સ્વાતિ મેઢ
મને અથાણું ખૂબ ગમે. ખાસ તો અથાણું શબ્દ. જોકે ભાષાકીય દૃષ્ટિએ કે સાહિત્યિક અલંકારોની દૃષ્ટિએ ‘અથાણું’ શબ્દમાં કશું જ વિશિષ્ટ નથી કે વિશેષ સુંદર પણ નથી જ. તેમ છતાંય મને ‘અથાણું’ શબ્દ ખૂબ જ ગમે છે. મહિલા સામયિકોમાં જ્યારે ‘અવનવાં અથાણાં’, ‘શિયાળાનાં અથાણાં’, ‘ઉનાળાનાં અથાણાં’, ‘ચોમાસાનાં અથાણાં’, ‘ઉપવાસી અથાણાં’, ‘મરચાં વિનાનાં અથાણાં’, ‘તેલ વિનાનાં અથાણાં’, ‘મોળાં અથાણાં’ વગેરે વગેરેની રીતો આવે છે, ત્યારે મને ખૂબ સંતોષ થાય છે. આમ, તો મને એ રીતોમાં ખાસ રસ નથી પડતો અને હિંમતના અભાવે એ બનાવવાનું સાહસ પણ નથી કર્યું, પણ જોવાથી જ, ‘અથાણું’ શબ્દ વાંચવાથી જ મને જે આહ્લાદ મળે છે, જે આનંદ સાંપડે છે, આહાહાહા! તમને એ નહીં સમજાય. શબ્દોથી પર એવો, ભાષામાં ન સમાય એવો અદ્ભુત આનંદ મળે છે મને. ‘અથાણું’ શબ્દ વાંચવાથી કેવો સુંદર શબ્દ છે! ‘અથાણું’ અને એમાંય છેલ્લા અક્ષર પરનો પેલો અનુસ્વાર, કેવો મનોહર! અને કેવો સંગીતમય. અલબત્ત, અથાણું શબ્દની જેમ અથાણું પોતે પણ સારું જ હોય છે, ખાસ કરીને દર્શનમાં. ભક્તિની જે જુદી જુદી કક્ષાઓ હોય છે - શ્રવણ, દર્શન, નિદિધ્યાસન વગેરે વગેરે – એમાં હું અથાણાની ભક્તિ માત્ર ‘શ્રવણ’ અને ‘દર્શન’ની કક્ષા સુધી જ રાખું છું. અથાણું શબ્દ જો સુંદર છે, તો એનું દર્શન પણ સારું જ છે. ખાસ કરીને રસોડાના કબાટમાં કે જમવાના ટેબલ પર એનું સામૂહિક દર્શન થાય, ત્યારે એ ઘણું જ તૃપ્તિકર લાગે છે. આ વાત સમજવી ઘટે. હમણાં અમે એક જણને ઘેર જમવા ગયેલા. જમવાનું પીરસ્યા પછી એ બહેને અમને અથાણું ભરેલી વાટકીઓથી ભરેલો એક ડબો આપ્યો. જેટલી વાનગીઓ જમવામાં હતી તેનાથી દોઢી સંખ્યામાં એ અથાણાં હતાં. (છૂંદો નહીં હોં, માત્ર અથાણાં). જો વાનગીઓ છ હોય તો અથાણાં નવ. જો વાનગીઓ આઠ હોય તો બાર અથાણાં એ પ્રમાણે : લ્યો, લ્યો, અથાણાં ચાખો. લ્યો આ લ્યો, કેરીનું અથાણું છે. એની ડાબી બાજુએ છે, તે પણ કેરીનું છે પણ ગોળ નાખેલું. એની જમણી બાજુ પણ છે તો કેરીનું પણ એની અંદર મેથી નાખી છે તે શેક્યા વિનાની. પેલું જે ઘેરા કથ્થાઈ રંગનું છે, તેમાં મસાલો કેરીનો છે પણ કેરી નથી નાખેલી. પેલું અથાણું છે તે અમે એપ્રિલમાં બનાવેલું. પેલું છેક જૂનમાં વરસાદ આવવાના