દરિયાપારથી.../રાષ્ટ્રીય ભાવનાથી સભર મહાકાવ્ય

From Ekatra Foundation
Revision as of 01:21, 27 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રાષ્ટ્રીય ભાવનાથી સભર મહાકાવ્ય

એક દેશ જ્યારે એક ખંડ જેટલો મોટો હતો, અને એનાં અગિયારેક રાજ્યો પર એકચક્રી શાસન કરતો હતો ત્યારની વાત છે. એ દેશ ત્યારે સોવિયેત યુનિયન કહેવાતો હતો. સોવિયેત સરકાર આ રાજ્યોની વિભિન્ન પ્રજામાં રહેલી રાષ્ટ્રીયતાની કટ્ટર વિરોધી હતી, અને ત્યાં ત્યાંની ભાષાઓ, રીત-રિવાજો વગેરે પર બને તેટલું નિયંત્રણ મૂકવા પ્રયત્નશીલ રહી હતી. ૧૯૯૧મા એની સામ્યવાદી બાંધણી પડી ભાંગી, અને લગભગ રાતોરાત બધાં રાજ્યો સ્વતંત્ર દેશો બની ગયાં. ૧૯૩૦થી ૧૯૬૦ના સમય દરમ્યાન એ રાજ્યોનાં ઈતિહાસ તથા સંસ્કૃતિને ત્યાંની શાળા-ઓના અભ્યાસક્રમમાંથી ક્યાંતો કાઢી નાખવામાં આવેલાં, અથવા તો એમનું અર્થઘટન મન ફાવે તેમ કરવામાં આવેલું. કિર્ગિઝસ્તાનમાં આવી જ હાલત થયેલી. રાષ્ટ્રીય ભાવનાથી સભર એમની એક લોકકથાના જાહેર ઉલ્લેખ પર પણ પ્રતિબંધ રહેલો, અને એની રજુઆત કરવા અંગેની વિનંતી સોવિએત સરકાર ક્યારેય માન્ય રાખતી નહતી. આ છતાં કિર્ગિઝ પ્રજામાં પોતાનો સાંસ્કૃતિક વારસો ટકી રહ્યો. એ લોકકથાનો પ્રચાર મૌખિક રીતે થતો જ રહ્યો. નાના નાના ઘરેલુ મેળાવડાઓમાં એમાંની વાર્તાઓ કહેવાતી રહી, લોકો એમાંનાં અનેક ગીતો શીખીને ગાતા રહ્યા. દરેક પ્રજાજન માટે જાણે એ રાષ્ટ્રીય જવાબદારી હતી કે આ લોક-વારસો પોતાનાં સંતાનો સુધી પહંોચતો જ રહે. આ કિર્ગિઝ લોકકથા “મનસનું મહાકાવ્ય” તરીકે ઓળખાય છે. એમાંનો નાયક મનસ કેવળ એક પરાક્રમી પુરુષ જ નથી, પણ લોક-માનસમાં અમર થઈ ગયેલો વીર-નર છે. ખરેખર તો આ મનસ એક કાલ્પનિક પાત્ર છે, પણ એના શૌર્યની તથા એકતા માટેના એના પ્રયત્નોની કથાઓ પ્રજાના ચિત્તમાં પ્રમાણભૂત ઈતિહાસનું સ્વરૂપ લઈને વસી ગયેલી છે. હવે તો એ કથાનકનું મૂલ્ય ઘણું વધી ગયું છે, ને કિર્ગિઝ પ્રજાના જીવનની અને આચાર-વિચારની આધાર-શિલા ગણાય છે. સદીઓથી આ મહાકાવ્ય કિર્ગિઝ પ્રજાનાં ગૌરવ, મનોબળ અને આશાનું પ્રતીક રહ્યું છે. આ મુસ્લિમ પ્રજા મનસ સાથે ગાઢ આત્મીયતા અનુભવે