ભાષાવિજ્ઞાન/ધ્વનિલેખન – લિપિવિચાર

From Ekatra Foundation
Revision as of 11:28, 14 June 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|<small>પ્રકરણ છઠ્ઠું</small><br>ધ્વનિલેખન: લિપિવિચાર}} {{Poem2Open}} “In the growth of the spiritual human advance, that is of civilization, the origin and the development of writing hold a place of supreme importance, second only to that of the beginnings of speech as an essential means of communication within human society. Writing, an art peculiar to man, even more than speech, presup...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રકરણ છઠ્ઠું
ધ્વનિલેખન: લિપિવિચાર

“In the growth of the spiritual human advance, that is of civilization, the origin and the development of writing hold a place of supreme importance, second only to that of the beginnings of speech as an essential means of communication within human society. Writing, an art peculiar to man, even more than speech, presupposes language, of which it is in some sense a refinement. Wherever there has been civilization there have been writing and reading, in the remote past as in the present day. Written language has become the vehicle of civilisation, and so of learning and education.”

— David Diringer, The Alphabet


અત્યંત પુરાતન પ્રાગૈતિહાસિક કાળમાં માનવને લેખનની કે અન્ય કોઈ પ્રકારની નોંધ રાખવાની આવશ્યકતા વરતાઈ નહોતી. માનવ ભાગ્યે જ પોતાના વતનની સીમામાંથી બહાર જવાની હિંમત કરતો. પોતાના અનુભવો એ પોતાનાં સંતાનોને કહેતો, જે તેઓ સ્મૃતિમાં યાદ રાખી લેતાં. તીવ્ર યાદશક્તિવાળા કથકો (કે ગાયકો) કોઈ વિશિષ્ટ વિધિઓને પ્રસંગે ટોળી (tribe) ની યશગાથાઓ સંભળાવતા. સ્મૃતિને ટેકો આપવાને તેઓએ લય કે ઢાળનો ઉપયોગ કર્યો હશે. આવા કથકો કે ગાયકોએ લેખનકળાની શોધ પહેલાં ઐતિહાસિક કથાઓ અને અન્ય વૃત્તાન્તના જ્ઞાનનો પ્રસાર કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. બાઈબલનો ‘જૂનો કરાર’, હોમરનાં ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’, ભારતનાં रामायण અને महाभारत લિખિત સ્વરૂપ પામતાં પહેલાં સેંકડો વર્ષ સુધી આવા ગાયકોની સ્મૃતિમાં સંગ્રહાયાં હશે. આવી રચનાઓએ કાળે કરીને પ્રજાઓનું ઘડતર કર્યું.

પ્રાગૈતિહાસિક સ્મૃતિસહાયક રચનાઓ

લગભગ ઇ.સ.પૂર્વેની ચોથી સહસ્ત્રાબ્દિની અધવચથી, અર્થાત્ ઇ.સ.પૂ. ૩૫૦૦ પછી, લેખનપદ્ધતિનો ઉદય થયાના પુરાવા ઉપલબ્ધ થાય છે.૧[1]

સ્મૃતિ ઉપર આધાર રાખવાનું જ્યારે મુશ્કેલ જણાયું ત્યારે આદિમ માનવે કાપા પાડેલી નિશાનીઓવાળી લાકડીઓ કે ગાંઠો પાડેલી દોરીઓ જેવાં સાધનોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આદિમ ઑસ્ટ્રેલિયનોની સંદેશવાહક લાકડીઓ (Message-sticks)૨[2] માં આંકા પાડેલા હોય છે, જે વડે માહિતી કે હુકમ – જે કોઇક વાર તો બહુજ ઝીણવટતાભરેલા હોય છે – મોકલવામાં આવે છે. આ પ્રકારના સંદેશાઓ નિષ્ણાત સંદેશવાહક જ સમજાવી શકે. એમાંના આંકા વિચારોની સંખ્યા તેમજ ક્રમ સૂચવતા હોય છે, પરંતુ એ પ્રત્યક્ષ રૂપે વિચાર દર્શાવતા હોતા નથી. આંકાના સંકેત મોકલનાર અને ગ્રહણ કરનારને વિદિત છે માટે જ આ પ્રકારનું સંદેશવહન શક્ય બને છે.

આ જ કક્ષાના પેરુના ‘કુઇપુ’ (Quipu) અને ઇરોકવાના વામ્પુમ (Wampums) છે. કુઈપુમાં ભિન્ન ભિન્ન રંગના ઊનના ધાગાની દોરીઓમાં જુદી જુદી ઊંચાઇએ વિશિષ્ટ પ્રકારની ગાંઠો મારેલી હોય છે. એમાં રંગોવાળા ધાગાઓની વિશિષ્ટ પ્રકારની મેળવણીથી અને ગાંઠોનાં સ્થાન અને જાડાઇ વડે તેમજ દોરીઓ અમુક વિશિષ્ટ પદ્ધતિએ બાંધવાથી અમુક પ્રકારોના વિચારોને સાંકેતિત કરવામાં (represent symbolically) આવતા હોય છે. વામ્પુમ એ છીપના ખંડો (sections of shells) જોડીને બનાવેલી પટ્ટીઓ (bands) હોય છે, જેમાં શુક્તિખંડો અમુક યોજના અનુસાર ગોઠવવામાં આવ્યા હોય છે, જે એકત્ર થતાં સમગ્રમાંથી એક ભૌમિતિક આકૃતિ બની રહેતી હોય છે. આવા કેટલાક વામ્પુમ છ થી સાત હજાર છીપખંડોના બનેલા હોય છે. સૌથી લાંબા વામ્પુમમાં ૪૯ પટ્ટીઓ છે. વામ્પુમ અને કુઇપો બન્ને માત્ર ‘સ્મૃતિસહાયક રચનાઓ’ (Mnemonic contrivances) છે; એને કોઈપણ પ્રકારની લેખન-રીતિ ગણાવી શકાય તેમ નથી.

પેન સુલેહ–પટ (Penn Treaty Belt) એ વામ્પુમ દ્વારા ચિત્રાંકનનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. લેનિ–લેનેપ (Leni–Lenape) ટોળીના મુખીઓએ વિલિયમ પેન (William Penn) ની સાથે ઇ. સ. ૧૬૮૨માં સુલેહ કરી ત્યારે એના સ્મારક તરીકે એ આપેલું હતું. એમાં એક ગોરા માનવીની અને એક (રેડ) ઇન્ડિયનની આકૃતિઓ ભરેલી છે. મૈત્રીના પ્રતીક રૂપે એમણે હસ્તધુનન કર્યું છે. ગોરા માનવીને માથે હૅટ છે. આ શાંતિના સુલેહકરારનો કદીયે ભંગ થયો નહોતો.

પ્રાગૈતિહાસિક પ્રાકૃતિક ચિત્રો

લેખનનો ઉદ્ભવ ચિત્રાલેખનમાંથી થયો છે.૩[3] આદિ માનવ ફુરસદના સમયમાં આસપાસનાં પ્રકૃતિનાં દૃશ્યોનું આલેખન કરતો. અત્યંત પુરાતન કાળમાં મધ્ય યુરોપની ગુફાઓમાં વસતા અશ્મયુગીન માનવે (Palaeolithic man) શીતપ્રદેશના આદિમ હાથી (mammoth), વાળવાળા ગેંડા, પાડા (bison) અને જંગલી સાંઢનાં ગુફાઓની ભીંત ઉપર આલેખેલાં રંગીન માટી કે વનસ્પતિના રંગોથી રંગેલાં ચિત્રો સુપ્રસિદ્ધ છે.૪[4] આ ચિત્રોના આલેખનમાં પ્રકૃતિદર્શનથી આદિમાનવમનમાં ઉદ્ભવેલી અજ્ઞેય–પૂજાની ભાવના (mysticism) કારણભૂત હશે તેમ એક પ્રકારનું, (તેને પ્રાણીઓના) શિકારમાં સફળતા અપાવનારું, એક જાદુ પણ ગણાતું હશે. આ ચિત્રલેખનમાંથી કાળક્રમે વિકાસ પામતાં પામતાં લેખનકળાનો ઉદય થયો હશે એ નિશ્ચિત છે.

આ પ્રાકૃતિક ચિત્રો જ્યારે ચિત્રો મટીને તે તે પદાર્થોના સંકેત રૂપ ગણાવા લાગ્યાં ત્યારે લેખનના વિકાસમાં એક મહત્ત્વનું સોપાન સર થયું અને એક પ્રકારની સંકેતભાષાનો ઉદ્ભવ થયો. પ્રાગૈતિહાસિક કાળમાં સ્પેન, પોર્ટુગલ અને ઇટાલીમાંથી પથ્થર ઉપર આલેખાયેલાં કે કોતરાયેલાં સંકેતાત્મક ચિત્રો (conventionalised figures) કે ભૌમિતિક આકૃતિઓ (geometric signs) ઈ૰ મળી આવ્યાં છે, તેવી જ રીતે ગ્રીસ પાસેના ક્રીટ અને મિસરમાંથી ચણતરમાં (masonry) તેમજ માટીનાં વાસણો (pottery) ઉપર ભૌમિતિક આકૃતિઓ અતિ પુરાતન સમયની–પ્રાગૈતિહાસિક કાળની–મળી આવી છે.૫[5] ઉત્તર આફ્રિકાના અને સ્કેન્ડિનેવિયાના પર્વતોની ગુફાઓમાં શિલાચિત્રો (rock paintings) માં આવી પ્રાગૈતિહાસિક કાળની સંકેતાત્મક ચિત્રાકૃતિઓ (conventionalised figures) મળી આવી છે.૬[6] અમેરિકાની આદિમ જાતિઓ પણ આ પ્રકારના ચિત્ર-સંકેતો હજી પણ વાપરે છે.

લેખનકલાના વિકાસમાં ત્રણ કક્ષાઓ (stages) મળે છે: ચિત્રાંકન કે ચિત્રલેખન લિપિ (pictographic writing), જેમાં પ્રાકૃતિક પદાર્થોનાં ચિત્રો દ્વારા એમના એકત્રિત સમગ્ર રૂપમાંથી કોઈ વિચાર કે સંદેશ કે કથા પ્રગટ થાય છે; વિચારસંકેત કે શબ્દસંકેત લિપિ (ideographic writing), જેમાં મૂળ ચિત્રોમાંથી વિકાસ પામેલા સંકેતો વડે વિચાર કે પદાર્થ વ્યક્ત થાય છે; અને ધ્વન્યાત્મક લિપિ (phonetic writing), જેમાં ભિન્ન ભિન્ન મૂળાક્ષરો વડે (જે મૂળ તો ચિત્રાત્મક સંકેતોનાં અતિ સરલીકૃત રૂપો છે) ભિન્ન ભિન્ન ધ્વનિઓ દર્શાવાય છે. પ્રત્યેક મૂળાક્ષર એક એક ધ્વનિનું ચિહ્ન છે.

