ભાષાવિજ્ઞાન/ભાષાવિજ્ઞાન
ભાષાવિજ્ઞાન
वाचामेव प्रसादेन लोकयात्रा प्रवर्तते ।।
इदमन्धंतमः कृत्स्नं जायेत भुवनत्रयम् ।
यदि शब्दाह्वयं ज्योतिरासंसारान्न दीप्यते ।।
—दण्डिन्, काव्यादर्श
ભાષા : મહત્ત્વ—ભાષા એ માનવજાતિની વિશિષ્ટ અને અતીવ મૂલ્યવાન સિદ્ધિ છે. અન્ય પ્રાણીઓ પણ મહત્ત્વની લાગણીઓ કે ઇચ્છાઓ વ્યક્ત કરવાને અમુક પ્રકારના વિશિષ્ટ ધ્વનિઓ કાઢે છે એ ખરું, પરંતુ એની સંખ્યા અને ક્ષેત્ર અતિ મર્યાદિત હોય છે.૧[1] ઉપરાંત, એ ધ્વનિઓ સહજ રીતે નીકળી પડેલા ઉદ્ગારો છે; એમાં કાંઈ પ્રકારની વિશિષ્ટ અર્થવત્તા હોતી નથી. પ્રાણીના ધ્વનિઓમાં અન્ય પ્રાણીઓ પાસે પોતાની લાગણી કે ઇચ્છા વ્યક્ત કરવાનો કોઈ વિશિષ્ટ ઉદ્દેશ હોતો નથી; તેમ પ્રાણીઓ એ ધ્વનિઓમાં કદીએ કોઈ પણ પ્રકારનું પરિવર્તન(variation) કરી શકતાં નથી. આમ પ્રાણીઓના ધ્વનિસંકેતોનું સ્વરૂપ માનવભાષાને મળતું આવતું હોવા છતાં બંને વચ્ચે વિશાળ, મૂળગત તફાવત રહેલો છે.
માનવ ધ્વનિયન્ત્ર પ્રાણીઓ કરતાં અનંતગણું સમૃદ્ધ હોઈ અનેક ધ્વનિઓ કાઢી શકવા સમર્થ છે. એ ધ્વનિઓ સ્પષ્ટપણે વિચારો, ભાવો કે ઇચ્છાઓના વાહક છે : એ માટે જ એમનું પ્રવર્તન છે. ઉપરાંત, ભિન્ન ભિન્ન મનોવૃત્તિઓ કે વિચારો વ્યક્ત કરતાં માનવ ધ્વનિયન્ત્ર હેતુપૂર્વક ધ્વનિઓમાં પરિવર્તન કરી શકે છે.૨[2] આથી, જેને વાસ્તવિક રૂપે ભાષા કહી શકાય તેવું સાર્થક, સંકુલ, સમૃદ્ધ ધ્વનિસંયોજન તો સમસ્ત સૃષ્ટિમાં કેવળ માનવીએ જ સિદ્ધ કર્યું છે. માનવભાષાના ઉદ્ગમ અને વિકાસનાં કારણોની ગવેષણા કરતાં ભાષાશાસ્ત્રીઓને લાગ્યું છે કે માનવજાતિની શરીરરચના અને ખાસિયતો અન્ય પ્રાણીઓ કરતાં ભાષાના ઉદ્ગમ અને વિકાસ માટે વિલક્ષણ રીતે સહાયક છે. માનવની ઊંચી ટટાર ગતિ અને હાથનો ઉપયોગ મુખને અન્ય પ્રાણીઓની માફક વસ્તુઓ પકડવાના કામમાંથી મુક્ત કરી છૂટથી બોલવાનો અવકાશ આપે છે. મનુષ્યનું જાતીય જીવન પ્રાણીઓની માફક અમુક ઋતુમાં જ નિયંત્રિત ન હોવાથી માનવ સ્ત્રીપુરુષ સર્વ ઋતુઓમાં સાથે રહે છે. વળી માનવશિશુની આરંભની અસહાય અવસ્થા કુટુંબયોજનાને વધારે દીર્ઘકાલીન બનાવે છે. આવા લાંબા ગાળાના સહજીવનમાં એકબીજાના વિચાર, લાગણીઓ વગેરે પરસ્પરને દર્શાવવાની વૃત્તિ વારંવાર થઈ આવે એ સ્વાભાવિક છે. આમાં જ માનવભાષાના ઉદ્ગમનું બીજ રહેલું છે.૩[3]
ભાષા: એક સામાજિક વારસો—ભાષા એ માનવને સમાજ પાસેથી મળેલું પ્રદાન છે. મનુષ્ય હમેશાં પોતાના સમુદાય પાસેથી જ ભાષા શીખતો આવ્યો છે. ન્હાનું શિશુ માનવસમુદાયથી છૂટું પડીને જંગલમાં જ ઊછર્યું હોય એવા દાખલાઓમાં એ માનવભાષાથી વંચિત રહી ગયેલું જણાયું છે. આમ, ભાષા એ મનુષ્યને મળેલો મહાન સામાજિક વારસો છે. માનવસંસ્કૃતિની એ સૌથી પુરાતન વસ્તુ છે. એનો ઉદ્ભવ માનવજાતિમાં ધર્મ કે કલાના ઉદ્ભવ કરતાં ઘણો વધારે પ્રાચીન છે. સમાજના પરસ્પર વ્યવહાર માટે, પરસ્પરના સહકાર્ય માટે ભાષા એ જ સૌથી મહત્ત્વનું સાધન છે, જેના વડે સમાજ ટકી રહી શક્યો છે.૪[4]
