દરિયાપારથી.../દેશી કથાઓ – પરદેશી કથાકારો

From Ekatra Foundation
Revision as of 05:36, 26 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દેશી કથાઓ – પરદેશી કથાકારો

પોતાના દેશની બહાર , બીજા કોઈ (પશ્ચિમી) દેશમાં જઈને વસેલા કોઈ પણ લેખકો કદાચ એ બે દેશોનાં જીવન અને રીત-રસમોને વણી લેતી કથાઓ લખતા હશે. ઘરથી દૂર ગયેલાં-નાં મનની સર્જન-સ્થિતિ કદાચ એવી જ થઈ જતી હશે. સાથે જ, એ પણ જોઈ શકાય છે કે દેશાંતરિત લેખકોની કથાઓ દેશમાં લખાતાં પુસ્તકો કરતાં જુદી પડતી હોય છે – ખાસ કરીને, કથાવસ્તુની દૃષ્ટિએ. મોટા ભાગની એ કૃતિઓ કૈંક વિચિત્ર, વિલક્શણ, ક્યારેક તો હેતુપૂર્વક આઘાતજનક બનાવાયેલી હોય તેવી લાગે છે. શાથી થતું હશે આવું? દેશની બહાર રહેનારાં દેશના જીવનની ગતિ-વિધિનાં વહેણની પણ બહાર હશે, તેથી? કે પછી, પરદેશમાં હોવા-રહેવાને કારણે કશી ‘સાહસિકતા’ અનુભવાતી હશે, તેથી? આવા લેખકો તેમજ તેમની કૃતિઓ ઘણી વાર તરત ભુલાઈ પણ જતાં હોય છે. જો એકાદ સમાલોચના કોઈએ કરી હોય તો તેનું મૂલ્ય સાહિત્ય ક્શેત્રમાં ઐતિહાસિક પરિપ્રેક્શ્યની દૃષ્ટિએ જ રહી જતું જણાય છે. સામટાં આવાં કેટલાંક પુસ્તકો વિષે જાણવા મળ્યું. નથી એ દરેક સર્જક ભારતીય, કે બહુ જાણીતા, પણ આ દરેક જણે ભારતનાં વિવિધ પાસાંને જે રીતે કથાનક માટે પસંદ કર્યાં છે તે જોવું રસપ્રદ બને છે. લી સીગલ નામના એક અમેરિકને પોતાના પુસ્તકમાં વિદ્વત્તા, આત્મકથાનક તેમજ કલ્પિત તત્ત્વને ભેળવ્યાં. એ પોતે એક તરફ ધંધાદારી જાદુગર છે, ને બીજી તરફ અમેરિકાના એક મહાવિદ્યાલયમાં “ધર્મ”ના પ્રાધ્યાપક છે. એમણે ભારતમાં વિનોદ અને જાદુ વિષય પર વિદ્વત્તાપૂર્ણ પુસ્તકો લખ્યાં છે. પ્રસ્તુત પુસ્તકની શરૂઆત થાય છે રાજીવ ગાંધીની કરપીણ હત્યાના ઘૃણાસ્પદ વર્ણનથી. લેખક ભારતીય સાહિત્યમાં ભયંકર અને જુગુપ્સાનાં તત્ત્વો પર સંશોધન કરવા વારાણસી ગયા છે. કોઈ એમને ચારણ જેવા ફરતા વાર્તાકાર વિષે જણાવે છે, કે જે લોહી ચૂસતા પ્રેતની વાર્તાઓ કહેતા ફરતા હોય છે. પણ લેખક એમને મળી નથી શકતા. છેવટે લેખક કલ્પનાથી એ પાત્ર ઘડી કાઢે છે, ને પછી પોતે જ લખતા જાય છે વાર્તાઓ – ભય પમાડે તેવી, એકમેક સાથે સંકળાયેલી, રાજા વિક્રમ અને વૈતાળની વગેરે. રાજકારણ, વાસ્તવ ને કલ્પના – એમ ત્રિવિધ સૂત્રોથી