ચિત્રલેખન લિપિ (Pictography; Picture-writing)

લેખનની આ સૌથી પુરાતન કે આદિમ (primitive) કક્ષા છે. આદિમ સમાજની સંસ્કૃતિનો ક્રમિક વિકાસ થતાં, જુદી જુદી ટોળીઓ કે જાતિઓ પરસ્પરના સંપર્કમાં આવતાં, જીવન વધારે સંકુલ બનતાં, કેવળ મૌખિક વાણી વિચારના વાહન તરીકે અપર્યાપ્ત લાગવા માંડી હશે. ત્યારે યુદ્ધમાં તેમજ સ્વરક્ષણ માટે ભિન્ન ભિન્ન જાતિઓ સમજી શકે એવી કોઈ ચેષ્ટાઓ કે હાથની જુદી જુદી મુદ્રાઓની બનેલી સંકેતભાષા યોજવી પડી હશે, જે સુલેહના કરાર કરવા માટે કે સંમેલનો ભરવામાં અત્યંત ઉપયોગી થઈ હશે. ઉ. ત. હાથની પહેલી બે આંગળીઓ વારાફરતી હલાવીને ચાલવાની ક્રિયા, કે માથું નમાવીને ઊંઘવાની ક્રિયા, અર્થાત્ રાત્રિ, દર્શાવી શકાય. કાળક્રમે આ સંજ્ઞાઓ ચિત્રાકારે આલેખવામાં આવી. ત્યારે સૂર્યની આકૃતિ ‘એક દિવસ’, ચંદ્રની આકૃતિ ‘એક માસ’, મનુષ્યના પગની આકૃતિ ‘ચાલવાની ક્રિયા’, નમાવેલા માથાની બાજુએ અડકાડેલો હાથ ‘ઊંઘ’, કે મુખ ‘બોલવાની ક્રિયા’ સૂચવતી હશે. આ સર્વમાં ઘણું અધૂરાપણું હતું. એ સમગ્ર ચિત્રપટ કોઈ એક વિચારનું સૂચન કરતો; એનાં જુદાં જુદાં અંગઉપાંગ માટે હજી કોઈ ધ્વનિસંજ્ઞાઓ બની નહોતી.૭[7] ચિત્રલેખનપદ્ધતિમાં ચિત્રિત પદાર્થો કરતાં એ સર્વના સમવાયમાંથી નિષ્પન્ન થતા અર્થનું સૂચન સવિશેષપણે પ્રધાન રહેતું. કોઈક વાર સમગ્ર ચિત્રપટમાંથી ઘણા અર્થ ઘટી શકતા; તો ક્વચિત્ એનો કોઈ અર્થ તદ્દન વિસરાઈ ગયો હોય એવું પણ બનતું. આ સ્થિતિ એ લેખનના વિકાસમાં કેવળ એક શિશુઅવસ્થા હતી; જે જાતિઓ એમાંથી આગળ વધીને મીસરવાસીઓ કે બેબિલોનિયનોની માફક વ્યવસ્થિત લેખનપદ્ધતિ વિકસાવી શકી નહિ, એમનો સાંસ્કૃતિક વિકાસ અટકી ગયો. ચિત્રલેખનપદ્ધતિનાં અનેક અતિ પુરાતન ઉદાહરણો મળે છે. મિસર, મેસોપોટેમિયા, ફિનિશિયા, ક્રીટ, સ્પેન, દક્ષિણ ફ્રાન્સ અને બીજા ઘણા દેશોના પ્રાગૈતિહાસિક નિવાસીઓ એમની સંસ્કૃતિના આદિમ કાળે ચિત્રલેખનપદ્ધતિનો ઉપયોગ કરતા. આજે મધ્ય આફ્રિકા, ઉત્તર અમેરિકા, અને ઓસ્ટ્રેલિયાની કેટલીક આદિમ જાતિઓમાં લેખનની આ જ પદ્ધતિ પ્રચલિત છે.૮[8] ઝાડની છાલ ઉપર, લાકડાની તખતીઓ ઉપર, પ્રાણીઓનાં ચામડાં ઉપર, હાડકાં કે હાથીદાંત ઉપર, અને પહાડોની શિલાઓ ઉપર આ પ્રકારનું ચિત્રલેખન થયેલું મળે છે.

ચિત્રલેખનલિપિનું નીચેનું ઉદાહરણ જુઓ. એમાં બેરિંગ સમુદ્રને કાંઠે વસતા એક એસ્કિમોએ શિકારે જતાં પહેલાં એક લાકડાની તખતી ઉપર પોતાના પ્રવાસકાર્યક્રમની ચિત્રાંકિત નોંધ (pictographic note) આલેખીને પોતાના નિવાસસ્થાન(ઈગુલુ)ના બારણા પાસે પોતાના મિત્રો કે સંબંધીઓની જાણ માટે તરત નજરે ચડે તેવી જગાએ મૂકી છે. એની બોલીમાં આ ચિત્રનોંધ આ રીતે વંચાય : “હું ત્યાં તે (જગ્યાએ) જાઉં છું, (હોડીને લઈને), ને તે ટાપુ ઉપર એક સૂઈશ (અર્થાત્, એક રાત રહીશ); પછી બીજા ટાપુ ઉપર જાઉં ને બે સૂઈશ (=બે રાત ગાળીશ). એક સીલનો શિકાર કરીશ. પછી પાછો આવીશ મારે રહેઠાણે.”૯[9]

આકૃતિ ૪ થી (ચિત્રલેખનનો નમૂનો) બીજું ચિત્રાંકન એક સંકુલ વિચારોવાળી અરજી છે, જે લેક સુપિરિયરના ચિપ્પેવા ઇન્ડિયન જાતિના (Chippewa Indian) પ્રતિનિધિમંડળે અમેરિકાની (યુનાઈટેડ સ્ટેટ્સની) સરકારને ૧૮૪૯માં પેશ કરી હતી. ઝાડની સફેદ છાલનાં પાંચ પૃષ્ઠ ઉપર પ્રતિનિધિમંડળના જાતિસંકેત (totem) આલેખ્યા છે. નીચેના ચિત્રમાં એનું પહેલું પૃષ્ઠ દર્શાવ્યું છે. એમાં ટોળીનો મુખી એ પ્રતિનિધિમંડળનો આગેવાન છે. એ બગલા જાતિ (‘Osh cabawis’ tribe = crane clan)નો છે. એની પછીના ત્રણ સભ્યો (Marten clan)ના છે. એ પછી રીંછ જાતિ, (Bear clan), મનુમત્સ્ય જાતિ (Manfish clan), અને માર્જારમત્સ્ય જાતિ (Catfish clan) ના સભ્યો છે. મુખીની આંખમાંથી અને હૃદયમાંથી રેખાઓ અન્ય સભ્યોની આંખ અને હૃદયને સ્પર્શેલી છે; એ દૃષ્ટિ (=વિચારો)ની સમાનતા અને લાગણીની સમાનતા કે હાર્દિક એકતા સૂચવે છે. મુખીની આંખમાંથી આગળ નીકળતી રેખા આગળ જઈને યુનાઈટેડ સ્ટેટ્સ કૉંગ્રેસના પ્રમુખ પોલ્ક (Polk) ની આંખ સુધી પહોંચે છે. મુખીની આંખમાંથી નીકળતી બીજી એક રેખા પાછળ નાનાં સરોવરોને અડકે છે. એ સરોવરોમાં માછલાં પકડવાના એમને હક જોઇએ છે, જે આ અરજીનો મુખ્ય ઉદ્દેશ છે. પ્રતિનિધિમંડળની નીચેની લાંબી સમાન્તર રેખાઓ સુપિરિયર સરોવર (Lake Superior) દર્શાવે છે. એમાંથી નીચેની બાજુએ જતી બે નાની સમાન્તર રેખાઓ લેક સુપિરિયરના દક્ષિણ કિનારે આવેલાં ગામડાંઓ ને સરોવરોનું સૂચન કરે છે, જ્યાં આ પ્રતિનિધિમંડળની જાતિઓ સ્થિર થઈ વસવાને ઇચ્છે છે.૧૦[10] સુવિકસિત ચિત્રાંકનલેખનપદ્ધતિનું આ એક અત્યુત્કૃષ્ટ ઉદાહરણ છે.

આકૃતિ ૫મી (ચિપ્પેવા ઇન્ડિયનોની અમેરિકાના પ્રમુખને અરજી)



આ ચિત્રાંકનલિપિ લેખનની આદિમ કક્ષાની સૂચક છે. હજારો વર્ષ પૂર્વે ઇજિપ્તના પ્રાગૈતિહાસિક નિવાસીઓએ આ પ્રકારની ચિત્રાંકન-લિપિનો ઉપયોગ કરવાનો પ્રારંભ કર્યો હશે એમ માનવું સયુક્તિક છે. વિચારસંકેતલિપિ (Ideographic writing)) ચિત્રાંકનલિપિ (picture-writing)નો વિકાસ થતાં એમાંથી વિચારસંકેતલિપિનો ઉદ્ભવ થયો. ચિત્રાંકનલિપિમાં ભિન્ન ભિન્ન પદાર્થોનું આલેખન એ ઉદ્દેશ નહોતો, એ સમગ્ર પદાર્થસમવાયમાંથી સાહચર્યબળે (association) નિષ્પન્ન થતા કોઈ અભિપ્રેત વિચાર સૂચવવા તરફ એની દૃષ્ટિ હતી. એમાં ચિત્રો વડે કોઈ શબ્દ વ્યક્ત થતો નહોતો; ચિત્રોનું ધ્વન્યાત્મક મૂલ્ય નહોતું. પછી જેમ જેમ વિચાર-વિનિમયનું ક્ષેત્ર વ્યાપક બનતું ગયું તેમ તેમ પદાર્થસમવાયને બદલે અલગ અલગ પદાર્થોનાં ચિત્ર તે તે પદાર્થની સંજ્ઞા રૂપે આલેખાવાં લાગ્યાં. પછી ધીમે ધીમે એ વાસ્તવિક મટીને સરલ (simplified) અને સંકેતરૂપનાં (conventionalised) બન્યાં. આ પ્રકારના સંકેતોને વિચારસંકેત (ideographs; symlols representing ideas) કહે છે.૧૧[11] એમાં વિકાસ થતાં પ્રત્યેક સંકેત તે તે પદાર્થના નામોનો દ્યોતક બની રહે છે. અતિ પુરાતન ઇજિપ્તની ‘હાઇરોગ્લાઇફ’ લિપિ (hieroglyphic writing; = ચિત્રસંકેતલિપિ) ને એના જેવી જ પણ સ્વતંત્ર સુમેરિયન લેખનપદ્ધતિ અને તેમાંથી કાળક્રમે વિકસેલી પ્રાચીન બેબિલોનિયન અને ઍસિરિયન કીલાકૃતિ લિપિ (cuneiform writing),૧૨[12] અને ચીનની ચિત્રલિપિ આ પ્રકારની વિચારસંકેતલિપિનાં લાક્ષણિક ઉદાહરણો છે.૧૩[13] આદિમ જાતિઓની પુરાતન ચિત્રાંકનલિપિમાંથી કાળક્રમે વિચારસંકેતોનો ઉદ્ભવ થયાનાં ઉદાહરણો મળે છે. સાદા વિચારસંકેતો ઘણી પુરાતન લેખનપદ્ધતિઓમાં લગભગ એકસરખા હોય છે. પૃથ્વીને દૂર દૂરને છેડે ઉદય પામીને વિકસેલી પુરાતન (તેમ આદિમ) જાતિઓની લેખનરીતિમાં વિચાર-સંકેતો એકબીજાને પુષ્કળ મળતા આવે એ જેમ કુતૂહલજનક છે તેમ ભાષાની ઉત્પત્તિની સમાન પ્રણાલિકાનું પણ નિદર્શક છે. સામેના પૃષ્ઠ ઉપર ભિન્ન ભિન્ન વિચારસંકેતાત્મક ભાષાઓના થોડાક વિચારસંકેતોની સરખામણી કરી છે તે જુઓ. એ સંકેતો તે તે પુરાતન દેશોની પ્રાચીનતમ લેખનરીતિમાંથી ઉતાર્યા છે.૧૪[14] ઉત્તરકાલીન સમયમાં એમાં અસાધારણ રૂપાન્તર થઈ ગયું હોય છે. એનું મુખ્ય કારણ છે લેખનસામગ્રીને (ચીની લેખનમાં પીંછી, એસિરિયન કીલકાકૃતિલેખનમાં માટીની તખતી ને લોખંડની લેખિની-stylus) અનુકૂલ રેખાંકનપદ્ધતિ અને લેખનત્વરા.



