“જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે.” આ ભક્તકવિ નરસિંહ મહેતાની કાવ્યપંક્તિમાંથી સીધો અર્થ ઘટાવવાને બદલે આપણે એમાંથી તાત્ત્વિક અર્થ ઘટાવવો જોઈએ એમ વિદ્વાનો કહે છે. “માણસો જ્યારે માયાની ઊંઘમાં હોય છે, ત્યારે આખી સૃષ્ટિ તેને કલ્પિત અને માયાવી ભાસે છે; પરંતુ જ્યારે તેની અંતરની આંખો ખૂલે છે ત્યારે બીજી એક સાચી સૃષ્ટિ-પરમાત્માની સૃષ્ટિનું તેને દર્શન થાય” વગેરે વગેરે અર્થ નરસિંહ મહેતાની ઉપલી કાવ્યપંક્તિમાં સમાયેલો છે, એમ પંડિતો કહે છે. પરંતુ મારા મત મુજબ, આપણે (એટલે ભારતીયો અને એશિયનો) દરેક સીધીસાદી વાતમાંથી દ્વિઅર્થ શોધીએ છીએ. આ આપણી વર્ષો જૂની આદત છે. સરળ વાતનો આડોઅવળો અર્થ ઘટાવીને, તેમાંથી મારીમચડીને ફિલસૂફી નિચોવવાનું કામ આપણે વેદકાળથી કરતાં આવ્યા છીએ. કેટલીક વાર કવિઓ બિચારા કોઈ તદ્દન સત્ય હકીકત વર્ણવતા હોય ત્યારે આપણે તેમાંથી તત્ત્વજ્ઞાનસભર અર્થ કાઢીએ. આપણને આમ કર્યા વિના ચેન જ પડતું નથી. કોઈ પણ મહાન માણસ કદીયે સાદું, સરળ બયાન કરે જ નહિ, એ જે બોલે તે હંમેશાં ‘મધપૂડો’ કે ‘અમૃતબિંદુ’માં છાપવાલાયક જ હોય – એવી આપણી ભૂલભરેલી માન્યતાને લીધે આપણે કાંઈ કેટલાયે સાદા-સીધા કવિઓને ફિલસૂફ બનાવી દીધા છે. (આ સ્થળે હું કવિતાની પંક્તિઓ ઉદાહરણ તરીકે ટાંકી શકું છું, પરંતુ ‘જન્મભૂમિ’માં પ્રસિદ્ધ થયેલા ‘બરફની આંગળીએ ચીતરાતા સૂર્ય’ની દુર્દશા થઈ છે, ત્યારથી જીવતા કવિઓનો મને ડર લાગે છે.) બાકી નરસિંહ મહેતાએ આ કાવ્ય દ્વારા એક તદ્દન સાદી-સીધી વાત કહેવાનો પ્રયત્ન કરેલો - એમનાં ચશ્માં તૂટી ગયાં ત્યારનો પ્રસંગ વર્ણવવાનો તેમનો આ નમ્ર પ્રયત્ન હતો એવી મારી ખાતરી છે. ઇતિહાસમાં નરસિંહ મહેતાનાં ચશ્માંનાં પ્રસંગનો ઉલ્લેખ નથી એ વાત ખરી; પરંતુ એમ તો એમને ચશ્માં નહોતાં એવો પણ કોઈ ઉલ્લેખ નથી. એટલે મારે હિસાબે, એકાદ પરોઢિયે ઊઠતી વખતે (એમણે પ્રભાતિયાં લખ્યાં છે એટલે પરોઢિયે જ ઊઠતા હશે એવો મારો અંદાજ છે.) નરસિંહ મહેતાનો પગ પોતાનાં જ ચશ્માં પર પડ્યો હશે એમ ધારવું છે અથવા તો ઘી લેવા ગયેલા નરસિંહ મહેતા જ્યારે ઘીની ખાલી તપેલી લઈને પાછા આવ્યા હશે ત્યારે માણેકબાઈએ એક જર્મનનું ભારે પવાલું (પડોશીને ત્યાંથી જમણવાર માટે માગી આણેલું) તેમના માથા તરફ ઝીંક્યું હશે અને એ ઘા બચાવવા જતાં નરસિંહ મહેતાનાં ચશ્માં તૂટી ગયાં હશે. ત્યાર બાદ જ મહેતાજીએ આ પંક્તિઓ લખી હશે, કારણ કે ચશ્માં પહેરનાર દરેક માણસને ચશ્માં પહેર્યા વગરના