માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૨૪

From Ekatra Foundation
Revision as of 01:31, 28 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૪

“અધર્મ! અધર્મ!” બળરામ ત્રાડ પાડી, ગદા ઉપાડી ભીમ સામે ધસ્યા. કૃષ્ણની નજર બળરામ ભણી જ હતી. તે છલંગ મારી બળરામની આગળ થઈ ગયા અને બંને બાહુમાં તેમને જકડી લીધા. બળરામે છૂટવાના પ્રયત્નો કરતાં કહ્યું : “નાનકા, મને છોડ! કહું છું કે છોડી દે! મારા દેખતાં જ આટલો બધો અધર્મ! ભીમ દીકરાને હમણાં ખબર પાડી દઉં છું.” “પણ મારી વાત તો સાંભળો!” “ના, હવે એક પણ નહીં. તારું મેં ઘણું સાંભળ્યું, ઘણું માન્યું. હું જોઉં છું કે પાંડવો પ્રત્યેનો તારો પક્ષપાત હદ વટાવી ગયો છે. નહીં તો ભીમની આટલી હિંમત! મારી હાજરીમાં જ દુર્યોધન પર તે નાભિ નીચે પ્રહાર કરે, એમ? તેણે નિયમનો ભંગ કરી દુર્યોધનને માર્યો છે. હું આ પળે જ એનું ફળ ચખાડું છું. આઘો ખસ!” બળરામે કૃષ્ણને ધક્કો મારી એક બાજુ હડસેલી દીધા. મોટા ભાઈની કાયામાં રહેલી તાકાતનો કૃષ્ણને પરચો મળી ગયો. પણ તે ફરી વાર બળરામની આડે આવી ઊભા રહ્યા. બળરામનો ક્રોધ હવે કાબૂ બહાર હતો. વહાલસોયા ભાઈ પર પણ તે પ્રહાર કરી બેસશે એવી સહુને બીક લાગી. યુધિષ્ઠિર, અર્જુન, ધૃષ્ટદ્યુમ્ન કૃષ્ણની રક્ષા માટે ધસી આવ્યા. તેમને દૂર કરતાં કૃષ્ણે કહ્યું : “મહાવીરો, તમે બધા ખસી જાઓ મોટા ભાઈને રોકી શકશે તો એક પ્રેમની શક્તિ, એક સત્યની ઝાંખી, બાકી હજાર હાથીનું બળ ધરાવતા પુરુષો પણ તણખલાની જેમ ફેંકાઈ જશે.” યુધિષ્ઠિર વગેરે જરા દૂર અટકી ઊભા. બળરામ કૃષ્ણની સામે મીટ માંડી નહોતા નીરખતા. કૃષ્ણ ફરી વાર સામે આવી ઊભા રહ્યા, એટલે જમણે હાથે ગદા ઉપાડી, ડાબો હાથ આંખ આડો દઈ બરાડી ઊઠ્યા : “કહું છું કે જે હોય તે ખસી જાઓ! મારી સામે જે આવશે તેને અધર્મનો સાથી માની હું પ્રહાર કરીશ. પછી તે ગમે તે હોય. છેલ્લી વાર કહું છું કે દૂર હટ!!” કૃષ્ણ ન હટ્યા. બળરામે ગદા ઘુમાવી ગર્જના કરી : “એલા કૃષ્ણ, જાય છે કે નહીં?” બળરામે હમેશના હુલામણા નામને બદલે કૃષ્ણને જુદું જ સંબોધન કર્યું. બંને ભાઈ વચ્ચે ખાઈ પડી ગઈ. પ્રેમના અતૂટ તંતુને પણ મહાયુદ્ધની ઝાળ લાગી ગઈ. અસહ્ય પીડાથી તરફડતો