આકૃતિ ૬ઠ્ઠી


નીચે પ્રાચીન ચીની વિચારસંકેતોને અર્વાચીન ચીની ભાષાના સંકેતો સાથે સરખાવ્યા છે તે જુઓ.૧૫[15]


આકૃતિ ૭ મી એવું જ અસાધારણ રૂપાંતર પુરાતન સુમેરિયન (= પુરાતન મેસોપોટેમિયન) ચિત્રસંકેતલિપિમાંથી વિકસેલા ઉત્તરકાલીન એસીરિયન કીલકાકૃતિ સંકેતોમાં નજરે પડે છે.૧૬[16]




આકૃતિ 8 મી પ્રાગૈતિહાસિક માનવે ઉપર દર્શાવ્યા પ્રમાણે વિચારસંકેતો પ્રથમ પ્રાકૃતિક પદાર્થો ઉપરથી બનાવ્યા હતા. પછી ક્રિયાઓ દર્શાવવાને એણે માનવશરીરનાં અંગોનાં ચિત્રો આલેખ્યાં – ચાલવાની ક્રિયા માટે પગનું ચિત્ર, જોવાની ક્રિયા માટે આંખનું ચિત્ર, રુદન માટે આંસુ ટપકતી આંખનું ચિત્ર, ઈ૰. આ ચિત્રો પ્રતીકરૂપનાં (symbolic) હતાં. પછી એણે વિચારો વ્યક્ત કરવાને અમુક વિશિષ્ટ ગુણવાળા પદાર્થોનાં ચિત્રો આલેખ્યાં; જેમકે, શક્તિ દર્શાવવાને હાથનું ચિત્ર, વિવેકદર્શન (judgment) માટે આંખનું ચિત્ર ઈ૰. આ રીતે વિચારસંકેત દ્વારા એક વિચારવિનિમયનું માધ્યમ નિર્માણ થયું. ભિન્ન ભિન્ન ભાષાઓ બોલનાર માણસો એ ગ્રહણ કરી શકતા, એ એની એક નોંધપાત્ર વિશેષતા હતી. એ નૌકાસૈન્યની સંકેતભાષા (code of signals)ની માફક સીધા વિચારો જ દર્શાવતા, એના ધ્વનિઓ નહિ. એથી મૂર્ત વિચારો–પક્ષીઓ, પ્રાણીઓ, પ્રકૃતિના પદાર્થો ઈ૰.–દર્શાવવામાં તો કશી મુશ્કેલી જ નહોતી. પણ એનાથી અમૂર્ત વિચારો–ઉ. ત. શક્તિ, સામર્થ્ય, સંપત્તિ, ન્યાય, ઈ૰–દર્શાવવાનું અશક્યવત્ હતું. ઉપરાંત આ સંકેતો ભાષાનું અતિ પ્રાથમિક રૂપનું વ્યાકરણ–નામ અને ક્રિયાપદ, નામનાં જાતિવચન, ક્રિયાપદના કાળ અને અર્થ, વિવિધ પદોના પરસ્પર સંબંધ, ઈ૰ – દર્શાવવા માટે પણ સર્વથા અસમર્થ હતા. જેમાં પદક્રમ (word-order) વડે પદનું સ્વરૂપ વ્યક્ત થતું હોય એવી ચીની જેવી કેવળ અન્વયાનુસારિણી ભાષાનું કામ કદાચ આનાથી નભી રહે, પરંતુ એ સિવાય કોઈ પણ પ્રત્યયાત્મિકા ભાષા માટે વિચારસંકેતલિપિ અપર્યાપ્ત હતી. ચીની ભાષામાં પણ પૂર્ણ વિચાર-સંકેતોની (full signs) સાથે કેટલાક રિક્ત સંકેતો (empty signs) ઉમેરાયા. પૂર્ણ સંકેત સાથે ખાલી સંકેત જોડવાથી પૂર્ણ સંકેતનું પદસ્વરૂપ તેમજ અન્ય પદો સાથેનો એનો સંબંધ સુનિશ્ચિત થતો. બીજી ગંભીર મુશ્કેલી સંજ્ઞાઓના બાહુલ્યની હતી. પ્રત્યેક વિચાર માટે જુદા જુદા સંકેતો જેમાં હોય એવી લેખનરીતિવાળી ભાષામાં અગણિત સંકેતો સંભવે. ચીની ભાષામાં આશરે ૪૫૦૦૦ સંકેતો છે, જેમાંથી વિદ્વાનો આશરે ૯૦૦૦ જેટલા સંકેતો વાપરે છે.૧૭[17] આમાં કેટલી અપરંપાર મુશ્કેલી પડે અને સમયનો કેટલો દુર્વ્યય થાય! કેટલાં વર્ષો સુધી સંકેતો શીખે ત્યારે વિદ્યાર્થીને સાહિત્ય બરાબર અવગત થાય! ચીનમાં સૈકાઓ સુધી અજ્ઞાનતા અને સંપૂર્ણ કે આંશિક નિરક્ષરતા રહી તેનું કારણ આ જ છે.૧૮[18]


આ સર્વ અપૂર્ણતાઓને કારણે, તેમ સ્વાભાવિક ઉત્ક્રાન્તિક્રમ અનુસાર લાંબા વખત સુધી કોઈ૫ણ લેખનપદ્ધતિ કેવળ વિચારસંકેત-મૂલક (ideographic) રહી નથી. ચીની ભાષામાં રિક્ત સંજ્ઞાઓ પદોનો વાક્યગત (morphological) અર્થ દર્શાવવાને ઉમેરાઈ હતી એ આપણે જોઈ ગયા. ઇજિપ્તની હાઇરોગ્લાઇફ અને પ્રાચીન મેસોપોટેમિયાની વિચાર-સંકેતચિત્રલિપિ મૂળ વિચારસંકેતલિપિમાંથી વિકાસ પામતાં પામતાં ધ્વન્યાત્મક બનતી ગઈ. આજે એના જે ઐતિહાસિક નમૂનાઓ આપણને મળી આવ્યા છે તે વસ્તુતઃ અંશતઃ વિચારસંકેત રૂપના અને અંશતઃ ધ્વનિસંકેત રૂપના છે. મનુષ્યની સાહજિક માનસપ્રક્રિયાઓથી આ પરિણામ આવ્યું છે. ધ્વન્યાત્મક ભાષા શ્રાવ્ય રૂપે પ્રત્યેક જાતિને અતિ પુરાતન પ્રાગૈતિહાસિક કાળથી પ્રાપ્ત થઈ જ હતી. પ્રત્યેક પદાર્થનું ભાષામાં ધ્વન્યાત્મક નામ તો હતું જ. લેખનમાં ચિત્ર રૂપે એ પદાર્થ અંકિત થતાં ચિત્ર એ પદાર્થના નામથી ઓળખાવા લાગ્યું. પછી તો એ નામ ચિત્રની–જે ક્રમે ક્રમે સરલીકૃત સંકેત રૂપ બની ગયું હતું–એક ધ્વન્યાત્મક સંજ્ઞા બની રહી, અને એ ધ્વનિસમૂહની લેખનસંજ્ઞા તે ચિત્રસંકેત બન્યો. આમાંથી ધ્વન્યાત્મક લેખનપદ્ધતિ (phonetic writing) નો પ્રારંભ થયો.૧૯[19] ભાષાના ધ્વનિઓનું આ રીતે સંજ્ઞાઓ દ્વારા આલેખન એ માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં એક મહત્ત્વનું પુરસ્ક્રમ (=આગળ પગલું) હતું.૨૦[20] થોડાંક ઉદાહરણોથી આ કથન સ્પષ્ટતર થશે. ઇજિપ્તની પ્રાચીન ચિત્રલિપિમાં(hieroglyph) એ માનવમુખ(ro)ની, એ સિંહ(labo) ની, એ ગોકળગાય(fent)ની, એ પગ(bu) ની, એ પાણીની(nu), એ સૂર્ય(zst)ની સંજ્ઞા હતી. પુરાતન ઇજિપ્તની


ધ્વન્યાત્મક ભાષામાં મુખનું નામ(ro), સિંહનું નામ(labo), ઈo (ઉપર કૌંસમાં દર્શાવ્યા મુજબ) નામ હતાં. ક્રમશઃ એ ro [કે hr] ધ્વનિનું, અને એ[labo] ધ્વનિનું લેખનપ્રતીક બની રહ્યું. ઇજિપ્તની હાઈરોગ્લાઈફ પદ્ધતિ (=ચિત્રાલેખન પદ્ધતિ) – ઈ. સ. પૂ. ૩૪૦૦ – ૨૪૭૫ સુધી ચાલુ રહી. ધાર્મિક રચનાઓની ગુપ્તતા જાળવવાની દૃષ્ટિથી આ પદ્ધતિનું પુરોહિતોએ નિર્માણ કર્યું હતું. એમાંથી પછી પેપિરસનો ઉપયોગ થતાં એ માટે અનુકૂળ ઝડપી, વર્તુલાકૃતિ અક્ષરોવાળી, સરલરૂપની, હિએરેટિક (Hieratic) પદ્ધતિ (ઇ. સ. પૂ. ૨૧૬૦ – ૧૭૮૮) વિકસાવી. એમનું ચિત્રાકૃતિઓ સાથે સામ્ય રહેતું નહોતું. પથ્થરો ઉપર હાઈરોગ્લાઇફિક લખાતી અને પેપિરસ (papyrus) ઉપર હિએરેટિક પદ્ધતિનો ઉપયોગ થતો. પછીના કાળમાં એનું પણ પુનઃ સંસ્કરણ થયું, જે પછી ધાર્મિકેતર (non-religious) – બહુધા વેપારઉદ્યોગ નિમિત્તનાં–લખાણમાં વપરાવી શરૂ થઈ. (ઇ. સ. પૂ. ૧૫૮૦ બાદ). એને ડિમોટિક (Demotic) પદ્ધતિ કહે છે.૨૧[21]



‘રેબસ’ (Rebus) કે ચિત્રધ્વનિસંકેત વિચારસંકેત (ideograph) માંથી મૂળાક્ષરો (alphabets) વિકસતાં વચ્ચે ‘રેબસ’ કે ચિત્રધ્વનિસંકેતની એક સ્થિતિ આવી હોવાનો સંપૂર્ણ સંભવ છે. ચિત્રો દ્વારા – એ ચિત્રોનાં નામના ધ્વનિઓ દ્વારા – કોઈ વ્યક્તિનું નામ કે કોઈ શબ્દ દર્શાવાય તેને ‘રેબસ’ કહે છે.૨૨[22] ‘રેબસ’માં જે ચિત્રો આલેખેલાં હોય છે એ તે તે પદાર્થ વ્યક્ત કરવાને માટે નહિ પરંતુ એ પદાર્થોના નામના ધ્વનિ વ્યક્ત કરવાને માટે આલેખાયેલાં હોય છે. ઉ. ત. મધ્યયુગીન ઈંગ્લૅન્ડમાં એક વખતે વ્યક્તિઓનાં કુલનામ (surname) દર્શાવવાને ‘રેબસ’નો પુષ્કળ ઉપયોગ થતો. ઑક્સફર્ડ (Oxford) વિશ્વ-વિદ્યાલયની પરિચાયક સંજ્ઞા (coat of arms) માં બળદ(ox) ને નદીના છીછરા ઉતરાણ (ford) માંથી પસાર થતો દર્શાવેલો મળે છે. આપણી ભાષામાં ‘સૂર્ય’ અને ‘મલ’નાં ચિત્રો સાથે મૂકીને ‘સૂરજમલ’, અને ‘ફણસ’ અને ‘હાથ’નાં ચિત્રો સાથે મૂકીને ‘ફણસીકર’ નામ વ્યક્ત કરી શકાય. આથી લાંબાં, લગભગ વાક્ય જેવડાં, ‘રેબસ્ર’ પણ બની શકે. ઉ. ત. I can not fly – એ વાક્ય નીચેના રેબસ વડે વ્યક્ત કરી શકાય.


આકૃતિ ૯ મી આમ catastrophy શબ્દ ‘રેબસ’ માં દર્શાવવો હોય તો cat ass અને trophy નાં ચિત્રો સાથે મૂકીને દર્શાવી શકાય.૨૩[23] “કાતરિયું ગેપ” નામનું એક ગુજરાતી અગંભીર રમૂજી પત્ર પોતાનું શીર્ષક મુખપત્ર ઉપર ‘રેબસ’ થી વ્યક્ત કરતું જાણ્યું છે. ઉ. ત. ‘કાતર’, U, ગૅપ. ‘રેબસ’નો ઉપયોગ વર્તમાનપત્રોની જાહેરખબરોમાં સવિશેષ થાય છે.



અતિ પુરાતન સમયમાં, લેખનકળાના ઉષઃકાળે, ‘રેબસ’નો ઉપયોગ થયાંનાં ઉદાહરણ મળે છે. ઉ. ત. ઈજિપ્તની હાઈરોગ્લાઇફિક લિપિમાં ટૉલેમી પંદરમાના ઉત્કીર્ણ લેખમાં (lapis lazuli = એક પ્રકારનું ચકચકિત ભૂરું pigment), જેનું પ્રાચીન ઇજિપ્શ્યન ભાષામાં ‘ખેસ્તેબ્’ (Khesteb) નામ હતું, તે માણસને એક ડુક્કરને પૂંછડેથી પકડીને અટકાવી રાખતો દર્શાવતા ચિત્ર વડે વ્યક્ત કર્યું છે. પુરાતન ઇજિપ્શ્યન ભાષામાં ‘ખેસ્પ’ (khesf) નો અર્થ થતો ‘અટકાવવું’, અને ‘ટેબ’ (teb) નો અર્થ હતો ‘ડુક્કર’. અટકાવેલા ડુક્કરના ચિત્રના ધ્વનિઓ જોડીને એમાં khesteb (=ભૂરો રંગ) શબ્દ વ્યક્ત કર્યો છે.૨૪ ‘રેબસ’ આમ અક્ષરાત્મક લેખન (syllabic writing) નું પૂર્વરૂપ બની રહે છે.