છે. કારણ એ કે મનસ મુસ્લિમ હતો, અને એને લીધે જ ઈસ્લામ બધે પ્રસર્યો હતો. કિર્ગિઝ સ્ત્રીઓને પણ આ મહા-કથા પ્રિય છે, કારણકે એમાં સ્ત્રીઓ બુદ્ધિ, ડહાપણ, હિંમત અને મનોબળવાળી નિરૂપાઈ છે – ખાસ કરીને મનસની પત્ની. અસંખ્ય કિર્ગિઝ પ્રજાજનો માટે મનસ દેશની ભૂમિ માટેના પ્રેમનું, મુક્તિનું, રાષ્ટ્રીય સ્વાતંત્ર્યનું અને વિભિન્ન કિર્ગિઝ લોકજાતિઓના ઐક્યનું ઉજ્જ્વળ પ્રતીક છે. ઉપરંાત, આ મહાકાવ્ય તે પ્રદેશનાં રિવાજ, પ્રથાઓ, કલ્પનો વગેરેથી ભરપુર છે. એમાં સત્ય ઘટનાઓ અને લોક-વાયકાનો સમન્વય છે, પણ એ ક્યારે લખાયું અને કઈ સાચી બિનાઓનું પ્રતિબિંબ પાડે છે, તે નક્કી થઈ શક્યું નથી. અમુક અભ્યાસીઓ માનવા પ્રેરાયા છે કે એ નવમીથી ઓગણીસમી સદીની ઘટનાઓને સમાવી લે છે. તો અન્યો એનું મૂળ ઈ.પૂ.ની સદીઓમાં મૂકે છે. એ બધા એમ માને છે કે આર્યોના પૌરાણિક કથાનકમાં, જ્યાં મનુ પ્રથમ માનવ તરીકે ઉપસ્થિત થાય છે, તેના પર “મનસ મહાકાવ્ય” આધારિત છે. અલબત્ત, એની રજુઆત સ્થાનિક તાણા-વાણાથી સજ્જ થયેલી છે. નવમી સદીમાં લખાયેલા ચીની સંદર્ભોમાં વર્ણવ્યા પ્રમાણે કિર્ગિઝ લોકો લાલાશ પડતા વાળ, શ્વેત વર્ણ, અને નીલી આંખો ધરાવતા હતા. આમાંથી આર્યોની મુખાકૃતિનું સૂચન મળે છે. આ શક્ય એથી લાગે છે કે જો આર્ય કહેવાતો લોકગણ છેક ઉત્તરેથી શરૂ કરીને દક્શિણે સિંધુ નદી સુધી આવ્યો હોય તો એના પથમાં કિર્ગિઝનો પહાડી પ્રદેશ આવે જરૂર. મનસ નામ મનુ પરથી આવ્યું હોય તેમ પણ બને. એ કઈ રીતે પડ્યું એનો ઉલ્લેખ મહાકાવ્યમાં છે. એમાં જણાવ્યું છે કે એક વૃદ્ધ ચિંતક સાધુએ મનસના નામના અક્શરો કાળજીપૂર્વક પસંદ કરેલા. એ પ્રમાણે મહમ્મદના પવિત્ર નામ પરથી પહેલો અક્શર લેવાયો. પેગંબર માટેનું એક નામ ‘નબિ’ છે, જે પરથી બીજો અક્શર લેવાયો, ને અંતે છે સિંહ પરથી મેળવેલો અક્શર. આ રીતે નામ બન્યું બધાં ઉત્તમ તત્ત્વોને સૂચિત કરતું નામ ‘મનસ’. ઇલિયાડ, ઑડિસી, ગિલ્ગામેશ, મહાભારત ઇત્યાદિની જેમ આ કિર્ગિઝ મહાકાવ્ય આખા જગતમાં ખ્યાતનામ નથી થયું, પણ અભ્યાસીઓ એને સૌથી વધારે લાંબું ગણે છે. ઇલિયાડ અને ઑડિસીને ભેગાં કરો તોયે અઠ્ઠાવીસ હજાર જેટલી જ લીટીઓ થાય; મહાભારતમાં