ભાષાવિજ્ઞાન/ભાષાનો વિકાસ
ભાષાનો વિકાસ
“Every standard language is an ideal norm which became more and more archaic with time, further and further removed from the tendencies of current speech, and also an ever-renewed effort to adjust the natural tendencies in the development of the language towards this norm. The standard lan¬guage is not a stabilized language, nor one that evolves regularly. It is a language in which there is a kind of equilibrium, constantly variable, between stabiliza¬tion and evolution.”
ભાષામાં કાળક્રમે પરિવર્તન કે વિકાસ—જગત સહજ પરિવર્તનશીલ છે. એમાં આપણાથી અજ્ઞાતપણે છતાં અવિરત પરિવર્તન થયાં જ કરે છે. કોઈ એક દેશનો ઇતિહાસ જુઓ કે માનવજાતિનો ઇતિહાસ તપાસો તો આ વાતની સત્વર પ્રતીતિ થશે. જગતની અનંત વસ્તુઓની માફક માનવભાષામાં ક્રમે ક્રમે, પરંતુ સતત, પરિવર્તન થતું જ રહ્યું છે. કોઈ એક ભાષાનો ઇતિહાસ લો. એમાં કાળક્રમે કેટલું બધું પરિવર્તન થયેલું મળે છે! એના ધ્વનિઓમાં, એનાં પદોમાં, એ પદોની ઘટનામાં, વાક્યવિન્યાસમાં, શબ્દોના અર્થોમાં, સર્વત્ર કાળક્રમે અસાધારણ પરિવર્તન થઈ જાય છે. ઉદાહરણ તરીકે ‘મા ઘેર છે’ એ વાક્ય કાળક્રમે કેટલાં બધાં પરિવર્તન પછી એના વર્તમાન સ્વરૂપને પામ્યું છે તે જુઓ.
| પ્રાચીન ભારત-યુરોપીય | *[1] मार्तेस् घुघोइ एस्क्येति ૧[2] |
| (આશરે ઈ. સ. પૂર્વ 3500) | |
| (વૈદિક ભાષા અને) સંસ્કૃત | माता गृहे अस्ति |
| (આશરે ઈ. સ. પૂર્વ 400) | |
| પ્રાકૃત | माआ (माइ) घरम्मि अच्छइ |
| (ઈ .સ. 400 - 500) | |
| અપભ્રંશ | माइ घरि अच्छइ |
| (આશરે ઈ. સ. 800-1000) | |
| પ્રાચીન ગુજરાતી | माइ घरि अच्छइ |
| (આશરે ઈ. સ. 1300) | |
| પ્રાચીન ગુજરાતી | माय घरि छइ |
| (આશરે ઈ. સ. 1450) | |
| પ્રાચીન ગુજરાતી | माय घिर्य छि |
| (આશરે ઈ. સ. 1600) | |
| અર્વાચીન ગુજરાતી | મા ઘેર છે. |
| (ઈ. સ. 1700 પછી) |
બહુધા આવા પ્રકારનો વિકાસક્રમ પ્રા. ભા. યુ. માંથી ગુજરાતીની ઉત્ક્રાન્તિનો સંભવે છે. એક જ ભાષાપ્રવાહનું ભિન્ન ભિન્ન કાલ-પુલિનમાંથી વહેતાં વહેતાં કેટલું બધું પરિવર્તન કેવી સાહજિકતાથી થઈ ગયું છે! આ પરિવર્તનને ભાષાની પ્રગતિનું (progress) નામ આપી શકાય તેમ નથી, તેમ એને ભાષાની અવનતિ પણ કહી શકાય તેમ નથી. ભાષાનો એ સહજ રીતે થયેલો વિકાસ કે ઉત્ક્રાન્તિ (evolution) છે. જગતની કોઈ પણ ભાષા આ પ્રકારનાં પરિવર્તનોથી અસ્પૃષ્ટ રહી નથી. ભાષાના સ્વકીય સ્વરૂપમાં, એના આંતરબાહ્ય ગઠનમાં જ, આ પરિવર્તનનાં કારણો રહેલાં છે. પ્રથમ તો ભાષા પરંપરાથી શિખાય છે. માતાપિતા પાસેથી બાળકો ભાષા શીખે છે અને બાળકો મોટાં થયે એમની પાસેથી એમનાં સંતાનો ભાષા ગ્રહણ કરે છે. આ રીતે ભાષાનું એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે સંક્રમણ થતાં ગ્રહણ કરનાર વ્યક્તિની શક્તિ-મર્યાદા અનુસાર ભાષામાં કાંઈ ને કાંઈ ફેરફાર થાય છે જ. ઉપરાંત, માનવ સમાજમાં વ્યવસાયાદિકને નિમિત્તે જે નિરનિરાળા વર્ગો બંધાયેલા હોય છે તે સર્વની પોતપોતાની વિશિષ્ટ ઉક્તિભંગિની અસર પણ ભાષા ઉપર પડે છે. એથી ઊલટું, ગૃહજીવનમાં વ્યાપૃત રહેનારી સ્ત્રીઓની ભાષામાં પરિવર્તન પુરુષોની સરખામણીમાં ઓછું થાય છે. આમ તો સૂક્ષ્મ રીતે જોતાં કોઈપણ બે વ્યક્તિઓના ઉચ્ચારણમાં થોડોક ભેદ તો અવશ્ય પડે જ છે, એટલું જ નહીં પરંતુ એક જ વ્યક્તિના જુદે જુદે વખતે ઉચ્ચારાયેલા પદ અથવા વાક્યમાં ભિન્ન ભિન્ન સ્થાને ઉચ્ચારાયેલા એક જ વર્ણનાં ઉચ્ચારણોમાં પણ કેટલોક ફરક પડી જાય છે. ઉ. ત. ‘રમા વાંચે છે’ અને ‘રમા! અહીં આવ તો’ એ બે વાક્યોમાં રમા એ શબ્દના અંત્ય સ્વરમાં પ્રથમ વાક્ય કરતાં બીજા વાક્યમાં પ્રલંબ ઉચ્ચારણ સંભળાશે. આ જ રીતે ભિન્ન ભિન્ન વ્યક્તિઓની અર્થપ્રતીતિમાં પણ કેટલોક ફરક પડી જાય છે. સામાન્ય રીતે ભાષાની આ ભિન્નતા એક જ કુટુંબના એકમમાં ઓછી નજરે પડે છે; પરંતુ કોઈ સમગ્ર ગામની કે શહેરની ભાષાનું અવલોકન કરીશું તો એમાં નિરનિરાળા વ્યવસાયી વર્ગોની ભાષામાં પરસ્પર ભિન્નતા નજરે પડશે; એટલું જ નહીં, પરંતુ એક જ વર્ગમાં પણ કોઈ વિશિષ્ટ નવીન અનુભવો ગ્રહણ કરેલી વ્યક્તિની ભાષા એ વર્ગની ભાષા કરતાં કેટલેક અંશે જુદી પડશે. ગામડાંના અંગ્રેજી નિશાળમાં ભણતા વિદ્યાર્થીની બોલી પોતાના કુટુંબીજનોની બોલી કરતાં કેટલેક અંશે જુદી પડશે. આમ જેમ એક તરફ ઘણાં બળો ભાષાના પરિવર્તનમાં કારણભૂત બને છે, તેમ બીજી તરફ ભાષા એ સમાજમાં પરસ્પર વિચારોનો વિનિમય કરવાનું મહાન સાધન હોવાને કારણે એમાં એકરૂપતા આવે છે. ઉપરાંત, સામાજિક સંસ્થાઓમાં (social institutions) રહેણીકરણીમાં હંમેશાં સામાન્ય રીતે એક ધોરણ સાચવવાનું વલણ નજરે પડે છે, તે પણ ભાષાના સ્થિરીકરણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એથી જ અજાણ્યા ભાષાપ્રયોગો ભાષામાં પ્રચલિત થતા નથી. દૂરને ગામથી સાસરામાં આવેલી નવતર વહૂ પોતાના મહિયરના સ્થાનિક બોલીના શબ્દપ્રયોગો વાપરે, કે બાળક સાદૃશ્યથી ખોટા શબ્દો કે રૂપો ઉપજાવી કાઢે તો તેમને આસપાસના લોકોનું અનુમોદન મળતું નથી. આ રીતે ભાષામાં સહસા વિશેષ પરિવર્તન થતું અટકે છે અને ભાષામાં સ્થિરતા આવે છે. આ પ્રમાણે ભાષામાં બંને બળો—ગતિ અને સ્થિરતા—સમાન રીતે પ્રવર્તતાં હોવાથી ભાષાના વિકાસમાં વ્યવસ્થિતતા અને સમતોલતા (equilibrium) જળવાય છે.
ભાષાવિકાસનાં કારણોની સમીક્ષા
ભાષાના વિકાસ સંબંધે ભાષાવૈજ્ઞાનિકોએ સૂક્ષ્મ આલોચના કરી છે. પ્રાચીન ભારત-યુરોપીય(Primitive Indo-European) જેવી એક જ મૂળ ભાષામાંથી વિકાસ પામીને બંધાયેલા ભાષાપરિવારની ભિન્ન ભિન્ન ભાષાઓમાંથી આટલી પરસ્પર ભિન્નતા સમજાવવાને એમણે નીચે પ્રમાણે ચાર કારણો કલ્પ્યાં છે. શરીરરચનાની ભિન્નતા ભાષાભેદનું કારણ—શરીર–રચનાની ભિન્નતા એ ભાષાભેદનું કારણ છે એવું કેટલાક ભાષાવૈજ્ઞાનિકોનું માનવું છે.૨[3] અમુક જાતિઓને અમુક પ્રકારના ધ્વનિઓનું ઉચ્ચારણ ઘણું ફાવે છે (જેમકે ફ્રેન્ચ લોકોને અનુનાસિક અને દંત્ય વર્ણો, કે દક્ષિણ ભારતના લોકોને મૂર્ધન્ય વર્ણો, કે કેટલીક આદિવાસી જાતિઓને ડચકાર અને આશ્વાસ ધ્વનિઓ), તેમ કેટલીક જાતિઓને અમુક પ્રકારના ધ્વનિઓનું ઉચ્ચારણ ઘણું દુષ્કર થઈ પડે છે (જેમકે, પંજાબીઓને આદિ स् વાળા સંયુક્તાક્ષરોનું ઉચ્ચારણ; ઉ. ત. स्कूल, स्नान ઈ૰), એ સ્વીકારવા છતાં એ ભેદનું કારણ શરીરરચનાની ભિન્નતા છે એમ માનવું સયુક્તિક નથી. કારણ કે, ફ્રેન્ચ, અંગ્રેજ અને જર્મન લોકોની શરીરરચનામાં ખાસ તરી આવતી કશી ભિન્નતા નથી, છતાં એમની ભાષાઓની ઘટનામાં ઠીક ઠીક ભિન્નતા નજરે પડે છે. એથી ઊલટું, અન્ય જાતિનો મનુષ્ય—ભારતવાસી કે આફ્રિકન હબસી પણ—બચપણથી ઇંગ્લાંડ કે ફ્રાન્સમાં રહીને ત્યાંની શાળાઓમાં શિક્ષણ લીધું હોય તો અંગ્રેજી કે ફ્રેન્ચ જેવી પરભાષાઓ ત્યાંના દેશવાસી જેવી વિશુદ્ધ બોલશે એ જાણીતી હકીકત છે. આમ શારીરિક ભિન્નતા એ ભાષાભેદનું કારણ નથી એ નિર્વિવાદ છે. ભૌગોલિક વિભિન્નતાને કારણે ભાષાભેદ—કેટલાક વિદ્વાનો એમ માને છે કે ભૌગોલિક વિભિન્નતા એ ભાષાભેદનું કારણ છે. શીત પ્રદેશના પહાડ ઉપર વસતા લોકો ઠંડીને કારણે બોલતી વખતે પોતાનું મ્હોં ઉષ્ણપ્રદેશમાં કે મેદાનોમાં રહેનારા લોકોના જેટલું ખોલી શકતા નથી.૩[4] એથી બંનેની ભાષાઓની ધ્વનિ-ઘટનામાં વિભિન્નતા નજરે પડે છે.
