઓ કે શૃંગારરસનું જે વાઙ્‌મય છે તેમાં કયા વિશિષ્ટ પ્રકારનો રતિભાવ શૃંગારરસરૂપે પરિણમે છે અને અનુભવાય છે. શૃંગારરસનાં નાટકો જ જોશો તો જણાશે કે એનો વિષય કયા પ્રકારનો રતિભાવ, સાધારણ રીતે, હોય છે. રતિભાવના અનેક પ્રકારો હોઈ શકે, જરા વિશેષ ચોક્કસ ભાષા વાપરું તો કહું કે રતિભાવની માનવજીવનગત અનેક પ્રકારની આવિષ્કૃતિ અથવા અવસ્થા જોઈ શકાય. દાખલા તરીકે પરણ્યા પછી પતિ અને પત્નીમાં અન્યોન્યને માટે સ્નેહનો ઉદય થાય છે તે પણ સ્ત્રીપુરુષ વચ્ચે પ્રવર્તતો રતિભાવ છે. એક પુરુષને કોઈ એક સ્ત્રી પ્રત્યે સ્નેહ થયો હોય, પણ એ સ્ત્રીનો પ્રેમ. એ મેળવી ન શક્યો હોય તેથી એ સ્નેહ સફળ ન થયો હોય, એ ઘટનામાં પણ એ પુરુષનો એ સ્ત્રી પ્રત્યેનો જે ભાવ છે તે રતિભાવ છે – જો કે ઉભયપક્ષે એ ભાવ ઊપજ્યો નથી તેથી રસમીમાંસકો એને ભાવ નહીં કહે પણ ભાવનો આભાસ કહેશે અને એમાંથી નિષ્પન્ન થતા રસને રસાભાસ કહેશે. પ્રેમની આવી અનેકવિધ આવિષ્કૃતિઓમાંથી શૃંગારરસપ્રધાન કાવ્ય-નાટકનો રચનાર કવિ એક જ પ્રકારના પ્રેમને વિષય તરીકે પસંદ કરશે : એ છે સ્ત્રીપુરુષનો, નાયકનાયિકાનો, અનોન્ય પ્રત્યેનો અનેક અંતરાયોનો સામનો કરીને દામ્પત્યરૂપ જીવનસહચારની સિદ્ધિ માટે મથતો, દૃઢ પ્રેમ. શાકુન્તલમાં દુષ્યન્ત અને શકુન્તલાનો આવો પ્રેમ છે; માલતીમાધવમાં માધવ અને માલતીનો આવો પ્રેમ છે; વિક્રમોર્વશીયમાં પુરુરવા અને ઉર્વશીનો આવો પ્રેમ છે; શેક્સપીઅરનાં નાટકોમાં આવા પ્રેમનું નિરૂપણ મળે છે : રોમિયો એન્ડ જુલિયેટમાં નાયકનાયિકાનો આવો દૃઢ પ્રેમ પરિણયમાં પરિણમે તે પહેલાં, એ પ્રેમની અવિચલ નિષ્ઠા બંનેના મૃત્યુમાં પરિણમે છે. આ પ્રકારનો સ્ત્રીપુરુષને પરસ્પર પ્રબલપણે આકર્ષતો, અનેક અંતરાયની સામે ઝૂઝવાને પ્રોત્સાહિત કરતો, અનેક પ્રકારના અન્ય ભૌતિક-સાંસારિક લાભોનો ત્યાગ કરવાને પ્રેરતો, અનેક ભાવિ આપત્તિઓને સહી લેવાનું ધૈર્ય પ્રકટાવતો, અદમ્ય લક્ષ્યસિદ્ધિપરાયણ રતિભાવ એ ચિરંજીવ સાહિત્યકૃતિઓના શૃંગારરસનો સાધક છે. અને માનવજીવનમાં પ્રણય નામે ઓળખાતા આ રતિભાવના મૂળમાં તુલ્ય વધૂવરનો યોગ કરાવીને પોતાની યોજના પ્રમાણેની સારી સંતતિનો જન્મ શક્ય બનાવવા મથતી કોઈ રહસ્યમય, દિવ્ય કહો તો દિવ્ય એવી, નિસર્ગની શક્તિની અજ્ઞાત પ્રવૃત્તિ રહેલી છે, કાલિદાસની ‘સમાનયંસ્તુલ્યગુણં વધૂવરમ્‌’ એ ઉક્તિ યાદ કરો. એ ઉક્તિનો ઉત્તરાર્ધ છે ‘ચિરસ્ય વાચ્યં ન ગતઃ પ્રજાપતિ.’