દુર્યોધન બે હાથનો ટેકો લઈ કમરેથી ઊંચો થયો. તેણે કૃષ્ણના માથા પર બળરામને ગદા ઘુમાવતા જોયા. તેને થયું : પોતાની કપાઈ ગયેલી અગિયાર અક્ષૌહિણી સેના ફરી સજીવન થઈ ઊઠી છે. બુઝાતા દીવા જેવી તેની આંખોમાં ફરી શગ ચડી ગઈ. બળરામની ગદા તોળાઈ રહી હતી. આ પડી કે પડશે તેની ઘડી ગણાતી હતી, પણ કૃષ્ણે ગદાને છીનવી લેવાનો પ્રયત્ન ન કર્યો. માર્ગમાંથી પાછા પણ ન ફર્યા. કહ્યું : “મોટા, મારી એક જ વિનતિ સાંભળો. પછી હું ખસી જઈશ. એટલું જ નહીં પણ-" “શું છે? બોલ!” બળરામે એવા જ ગુસ્સાથી કહ્યું. “હું ખસી જઈશ. એટલું જ નહીં, તમે ભીમને જે સજા કરશો તેમાં સાથ આપીશ.” બળરામની ઘૂમતી ગદા ઊંચે અટકી ગઈ. એક પળ જાણે તેમનું સમગ્ર અસ્તિત્વ થંભી ગયું. અને એ પળને વિલંબિત કરતો કૃષ્ણનો પ્રેમાળ, મધુર સ્વર કાને પડ્યોઃ “મારું તમને એ વચન છે, મોટા!” બળરામ હજુ આવેશમાં જ હતા, પણ તેમના આવેશથી ધસી આવતા ઋષભને કોઈએ હળવેથી નથ પરોવી દીધી. બળરામે અધીરાઈથી કહ્યું : “જલદી બોલી નાખ.” "એક જ પ્રશ્ન મોટા!” “હં.” “તમારા હાથમાં આ ગદા છે અને તમારી આંખો સામે જ અધર્મ થઈ રહ્યો છે. ભીમના નિયમભંગ કરતાં તો ક્યાંયે મોટો અધર્મ. જોઈ શકો છો?" કૃષ્ણે એક એક શબ્દને પૂરો વખત અને વજન આપી ઉચ્ચાર્યો. પછી કહ્યું : “એ અધર્મને બરાબર નિહાળી લો, મોટા! જુઓ, બરાબર જોઈ લો! એક સ્ત્રી છે. એમ નથી કહેતો કે એ સ્ત્રી દ્રૌપદી છે, રેવતીભાભી છે કે રુક્મિણી છે. એ સ્ત્રી એક ભીલયુવતી છે કે નાગકન્યા છે. અને એ સ્ત્રીને ભરસભામાં નિર્વસ્ત્ર કરવાના પ્રયત્નો થાય છે. એનો કેશપાશ પકડી ખેંચવામાં આવે છે અને તેને જે અટકાવી શકે એમ છે તે અટકાવતો નથી. એટલું જ નહીં, પોતાની જાંઘ ખુલ્લી કરી હીણો ઇશારો કરે છે. તમે ત્યારે હાજર હો તો શું કરો? તમારી ગદા ત્યારે ક્યાં જઈ પડે?” બળરામ ચૂપ રહ્યા. કૃષ્ણે ફરી આતુરતાથી પૂછ્યું : “મને જવાબ આપો, મોટા! ના મને નહીં, આ અસહાય સ્ત્રીના, આ રેવતીભાભીના ક્રંદનને તમે જવાબ આપો!” બળરામના હાથ ધ્રૂજવા માંડ્યા, છાતી ધડધડ થવા લાગી. “એ સ્ત્રી જવાબ માગે છે, મોટા! હમણાં જ તેનું સર્વસ્વ હરાઈ જશે. વાર ન લગાડો. જવાબ દો!” બળરામે પહેલી જ વાર કૃષ્ણ પર સીધી નજર માંડી. તેમને કૃષ્ણ ન