આ કારણ પણ તર્કશુદ્ધ નથી; કારણકે આથી ઊલટી દલીલ પણ કરી શકાય તેમ છે કે શીત પ્રદેશના લોકો ખડતલ અને પરિશ્રમી હોઈ મ્હોં ઉઘાડીને સ્પષ્ટ ઉચ્ચારણ કરવાને શક્તિમાન છે, જ્યારે ઉષ્ણ પ્રદેશના લોકો પ્રકૃતિએ આળસુ હોઇ બરાબર મ્હોં ઉઘાડીને સ્પષ્ટ ઉચ્ચારણ કરવામાં શિથિલ નીકળે એવો સંબંધ છે.૪[5] જાતિની માનસિક અવસ્થા અનુસાર ભાષાભેદ—કોઈ જાતિ કે રાષ્ટ્રની માનસિક અવસ્થા અનુસાર એની ભાષાનું સ્વરૂપ ઘડાય છે. આમ, લહેરી ફ્રેન્ચ લોકોની ભાષાનું મનોહર લાલિત્ય, કે આનંદી કલાપ્રિય ઇટાલિયનોની ભાષાનું કમનીય માધુર્ય, વ્યવસ્થિત, વૈજ્ઞાનિક, ચિંતનપ્રધાન ચિત્તવૃત્તિવાળા જર્મનોની ભાષાનું સૌષ્ઠવ અને દૃઢતા, કે વ્યવહારપટુ પરંતુ અતડા અંગ્રેજોની ભાષાની સર્વગ્રાહિતા અને ગૌરવ—એ લક્ષણો તે તે પ્રજાની વિશિષ્ટ પ્રકૃતિમાંથી ઊતરી આવ્યાં છે. એ પ્રમાણે એમ કહી શકાય કે ભારતમાં ઉર્દૂનું લાલિત્ય મુસ્લિમ સંસ્કૃતિના વારસારૂપ છે, કે પંજાબી ભાષાનું ખડતલપણું પંજાબી લોકોની પ્રકૃતિનું પ્રતિબિંબ પાડે છે, કે ગુજરાતીની પ્રવાહિતા અને દૃઢ બંધ એ વેપારી પ્રજાના માનસનું દર્શન કરાવે છે, કે બંગાળી ભાષાનું કમનીય માધુર્ય બંગાળીઓની કલ્પનાશીલતાનું ફલ છે. પરંતુ, અંશતઃ સાચું હોય તોપણ આ કેવળ સ્વલક્ષી (subjective) દર્શન છે. સૌ કોઈને પોતપોતાની ભાષા જ ગમવાની અને બીજાઓની ભાષા કરતાં અધિક સુંદર અને સર્વગુણસંપન્ન લાગવાની. એટલે ભાષાભેદના કારણરૂપે રાષ્ટ્ર કે જાતિની લાક્ષણિકતાઓને આગળ કરવી નિરર્થક છે.
રાજકીય પરિસ્થિતિ કેટલીક વાર ભાષાના વિકાસમાં વિલક્ષણપણે કાર્યસાધક નીવડતી માલૂમ પડી છે. યુદ્ધના સમયમાં સામાજિક સંગઠન ક્ષુબ્ધ થવાથી ભાષામાં ઝડપી પરિવર્તન થાય છે. એ પ્રમાણે એક જાતિ બીજી જાતિ ઉપર પોતાનું વર્ચસ્વ જમાવે તો બંનેની ભાષા ઉપર તેનાં દૂરગામી પરિણામે નીપજે છે. પ્રયત્નલાઘવ—માનવની અનેકાનેક પ્રવૃત્તિઓમાં શ્રમલાઘવનું—પોતાનાં કાર્ય માટે ઓછામાં ઓછી મહેનત કરવાની વૃત્તિનું—દર્શન થાય છે. વિવિધ યાન્ત્રિક શોધખોળોની પાછળ પ્રવર્તક હેતુ એ જ હોય છે. ભાષાનાં પરિવર્તનોમાં શ્રમલાઘવ એ મહત્ત્વનું કારણ છે. શ્રમ-લાઘવથી એક પ્રકારની સાહજિકતા, સરળતા સિદ્ધ થાય છે. શ્રમલાઘવ કે પ્રયત્નલાઘવની અસર વ્યક્તિઓનાં નામો, સર્વનામો, સવિશેષ વપરાતાં સાહાય્યકારક ક્રિયાપદો તેમજ અવ્યયાદિક પદો અને ઔપચારિક નમસ્કારાદિના શબ્દોમાં તરત વરતાય છે; કારણ કે વારંવારના વ્યવહારને કારણે એમને ઘણો ઘસારો લાગ્યો હોય છે. સુદીર્ઘ શબ્દો અને સમસ્તરૂપોના સંક્ષેપીકરણમાં પણ પ્રયત્નલાઘવ અને એને કારણે થતી સુવિધા જ કારણભૂત હોય છે. ઉ. ત. કૃષ્ણલાલ > કૃષ્ણાપ[6] રઘુનાથ > રઘુ વિમળા > વિમુ હસુમતી > હસુ ભાવનગર > ભાવેણું (ચારણી બોલીમાં) અપ૰ तुम्हे तुम्हारईं > તમે તમારે > તમતારે( ત્વરિત ઉચ્ચારણમાં) त्वया > तए, तइ > तइं > તેં मया > मए, मइ > मइं > મેં
- तस्मिन् वारके, (तदा वारके) > અપ. तहिवारइ,
(तइअ वारइ) > પ્રા૰ ગુજ૰ तिवारइं > ત્યારે પ્રા૰ ગુજ૰ * राउल अंगणउ > પ્રા૰ ગુજ૰ रालगुन(= રાજકુલ)
| आक्षेति > | |
| अच्छइ > अछइ > छइ > छे. | आछइ > आछे > आहि > आहे, है.૬ |
પ્રા૰ ગુજ૰ न आणइ > नाणइ > ના‘ણે " न होइ > ન હોય > નો’ય. મેં કહ્યું જે > મકુંજે( ત્વરિત ઉચ્ચારણમાં) આ ટાણે > અટાણ ( ,, ,, ) ભાઈ સાહેબ > ભઈ સાબ > ભૈસાબ્ > ભઈશા.૭[8] મોટાભાઈ > મોટાઈ૮[9] ઍગ્ઝામિનેશન > ઍગ્ઝામ્૯ પ્રિલિમિનરી > પ્રિલિમ્૯[10] બાઈસિકલ > બાઈક્૯ સિનેમેટોગ્રાફ > સિનેમા બ્લૉટિંગ પેપર > બ્લૉટિંગ મોટરગાડી > ગાડી ટેલિફોન > ફોન જનતા એક્સપ્રેસ > જનતા અગિયારમું શ્રાદ્ધ > અગિયારમું ટિકિટ ઈન્સ્પેકટર > ટી. આઈ. વાઈસ ચાન્સેલર > વી. સી.૧૦[11] ઑનરેબલ મિનિસ્ટર > એચ. એમ.૧૧[12] શુકલ (પક્ષ) દિન (કે દિવસ) > સુદિ બહુલ (પક્ષ) દિન ( કે દિવસ) > વદિ (< બદિ) સ્વરાઘાતને કારણે શબ્દોના સ્વરૂપમાં પરિવર્તન થાય છે, એના મૂળમાં પ્રયત્નલાઘવની જ પ્રક્રિયા કામ કરતી હોય છે. એમાં શબ્દના એક અંશ ઉપર ભાર આવતાં બાકીના અંશનું સંકોચન થાય છે. ઉ. ત. સં. सुवर्णाकार શબ્દના પૂર્વાંશ ઉપર સ્વરાઘાત પડતાં એ બળવાન બની ઉત્તરાંશનું સંકોચન થાય છે (ગુજ૰ ‘સોનાર’); અને સં. अरण्यના ઉપાન્ત્યવર્ણ ઉપર સ્વરાઘાત પડતાં આદિ વર્ણ લોપાય છે (ગુજ૰ ‘રાન’). આ રીતે સ્વરાઘાત બળવાન નથી હોતો ત્યાં આવું પરિવર્તન થતું નથી (ઉ. ત. સં. लोहकार > પ્રા. लोहआर > ગુજ૰ લુહાર, પ્રાન્તિક બોલીમાં ‘લવાર’). ભાષાપરિવર્તનનું એક અન્ય કારણ ભાવોદ્રેક છે. પ્રેમાતિરેકથી કે ક્રોધથી બોલાતા શબ્દોમાં વિશિષ્ટ રૂપાન્તર થઈ જાય છે એ સુવિદિત છે. ઉ. ત. સં. नाथ > પ્રા. नाह > ગુજ૰ નાવલિયો. સં. देवृ > પ્રા. देवर, दिअर > ગુજ૰ દિયરિયો. સં. भ्रातृ > પ્રા. भाइ > ગુજ૰ ભાઈલો. ક્રોધથી બોલનાર વ્યક્તિ ‘બાબુ’ને ‘બાબુડા’ કે ‘કરસન’ને ‘કરસનિયા’ કહેશે, કે ગુસ્સાથી કોઈને નવાજતાં ‘ગદ્ધા’ કહી દે છે, એ કોણ નથી જાણતું? કોઈ શબ્દ ઉપર વિશિષ્ટ ભાર મૂકવો હોય તો એના ધ્વનિઓ લંબાવવામાં (બેવડાવવામાં) આવે છે. ઉ. ત. ‘સાચ્ચું’, ‘ખોટ્ટું’,૧૨[13] ‘રાજ્જા’, ‘ડબ્બો’.
પ્રયત્નલાઘવને કારણે થતા ભાષાપરિવર્તનના પ્રકારો
પ્રયત્નલાઘવને કારણે ભાષામાં ભિન્નભિન્ન પ્રકારનાં પરિવર્તન થાય છે. એથી કેટલીક વાર શબ્દના ધ્વનિમાં પરિવર્તન થાય છે, તો કોઈ કોઈ વાર શબ્દની ઘટનામાં અને ક્વચિત્ વાક્યના બંધારણમાં ફેરફાર થઈ જાય છે. ધ્વનિપરિવર્તનોમાં વર્ણવ્યત્યય, વર્ણાપાય (=વર્ણલોપ), વર્ણાગમ(વર્ણોપજન), અને વર્ણવિકાર તો સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના ઉદયકાળથી પ્રસિદ્ધ છે.૧૩[14] આધુનિક ભાષાવિજ્ઞાને આ વિષયની વધારે સૂક્ષ્મતાથી છણાવટ કરીને નીચે પ્રમાણે ધ્વનિપરિવર્તનના પ્રકારો દર્શાવ્યા છે. (૧) ધ્વનિવિપર્યય કે વ્યત્યય (Metathesis), (૨) ધ્વનિલોપ (Haplology), (૩) સમીકરણ (Assimilation), (૪) વિષમીકરણ (Dissimilation), (૫) સ્વરભક્તિ (Anaptyxis), (૬) વર્ણાગમ કે ઉપજન (Prothesis). અર્વાચીન પાશ્ચાત્ય ભાષાવિજ્ઞાન અનુસાર સમીકરણ (Assimilation)ના વ્યાપારમાં ધ્વનિલોપ અને ધ્વનિવિપર્યયની પ્રક્રિયાઓ સમાઈ જાય છે, જ્યારે વિષમીકરણ (Dissimilation) વ્યાપારમાં ધ્વનિપરિવર્તનની સાથે ઘણીવાર ધ્વનિલોપનાં ઉદાહરણો મળે છે. અર્વાચીન ભાષાવૈજ્ઞાનિકો ઉપર ગણાવેલા ઉપરાંત (૭) સાદૃશ્યમૂલક શબ્દઘટના (Analogic Creation), (૮) સાદૃશ્યમૂલક વાક્યઘટના (Analogy in Syntax), (૯) શબ્દસંકર (Contamination of Words), (૧૦) વાક્યાંશસંકર (Contamination of Phrases), ઈત્યાદિ અન્ય ભાષાપરિવર્તનની સમીક્ષા કરે છે. નીચે, ક્રમશઃ, ભાષાપરિવર્તનના આ વ્યાપારોની સમીક્ષા કરીએ.
સમીકરણ
પાસે પાસે આવેલા બે વિભિન્ન ધ્વનિઓ સમાન (સમ) બની જાય એને સમીકરણ વ્યાપાર કહે છે. ઉચ્ચારસૌકર્ય એ એનો મુખ્ય ઉદ્દેશ છે. સમીકરણ બે પ્રકારનું હોય છે : પુરોગામી સમીકરણ (Progressive Assimilation) અને પશ્ચાદ્ગામી સમીકરણ (Regressive Assimilation). પાસે પાસે આવેલા બે વિભિન્ન ધ્વનિઓમાંથી પરવર્તી (પાછળ આવેલો) ધ્વનિ પૂર્વવર્તી (આગળ આવેલા) ધ્વનિ જેવો બની જાય તેને પુરોગામી સમીકરણ કહે છે. અહીં મનમાં એક ધ્વનિ પ્રબળ રીતે સ્ફુરી રહ્યો હોય તે વખતે પછીનો ધ્વનિ સ્મૃતિમાં આવતાં તેના ઉપર પૂર્વવર્તી ધ્વનિની પ્રબળ અસર થઈને તે પૂર્વવર્તી ધ્વનિસમ બની જાય છે. સ્તુર્તવાઁ જેવા આધુનિક પાશ્ચાત્ય ભાષાવૈજ્ઞાનિકો આ પ્રકારના સમીકરણને પરાપેક્ષા(Lag)ના નામથી ઓળખાવે છે.૧૪[15]
| સંસ્કૃત | પ્રાકૃત |
| चक्क | |
| लग्न | लग्ग |
| अग्नि | अग्गि |
બે વિભિન્ન ધ્વનિઓમાંથી પૂર્વવર્તી વર્ણ પરવર્તી વર્ણની સમાન બની જાય તેને પશ્ચાદ્ગામી સમીકરણ કહે છે. અહીં મનમાં એક ધ્વનિ હજી પૂરેપૂરો સ્ફુર્યો નથી ત્યાં પછીનો પ્રબળ ધ્વનિ ઘૂમી વળે છે અને પૂર્વવર્તી ધ્વનિને પોતાની સમાન બનાવી લે છે. ઉ. ત.
| સંસ્કૃત | પ્રાકૃત |
| सप्त | सत्त |
| दुग्ध | दुद्ध |
| वल्कल | वक्कल |
| चतुष्क | चउक्क |
| छिद् + न = छिन्न | |
| भाण्ड > हांड > હાંડ + લું > હાંલ્લું | |
| *साट > સાડ + લો > સાલ્લો૧૫[16] | |
| હાથગરણું > હાથગણણું૧૫[16] | |
| હા જ તો > હાસ્તો૧૫[16] | |
પશ્ચાદ્ગામી સમીકરણને કેટલાક પાશ્ચાત્ય ભાષાવૈજ્ઞાનિકો પૂર્વાપેક્ષા(Anticipation)ના નામથી ઓળખાવે છે.૧૬[17] સંસ્કૃત વૈયાકરણોની પરિભાષામાં ‘સમીકરણ’ને ‘સવર્ણીકરણ’નું નામ આપવામાં આવ્યું છે. સમીકરણ વ્યાપારમાં સામાન્ય રીતે નિયમ એવો છે કે પાસે પાસે આવેલા ધ્વનિઓ કે વર્ણોમાંથી વધારે બળવાન વર્ણનો ઓછા બળવાન વર્ણ ઉપર પ્રભાવ પડે છે; પરંતુ જો એ બંને વર્ણો સમાન બળવાળા હોય તો તેમાં પરવર્તી (પાછળ આવેલા) ધ્વનિનો પૂર્વવર્તી વર્ણ ઉપર પ્રભાવ પડે છે. વર્ણમાળામાં અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજનો સૌથી વધારે બળવાન હોય છે; એ પછીનું સ્થાન અનુનાસિક વર્ણોનું આવે છે; જ્યારે ल्, स्, व्, य्, र्, એ વર્ણો ક્રમશઃ સૌથી ઓછા બળવાળા છે.૧૭[18] સમીકરણ વ્યાપારના પાશ્ચાત્ય ભાષાવૈજ્ઞાનિકોએ દર્શાવેલા પેટા-પ્રકારોની હવે ચર્ચા કરીએ.
કેવળ પૂર્વાપેક્ષા (Anticipation Alone)
ઘણીવાર શબ્દ કે શબ્દસમૂહ બોલાતો હોય ત્યારે બોલનારના મનના ફલક ઉપર સહસા એનો ઉત્તરાંશ ઝબકી રહે છે, જેની અસર પૂર્વાંશ ઉપર પડે છે. એથી પૂર્વાંશના ધ્વનિઓ ઉપર ઉત્તરાંશના ધ્વનિઓનું આક્રમણ થાય છે. ઉ. ત. the optical illusion કહેવા ઈચ્છતો વક્તા the illoptical illusion કહી નાંખે છે, અથવા photograph કહેવાને બદલે સંભ્રમમાં એ phortograph કહી નાંખે છે.૧૮[19] અહીં પૂર્વાંશનો લોપ થયા વિના ઉત્તરાંશે પૂર્વાંશને આક્રાન્ત કર્યો છે. અર્થાત્, સાદા શબ્દોમાં કહીએ તો પૂર્વાંશમાં ઉત્તરાંશના ધ્વનિઓ ઘૂસી ગયા છે. ઉત્તરાંશનું સ્વરૂપ યથાવત્ રહ્યું છે. આ પ્રકારની ઉત્તરાંશની પૂર્વસ્ફુરણા કે પૂર્વાપેક્ષાને ભાષાવૈજ્ઞાનિકો પૂર્વાપેક્ષા (Anticipation)ના નામથી ઓળખાવે છે. ઉપરનાં ઉદાહરણોમાં પૂર્વાંશના ધ્વનિનો લોપ થતો નથી કે એમને સ્થાને અન્ય ધ્વનિઓનો આદેશ થતો નથી, માટે કેવળ પૂર્વાપેક્ષા (Anticipation Alone) છે. ગુજરાતીમાં બોલચાલની ભાષામાં આ પ્રકારની પૂર્વાપેક્ષાને કારણે થતાં સ્ખલનોનાં ઉદાહરણો ઘણાં મળી આવશે. પરંતુ, નીચેના રૂઢ શબ્દોમાં વર્તમાન ગુજરાતી ભાષાના ઘડતરના કોઈક સમયે ઉત્તરાંશના ધ્વનિનું પૂર્વાંશમાં આક્રમણ થયું છે. ઉ. ત. કગરી પડ્યા > કરગરી પડ્યા. સં. त्वरित > પ્રા. तुवरिअ > તવરિયા(તોખાર) ભાષામાં, સામાન્ય રીતે, કેવળ પૂર્વાપેક્ષાનાં ઉદાહરણો પ્રમાણમાં થોડાં મળે છે.
સાદેશ પૂર્વાપેક્ષા(Anticipation with Substitution)
આ પ્રકારના ભાષાપરિવર્તનમાં ઉત્તરાંશના ધ્વનિઓના પૂર્વસ્ફુરણને પરિણામે પૂર્વાંશના એ પ્રકારના ધ્વનિઓનો લોપ થાય છે અને એમને સ્થાને ઉત્તરાંશના એ ધ્વનિઓ આવે છે. અહીં ઉત્તરાંશના ધ્વનિઓનો પૂર્વાંશ ઉપર પ્રભાવ પડે છે તેથી એ પ્રક્રિયા પૂર્વાપેક્ષા છે. પૂર્વાંશના ધ્વનિઓનો લોપ થઈને ત્યાં ઉત્તરાંશના ધ્વનિઓનો આદેશ થાય છે માટે એ સાદેશ પૂર્વાપેક્ષા છે. આ પ્રકારનાં ભાષાસ્ખલનોનું કે સમીકરણોનું પ્રમાણ સૌથી વધારે હોય છે. આ પ્રક્રિયા શબ્દમાં કે શબ્દસમૂહમાં એકબીજાથી દૂર આવેલા ધ્વનિઓમાં, તેમજ એકબીજાના સંયોગમાં આવેલા ધ્વનિઓમાં, એમ બંને રીતે પ્રવર્તતી મળી આવે છે. Verinica૧૯ (Veronica ને બદલે) Sharfen the knife૧૯ (sharpen ને બદલે) વૈશાલીની વીગોતોથી†૨૦ (‘વીગતોથી’ ,, ) ભારતના મહર્ષિ † (‘મહર્ષિ’ ,, ) પર્યટનમાં ન કોઈ મોટાની ચિંતા હતી, કો કોઈ વઢનારું છે.† (‘ન કોઈ’ ને બદલે) નગરની સર્વોત્તમ સુંદર નગરશોભિની બનીને રહે.†(‘સુંદરી’ને બદલે) ગણતંત્રના લોકો મૃત્યુની નહીં ડરનારા હોય છે.†(‘મૃત્યુથી’ ને બદલે) આ દૂરસ્થ કે અસંયુક્ત ધ્વનિઓના સમીકરણ (Distance Assimilation કે Distance Anticipation)નાં ઉદાહરણો છે.
૧૯ ગ્રંથ : Sturtevant, op. cit., p. 87.
૨૦ † આવી કટારની નિશાનીવાળા ભાષાપ્રયોગો એલ્ફિન્સ્ટન કૉલેજના ઈન્ટર આર્ટસના વિદ્યાર્થીઓના ઑક્ટોબર ૧૯૫૮માં લેવાયેલી સત્રાન્ત પરીક્ષાના ઉત્તરપત્રોમાંથી અહીં નમૂનારૂપે લીધા છે.
સંયોગમાં આવેલા ધ્વનિઓના પૂર્વસ્ફુરણ કે સમીકરણનાં નીચેનાં ઉદાહરણો જુઓ. સંસ્કૃત વૈયાકરણોએ આ પ્રક્રિયાને ‘પશ્ચાદ્ગામી સમીકરણ’નું નામ આપ્યું છે. અર્વાચીન ભાષાવૈજ્ઞાનિકોએ એને ‘સંયોગનિષ્ઠ પૂર્વાપેક્ષા’ (Contact Anticipation)નું નામ આપ્યું છે.
સંસ્કૃત પ્રાકૃત ગુજરાતી
युक्त जुत्त જૂતવું(= `ગાડે જોડવું’)
भक्त भत्त ભાત
અંગ્રેજી sidown૨૧ બોલચાલની ભાષામાં) (sit downને બદલે)
,, nem mind૨૧ ( ,,) (never mind ,,)
સં. माण्ड > પ્રા. हांड > ગુજ. હાંડ + લું = હાલ્લું.
પારણું > પાણ્ણું (પારસી બોલીમાં)
ન્હાનું + લું > નાલ્લું (સૂરતી બોલીમાં)
સલોપ પૂર્વાપેક્ષા (Anticipation with Loss)
કેટલીક વાર શબ્દના ઉત્તરાંશના ધ્વનિનું પૂર્વસ્ફુરણ થઈને એ પૂર્વાંશમાં પ્રવેશ્યા પછીથી એ પૂર્વસ્ફુરિત ધ્વનિઓનું ઉત્તરાંશમાં યથાસ્થાને ઉચ્ચારણ થવાને બદલે એમનો લોપ થાય છે. આમ પૂર્વસ્ફુરિત ધ્વનિઓનો સ્થાનવિપર્યય થાય તેને સંસ્કૃત વૈયાકરણોએ વર્ણવ્યત્યય(Metathesis)ની સંજ્ઞા આપી છે. પાશ્ચાત્ય ભાષાવૈજ્ઞાનિકોએ આ પ્રક્રિયાને પૂર્વાપેક્ષા કે પૂર્વસ્ફુરણા(Anticipation)ના પેટામાં સમાવી લીધી છે, કારણ કે એના પાયામાં જે મનોવ્યાપાર રહેલો છે તે પૂર્વસ્ફુરણાનો છે. શબ્દની માનસપ્રતિમા બંધાતી હોય છે ત્યારે શબ્દના ઉત્તરાંશનો કોઈ વિશિષ્ટ ધ્વનિ કે ધ્વનિસમૂહ એની વિલક્ષણતા કે મહત્ત્વને કારણે પ્રબળપણે સ્ફુરી રહી શબ્દના અગ્રભાગમાં ઉચ્ચારાઈ જાય છે. ઉ. ત.
સં. चिह्न > ગુજ. ચિન્હ
અપ. बुड्डइ > ગુજ. ડૂબે (`બૂડે’ પણ પ્રચલિત છે.)
૨૧ જુઓ : Sturtevant, op. cit. p. 88.
વૈદિક(वम्री + क) > સં. वल्मीक પ્રા. અંગ્રેજી thridda > અર્વા. અંગ્રેજી third સં. प्राघुणकः > પ્રા. અપ. प्राहुणउ > ગુજ. પ્હરોણો સં. श्लक्ष्णकम् > પ્રા. लण्हं > અપ. लण्हउं > ગુજ. ન્હાનું સં. कृष्णः > પ્રા. कण्हो > અપ. कण्हु > ગુજ. ક્હાન સં. वल्लभकः > પ્રા. वल्लहओ > અપ. वल्लहउ > ગુજ. વ્હાલો. આંતકનિગ્રહ (‘આતંકનિગ્રહ’ને બદલે) શંકુતલા (‘શકુંતલા’ને બદલે) પૂર્વાપેક્ષાજન્ય લોપ (Anticipatory Loss — Haplology) બે સમાન ધ્વનિ કે ધ્વનિસમૂહ સમીપ આવતાં એમાંના એકનો વચ્ચેના અનુવર્તી અન્ય ધ્વનિઓ સાથે લોપ થાય છે. એને ધ્વનિલોપ કહે છે. આગળના પાશ્ચાત્ય ભાષાશાસ્ત્રીઓએ આ પ્રક્રિયાને ‘અક્ષરલોપ’ (Haplology)નું નામ આપ્યું છે. પ્રાચીન સંસ્કૃત વૈયાકરણોએ એને ‘વર્ણનાશ’ કે ‘વર્ણાપાય’ની સંજ્ઞા આપી છે. આમાં પ્રયત્નલાઘવ અર્થે ત્વરિત ઉચ્ચારણ થતાં ઉત્તર ધ્વનિસમૂહ પૂર્વધ્વનિને દબાવી દે છે એ જ કારણ છે. પ્રાચીન અને અર્વાચીન બધાં ભાષાસ્વરૂપોમાં આનાં ઉદાહરણો મળશે. દા. ત. વૈદિક शेवृधः (=પ્રિય, અમૂલ્ય) < शेव + वृधः સં. वृथा < वृत + था સં. जहि < जहीहि અંગ્રેજી humble + ly = humbly૨૨ અંગ્રેજી, ત્વરિત ઉચ્ચારણમાં libry(library માટે) અંગ્રેજી, ,, ,, probly (probably ,,) અંગ્રેજી, ,, ,, canot (can not ,,) ગુજ. દીનના નાથ > દીનાનાથ
૨૧ જુઓ : Sturtevant, op. cit., p. 90.