વણાયેલી કથાઓ જીવનની અકલ્પ્ય મુસીબતો પ્રત્યે અપાતી ભારતીય પ્રતિક્રિયાનાં ઉદાહરણ પૂરાં પાડતી રહે છે. વિક્રમ ચંદ્રા પોતાની અંગ્રેજીમાં લખાયેલી “લાલ પૃથ્વી અને ધોધમાર વરસાદ” નામની નવલમાં ત્રણ સદીઓ અને ત્રણ દેશો – અમેરિકા, ઇંગ્લૅંડ, ભારત -ને સાંકળે છે. સાડા પાંચસો પાનાંની એ પ્રથમ નવલકથાને જાણે હજાર ખંડ છે, દરેકમાંથી જુદું દૃશ્ય દેખાય છે, દરેકમાં એક નાયક છે, દરેક નાયકનું એક કર્યક્શેત્ર છે. એટલા જ ખલનાયક પણ છે, તેમજ શસ્ત્રો, શોણિત, સાક્શાત્કાર અને જાદુ પણ એમાંથી બાકાત નથી. એક પ્રકારની ‘ અરેબિયન નાઇટ્સ’ જ જાણે. ખૂબ ટૂંકમાં કથાવસ્તુ આમ છે : મુખ્ય પાત્ર અભય રજાઓમાં અમેરિકાથી ભારત આવ્યો છે. માતા-પિતાને ત્યાં એનું પેન્ટ ચોરી ગયેલા વાનરને એ મારી નાખે છે. યમરાજ એને લેવા આવે છે. બીજા દેવો પણ આવે છે. વાટાઘાટો પછી એમ નક્કી થાય છે કે જો અભય અને એનું કુટુંબ રોજ બે કલાક વાર્તાઓ કહીને દેવોને સંતોષી શકે, તો વાનર જીવતો રહી શકે. એ વાનર આગલી કોઈ જિંદગીમાં સંજય નામનો કવિ હતો. તે પોતે જ એ વાર્તાઓ ટાઇપ કરવા બેસી જાય છે. મોટેથી વંચાતી-બોલાતી વાર્તાઓ સાંભળવા શ્રોતાઓ વધતા જ જાય છે, ને આખા મેદાનને ભરી દે છે. લોકોની રોજિંદી જિંદગીની વાતો પણ વચ્ચે વચ્ચે મુકાતી જાય છે. અભય અમેરિકા વિષેની વાતો કર્યા કરે છે, તો સંજયની પોતાની વાતોમાં તો અવનવા સંજોગો બને છે – હાથી સાથેના અકસ્માત, જાદુઈ આગ વગેરે. અંતે લેખક વિક્રમ ચંદ્રાનું કહેવું એમ છે કે કોઈ પણ બાબત અંગે એક જ રજુઆત ના હોઈ શકે, અને જો લાંબી લાંબી વાર્તા હોય તો જ ટકી રહેવાય. અનિતા દેસાઈ નામનાં, અમેરિકામાં વસતાં, જર્મન-ભારતીય લેખિકાની “ જર્ની ટુ ઈથાકા” નામની નવલકથામાં ગદ્ય બહુ સરસ છે, પણ એ જાણે કથાતત્ત્વને શોધી રહ્યું છે. લેખિકા-ને જ જો પાત્રોની પડી ના હોય તો વાચકોને શું કામ હોય? પશ્ચિમના લોકોમાં પૂર્વીય આધ્યાત્મવાદ માટે પ્રેમાદરના જે ભાવ હોય છે તે સમજવા માટે એમણે ઘણાં પુસ્તકો વાંચ્યાં હતાં, પણ એનાથી એમનાં પાત્રોને અથવા પુસ્તકોને ફાયદો થયો જણાતો નથી. મુખ્ય પાત્ર-સ્થાને એક યુરોપી યુગલ છે. ભારત આવીને એ પુરુષ ફકીરો, સ્વામીજીઓ ને આશ્રમોમાં ખુંપી જાય છે. એની પત્નીને એમાં રસ નથી પડતો. પછી પુરુષ “માતાજી” નામના ગુરુમાં