ભાષા: સ્વરૂપ—ભાષાની વ્યાખ્યા આપવી હોય તો નીચે પ્રમાણે આપી શકાય. ‘ધ્વનિસંકેતો દ્વારા વિચારનું પ્રકટીકરણ એટલે ભાષા’;૫[5] અથવા ‘વિચાર વ્યક્ત કરતા સંકેતોનો સમૂહ તે ભાષા.’૬[6] પોતાના ધ્વનિયંત્ર વડે માનવી જે ધ્વનિસંકેતો ઉચ્ચારીને પરસ્પર વિચારની આપલે કરી શકે છે એના સમુદાયને ભાષા કહે છે. અહીં ‘વિચાર’માં ‘ભાવ’ કે ‘લાગણી’ અને ‘ઇચ્છા’નો પણ સમાવેશ થયેલો ગણવાનો છે. અસંસ્કૃત જાતિઓની ભાષામાં વિચાર કરતાં ભાવ, ઇચ્છા, પ્રવૃત્તિ આદિ વિશેષ પ્રકટ થતાં હોય છે.૭[7] આમ પોતાના વિચાર લાગણી ઇ૰ બીજાઓને સ્પષ્ટ રીતે જણાવવા–સમજાવવાનું ધ્વનિરૂપ સાધન તે ભાષા એમ ભાષાનું લક્ષણ બાંધી શકાય. આમાં બોલવું એ સ્વલક્ષી તત્ત્વ કરતાં અન્યને ગ્રહણ કરાવવું, સમજાવી શકવું, એ પરલક્ષી તત્ત્વ એ ભાષાનું વધારે મહત્ત્વનું લક્ષણ છે.
વ્યક્ત ધ્વનિ ઉપરાંત ચેષ્ટા કે ઇશારાઓથી પણ કેટલેક અંશે પોતાના વિચાર અન્યને જણાવી શકાય છે. કેટલીક જાતિઓમાં ધ્વન્યાત્મક ભાષા સિવાય આવી ઇંગિત–ભાષા કે સંકેતભાષા પણ મળી આવે છે. અમેરિકાના પશ્ચિમ પ્રદેશોની કેટલીક ‘રેડ ઇન્ડિયન’ જાતિઓ આવી સંકેતભાષાનો ઉપયોગ કરે છે. ઑસ્ટ્રેલિયાના કેટલાક આદિવાસીઓની ભાષા ઇંગિતો (=ચેષ્ટાઓ)ની સહાયતા વિના સ્પષ્ટ રીતે ગ્રહણ કરી શકાતી નથી; તેથી રાત્રે વાત કરતી વખતે તેઓને મશાલ સળગાવવી પડે છે જેથી ભાષાને સહાયક ચેષ્ટાઓનું બરાબર અવલોકન કરી શકાય.૮[8] ઇટાલિયન લોકો બોલતી વખતે અંગ્રેજો કરતાં ચેષ્ટાઓ કે ઇંગિતોનો વધારે ઉપયોગ કરે છે. તેમ સુશિક્ષિત લોકો કરતાં સામાન્ય જનતા ભાષાના સહાયક અંગ તરીકે ચેષ્ટાઓનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરે છે એમ જણાયું છે.૯[9]
આ ઉપરાંત લિખિત અક્ષરોથી પણ વિચારવિનિમય થઈ શકે છે. પરંતુ વસ્તુતઃ તો લખાયેલા અક્ષરો એ ધ્વનિઓનાં જ ચક્ષુગ્રાહ્ય પ્રતીક છે. આ જ રીતે નેત્રહીનોને માટે ‘બ્રેઈલ’ લિપિમાં ઉપસાવેલી સ્પર્શગ્રાહ્ય સંજ્ઞાઓ પણ ભાષાના ધ્વનિઓનું જ પ્રતીક છે. નૌકાસૈન્યમાં કે સ્કાઉટદલમાં જુદી જુદી રીતે ધજા ફરકાવીને સંદેશાઓ મોકલવામાં આવે છે એ પણ એક પ્રકારનાં ધ્વનિઓનાં પ્રતીકો જ છે. આમ, ભાષા પ્રધાનપણે શ્રોત્રગ્રાહ્ય ધ્વનિચિહ્નોની જ બનેલી છે; દૃષ્ટિગ્રાહ્ય (લેખ) કે સ્પર્શગ્રાહ્ય (બ્રેઈલ લિપિ) પ્રતીકો કે સંકેતોનો વિચારના પ્રકટીકરણ માટે ઉપયોગ પ્રમાણમાં ગૌણ હોય છે. બહેરાંમૂંગાંની સંકેતભાષા પણ શ્રાવ્ય ભાષા ઉપર જ નિબદ્ધ થયેલી છે. રોજિંદી બોલચાલની ભાષાના નિયમો અને બંધારણ એમને સંકેતો દ્વારા સમજાવવામાં આવે છે. એ સંકેતોની સહાયતાથી તેઓ લિખિત ભાષા સમજવા શક્તિમાન બને છે. એમનો પરસ્પર વિચાર-વિનિમય