—જે સૂચવે છે કે આયા તુલ્ય વધૂવરનો જીવનસંયોગ કરવામાં પ્રજાપતિને, અથવા કુદરતની શક્તિને, સદૈવ સફળતા સાંપડે એવું નથી. આ પ્રજાપતિની અથવા નિસર્ગની શક્તિની તુલ્ય વધૂવરનો યોગ સાધવાની, એ વધૂવરને અભાનપણે અન્યોન્ય પ્રત્યે આકર્ષતી, સનાતન પ્રવૃત્તિને માનવસમાજના અનેક સમાન પ્રયત્નો અનેકવાર નિષ્ફળ બનાવે છે એ ખરું. પણ એ પ્રજાપતિ અથવા એ શક્તિનો એ પ્રયાસ, માનવજાતિના સુવિકાસ અર્થે, સતત ચાલુ રહ્યા જ કરે છે. કાલિદાસે વિધિના આ પ્રયત્નને “તુલ્યગુણ” વધૂવરને જોડવાનો પ્રયત્ન કહ્યો છે અને દુષ્યન્ત-શકુન્તલાની જોડી સાંધવામાં એને તુલ્યગુણ વરવધૂનો યોગ સાધવાની સફળતા મળી એ વિરલ ઘટના છે એવું કાલિદાસની આ પંક્તિ સૂચવે છે. અને ખરું છે કે અમુક વરવધૂના યુગલને પ્રકૃતિના અજ્ઞેય પ્રભાવથી જોડવામાં વિધિનું લક્ષ્ય પ્રકૃતિને અભીષ્ટ એવી સંતતિની ઉત્પત્તિ હોય છે. એમાં એ રૂપ અને ગુણને ગણનામાં લે અને ન એ લે. પ્રકૃતિપ્રેરિત આકર્ષણથી ખેંચાતાં વરવધૂના જોડાણમાં રૂપ સહાયક બને, ગુણ પણ સહાયક બને; પણ એ આકર્ષણને પ્રેરવામાં વિધિનો – પ્રકૃતિનો ઉદ્દેશ તો માનવજાતિની વિશિષ્ટ પ્રકારે સંતાનવૃદ્ધિ થાય એ હોય છે. એટલે પ્રકૃતિનો આ ઉદ્દેશ સધાય અને સાથોસાથ એ હેતુસિદ્ધિ અર્થે જેને એ જોડે છે એ વરવધૂ રૂપમાં, ગુણમાં, તુલ્ય હોય એ ઘટના વિરલ તો ખરી. Love is blind એ ઉક્તિ પણ વિધિની અથવા પ્રકૃતિની આવી, પોતે ઇચ્છેલા માનવસંતાનની ઉત્પત્તિ થાય એ ઉદ્દેશ સાધવા માટેની તત્પરતા સાથે સંગત છે. વિધિની અથવા પ્રકૃતિની આ યોજના તે જ નિયતિનો નિયોગ. નિયતિએ ઇષ્ટપ્રજોત્પત્તિ અર્થે નિયત કરેલું સ્ત્રીપુરુષયુગલ અન્યોન્ય પ્રત્યે અનુરાગ સેવે એમાં એ નિયતિના નિયોગને વશ વર્તે છે. અર્થાત્‌ એ અનુરાગ અને એમાંથી અંકુરતો પ્રણય, શરીરરૂપસંપત્તિ અને ગુણસંપત્તિ એની અનુકૂળતા વધારવામાં સહાયક બનતી હોય તો પણ, જેને અશારીર કહેવું પડે એવા આકર્ષણમાંથી જન્મે છે. કેવળ શરીરના આકર્ષણથી ઉદ્‌ભવતા, અને ઇન્દ્રિયોપભોગમાં પર્યવસાન પામતા શારીર અનુરાગથી નિયતિના નિયોગે, પ્રકૃતિની ગૂઢ યોજનાએ ઉપજાવેલો અનુરાગ અશારીર પ્રણયની ઉચ્ચ કોટિએ પહોંચે છે. ઇન્દ્રિયોપભોગમાં અથવા કામસુખમાં એની પરિસમાપ્તિ થતી નથી. કદાચ વિધિપ્રેરિત અનુરાગના અને તજ્જન્ય પ્રણયના ઉદયકાળે સ્વર્ગીય સ્વપ્નવિહાર કરતાં પ્રણયીઓનું સભાનપણે કામસુખ ઉપર લક્ષ હોતું નથી. એ સભાનતા તો આ સ્વર્ગીય સ્વપ્નવિહાર દ્વારા એ પ્રણયીઓને સંગત કરવાની પ્રકૃતિકૃત યોજના પાર પડે ત્યારે ઊપજે. અને, પ્રકૃતિનું ધ્યેય ઉત્તમ પ્રજોત્પત્તિ હોવાથી આ અનુરાગ જેમ કેવળ શારીર અથવા કામોપભોગપરાયણ ન હોય તેમ કેવળ અશારીર એટલે શરીર સંબંધથી અત્યન્ત પરાઙ્‌મુખ પણ ન હોય. આવો જે પ્રણય તે ઉચ્ચ શૃંગારરસપ્રધાન કાવ્યનાટકોમાં નિરૂપાતો રતિભાવ છે. એને માટે યોજેલી આ “રતિ” એ સંજ્ઞા પોતે શારીરઉપભોગથી ઉચ્ચતર, સૂક્ષ્મતર ભાવને સૂચવનારી છે. અને આ રતિ અથવા પ્રણયના નિરૂપણમાં રસમીમાંસકોએ ઔચિત્યરૂપી જે મર્યાદાઓ નિર્દેશેલી છે તે પણ નિયતિના ક્રમ સાથે સંગત જણાય છે. એક મર્યાદા એ છે કે શૃંગારરસસાધક રતિ ઉભયનિષ્ઠ હોવી જોઈએ, નહિ તો અનૌચિત્ય દોષ આવે. પ્રકૃતિની-નિયતિની-યોજના સ્ત્રીપુરુષ બંને પરસ્પરનાં અનુરાગી કે પ્રણયી હોય તો જ સફળ થાય. શૃંગારરસની નિષ્પત્તિ નાયક-નાયિકા બંનેને અન્યોન્યમાં રતિ હોય તો જ થાય, નહીં તો રસાભાસ થાય, આ રીતે રસશાસ્ત્રે બાંધેલી, રતિ ઉભયનિષ્ઠ હોવી જોઈએ એવી, ઔચિત્યમર્યાદા નિયતિના નિયમને અથવા પ્રકૃતિની યોજનાને અનુરૂપ છે. રસમીમાંસકોએ સ્વીકારેલી બીજી મર્યાદા એ છે કે નાયિકાને માત્ર એક નાયકમાં જ રતિ હોવી જોઈએ; બહુનાયક પ્રત્યે રતિ હોય તો વિભાવના અનૌચિત્યને લીધે રસાભાસ ઊપજે. નાયિકાની ઘણા નાયકોમાં રતિ નિષિદ્ધ છે. પણ નાયકની રતિ અનેક નાયિકાઓમાં હોય તો, તે માટે એવો નિષેધ નથી, એ આજના જમાનામાં આપણને અયુક્ત લાગે છે. એક જમાનો એવો હતો જ્યારે માતા થનારી સ્ત્રીને અનેક પતિ કરવાની પ્રકૃતિદત્ત અનુકૂળતા કે સમાજદત્ત અનુજ્ઞા નહોતી પણ પુરુષ અનેક પત્નીઓ કરે તેમાં પ્રકૃતિની પ્રતિકૂળતા નહોતી કે સમાજનો પ્રતિબંધ નહોતો. રસશાસ્ત્રે સ્વીકારેલી મર્યાદા (નાયિકાની રતિ બહુનાયકવિષયક ન હોવી જોઈએ એ મર્યાદા) એ જમાના પ્રમાણે સમાજપ્રતિષિદ્ધ નહોતી, તે ઉપરાંત એમાં નૈસર્ગિક પ્રતિકૂળતા પણ ન નડતી. એટલે રસશાસ્ત્રે બાંધેલી ઔચિત્યમર્યાદા એ જમાનાની દૃષ્ટિને સ્વીકાર્ય હતી. પણ સંસ્કૃતિનો ઉત્કર્ષ થતાં પુરુષે સ્ત્રી પ્રત્યે સમ્માન કેળવ્યું છે એ આજના જમાનામાં સમાજમાં એકપત્નીવ્રત ધર્મ્ય ગણાય છે તે અનુસાર રસની ઔચિત્યમર્યાદામાં પણ નાયકનો રતિભાવ એક જ નાયિકામાં હોય, અનેકમાં નહીં, એ નિયમ સ્વીકાર્ય બને છે. આમ, જે જમાનામાં અનેક પત્નીઓ કરવાની છૂટ હતી એ જમાનાની દૃષ્ટિએ રસશાસ્ત્રની એક નાયિકાને અનેક નાયકોમાં રતિ ન હોવી જોઈએ એ મર્યાદા ઔચિત્યસાધક હતી અને પ્રકૃતિની દૃષ્ટિએ એમાં બાધ નહોતો, રતિ ઉભયનિષ્ઠ હોવી જોઈએ એ ઔચિત્યમર્યાદા તો નિયતિના ઉદ્દેશને અનુરૂપ જ હતી એ આપણે જોયું. કોઈ અગમ્ય બળથી એકબીજા પ્રત્યે ખેંચાતા સ્ત્રીપુરુષના પ્રણયમાં શારીરતત્ત્વના કરતાં અશારીર અતીન્દ્રિય તત્ત્વનું પ્રાધાન્ય અને આદિત્ય હતું, અને એવો જ પ્રણય શૃંગારરસની ઉત્તમ કૃતિનો યોગ્ય વિષય મનાયો છે, તે પ્રકૃતિની યોજનાને અનુરૂપ છે એ પણ આપણે જોયું. આ પ્રમાણે વિધિવિધાનમાં (પકૃતિની યોજનામાં) અને શાસ્ત્રના નિયમોમાં એકવાક્યતા જોઈ શકાય છે.

પાદટીપ

  1. ‘લોભ’ એ સંસ્કૃત શબ્દનું મરાઠીમાં ફરી પાછું, પ્રેમની દિશામાં અર્થપરિવર્તન થયું છે, જેમ કે ‘કલાવેં, લોભ અસાવા.’

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.