ગુજ. અંગગત > અંગત કલકલ મધુરવ કરતી સરિતાનાં ગાનો † (‘મધુર રવ’ને બદલે) લિચ્છવીઓએ સિંહ નાયકને સેનાપદે રાખ્યો. † (‘સેનાપતિપદે’ ને બદલે) સંથાગારમાં હાજ રહેતો હતો. (‘હાજર રહેતો’ ને બદલે)
પરાપેક્ષા(Lag) કેટલીકવાર શબ્દ કે શબ્દસમૂહના ઉત્તરાંશના ધ્વનિની પૂર્વસ્ફુરણાને બદલે પૂર્વાંશના ધ્વનિઓ ઉત્તરાંશના ઉચ્ચારણ ઉપર આક્રમણ કરે છે. એને આધુનિક પાશ્ચાત્ય ભાષાવૈજ્ઞાનિકોએ પરાપેક્ષા(Lag)નું (અર્થાત્, ‘ધ્વનિનું પરાગમન’) નામ આપ્યું છે. આ પણ પૂર્વસ્ફુરણાના જેવી, પરંતુ વિરુદ્ધ દિશા તરફ ગતિ કરતી, પ્રક્રિયા છે. કેટલીક વાર આ પ્રમાણે પૂર્વાંશધ્વનિ ઉત્તરાંશના ધ્વનિને લુપ્ત કર્યા વિના આક્રાન્ત કરે છે (Lag Alone). ઉ. ત. optic tup (‘cup’ ને બદલે)૨૩ જેન્ટલમેનો અને લેડીઝો (સૂરતી ગૃહસ્થ પાસેથી સાંભળેલું) સામાન્ય રીતે પૂર્વાંશનો પરાગમન કરતો ધ્વનિ ઉત્તરાંશના ધ્વનિનો લોપ કરીને એનું સ્થાન લઈ લે છે (Lag with Substitution).૨૪ ઉ. ત. અં. Lingua-Francua. ૨૩
૨૩ જુઓ : Sturtevant, op. cit., p. 91. ૨૪ આ ઉપરાંત સ્તુર્તવાઁએ ધ્વનિની પરાપેક્ષા (Lag) ના નીચેના બે પ્રકારો ગણાવ્યા છે, જેનું નિદર્શન અતિ વિરલ છે : Lag with Loss (ઉદા. ‘helping him send’ ને બદલે ‘help him sending’); અને Lag with Substitution and Loss (‘I’ve always said’ ને બદલે ‘I alwave said’) જુઓ : Sturtevant, op. cit., p. 92.
અપ૰ उड्डावइ > ગુજ. ઉડાડે. સ્ત્રી અને પુરુષ એકબીજાનાં પુરુક છે. † (‘પૂરક’ ને બદલે) તેજોવેધથી ઘવાયેલો ગોપાળ † (‘તેજોવધ’ ને બદલે) વૈશાલી માટે તે પ્રાણો અર્પણા તૈયાર હતો.† (‘અર્પવા’ને બદલે) અશક્ય કે અશંભવ†. વ્યત્યય( Metathesis) આધુનિક ભાષાવૈજ્ઞાનિકોના મત પ્રમાણે ધ્વનિનું પૂર્વસ્ફુરણ કે પૂર્વાપેક્ષા(anticipation) અને પરાગમન કે પરાપેક્ષા(lag) એકીસાથે(લોપ અને આદેશ સહિત) પ્રવર્તે તો ધ્વનિવ્યત્યય થાય. એક ઉદાહરણ વડે આ વધાન સ્પષ્ટ કરીએ. અં. regular ને બદલે regural એવું સ્ખલન નોંધાયું છે. આ ઉદાહરણમાં બોલનાર વ્યક્તિની મનોભૂમિકામાં r ની પૂર્વસ્ફુરણ કે પૂર્વાપેક્ષા (anticipation) થઈ છે, જ્યારે l ની પરાગતિ કે પરાપેક્ષા (lag) થઇ છે. મૂળ શબ્દમાં મધ્યવર્તી l ઊડીને તેને સ્થાને પૂર્વસ્ફુરણને બળે rનો આદેશ થયો છે એ એકીસાથે સલોપ (with loss) અને સાદેશ (with substitution) પૂર્વાપેક્ષાની પ્રક્રિયા થઈ. બરાબર એ જ રીતે, પરંતુ વિરુદ્ધ દિશાની, પરાપેક્ષાની પ્રક્રિયાથી મૂળ શબ્દનો અંત્ય વર્ણ r પરિવર્તિત થઈને l બન્યો. સામાન્ય શબ્દોમાં આ પ્રક્રિયાને બે ધ્વનિઓ કે વર્ણોના વ્યત્યય તરીકે ઓળખાવીએ તો ચાલશે. અર્વાચીન ભારતીય ભાષાઓમાં આ પ્રકારના વ્યત્યયનાં સંખ્યાબંધ ઉદાહરણો મળે છે: સં. बिडालिका > ગુજ. ‘બિલાડી’ સં. वाराणसी > હિંદી-ગુજ. ‘બનારસ’ શિષ્ટ ગુજ. ‘દેવતા’ > કાઠિયાવાડી (ઉપશિષ્ટ) બોલી: ‘દેતવા’ ,, ‘તપેલી’ > સુરતી (ઉપશિષ્ટ) બોલી : ‘પતેલી’ શિષ્ટ હિંદી लखनउ > પ્રાન્તિક બોલી : नखलउ૨૫ ,, मतलब > ,, मतबल૨૫ એના વ્યક્તિત્વમાં વૈધવ્ય હતું. †(‘વૈવિધ્ય’ ને બદલે) રમતિયાળ > રમતિળાય.†૨૬ વિષમીકરણ (Dissimilation) સમીકરણથી તદ્દન ઊલટા આ વાગ્વ્યાપારમાં સમાન ઉચ્ચારણો કે જાતિઓમાંથી, (૧) એક ધ્વનિ કે ધ્વનિસમૂહને સ્થાને એના જેવા સ્વરૂપનો બીજો ધ્વનિ કે ધ્વનિસમૂહ મુકાય છે; અથવા, (૨) બેમાંથી કોઈપણ એકનો અંશતઃ કે સંપૂર્ણ લોપ થાય છે. આ પરિવર્તનનું કારણ પાસેપાસેના સમાન ધ્વનિઓનો ઉચ્ચાર કરવામાં પડતી મુશ્કેલી એ છે. એકસરખા ધ્વનિઓમાંથી એકને બદલાવી નાંખવાથી ઉચ્ચારણમાં ઘણી સુગમતા થઈ જાય છે. (૧) સમાન ધ્વનિપરિવર્તનનાં ઉદાહરણો : સંસ્કૃત પ્રાકૃત ગુજ. मुकुट मउड મૉડ मुकुल मउल મ્હૉર पञ्जरकम् પીંજરું लेखशाला लेहसाला(પ્રા. ગુ. लेसाल) નિશાળ ललाट णिडाल નિડળ(ટિપકી) गजानन - ગજાનંદ (બોલચાલની ભાષામાં)
૨૫ જુઓ : મંગળદેવ શાસ્ત્રી, भाषाविज्ञान, પૃ. ૧૧૬. ૨૬ આ સ્ખલન વિદ્યાર્થીના ઉત્તરપત્રમાંથી લીધું છે. એમાં ળ-કારનો મહાપ્રયત્ને ઉચ્ચાર કરનાર વિદ્યાર્થીના મનમાં ळ्-ધ્વનિ પ્રબળપણે સ્ફુરી રહ્યો છે, જે એના પુર:સરણમાં કારણરૂપ છે. એ ધ્વનિ આગળ ધસી જવાથી, સહજ રીતે य्-ધ્વનિને પાછું ખસવું પડ્યું છે.
અપ. तडप्फडइ ગુજ. તરફડે અંગ્રેજી corn flitters (fritters ને બદલે) (૨) સમાનધ્વનિનાશ દ્વારા વિષમીકરણનાં ઉદાહરણો: heights of ate૨૭ (hate ને બદલે) Sand straight૨૭ (‘stand’ ને બદલે) શિષ્ટ ગુજ. ‘ખાંડણી’ > બોલચાલની ભાષામાં ‘ખાંયણી’ (મૂર્ધન્ય ‘ણ’ ના સામીપ્યને કારણે ड्નો નાશ અને ઉદ્વૃત્ત સ્વરને સ્થાને य-શ્રુતિ) શિષ્ટ ગુજ. ‘બારણું’ > બોલચાલની ભાષામાં ‘બાયણું’ ,, ‘ઉકરડો’ > ,, ‘ઉકેડો’ ( મૂર્ધન્ય ‘ड्’ ના સાન્નિધ્યમાં र् નો લોપ અને ઉદ્વૃત્ત સ્વરને સ્થાને य > इ) શિષ્ટ ગુજ. ‘બટાટા’ (પોર્ટુગીઝ ઉછીનો શબ્દ) > ‘બટાકા’ (બોલચાલની ઉપશિષ્ટ ભાષામાં). વર્ણાગમ કે ઉપજન (Prothesis) ઉપરના ઉપરાંત સંસ્કૃત વૈયાકરણોએ વર્ણાગમ કે ઉપજન, અને સ્વરભક્તિના વ્યાપારો ગણાવ્યા છે. શબ્દના પ્રારંભમાં જ કેટલીક વાર કોઈ કઠિન ધ્વનિ કે સંયુક્તાક્ષર આવ્યો હોય છે ત્યારે એના ઉચ્ચારણમાં સામાન્ય બોલનારને મુશ્કેલી પડે છે. આવે વખતે આગળ કોઈ સ્વરનો ઉપજન કે આગમ (=ઉમેરો) થાય છે. એ સ્વરની સહાયતાથી પછીના સંયુક્તાક્ષરોના ઉચ્ચારણમાં અનુકૂળતા થાય છે. આ પ્રક્રિયાને વર્ણનો ‘અગ્રાગમ’ કે ‘ઉપજન’ (Prothesis) કહે છે. એ પ્રાકૃતકાળ જેટલી જૂની છે. અર્વાચીન ભારતીય ભાષાઓમાં તો વર્ણાગમનાં સંખ્યાબંધ ઉદાહરણો મળે છે. ઉદા૰
૨૭ જુઓ: Sturtevant, op. cit., p. 94.
સં. स्त्री > પ્રા. इत्थी
સં. स्नान > હિંદી, ગુજરાતી, ઈ૰ માં ‘अस्नान’
અં. स्कूल > ગુજ. ‘ઈસ્કૂલ’ (ક્વચિત્, ‘ઈસ્કોલ’)
અં. स्टेशन > ગુજ. ‘ઈસ્ટેશન’
અં. स्क्रू > ,, ‘ઈસ્કૂ’
સ્વરભક્તિ (Anaptyxis)
કઠિન સંયુક્તાક્ષરોના ઉચ્ચારણની મુશ્કેલી નિવારવાને બે સંયુક્તાક્ષરો વચ્ચે કોઇ સ્વર કે સ્વરભાગ (= સ્વરનો અંશમાત્ર) મુકાય છે તેને સ્વરભક્તિ કહે છે. ‘સ્વરભક્તિ’ એટલે સ્વર વડે બે ધ્વનિઓનું વિભાજન (= પૃથક્કરણ)૨૮; અથવા તો સ્વરભાગ(ભક્તિ)નો જેમાં આગમ થાય છે તેવી વાગ્વ્યાપાર-પ્રક્રિયા૨૯. ઋગ્વેદ પ્રાતિશાખ્ય અનુસાર સ્વર પછી અને વ્યંજનની પૂર્વે આવતા र्કારની પહેલાં સ્વરભક્તિ(સ્વરનો ભાગ કે અંશ) ઉચ્ચારાય છે. ઉ. ત. अर्चन्तिનો ઉચ્ચાર अरिचन्ति જેવો સંભળાશે. એમાં रि નો इ-કાર અત્યંત મૃદુ કે દ્રુત સમજવાનો છે—એટલો સૂક્ષ્મ કે એની માત્રા અર્ધી કે તેથી યે ઓછી હોય, અને એથી સંયુક્ત વર્ણોનું સ્વરૂપ યથાવત્ સંયુક્ત જ લાગે.૩૦
૨૮ બે ધ્વનિઓને વિભિન્ન કરવાની વિશિષ્ટતાને અનુલક્ષીને સ્વરભક્તિની આ પ્રક્રિયાને પ્રાકૃત વૈયાકરણોએ विप्रकर्षની સંજ્ઞા આપી છે. विप्रकर्षને પાશ્ચાત્ય ભાષાશાસ્ત્રમાં Diaeresis કહે છે. ૨૯ જુઓ : મંગલદેવ શાસ્ત્રી, भाषाविज्ञान, पृ. 113 ૩૦ સરખાવો : ‘रेफात्स्वरोपहिताद् व्यञ्जनोदयाद् ऋकारवर्णा स्वरभक्तिः। स्वरभक्तिः पूर्वभागक्षराङ्गम् । द्राघीयसी सार्धमात्रा । अर्धोनान्या ।’ જુઓ : મંગળદેવ શાસ્ત્રી સંપાદિત ऋग्वेद प्रातिशाख्य पटल ६-सूत्र ४६; १-३२,३३,३५. ‘न संयोगं स्वरभक्तिर्विहन्ति’ ।(ऋग्वेद प्रातिशाख्य ६-३५).
