ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ/પ્રવેશ

From Ekatra Foundation
Revision as of 02:39, 22 May 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્ર વે શ

આ ગ્રંથમાં ઈ. સ. ૧૮૫૭થી ૧૯૯૧ સુધીના ગુજરાતી ભાષા સાહિત્યના ૪૬૪ પીએચ. ડી. મહાનિબંધો રજૂ કરવામાં આવ્યા છે. ૧૬ વર્ષ અગાઉ, આ પ્રકારનો મારો એક સૂચિગ્રંથ પ્રગટ થયો હતો. એમાં ઈ.સ. ૧૯૭૭ સુધીનાં ૧૨૧ વર્ષના કુલ ૩૪૪ મહાનિબંધો હતા, જેમાં ગુજરાતી ભાષા-સાહિત્યના પીએચ. ડી. મહાનિબંધોની સંખ્યા ૨૩૯ હતી. એ ઉપરાંત, એ ગ્રંથમાં પ્રાકૃત, અપભ્રંશ અને એમ. ફિલ. વગેરે પદવીઓના કુલ ૧૦૫ મહાનિબંધો હતા. પ્રસ્તુત ગ્રંથમાં માત્ર ગુજરાતી ભાષા-સાહિત્યના અગાઉના ૨૩૯ પીએચ. ડી. મહાનિબંધો લીધા છે ને એમાં એ પછીના ૧૪ વર્ષના ગાળાના ૨૨૫ મહાનિબંધો ઉમેર્યા છે. ગુજરાતી મહાનિબંધોની આ આંકડાકીય માહિતી એ દર્શાવે છે કે, ૧૪ વર્ષના બીજા તબક્કામાં ગુજરાતી ભાષા-સાહિત્યના સંશાધનક્ષેત્રે સરેરાશ ૮૦૦ ટકાની વાર્ષિક વૃદ્ધિ થઈ છે! આ વૃદ્ધિ દ્વારા એ સિદ્ધ થાય છે કે આપણો સંશોધન પ્રેમ રૉકૅટ ગતિએ ફાલ્યો-ફૂલ્યો છે! અને જો આપણા આ મહાનિબંધો ગુણવત્તામાં પણ એવી જ સમૃદ્ધિ દર્શાવતા હોય, તો આ બાબત ખરેખર અભિનંદનીય ગણાય, નોંધપાત્ર ગણાય. આ સંદર્ભગ્રંથ આપણાં સંશોધનોની વિકાસકૂચ નીરખવા, એની ઇયત્તા મૂલવવા, યોગ્ય વિષયની પસંદગી કરવા તેમ જ પુનરાવર્તન ટાળવા ઉપયોગી થઈ શકે છે. વળી આ ગ્રંથના અંતે સંશોધકસૂચિ, અને વિષયસૂચિ પણ શામિલ કરવામાં આવી છે. એ સૂચિ સંશોધન-માર્ગદર્શન અને વિષયસંપર્ક કેળવવામાં ઉ૫યેગી થઈ શકે. મૌલિક્તા એ સંશોધનનો મુખ્ય આધારસ્તંભ છે. સંશોધનનો અર્થ જ એ થાય છે કે પસંદ કરવામાં આવેલ વિષયમાં નવી શોધ, નવું પ્રદાન, નવો દૃષ્ટિકોણ. આથી, જે વિષયમાં અગાઉ કામ થઈ ગયેલું હોય, એ વિષય ફરી વાર ત્યારે જ પસંદ કરવો જોઈએ, જો એમાં કંઈ નવું પ્રતિપાદિત કરવાનું હોય. અન્યથા અગાઉના વિષયનું પુનરાવર્તન કરવાનો અર્થ થશે — યથાશીઘ્ર ડિગ્રી મેળવીને આર્થિક લાભો સંચિત કરવાની વ્યાપારી વૃત્તિ! અને આ વૃત્તિ સાહિત્યને કોઈ પણ રીતે ઉપકારક નીવડવાને બદલે અપકારક નીવડશે. આપણી યુનિવર્સિટીઓ અને સાહિત્ય-સંશોધનની સંસ્થાઓ આંખો મીંચીને સંશોધન-પ્રવૃત્તિઓમાં ગળાડૂબ છે! એમને હજી સુધી એ પ્રતીતિ થઈ નથી કે આ પ્રવૃત્તિના સ્વસ્થ વિકાસ માટે સંદર્ભ માર્ગદર્શન અને સંકલન એ એક પાયાની જરૂરિયાત છે. આ ગ્રંથ એમને એ પ્રતીતિ કરાવવામાં અને આ દિશાની ખૂટતી કડી પૂરી કરવામાં સહાયભૂત થશે એવી આશા છે. આ ગ્રંથની માહિતીનો સંચય કરવામાં જે મિત્રોનો સહકાર મળ્યો છે એ બધાનો હું આભારી છું. અને આ ગ્રંથ પ્રગટ કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાય મળી છે, એ માટે હું એ સંસ્થાનો ખૂબ આભારી છું. ડૉ. હરિવલ્લભ ભાયાણીએ મને આ વિષયના પ્રથમ સંદર્ભગ્રંથ માટે જે પ્રેરણા આપી હતી એ હજી ખૂટી નથી એનો મને આનંદ છે. આ ગ્રંથના પ્રકાશનમાં પણ મેં એમનો આશીર્વાદ અનુભવ્યો છે. એમની એ સદ્ભાવના માટે હું એમનો ઋણી છું.

—પ્રકાશ વેગડ