દેખાયો. આર્ત પુકાર કરતી દ્રૌપદી નજરે પડી. કુટિલ કટાક્ષ કરતો અને ખુલ્લી જાંઘ થાબડતો દુર્યોધન દેખાયો. બળરામનું મગજ ધમધમી ઊઠ્યું. તેમને લાગ્યું કે મગજની નસ તૂટી પડશે. આ સહન નહીં થાય. આ પળે જ તે દુર્યોધનના સાથળ ભાંગી નાખશે. એક સ્વપ્નમાંથી ઢંઢોળતો હોય એમ કૃષ્ણનો અવાજ સંભળાયો : “જવાબ દો, મોટા! આ મહા અધર્મનો જવાબ દો!” બળરામના હાથમાંથી ગદા સરી પડી. કૃષ્ણે પોતાના દુપટ્ટાથી મોટા ભાઈના ભાલ પરથી પરસેવો લૂછ્યો. હાથનો ટેકો આપી બેસાડ્યા. જળનો ચંબુ મગાવી પાણી પાયું. બળરામ જરા સ્વસ્થ થયા એટલે તેમનો હાથ હાથમાં લઈ કહ્યું : “યાદ છે, મોટા! એક વાર માએ આપણને વાત કરી હતી. ત્યારે મા અને પિતાજી કંસના કેદખાનામાં હતાં. તેમના પગમાં બેડીઓ હતી. મા અસહાય બની વિલાપ કરતી હતી. છ છ પુત્રોની હત્યા કરવામાં આવી હતી. ત્યારે દેવર્ષિ નારદે આવી માને કહ્યું હતું, કલ્યાણી, એમ ન માનીશ કે તારાં આંસુ વ્યર્થ ગયાં છે, તારું કલ્પાંત કોઈએ સાંભળ્યું જ નથી. આ કારાગારની અભેદ્ય દીવાલો વીંધી તે એવી જગ્યાએ પહોંચી ગયું છે જ્યાં તલેતલનો હિસાબ રાખવામાં આવે છે. ખબર છે, મોટા! માએ કહ્યું હતું કે આ વચનો સાંભળી એ રાતે એને ઊંઘ આવી. એના ફફડતા હૃદયને શાતા વળી. “આ વાત કરતાં માના મુખ પર કેવા ભાવ તરી રહ્યા હતા! જોયા છે ને, મોટા! છે, છે, પોતાને અજેય ગણતા, સર્વને તુચ્છ લેખતા મદાંધોને ધૂળમાં રગદોળતું સત્ય આ જગતમાં છે, છે, છે.” બળરામે કૃષ્ણની વાત ધ્યાન દઈ સાંભળી. તેમને પોતાને પણ એક પ્રસંગ યાદ આવી ગયો. કંસનો સંહાર કરીને બંને ભાઈ માતપિતાને પગે લાગ્યા ત્યારે માએ તેમને ખોળામાં ખેંચી લીધા હતા. માની આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી. સાથે મોં હસું હસું થઈ રહ્યું હતું. માથે હાથ મૂકી મા બોલી ઊઠી હતી : “મારા લાલ, આવી જ રીતે સહુ દુખિયારાંની વહારે ધાજો. તેમનાં બંધનો કાપજો.” બળરામને થયું : માનાં વેણ પોતે સાંભળ્યાં હતાં. યાદ રાખ્યાં હતાં, પણ એ વેણ પાળીને જીવ્યો હતો તો કૃષ્ણ. બળરામને એક વિચિત્ર લાગણી થઈ આવી. અત્યાર સુધી પોતે જેનો વિચાર સુધ્ધાં નહોતો કર્યો એવો ઝબકારો થયો. કોઈ પણ પક્ષે સંપૂર્ણ સત્ય, ન્યાય કે નીતિ હોય જ એવું નયે બને. ત્યારે