સાહિત્ય પલ્લવ – ભાગ ૧/રામનારાયણ વિશ્વનાથ પાઠક – ‘શેષ’

Revision as of 11:02, 22 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રામનારાયણ વિશ્વનાથ પાઠક – ‘શેષ’

[આ પ્રાર્થના છે, પણ જૂની ‘ઢબની નથી. નવા યુગના મનોરથોને અનુરૂપ એવી આ પ્રાર્થના છે. પ્રભુ પાસે માલખજાના, મહેલઝરૂખા, વાડીવજીફા કે એવું કાંઈ માગ્યું નથી. ગમે તેવાં જોખમો વચ્ચે પણ આગળ એક ડગલું ભરવાનું, અહંતાના તળિયા પર પ્રહાર કરી અંદરથી પ્રભુતાનાં પાતાળઝરણ ફોડવાનું, અને છેવટે જીવનમાં કાંઈ જ મોટું કાર્ય થઈ ન શકે તો મરવા માટે કોઈ ભવ્ય પ્રસંગ મળી રહે — એવું આમાં પ્રભુ પાસે માગ્યું છે. એ માગણીમાં સમાયેલાં આરજૂ અને વેગ તો કાવ્ય મોટેથી વાંચતાં જ સમજાશે. ૧-૯. ડગલું માંડવા જતાં, અનેક છૂપા ભયો જેમાં ભરેલા છે એવાં કુહર (બખોલ)માં જતું પડે છે, શરીર ઉઝરડાય છે, છતાં દૃગ (દૃષ્ટિ-નજર, અહીં આંખ)થી આંસુ ન ખરે એવી જીવનશક્તિ માગી છે. ૧૫-૨૪. અહંત્વ-અહંકાર-હુંપદનું તળિયું જો ફોડવામાં આવે તો અંદરથી પ્રભુની દયાનાં ઝરણ ફૂટી નીકળે ને અભર્યાં (ભરપૂર) ઊભરાય. એમાં નહાતાં મનની તુચ્છતા શમી જાય. એ પરમ કૃપાનાં જલમાં ઝીલતાં કાંઠેના દર્દુર (દેડકા-અહીં દુનિયાના ડાહ્યાઓ અથવા તો મનના ખોટા વિચારો) ભલેને ‘ડ્રાંઉં! ડ્રાંઉં!’ કરી ડરાવવા મથે. પણ પ્રભુની કૃપાથી દરેક જોડે નિર્ભય રીતે મળવાનું બની રહેશે. ૨૫-૩૦. જીવનનો હ્રાસ-ક્ષય થતો, નિર્બળની મશ્કરી થતી, અટકાવી ન શકું એવું ન થાય. એટલે કે એ બધું કરી શકું એમ કરજે. (બે નકારથી હકારનો અર્થ આમાં થાય છે.) છેવટની લીટીઓ કાવ્યની કલગીરૂપ છે. લેખક બીજે ઠેકાણે નવયૌવનને વંદે છે: રૂઝવે જગના જખ્મો, આદર્યાંને પૂરાં કરે, ચલાવે સૃષ્ટિનો તંતુ, ધન્ય એ નવયૌવન.]