પ્રાકૃતભાષાઓમાં આ વ્યાપાર સુપ્રચલિત છે. ઉ.ત. સંસ્કૃત પ્રાકૃત क्लिन्न किलिन्न श्री सिरी कृष्ण कसण सस्नेहा ससणेही (અપભ્રંશ) અર્વાચીન ભારતીય ભાષાઓમાં પણ સ્વરભક્તિની પ્રક્રિયા એટલી જ સુપ્રચલિત છે. પંજાબી લોકો સંસ્કૃતના સંયુક્તાક્ષરોને બહુધા સ્વરભક્તિથી જુદા પાડે છે, એટલુંજ નહીં પણ અંગ્રેજી ભાષાના શબ્દોમાં પણ યુક્ત વર્ણોને સ્વરભક્તિથી જુદા પાડે છે. ઉદા. સં. स्नान > પં. सणाण; અં. स्कूल > પં. सकूल; અં. स्टेशन > પં. सटेशन. ગુજરાતીમાં સ્વરભક્તિનો પ્રયોગ અર્વાચીન તદ્ભવ શબ્દોમાં સવિશેષ મળે છે. ઉ. ત. સંસ્કૃત ગુજરાતી(અર્વાચીન તદ્ભવ) धर्म ધરમ कर्म કરમ भक्त ભગત युक्ति જુગતી प्रसाद પરસાદ स्नान સનાન सूर्य સૂરજ तीर्थ તીરથ शागिर्द(ફારસી) સાગરીત (कोली) फ्लावर(અંગ્રેજી) ફલાવર(બોલચાલની ભાષામાં) स्लीपर (અંગ્રેજી) સલેપાટ ,,
ક્વચિત્ શબ્દની વચ્ચે નવા વ્યંજનનો પણ આગમ થયેલો મળે છે. ઉ. ત. વૈદિક सूनरी > સં. सुन्दरी સં. कोटि > ગુજ. કરોડ ,, शाप > ,, શ્રાપ (બોલચાલની ભાષામાં) ,, वानर > હિંદી बन्दर ,, पर्णकम् > ગુજ. પાંદડું
શબ્દપરિવર્તન કાળક્રમે ભાષાના ધ્વનિઓમાં જ માત્ર પરિવર્તન થાય છે એમ નહીં; ભાષાના શબ્દભંડોળમાં પણ સમય જતાં સારી પેઠે રૂપાન્તર થઈ જાય છે. નૂતન શબ્દનિર્માણ—ઘણીવાર ભાષામાં નવીન શબ્દો ઘડાય છે. ઉ. ત. અં. boycott મૂળ એક આયરીશ જમીનદારનું નામ હતું. એનો કોઈક કારણસર એના સમાજે બહિષ્કાર કરેલો, એ ઉપરથી એ શબ્દ એ પ્રકારના બહિષ્કારની ક્રિયાનો વાચક બન્યો. આજે અંગ્રેજીમાં સુપ્રચલિત gas શબ્દ ગ્રીક લૅટિન કે ગૉથિક જેવી પૂર્વકાલીન ભાષાઓમાંથી આવ્યો નથી; Van Helmont નામના એક ડચ રસાયણશાસ્ત્રીએ એ નવો જ ઘડ્યો છે.૩૧
૩૧ સરખાવો : Concise Oxford Dictionaryમાં boycott અને gas એ શબ્દોની વ્યુત્પત્તિ.
છેલ્લા મહાયુદ્ધમાં જર્મન બોમ્બરોએ ઈંગ્લાંડના Coventry નગરનો એક રાત્રીમાં સંપૂર્ણ વિનાશ કરી નાંખ્યો; એ ઉપરથી એ પ્રકારના ભીષણ નગરધ્વંસને માટે coventry શબ્દ ક્રિયાપદ રૂપે અંગ્રેજી વર્તમાનપત્રોમાં વપરાવો શરૂ થયો છે. મુસ્લિમ યુગની સંસ્કૃત રચનાઓમાં तुरुष्क (=તુર્ક), सुरत्राण (=સુલતાન); अहिमद (=અહમદ), तिमिरलिङ्ग (=તૈમુરલંગ) જેવા કેટલાયે નવીન શબ્દો ઘડાયા છે. ગુજરાતીમાં ગયા જમાનામાં પારસી વર્તમાનપત્રોએ ‘કરપીણ’( ‘ભયંકર’, ‘gruesome,’ ના અર્થમાં) શબ્દ ઘડીને પ્રચલિત કર્યો છે.૩૨ સુવિખ્યાત સંસ્કૃત કથા कादंबरी ઉપરથી મરાઠીમાં ‘કાદંબરી’ શબ્દ ‘નવલકથા’ના અર્થમાં રૂઢ થયો છે. એ પ્રમાણે મરાઠીમાં ‘સૉનેટ’ને બદલે ‘સુનીત’ શબ્દ વિદ્વાનોએ વાપર્યો છે. ગુજરાતીમાં અંગ્રેજી ‘નૉવેલ’નું ‘નવલ’, અને એ ઉપરથી ‘ટૂંકી વાર્તા’ને (નાના નૉવેલ સમી ગણીને) ‘નવલિકા’નું નામ આપવામાં આવ્યું છે. આજે વર્તમાનપત્રની કટારોમાં ‘દ્વિભાષી’ bilingual stateના અર્થમાં છૂટથી પ્રયોજાય છે, એ પણ એક નવતર સર્જન છે. અન્ય ભાષાઓમાંથી નૂતન શબ્દોનું આદાન—સંસ્કૃત ભાષાના કાળથી જ વિદેશી ભાષાઓમાંથી આવશ્યક શબ્દો ઉછીના લેવાનું શરૂ થયું છે. આ રીતે સં. जामित्र, होरा આદિ જ્યોતિષના શબ્દો ગ્રીકમાંથી, અને द्रम्म, दीनार જેવા વાણિજ્યના શબ્દો લૅટિનમાંથી, कार्षापण પ્રાચીન ફારસીમાંથી, कीचक (=વાંસ) ચીની ભાષામાંથી, उलूखल, एला (=એલચી), करीर (=વાંસ), कटु, कानन, कुटी, कुद्दाल, कुवलय, नीर, पण्डित, दण्ड, बिल्व, मुकुल, वलय, ઈત્યાદિ શબ્દો દ્રાવિડી ભાષાઓમાંથી,૩૩ અને अलाबु, उदुम्बर, कपोत, कदम्ब, गुड, जङ्घा, जम्बु, दाडिम्ब, नारिकेल, भेक, વગેરે શબ્દો મુંડા આદિ અનાર્ય ભાષાઓમાંથી૩૪ ઉછીના લેવામાં આવ્યા છે. એ વિષે ચર્ચા આગળ આવશે. અંગ્રેજીમાંથી ઉછીના લેવાયેલા અને પછી દૈનંદિન બોલચાલની ભાષામાં રૂઢ બનેલા શબ્દોની ચર્ચા આગળ આવશે.
૩૨ એ કદાચ સં. कृपणમાંથી અપભ્રષ્ટ બનીને આવ્યો હોય. ૩૩ જુઓ : ડૉ. ભોલાશંકર વ્યાસ, संस्कृतका भाषाशास्त्रीय अध्ययन, 1957, पृ,. 274, 275 ૩૪ જુઓ : એજન, पृ. 272
ગુજરાતી ભાષાએ ડુંગર, વોંકળો, રોડું, જેવા અનેક શબ્દો અનાર્ય ભાષાઓમાંથી; એલચી, બાવનાચંદન, ચોલમજીઠ, અગુરુ, ઓડ ઈ૰ શબ્દો દ્રાવિડી ભાષાઓમાંથી; અદલ, ઈન્સાફ, ઈ૰ ફારસી-અરબીમાંથી; તોપચી, ગાલીચો, ઈ૰ તુર્કીમાંથી; કપતાન, ઈસ્કોતરો, કાજૂ, આફૂસ, જેવા શબ્દો પોર્ટુગીઝ ભાષામાંથી; ખમીસ, બાંકડો, ફિરંગી ઈ૰ શબ્દો ફ્રેન્ચ ભાષામાંથી; અને ટિકિટ, માસ્તર, સ્ટેશન, બાટલી ઈ૰ અનેક શબ્દો અંગ્રેજી ભાષામાંથી; અને સુદ્ધાં, પૂરણપોળી, ઈ૰ શબ્દો મરાઠી ભાષામાંથી ઉછીના લીધા છે. એની સવિસ્તર ચર્ચા આગળ કરીશું. પ્રાચીન શબ્દોના પ્રયોગનો લોપ—સંસ્કૃત કાળથી કાળક્રમે કેટલાક જૂના શબ્દો વપરાવા બંધ પડીને એમને સ્થાને નવા શબ્દો વપરાવાના વલણનો પ્રારંભ થયેલો નજરે પડે છે. ઉ. ત. વૈદિક दर्शत (=દર્શનીય), अमूर (=બુદ્ધિમાન), अक्तु (=રાત્રિ) ઈ૰ શબ્દો લૌકિક સંસ્કૃતમાં મળતા નથી. તેવી રીતે ક્રમે ક્રમે उक्षन् ને બદલે वृषभ શબ્દનો, અને अश्व ને બદલે घोटक શબ્દનો (ગુજ. ‘ઘોડો’) પ્રચાર વધ્યો છે. એવી રીતે પ્રાકૃત-અપભ્રંશમાં અને તે પછી જૂની ગુજરાતીમાં છૂટથી પ્રયોજાતા શબ્દો પછીના કાળમાં લુપ્ત થયા છે, અથવા તો અન્ય અર્થમાં પ્રયોજાતા થયા છે. જેમકે જૂની ગુજ. पेखणउ (‘નાટક’, ‘ગીત-નૃત્યનો સમારંભ’), रालगुन (=‘રાજકુલ’, ‘રાજમહેલ’) ઇ૰ શબ્દોનો પ્રયોગ અર્વાચીન ગુજરાતીમાંથી બિલકુલ લુપ્ત થઈ ગયો છે, અને लगी (= ‘થી’) જેવા કેટલાક શબ્દોનો અર્થ ફરી ગયો છે. (અર્વા. ગુજ.માં ‘લગી’ = સુધી’). સાદૃશ્યમૂલક શબ્દઘટના (Analogic Creation) ઉપર દર્શાવ્યા ઉપરાંત સાદૃશ્યવ્યાપારથી પણ કોઈ કોઈ વાર નૂતન શબ્દો ઘડાય છે. આ ક્રિયા અત્યંત સાહજિકપણે થતી હોય છે. પાશ્ચાત્ય ભાષાવૈજ્ઞાનિકોએ આનાં કેટલાંક નોંધપાત્ર ઉદાહરણોની ચર્ચા કરી છે. ઉ. ત. સ્તુર્તવાઁના એક પુત્રને કાનમાં દુખવા આવ્યું, એથી ડૉક્ટરે એનો કાન પિચકારી મારીને (irrigated) સાફ કર્યો. ત્યારે કોઈએ પૂછતાં એણે કહ્યું કે ‘I have been irrigated.’ પછી એક વાર એને નાકમાં કાંઇક દર્દ ઊપડી આવ્યું તેથી એના નાકમાં પિચકારી મારવી પડી. એ વખતે એણે પોતાના અનુભવનું બ્યાન આપતાં કોઈને કહ્યું : ‘I have been nosigated’.૩૫ અહીં એ બાળકે ડૉક્ટરે અગાઉ વાપરેલા irrigate એ પારિભાષિક શબ્દનો મનમાં ear સાથે સંબંધ કલ્પી લઇને (કારણ કે irrigateનો પૂર્વાંશ ear જેવો સંભળાવાની શક્યતા છે), એના સાદૃશ્યથી nose ઉપરથી એણે nosigate શબ્દ ઉપજાવી કાઢ્યો. અર્થાત્, એણે આવું શબ્દસમીકરણ કર્યું : ear : irrigated = nose : nosigated. બીજા એક ઉદાહરણમાં એક માણસે પોતાના નાના પુત્રને ચાર ચારની હારમાં ઊડતાં વિમાનો બતાવીને કહ્યું : ‘That is a formation.’ પછી પાછળ બે વિમાનો આવતાં હતાં એ જોઈને એ બાળક તરત બોલી ઊઠ્યો, “There is a twomation.”૩૬ અહીં બાળકના મનમાં four : formation = two : twomation એવું સમીકરણ રચાયું છે.
૩૫ જુઓ : E. H. Sturtevant, An Introduction to Linguistic Science, p. 97. ૩૬ જુઓ: Sturtevant, op. cit., p. 98. આમ ધ્વનિસાદૃશ્યને કારણે બાળકે શબ્દને બીજી રીતે, જો કે સંદર્ભમાં બરાબર બંધ બેસે તે પ્રકારે, ઘટાવ્યાનો એક દાખલો મને સ્મરણમાં છે. અમારી મોટેરાંઓની વાતચીતમાં ‘નિર્વિવાદ’ શબ્દ(‘ચોક્કસ’, ‘સાચું’ એ અર્થસંદર્ભમાં વપરાયેલો) સાંભળીને મારા (પાંચેક વર્ષની ઉંમરના) પુત્રે એનો અર્થ = ‘નિરવી વાત’ (= સાચી વાત’) એવી રીતે ઘટાવ્યો. પછી એક દિવસે કોઈ ચોક્કસ બાબત સંબંધે બોલતાં એ કહે, “મોટાભાઈ, એ ‘વાત નિરવી’ છે.” અહીં ‘નિર્વિવાદ’ (હકીકત) = ‘સાચી વાત,’ ∴ ‘નિરવી’= ‘સાચી’ – એવું સમીકરણ એના મનમાં રચાયું હશે એમ સમજાય છે.
