સાહિત્ય પલ્લવ – ભાગ ૩/નર્મદાશંકર

From Ekatra Foundation
Revision as of 11:11, 19 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નર્મદાશંકર

[નર્મદનો આ લેખ પોણોસો વર્ષ ઉપર લખાયેલો હોવા છતાં તેમાં એણે ‘કવિ અને કવિતા’ અંગેના જે મુખ્ય મુખ્ય વિચારોની ચર્ચા કરી છે એમાં ભાગ્યે જ પાછળથી બહુ ઉપયોગી ઉમેરો થયો હોય. પોતે આપણી જોડે વાત કરતો હોય તેમ એ પોતાનો વિષય આપણને સમજાવતો જાય છે. વચ્ચે પોતાની તસવીર એક કડિયાએ કેમ લીધેલી તેનો હેવાલ આપે છે ત્યારે થાય છે કે એના પોતાના માણસ ગણીને જ જાણે આપણી જોડે વાત કરતો ન હોય. વચ્ચે વળી વિષયાંતર થઈ જતું હોય એમ લાગતાં, ‘ઊભા રહો. આપણે આડા જૈયે છે,’ કહી વાતને પાછી પાટે ચડાવે છે. આમ એના લખાણમાં આત્મીયતા ઉપરાંત નિખાલસતા પણ આપણને દેખવા મળે છે. લેખમાં પહેલાં એણે, મનુષ્યમાત્ર તે જ્યાં સુધી સુખ અને દુ:ખની લાગણી અનુભવવાની એને શક્તિ છે ત્યાં સુધી કવિ છે એમ કહી આપણ સૌને કવિ ઠરાવી આપણો પ્રેમ જીતી લીધો છે! પણ પછી કળે કળે ઉપરના વિચારમાંથી બાદબાકી કરતો જાય છે ને છેવટે સાચા કવિ કોને કહેવા તે બતાવે છે. … ભાષામાં રચના કરે તેને જ કવિ કહેવા એવું નથી એમ એ બતાવે છે. નૃત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ (મૂર્તિ-રચના) અને સ્થાપત્ય (ઇમારતોની રચના) – એમાંની એક પણ કળા જેને આવડતી હોય તે કવિ છે, એટલું જ નહિ, કાયદા બનાવનાર, મોટાં મોટાં શહેરો બાંધનાર, તેઓ પણ કવિઓ છે. શરૂઆતમાં કવિનો જેમ સાધારણ અર્થ આપ્યો હતો તેમ આ ‘વિસ્તીર્ણ અર્થ’ હવે આપ્યો. . . . પછી કવિ ભાષા દ્વારા થતી કવિતાની જ વાત કરે છે, કેમકે બોલચાલમાં તેને જ આપણે કવિતા કહીએ છીએ. પણ તે કવિતા રાગડામાં નથી તેના અર્થ અને રસમાં છે એ બતાવે છે. પછી કવિતા વિષે કહે છે. હોય તેવું બતાવવું — ફોટોગ્રાફી એ કવિતા નથી. ભવિષ્યમાં પણ કેવું હશે એ તરફ કવિતાનું લક્ષ હોય છે, તેથી કવિને ‘ક્રાન્તદર્શી’ (સમયની આરપાર જોનાર) કહ્યો છે. . . . છેવટે કવિતાથી થતો પરમ લાભ દર્શાવ્યો છે. તર્ક અને તર્કબુદ્ધિ - આ શબ્દો કવિએ કલ્પના શક્તિના અર્થમાં વાપર્યા છે.]