દરિયાપારથી.../પાળેલાંને પાળનારાં

From Ekatra Foundation
Revision as of 01:17, 27 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પાળેલાંને પાળનારાં

બહુલક્શ વર્ષો પહેલાં પૃથ્વી પરના ભૂ-ભાગો એકમેક સાથે સંયુક્ત હતા. આજના ભારત અને આજના ઑસ્ટ્રેલિયાની વચ્ચે એક ભૂમિ-સેતુ હતો. એના પર થઈને આજના દક્શિણ ભારતમાંનો માનવ, કદાચ સાહસ અને કુતૂહલથી પ્રેરાઈને, ચાલતો ચાલતો આજના ઑસ્ટ્રેલિયાના મધ્ય-કેન્દ્રમાં પહોંચી ગયેલો. એની પાછળ પાછળ રસ્તાનો કૂતરો પણ ગયેલો, અને કેટલીક કાબરો પણ અનુસરેલી. આજ સુધી, ‘એબોરિજિન’ કહેવાતા એ આદિ-જાતિના લોકો ચહેરેમહોરે, દેખાવે, ચાલે, ને રંગે આપણે ત્યાંના લોકો સાથે સમાનતા ધરાવે છે; ત્યાંનો ‘ડિન્ગો’ કહેવાતો પેલો કૂતરો પણ આપણા રસ્તા પરના કૂતરા જેવો દેખાય છે, ને એમ જ રખડતો હોય છે; અને કાબરોનો કકળાટ ત્યાં ઘણો ઉપદ્રવ મચાવી રહ્યો છે – આજે પણ! નવાઈની એ બાબત છે કે જીવનના, અતિદૂરના એવા, આરંભમાં પણ માનવને પશુ-પંખીનો સંગ હતો. કદાચ આથી પણ વધારે નવાઈ એ વાતથી લાગે કે આઝના અત-આધુનિક જીવનમાં પણ એ સંગ વગર માનવને ચાલતું નથી. ખેતી, મજૂરી, આહાર, શિકાર વગેરે પ્રવૃત્તિઓ માટે તો અમુક માનવેતર જીવો જરૂરી છે જ, પણ પાળી શકાય તેવા પશુ-પંખી પણ માનવ-જીવનમાં ઘણું મોટું સ્થાન ધરાવે છે. ક્યારેક તો લાગે કે માણસને માણસ માટે હોય તેનાથી પણ વધારે અગત્યનું સ્થાન એવાં પશુ-પંખીનું હોય છે. આખી દુનિયામાં હવે જોઈ શકાય છે કે મૈત્રીના કોઈ પ્રકાર માટે માણસના મનમાં ધૈર્ય કે ઔદાર્ય કે નિઃસ્વાર્થ ભાવ રહ્યો નથી, જેટલોકે પાળેલા પશુ માટે, ને ક્યારેક તો રખડતા નાના પ્રાણીને જોઈને એ દર્શાવી રહે છે. સહેજ વાતમાં સામા માણસ પર હાથ ઉપાડતાં કે બંદૂક ચલાવતાં જે ના અચકાતો હોય, તેવો માણસ આવા પશુને અપાર વહાલ કરતો જોવા મળે છે. માણસનાં દુઃખોનો પાર નથી, દુનિયાના કરોડો માણસોની સ્થિતિ સુધરવાની આશા નથી, ત્યારે “પ્રાણી-હક” માટેની ચળવળ દુનિયામાં જોરદાર રીતે ચાલી રહી છે. પશ્ચિમમાં શરૂ શરૂમાં, કૂતરાં ને બિલાડાં માટેના વિશિષ્ટ આહારની વાનગીઓની જાહેરખબરો જોઈને બહુ નવાઈ લાગતી, કે હસવું આવતું, કે વિધિની વક્રતા પર જીવ બળતો. ભૂખે મરતા માણસોએ કૂતરા માટેના ખોરાકથી