દિવસોએ “ઊંઘમાં અટપટા ભોગ ભાસે” જેવો જ અનુભવ થાય છે. ચશ્માં વગરનું જગત-દર્શન એટલે ઓળાઓનું દર્શન. આ એક એવા પ્રકારની સૃષ્ટિ છે જેમાં માત્ર ચહેરાઓ જ હોય, પડછાયાઓ જ હોય, રંગોનાં છૂટાંછવાયાં ધાબાંઓ જ હોય, ધૂંધળા અસ્પષ્ટ આકારો એકબીજામાં સેળભેળ થઈ જતા હોય - ક્યાંયે સ્પષ્ટતા, નિશ્ચિતતા, ઝીણી વિગતો ન હોય! હોય માત્ર આકારો, ઓળાઓ, પડછાયાઓ, આછા રંગો, મંદ સુગંધ ને ધ્વનિ. (સારી આંખોવાળા માણસો આ અનુભવથી વંચિત રહી જાય છે, તેમ અત્રે કહેવું જરૂરી છે.) હમણાં પરમ દિવસે જ ગાડીમાં ચડતી વખતે એક જાડી બાઈની હાથ પરની આંકા-આંકાવાળી બંગડી મને આંખ પર વાગી ને મારાં ચશ્માં તૂટી ગયાં. (પછી ખબર પડી કે એ એની આંગળી ને આંગળી પરની વીંટી હતી.) પાછળથી આવતા ધક્કાઓને લીધે હું આગળ તો વધી પણ એ ડબ્બાની અંદરની દુનિયા તો બદલાઈ ગઈ. ફૂટેલાં ચશ્માં મેં પર્સમાં મૂક્યાં ને આજુબાજુ જોયું તો એ ડબ્બામાં એક ધુમ્મસનું આછું-પાતળું વાદળું ઊતરી આવ્યું હતું. એ ધુમ્મસના પડમાંથી એક જબરદસ્ત આકારના વાદળાએ ગડગડાટ કર્યો, “કેમ, કેમ છો?” “મઝામાં.” મેં સાધારણ રીતે એ દિશામાં જોઈને જવાબ આપ્યો. પણ પ્રશ્ન ખરેખર મને જ પુછાયો હતો કે ચશ્માં વગરની, મારા જેવી લાગતી કોઈ વ્યક્તિને – એ વિશે હું સાશંક હતી. આ શંકા હજી શમી ન હતી ત્યાં તો એક આછા ગુલાબી રંગનું સુંદર પાતળા આકારનું ને સેન્ટથી મહેકતું વાદળું મારા તરફ સરી આવ્યું. ને મને પૂછ્યું, “ખરાં છો તમે તો! હા કહીને પછી તમે તો દેખાયાં જ નહીં ને તે દિવસે?" મારા મગજમાં ઝપાટાબંધ વીજળીઓ ચમકી. કોણ? ક્યારે? ક્યાં? કયે દિવસે? મેં જવાબ આપ્યા સિવાય જ એ દિશા તરફ એક લાચારીભરેલું સ્મિત ફેંક્યું. ચશ્માં વગરની મારા જેવી લાગતી કોઈ અજાણી વ્યક્તિની તબિયત વારે વારે નરમ-ગરમ રહેતી હશે - એવો ક્યાસ મેં પહેલા પ્રશ્ન પરથી બાંધ્યો. વળી આ અજાણી વ્યક્તિ આપેલા વાયદા નહીં પાળતી હોય એમ પણ બીજા પ્રશ્ન પરથી નક્કી કર્યું. આજુબાજુના ધૂંધળા વાતાવરણમાં મેં “ચશ્માં વગરની હું” જેવી લાગતી બીજી એક વ્યક્તિના સ્વભાવ-વિશેષ અને તેની ખાસિયતો મનમાં નોંધ્યાં. એનું વ્યક્તિત્વ મારા મનમાં સ્પષ્ટ આકાર લેવા માંડ્યું. એટલામાં ઘેરા ભૂરા રંગનો એક બેઢબ આકાર, જેના માથામાંથી ખોરા કોપરેલની બેહદ વાસ આવતી હતી, તેના ગળામાં પહેરેલાં જાડાં જાડાં મણકા મને ઘોંચાઈ ગયાં. તે મને ભેટી પડ્યાં. (આ સ્ત્રીઓનો ડબ્બો હતો) ને કહ્યું, “ઓ હો હો, કેટલા દિવસે મળ્યાં" હવે આ મારી હમશકલ વ્યક્તિ પર