પણ આ સંકેતો વડે જ થાય છે. ભાષા: વિચારનું એકમાત્ર વાહન—જરા ઊંડે ઊતરીને તાત્ત્વિક રીતે જોઈશું તો જણાશે કે ભાષા માત્ર વિચારવિનિમયનું જ સાધન નથી, વિચારનું પણ એ એકમાત્ર વાહન છે. ભાષાની સહાયતા વિના વિચાર કરવાનું શક્ય જ નથી. ભાષા મનોગત વિચારનું શ્રોત્રગ્રાહ્ય (કે દૃષ્ટિગ્રાહ્ય) આવિષ્કરણ છે. આમ ભાષા અને વિચાર એક જ વસ્તુનાં પરસ્પર અભિન્ન અને અવિચ્છિન્ન એવાં જાણે બે પાસાં છે. સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં ધ્વનિ અને વિચાર બંનેને સાંકળનાર એક માધ્યમ રહેલું છે, જેને ધ્વનિપ્રતિમા કે વિચારપ્રતિમાની સંજ્ઞા આપી છે. મનમાં વિચાર આવતાં જ એની વિશિષ્ટ પ્રતિમા કે આકૃતિ મનમાં ઉપસ્થિત થાય છે—પછી એ ભાષામાં ધ્વનિરૂપે અવતાર પામે યા નહીં. ભાષાના ધ્વનિસંકેતો (કે શબ્દો)નો અર્થ કોઈ નિશ્ચિત નિયમ અનુસાર ઘડાતો નથી.૧૦[10] અમુક શબ્દોનો અમુક અર્થ થવાનું કારણ કેવળ એ પ્રકારનો પરંપરાગત ચાલતો આવેલો વ્યવહાર માત્ર છે. જગતની ભિન્ન ભિન્ન ભાષાઓમાં ‘ભાષા’નો નિર્દેશ કરનાર શબ્દનો અર્થ થાય છે ‘બોલવું’ અથવા ‘જીભ,’ જે બોલવાનું એક મુખ્ય સાધન છે. ઉ.ત. સંસ્કૃત वाक्, वाणी, भाषा, અંગ્રેજી ‘સ્પીચ’(speech), જર્મન ‘શ્પ્રાખ઼’ (sprache) ઈત્યાદિ શબ્દો ‘બોલવું’ એ અર્થના દ્યોતક છે; તો અંગ્રેજી ‘ટંગ’ (tongue), ફ્રેન્ચ ‘લૉંગ’ (langue), લૅટિન ‘લિંગ્વા’ (lingua), ફારસી ‘જબાન’ ઈત્યાદિ શબ્દો ‘જીભ’ના નિદર્શક છે. ભાષા: એક વિજ્ઞાન—ભાષાનું વિશ્લેષણ એક સ્વતંત્ર વિજ્ઞાન છે. વિજ્ઞાનની લાક્ષણિક તુલનાત્મક પદ્ધતિ ઉપર એનાં મંડાણ છે. ભાષાની સામાન્ય રૂપે સમીક્ષા, કોઈ ભાષાની રચના અને ઈતિહાસનું અધ્યયન, અને ભિન્ન ભિન્ન ભાષાઓનો તુલનાત્મક અભ્યાસ—આ ભાષાવિજ્ઞાનનાં મહત્ત્વનાં ક્ષેત્રો છે. કોઈ પણ વિષયની વ્યવસ્થિત તર્કબદ્ધ વિચારણાને વિજ્ઞાન કહી શકાય. અન્ય વિજ્ઞાનો સાથે ભાષાવિજ્ઞાનનો સંબંધ—ભાષાવિજ્ઞાનને જ્ઞાનની અન્ય શાખાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. ભાષાવિજ્ઞાનને પ્રથમ તો શરીરવિજ્ઞાન સાથે નિકટનો સંબંધ છે. માનવશરીરનાં જે અંગો ધ્વનિ ઉત્પન્ન કરે છે તે અંગોનું, તેમજ જે પ્રક્રિયા દ્વારા માનવ ધ્વનિયંત્રમાંથી વિધવિધ વર્ણો ઉત્પન્ન થાય છે તે શારીરિક પ્રક્રિયાઓનું જ્ઞાન ભાષાવૈજ્ઞાનિકોને હોવું આવશ્યક છે. એ જ રીતે જે પ્રક્રિયા દ્વારા શ્રવણેન્દ્રિય ધ્વનિ ગ્રહણ કરે છે તેનું યથાસ્થિત જ્ઞાન શરીરવિજ્ઞાન દ્વારા જ થઈ શકે છે. બોલનાર વ્યક્તિના મુખમાંથી નીકળેલા ધ્વનિઓ કયી રીતે સાંભળનાર વ્યક્તિના કાન સુધી પહોંચે છે, માનવ ભાષાઓના ધ્વનિઓમાં અને અન્ય ધ્વનિઓમાં શો ભેદ છે, એ પદાર્થવિજ્ઞાન દ્વારા જાણી શકાય છે. ભાષાવિજ્ઞાનના આ ક્ષેત્રને ‘ધ્વનિવિજ્ઞાન’નું (Phonetics) નામ આપવામાં આવ્યું છે.