આવું એક નૂતન શબ્દઘડતર મેં મારી પુત્રી (ત્યારે એ પાંચેક વર્ષની હશે) પાસેથી સાંભળ્યું હતું. ગયા મહાયુદ્ધ દરમિયાન સાકરની તંગી હતી ત્યારે એક વિદેશી સ્ટોરમાંથી હું સાકરના ઘન કકડા (sugar cubes)નું પૅકેટ લાવ્યો. એમાંથી બે કકડા મેં એને આપ્યા. થોડી વારમાં એ એની બહેનપણીઓને લઈ આવી. એ મને કહેવા લાગી કે ‘તમે ભારતીને સાકરમિંટ આપી તો અમને પણ આપો વળી.’ અહીં: * પિપર: પિંપરમીંટ = સાકર: સાકરમિંટ એવું સમીકરણ આ બાળકોએ બનાવી કાઢ્યું હતું.
મૂળ આ પ્રમાણે બનેલા શબ્દો કેવી સહજ રીતે ભાષામાં રૂઢ થઈ જાય છે તેનું ઉદાહરણ gas-light શબ્દ છે. fire-light, candle-light, lamp-light જેવા શબ્દોના સાદૃશ્યથી candle : candlelight = gas : gaslight એ રીતે શબ્દ ઘડાયો છે.૩૭
એ રીતે વૈદિક ભાષામાં सूषन् =‘પ્રસવનો અધિષ્ઠાતા દેવ’) નો ઉલ્લેખ આવે છે. (अथर्ववेद 1-11-3) √सू ઉપરથી सूषन् જેવો શબ્દ બનવો શક્ય જ નથી; વસ્તુતઃ તો એ पूषन्ના સાદૃશ્યથી સૂક્તકારે ઉપજાવી કાઢ્યો છે.૩૮
સાદૃશ્યમૂલક વાક્યઘટના
વાક્યઘટનામાં પણ કોઇક વાર આ પ્રકારની સાદૃશ્યમૂલક નવરચના નજરે પડે છે. સ્તુર્તવાઁએ આ સંબંધે નીચે પ્રમાણે ઉદાહરણ નોંધ્યું છે. I better go (I had better go નું ત્વરિતોચાર્ય, બોલચાલની ભાષાનું રૂપ) ઉપરથી એક માણસે કહ્યું “I better go now, bettern’t I?” અહીં એના મનની પશ્ચાદ્ભૂમિકામાં “I ought to go now, ought n’t I?” એ વાક્યપ્રયોગના સંસ્કાર હશે, જેના સાદૃશ્યથી ઉપર પ્રમાણેનો પ્રયોગ એનાથી થઈ ગયો. ૩૯
૩૭ જુઓ : Sturtevant, op. cit., p. 103. ૩૮ જુઓ : ડૉ. હરિવલ્લભ ચુ. ભાયાણી, ‘વાગ્વ્યાપાર,’ પૃ. ૨૮. ૩૯ જુઓ : Sturtevant, op. cit., p. 104.
ગુજરાતીમાં પણ બોલચાલની ભાષામાં ક્વચિત્ આવી સાદૃશ્યમૂલક નવરચનાઓ સાંભળવા મળે છે. જેમકે, ‘બહુ મથું તો કદાચ આ કરી શકી શકું.’ અહીં ‘બોલી શકું’ ‘કરી શકું’ ‘જઇ શકું’ જેવા સ્મૃતિમાં રહેલા અનેકાનેક પ્રયોગોના બળથી બોલનાર સહસા ‘શકી શકું’ એવો પ્રયોગ કરી નાંખે છે. બોલનારના મનમાં આવા અનેકાનેક વાક્યરચનાના એકમો સંગ્રહાયેલા હોય છે. એનો સાદૃશ્યથી પ્રયોગ કરીને માણસ પોતાના મનના ભિન્ન ભિન્ન વિચારો અભિવ્યક્ત કરવા શક્તિમાન બને છે. કોઈ કોઈ વાર ઉપરના જેવા સાદૃશ્યમૂલક નૂતન વિન્યાસના પ્રયોગો ભાષામાં રૂઢ થઈ જાય છે. ગાંધીજીએ હિંદી ભાષાના વાક્યવિન્યાસની અસરથી શુદ્ધ વર્તમાનકાળનાં રૂપો વિધ્યર્થના અર્થમાં, અને ક્રિયા–પૂર્ણતા દર્શાવતાં સંયુક્ત ક્રિયાપદનાં રૂપો ચાલુ (અપૂર્ણ) વર્તમાનકાળ દર્શાવવાને વાપર્યાં, જે હવે ગુજરાતી ભાષામાં સારી પેઠે રૂઢ થઈ ગયાં છે. ઉ. ત. ‘જેને સ્વરાજ્ય મેળવવું છે તે રેટિંયો કાંતે અને ખાદી જ પહેરે.’ ‘હું અહિંસાનું પાલન કરવા મથી રહ્યો છું.’ સુરતી બોલીમાં સંકેતાર્થનાં રૂપો (‘હું કરતે’, ‘તે જતે’), અને (અશિક્ષિત જનતાની ભાષામાં સવિશેષ પ્રચલિત) ભવિષ્યકાળના પહેલા પુરુષનાં રૂપો (‘હું જવા,’ ‘હું કરવા’ ઈ૰) ના ઘડતરમાં પણ કદાચ આગળની કોઈ પડોશી પ્રજાની બોલીના સાદૃશ્યની અસર કારણભૂત હોઈ શકે. ગુજરાતની અન્ય બોલીઓમાં આ રૂપો મળતાં નથી. સાદૃશ્યવ્યાપાર ઘણીવાર ભાષાની રૂપપ્રક્રિયા ઉપર અસર કરે છે. કેટલાંક વ્યુત્પત્તિપ્રાપ્ત રૂપોનું વૈવિધ્ય ઘટાડી નાંખી એમાં એકરૂપતા આણે છે. ઉ. ત. અંગ્રેજીમાં love (વર્તમાનકાળ) : loved (ભૂતકાળ) જેવી નવતર રૂપરચનાની અસરથી climb : climbed (જૂનું રૂપ clomb) કે show: showed (જૂનું રૂપ shown) જેવાં રૂપો અર્વાચીન અંગ્રેજીમાં પ્રચલિત બન્યાં છે. સાદૃશ્યવ્યાપારનું પ્રવર્તન વ્યવસ્થિત કે નિયમિત હોતું નથી. ક્વચિત્ ring: rang : rung જેવાં રૂપોમાં (પ્રાચીન અંગ્રેજીમાં hringan : hringde છે) બરાબર અવળી પ્રક્રિયા પ્રવર્તી છે.૪૦ ગુજરાતીમાં પણ કેટલાંક વ્યુત્પત્તિપ્રાપ્ત રૂપોમાં સાદૃશ્યને બળે આવું પરિવર્તન થયેલું જણાય છે. ઉ. ત. અપભ્રંશ કાળમાં સ્ત્રીલિંગી શબ્દોમાં પ્રથમા-દ્વિતીયા બહુવચનમાં उ પ્રત્યય લાગતો(જેમકે, ताण गणंतिए अंगुलिउ जज्जरिआउ नहेण, જુઓ सिद्धहेम. ૮-૪-૩૩૩, ૩૪૮.) જેનો અવશેષ કાઠિયાવાડી બોલીમાં ‘ગાયું’ ‘ભેંશ્યું’ ‘બાઈડીયું’ જેવા પ્રયોગોમાં મળે છે. અર્વાચીન શિષ્ટ ગુજરાતીમાં એ સ્ત્રીલિંગી રૂપો પુંલિંગી રૂપોના સાદૃશ્યથી ओ-કારાંત બની ગયાં છે: જેમકે, આંગળીઓ, ગાયો, ભેંશો, ઈ૰ કાઠિયાવાડી બોલીના ‘ત્યાં તું શું કરો છો? બારો નીકળ,’ કે ચરોતરી બોલીના ‘તું શું કરુ છુ?’ જેવા પ્રયોગોમાં વર્તમાન કાળના બીજા પુરુષ એકવચનનાં રૂપો ओ/उકારાંત છે, જ્યારે અર્વાચીન શિષ્ટ ગુજરાતીમાં વર્તમાનકાળ બીજા પુરુષ એકવચનનાં રૂપો ए-કારાંત છે.(જેમકે ‘ત્યાં તું શું કરે છે?’). કાઠિયાવાડી અને ચરોતરી બોલીના વર્તમાન બીજા પુરુષ એકવચનનાં ओ/उકારાંત રૂપોમાં વર્તમાન કે આજ્ઞાર્થ બીજા પુરુષ બહુવચનનાં उ કારાંત રૂપોનું સાદૃશ્ય કારણભૂત હોઈ શકે. એ જ પ્રમાણે અપભ્રંશનાં ભૂતકૃદંતનાં दिण्णा જેવાં ण-કાર યુક્ત રૂપો કાઠિયાવાડી બોલીમાં ભૂતકાળમાં સચવાયાં છે(ઉ. ત. ‘દેવાણું,’ ‘ખવાણું,’ ‘જવાણું,’ ઇ૰); જ્યારે શિષ્ટ ગુજરાતીમાં એને સ્થાને, य-કારવાળાં રૂપોનાં બાહુલ્યથી (‘દેવાયું,’) ‘ખવાયું,’ ‘જવાયું,’ ઇ૰) य-કારવાળાં રૂપો પ્રચલિત થયાં છે.
૪૦ જુઓ: Sturtevant, op. cit., p. 108.
શબ્દસંકર (Contamination of Words) ભાષામાં ઘણીવાર બે શબ્દોના સંમિશ્રણથી ત્રીજો શબ્દ ઘડાયેલો મળી આવે છે. અહીં મનમાં એક સાથે બે શબ્દોની સ્ફુરણા થાય છે–બંને પરિસ્થિતિના સમાન રીતે દ્યોતક હોય છે. મન પોતાના સંવેદનને અભિવ્યક્ત કરવાને આ શબ્દ વાપરવો કે પેલો એનો નિર્ણય કરી શકતું નથી. તેથી એક શબ્દનો પૂર્વાંશ અને બીજાનો ઉત્તરાંશ મળીને એક નવો જ શબ્દ ઘડાય છે અને કાલક્રમે એ પણ રૂઢ થઈ જાય છે. આ પ્રક્રિયાને શબ્દસંકર (Contamination of Words) કહે છે. છેક પ્રાકૃતોના કાળથી આ પ્રકારના શબ્દસંકરનાં ઉદાહરણો મળે છે. જેમકે, પ્રા. दिस्सइ x पेक्खइ = देक्खइ પ્રા. दुवे x उभय = दुभय સં. भूरि x भूयसी = મધ્યકાલીન ગુજ. ‘ભૂરસી’(દક્ષિણા). યેસ્પર્સને અંગ્રેજી ભાષામાં રૂઢ થયેલા આવા શબ્દસંકરોના સંખ્યાબંધ પ્રયોગો નોંધ્યા છે.૪૧ ઉ. ત. slip x glide > slide slight x tender > slender clap x crash > clash flame x glare > flare gleam x shimmer > glimmer smack x mash > smash ગુજરાતી ભાષામાં પણ આવા શબ્દસંકરોનાં ઉદાહરણો મળે છે. મેલવું x મૂકવું > મેકવું (પ્રાન્તિક બોલીમાં) ચપ્પુ x ચાકુ > ચક્કુ મિંદડી x બિલાડી > મલાડી (પ્રાન્તિક બોલીમાં)
૪૧. જુઓ : Jesperson, Language, p. 312-313.
સાંજે × સવારે (કે રાત્રે) > સાંજરે (‘સવારે’ કે ‘રાતરે’ ની અસરથી ‘સાંજ’ > ‘સાંજરે’ શબ્દ બન્યો છે.)
કેટલાંક સામાન્ય ભાષાસ્ખલનોમાં પણ શબ્દસંકરની પ્રક્રિયા નજરે પડે છે.
ફરીથી × ફરીવાર = ફરીથી વાર૪૨
એકસરખાં × સમાન = એકસમાન†૪૩
અદ્યાપિ × આજપર્યંત = અદ્યાપિપર્યંત †
બળવાન × બરછટ = બળછટ †૪૪
માદક × માર્દવ = માદવ(રસ) †
તડફડે × તલપે = તડપે †૪૫
કૂજન × ગુંજારવ = કુંજરવ †૪૬
હિંડોળે × હીંચોળવું = હીંચોળે (હીંચકતાં) †
જાદુઇ × જાદુભરી = જાદુઇભરી (સૃષ્ટિનું સર્જન) †
ઊંચો × ઉચ્ચ = ઉંચ્ચો(આદર્શ) †૪૭
સૈન્ય × સેના =(વૈશાલીની) સેના †
આમરણ × મરણાંત(સુધી) = આમરણાંત †૪૮
૪૨ સરખાવો : હ. ચુ. ભાયાણી, ‘વાગ્વ્યાપાર’, પૃ. ૭. ૪૩ આ અને આની પછીના † આવી કટારની નિશાનીવાળા શબ્દપ્રયોગો, આગળ જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થીઓના ઉત્તરપત્રોમાંથી અહીં ટાંક્યા છે. ૪૪ સમગ્ર વાક્ય : ‘એમાં નથી કલાપીની રસદીપ્તિ કે નથી ઠાકોરની બળછટ શૈલી.’ ૪૫ સમગ્ર વાક્ય : ‘પહાડોની કોતરોમાં રખડ્યા કરવા મન તડપે છે.’ ૪૬ ,, : ‘કોકિલો કેવો મીઠો કુંજરવ કરીને સ્વહૃદયને પ્રફુલ્લિત બનાવે છે.’ ૪૭ આ શબ્દસંકર ન હોય તો ભારને માટે ઉત્તરાંશ બેવડાયો છે એમ ગણાય. ૪૮ સમગ્ર વાક્ય : ‘લગ્ન એ સંસ્કાર છે, અને આમરણાંત સચવાઈ રહેવો જોઈએ.’