પેટ ભર્યાના સમાચાર પણ ક્યારેક જોવા-સાંભળવા મળતા. ત્યારે પ્રશ્ન થતો કે મુંગાં જીવો પ્રત્યેની કરુણા શું ગરીબો તરફની ક્રૂરતાનું સ્વરૂપ નથી લઈ રહી? પાળેલાં પંખી આમ તો પાંજરામાં જ રહે. એમની બંદી-સ્થિતિ પર ગીતો અને કવિતા લખાય, પણ એમને બહાર લઈ જઈને આકાશ બતાવવાનો વિચાર કોઈને આવે ખરો? ભારતમાં તો પાંજરા પર કપડું ઢાંકી રાખવામાં આવે – ખાસ કરીને રાતે, બિલાડીની બીકે. તે છતાં સવારે પંખી પાંજરામાં ઢળી પડેલું જોવા મળે. અમુક દેશોમાં બહાર ઝરુખામાં પાંજરું લટકાવવાનો રિવાજ છે. પંખીને આકાશ જોવા મળે, ને રસ્તે જનારને એનાં મીઠાં ગીતો સાંભળવા મળે. આખું પાંજરું જ રસ્તા પર લઈ જવાનો રિવાજ એક જ દેશમાં જોયો છે -ચીનમાં. ત્યાંનાં ઘણાં શહેરોમાં સાંજ પડ્યે પુરુષો પંખીઓને ફરવા લઈ જાય છે. બગીચાઓની આસપાસના રસ્તાઓ પર આ સાંધ્યચર્યા વિશેષ રીતે દેખાય. અમેરિકામાં ઘરમાં કે ફ્લૅટમાં પંખીને રાખતાં લોકો વિચાર કરતા હોય છે, કારણકે અમુક અંશે ગંદકી, વાસ અને ચેપથી દૂર રહેવા માગતા હોય છે. છતાં, રંગ રંગનાં પંખીઓને ઊડતાં જોવાં, એમનો કલરવ સાંભળવો ગમે, તેથી ઘણાં જણ બહારના વરંડા કે ઝરુખાને ખૂણે ચણ અને પાણી માટેનું, બજારમાં મળતું, પાત્ર લટકાવી મૂકે છે. આ રીતિમાં સરસ જીવ-પ્રીતિ જણાય છે. સૌથી વધારે નિર્દય વર્તન એક નાનકડા પ્રાણી પ્રત્યે થતું લાગે છે. એનું નામ જર્બિલ છે. એને એક પ્રકારનો ઉંદર કહી શકાય. આમ તો ઉંદર પાળવો કોને ગમે? પણ આ જર્બિલને પાળવું એક રીતે સહેલું. એને માટેના ખાસ એક ગોળ પાંજરામાં એને મૂકી દેવાનું. નાનકડો ‘મોતનો ગોળો’ જાણે. એની અંદર એ ચાલ્યા કરે, ને સાથે પાંજરાનો અંદરનો ભાગ પણ ફરતો રહે. આ જર્બિલને બહાર કાઢવાનું નહીં, હાથમાં લઈ રમાડવાનું નહીં. સદ્ભાગ્યે ખૂબ મોટી સંખ્યામાં જર્બિલને આમ ઘર-કેદમાં રખાતું હોતું નથી. પાળવા માટે સૌથી પ્રિય પ્રાણી તો કૂતરો છે. એ પ્રાણી ઘણી રીતે બુદ્ધિશાળી હોય છે, વફાદાર તો ખરું જ. માણસનો સૌથી ઘનિષ્ટ મિત્ર એને અમસ્તાં નથી કહેવાતો. અમેરિકન સમાજનાં અસંખ્ય એકાકી પ્રજાજનો માટે એ એક માત્ર આધાર જેવો હોય છે. આમ તો બે અજાણી વ્યક્તિઓ વાતો કરવા ના માંડે, પણ હઞથમાં જો કૂતરાની લગામ હોય તો? તો વગર ઓળખાણે હસી હસીને, રસ્તામાં