ભાષાવિજ્ઞાનનો માનસશાસ્ત્ર સાથે ઘનિષ્ઠ સંબંધ છે. મનુષ્યની પ્રત્યેક પ્રવૃત્તિનું મૂળ ઈચ્છાશક્તિમાં રહેલું છે. એ ઇચ્છા કેવી રીતે ઉત્પન્ન થાય છે એ માનસશાસ્ત્ર જ સમજાવી શકે. માનસશાસ્ત્ર અનુસાર માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ એ પોતાની ‘પરિસ્થિતિ’ (situation)ને અનુરૂપ પ્રતિક્રિયા (reaction) છે. ‘પરિસ્થિતિ’માં મનુષ્યની સમગ્ર અનુભૂતિ (experience)ની સમષ્ટિ, એની પોતાની શારીરિક સ્થિતિ, અને એની તત્કાલીન પરિપાર્શ્વસ્થિતિ (surroundings) એ ત્રણનો સમાવેશ થાય છે. પરિસ્થિતિ અને પ્રતિક્રિયાને જોડનારી સાંકળ તે મનુષ્ય છે. પરિસ્થિતિથી પ્રેરાઈને એ પ્રતિક્રિયા આચરે છે. ગણિતની પરિભાષામાં એ દર્શાવવું હોય તો આ પ્રમાણે દર્શાવી શકાય : પરિસ્થિતિ→વ્યક્તિ→ગતિવિધિ. આ પરિસ્થિતિ (situation) કે પ્રતિક્રિયા (reaction) કેટલીક વાર માનવવાણી પણ હોઈ શકે. પ્રસિદ્ધ ભાષાવૈજ્ઞાનિક બ્લૂમફીલ્ડે આપેલું ઉદાહરણ લઈએ તો આ વિધાન સુસ્પષ્ટ થશે.૧૧[11]
એક પુરુષ અને સ્ત્રી સાથે ચાલ્યાં જતાં હોય છે. સ્ત્રીને ભૂખ લાગી છે. પાસેની વાડીમાંથી રસ્તા ઉપર ઝૂકી રહેલાં એક વૃક્ષ ઉપર એક સરસ સફરજન એની નજરે પડે છે. એ જોતાં એના મુખમાંથી કાંઈક ધ્વનિઓ નીકળે છે. એ ધ્વનિ સાંભળીને પુરુષ વાડ કૂદીને ઝાડ પર ચઢીને એ સફરજન તોડી લાવે છે અને સ્ત્રીના હાથમાં મૂકે છે. સ્ત્રી એ ખાય છે. (૧) અહીં સ્ત્રીનું કથન એ પરિસ્થિતિ છે, અને પુરુષનું સફરજન તોડીને આપવું એ પ્રતિક્રિયા છે. અર્થાત્ વાણી (અર્થાત્, સ્ત્રીનું કથન)→વ્યક્તિ (પુરુષ)→પ્રતિક્રિયા (પુરુષે ફળ તોડી આપવું) (૨) જો પુરુષે એ સફરજન જોઇને સ્ત્રીને બતાવ્યું હોત અને ‘એ ખાવું છે?’ એમ પૂછ્યું હોત તો એ ક્રિયાનો ક્રમ નીચે પ્રમાણે બનત : પરિસ્થિતિ (સફરજન નજરે પડવું)→વ્યક્તિ (પુરુષ)→વાણી (સ્ત્રીને પૂછવું : ‘એ ખાવું છે?’) (૩) જો સ્ત્રીએ એ સફરજન પ્રથમ જોયું હોત અને પુરુષ પાસે એનાં વખાણ કર્યાં હોત અને પુરુષે ‘તને એ ઉતારી આપું?’ એમ પૂછયું હોત તો વાણી(સ્ત્રીએ કરેલાં સફરજનનાં વખાણ)→વ્યકિત (પુરુષ પાસે)→વાણી (પુરુષનું સ્ત્રીને ‘એ સફરજન તને ઉતારી આપું?’ એમ પૂછવું.) કોઈક વાર, પરિસ્થિતિ અને પ્રતિક્રિયાની વચ્ચે આંતરિક કે મનોગત (internal) વાણી રહેલી હોય છે. કોઇએ એક વ્યક્તિને માર્યું. એ વ્યક્તિએ મનમાં ને મનમાં કહ્યું કે “મને એ આમ શેનો મારી જાય? હું એને બરાબર બતાવી આપું.” એમ કહીને એણે એને સામું માર્યું. અહીં પરિસ્થિતિ→(મનોગત) વાણી→પ્રતિક્રિયા૧૨[12] આવો ક્રમ સ્પષ્ટ છે. આ મનોગત વાણીને આપણે ‘વિચાર’ કહીએ છીએ. કેટલીક વાર બહુ સાદી બાબતોમાં સ્પષ્ટપણે શબ્દો રૂપે વિચાર કર્યા વિના જ વ્યક્તિ વર્તન કરે છે. એનાં ચિત્તની આંતરતમ ભૂમિકામાં જ વિચાર થઈ જાય છે; મનની બાહ્ય સપાટી ઉપર એ પ્રગટ થતો નથી. પરંતુ, સૂક્ષ્મ અને અટપટા પ્રશ્નોમાં શબ્દરૂપે વિચાર બંધાયા વિના પ્રવૃત્તિ થતી નથી.