ઉદ્ભવવાનું x જાગી ઊઠવાનું = ઉદ્ભવી ઊઠવાનું †૪૯ અર્પવા x અર્પણ કરવા = અર્પણા †૫૦ ઉપરછલ્લો x ઉપરટપકીયો = ઉપરછલકીયો (સંપ) † ચકિત x છક = (એને) ચક (બનાવી દીધો) † પ્રેરણા (દાયક) x પ્રવેણી = પ્રેરિણી (પુસ્તક) † ઊલટું x વધારાનું = ઉલટાનું† (એ સુંદરતા વધારે છે.) મનોમન x મન:પૂત = મનો:મન † વાક્યાંશસંકર (Contamination of Phrases) કેટલીક વાર બોલનારના મનમાં બે સમાનાર્થ વાક્યખંડો (phrases) એકસાથે સ્ફુરી રહેતાં વક્તાથી અનાયાસ બંને વાક્યાંશોનો સંકર થઈ જાય છે. પ્રસિદ્ધ અમેરિકન ભાષાવૈજ્ઞાનિક સ્તુર્તવાઁએ સુવિખ્યાત લેખકોનાં લખાણોમાંથી વાક્યાંશસંકરનાં કેટલાંક ઉદાહરણો ટાંક્યાં છે.૫૧ જેમકે, (1) Why did you do that? x What did you do that for? = Why did you do that for? (2) No event is too extraordinary to be possible x No event is extraordinary enough to be impossible = No event is too extraordinary to be impossible. (Huxley) (3) No man is too big to accept the presidency x No man is big enough to decline the presidency. = No man is too big to decline the presidency (Woodrow Wilson)
૪૯ સમગ્ર વાક્ય : ‘જ્યારે વૈશાલીમાં આંતર ઘર્ષણ ઉદ્ભવી ઊઠવાનું હતું.’ ૫૦ ,, : ‘વૈશાલી માટે તે પ્રાણો અર્પણ તૈયાર હતો.’ ૫૧ જુઓ: Sturtevant, op. cit., p. 112.
આવાં ઉદાહરણોમાં ઘણીવાર સંકરપ્રક્રિયા એટલી સૂક્ષ્મ રીતે પ્રવર્તતી હોય છે કે સત્વર નજરે ચઢતી નથી. પ્રસિદ્ધ લેખકોએ આવા પ્રયોગો વારંવાર કરવાથી એ પ્રયોગો ચલણી પણ બની જાય છે. ઉ. ત.
આ વસ્તુ પ્રતિપાદિત થાય છે × આ વસ્તુનું પ્રતિપાદન થાય છે = આ વસ્તુ પ્રતિપાદન થાય છે.
એણે દૃષ્ટિપાત કર્યો x એણે દૃષ્ટિ નાખી = એણે દૃષ્ટિપાત નાખ્યો.
કન્યાએ એને વરમાળા આરોપી x કન્યાએ એને વરમાળાનું આરોપણ કર્યું = કન્યાએ એને વરમાળા આરોપણ કરી.૫૨
૫૨ જુઓ : હ. ચુ. ભાયાણી, `વાગ્વ્યાપાર’ પૃ. 8.
આવાં સંખ્યાબંધ ભ્રાન્ત વાક્યાંશસંકરનાં ઉદાહરણો વિદ્યાર્થીઓનાં લખાણોમાં નજરે પડશે. એમાં લખનારના મનમાં બે વાક્યાંશોનું અનાયાસ મિશ્રણ થઈ જાય છે. ઉ. ત. મુખ્ય સ્તંભ ઉપર કળા કરતો મોર અદ્ભુત ચિત્ર અર્પતો હતો. † (ચિત્ર રજુ કરતો હતો x શોભા અર્પતો હતો.) એના સ્થાનને ટક્કર મારે એવો કોઇ નવો કવિ નીકળી આવે.† (એને ટક્કર મારે x એના સ્થાનને ઝૂંટવી લે.) સભા જ્યાં બેસતી તે સ્થાનને ‘સંથાગાર’ નામથી ઓળખાતો. † (સ્થાનને લોકો ઓળખતા x સ્થાન ઓળખાતું) કિશોરીઓને ખાસ રખડવાનો આનંદ મળે નહીં.† (મળે નહીં x મળતો નથી.) પહેલા પ્રકરણમાં સેનાપતિ સિંહ નાયકનું ઉલ્લેખ જ આવ્યાં કરે છે.† (સિંહ નાયકનું નામ x સિંહ નાયકનો ઉલ્લેખ.) તેનામાં પુષ્કળ તાકાત ભરપૂર હતી. † (તેનામાં પુષ્કળ તાકાત ભરેલી હતી x તેનામાં તાકાત ભરપૂર હતી.) હું એનો અર્થ સારા અર્થમાં કરું છું. † (હું કરું છું × મેં કર્યો છે.) દરેક સદસ્યોને † (દરેક સદસ્યને × સર્વ સદસ્યોને) લૌકિક વ્યુત્પત્તિ (Popular Etymology) ઘણી વાર શબ્દનું મૂળ વીસરાઈ જાય છે, ત્યારે જનતા બાહ્ય સાદૃશ્યથી દોરવાઈને સમાન ધ્વનિવાળા પરંતુ વિભિન્નાર્થ શબ્દને મૂળ તરીકે કલ્પી કાઢે છે. ગુજરાતી કેટલીયે કહેવતોમાં આ પ્રમાણે બન્યું છે. કેટલાકમાં વ્યુત્પત્તિની અસર એટલી બધી પ્રબળ નીવડી છે કે મૂળ શબ્દનું સંપૂર્ણ વિસ્મરણ થયું છે અને નવીન, ભળતી જ વ્યુત્પત્તિ દ્વારા ઉદ્ભવેલો નવીન અર્થ જ માત્ર અવશિષ્ટ રહ્યો છે. કોઈક વાર આ નવા અર્થના અનુસંધાનમાં કોઈ પ્રસંગ કે કહાણી ઉપજાવી કાઢવામાં આવી હોય એમ પણ બન્યું છે. સંસ્કૃતમાં આવી વ્યુત્પત્તિઓ निरुक्तમાં તો ઠેર ઠેર છે જ, પરંતુ ‘મનુસ્મૃતિ’ તેમજ કાલિદાસનાં મહાકાવ્યોમાં પણ એ મળી આવે છે. ઉ. ત दुहिता–√दुह् ઉપરથી નીકળ્યો છે. પ્રાચીન આર્ય જીવન-પ્રણાલીમાં સૌથી સહેલું, ગાયો દોહવાનું કામ પુત્રીઓ કરતી. પછી કાળક્રમે આર્ય સંસારમાં પુત્રીઓ માટે સુપાત્ર વર શોધીને તેના વિવાહ કરવાનું મુશ્કેલ બન્યું હશે, અને તેથી પુત્રીનો જન્મ એના માતા-પિતાને ચિંતાજનક નિવડ્યો હશે, જેનું પ્રતિબિંબ નિરુક્તકારની दुहिता ની दुर्हिता (‘માબાપના હિત માટે અનિષ્ટ કે ક્લેશકર’) કે दूरे हिता (‘જેને દૂર–સાસરે—વળાવવી એ જ શ્રેયસ્કર છે’) એ વ્યુત્પત્તિઓમાં પડ્યું છે.૫૩ મનુસ્મૃતિમાં ‘જેનું मांस હું અહીં ખાઉં છું મને (मां તે (स) પરલોકમાં ખાશે’ એ રીતે मांसની વ્યુત્પત્તિ ઘટાવી છે.૫૪ કાલિદાસે रघुवंशમાં ‘राम’ની ‘राम इत्यभिरामेणवपुषा’ અને राजाની ‘राजा प्रकृतिरज्जनात्’, क्षत्र (= ક્ષત્રિય)ની क्षतात् त्रायते इति૫૫, અને कुमारसंभवમાં उमाની उ = ઓ(પાદપૂરક) + मा = ન(તપ કર)’, એવી કાલ્પનિક વ્યુત્પત્તિઓ સાધી છે.૫૬
૫૩ જુઓઃ યાસ્કપ્રણીત निरुक्त 3-4, 5. ૫૪ સરખાવો : `मां स भक्षयितामुत्र यस्य मांसमिहाद्म्यहम्। एतन्मांससम्य मांसत्वं प्रवदन्ति मनीषिणः।। - मनुस्मृति 5-55 ૫૫ જુઓ : रघुवंश 2-53; 10-67, 4-12 ૫૬ જુઓ : कुमारसंभव 1-26
અર્વાચીન ગુજરાતીમાં ‘ઉરવસી’ એ ‘ઉર્વશી,’૫૭ ‘મા શી’ (= ‘મા જેવી’) = ‘માશી,’ ‘ન નંદ’ (= ‘જે કદી ખુશ ન થાય’) = ‘નણંદ,’ ‘જમાઈને જમ બે બરાબર,’ ‘વીરલા પારલા’૫૮ (=વીરોનું પારલા) = ‘વિલેપારલે,’ ‘સંતકુંજ=સાન્ટાક્રુઝ’ ઈ૰ રૂઢ તેમજ નવ-નિર્મિત લૌકિક વ્યુત્પત્તિઓ મળે છે. આ પ્રકારની લૌકિક વ્યુત્પત્તિઓનું સૌથી ફળદ્રુપ ક્ષેત્ર કહેવતોનું છે. એમાં સંખ્યાબંધ કહેવતોમાં કોઈ શબ્દ ઘસાઈ જઈને એનું મૂળ શોધવું દુષ્કર થઈ પડે છે ત્યારે લોકમાનસ એ ઘસાયેલા શબ્દમાં બીજા સમાનધ્વનિ પરંતુ વિભિન્નાર્થ શબ્દનું આરોપણ કરે છે. તેથી કેટલીક વાર કહેવતોનો પ્રાચીન અર્થ ફરી જાય છે અને એને બદલે સંદર્ભમાં બંધ બેસે એવો પણ તદ્દન ભિન્ન અર્થ રૂઢ થાય છે. ઉ. ત. ‘ખપ તેનો સોચ નહીં’ એનો વાસ્તવિક મૂળ અર્થ છે : ‘જે વસ્તુ જોઈએ તે વિષે સોંઘામોંઘાનો કે સારાનરસાનો વિચાર (‘સોચ’) કરવાનો હોય નહીં. પરંતુ ‘સોચ’નો કેટલીક પ્રાન્તિક બોલીમાં ‘છોછ’ ઉચ્ચાર થાય છે. એ ઉપરથી એક કહેવતસંગ્રહકારે ‘છોછ’ રૂપને જ સાચું માની લઈને એનો ‘જોઈતી વસ્તુ વિષે આભડછેટ (‘છોછ’) રાખવાની ન હોય’ એવો અર્થ કર્યો છે.૫૯
૫૭ જુઓ : કે. હ. ધ્રુવ, `પરાક્રમની પ્રસાદી’, (અંક 2)
૫૮ ભારતીય સ્વાતંત્ર્યની લડતમાં મુંબઈની ચળવળોમાં પારલા અગ્રસ્થાને રહેતું તે ઉપરથી
૫૯ જુઓ : ‘કહેવતો,’ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય પ્રકાશિત, પૃ. ૧૦.