સંપૂર્ણપણે માનતો થઈ જાય છે. આખી દુનિયામાં એમના ભક્તો છે, પણ પત્નીને શંકા છે કે માતાજી કોઈ ઢોગી વ્યક્તિ તો નથી ને. એની ખાતરી કરવા એ મથે છે, પણ અચાનક, બાળક જન્મતાં એ સ્ત્રી શોધ છોડી દે છે. અચાનક, કથાનક પણ રખડી પડતું લાગે છે. વાર્તા જાણે અધૂરી રહી જતી લાગે છે. લેખિકા રુથ પ્રાવર ઝાબવાલા તો ઘણી જાણીતી વ્યક્તિ છે. મર્ચન્ટ-આઈવરીની ફિલ્મો માટે એમણે ઘણાં કથાનક લખ્યાં છે. એમની છેલ્લી નવલકથા “સ્મરણની કરચો” જાણે ફિલ્મ માટે જ લખાઈ છે. પાત્રો એટલાં બધાં છે કે એમનાં નામ, કામ, સંબંધોનો ખ્યાલ રાખવો અઘરો બને છે. વળી, એમાં પૂર્વ અને પશ્ચિમનાં સ્થાનો છે, અને બંને બાજુની વિભિન્ન લાગણીઓ પણ નિરુપાઈ છે. જુદાં જુદાં પાત્રો તરફનો લેખિકાનો અનાદર અથવા સ્નેહ સ્પષ્ટ બનતો રહે છે. આ નવલમાં પણ એક ધર્મગુરુ છે, જે ફક્ત ‘માસ્ટર’ તરીકે ઓળખાય છે, ને એમને વિષે પણ એ સાચા છે?, સારા છે?, દંભી છે?, ગાંડા છે? જેવા પ્રશ્નો ઊભા થતા રહે છે. એ.બી.યેહોશ્વા નામના લેખક ઈઝરાયેલી છે, અને વાર્તા અને નવલકથાઓમાં ઈઝરાયેલની રોજેરોજની જિંદગીની વાસ્તવિકતા નિરૂપે છે. “ઓપન હાર્ટ” નામની એમની પાંચમી નવલ ભારતમાં ઘટે છે. એનું કથાવસ્તુ ભારતીય ધર્મતત્ત્વ, યાત્રીઓની શ્રદ્ધા, આત્માનું દેહાંતરણ વગેરે બાબતો પર આધારિત છે. નાયક બેન્જામિન રુબિન તેલઅવીવની હૉસ્પિટલમાં સર્જન છે, એક ઈઝરાયેલી દરદીની સંભાળ લેવા ભારત જાય છે, એ દરદીની માતા ડોરીના પ્રેમમાં પડે છે; સાથે જ, ભારતની રહસ્યમયતાથી સંપૂર્ણપણે અભિભૂત થઈ જાય છે, અને સમય સાથે હોડ કરવાનું છોડતાં શીખે છે. ઇંગ્લૅંડમાં વસતા પાકિસ્તાની લેખક હનીફ કુરેશીએ એમની નવલ “ધ બ્લૅક આલ્બમ”માં મૂળ પાકિસ્તાનના, ને હવે બ્રિટનમાં વસતા મુસ્લિમોની વાત લખી છે. નાયક શાહિદ હસન પૂરો અંગ્રેજ, કે પૂરો મુસ્લિમ, કે પૂરો પાકિસ્તાની પણ નથી. જાણે લેખકનું પોતાનું, તેમજ યુવાન પાકિસ્તાની-બ્રિટિશના માનસિક સંઘર્ષોનું પ્રતિબિંબ આમાં મળે છે. વાસ્તવિક અને સમકાલીન જીવન દર્શાવતી આ એક આધુનિક સાહિત્યિક કૃતિ છે. ચિત્ર-વિચિત્ર કથાઓ લઈને, કૈંક અજમાયેશ, અખતરા કે પરદેશમાં વેચાણના ખ્યાલ સાથે લખાતી, વક્રોક્તિ કે કટાક્શના ઉદ્દેશવાળી કૃતિઓ દ્વારા, હંમેશાં, સારું સાહિત્ય વાંચ્યાનો સંતોષ નથી મળતો હોતો.