આટલા વિવેચન ઉપરથી જણાશે કે ભાષાવિજ્ઞાન માનસશાસ્ત્ર સાથે કેટલું બધું નિબિડ રીતે સંકળાયેલું છે. મનમાં કેવી રીતે વિચારો ઉદ્ભવે છે, સંગ્રહાય છે, શબ્દના અનેક અર્થોમાંથી તાત્કાલિક (immediate) અનુષંગ (context)માં અમુક અર્થ શી રીતે પ્રતીત થાય છે, શબ્દના અર્થોમાં સંકોચ, વિસ્તાર અને પરિવર્તન કેવી રીતે થાય છે, ઈ. પ્રશ્નો માનસશાસ્ત્રની સહાયતાથી જ સમજી શકાય છે. એ પ્રકારે વાણીનાં સ્ખલનોનાં કારણો સમજાવવામાં પણ માનસશાસ્ત્ર ઉપયોગી નીવડે છે. ભાષાવિજ્ઞાનનો સમાજવિજ્ઞાન સાથે પણ ગાઢ સંબંધ છે. સમાજમાં વ્યક્તિઓને પરસ્પર વિચારની આપલે કરવી આવશ્યક છે; અને એ વિચારવિનિમયનું સાધન ભાષા છે. ભાષાના અસ્તિત્વ માટે જેમ સમાજની આવશ્યકતા છે, તેમ સમાજના અસ્તિત્વ માટે ભાષાની આવશ્યકતા છે. ભાષા એ સમાજે વ્યક્તિને અર્પેલી બક્ષીસ છે. સમાજશાસ્ત્રના અધ્યયનથી ભાષાવિજ્ઞાનની કેટલીક ગૂંચો ઊકલી શકે છે. જે સામાજિક પરિસ્થિતિથી ભાષાનો વિકાસ થાય છે તેનું જ્ઞાન સમાજશાસ્ત્રના અધ્યયનથી જ થાય છે. એ ઉપરાંત ભાષાની કેટલીક વિલક્ષણતાઓ—જેમકે, હિંદુ સ્ત્રીને પતિનું નામ લેવાનો નિષેધ; સાપ જેવાં પ્રાણીઓનું ‘મોટો જીવ’ જેવા પર્યાયોથી અભિધાન કરવું; અશુભ બનાવો માટે નિર્દોષ લાગતા શબ્દપ્રયોગો વાપરવા (જેમકે ‘મરણ પામ્યા’ ને સ્થાને ‘ગામતરું કર્યું’, ‘સ્વર્ગવાસ કર્યો’, ઈ. કહેવું); કેટલાક શબ્દપ્રયોગોને અપશુકનિયાળ ગણીને તેમની જગ્યાએ અન્ય લાક્ષણિક પ્રયોગો વાપરવા (જેમકે ‘દુકાન બંધ કરી’ કે ‘દીવો ઓલવ્યો’ એમ ન કહેતાં ‘દુકાન વધાવી’ કે ‘દીવો રામ કર્યો’ એમ કહેવું); કેટલાક સંયોગોમાં માનવ વ્યકિતઓને કુત્સિત નામ આપવાં (જેમકે, ગાંડાલાલ, કચરાભાઈ, મફતલાલ, ભીખાભાઈ, ઈ.); કવચિત્ એક જ શબ્દના અર્થમાં કાળક્રમે અસાધારણ પરિવર્તન થઈને ઊલટો જ અર્થ થવો (જેમકે, સંસ્કૃત देवानांप्रियः અને पाषण्ड, અંગ્રેજી cunning ઈ.)—આ સર્વ સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર (anthropology)ના અધ્યયનથી જ સમજાય છે. ભાષાવિજ્ઞાન ઇતિહાસને યથાસ્થિત સમજવામાં ઉપયોગી થાય છે. ભાષાવિજ્ઞાનની સહાયતાથી પ્રજાઓનાં પરિભ્રમણોનો ખ્યાલ આવે છે. અતિ પ્રાચીન કાળ સંબંધે અન્ય ઐતિહાસિક સામગ્રી ઉપલબ્ધ ન હોય ત્યાં બહુધા ભાષા જ ઇતિહાસની આછીપાતળી રૂપરેખા આંકવામાં સહાયભૂત થાય છે. અતિ દૂર દૂર પથરાયેલા ભૌગોલિક પ્રદેશોમાં બોલાતી ગ્રીક લૅટિન આદિ યુરોપિયન ભાષાઓ, ઈરાનિયન ભાષા, અને સંસ્કૃત વચ્ચે અનેક અંશોમાં જે ઉત્કટ સામ્ય જણાય છે