ધીરેન્દ્ર મહેતાની કવિતા/વ્રજવાણી
૩૦.
વ્રજવાણી*[1]
વ્રજવાણી*[1]
આખી ઘટનાને ભીતરમાં જોયા કરતું આ વ્રજવાણી,
ચારે બાજુ ખોડાઈને એમ જ ઊભી આહીરાણી...
રેતી થઈને વીખરાયા છે,
પથ્થર થઈને પછડાયા છે,
તૂટ્યા અડધે રસ્તે સૂરઃ
ઢોલી ક્યાંય ગયો છે દૂર?
આ વકાસ્યા મોઢા જેવો સૂનો સાવ જ ચોક જો,
ઊતરો એમાં આવીને ગાણું થઈને કો’ક તો!
અને પડે જો ઢોલક માથે સીધી આ થાપ જો,
નથી કોઈ તમે એમાં તાલ ધીમે આપજો.
ઘૂમે છે ચોફેર હવામાં કેવી લેઈ લચીલી લાંક,
ધમધમ છાતીમાં કે દૂર ધરા પર ઠેક પડે છે ક્યાંક!
ચેહ ઉપરથી ફરીફરીને આમ ઊતરશે આહીરાણી,
આ જ ચોકમાં ધૂમ મચવશે રાસ રમી વ્રજવાણી..
૧૯-૧૨-૧૯૯૮
- ↑ * કચ્છ વાગડમાં આવેલું ગામ, ત્યાં ઢોલી પાછળ જીવ દેનારી આહીરાણીઓની કથા પ્રસિધ્ધ છે.