આકૃતિ ૧૦ મી

૨૪ જુઓઃ Thompson, op. cit., p. 32

‘રેબસ’માંથી મૂળાક્ષરમાં પરિવર્તન થવું સહજ હતું. ભાષાવિકાસના સાહજિક ક્રમે ચિત્રસંકેતમાંથી ધ્વનિસંકેતમાં રૂપાંતર થયું હશે એમ સમજી શકાય છે. જે ચિત્રસંકેત પ્રથમ પદાર્થનું(સમગ્ર) નામ વ્યક્ત કરતો હતો, તે પછી કાળક્રમે એ નામના ધ્વનિઓમાંથી પ્રથમ ધ્વનિનો નિર્દેશ કરતો થઈ ગયો. ઉ. ત. પુરાતન ઇજિપ્શ્યન હાઈરોગ્લાઇફમાં સિંહનો ચિત્રસંકેત પ્રથમ ‘labo’ નામ વ્યક્ત કરતો, એ પછી માત્ર ‘l’ વ્યક્ત કરતો થઈ ગયો; મુખનો સંકેત ‘ro’ નામ વ્યક્ત કરતો એ પછી માત્ર r નો સંકેત બની રહ્યો. આ કેવી રીતે બન્યું એનો બાળકોની મૂળાક્ષરો શીખવાની રીત ઉપરથી ખ્યાલ આવશે. મૂળાક્ષરોનો ચિત્રપટ જોતાં જોતાં બાળક શીખે છે — ‘તરવાર’નો ‘ત’, ‘કરવત’નો ‘ક’, ‘મરચાં’નો ‘મ’, અને સાથે સાથે તે તે અક્ષરની આકૃતિ પણ ધ્યાનમાં રાખતું જાય છે. આ જ રીતે પુરાતન કાળમાં ચિત્રસંકેત એ શબ્દના સમગ્ર ધ્વનિસમુદાયને બદલે એના આદ્ય ધ્વનિના પ્રતીકરૂપ બની ગયો, જેનાં અનેક ઉદાહરણો મળે છે. ઉ.ત. નીચેની તખતી, કાર્ટૂશ (cartouche), જુઓ. એમાં રાણી કલીઓપૅટ્રા (Kleopatra)નું નામ હાઇરોગ્લાઇફ લિપિમાં મૂળાક્ષરો દ્વારા લખેલું છે. એમાં પ્રથમ ગોળચતુર્થાંશ (quadrant) K સૂચવે છે; સિંહ L વ્યક્ત કરે છે; બરુ (reed) I (=અંગ્રેજી E) દર્શાવે છે; ગાંઠ વાળેલું દોરડું Oનું અને આડો પડદો Pનું પ્રતીક છે; ગરુડ A, હાથ T, મુખ R અને પછીની ગરુડ આકૃતિ A દર્શાવે છે. ઈંડાંની આકૃતિ આ નારી જાતિનું નામ છે એમ સૂચવે છે. એની પછીની મૂર્તિ આ વ્યક્તિ દેવકોટિની છે એમ દર્શાવે છે.૨૫

૨૫ જુઓઃ Thompson, op. cit., p. 11


આકૃતિ ૧૧મી આ ધ્વન્યાત્મક લેખનની કેટલીક ગંભીર મર્યાદાઓ હતી. સંકેતો ગમે તેટલા હોય તોપણ તેની સંખ્યા પરિમિત જ હોય, જ્યારે વિચારો અપરિમિત છે. એથી એક જ સંજ્ઞા દ્વારા અનેક વિચારો દર્શાવવા આવશ્યક થઈ પડે છે. ઉ.ત. પુરાતન કીલાકૃતિ લેખનમાં ગોળ આકૃતિ (disc) માત્ર ‘સૂર્ય’ જ નહિ, પણ સાથે સાથે ‘પ્રકાશ’, ‘દિવસ’, ‘ધવલતા’નું પ્રતીક છે. હાઇરોગ્લાઈફ ચિત્રસંકેતોમાં આંખનું ચિત્ર ‘આંખ’ ઉપરાંત ‘દૃષ્ટિ’, ‘જ્ઞાન’, ઈ૰ વિચારો દર્શાવે છે. તે ભાષાઓમાં આ વિચારોનાં ધ્વન્યાત્મક (શ્રાવ્ય) નામ જુદાં જુદાં છે. એથી ઉપરનાં પ્રતીકોને એની મુખ્ય ધ્વનિસંજ્ઞાઓ (phonetic value) ઉપરાંત બીજી અનેક નવી ધ્વનિસંજ્ઞાઓ પ્રાપ્ત થાય છે. ક્યુનીફૉર્મ લેખનમાં એક જ લેખનસંજ્ઞા ૧૫ થી ૨૦ જેટલા ભિન્ન ભિન્ન ધ્વનિઓ વ્યક્ત કરે છે. આ સંજ્ઞાને બહુધ્વનિ (polyphone) સંજ્ઞા કહે છે.૨૬ એથી ઊલટું દરેક ભાષામાં એવા શબ્દો મળે છે કે જેના ધ્વનિ સમાન હોવા છતાં એના અર્થ જુદા જુદા હોય.૨૭ આવા શબ્દો માટે ચિત્રસંકેતલિપિમાં સ્વાભાવિક રીતેજ અલગ અલગ ચિત્રસંકેત હોય. એ પછીથી ધ્વન્યાત્મક બનતાં એક જ ધ્વનિ માટે સંખ્યાબંધ સંકેત નિર્માણ થાય. આ રીતે ઇજિપ્શ્યન હાઇરોગ્લાઇફમાં M ને માટે સંખ્યાબંધ સંકેતો, A માટે ૨૦ સંકેતો, H ને માટે ૩૦ સંકેતો હતા. એમાંના કેટલાક નીચેની પેનલમાં દર્શાવ્યા છે. પ્રાચીન ઇજિપ્શ્યનમાં આ પ્રકારના બધા મળીને ૬૦૦ ઉપરાંત સંકેતો હતા.


૨૬ આપણી લિપિમાંથી સરખામણી માટે આવાં વિરલ ઉદાહરણો આપી શકાય તેમ છે. ઉ.ત. દેવનાગરીમાં ख એ ‘ખ’ તેમજ र+व ધ્વનિ દર્શાવે છે. ગુજરાતી લિપિમાં ૨ એ ‘બે’નો અંક અને ‘र’, ૫ એ ‘પાંચ’નો અંક અને ‘प’, ૦ શૂન્ય તેમજ અનુસ્વાર દર્શાવે છે. આથી કોઈક વાર પુરાતન ઉત્કીર્ણ લેખો કે પ્રાચીન હસ્તપ્રતો ઊકેલતાં મુશ્કેલી અનુભવાય છે.

ક્યુનિફૉર્મ (કીલાકૃતિ) લેખનમાં tou એ ધ્વનિ (વર્ણ) માટે જુદી જુદી સત્તર લેખનસંજ્ઞાઓ હતી.૨૮ એક જ ધ્વનિ માટે અનેક લેખનસંજ્ઞાઓ હોય તેમને ‘સમધ્વનિ’ (સંજ્ઞાઓ) (homophones) કહે છે. એસિરિયનોએ ક્યુનિફૉર્મ સંજ્ઞાઓની બહુધ્વનિતાની અગવડ દૂર કરવાને કેટલીક ધ્વનિસંજ્ઞાઓ (phonetic signs) ઉમેરી. કોઈ શબ્દનો સંકેત પ્રચલિત ક્યુનિફૉર્મમાં લખીને અભિપ્રેત ઉચ્ચાર નિશ્ચિતપણે વ્યક્ત કરવાને છેલ્લો વર્ણ (syllable) ધ્વન્યાનુસારી રીતે (phonetically) લખવાનો શરૂ કર્યો. આ શબ્દસંકેત અને ધ્વન્યાનુસારી પદ્ધતિનું મિશ્રણ એસિરિયન લેખનપદ્ધતિની લાક્ષણિક વિશિષ્ટતા હતી.

૨૭ ગુજરાતી ભાષામાંથી ઉદાહરણ લઇએ તો ‘ગાય’ (cow), અને ‘ગાય’ (sing); ‘પરૉણો’ (a goad), અને ‘પરૉણો’ (a guest); ‘રાઈ’ (mustard), અને ‘રાય’ (a king); ‘ભાંડ’ (a caste of that name, ઉ. ત. ‘ભાંડભવૈયા’) અને ‘ભાંડ’ (absue), ઈ૰ શબ્દયુગ્મોમાં ધ્વનિ સમાન છે છતાં અર્થ કેવળ ભિન્ન છે. ૨૮ જુઓઃ Vendryes, op. cit., p. 324

અનેક શબ્દોની સમધ્વનિતા એ વિચારસંકેતપ્રધાન લેખનપદ્ધતિની બીજી ગંભીર અપૂર્ણતા હતી. એ દૂર કરવાને નિર્દેશક નિશાનીઓ (keys) વપરાવી શરૂ થઈ. ધ્વન્યાત્મક સંકેત લખીને એની પછી આવી નિર્દેશક નિશાની જોડાતી જેથી એ ધ્વન્યાત્મક સંજ્ઞાનો કયો વિશિષ્ટ અર્થ ઉદ્દિષ્ટ છે એ નક્કી થતું. ઉ. ત. નીચેના ઇજિપ્શ્યન હાઇરોગ્લાઇફની પ્રથમ બે સંજ્ઞાઓ મૂળાક્ષર રૂપની (alphabetic) (A B) છે. એના ઘણા અર્થોમાંથી એક અર્થ થાય છે ‘તરસ’. એ બે ધ્વનિઓનો એ જ માત્ર એક અર્થ ઉદ્દિષ્ટ છે એમ દર્શાવવા લેખકે પછી બે ચિત્રસંકેતો આલેખ્યા છે. પહેલો સંકેત ‘પાણી’નો સૂચક છે, બીજામાં પોતાના મુખ તરફ નિર્દેશ કરતા મનુષ્યની આકૃતિ છે. બન્ને એકત્ર થઇને ‘પાણીની તરસ’ સૂચવે છે, જે પુરાતન ઇજિપ્શ્યન ભાષામાં AB નો એક અર્થ છે, અને અહીં લેખનતત્ત્વમાં અભિપ્રેત છે.

આકૃતિ ૧૩ મી ચીની ભાષામાં ચિત્રસંકેતલિપિની અગવડ દૂર કરવાને ધ્વન્યાત્મક સંકેત (phonetic ideogram)ની સાથે કેટલાક નિર્દેશક (ચિહ્નો) (exponents; radicals) જોડવામાં આવે છે, જેના વડે શબ્દનો અમુક જ અર્થ અભિપ્રેત છે એમ નિશ્ચિતપણે દર્શાવાય છે. અગાઉ તો આવા અસંખ્ય નિર્દેશકો (radicals) વપરાતા; ઇ. સ. ૧૬૧૬ માં એમની સંખ્યા મર્યાદિત કરીને બસોચૌદ વાપરવાની પ્રણાલિકા શરૂ થઈ. આવી નિર્દેશક (radical) સંજ્ઞાઓને ચીની ભાષામાં pu કહે છે, જે ‘પ્રકાર’ (sort) કે ‘વર્ગ’ (class) દર્શાવે છે. આમ ચીની ભાષામાં બે તત્ત્વોનો સંયોગ થયો છે — ધ્વન્યાત્મક તત્ત્વ, જેમાં ધ્વન્યાત્મક બનેલા શબ્દસંકેત વડે શબ્દના ધ્વનિ (syllabic sound) વ્યક્ત થાય છે, અને બીજા નિર્દેશકો (radicals) જેના વડે શબ્દનો ઉદ્દિષ્ટ અર્થ સુનિશ્ચિત થાય છે. અહીં ચીની ભાષા એક જ વર્ણવાળા શબ્દોની બનેલી હતી, જ્યારે પ્રાચીન ઇજિપ્શ્યન અને એસિરિયન આદિ ભાષાઓ પ્રત્યયાત્મિકા હોઈ ઘણા વર્ણવાળા શબ્દોની બનેલી હતી, એટલું સ્મરણમાં રાખવું ઘટે છે. ક્યુનિફૉર્મ લિપિ ઉત્તરકાળમાં અક્ષરાત્મક (syllabic) લિપિ બની ગઈ અને એમાં દરાયસ(Darius)ના પ્રાચીન ઇરાનિયન ઉત્કીર્ણલેખો કોતરાયેલા છે. શબ્દસંકેતમૂલક (ideographic) લિપિઓમાં કીલાકૃતિ સૌથી ઓછી જીવંત લિપિ હતી. એનો ઝડપથી લોપ થયો અને એને સ્થાને સર્વત્ર ધ્વન્યાત્મક લિપિઓએ, વિશેષતઃ તો ફિનિશ્યન (Phoenician) લિપિમાંથી પ્રકટેલી એરેમેઈક (Aramaic) લિપિ, વપરાવી શરૂ થઈ ગઈ.૨૯ વર્ણમાલા (=વ્યંજનાત્મક અક્ષરમાલા; Syllabary) એ લેખનપદ્ધતિની ઉત્ક્રાન્તિમાં તરત પછીનું પગલું હતું. આપણે આગળ જોઈ ગયા કે કેટલાક ઇજિપ્શ્યન હાઇરોગ્લાઇફ (તેમજ ઉત્તરકાલીન હાયરેટિક) સંકેતો એક જ (વ્યંજનાત્મક) વર્ણના નિર્દેશક હતા. એનો ઉપયોગ કરતી વખતે એની સાથે મળેલા સ્વરની ઉપેક્ષા કરવામાં આવતી. એથી જેમાં સમાન વ્યંજન હોય, પરંતુ સાથેના સ્વરો ભિન્ન હોવાને કારણે ધ્વન્યાત્મક મૂલ્યમાં ફરક પડતો હોય તો તેવો ગૂંચવાડો દૂર કરવાને વર્ણસંજ્ઞા સાથે શબ્દસંકેત જોડીને સ્પષ્ટીકરણ કરવામાં આવતું હતું. આવા માત્ર એક જ વ્યંજનાત્મક વર્ણ દર્શાવતા હોય એવા સંકેતો પુરાતન ઇજિપ્શ્યન ભાષામાં બધા મળીને ૨૪ હતા. અતિ પ્રાચીન કાળમાં, ઈ. સ. પૂર્વે ૧૫૦૦ની યે પહેલાં, સેમિટિક (Semitic) ભાષાઓ બોલનાર પ્રજાઓને ઇજિપ્શ્યન લેખનપદ્ધતિનો પરિચય થયો.૩૦ એમણે પોતાની ભાષાના લેખન માટે આ સૌથી સાદી ૨૪ ઇજિપ્શ્યન સંજ્ઞાઓ સ્વીકારીને બાકીની વધારાની અનેક સંજ્ઞાઓ છોડી દીધી. સેમિટિક ભાષામાં ધાતુ કે શબ્દ-મૂળ માત્ર વ્યંજનો વડે દર્શાવાય છે. એથી શબ્દસ્વરૂપમાં શંકા પડે ત્યાં વાક્યના સંદર્ભ ઉપરથી અર્થ નિશ્ચિત કરવામાં આવે છે.