એ ઉપરથી એમનો ઉદ્ગમ એક જ આદિમ ભાષામાંથી થયો હતો અને એ ભાષા બોલનારા આદિમ આર્યો એ પ્રાચીનતમ યુગમાં એકજ સ્થળે નિવાસ કરીને રહેતા હતા એમ કલ્પી શકાય છે. એ જ પ્રમાણે બલુચિસ્તાનમાં એક પ્રદેશમાં, આસપાસ આર્યપરિવારની ભાષાઓ બોલતા પ્રદેશોની વચ્ચે એક સ્થળે દ્રાવિડી પરિવારની ‘બ્રાહુઈ’ ભાષા બોલાય છે. એ ઉપરથી આર્યોના આગમન પહેલાં એ પ્રદેશમાં, તેમજ સંભવતઃ ઉત્તર ભારતમાં, ઠેર ઠેર દ્રાવિડી વસાહતો હોવાની કલ્પના વિદ્વાનોએ કરી છે, જેને હરપ્પા અને મોહેન્જોદારોના સાંસ્કૃતિક અવશેષોથી સમર્થન મળે છે. આદિમ ભારત-યુરોપીય પ્રજા અને એની સંસ્કૃતિ સંબંધે અત્યારસુધીમાં જે સંશોધન થયું છે તે ભાષાકીય પુરાવાઓને આધારે જ થઈ શક્યું છે. આ પ્રકારના અધ્યયનને ભાષાશાસ્ત્રીય પુરાતત્ત્વ (linguistic palaeontology)ના નામથી ઓળખાવવામાં આવ્યું છે.૧૩[13]
આપણી ભારતીય ભાષાઓમાં વિદેશી શબ્દોનું ભારણ વિદેશીઓ સાથેનો સંપર્ક સૂચવે છે. અમુક પરિસ્થિતિમાં પ્રજાઓના પરસ્પર સંપર્કો ભાષામાં કેવું આમૂલ પરિવર્તન લાવે છે તેનો દાખલો વૈદિક કાળની બોલીઓમાંથી પ્રાકૃતોમાં થયેલું રૂપાન્તર છે. આમ ભાષાવિજ્ઞાનનો સંબંધ સર્વ પ્રકારના માનવજ્ઞાન સાથે છે. એ વાસ્તવિક પણ છે, કારણ કે એક રીતે જ્ઞાન અખંડ અને અપરિચ્છેદ્ય છે. ભાષાશાસ્ત્ર (philology) સાથે ભાષાવિજ્ઞાનને પ્રગાઢ સંબંધ છે. ભાષાશાસ્ત્રી પ્રાચીન હસ્તપ્રતો ઉપરથી કૃતિઓની વાચના કરી આપે છે, તેમજ લિખિત ભાષાનું વ્યાકરણ તૈયાર કરી આપે છે, જેમાં એમાં આવતા ધ્વનિઓ, શબ્દરૂપો વગેરેનું ભાષાના લિખિત સ્વરૂપ અનુસાર યથાસ્થિત નિરૂપણ હોય છે. ભાષાવૈજ્ઞાનિકના અધ્યયનમાં ભાષાશાસ્ત્રીનું આ કાર્ય અત્યંત ઉપયોગી નીવડે છે—ઐતિહાસિક ભાષાવિજ્ઞાનનો તો એ પાયો છે. એથી જ કેટલાક ભાષાવિદો ભાષાશાસ્ત્ર અને ભાષાવિજ્ઞાનને અભિન્ન ગણે છે. છતાં વૈયાકરણ અને ભાષાવૈજ્ઞાનિકની પાસે સમાન ભાષાઉપાદાન હોવાંછતાં બંનેની નિરીક્ષણ અને અન્વેષણ પદ્ધતિમાં કેટલોક મૂલગત ફેર રહે છે. ઉ. ત. સંસ્કૃત इन्द्रश्चाग्निश्च, અંગ્રેજી ‘can’t’, ગુજ. ‘હા જ તો’ (ઉચ્ચાર ‘હાસ્તો’) કે ‘મેં કહ્યું જે’ (સૂરતી બોલીમાં ઉચ્ચાર, ‘મકુંજે’)માં વ્યાકરણ અનુસાર અનુક્રમે ચાર, બે, અને ત્રણ ત્રણ શબ્દો છે. પરંતુ ધ્વનિશાસ્ત્ર પ્રમાણે પહેલા ઉદાહરણમાં બે શબ્દો (इन्द्रश् चाग्निश्च), અને બાકીના ત્રણેમાં એક એક જ શબ્દ છે. એથી ઊલટું કેટલીક વાર વ્યાકરણ અનુસાર એક જ ગણાતા શબ્દમાં ભાષામાં બે ખંડ પડી જાય છે. વૈદિક સંસ્કૃતમાં