બહુરંગી/નામવિલોપનની અભૂતપૂર્વ ઘટના

From Ekatra Foundation
Revision as of 00:13, 27 May 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નામવિલોપનની અભૂતપૂર્વ ઘટના

આ મહાન પ્રદેશની કેટલીક ઉત્તમ પરંપરાઓ હતી. જેમ કે સગવડ પ્રમાણે બહાદુર બનવું અને સગવડ પ્રમાણે જાતને સંકોરી, સંકોચી, સુરક્ષિત સ્થળે ભરાઈ જવું. અન્યની આપત્તિવેળાએ સહાનુભૂતિનાં પ્રભાવક વચનો આગળ ધકેલવાં પણ જાણ્યા - કર્યા વગર સ્વયં આગળ ધસવું નહિ. ક્યાંક આગ લાગે તો જ્વાળાની ભયાનકતા અને વિનાશકતા અંગે અરેરાટી અનુભવવી, પણ પાણીભરેલી ડોલ લઈને દોડવું નહિ. આમ છતાં પોતાને ત્યાં જો ભડકો દેખાય તો બીજાંઓએ પાણી ભરેલી ડોલ લઈને દોડી આવવું જ જોઈએ, એવી દૃઢ માન્યતા ઉચ્ચારવી અને એવું ન કરી શકનારને ‘કાયર’ અને ‘નમાલા’ કહેતી વખતે અવાજ બરાબર બુલંદ રાખવો. ભૂમિપૂજન ઉત્સાહથી કરવું પણ ભૂમિ પર નિરાંત જીવે થૂંકનાં છાંટણાં આલેખવાં, નદીને પવિત્ર ગણી તેમાં દીવા તરતા મૂકવા, પણ તેમાં કચરો ઠાલવતી વેળા હાથ મોકળો રાખવો. આ બધી પરંપરાઓની સાથે જ એક ભવ્ય પરંપરા હતી : ‘નામના મહિમાની.’ નામનો મહિમા અહીં ગજબનો હતો. લગભગ બધાં જ પોતાના નામના પ્રેમમાં હતાં. આમાં જૂજ અપવાદો હતા, પણ એ ખરેખર એટલા બધા જૂજ કે એના તરફ ધ્યાન આપવા જેવું નહિ. નામ માટે પ્રેમ એટલે, બેહદ પ્રેમ. નામ ક્યાંક રહી જાય, ક્યાંક ઝાંખું પડી જાય, કોઈક વાર છેવાડે આવે કે તોલાભાર ઓછું લેવાય તો આ પ્રદેશના નરમ-ઋજુ પ્રકૃતિના લોકોને કંઠે ડૂમા ભરાય અને કોઈક તો આત્મવિલોપન સુધી પહોંચી જાય! જે જરા બળિયા અને માથાભારે હોય તે આવે પ્રસંગે આક્રમક થઈ જતા અને રાતીચોળ આંખે મારફાડ પર આવી જતા. નામ સંદર્ભે પોતાને થયેલો અન્યાય અહીં ભાગ્યે જ કોઈ ખમી શકતું. ગમે તે પ્રસંગ હોય પોતાનું નામ એમાં કેવી રીતે આવ્યું છે, એને પૂરતું સન્માન મળ્યું છે કે નહિ એ ચિંતા સહુથી ઉપર રહેતી. મૃત્યુ પામેલાં સ્વજનોનાં નામ પણ શુભ અવસરનાં નિયંત્રણોમાં ખાસ લખવામાં આવતાં. મરી ગયાં તેથી કંઈ એમનાં નામ બાકી ન રખાય એવો ખ્યાલ આવા વર્તન પાછળ મુખ્ય હતો. નામનું મૂલ્ય આ તરફ એવું ને એટલું કે બેસણું હોય યા લગ્ન, ભાષણનું નિમંત્રણ હોય કે પછી સંગીત-નાટકનું, ધાર્મિક કાર્યક્રમ હોય કે રાજકીય, લાગતાંવળગતાં સહુની નામાવલિ માટે અલગ કાગળ ચોંટાડવામાં આવતો. નાના પતાકડામાં