આગલે દિવસે જ બનાવ્યું. આ જૂનમાં વરસાદ વહેલો હતો ને? નહીંતર હજી બીજાં બનાવત. (અમને થયું – સારું થયું વરસાદ વહેલો આવ્યો. અઠવાડિયું મોડો આવ્યો હોત તો અમારે હજી બીજાં પાંચ અથાણાં ખાવાં પડત.) એ બહેનને ત્યાંનાં અથાણાંના સ્વાદમાં કશો ફેર ન હતો. તોય એ બહેને જેટલો શિખંડ પીરસવાનો આગ્રહ નહોતો કર્યો, એટલો અથાણાં ખાવાનો કર્યો. શા માટે આગ્રહ કર્યો હશે? એ તમે સમજી શકશો. એ વખતે હતો ડિસેમ્બર મહિનો અને એપ્રિલમાં તો નવાં અથાણાં બનાવવા માંડવાના. જો આ બધું ખલાસ ન થાય તો આવતે વર્ષે બારને બદલે જૂનાં-નવાંની ચોવીસ વાટકીઓ થાય. અધધધ, શું દશા થાત આવતા વર્ષે એમની અને એમને ઘેર જમવા આવનાર મહેમાનની? આપણા ગુજરાતી રસોડામાં અથાણું ખૂબ જ માનભર્યું સ્થાન ભોગવે છે. તરતની બનાવેલી રસોઈ ન હોય તોય ખૂબ જ કાળજીથી સચવાતી હોય, આનંદથી ખવાતી હોય અને કાયમ પ્રેમનું પાત્ર બનતી હોય તો આ એક જ વાનગી, અથાણું. અથાણાં બનાવતાં આવડે એ સિદ્ધિ. વધારે અથાણાં બનાવવાની શક્તિ પ્રશંસાને પાત્ર. અથાણાંની મોટી સંખ્યા ગૌરવનું કારણ. એકનું એક અથાણું બનાવવાની અનેક રીતો, અથાણાં બનાવવા સાથે સંકળાયેલી વિવિધ માન્યતાઓ, અથાણું કેટલું ખાવું, કેટલું ન ખાવું, કોણે ન ખાવું, ક્યારે ખાવું, ક્યારે ન ખાવું, શેની સાથે કયું અથાણું ખવાય, કયું અથાણું જલદી બગડી ન જાય, બગડી ગયેલાં અથાણાંને કેમ કરીને ઠેકાણે પાડવાં એ સર્વે વિગતો ગુજરાતી ગૃહિણીઓની વાતોનો રસિક વિષય છે. આ બધું તો સાચું પણ આપણા ગુજરાતી રસોડામાં અથાણાંનું આટલું ગૌરવ શા માટે? આપણે અથાણાંને શા માટે મહત્ત્વ આપીએ છીએ? શા માટે અથાણાં બનાવવાની પ્રવૃત્તિ દર ઉનાળામાં (ઉનાળામાં જ મોટા ભાગનાં અથાણાં બનાવાય છે.) ધમધોકાર ચાલતી હશે? મને લાગે છે કે ઉનાળામાં અથાણાં વધારે બનાવાય છે, તેનું એક ખાસ કારણ છે. હા, બરોબર છે. કેરીઓ ઉનાળામાં આવે એટલે ઉનાળામાં જ અથાણાં બનાવવાં પડે તેવું આપણે માનીએ છીએ, પણ ખરેખર એવું નથી. ખરું કારણ તો એ છે કે ઉનાળાનો દિવસ લાંબો, ઊંઘ આવ્યા કરે, ગરમીમાં ઊંઘાય નહીં અને આળસ આવ્યા કરે એટલે શું કરવું? એટલે આપણે શોધી કાઢ્યું અથાણું. ખરેખર, એ શોધનાર માણસને મનોવિજ્ઞાનનું નોબેલ પ્રાઇઝ આપવું જોઈએ! સ્ત્રીઓને કામમાં રાખવાનો એણે સરસ નુસખો