ઉપસર્ગ અને ક્રિયાપદ છૂટાં પડી જાય છે અને બંનેની વચ્ચે કેટલાય શબ્દો ઘૂસી જાય છે. ઉ. ત. अभि स्रुचः क्रमते दक्षिणावृतो या अस्य धाम प्रथमं ह निंसते (ऋग्वेद, मं-૧, सूक्त ૧૪૪). અહીં अभिक्रमते ક્રિયાપદનાં ઉપસર્ગ અને ક્રિયા છૂટાં પડી ગયાં છે. ક્વચિત્ લૌકિક સંસ્કૃતમાં (આર્ષ પ્રયોગોમાં) પણ આમ બને છે. ઉ. ત. ‘प्रभ्रंशयां यो नहुषं चकार (रघुवंश, सर्ग ૧૩-૩૬). અંગ્રેજીના no sooner .....than કે ફ્રેન્ચના ne......pas૧૪[14] પણ આ પ્રકારના જ પ્રયોગો ગણાય. આથી ભાષાવૈજ્ઞાનિકનું પ્રધાન લક્ષ્ય બોલચાલની ભાષાનું યથાતથ સમ્યક્ અધ્યયન કરવાનું રહે છે. ભાષાનાં ચાર અંગો પડે છે : વાક્ય,( એમાં અંતર્ગત) શબ્દ, એના) ધ્વનિ અને અર્થ. તદનુસાર ભાષાવિજ્ઞાનની પણ ચાર શાખાઓ પડી જાય છે : વાક્યવિજ્ઞાન, પદવિજ્ઞાન, ધ્વનિવિજ્ઞાન, અને અર્થવિજ્ઞાન. વાક્યવિજ્ઞાનમાં વાક્યોનો પરસ્પર સંબંધ, વાક્યમાં પદોનો પરસ્પર સંબંધ અને અન્વય, પદોમાં પરસ્પર આકાંક્ષા, યોગ્યતા અને સાન્નિધ્યની વિચારણા આવે છે. પદવિજ્ઞાન પદોના અર્થસૂચક અંશો (અર્થાત્, શબ્દ) અને સંબંધસૂચક અંશો (અર્થાત્, પૂર્વગ-ઉપસર્ગ, પ્રત્યય, આદિ) વચ્ચેનો વિવેક; નામ, સર્વનામ, ક્રિયા, વિશેષણ આદિ ભિન્ન ભિન્ન પદોનું સ્વરૂપ અને એમની વચ્ચેનો ભેદ, નામાદિકમાંથી તદ્ધિતાદિ પ્રત્યયો લાગીને થતી શબ્દસિદ્ધિ, ધાતુઓને લાગતા ઉપસર્ગ-પૂર્વગો તેમજ કૃત્-પ્રત્યયાદિક લાગીને સિદ્ધ થતાં કૃદન્ત રૂપો—ઈત્યાદિનું નિરૂપણ કરે છે.૧૫[15] પદવિજ્ઞાનનું અધ્યયન પણ તુલનાત્મક કે ઐતિહાસિક પદ્ધતિએ કરી શકાય છે. ધ્વનિવિજ્ઞાન માનવ ધ્વનિયંત્રમાંથી કેવા ભિન્નભિન્ન પ્રકારના ધ્વનિઓ નીકળે છે, એ ધ્વનિઓનું વિશિષ્ટ સ્વરૂપ અને વર્ગીકરણ, એમનું માત્રામાન (ઉચ્ચારણનું કાલમાન), સ્વરાઘાત (accent), સૂર (tone; pitch), ધ્વનિઓના વિકારો અને એનાં કારણો, ઈ૰નું વશ્લેષણ કરે છે.
અર્થવિજ્ઞાન શબ્દોના અર્થ કેવી રીતે બંધાય છે, એ અર્થોમાં કાલક્રમે કેવી રીતે અને શા કારણથી પરિવર્તન થાય છે, એનું નિરૂપણ કરે છે. શબ્દનાં મૂળ રૂપ શોધી કાઢવાં અને એમાં ક્રમે ક્રમે થયેલા વિકાસનું અધ્યયન કરવાનું કામ વ્યુત્પત્તિવિજ્ઞાન કરે છે. એ જ રીતે શબ્દકોશનો ઐતિહાસિક પદ્ધતિએ અભ્યાસ કરી શકાય, અને એ દ્વારા કયા શબ્દ ક્યારે પ્રચારમાં આવ્યા અને એમના અર્થમાં ક્યારે ક્યારે પરિવર્તનો થયાં એ જાણી શકાય છે. ભાષાવિજ્ઞાનનું સ્વરૂપ આવું સંકુલ છે. પછીનાં પ્રકરણોમાં એનાં ભિન્ન અંગોનો ક્રમે ક્રમે અભ્યાસ કરીશું.
