૧. ચિત્રો જેમ કોઈ વાર સુન્દર રેખાઓથી તો કોઈ વાર રંગોની સુન્દર મિલાવટથી ખીલે છે, તેમ કાવ્ય પણ જુદાં જુદાં કારણોથી સુન્દર બને છે. તેમાંનું એક કારણ અક્ષરોની સરસ ગોઠવણી. અક્ષરોમાં વ્યંજન અને સ્વર બંન્ને આવે. અક્ષરો એકબીજામાં સરસ રીતે ભળી જાય એવી રીતે ગોઠવાયા હોય તેને વર્ણ-સગાઈ કહે છે. આ કવિતામાં એવી વર્ણ-સગાઈ ઠેર ઠેર છે. જેમકે, ‘મંગળ મુખડે મધુર મલપતી વસંત શી સુન્દર સોહાય.’ આમાં મ અને સ ની સુરીલી સજાવટથી એક જાતનું સંગીત નીપજતું આપણે જાણે કે અનુભવીએ છીએ. એવી જ રીતે ‘લળી લળી ઓવારણ લેતી મધુમાલતી ફૂલગુચ્છ લચેલ, મત્ત માધવી માદક ગંધતણી કરતી પથ રેલંછેલ;’ આ પંક્તિઓમાં કઈ કઈ વર્ણ-સગાઈ છે તે બતાવો, તેમ જ આખી કવિતામાંથી વર્ણ-સગાઈના જે જે દાખલા તમને નજરે પડે તે બતાવો. અનુસ્વારોના વિવેકભર્યા ઉપયોગથી મધુર બનેલી પંક્તિ કે પંક્તિઓ જો આ કાવ્યમાં તમારા ધ્યાન ઉપર આવે તો તે પણ બતાવો, અને એવી પંક્તિઓની તમારા મન પર કેવી અસર થાય છે તે જણાવો.