શોધી કાઢ્યો. ઉનાળાના લાંબા દિવસોમાં સ્ત્રીઓ નવરી બેસી રહે તો શું થાય ને શું ન થાય? માટે એણે શોધી કાઢ્યું, ચાલો, સ્ત્રીઓને કામમાં રાખવા ઉપાય કરીએ: “જુઓ, બહેનો, આ કેરીઓ છે માત્ર આપણા જેવા થોડા જ દેશોમાં, થોડા જ ભાગ્યશાળી દેશોમાં કેરી જેવું ઉત્તમ ફળ થાય છે અને તે પણ માત્ર ઉનાળામાં. ઉનાળાની કેરીને બારે મહિના ખાવા શું કરશો? એને અથાણાંરૂપે સાચવો. એ બહાને બારે મહિના કેરીઓ ખવાશે અને ઉનાળાના દહાડે વખત જશે. વળી તમારા પતિદેવની પ્રશંસા અને પ્રેમ પણ મળશે. (મોટા ભાગે તેલ કેટલું વપરાયું તે કહેવું નહીં) હં, પણ જુઓ, ઉતાવળ ન કરતાં. કેરીનું અથાણું ખૂબ ધ્યાનથી બનાવજો, નહીં તો અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું.” ભોળી બિચારી સ્ત્રીઓ માની ગઈ. અને પરિણામે, અથાણાંની બાર (અથવા વધારે) વાટકીઓનું સુભગ દર્શન ગુજરાતીઓને સાંપડ્યું. અથાણાંનું આ કારણે મહત્ત્વ છે. વળી, અથાણાંનું મહત્ત્વ બીજા એક કારણે પણ છે. ધારો કે, આ તો ધારવાનું જ છે, અમલમાં મૂકવાની ઉતાવળ નહીં કરવાની. ધારો કે આપણે અથાણાંને અથાણું ન કહીએ તો શું? ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ એકની એક વસ્તુને જુદા જુદા નામે બોલાવાય છે. જેમ કે, દાંતિયો, કાંસકો, કાંગસો વગેરે. રકાબી, તાસક, ઢાંકણું વગેરે. પણ અથાણું ગુજરાત આખામાં અથાણું જ કહેવાય છે. બીજા કોઈ નામે બોલાવાતું હોય તેવું મને ખ્યાલમાં નથી. ધારો કે તમને કોઈ પરભાષી વ્યક્તિ પૂછે, ‘વોટ ઇઝ અથાણાં?’ તો તમે શું કહેશો? અથાણું બનાવવાની રીત વર્ણવશો તો પેલો મૂંઝાઈ જશે. તમારે કહેવું પડશે ‘યુ ડૉન્ટ નો અથાણાં? ઇટ ઇઝ અવર ગુજરાતી સ્પેશલ થિંગ. અથાણાં મીન્સ ધેટ..અથાણાં ઇઝ... અથાણાં ઇઝ... એટલે.. યુ નો ઇટ ઇઝ અવર ગુજરાતી પીપલ મેક ઇટ... ધીસ ઇઝ, યુ સી ધીસ થિંગ? ઇટ ઇઝ રેડ. ઇટ ઇઝ કૉલ્ડ અથાણાં.’ આપણા ઉત્તમ કક્ષાના, વ્યાકરણના સર્વ નિયમોને કેરીના મસાલામાં ભેળવીને બનાવેલા સ્વાદિષ્ટ સુગંધી અંગ્રેજીમાં અપાયેલા ભાષણથી પેલો બિચારો કશું નહીં તો છેવટે એટલું તો સમજશે કે ‘અવર ગુજરાતી પીપલ મેક ઇટ, ધીઝ થિંગ ઇઝ કૉલ્ડ અથાણાં’ આમાં અથાણાંનું ગૌરવ કેટલું વધશે? તમે અથાણાને બીજા કોઈ નામે બોલાવવા પ્રયત્ન કરી જોજો. જેમ કે