- ↑ ૧ જુઓ : Otto Jesperson: Language, 1925, p. 412. કૂતરાં જેવાં પ્રાણીઓ ભિન્ન ભિન્ન લાગણીઓ વગેરે પોતાના ધ્વનિથી દર્શાવી શકે છે. પંખીઓમાં ભય સૂચવવાને માટે, પ્રેમાહ્વાનને માટે, ઈ૰ લાક્ષણિક ધ્વનિઓ હોય છે. કીડીઓમાં પણ સંદેશો આપવાની ધ્વન્યાત્મક નહીં તો અન્ય પ્રકારની યોજના હોવાનું જણાયું છે.
સરખાવો : J. Vendryes : Language, p. 11. - ↑ ૨ ગુજરાતીમાં પણ કેટલીક વાર જરાસરખા ધ્વનિપરિવર્તનથી બોલનાર અર્થમાં પરિવર્તન સાધી શકે છે એ સુવિદિત છે. ઉ.ત. ‘ગોળ’ (સંવૃત ‘ઓ’) અને ‘ગોળ’ (વિવૃત ઓ). સૂરપરિવર્તન કરવાથી પણ અર્થમાં પરિવર્તન થાય છે. જેમકે, ‘તમે આવો છો’ એ વિધાનાત્મક કથનમાં બીજું પદ નીચા સૂર (falling tone) થી બોલાય છે. એજ વાક્યમાં બીજું પદ ઊંચા સૂર(rising tone)થી ઉચ્ચારવામાં આવે તો વાક્ય પ્રશ્નાર્થરૂપનું બની જાય છે. ચીની ભાષામાં તો સૂરપરિવર્તન કરીને એક જ શબ્દના અનેક ભિન્ન ભિન્ન અર્થ સિદ્ધ કરી શકાય છે.
- ↑ ૩ જુઓ : Jesperson, Ibid, p. 413.
- ↑ ૪ સરખાવો : “Language is by far the commonest and most important means of co-operation. Soicety as now constituted could not long exist without the use of language.”—E. H. Sturtevant : An Introduction to Linguistic Science, p. 3.
“Language is thus the social fact par excellence, the result of social contact. It has become one of the strongest bonds uniting societies, and it owes its development to the existence of language.”—J. Vendryes : Language, p. 11.
“The division of labour, and, with it, the whole working of human society, is due to language.” —L. Bloomfield : Language, p. 24. - ↑ ૫ “Language is the expression of thought by speech-sounds.”—Sweet.
- ↑ ૬ “A system of signs.”—Vendryes : Ibid p. 7.
- ↑ ૭ ડૉ. બાબુરામ સક્સેના : सामान्य भाषाविज्ञान (पंचम संस्करण, २०१३) पृ. ६.
સરખાવો : ‘A language is a system of arbitrary vocal symbols by which members of a social group co-operate and interact.’ —E. H. Sturtevant, An Introduction to Linguistic Science, 1947, p. 2. - ↑ ૮ સક્સેના, એજન, પૃ. ૭
- ↑ ૯ Bloomfield, Ibid, p. 39
- ↑ ૧૦ સરખાવો : “An arbitrary symbol is one whose form has no necessary or natural connection with its meaning.”—Sturtevant, Ibid, p. 3.
- ↑ ૧૧ જુઓ : Bloomfield, Language, p. 22.
- ↑ ૧૨ જુઓ Sturtevant : An Introduction to Linguistic Science, (1947), pp. 4-5.
- ↑ ૧૩ ભાષાવિજ્ઞાનની સહાયતાથી ભિન્નભિન્ન ધાર્મિક માન્યતાઓનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે, તેમજ તેમની પરંપરાગત પૌરાણિક ગાથાઓનું તુલનાત્મક અધ્યયન થઈ શકે છે. જુઓ : ડૉ. મંગળદેવ શાસ્ત્રી, भाषाविज्ञान (ચતુર્થ સંસ્કરણ; ૧૯૫૧) પૃ. ૮-૯.
- ↑ ૧૪ ઉ. ત. Il n’est pas malade. (= He is not ill.)
- ↑ ૧૫ આ નિરૂપણ આમ તો વ્યાકરણનો વિષય ગણાય. પરંતુ વ્યાકરણ અને ભાષાવિજ્ઞાન વચ્ચે એક સૂક્ષ્મ ભેદ છે એ લક્ષમાં રાખવો જોઈએ. વ્યાકરણ ભાષાના સિદ્ધ સ્વરૂપનું નિરૂપણ કરે છે; ભાષાવિજ્ઞાન એ સ્વરૂપનાં કારણો કે મૂળની ગવેષણા કરે છે. જુઓ : મંગલદેવ શાસ્ત્રી, भाषाविज्ञान, पृ. ૧૧.