કોઈ કોઈ વાર તો કહેવતોના મૂળ શબ્દો એટલા બધા ઘસાઈ ગયા હોય છે કે એમાં બીજા શબ્દની ભ્રાન્તિ થવી તદ્દન સહજ હોય છે. ઉ. ત. ‘દયા ડાકણને ખાય’ એ જાણીતી કહેવતનો અર્થ આ પ્રમાણે સમજાવવામાં આવ્યો છે કે : ‘કોઈના ઉપર દયા કરી હોય તો તે દયા કરનાર વ્યક્તિ ડાકણ જેવી જબરી હોય તોપણ તેનો વિનાશ થાય છે.’ વસ્તુતઃ તો ‘ડાકણ’ એ ‘દયાકરણ’ (કે ‘દયાકરણહાર’) (અર્થાત્ ‘દયા કરનાર’)નું સંક્ષેપ પામેલું વિકૃત રૂપ છે. એ રીતે ગ્રહણ કરતાં કહેવતનો અર્થ (= ‘દયા કરનારને પણ દયા ઘણી વાર ખાઈ જાય છે’) કેટલો બધો સાહજિક બની જાય છે! બીજું એક ઉદાહરણ જોઈએ. ઘણાએ ‘પહેલે દહાડે પરોણો, બીજે દહાડે પઈ, ત્રીજે દહાડે રહે તેની અક્કલ ગઈ’ એ કહેવત સાંભળી હશે. એ કહેવતના મૂળમાં જ पइની ભ્રાન્ત વ્યુત્પત્તિ—‘પાઈ (કે કોડી) જેવી ક્ષુદ્ર વસ્તુ’—રહેલી છે. કહેવતનો અર્થ સ્પષ્ટ છે : ‘પહેલે દિવસે અતિથિની બરાબર, પરોણાને ઘટતી, આગતાસ્વાગતા થાય; પરંતુ બીજે દિવસે પણ જો એ રહે તો એનું મહત્ત્વ (તેમજ આદરસત્કાર) ઘટીને તદ્દન ઓછું (પાઇ જેટલું ક્ષુલ્લક) થઈ જાય. છતાં જો તે ચાલ્યો ન જતાં ત્રીજે દિવસે પણ રહે તો તેની બુદ્ધિ નાશ પામી છે એમજ સમજવું (કારણ કે, ત્રીજે દિવસે યજમાન તરફથી એટલી બધી માનહાનિ એને ભોગવવાનો અવસર આવશે.)’. અહીં पइ શબ્દની વાસ્તવિક, પ્રાચીન, વ્યુત્પત્તિ છે: સં. पथिक > પ્રા. पहिअ. એનું વિસ્મરણ થતાં, અને એની પાઈના ક્ષુદ્ર સિક્કા તરીકે ભ્રાન્તિ થવાથી, આ કહેવત ઉદ્ભવી છે. પાશ્ચાત્ય ભાષાવૈજ્ઞાનિકોએ પાશ્ચાત્ય ભાષાઓમાં પણ આવી લૌકિક વ્યુત્પત્તિઓના પ્રભાવનાં ઉદાહરણો આપ્યાં છે તેમાંથી એક લઈએ. પ્રાચીન અંગ્રેજી (Old English) Scam-faest (અર્થ `confirmed in shame, i.e. in modesty’)માંથી અર્વાચીન અંગ્રેજીના પ્રારંભે ઊતરી આવેલા shame-fast રૂપનું હવે shame-faced એમ રૂપાન્તર થયું છે. એ સાથે faceના સાહચર્યબળે એને મૂળ અર્થ, `વિવેકપરાયણ’ બદલાઈને ‘શરમજનક’, `લજ્જાસ્પદ’ નવો અર્થ ઘડાયો છે. આ પ્રકારનાં લૌકિક વ્યુત્પત્તિનાં ઉદાહરણો ફ્રેન્ચ આદિ વર્તમાન યુરોપિયન ભાષાઓમાં તેમ ગ્રીક, લૅટિન સમી પ્રાચીન ભાષાઓમાં પણ મળે છે.૬૦
નૂતન શબ્દનિર્માણ
દરેક ભાષામાં નવીન પરિસ્થિતિ કે નવીન અનુભવો વ્યક્ત કરવાને નૂતન શબ્દો ઘડાય છે. એનાં કેટલાંક ઉદાહરણો આપણે આગળ જોઈ ગયા છીએ. અહીં નૂતન શબ્દનિર્માણમાં અમેરિકન અગ્રેજી ભાષાની એક વિલક્ષણ પદ્ધતિ નોંધવી જોઈએ. અમેરિકન અંગ્રેજીમાં સંસ્થાઓના શબ્દસમૂહના આદ્યાક્ષરો લઈને એમનો એક નવીન શબ્દ બનાવવામાં આવે છે, જે પછી એ સંસ્થાનો પ્રધાનપણે અભિધાયક શબ્દ બની રહે છે. જેમકે United Nations Organization = U. N. O. (ઉચ્ચાર, `યુનો’) United Nations Educational Scientific and Cultural Organization = UNESCO (ઉચ્ચાર `યુનેસ્કો’) North Atlantic Treaty Organization = NATO (ઉચ્ચાર, `નાટો’)
૬૦ જુઓ: Sturtevant, op. cit., p. 117.
South-East Asia Treaty Organization = SEATO (ઉચ્ચાર `સિઆટો’)
Special United Nations Fund for Economic Development = SUNFED (ઉચ્ચાર, `સનફેડ’)
ક્વચિત્ આ શબ્દોના કેવળ આદ્યાક્ષરો જ નહીં પરંતુ એ દરેકનો એક એક અંશ લઈને તે જોડીને નવા શબ્દો બનાવવામાં આવે છે. ઉ.ત.
Standard Vaccum Co. = Stanvac
Montagu-Chelmsford = Montford (Reforms)
Lion-Tiger = Liger (સિંહ અને વાઘના સંકરથી નિર્માણ થયેલું પ્રાણી)
ગુજરાતીમાં પણ કેટલાક લેખકોએ જુદી જુદી પદ્ધતિએ નવીન શબ્દો ઘડવાનું વલણ દર્શાવ્યું છે, જેમાંથી કેટલાક હવે ભાષામાં રૂઢ થઈ ગયા છે.૬૧ ઉ. ત.
Anthropology = માનવવંશશાસ્ત્ર, નૃવંશવિદ્યા (દ. બા. કાલેલકર)
Sociology = સમાજશાસ્ત્ર (આ. બા. ધ્રુવ)
Aesthetics = સૌન્દર્યશાસ્ત્ર (મ. ન. દ્વિવેદી)
Chivalry = સ્ત્રીદાક્ષિણ્ય (દ. બા.); લલનાસંમાન (ન. ભો. દીવેટિયા)
Adaptation = રૂપાન્તર (ગો. મા. ત્રિપાઠી); અનુકૃતિ, ભાવાનુવાદ (દ. બા.)
Allegory = રૂપકગ્રંથિ (ન. લ. પંડ્યા)
Novel = નવલકથા (ગો. મા. ત્રિ.); નવલ (બ. ક. ઠાકોર)
Short story = નવલિકા (બ. ક. ઠા.)
Diary = વાસરિકા (વિ. ક. વૈદ્ય)
Encyclopaedia = સર્વસંગ્રહ (ન. લ.); વિશ્વકોશ (મ. સૂ. ત્રિપાઠી)
૬૧ જુઓ : વિ. મ. ભટ્ટ, `પારિભાષિક કોષ’ (પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ) 1930.
Lyric = સંગીતકાવ્ય (ન. ભો.); ઊર્મિકાવ્ય (બ. ક. ઠા.)
Opera = સંગીતનાટક (મ. ન. દ્વિવેદી); સંગીતક (દ. બા.)
Elegy = કરુણ પ્રશસ્તિ (આ બા.)
Epic = વીરરસકાવ્ય (ન. લ.)
Blank verse = અખંડ પદ્ય (અ. ફ. ખબરદાર)
Pathetic fallacy = વૃત્તિમય ભાવાભાસ (ર. મ. નીલકંઠ); અસત્ય ભાવારોપણ (ન. ભો.)
Anachronism = કાળવ્યુત્ક્રમ (ન. લ.)
Fancy = તરંગ (ર. મ.)
Classical = રૂપપ્રધાન (અ. ફ.); સ્વસ્થ (વિ. ક.); સંયમી (આ. બા.); સૌષ્ઠવપ્રિય (વિ. મ. ભટ્ટ)
Romantic = રંગપ્રધાન (અ. ફ.); મસ્ત (વિ. ક.); ઉલ્લાસી (આ બા.); કૌતુકપ્રિય (વિ. મ.)
આ સર્વ રીતે ભાષાનો નિરંતર વિકાસ થયાં જ કરે છે. એમાં ઉપર ચર્ચેલા સાદૃશ્યાદિ વ્યાપારો મહત્ત્વનો ભાગ ભજવે છે.
ભાષા એ વહેતી સરિતાના પ્રવાહ સમી છે. એક જ ભાષામાં ઐતિહાસિક કાળક્રમે ભિન્ન ભિન્ન પરિવર્તનો થતાં રહ્યાં છે, અને એ સ્વરૂપતઃ એક જ હોવા છતાં ભિન્ન ભિન્ન સમયે ઘણી વાર (પ્રાકૃત, અપભ્રંશ, ગુર્જર ભાષા ઈ.) જુદે જુદે નામે ઓળખાતી રહી છે—જેમ એક જ ગંગા નદી એના પ્રવાહ દરમિયાન ક્યાંક ભાગીરથીના, તો ક્યાંક હુગલીના, તો ક્યાંક વળી પદ્માના નામથી ઓળખાઈ છે તેમ. એક જ સમયના ગાળામાં પણ એક જ ભાષાનાં ભિન્ન ભિન્ન કથ્ય સ્વરૂપો (બોલીઓ) વિકસેલાં નજરે પડે છે, છતાં ભાષાનું તાત્ત્વિક સ્વરૂપ તો એનું એ જ અબાધિત, અપરિચ્છિન્ન રહ્યું છે. વસ્તુતઃ કથ્ય લોકબોલી એ જ ભાષાનો પરિપૂર્ણ વહેતો ઓઘ છે; ભાષાનું લિખિત રૂપ એ તો એ વિશાળ જલરાશિની ઉપરની સપાટી માત્ર છે.૬૨ એની તરંગલીલા દૃષ્ટિને મનોહર લાગે છે, છતાં ભાષાને પોતાનું લાક્ષણિક બળ અને ઊંડાણ તો કથ્ય વાણીના વહેતા વિશાળ પ્રવાહમાંથી જ પ્રાપ્ત થાય છે. એ માટે ભાષાના વૈજ્ઞાનિક અધ્યયનમાં આ કથ્ય રૂપો ઉપર પ્રધાનપણે દૃષ્ટિ રહેવી ઘટે છે.
૬૨ સરખાવો: ‘This creation of written language may be compared to the formation of a film of ice on the surface of a river.... Under the layer of ice the water continues to flow down to the plain. Should the ice break, one sees the water suddenly bubble up as it goes gushing and murmuring on its way. The written tongue is the film of ice upon its waters; the stream which still flows under the ice that imprisons it is the popular and natural language; the cold which produces the ice and would fain restrain the flood, is the stabilizing action exerted by grammarians and pedagogues, and the sun-beam which gives language its liberty is the indomitable force of life, triumphing over rules and breaking the fetters of tradition.” —Vendryes, Language, pp. 275-276.
- ↑ નોંધ:—આવી * ફુદડીની નિશાનીવાળા શબ્દો અને વાક્યો કાલ્પનિક, જો કે સંભવિત, સ્વરૂપનાં (hypothetical) સમજવાનાં છે.
- ↑ ૧ māters ghr̥dhoi es-ske-ti.
સરખાવો: S. K. Chatterjee : Indo-Aryan and Hindi, 1942, p. 4.
પ્રાકૃત-અપભ્રંશ અને અર્વાચીન ભારતીય ભાષાઓમાં પ્રચલિત घर શબ્દના મૂળ તરીકે પ્રા. ભા. યુ. *ghṛdho કરતાં પ્રા. ભા. યુ. *gwhoro વધારે શક્ય છે. (જુઓ : S. M. Katre, Formation of Konkani, Index, p. 179.) - ↑ ૨ જુઓ: સક્સેના, सामान्य भाषाविज्ञान, पृ. ૩૭.
- ↑ ૩ જુઓ: સક્સેના, सामान्य भाषाविज्ञान, पृ. ૩૮-૩૯;
મંગળદેવ શાસ્ત્રી: भाषाविज्ञान, पृ. ૧૦૬-૧૦૭. - ↑ ૪ જુઓ : સક્સેના : એજન, પૃ. ૩૯.
- ↑ ૫ આ પ્રકારનાં રૂપો સંબોધનમાં સવિશેષ વપરાય છે.
- ↑ ૬ જુઓ : સક્સેના, सामान्य भाषाविज्ञान, पृ. 43.
- ↑ ૭ જુઓ : ક. મા. મુનશી, `વેરની વસુલાત.’
- ↑ ૮ બોલચાલની ભાષામાં સાંભળેલો.
- ↑ ૯ વિદ્યાર્થીઓની બોલચાલની ભાષામાં પ્રચલિત.
- ↑ ૧૦ યુનિવર્સિટીના કર્મચારીઓમાં પ્રચલિત.
- ↑ ૧૧ સચિવાલયમાં સુપ્રચલિત. શાળાઓમાં શિક્ષકો `હેડમાસ્ટર’ને માટે પણ આ સંક્ષેપ વાપરે છે.
- ↑ ૧૨ કવિ ન્હાનાલાલનાં લખાણોમાં આ શબ્દરૂપો વાંરવાર મળે છે.
- ↑ ૧૩ સરખાવો :
`वर्णागमो वर्णविपर्ययश्च द्वौ चापरौ वर्णविकारनाशौ।
धातोस्तदर्थातिशयेन योगस्तदुच्यते पश्चविधं निरुक्त्तम्।।
— The Nirukta, Vol IV, Bibliotheca Indica, Calcutta 1891; निरुक्तालोचनम्, पृ. 7 वर्णव्यत्ययापायोपजनविकारेषु...। अपायो लोपः । ...उपजन आगमः। ...विकार आदेशः । —पतञ्जलिविरचित महाभाष्य, अध्याय १ —पाद १—आह्निक १—माहेश्वर सूत्र ५. - ↑ ૧૪ જુઓ : E. H. Sturtevant: An Introduction to Linguistic Science, p. 85.
- ↑ 16.0 16.1 16.2 ૧૫ બોલચાલની ભાષામાં.
- ↑ ૧૬ જુઓ : E. H. Sturtevant, op. cit., p. 85.
- ↑ ૧૭ જુઓ : મંગળદેવ શાસ્ત્રી, भाषाविज्ञान, પૃ. ૧૧૨.
- ↑ ૧૮ જુઓ : Sturtevant, op. cit., p. 86.