૨૯ જુઓ: Vendryes, op. cit., p. 326. ૩૦ પ્રો. ફિલન્ડર્સ પેત્રિએ (Prof. Flinders Petrie) ને ઇજિપ્તમાંથી ખોદકામ કરતાં સંખ્યાબંધ ભૌમિતિક અને ચિત્રરૂપના સંકેતો પ્રાપ્ત થયા છે, જેનો સમય ઈ. સ. પૂર્વે ૬૦૦૦ થી ઈ. સ. પૂર્વે ૧૨૦૦ સુધીનો સંભવે છે. એમાંથી કેટલાક સંકેતો ઉત્તરકાલીન સેમેટિક સંકેતોને એટલા બધા મળતા આવે છે કે આ પુરાતન સંકેતમાલા (ancient signary) માંથી સેમિટિક વર્ણમાલાનો ઉદ્ભવ થયો હોય એ સંભવ અવગણી શકાય તેવો નથી. સેમિટિક વર્ણમાલા ઉપર ક્રીટ, સાયપ્રસ, મેસોપોટેમિયા અને ઇજિપ્તના પ્રાચીન સંકેતોની સ્પષ્ટ અસર અવશ્ય વરતાય છે. સરખાવો : “The characters of the first Semitic alphabets may have been adopted equally from the hieroglyphs or the widely used linear signs of the ancient signary.” — Thompson, op. cit., p. 36

આ પ્રકારની સેમિટિક લેખનપદ્ધતિનું પ્રાચીનતમ ઉદાહરણ સિનાઈ ઉત્કીર્ણ લેખો (Sinai Inscriptions) છે, જેમનો સમય આશરે ઇ. સ. પૂર્વે ૧૮૦૦–૧૫૦૦ સુધીનો છે. એનાં બે સ્વરૂપ છે : એક દક્ષિણ સેમિટિક પદ્ધતિ, જેમાંથી વર્તમાન એથિયોપિયન વર્ણમાલા નીકળી છે; બીજી છે ઉત્તર સેમિટિક પદ્ધતિ જે ફિનિશ્યન (Phoenician), હિબ્રૂ (Hebrew) અને એરેમિયન (Aramean) લોકો વાપરતા હતા. એરેમિયન લોકોની એરેમેઈક (Aramaic) લેખનપદ્ધતિમાંથી વર્તમાન હિબ્રૂ, સિરિયન અને વર્તમાન અરબી પદ્ધતિને ઉદ્ગમ છે. આ ઉત્તર સેમિટિક લેખનપદ્ધતિ એશિયા અને યુરોપમાં – બેશક ઘણાં રૂપાંતરો સાથે – પ્રસરેલી છે.૩૧ એમાંથી પછી ગ્રીક અને એટ્રુસ્કન (–જેમાંથી પછી રોમન વર્ણમાલા નીકળી) વર્ણમાલાનો વિકાસ થયો. ભારતીય વર્ણમાલાનો થોડોક અંશ એરેમેઈકમાંથી, અને પ્રધાન અંશ ફિનિશ્યન લેખનપદ્ધતિમાંથી આવ્યો છે એમ ઘણા તદ્વિદો માને છે.

૩૧ જુઓ: Bloomfield, Language., pp. 288-289.

આ રીતે ચિત્રસંકેતમાંથી, સેમિટિક વર્ણમાલા (syllabary) દ્વારા ફિનિશ્યન લિપિ નીકળી એ ઉત્તરકાલીન લિપિઓના અક્ષરોના સેમિટિક નામોથી સૂચવાય છે. ઉ ત. ગ્રીક લિપિના આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા એ સંજ્ઞાઓ ગ્રીકમાં કોઈ અર્થ વ્યક્ત કરતી નથી; એ સેમિટિક ભાષાના Aleph (= બળદ), Beth (= ઘર), Gimel (= ઊંટ), Daleth (= દ્વાર), Zayin (= શસ્ત્ર)નાં રૂપાન્તર માત્ર છે. સેમિટિક ભાષાઓમાં આ સંજ્ઞા ઉક્ત તે તે પદાર્થના ચિત્રસંકેતમાંથી ઊતરી આવી છે.

આકૃતિ ૧૪ મી આ લિપિ-પ્રયોજક ફિનિશ્યન લોકોનું ભૂમધ્ય સમુદ્રને પૂર્વ કિનારે નિવાસસ્થાન હતું. એની પાછળ લેબેનોન(Lebanon) પર્વત આવેલો હતો. યહૂદીઓ (Israelites) સાથે તેઓનો જાતિસંબંધ હતો (racially allied). પશ્ચિમ અને પૂર્વના દેશો સાથે એમનો ધીકતો વેપાર ચાલતો. સમુદ્રપર્યટન માટે તેઓ મશહૂર હતા. તે કાળના સમગ્ર સભ્ય જગત સાથે તેમનો સંબંધ હતો. ઈ. સ. પૂ. ૧૬૦૦ થી ૬૦૦ સુધી આ પ્રજાનું ઔદ્યોગિક વર્ચસ્વ રહ્યું. એમણે આસપાસની (ઇજિપ્શ્યન, ઇજિયન, આદિ) પ્રજાઓ પાસેથી મૂળાક્ષરો અપનાવ્યા. એમાંના વધારાના ઘણા નકામા સંકેતો એમણે છોડી દીધા. પોતે હોશિયાર કારીગર હોઈ બાકીનાની આકૃતિઓ સંસ્કારીને સરળ બનાવી. આ રીતે એમણે નિર્માણ કરેલી વર્ણમાલા૩૨ પોતાની સાથે સંપર્કવાળા દેશોમાં પ્રસારી. પાશ્ચાત્ય સંસ્કૃતિ ઉપર ફિનિશ્યન પ્રજાની પુષ્કળ અસર પડી. ફિનિશ્યન વર્ણમાલાના બે પ્રકાર હતા – મોએબાઈટ (Moabite) (ઈ.સ. પૂ. ૯ મી સદી), અને સિડોનિઅન (Sidonian) (ઈ.સ. પૂ. ૬ ઠ્ઠી સદી). મોએબાઈટ સ્વરૂપમાંથી ગ્રીક વર્ણમાલાનો ઉદય થયો.૩૩ આ સેમિટિક વર્ણમાલા (syllabary) માં સંયુક્ત વ્યંજન નથી. જેમાં પદસ્વરૂપથી વ્યંજન સાથે રહેલો સ્વર ગ્રહણ કરી શકાય છે એવી સેમિટિક વર્ગની ભાષાઓને માટે એ અનુકૂળ છે.૩૪ એ ભાષાઓમાં સ્વરસંજ્ઞા પછીથી મોડે મોડે ઉમેરાઈ. એસિરિયન ક્યુનિફૉર્મ લિપિ છેવટે લગભગ વર્ણમાલા રૂપ બની ગઈ હતી. સાયપ્રસની પુરાતન લિપિ વર્ણાત્મક (syllabic) છે. પૂર્વમાં, જાપાની ભાષા ચીની ભાષાના સંકેતોમાંથી ૪૭ પ્રાથમિક સંજ્ઞાઓ સ્વીકારીને વર્ણમાલા વડે લેખન કરે છે.

૩૨ ફિનિશ્યન લોકોએ વર્ણમાલાના કેટલાક અક્ષરોનો સંખ્યા તરીકે ઉપયોગ શરૂ કર્યો (ઉ.ત. A=1, E=5, P=100, O=500) એ અહીં નોંધવું ઘટે છે. સરખાવો : Thompson op. cit., p. 42. ૩૩ ફિનિશ્યન લોકોએ ગ્રીસમાં ઈ. સ. પૂર્વે ૧૨૦૦ માં ઉપનિવેશો સ્થાપ્યા હતા. ઉપરાંત, ગ્રીકોનો પૂર્વની પ્રજાઓ સાથે તેમજ ઇજિપ્ત સાથે સંપર્ક હતો. ગ્રીકોએ પોતે આ અક્ષરોને ફિનિશ્યન કહ્યા છે. જુઓ : Thompson, op. cit., P 50. ૩૪ ઉ.ત. આવી વર્ણઘટક લિપિમાં fa-mi-ly જેવો શબ્દ ત્રણ વ્યંજન- સંકેતોથી દર્શાવવામાં મુશ્કેલી ન પડે (એના અંતર્ગત સ્વરો કલ્પી લઈ શકાય), પરંતુ strength જેવો ઘણા વ્યંજનસંયોગવાળો શબ્દ બનાવતાં ખરેખરી મુશ્કેલી પડે. એ Se-te-re-ne-ge-the એમ (વ્યંજન) સંયોગોથી દર્શાવતાં ખૂબ અપૂર્ણતા અને અસ્પષ્ટતા રહી જાય. — જુઓ: Diringer, op. cit., pp. 36-37.


ધ્વન્યાત્મક લેખનપદ્ધતિ (The Alphabet) ધ્વન્યાત્મક લેખનપદ્ધતિ એ લેખનની સૌથી સુવિકસિત પદ્ધતિ છે. આજે સભ્ય જગત(civilized peoples)માં એનો ઉપયોગ લગભગ સાર્વત્રિક છે. ચિત્રલેખનમાંથી ક્રમે ક્રમે વિકાસ પામતાં પામતાં પાંચ કક્ષાઓ પસાર કરીને ધ્વન્યાત્મક વર્ણમાલાનો ઉદય થયો છે. (૧) પ્રથમ તો ચિત્રો સરલીકૃત (simplified) અને સંકેતરૂપ ( conventionalised) બન્યાં. (૨) એ પછી એ ચિત્રસંકેતો કેવળ સામાન્ય મનોગત વિચાર વ્યક્ત કરવાને બદલે તે તે પદાર્થોના ધ્વન્યાત્મક નામોના પ્રતીક રૂપ બન્યાં — અર્થાત્, એ સંકેતોને ધ્વન્યાત્મક મૂલ્ય પ્રાપ્ત થયું. (૩) ત્યારબાદ, એમાંથી કેટલાક સંકેતો સમગ્ર શબ્દને બદલે એક એક વ્યંજન વ્યક્ત કરતા થઈ ગયા. (૪) પછી તો એ અલગ અલગ વ્યંજનનાં પ્રતીકો જ અવશિષ્ટ રહ્યાં, બાકીની શબ્દધ્વનિસંજ્ઞાઓ કાલગ્રસ્ત થઈ ગઈ. (૫) આ રીતે ઉદ્ભવેલા વ્યંજનસમવાયમાં સ્વરસંજ્ઞાઓ ઉમેરાઈ, ને એ રીતે ધ્વન્યાત્મક લેખનપદ્ધતિ અસ્તિત્વમાં આવી.૩૫ આવી રીતે, સામાન્ય રીતે, ધ્વન્યાત્મક લેખનપદ્ધતિ વિકસી હશે એમ કલ્પી શકાય છે. વ્યંજનસંજ્ઞાઓ વધાર્યા વિના, એમાંથી જ કેટલીક વિરલપ્રયુક્ત સંજ્ઞાઓનો સ્વરસંજ્ઞા તરીકે ઉપયોગ થવો શરૂ થયો એ આ પ્રક્રિયાની વિશેષતા હતી. ધ્વન્યાત્મક લેખનપદ્ધતિનો પ્રારંભ ઈ. સ. પૂ. ૧૬૦૦ ના અરસામાં થયો હશે એમ વિદ્વાનો માને છે.