મને બહુ ચીડ ચડી. એ વ્યક્તિનાં બધાં ઓળખીતાં હંમેશાં સંદર્ભ વગર વાત કરતાં હતાં (નાનાં હતાં ત્યારે પરીક્ષા વખતે પૂર્વાપર સંબંધ આપવાના બધા પ્રશ્નો એ લોકો છોડી દેતાં હશે, એમાં કોઈ શંકા જ નથી.) ને એને નામ દઈને બોલાવતાં જ નહોતાં. એટલામાં મારું સ્ટેશન આવ્યું ને પાછળવાળાના ધક્કાની કૃપાથી હું ઊતરી શકી. કાળા માથાનાં જંગલો વટાવીને હું સ્ટેશનની બહાર આવી. રસ્તા પરના બધા ભડક રંગો આછા બની ગયા હતા – આંખમાં કઠતા નહોતા. ઊંચાં ઊંચાં મકાનો દીવાસળીનાં ખોખાં જેવાં લાગતાં હતાં. વચ્ચે વચ્ચે ઊભેલા નાના ટચૂકડા બંગલાઓ ધુમ્મસના અવગુંઠનમાંથી ડોકિયું કાઢતા પરીકથાના માયાવી બંગલાઓ જણાતા હતા. સીધો રસ્તો નદી જેવો લાગતો હતો ને ઝિબ્રા ક્રોસિંગના પટ્ટાઓએ આકાશગંગાનું રૂપ ધારણ કર્યું હતું. રસ્તા પરથી ચાલતી વખતે મારી સ્થિતિ ઇન્દ્રપ્રસ્થ નગરીમાં, પાંડવોના જાદુઈ મહેલમાં ચાલતા દુર્યોધન જેવી થઈ હતી. એક જગ્યાએ ગંદા પાણીનું ખાબોચિયું ચળકતું જોયું એટલે હું સાડી સંભાળીને આગળ ચાલી, ત્યાં તો ગંદા પાણીના ખાબોચિયામાં સાડી સહિત હું પલળી ગઈ. મહાભારતના યુદ્ધના મૂળ કારણ જેવું વાક્ય ‘આંધળાના પુત્ર તો આંધળા જ હોય ને’ જ્યારે દ્રૌપદી દ્વારા બોલાયું ત્યારે દુર્યોધન પોતાનાં ‘ચશ્માં’ હસ્તિનાપુર ભૂલી આવ્યો હશે? વળી દુર્યોધનની આંખ નબળી હોય તે સ્વાભાવિક જ છે! કારણ કે આનુવંશિકતાના સિદ્ધાંત અનુસાર.. જવા દો ... ઇતિહાસનું ખૂન કરવાનો આ લેખનો ઉદ્દેશ નથી. એક લાલ પોસ્ટબૉક્સ જોઈને સવારની ટપાલમાં નાખવાનો પત્ર યાદ આવ્યો. પત્ર કાઢીને હું પોસ્ટબૉક્સનું મોં ફંફોળતી હતી ત્યાં તો પોસ્ટબૉક્સ હલવા માંડ્યું. પાછું વળીને જોયું તો એમાં ચમકતી બે લીલી આંખો દેખાઈ. સૉરી’ કહીને આગળ ચાલી. મારી આગળ ચાલતી બે ઓડિયાંવાળી છોકરીઓની લચકાતી ચાલ જોઈ હું મુગ્ધ થતી હતી, ત્યાં તો એમનાં મોંમાંથી મા-બહેન સમાણી ગાળની સેર ફૂટી એટલે એ છોકરીઓ નહીં, પણ છોકરાઓ હશે એમ માની લીધું. મારા ઘર તરફ જવાનો રસ્તો તો મારો રોજનો પરિચિત હતો; પરંતુ જાણે જાદુઈ લાકડી ફરી હોય તેમ આજે આ રસ્તો બદલાયેલો લાગ્યો. આ રસ્તાની અને એની આજુબાજુએ જોવા મળતી નાની નાની ગંદકી અને કુરૂપતા આજે અદૃશ્ય થઈ ગઈ હતી. મારું ધ્યાન (ફક્ત) માત્ર, મોટી મોટી વસ્તુઓ જ પોતાના આકાર, અવાજ અને સુગંધ દ્વારા દોરતી હતી. ફૂટપાથની બંને બાજુએ લાઇનસર બેઠેલા કુષ્ઠરોગી ભિખારીઓ દેખાતા બંધ થઈ ગયા. એમનાં ખરી પડેલાં, આંગળાંઓ ને શરીર પરનાં ગૂમડાં મને ન