તટસ્થતા રાખવી એ જુલમીઓના હાથ મજબૂત કરવા જેવું નથી? જ્યારે વિશાળ માનવજાતનું હિત જોખમમાં હોય ત્યારે સજાગ મનુષ્યનું કર્તવ્ય શું? યુદ્ધ ગમે તેટલું કૃત્સિત, ઘોર કર્મ હોય પણ તેમાં ઝંપલાવવું ન જોઈએ? આવી કટોકટીની પળે યાત્રા, ધર્મધ્યાન, સંસ્કૃતિરક્ષણ આ બધું જ પલાયન નથી બની જતું? મહાકઠિન કર્તવ્યમાંથી ભાગી છૂટવાનું આ બહાનું તો નથી? બળરામે પાંડવોને કૌરવો કરતાં બહુ ચડિયાતા કદી નહોતા માન્યા. દુર્યોધન પ્રત્યે તેમને કૂણી લાગણી હતી અને એ તેમણે ક્યારેય છુપાવી નહોતી. પણ કૌરવોના દુરાચાર ગણવા બેસીએ તો? કૃષ્ણના પ્રશ્નો, માનાં વચનો તેમને કેટલીયે ઘટનાઓની મધ્યમાં ખેંચી ગયાં. પોતાનું હળ ચલાવવું એ પાયાની વસ્તુ છે, પણ હંમેશાં એ જ ધર્મ, એ જ કર્તવ્ય, એ જ ઉપાય? યાત્રામાં કયો ધર્મ હતો? અને અહીં કયો અધર્મ? થોડા સમય પહેલાં જ રાવણ અને રંતિદેવનાં પાત્રો મનમાં રમતાં હતાં. એક ક્ષણમાં એ વારાફરતી પાઠ ભજવવાને બદલે સામસામે આવી ગયા. રંતિદેવ ભૂખ્યાઓને પોતાનો રોટલો આપી દે, પણ તેની થાળીમાંથી રાવણ બળજબરીથી રોટલો ઝૂંટવી જતો હોય ત્યારે? ત્યારે રંતિદેવ શું કરે? સહન કરે, ધીરજ ધરે, માફી આપે! એક કંગાલે આપેલી માફીની કિંમત કેટલી? “નિર્બળની ક્ષમા?" બળરામે પોતાના કાન પાસે મધુર ઝંકાર સમો અવાજ સાંભળ્યો. “પણ રામ, જે ક્ષમા આપી શકે છે તેને નિર્બળ કોણ કહી શકે?” આ તો રેવતીનો જ સ્વર. વેદના, થાક, વિષાદમાં ઢળી પડતા બળરામને કોઈએ અંદરથી ટટ્ટાર કરી દીધા. “જેમને તલવાર વાવવી હોય તે ભલે ને વાવે, તેમને માટે યુદ્ધની મોસમ અને યુદ્ધનું ક્ષેત્ર કોઈ દિવસ ખાલી નહીં પડે. પણ માત્ર નિર્બળ ગણાવાના ભયથી તેમની સાથે જે કદમ મિલાવશે તેને ભાગે શું આવશે? ખબર છે, રામ?” “અહીં શું ઊગી નીકળ્યું એ તો મેં સગી આંખે જોઈ લીધું, રેવતી! અને છતાં મનમાં પ્રશ્નો થયા જ કરે છે.” રેવતી હવે માત્ર સ્વર ન રહી, આભાસી આકૃતિ ન રહી, પણ અત્યંત જીવંત અને તેજસ્વી સ્વરૂપે બળરામની સમક્ષ આવી ઊભી રહી. બળરામ અપલક નેત્રે તેને જોઈ રહ્યા. “ચાલો, રામ! આ જગતમાં આપણે નિર્બળ, દીન, કંગાલ બની જઈએ. જેની માફીની કાંઈ જ કિંમત નથી એવાં, અસંખ્ય લોકોમાંનાં એક. પણ આપણી પાસે એક બહુ મોટું ધન હશે, રામ! આ આકાશ જેવડું પ્રેમનું ધન, આ ધરણી જેવું ક્ષમાનું ધન.” રેવતીએ હાથ પકડી બળરામને બેઠાં કર્યા, રેવતી કહેતી ગઈ : “કેટલાંકનાં હાડ આ ધરતીની મુલાયમ માટીનાં બનેલાં હોય છે. એમાં માત્ર પ્રેમનાં જ બીજ ઊગે છે. જ્યારે સર્વ કોઈને તે આ દૂધિયા દાણા ધરે છે ત્યારે તેમને મિત્રો તજી દે છે, શત્રુઓ હાંસી ઉડાવે છે અને તોયે આ ઘેલા માણસો પથ્થર ઉપાડી શકતા નથી, માત્ર દાણા આપી જાણે છે.” બળરામ ઊભા થયા. તેમના ચહેરા પર વેદના, થાક, વિષાદનાં જાળાં બાઝ્યાં હતાં તે વીખરાઈ ગયાં. કૃષ્ણે આ ફેરફાર જોયો. બળરામની વાટ કોણ સંકોરી ગયું એ તેમનાથી અજાણ્યું ન રહ્યું : કૃષ્ણે કહ્યું : “મોટા, તમે તો એકદમ તાજા થઈ ગયા ને શું? પણ તમે ઝંઝાવાતમાંથી પસાર થયા છો, વિશ્રાન્તિગૃહમાં જઈ આરામ કરો, ત્યાં અમે આવી પહોંચીએ છીએ.” પછી કૃષ્ણે માર્મિક રીતે હસતાં કહ્યું : “કે તમારી વિશ્રાન્તિ તમારી સાથે જ છે?" બળરામે કૃષ્ણનું હાસ્ય ઝીલી લેતાં કહ્યું : “મારી વિશ્રાન્તિ ક્યાં નથી, નાનકા! મારી સાથે છે, મારી સામે છે, અને હવે તો મારી અંદર પણ છે.” સુમાલીને બોલાવી બળરામ રથમાં બેઠા. રથ ઊપડવાની તૈયારીમાં હતો ત્યારે કૃષ્ણે કહ્યું : “તમે એક વાત તો ભૂલી ગયા, મોટા!” “કઈ વાત?” “ભીમસેને ગદાયુદ્ધના નિયમનો ભંગ કર્યો અને તમે તેને દંડ આપવા ધસી ગયા એ ઉચિત જ હતું, પણ-" બળરામ કૃષ્ણ સામે કુતૂહલથી જોઈ રહ્યા. કૃષ્ણે વાક્ય પૂરું કરતાં કહ્યું : “પણ એ બિચારાએ આટલા બધા સમય સુધી હૃદયમાં આગ ભારી રાખી, સંયમ ધર્યો, ગદા સંભાળી રાખી - એ માટે તેને જરા ધન્યવાદ તો આપતા જાઓ!” બળરામે ભીમસેન તરફ જોયું. દુર્યોધનના ભાંગેલા શરીર તરફ જોયું. કૃષ્ણ તરફ જોયું અને કહ્યું : “તું જ છો મારો ધન્યવાદ; અને ધિક્કાર લઈને હું જતો નથી એટલું કહી દઉં.” સુમાલીએ રથ દોડાવી મૂક્યો. રથના ઘર્ઘર અવાજ વચ્ચે બળરામે પૂછ્યું : “નાનુ, વહેલો આવીશ ને?” કૃષ્ણને આ શબ્દો જમુનામાં તણાતા ઘટની જેમ ખેંચવા લાગ્યા. પણ પછી પાંડવોના રાત્રિનિવાસ માટેની યોજનામાં તે પરોવાઈ ગયા. વિજયી પાંડવોને રણક્ષેત્રમાં આવેલા તંબૂમાં નહીં પણ ઓઘવતી નદીને કિનારે રાત ગાળવાની કૃષ્ણે સલાહ આપી. અર્જુને કારણ પૂછ્યું તો એટલું જ કહ્યું : “એમાં કલ્યાણ છે.”