૩૫ જુઓઃ Sturtevant, An Introduction to Linguistic Science, p. 24.

ફિનિશ્યનો પાસેથી ગ્રીકોએ પોતાની ધ્વનિમાલા (alphabets) પ્રાપ્ત કરી એમ સામાન્ય રીતે મનાય છે. હવે કેટલાક પુરાતત્ત્વવિદો ઇજિયન સંસ્કૃતિ (Ægean civilization) પાસેથી પુરાતન ગ્રીસે મૂળાક્ષરપદ્ધતિ મેળવી એમ પ્રતિપાદિત કરે છે. એ અસંભવિત નથી. છતાં ફિનિશ્યન મૂળાક્ષરોની ગ્રીક મૂળાક્ષરો ઉપર પુષ્કળ અસર પડી છે અને ગ્રીકોએ પોતે આ મૂળાક્ષરોને ફિનિશ્યન કહ્યા છે એ સ્મરણમાં રાખવું ઘટે છે. ગ્રીક મૂળાક્ષરોનાં નામો ફિનિશ્યન છે એ વાત પણ આ સંદર્ભમાં અત્યંત સૂચક છે. ગ્રીકોએ ફિનિશ્યન લેખનના જે વ્યંજનાત્મક અક્ષરસંકેતો (syllables) પોતાની ભાષામાં નહોતા તેમને સ્વરધ્વનિ તરીકે અપનાવી લીધા. આ રીતે ફિનિશ્યનમાં કંઠમૂલીય સ્પર્શ (glottal stop) A, સ્વરતંત્રીય સંઘર્ષી (laryngal spirant) O, य–કારદર્શક ‘I’ (ત્રણે સ્વરયુક્ત વર્ણોને) ગ્રીકોએ એમના વર્તમાન ધ્વનિ-મૂલ્યવાળા સ્વરો બનાવી દીધા,૩૬ અને (સંસ્કૃતની માફક) વ્યંજન સાથે એમને જોડીને અક્ષર દર્શાવવાનો આરંભ કર્યો. ઉ.ત. TA, TO, TI.૩૭ ગ્રીકોએ વર્તમાન અંગ્રેજી લિપિના કુલ ૨૬ કેપિટલ મૂળાક્ષરોમાંથી ૨૨ જેટલા વિકસાવ્યા; જો કે એમણે Q વિકસાવીને પછી વાપરવો બંધ કર્યો.

૩૬ એ જ પ્રમાણે એમણે એક u માટે સંજ્ઞા શોધી (જે સેમિટિક wanનું એક રૂપ હતું), સેમિટિક heth માંથી E, અને હ્રસ્વ O માં રૂપાન્તર કરીને ~(દીર્ઘ O) બનાવ્યો. ૩૭ જુઓ: Bloomfield, op. cit., p 290.

ગ્રીક લિપિમાં અપૂર્ણતા હોય તો કેવળ એટલી જ હતી કે પોતાની ભાષાના સર્વ સ્વરો માટે તેઓ પૂરતી સંજ્ઞાઓ નિર્માણ કરી શક્યા નહિ, અને સ્વરોનાં કાલમાન–હ્રસ્વદીર્ઘતાનો તેઓ ફરક દર્શાવી શક્યા નહિ. ઉત્તરકાળમાં, એમણે એમના બે પ્રકારના સ્વરાઘાત (accent) માટેનાં ચિહ્ન તેમજ કેટલાંક વિરામચિહ્નો યોજ્યાં હતાં. ગ્રીકો પાસેથી આ ધ્વન્યાત્મક વર્ણમાલા ભૂમધ્ય સમુદ્રના કાંઠે વસતી સભ્ય પ્રજાઓ પાસે પહોંચી ગઈ. ઈટાલીમાં લૅટિન અને એટ્રુસ્કન પ્રજાઓએ એ અપનાવી. એટ્રુસ્કન પ્રજા એશિયા માઈનરમાંથી ઇજિપ્તને માર્ગે ઈ.સ. પૂ. ૧૧મી સદીમાં ઈટાલીમાં જઈને વસી હતી એટ્રુસ્કન પ્રજા પાસેથી રોમનો(લૅટિનો)એ ગ્રીક ધ્વનિમાલા પ્રાપ્ત કરી હશે એમ મનાય છે. પછી તો ઈ. સ. પૂ. બીજી સદીમાં રોમનોએ ગ્રીસ જીત્યું; ત્યારે રોમન સંસ્કૃતિ ઉપર ગ્રીક શિલ્પ, સ્થાપત્ય અને વર્ણમાલાનો પુનઃ પ્રભાવ પડ્યો. ગ્રીક ધ્વનિમાલા લૅટિન ધ્વનિઓ માટે લગભગ સંપૂર્ણપણે પર્યાપ્ત હતી. માત્ર ગ્રીકમાં C [k] તેમજ [g] બન્ને ધ્વનિઓ દર્શાવતો; તેમાં લૅટિનોએ સુધારો કરીને [g] માટે (C ઉપરથી) G સંજ્ઞા બનાવી અને C [k] ધ્વનિ માટે રાખ્યો. Q, X, Z અને K વર્ણોનો સામાન્ય રીતે વ્યવહારમાં રોમનો વિરલ ઉપયોગ કરતા.૩૮ F ગ્રીકમાં [w] ધ્વનિ દર્શાવતો તે રોમન (લૅટિન)માં [F] ધ્વનિ બન્યો. Y, V, U ત્રણે ગ્રીક upsilon [u]નાં રૂપાન્તરો હતાં, જેનું ધ્વનિમૂલ્ય ફ્રેન્ચ [u] જેવું હતું. સ્વરોની હ્રસ્વદીર્ઘતા સંબંધે લૅટિનમાં પણ અવ્યવસ્થા હતી. સ્વરસંજ્ઞા ઉપર દીર્ઘતાસૂચક ચિહ્ન મૂકીને કે સ્વરને બેવડાવીને (ઉ. ત. વર્તમાન અંગ્રેજીના bazâr કે bazaar ની માફક) સ્વરની દીર્ઘતા દર્શાવાતી, લૅટિનમાં સ્વરાઘાત(accent)સૂચક ચિહ્નો મૂકવાની આવશ્યકતા નહોતી.

૩૮ સરખાવોઃ Thompson, op, cit, p. 35

જર્મેનિક ભાષાભાષી પ્રજાઓએ આ ધ્વનિમાલા કેટલોક ફેરફાર કરીને સ્વીકારી. એમની ધ્વનિમાલાને Runic Alphabet કહેવાય છે. એમાં ધ્વનિક્રમ ગ્રીક-લૅટિનથી જુદો હતો, એ ઉપરાંત એમની ભાષામાં પ્રચલિત કેટલાક વિશિષ્ટ ધ્વનિઓ માટે વિશિષ્ટ, નવી સંજ્ઞાઓ θ [थ्], w [उव्] (સંઘર્ષી व्-ધ્વનિ), j (સંઘર્ષી य्-ધ્વનિ) ઉમેરવામાં આવી હતી.૩૯ ખ્રિસ્તી ધર્મની અસર તળે આવ્યા પછી આ જર્મેનિક પ્રજાઓએ રુનિક છોડીને લૅટિન ધ્વનિમાલા સ્વીકારી લીધી. પણ બિશપ ઉલફિલસે (Ulfilus) ચોથા સૈકામાં એના બાઈબલના અનુવાદ માટે જે ધ્વનિમાલા યોજી તેમાં કેટલીક રુનિક (Runic) સંજ્ઞાઓ હતી. (ઉ. ત. θ અને w). નૉર્મન વિજય પછી અંગ્રેજ લેખકોએ એને બદલે th અને vv વાપરવાનું શરૂ કર્યું. અંગ્રેજી માટે લૅટિનની ફક્ત પાંચ સ્વરસંજ્ઞાઓ પૂરતી થતી નહોતી; તો, એથી ઊલટું, અંગ્રેજીમાં આવેલી c, q અને x એ ત્રણ ધ્વનિસંજ્ઞાઓ વધારાની હતી. આજે અંગ્રેજી ધ્વનિમાલામાં [ɑː, ɛ, ɔː, θ, ð, ʃ, ʒ, ʧ, ŋ] એ ધ્વનિઓ માટે નિશ્ચિત સંજ્ઞાઓ નથી. એમાંથી કેટલીક સંજ્ઞાઓ માટે બે ધ્વનિઓનો સંયોગ (digraph) th, dh, sh, ch, ng મૂકીને કામ ચલાવાય છે. જેમ જર્મેનિક પ્રજાઓ માટે ધ્વનિમાલા ઉલફિલસે કરી તેમ સિરિલ(Cyril) અને મેથૉડિયસે (Methodius) સ્લાવોનિક પ્રજાઓ માટે ધ્વનિમાલા ઘડી. એમાં એમણે સર્બિયન જેવી સ્લાવોનિક ભાષાના કેટલાક વિશિષ્ટ ધ્વનિઓ માટે વધારાની સંજ્ઞાઓ ઉમેરી. ઉલફિલસે યોજેલી ગૉથિક (જર્મેનિક) ધ્વનિમાલા ખૂબ નિશ્ચિત અને સુંદર છે, તેમ સિસિલ ને મેથૉડિયસે ઘડેલી સ્લાવોનિક વર્ણમાલા અત્યુત્તમ છે. આથી ઊલટું લૅટિન ધ્વનિમાલા આઇરિશ ભાષાના ધ્વનિઓ યથાર્થ રીતે વ્યક્ત કરવાને અસમર્થ અને અધૂરી હતી.

૩૯ J નો સ્વતંત્ર ધ્વનિ તરીકે છેલ્લા એક સૈકાથી જ ઉપયોગ થાય છે. સરખાવો: Thompson, op. cit., p. 56

પૂર્વના દેશોમાં એરેમેઈક ધ્વનિમાલાનો પ્રસાર થયો. જેમ ઇજિપ્તના હાઇરોગ્લાઇફ (ચિત્રસંકેતો) નું ઉત્તરકાલીન ત્વરિત લિખિત હિએરેટિક (Hieratic – પુરોહિતોએ સરજેલી) વર્ણમાલામાં, અને એમાંથી પછી ડેમોટિક (Demotic – બહુજનાર્થ) વર્ણમાલામાં ક્રમિક રૂપાંતર થયું હતું, તેમ ફિનિશ્યન લિપિના ત્વરિત લેખનમાં ખૂણાઓ ગોળ બન્યા; અને અક્ષરોનાં માથાં દૂર થયાં ને છેડા વાંકા વળ્યા, ને એ રીતે એરેમેઇક લિપિ અસ્તિત્વમાં આવી. એ ભારતમાં પ્રસરી અને એમાંથી મધ્ય એશિયાની ઘણીખરી લિપિઓ અવતાર પામી એમ મનાય છે. પૂર્વમાં દૂર સુધી એ પહોંચી; આજે કોરિયન લિપિમાં એના અવશેષ પ્રાપ્ત થાય છે. લિપિઓની અપૂર્ણતાનું મુખ્ય કારણ પ્રજાની રૂઢિચુસ્તતા છે. લખનાર પોતાની ભાષાનું ધ્વનિસ્વરૂપ અંકિત કરવાને બદલે આગળની લેખનપદ્ધતિમાં જે પ્રણાલિકા હોય તેનું બહુધા અનુકરણ કરતો હોય છે. આથી ઘણીખરી ભાષાઓમાં ધ્વનિઓનું ચોકસાઈથી શાસ્ત્રીય રીતે અંકન થતું નથી. આમ ફ્રેન્ચમાં [sa] સાત રીતે, [o] ત્રીસ રીતે, [a] બાવન રીતે અને [ɛ] પંચાવન રીતે લખાય છે. અંગ્રેજીમાં પણ ઉચ્ચારવૈચિત્ર્યને કોઈ માઝા નથી: ઉ. ત. though the tough cough and hiccough plough me through જેવું [gh]નું ઉચ્ચારવૈચિત્ર્ય ફ્રેન્ચ જેવી અન્ય યુરોપીય ભાષામાં ભાગ્યે જ મળશે.૪૦

૪૦ સરખાવો: E. H. Sturtevant, op. cit., p. 25.