અથાણાને આપણે ચટણી કહીએ તો કેવું લાગે? ઝીણી નાની અમથી, થોડીક પૂરતું અજવાળું ન હોય તો દેખાય નહીં તેવી ચટણી. અથાણું એવું હોય? અથાણાને એવું નાનકડું ન બનાવાય. તો પછી અથાણાને કચુંબર કહીએ તો? ઝીણું ઝીણું સમારેલું. ખૂબ બધું હોય તોપણ વધારે લેવાય નહીં. રોજ રોજ બનાવતાં કંટાળો આવે અને ખાતાં આવે એ તો જુદો. રેફ્રિજરેટરમાં ન રાખીએ તો બીજે દિવસે બગડી જાય. અથાણું એટલું અલ્પજીવી? કચુંબર શબ્દ સાથે અથાણાની સાચી ભાવના જ નથી જન્મતી, નહીં? આ શબ્દ સારો નથી લાગતો. તો પછી એને રાઈતું કહીએ તો કેવું? કેરીનું રાઈતું, ગુંદાનું રાઈતું, મરચાંનું રાઈતું, લીંબુનું રાઈતું. ઠીક લાગે છે. ચાલે તો ખરું. પણ પછી રાઈતાની બાબતમાં ‘રાઈ ચઢવી, ચઢાવવી’ વગેરેના શ્લેષ કરીને એકબીજાને મહેણાં મારવા, ‘સંભળાવવા’ની મહાન સાંસ્કૃતિક મનોરંજન પ્રવૃત્તિ તે માત્ર ઉનાળામાં જ થઈ શકશે. વારંવાર, ઘણાં માણસો જમવાના હોય ત્યાં ‘આજે રાઈતાને રાઈ કોણે ચઢાવી છે? કોકીમામીનો હાથ લાગે છે હં! એમાં જ આંખમાં પાણી આવી ગયાં!’ એવું દર બળેવે, દશેરાએ, લગ્નપ્રસંગે, વાસ્તુ વખતે કહેવાનું નહીં મળે. રાઈતું શબ્દ અથાણાં માટે ખોટો નથી, પણ રાઈતું શબ્દ રાઈતા માટે જ વધારે સારો છે, માટે એમ જ રહેવા દઈએ! હજીય સમસ્યા ઊભી જ છે, અથાણાને અથાણું ન કહીએ તો શું કહીએ? અથાણાને બીજા કયા નામે બોલાવી શકાય એ તો ભાષાશાસ્ત્રના સંશોધકોના અભ્યાસનો વિષય, પણ ‘અથાણું’ ને આપણે અથાણું જ કહીએ તોય ખોટું નથી. મને તો અથાણું શબ્દ ગમે છે. મને ગમે છે, માટે સારો છે એવું નથી. પણ અથાણું એ અથાણું જ છે, એને બીજા કોઈ નામે બોલાવવાથી એનાં રૂપ, રસ, ગંધ નહિ બદલાય, પણ આપણને ગુજરાતીઓને મોટી ખોટ પડશે. પેઢીઓથી દસકાઓથી બોલાય છે, ‘અમારે ત્યાં તો દસેક અથાણા ઓછામાં ઓછાં’ ‘અમારે ત્યાં તો અથાણા વિના કોઈ થાળી પર ન બેસે.’ ‘મને તો જાતજાતનાં અથાણાં બનાવવાનો ખૂબ જ શોખ.’ આવું બધું બોલવામાં જે લિજ્જત આવે છે તે બીજા કોઈ શબ્દ હોય તો આવે ખરી? અથાણું એટલે કશુંક અનુપમ, અનોખું, અદ્ભુત, અદ્વિતીય, એવી લાગણી અથાણું શબ્દથી થાય છે. અથાણું જે છે, તે જ સારું છે. અને છેવટે તો.. ‘અથાણું ઇઝ યુ નો, અથાણું ઇઝ અવર ગુજરાતી ‘સ્પેશલ’ થિંગ!
સ્વાતિ મેઢ
‘આરસીની ભીતરમાં’માંથી