આટલાં બધાં નામોનો સમાવેશ અશક્ય અને સાવ ઝીણા અક્ષરે નામ છપાય તે ધૂળની રજ જેવું એટલે સહુનું મન સચવાય અને પ્રસંગ ઉલ્લાસપૂર્વક અથવા તો (બેસણું કે પ્રાર્થનાસભા જેવું કંઈ શોકદર્શક હોય તો) સંતોષકારક રીતે પાર પડે એ માટે આવો ઉપાય શોધી કાઢવામાં આવેલો. પોતાના નામાક્ષર ઓળખી શકે એટલી વયે પહોંચેલા બાળકનું નામ પણ આવી યાદીમાં મૂકી દેવાતું અને બાળકને એ ખાસ દેખાડવામાં આવતું, જેથી કરીને આરંભથી જ એને છપાયેલા નામ માટે સ્નેહ પેદા થાય અને એ બાબત એની ઉત્તેજનાનો ક્રમશઃ વિકાસ પણ થતો રહે. નામના ઉલ્લેખ વિશે કોઈની પ્રામાણિક ભૂલ સુધ્ધાં સ્વીકારવામાં આવતી નહિ. માનો કે શહેરના મહાનુભાવોને કોઈ જાહેર સમારંભમાં નોતરવાના હોય અને કોઈનું નામ – જે યાદ રાખવા જેવું હોય તે રહી જાય અને આ કેવળ ગફલત જ હોય, તોયે પેલો પ્રસંગ બગડવાની પૂરી શક્યતા રહેતી અને પ્રસંગ પૂરો થયાને કેટલોયે સમય વહી ગયો હોય તોપણ પેલી વ્યક્તિ જાહેરમાં કે લેખિત રૂપે પોતાનું નામ રહી ગયું અને તે થકી પોતાને કેવો જબરદસ્ત અન્યાય થયો તેની કથા કરવાનું ચૂકતી નહિ. પ્રજાના સંસ્કારજીવનનો આ શતમુખ વિનિપાત છે, એવી ટકોર એમાં કેન્દ્રસ્થાને રહેતી. સવાર પડે અને અખબાર આવે કે તરત લાગતાં-વળગતાં પોતાનાં અથવા તો પોતાનાં મિત્રો-સંબંધીઓનાં નામ ક્યાં, કઈ બાબતના અનુસંધાનમાં છપાયાં છે, એ શોધી કાઢી પરસ્પર મુબારકબાદી આપતાં. ‘આજના ચર્ચાપત્રની દસ સહીમાં તમારીયે વાંચી એટલે થયું કે ચાલો ફોન કરીએ’ અથવા તો ‘ગઈ કાલના સમારંભમાં આભારવિધિ તમે કરેલો એ તો અમે છાપામાં વાંચ્યું, ત્યારે જ ખબર પડી!’ જેવા ઉલ્લેખથી સ્વર્ગ સમીપે પહોંચ્યાનું સુખ અનુભવી શકતા લોકો સારા પ્રમાણમાં હતા. કોઈ સુખ્યાત હસ્તીની સ્મશાનયાત્રામાં શહેરનાં જાણીતાં સજ્જનો-સન્નારીઓ સામેલ થયાં હોય, ત્યારે એમનાં નામો છાપવાં એ અખબારોની આચારસંહિતામાં જ સમાવિષ્ટ હતું. આમ છતાં ત્યાં હાજર રહેલું કોઈ નામની યાદીમાંથી બાકાત રહી જાય તો એની પીડાની તીવ્રતા એટલી રહેતી કે એમાં મૃત વ્યક્તિ પણ ભુલાઈ જતી! જેમને જનસમાજ સંસ્કારસ્વામીઓ અને સર્જકો કે મૂર્ધન્યોને નામે ઓળખતો સહુ પણ નામપ્રીતિમાંથી બાકાત રહી શકેલા નહિ. જો પોતાનું નામ યોગ્ય પ્રમાણમાં લેવાતું નથી, એવો વિચાર એમના ચિત્તમાં જન્મે તો તેઓ તત્કાલ ચિંતનમાં બેસી જતા અને શું-શું કરવાથી પોતાના