ઊભાં ઊભાં, પોતપોતાના કૂતરાનાં વાતો ને વખાણ શરૂ થઈ જાય. ન્યૂયોર્ક જેવાં મોટાં શહેરોમાં પાળેલા કૂતરાને ‘રમવા’ માટે, ખુલ્લા ધૂળીયા મેદાન જેવી જગ્યા અલાયદી રાખવામાં આવે છે. ત્યાં કૂતરા લગામ વગર દોડાદોડ કરી શકે, ધૂળ ઉડાડી શકે. નાના-મોટા, સરસ કે ડાઘિયા જેવા કૂતરા આમ મઝા કરે, એકમેક સાથે ભાઈબંધી કરે. નજીકમાં ઊભાં રહેલાં માલિક સ્ત્રી-પુરુષોને પણ ઓળખાણ કરવાની તક મળે છે. દિવસમાં બે વાર કૂતરાને બહાર લઈ પણ જવો પડે. વળી, કૂતરાની પાછળ સાફ કરવાનો કાયદો આવ્યા પછી માલિકોનાં કામ ને માથાકૂટ વધી ગયાં છે. આવાં કારણે એક નવી જાતનું સહાય-કાર્ય શરૂ થયું છે. વ્યવસાયી, વ્યસ્ત વ્યક્તિઓના પાળેલા કૂતરાને ચાલવા લઈ જવાનું કામ કરતા યુવાનો શહેરમાં દેખાતા હોય છે. જુદા જુદા દેખાવ ને આકારવાળા સાત-આઠ કૂતરાની લગામ પકડીને જતો મસ્ત યુવક હવે નવી-નવાઈનો નથી રહ્યો. પાલિત પ્રાણીની ચિંતા કરનારાં અમેરિકામાં અનેક હશે. જેમકે, “તમે છૂટાછેડા લેવાનાં હો ત્યારે તમારા કૂતરા પર એની શી અસર પડે છે, તે તમે જાણો છો?”- જેવા પ્રશ્નો પર જાહેરમાં ચર્ચાઓ થતી હોય છે! છેવટે તો, બિલાડીને પાળનારાંની સંખ્યા જ વધારે હશે. બિલાડીનો તો અવાજ પણ ના હોય, એને ચાલવા પણ ના લઈ જવી પડે, ને એમનું રમતિયાળપણું ઘણું ગમે. બિલાડીના તો વાળ પણ ના ખરે, અને એની વાસ ઢંકાઈ જાય એવા પદાર્થ ક્યારના શોધાઈ ચૂક્યા છે. પાલિત પ્રાણીનાં લાલન-પાલન માટેની ચીજ-વસ્તુઓની યાદી લાંબી છે – મોજાં, ટોપી, સ્વેટર, વાળમાં રિબન, રમવા માટે ખાસ રમકડાં, અને સ્પેશિયલ ખાવાનું તો ખરું જ. આગલા જન્મોના સત્કર્મોને કારણે જ આવા લાડકા જીવ થવા પામ્યાં હશે ને? ઘણાં માલિકોનો સ્નેહ તો એવો હોય છે કે પ્રાણીનાં નામ પણ સગાં બાળકોનાં નામ સાથે મળતાં આવે એવાં રાખે છે. થોડાં વર્ષો પહેલાં “પાલિત પથ્થર”ની ધૂન ચાલેલી. લોકો મનગમતા રંગ ને આકારનો પથ્થર ખરીદતા અને ઘેર લઈ જતા. એને નામ આપતા, એની સાથે વાતો કરતા, આવનારાં મિત્રો સાથે ઓળખાણ કરાવતા, શોખથી એને વાલવા લઈ જતા, ને નિરાંતે એના -કોઈ તકલીફ કે કામ વગરના – સંગની મઝા માણતા. કાળક્રમે ગાંડપણનો એ દોર સમાપ્ત થયો છે. પણ અલબત્ત, એનો અર્થ એ નહીં કે ગામ ભરાય એટલા ગાંડા દુનિયામાં બચ્યા નથી!