દેખાયાં. માત્ર એ જગ્યાએથી હાથ લંબાવીને આવતો, સમસ્ત પીડિત માનવનો આર્તસ્વર મારું હૃદય ચીરી ગયો! થોડે થોડે અંતરે પડેલા કચરાના ઢગલા ગાયબ થઈ ગયા. માત્ર બંગલાની કમાન પર ટૂંટિયું વાળીને સૂતેલી રાતરાણીએ પોતાની સુગંધ દ્વારા પોતાનું અસ્તિત્વ જાહેર કરી દીધું. વીજળીના દીવાના થાંભલાઓ વચ્ચેનું અંતર ઘટી ગયું. અરે, થાંભલા અને તેના પર લગાડેલાં પોસ્ટરો વચ્ચેનો ભેદ નાબૂદ થઈ, બંને એકાકાર બની ગયાં. ચાર-પાંચ માણસો ટોળે વળીને ઊભા હતા. ત્યાં મને એક જ વિસ્તૃત માણસ દેખાયો - પેલા ચાર જણનું સ્વતંત્ર વ્યક્તિત્વ એકબીજામાં વિલીન થઈ ગયું. મારી પડોશણના ચહેરા પરનાં શીળીનાં ચાઠાં, કોઈએ માખણનું પોતું લગાડીને સાફ કરી નાખ્યાં હતાં. મારી નીચેવાળી સિંધી બાઈના હોઠ પરની દેખાતી મૂછ ઢંકાઈ ગઈ હતી. એની દીકરીએ પહેરેલા મીની સ્કર્ટમાંથી મને માત્ર એના પગનો કમનીય આકાર જ દેખાયો. દરરોજ મારી નજરમાં ખૂંચતી એના પગની રુવાંટી આજે ત્યાં નહોતી. (કદાચ આ જ બધાંનું સાચું સ્વરૂપ હશે. હું રોજ જોતી હતી એ માયાવી સ્વરૂપ હશે.) આ જ દિવસે મને સમજાયું કે ચશ્માંની મદદથી હું દુનિયાને સ્પષ્ટ જોઈ શકતી હતી, એમાં તો શંકા જ નથી. પણ આ સ્પષ્ટતાને કારણે મારું ધ્યાન પહેલાં એ દુનિયાની કદરૂપી વિગતો (ugly details) તરફ ખેંચાતું હતું. જેને પરિણામે એ વિગતોની નીચે છુપાયેલા સૌન્દર્યોને હું કદી જોતી જ નહીં. ભડક રંગો, ગંદી વાસ્તવિકતા ને બેઢબ આકારો પર મારું લક્ષ એટલું કેન્દ્રિત થતું હતું કે વસ્તુના સાચા સ્વરૂપ તરફ મારાથી દુર્લક્ષ જ થતું હતું. ચોતરફ છવાયેલાં સૌરભ, સૌન્દર્ય અને સપાટી નીચેની મૃદુતા મારાથી દૂર થઈ જતાં હતાં. બધા પ્રકારનાં ચશ્માંઓનું આવું જ નથી શું? માણસો ચશ્માં પહેરે છે સ્પષ્ટ જોવા માટે, પોતાના રસ્તામાંથી ખાડા-ટેકરા ટાળવા માટે, પોતાની મંજિલ સાફ નિહાળવા માટે! પરંતુ એકાદ ધાર્મિક પંથની ભક્તિનાં, એકાદ જલદ રાજકીય પક્ષનાં, એકાદ સામાજિક આંદોલનનાં, એકાદ વિચારનાં ચશ્માં પહેરી લીધાં પછી જગત સ્પષ્ટ દેખાવાને બદલે આપણી અને જગતની વચ્ચે એક પાતળું પડ આવી જાય છે. આપણે જગતની સૌરભ, સપાટી નીચે છુપાયેલું સૌંદર્ય અને મંગલ ધ્વનિ ભૂલી જઈને ચશ્માંમાંથી દેખાતી વિરૂપતાને સાચી સમજીને એની પાછળ આંધળી દોટ મૂકીએ છીએ. મેં આગળ કહ્યું તેમ, આપણે ભારતીયોને સાદી-સીધી વાતમાંથી ફિલસૂફી ડહોળવાની આદત પડી ગઈ છે. આ તો એક સરળ વાત છે. - મારાં ચશ્માં ફૂટી ગયાં તે દિવસની!
પન્ના અધ્વર્યુના
‘નામથી અટક સુધી’માંથી