ભારતીય લેખનપદ્ધતિ ભારતમાં સૌથી પ્રથમ જે લેખનનાં ઉદાહરણો મળે છે તે મોહેં-જો-દરો અને હરપ્પા (ઈ.સ. પૂ. ત્રીજી સહસ્ત્રાબ્દિ) ના પુરાતન અવશેષોનાં છે. એ ઉપરથી ભારતના ઉત્તરીય ભાગોમાં ઈ.સ.પૂ. ની ત્રીજી સહસ્ત્રાબ્દિમાં એક અત્યંત સુસમૃદ્ધ સંસ્કૃતિ વિકસેલી હતી એમ પુરવાર થાય છે. એમાંથી મોહેં-જો-દરોના પુરાતન સ્થાપત્ય- અવશેષો – એના વિશાળ રાજમાર્ગો, સ્નાનાગાર, ઈ૰ ઈમારતો – ખરેખર આશ્ચર્યજનક છે. મોહેં–જો–દરો અને હરપ્પાની સંસ્કૃતિને પુરાતન ઇતિહાસવેત્તાઓએ હરપ્પા સંસ્કૃતિનું નામ આપ્યું છે. એ મૂળ ક્યાંથી આવી અને કેવી રીતે ભારતમાં પ્રસરી એનો હજી સુધી તાગ મળ્યો નથી. આ અવશેષોમાંથી અનેક મુદ્રાઓ (seals) મળી આવી છે, જેના ઉપર અજ્ઞાત લિપિમાં લખાણ છે. એ વ્યક્તિઓનાં નામો હશે એમ કલ્પી શકાય છે.

આકૃતિ ૧૫ મી (મોહેં-જો-દરોની મુદ્રાઓ)

આ લિપિ પદાર્થ-આકૃતિમૂલક (schematic) અને સરલ-રેખાંકિત (linear) છે. મૂળ એ ચિત્રાંકન લિપિ હોવી જોઈએ. આ લિપિ અને જેમાંથી કયુનિફૉર્મ લિપિ તેમજ પ્રાચીન એલામાઇટ (Elamite) લિપિ નીકળી એ કોઈ આદિમ પુરાતન લિપિ વચ્ચે સંબંધ હશે એમ લાગે છે.૪૧ કાં તો એ આવી કોઈ પુરાતન, હજી સુધી અજ્ઞાત, લિપિમાંથી નીકળી હશે, અથવા તો એ અહીં જ ઉદ્ભવી હશે, એ વિષે માત્ર તર્ક જ કરી શકાય તેમ છે. આ લિપિ ધ્વન્યાત્મક (alphabetic) કે અક્ષરાત્મક (syllabic) નથી લાગતી. તેમ એ કેવળ વિચારસંકેતમૂલક પણ નથી, કારણ કે એના સંકેતો કેવળ વિચારસંકેતમૂલક (ideographic) પદ્ધતિમાં હોય તેના કરતાં સંખ્યામાં ઘણા ઓછા છે. એની કેટલીક ચિત્રાકૃતિ જોતાં એ અંશતઃ વિચારસંકેતમૂલક અને અંશતઃ ધ્વન્યાત્મક (ઘણું કરીને અક્ષરાત્મક) લાગે છે.૪૨ ઘણા વિદ્વાનોના પ્રયાસો છતાં આ લિપિ હજી સુધી ઉકેલી શકાઈ નથી. કેટલાક વિદ્વાનો૪૩ આમાંથી અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિનો ઉદય કલ્પે છે. પણ આ સિંધુનદપ્રદેશની લિપિ ઇ.સ. પૂ. ત્રીજી સહસ્રાબ્દિના અંતભાગથી ઇ. સ. પૂ. પહેલી સહસ્રાબ્દિના મધ્ય સુધી ચાલુ હતી એવો કોઈ પુરાવો મળતો નથી. લગભગ પ્રાગૈતિહાસિક સમયના ઉષઃકાળે પ્રગટેલી સિંધુનદપ્રદેશની લિપિ એવી જ રીતે ઇતિહાસના ગર્ભમાં વિલીન થઈ ગઈ છે. એની વચ્ચે અને અશોકના લેખોની બ્રાહ્મી વચ્ચે કોઈ સાંકળ ઉપલબ્ધ થતી નથી. આજે આ શક્યતાને નિશ્ચયાત્મક રીતે નકારી કાઢી શકાય તેવી સ્થિતિ પણ નથી. ભવિષ્યમાં ઋગ્વેદના આર્યોની નિવાસભૂમિમાં સવિશેષ ખોદકામ થાય અને સિંધુનદલિપિનું કોઈ ઉત્તરકાલીન સ્વરૂપ પ્રાપ્ત થાય ત્યારે જ આ માન્યતાનો નિશ્ચયાત્મક રીતે સ્વીકાર કે ત્યાગ થઈ શકે.

૪૧ જુઓઃ Diringer, op. cit., p. 85 ૪૨ જુઓઃ Diringer, op. cit., p. 84 ૪૩ ઉ.ત. Langdon, Hunter, Hutton વગેરે


લેખનકલા સંબંધે પ્રાચીન ભારતીય ઉલ્લેખો ભારતીય લેખનકળાના ઐતિહાસિક નિદર્શનો ઇ. સ. પૂર્વે સાતમા સૈકાથી મળે છે. પરંતુ, ભારતમાં લેખનકળાના અસ્તિત્વના સૂચક ઉલ્લેખો તો ભારતના પ્રાચીનતમ સાહિત્યમાં મળે છે. નિઆર્કસે (ઇ. સ. પૂર્વે ૩૨૩) રૂનાં ચીંથરાંમાંથી ભારતવાસીઓ કાગળ બનાવે છે એવો ઉલ્લેખ કર્યો છે.૪૪ મેગેસ્થિનિસે ભારતવાસીઓ જન્મપત્ર બનાવતા હતા અને બેસતે વર્ષે વર્ષફલ સંભળાવતા હતા એમ જણાવ્યું છે.૪૫ બૌદ્ધ સાહિત્યમાં એથી પણ પૂર્વેના લેખનના ઉલ્લેખો મળે છે. ब्रह्मजालसुत्तમાં अक्खरिका (अक्षरिका) નામની બાળકોની એક રમતનો ઉલ્લેખ છે, જેમાં પોતાની પીઠ ઉપર કે આકાશમાં આંગળીથી લખેલા અક્ષરો ઓળખવા પડતા.૪૬ विनयपिटकમાં લેખનકળાની પ્રશંસા કરવામાં આવી છે.૪૭ જાતકકથાઓમાં ખાનગી તથા રાજકીય પત્રોનું તથા પુસ્તક (पोत्थक)નું તેમ સુવર્ણપત્ર ઉપર કોતરાવેલા ધર્મનિયમોનું વર્ણન કરેલું છે.૪૮ ललितविस्तरમાં ચંદનકાષ્ઠની પાટી (फलक) અને સુવર્ણની લેખિનીનો ઉલ્લેખ છે. આ સર્વ ઉલ્લેખો લગભગ ભગવાન બુદ્ધની આસપાસના સમયની, અર્થાત્ ઈ. સ. પૂર્વની છઠ્ઠી શતાબ્દિની સ્થિતિના નિદર્શક છે.૪૯ બ્રાહ્મણ સાહિત્યમાં આથી પણ ઘણા પુરાતન સમયના સંખ્યાબંધ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. ऋग्वेदમાં ગાયત્રી આદિ છંદોનાં નામ આપ્યાં છે; अथर्ववेदમાં એક સ્થળે છંદોની સંખ્યા અગિયાર લખી છે; અને शतपथब्राह्मणમાં તો કેટલાક છંદો અને એમનાં ચરણોમાં આવતા અક્ષરોની સંખ્યા ગણવી છે.૫૦ ૪૪ Max Müller, History of Ancient Sanskrit Literature, p. 387; જુઓ: ગૌરીશંકર હીરાચંદ ઓઝા, प्राचीन लिपिमाला, तृतीय आ. पृ. ३. ૪૫ Indica of Megasthenes, p. 126; જુઓ: ઓઝા, સદર, પૃ. ૪. ૪૬ ब्रह्मजालसुत्त ૧૪; જુઓ: ઓઝા, સદર, પૃ. ૪. ૪૭ જુઓ: ઓઝા, સદર, પૃ. ૪. ૪૮ ભુગોળ: ઓઝા, સદર, પૃ.. ૫. ૪૯ જુઓ : ઓઝા, સદર, પૃ. ૬. ૫૦ જુઓ: ઓઝા, સદર, પૃ. ૧૦.


ऋग्वेदમાં એક સ્થળે अष्टकर्णी (અર્થાત્, ‘જેના કાન ઉપર આઠના અંકનું ચિહ્ન છે તેવી’) ગાયોના દાનનું વર્ણન છે. (ऋग्वेद ૧૦-૬૨-૭). વૈદિક કાલમાં દ્યૂત રમવાનો પુષ્કળ પ્રચાર હતો. એના પાસાઓ ઉપર ૪, ૩, ૨, ૧ ના અંક કે ચિહ્ન કોતરેલાં હતાં. यजुर्वेदसंहिता (वाजसनेयी)માં ‘ગણક’ (=જ્યોતિષી)નો ઉલ્લેખ છે, તેમ અયુત (=દસ હજાર), નિયુત (=એક લાખ), પ્રયુત (=દસ લાખ), અર્વુદ(=એક કરોડ)થી પરાર્ધ સુધીની સંખ્યાઓ આપેલી છે. (यजुर्वेद, वाजसनेयी संहिता ૧૭-૨).૫૧ छांदोग्य उपनिषद्માં ‘અક્ષર’નો, તેમજ ई-કાર, ऊ-કાર, ए-કાર એમ સ્વરોનો પણ ઉલ્લેખ છે. (छांदोग्य ૧-૧૩). એ જ રીતે तैत्तिरीय उपनिषद् માં ‘વર્ણ’ અને ‘માત્રા’નો ઉલ્લેખ છે. ऐतरेय आरण्यकમાં ઉષ્મ, સ્પર્શ, સ્વર, અંત:સ્થ, વ્યંજન, ष् અને स् વચ્ચેનો ભેદ, સંધિ, ઇત્યાદિનું વિવેચન કરેલું છે. (ऐत. आर. ૨-૨-૪; ૩-૨-૬). ऐतरेय ब्राह्मण માં ૐને अ-કાર, उ-કાર અને म-કારના સંયોગથી બનેલો દર્શાવ્યો છે. (ऐत. ब्रा. ૫-૩૨). એથી ઉત્તરકાલીન સાહિત્યમાં - महाभारतમાં, स्मृतिग्रंथोમાં, અને कौटिलीय अर्थशास्त्रમાં લેખન અને લિખિત પુસ્તકોના અવારનવાર ઉલ્લેખો મળે છે. પાણિનિની अष्टाध्यायीમાં लिपि, लिबि (= લખવું), लिपिकर (= લખનાર), यवनानी (= યવનોની લિપિ) શબ્દોનો, તેમ स्वरितના ચિહ્ન અને ग्रंथ વિશેનો ઉલ્લેખ છે. अष्टाध्यायीના ઉલ્લેખો ઉપરથી એ સમયે ચોપગાં પશુઓના કાન ઉપર સરવો, સ્વસ્તિક આદિનાં, ને ‘પાંચ’ તથા ‘આઠ’ ના અંકનાં ચિહ્નો પણ કોતરાતાં એમ જણાય છે.

૫૧ સરખાવો: ઓઝા, સદર, પૃ. ૧૧.