કુલ એક લાખ જેટલા શ્લોક છે, જ્યારે મનસના મહાકાવ્યની સંપૂર્ણ લંબાઈ દસ લાખથી પણ વધારે પક્તિઓની ગણાઈ છે. અત્યારે એની જે આવૃત્તિ સૌથી વધારે વંચાય છે તેમાં પણ પાંચેક લાખથી વધારે પંક્તિઓ છે. વળી, હજારેક વર્ષથી તો એ મૌખિક રીતે પ્રજામાં પ્રસરર્તું રહ્યું છે. છેક ઓગણીસમી સદીમાં એના મહત્ત્વના અંશ પહેલવહેલી વાર અક્શરસ્થ થયા. અત્યારે તો એના ત્રણ મુખ્ય વિભાગ- મનસ (નાયક), સેમેતી (પુત્ર), સીતેક (પૌત્ર)-ની પાંસઠેક પ્રતો તૈયાર થઈ છે, ને ધ્વનિમુદ્રણ પણ થયું છે. પૂરક કથાઓથી બનેલા ગૌણ અંશો પણ કથાકારો દ્વારા વંચાયા છે. આ કથાકારો ‘મનસ્કી’ તરીકે ઓળખાય છે. આ મહાકાવ્યને જીવંત, લોક-જીભ પર અને લોક-પ્રિય રાખવા માટે એ બધા જ જવાબદાર ગણાય. એમણે જ તો મનસનાં ગુણગાન કરીને તથા એના શૌર્યનાં ગાણાં ગાઈ ગાઈને કથામાં પ્રાણ પૂર્યા. એમ કહેવાય છે કે આવા સૌ પ્રથમ કથાકાર મનસના ચાલીસ સહ-યોદ્ધાઓમાંના એક હતા. પોતાના વીર મિત્રના મૃત્યુનો શોક એ મનસ વિષેનાં ગીતો ગાઈ ગાઈને વ્યક્ત કરતા રહ્યા હતા. એ પછી પેઢી દર પેઢી એ વારસો અપાતો રહ્યો, અને વિભિન્ન કથાકારો ગીતિને પોતપોતાનો આગવો સ્પર્શ, આગવું અર્થઘટન આપતા રહ્યા. આ રીતે બહુવિધ રજુઆતો, સમજુતીઓ અને પ્રતો સર્જાતી ગઈ. આવાં ‘મનસ્કી’ કથાકાર સ્ત્રી-પુરુષો માટે મહાકાવ્યને રજુ કરવાની આ પ્રવૃત્તિ લગભગ આધ્યાત્મિક સ્તરની હોય છે. એક સ્ત્રી-કથાકારે કહ્યું છે કે આ વ્યવસાયમાં જોડાવાનું ‘આમંત્રણ’ એને સ્વપ્નમાં મળ્યું હતું. પછી તો એ પોતાનું ગામ છોડીને નીકળી પડી, મનસ દ્વારા જાણીતાં થયેલાં સ્થાનો એણે જોયાં, અને એ એક જાણીતી મનસ્કી બની. આ પ્રસ્તુતિ ગામડાંમાં જ નહીં, પણ શહેરોમાં પણ ચાલુ રહે છે. એની અસરકારકતા એવી હોય છે કે પરાકાષ્ઠાના પ્રસંગો વર્ણવાતા હોય ત્યારે પ્રેક્ષકો ભાવમય થઈને આંસુ સારવા પણ લાગે છે. મહાકાવ્યના નાયક મનસનું જીવન-કાર્ય હતું પ્રજામાં એકતા અને આત્મીયતા લાવવાનું, અને એવી દુનિયા ઘડવાનું જેમાં દરેક વ્યક્તિનું ભવિષ્ય ઉજ્જ્વળ હોય. તેથી આજે પણ આ મહાકાવ્ય દ્વારા કિર્ગિઝ પ્રજા આ સંદેશો પૃથ્વી પરની સર્વ પ્રજામાં પ્રસરે એવું ઈચ્છે છે.