શુભનામનું ગૌરવ વધારી શકાય એના સચોટ ઉપાયો ખોળવામાં નિમગ્ન થતા. આ માટે ધન-સંપત્તિનો ઉપયોગ કરવામાં તેઓ પાછી પાની કરતા નહિ. કોઈ કોઈ પહોંચતા આસામી તો અખબારો અથવા તો સામયિકોને આકાર આપતા અને એવું આયોજન કરતા જેમાં નિજનામ ભવ્યતા ધારણ કરે! કશી પ્રાપ્તિ થઈ હોય, એકાદ પુરસ્કાર કે પારિતોષિક મળ્યાં હોય તો એ વિશે ગદ્ગદ થઈ વારંવાર શુભેચ્છકોનો આભાર માનતા રહેતા, જેથી એ હકીકત જનમાનસમાં (કુમળા અને અપરિપક્વ) એવી તો દૃઢ રેખાઓ કોતરાઈ જતી કે કોઈને ઊંઘમાંથી ઢંઢોળીને પૂછવામાં આવે કે અમુકતમુકને સન્માનવા શું થયેલું, તો એ કડકડાટ તે વ્યક્તિએ મેળવેલા સન્માનની યાદી બોલી જાય! પરસ્પર પ્રશસ્તિની નિતાંત આનંદની પ્રાપ્તિ થાય છે એ વાસ્તવિકતા જાણ્યા પછી એ રિવાજનો વ્યાપ તમે કલ્પી નહિ શકો એવો હતો. આ સંદર્ભે એકમેકને પ્રશંસાના અને શુભેચ્છાના પત્રો અને જો લખતાં આવડે તો કાવ્યો પાઠવવાની એક સદ્ભાવપૂર્ણ અને મંગલ કહેવાય એવી પ્રથાનોયે ચાલ સ્થપાયો. આમાં ઘણી સગવડ હતી. એક તો જેનાં વખાણ હોય તે વ્યક્તિ નમ્રતા ધારણ કરી, પોતાની આમાં કશી જ જવાબદારી નથી એમ સ્પષ્ટ દેખાડી શકતી, તો બીજી તરફ વખાણ કરનાર વ્યક્તિને પોતાનું નામ પ્રકાશમાં આણવાની સુવર્ણ તક ખાસ કશી લાયકાત કેળવ્યા વિના જ મળી રહેતી! મુઠ્ઠીભર સુગાળવા આ પ્રવૃત્તિને અણગમાથી જોતા ખરા, પણ ખાસ કશું બોલતા નહિ. બોલવાના જોખમથી માહિતગાર એવા એ લક્ષ્મણરેખાની માંહીં જાતને રોકી રાખતા. આમ, ચાલતાં ચાલતાં એક સમય તો એવો સુધ્ધાં આવ્યો, જ્યારે કોઈ પણ વાચનસામગ્રીનો સિત્તેર ટકા ભાગ તો માત્ર પ્રશસ્તિ અને આભાર દ્વારા જ રોકાયો હોય. પ્રજાની સંસ્કારપ્રીતિની આ ટોચ હતી. આમ છતાં સમસ્ત પ્રજાનાં નામો આ રીતે ઝળહળી શકતાં નહિ. સહુને પોતપોતાનાં નામ કાગળ પર છપાયેલાં જોવાનો અધિકાર હતો અને એ અધિકારનું રક્ષણ કરવા એક નવીન પદ્ધતિ અમલમાં આવી હતી. લગ્નનાં કે અન્ય સમારંભોમાં નિમંત્રણપત્રોમાં લાગતાં-વળગતાં બધાંનાં નામ છપાઈ શકે એ માટે એ પત્રો છપાતાં પહેલાં નામની યાદી ફેરવવામાં આવતી, જેથી પોતાનાં નામો અંદર છે કે નહિ એ ચકાસી લેવાય. આવી કાળજી રાખવા છતાં જે કોઈ નામ બાકાત રહે કે આગળપાછળ થઈ જાય, તો એ અંગે ભારે ગરબડ થતી ને સામસામે કાદવઉછાળ પ્રવૃત્તિ ચાલતી અને કોઈ મોટો માણસ વચ્ચે ન પડે તો આ ધુમાચકડી દીર્ઘકાળ સુધી ચાલુ રહેતી. નામસ્મરણનો મહિમા આમેય અહીંના સાંસ્કૃતિક પરિવેશનું અવિભાજ્ય અંગ. ગળથૂથીમાંથી જ આવેલું. આ કે તે નામ આગળ ધરવાથી બંધ દરવાજા ખૂલી જાય કે પથ્થર તરવા માંડે કે રજકણ આકાશે તારો થઈ ચમકવા લાગે, એવું અહીં વારંવાર જોવા મળતું. નવજાતનું નામાભિધાન કરતી વેળા નામ ઉચ્ચારમાં અને લેખિતરૂપમાં કેવું લાગે છે, એનો વિચાર અવશ્ય કરવામાં આવતો. વગર વિચાર્યે, ઉતાવળમાં આપી દીધેલાં વાહિયાત અને નિર્માલ્ય નામો ધરાવતી વ્યક્તિઓ સંતપ્ત રહીરહીને અંતે આવી ભયંકર ભૂલો સુધારી પોતાની શક્તિ-મતિ અનુસાર નામોયે સુધારી લેતી અને એની યોગ્ય જાહેરાત કરતી. આ માટે અખબારોએ ખાસ રંગીન પાનાં અનામત રાખ્યાં હતાં. આવી નોંધમાં પ્રજાની કલ્પનાનું ઉડ્ડયન નીરખી શકાતું. કાવ્યપંક્તિઓ, રેખાંકનો, સુવાક્યો અને તસવીરો સમેતના અનેક વિકલ્પો એમની સામે રહેતા. હવે નામ વિશે જે પ્રદેશની પ્રજા આટલી સતર્ક, જાગરુક અને સક્રિય હોય તે પ્રદેશમાં લાંબા સમય સુધી અખબારો કે સામયિકોમાં, જાહેર પ્રવૃત્તિઓમાં કે નિમંત્રણપત્રોમાં કોઈનુંયે નામ વાંચવામાં ન આવે એ ચોંકાવનારી હકીકત હાલમાં થયેલા એક અતિ મહત્ત્વના સંશોધનમાં બહાર આવી છે. તમે જો ૨૦૭૫ના છાપાં-સામયિકો અથવા તે વખતની કંકોત્રીઓ કે આમંત્રણપત્રો જોશો તો ખબર પડશે કે એ સમયથી માંડીને લગભગ બે-ત્રણ વર્ષ સુધી કોઈ પણ અહેવાલ, સમાચાર, દૈનિકકટાર, મરણનોંધ ક્યાંયે કોઈનાં નામ જોવા નહિ મળે. આ હકીકતની નવાઈ લાગતાં ઇતિહાસવિદ્ અને સમાજશાસ્ત્રી શ્રી સુદર્શને એમના દસેક વિદ્યાર્થીઓ સાથે ઉત્ખનન અને અર્થઘટનનો પ્રચંડ પુરુષાર્થ હાથ ધર્યો, જેમાં મળી આવેલાં પૂતળાંઓ નીચેની કેટલીક સલામત રહી શકેલી તકતીઓ પર પણ ઝીણવટથી જોતાં વંચાશે કે આ મહાપુરુષોનાં નામને ઠેકાણે તકતીઓ પર શ્રી સવા અથવા તો સેવામૂર્તિ શ્રી સફેદ થેલાવાળા કે દાનવીર શ્રી દક્ષિણગુજરાતવાળા જેવી ઓળખ કોતરવામાં આવી છે. તે સમયના અખબારોમાં પ્રગટ થયેલો શોકસભાનો એક અહેવાલ અત્રે પ્રસ્તુત છે : ‘પ્રમુખસ્થાનેથી બોલતાં શ્રી પાંચે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ ચાર માત્ર ઉદ્યોગપતિ જ નહિ, ચિંતક અને સમાજસેવક પણ હતા. એમના જવાથી એમના પરિવારને જ નહિ, આખા સમાજને મોટી ખોટ પડી છે. આ પછી શ્રી આઠે અને શ્રી નવે સ્વ. ચાર સાથેના પોતાના આત્મીયતાભર્યા સંબંધોનું સ્મરણ કરીને એમને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી.’ મરણ કે બેસણાની જાહેરખબર વર્તમાનપત્રોમાં છપાવવાનો રિવાજ ચાલુ હતો અને ‘રડી પડે છે આંખો અમારી, જોઈને તસવીર તમારી’ કે પછી ‘મરણ કરતાં સ્મરણ બળવાન છે, સ્મૃતિ આપની એક વરદાન છે.’ જેવાં વિરહવાક્યો ભૂતકાળની ભવ્ય પરંપરા અનુસાર યથાવત્ છપાતાં રહ્યાં હતાં, પણ મૃત વ્યક્તિની તસવીર નીચે એમને યાદ કરનારાં સ્વજનોનાં નામની જગ્યાએ ‘અમે છીએ શોકસંતપ્ત ધોબી તળાવ, નાની શેરીવાળા’ અથવા તો ‘અમે છીએ આપના વિરહમાં વ્યાકુળ યોજનાનગર, દસ બંગલાવાળા’ કે પછી ‘આપને તો સહુ ઓળખતાં, અમને કોઈ ઓળખે ન ઓળખે, શો ફરક પડે છે?’ જેવાં રહસ્યમય વાક્યો મૂકતાં. મરનારની તસવીર છપાઈ હોવાથી લાગતાં-વળગતાં સહુ શોક કરવા ક્યાં જવું એ બાબત લેશ પણ મૂંઝાતાં નહિ હોય અને યોગ્ય સ્થળે જ પહોંચતાં હશે, એમ શ્રી સુદર્શનનું માનવું છે. પ્રત્યેક વર્તમાનપત્ર અને સામયિકના તંત્રી પોતાની કલ્પનાશક્તિ અને આવડત મુજબ નામની મદદ વિના તમામ વિગતો પ્રગટ કરવાની અવનવી અને આકર્ષક પદ્ધતિઓ વિકસાવવા પાછળ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શક્યા હતા, એમ આ સમયનાં છાપાં ઇત્યાદિ જોવાથી સમજાય છે. રાજકીય સમાચારોમાંયે કોઈ નેતાઓનાં કે રાજકારણમાં ગળાડૂબ પડેલા મહાનુભાવોનાં નામો ન છપાયાં હોવાથી આ અખબારોનું વાચન અત્યંત રસપ્રદ બની રહે છે. એમાં તસવીરો અને ઠઠ્ઠાચિત્રોનો નિઃસંકોચ ઉપયોગ થયો હોવાનું સાફ જણાય છે. સમાચાર વાંચનાર વ્યક્તિનું રાજકીય જ્ઞાન બહુ ઓછું હોય તોપણ એ આવી ઓળખમાં ભાગ્યે જ થાપ ખાય એવી ચતુરાઈ તંત્રી/સંપાદકોએ દેખાડી છે, જેને લીધે વાચકનું ચિત્ત આફરીન પોકારી ન ઊઠે તો જ આશ્ચર્ય. ખૂનના એક સમાચાર આ વિશિષ્ટ શૈલીમાં વાંચીએ : જૂની અદાવત અને જમીનના ઝઘડાને કારણે બનેલી આ ચોંકાવનારી ઘટનામાં ખંજરે અચાનક જ ધસી જઈ છાતીને માર્યું. ભર બપોરે બનેલી આ ઘટનામાં બંને પક્ષે અન્ય લોકોની ભાગીદારી નકારી ન શકાય. ટોળાઓને એકઠાં થતાં વાર ન લાગી અને આ ધમાલને પગલે સાયરન, લાઠીઓ તત્કાળ સ્થળ પર ધસી આવી. ભારે અંધાધૂંધી ફેલાતાં વિસ્તારની દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ. છાતીને તત્કાલ હૉસ્પિટલમાં ખસેડવા છતાં એનું મોત થયું. ખંજરની ધરપકડ થતાં બનાવનું મૂળ કારણ જાણવા મળશે, એવી સત્તાવાળાઓ આશા રાખે છે!

હિમાંશી શેલત
‘પંચવાયકામાંથી’