વ્યાકરણની આટલી સૂક્ષ્માતિસૂક્ષ્મ મીમાંસા, છંદોનું વિશ્લેષણ, તેમ અતિ વિશાળ સંખ્યાઓની ગણના લેખનકળાના અસ્તિત્વ વિના સંભવિત નથી એમ ભારતીય ઇતિહાસકારોપર અને પુરાતત્ત્વવેત્તાઓનું માનવું છે, જે અવશ્ય સયુક્તિક છે. ऋग्वेद ના અંતિમ મંડળનાં સૂક્તો જેટલી, અર્થાત્, ઈ.સ. પૂર્વ ૧૨૦૦ જેટલી પ્રાચીન ભારતીય લેખનકલા છે એમ આ વિદ્વાનો માને છે.૫૩ ખરોષ્ઠી લિપિ પ્રાચીન ભારતવર્ષમાં લગભગ એક જ સમયના ગાળામાં બે લિપિઓ મળે છે—‘બ્રાહ્મી’ અને ‘ખરોષ્ઠી’. બ્રાહ્મી પ્રાચીન ભારતવર્ષની રાષ્ટ્રીય લિપિ હતી—એમાંથી ઘણીખરી વર્તમાન ભારતીય લિપિઓ નીકળી છે. ‘ખરોષ્ઠી’ને વિદ્વાનોએ બૅકટ્રિયન (Bactrian) ‘ઈન્ડો-બૅકટ્રિયન’, ‘બૅકટ્રો-પાલી’, ‘ભારતીય વાયવ્ય પ્રદેશની લિપિ’ ઈત્યાદિ ભિન્ન ભિન્ન સંજ્ઞાઓ આપી છે. એના નામની ઉત્પત્તિ સંબંધે એક તર્ક એવો છે કે खर (= ગર્દભ) + पोस्त (ઈરાનિયન ‘posta’ = ચામડું) ઉપરથી ‘ખરોષ્ઠ’ શબ્દ નીકળ્યો છે—અર્થાત્, ‘ગધેડાના ચામડા ઉપરનું લખાણ.’૫૪ એની વધારે સંભવિત વ્યુત્પત્તિ ‘खरोष्ठ (કે खरोठ्ठ) નામના આચાર્ય દ્વારા સંસ્કરણ પામેલી લિપિ તે खरोष्ठी’—એ લાગે છે. અશોકના શિલાલેખોમાંથી કેવળ બે જ—ઉત્તરીય સીમાના (પંજાબના ગાન્ધાર પ્રદેશના) શાહબાઝગઢી અને મન્સેરાના શિલાલેખો ખરોષ્ઠી લિપિમાં છે, બાકીના સર્વ બ્રાહ્મીમાં છે. ઈ. સ. પૂર્વે ૪થી શતાબ્દિના ચાંદીના મોટા ગોળ ઈરાની સિક્કાઓ ઉપર ખરોષ્ઠી લિપિનો એક એક અક્ષર મળે છે. અશોકની પછી બૅક્ટ્રિયન ગ્રીકો, શકો, ક્ષત્રપો, પાર્થિયનો અને કેટલાક કુશાનવંશી રાજાઓના સિક્કાઓ ઉપર પ્રાકૃત નામાદિક લેખ ખરોષ્ઠીમાં લખાયેલા મળે છે. ખરોષ્ઠીના શિલાલેખો તેમ તામ્રલેખો બહુ જ અલ્પસંખ્ય છે, જેમાંના મોટાભાગના તો ગાન્ધાર દેશમાંથી જ મળી આવ્યા છે.

૫૨ સરખાવો : ઓઝા, સદર, પૃ. ૭-૧૧. ૫૩ સરખાવો : બાબૂરામ સક્સેના, सामान्य भाषाविज्ञान, પૃ. 209. ૫૪ સરખાવો : Diringer, op. cit., p 301.


ખરોષ્ઠી લિપિ ફારસીની માફક જમણી તરફથી ડાબી તરફ લખાય છે,૫૫ જે એ સેમિટિક વર્ગની છે એમ દર્શાવે છે. એના ૧૧ અક્ષરો – क, ज, द, न, ब, य, र, व, ष, स અને ह – સમાન ધ્વનિવાળા એરેમેઇક અક્ષરોની સાથે સવિશેષ મળતા આવે છે. ઍસેરિયા અને બૅબિલોનમાં ‘ક્યુનિફૉર્મ’ લિપિ પ્રચલિત હોવા છતાં રાજકીય અને વેપારઉદ્યોગનાં કામોમાં એરેમેઈક લિપિનો ઉપયોગ થતો હતો. ઍકેમીનિઅન વંશના ઇરાનિયન બાદશાહોના સમયમાં ઈરાન રાજ્યનો પ્રતાપ વધ્યો. એમની રાજકીય લિપિ તેમજ ભાષા એરેમેઈક હશે એમ લાગે છે. ઈરાનિયન બાદશાહ સાઈરસે ઈ. સ. પૂર્વેની છઠ્ઠી સદીમાં ભારતનો ગાંધારપ્રદેશ જીતી લીધો ત્યારે ત્યાં એરેમેઈક લિપિનો પ્રવેશ થયો, જેમાંથી પછી ખરોષ્ઠી લિપિ ઉદ્ભવી.

૫૫ થોડાક ઉત્તરકાલીન ખરોષ્ઠી લેખોમાં ડાબી તરફથી જમણી તરફ જતું લખાણ છે.

એરેમેઈક લિપિમાં કેવળ ૨૨ અક્ષરો જ હતા, અને એમાં સ્વરોની અપૂર્ણતા હતી તેમ હ્રસ્વદીર્ઘનો ભેદ પણ નહોતો. તેથી ભારતવર્ષની ભાષાઓ માટે એ સંપૂર્ણપણે ઉપયોગી થાય એમ તો હતી જ નહીં. છતાં ઈરાનની અસરથી ઉત્તરીય પ્રદેશના ભારતીયોએ ઈ. સ. પૂર્વેની પાંચમી શતાબ્દિની આસપાસમાં એને અપનાવી લઈને જરૂરિયાત અનુસાર એમાં અક્ષરો ઉમેરીને, ઘટતો ફેરફાર કરીને, સ્વરસંયોજન કરીને,૫૬ રાજકીય કામકાજ ને વેપાર આદિની સગવડો અર્થે કામચલાઉ રૂપની ખરોષ્ઠી લિપિ બનાવી લીધી. ખરોષ્ઠીમાં સ્વરો તથા એમની માત્રાઓમાં હ્રસ્વ-દીર્ઘનો ભેદ નહોતો. સંયુક્તાક્ષરો બહુ થોડા હતા ને તેમની આકૃતિઓ પણ વિલક્ષણ હતી. એથી સંસ્કૃત લેખન માટે તો એ તદ્દન નિરુપયોગી હતી; પણ એમાં બૌદ્ધોનાં કેટલાંક પ્રાકૃત પુસ્તકો લખાયાં છે. કેટલાક, ત્રીજા સૈકાના, લાકડાં ઉપર, ચામડાં ઉપર, ને કાગળ ઉપર ભારતીય શાહીથી ખરોષ્ઠી લિપિમાં લખાયેલા લેખો પૂર્વ તુર્કસ્તાનમાંથી મળ્યા છે. ઈ. સ. ની ત્રીજી સદી સુધી પંજાબમાં એ થોડેઘણે અંશે ચાલુ રહી; પછી, ચોથા-પાંચમા સૈકાથી એ ભારતમાંથી સદંતર લુપ્ત થઈ ગઈ.૫૭ બ્રાહ્મી લિપિ બ્રાહ્મી લિપિ એ પ્રાચીન ભારતની સર્વશ્રેષ્ઠ લિપિ હતી. એમાંથી જ ભારતની વર્તમાન ઘણી ખરી લિપિઓનો ઉદ્ભવ થયો છે. જૈનોના पन्नवणासूत्र અને समवायांगसूत्रમાં ૧૮ લિપિઓનાં નામ મળે છે. એમાં સૌથી પહેલું નામ बंभी (= ब्राह्मी) નું છે. भगवतीसूत्रમાં ब्राह्मी लिपिને પ્રણામ કરીને સૂત્રનો આરંભ કર્યો છે. બૌદ્ધોના સંસ્કૃત ગ્રન્થ ललितविस्तरમાં ૬૪ લિપિઓનાં નામ આપ્યાં છે, જેમાં પહેલું ब्राह्मी અને બીજું खरोष्ठी છે.૫૮ ચીની બૌદ્ધ વિશ્વકોષ ‘फा युअन चु लिन’ (ઈ. સ. ૬૬૮) માં બ્રાહ્મી અને ખરોષ્ઠીનો ઉલ્લેખ છે, અને એમાંથી બ્રાહ્મી ડાબી તરફથી જમણી તરફ, અને ખરોષ્ઠી જમણી તરફથી ડાબી તરફ લખાતી હતી એવું વર્ણન છે.૫૯

૫૬ આ સ્વરસંયોજનમાં બ્રાહ્મીની અસર સંભવે છે. સરખાવો : Diringer, op. cit., p. 302 ૫૭ સરખાવો: ઓઝા, સદર, પૃ. ૩૧-૩૭; Diringer, op. cit., p. 301. ૫૮ સરખાવો: ઓઝા, સદર, પૃ. ૧૭. ૫૯ સરખાવો: ઓઝા, સદર, પૃ. ૧૮.

બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ સંબંધે બે વિભિન્ન પ્રકારની વિચારસરણી પ્રવર્તે છે. એક મત – બહુધા ભારતીય વિદ્વાનોનો – એ અત્રત્ય છે એવો છે; બીજો મત એ બહારથી – કોઈ સેમિટિક પ્રજા પાસેથી – આયાત થઈ છે એવો છે. એનું વિવરણ કરતાં પહેલાં આ પ્રશ્નની પશ્ચાદ્ભૂમિ લક્ષમાં રાખવી ઘટે છે. લિપિશાસ્ત્રના તદ્વિદો, જે બહુધા વિદેશી વિદ્વાનો છે, તેમનું વલણ બ્રાહ્મી લિપિ ભારતીય આર્યોએ બહારથી મેળવીને સંસ્કારી લીધી એમ માનવા તરફ સવિશેષ છે. આ સંબંધી એમની વિચારસરણી નીચે પ્રમાણેની છે. હરપ્પા સમયની કે અન્ય કોઈ અત્રત્ય પ્રાગૈતિહાસિક લિપિમાંથી બ્રાહ્મી નિકળવાની સંભાવના ઓછી છે. એક પ્રદેશમાં કાળક્રમે એક પછી એક બે ત્રણ લિપિઓ ઉદ્ગમ પામી હોય, તો તેમાં પૂર્વકાલીન લિપિમાંથી જ ઉત્તરકાલીન લિપિ નીકળી હોવી જોઈએ એમ માનવું સુસંગત નથી. બંનેના સંકેતોની આકૃતિઓ મળતી આવવી જોઇએ, તેમ તેમનાં ધ્વન્યાત્મક મૂલ્યો (phonetic values) એકસરખાં હોવાં જોઈએ. હરપ્પા સંસ્કૃતિની લિપિ અંશતઃ વિચારસંકેતપ્રધાન અને અંશતઃ અક્ષરાત્મક હતી, જ્યારે બ્રાહ્મી લગભગ ઉદ્ગમકાળથી જ ધ્વન્યાત્મક લિપિ (alphabet) છે. કોઈ અન્ય ધ્વન્યાત્મક લિપિની પ્રબળ અસર તળે જ વિચારસંકેત – અક્ષરાત્મક (syllabic-ideographic) લિપિમાંથી ધ્વન્યાત્મક લિપિમાં સંક્રમણ થવું સંભવે. ભારતીય સાહિત્યના પુરાતન ઉલ્લેખો ‘લેખન’ કરતાં શ્રુતિને સવિશેષ અનુલક્ષે છે. વેદાદિક સંહિતાઓનો વિવિધ રીતે ‘પાઠ’ થતો એ સુવિદિત છે. બ્રાહ્મી લિપિના લેખો સામાન્ય રીતે ઈ. સ. પૂર્વે ચોથા અને ત્રીજા શતકથી મળે છે. અશોકના શિલાલેખો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ પહેલાંના લેખોમાં અજમેર કિલ્લાના બડલી ગામનો એક નાનો શિલાલેખ, નેપાળની તરાઇમાં આવેલા પિપ્રાવાના સ્તૂપમાંથી મળેલા એક પાત્ર ઉપરનો લેખ, ગોરખપુર જિલ્લાના સોહગોરા (Sohgaura) નું તામ્રપત્ર (ઇ. સ. પૂર્વે ૪ થી સદી) અને એરણ (Eran) માંથી મળેલા સિક્કા ઉપરનો લેખ૬૦ એટલા જ હજી સુધી પ્રાપ્ત થયા છે. અર્થાત્, ઈ. સ. પૂર્વે ૫ મી સદીથી આગળનો બ્રાહ્મીમાં લખાયેલો કોઈ લેખ મળતો નથી. ઈ. સ. પૂર્વે ૮૦૦-૬૦૦ સુધીના સમયમાં ભારતે હુન્નરઉદ્યોગો માટે ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. ભાતભાતનું કાપડ, સોનારૂપાનું જડિત કામ, ઈત્યાદિ કીમતી માલ નૈઋત્ય ભારતનાં બંદરોએથી એ કાળના મહાન વેપારમથક (emporium) બેબિલોન ચઢતો. વેપારની સાથે જ સંસ્કૃતિવિનિમય ને લેખનપદ્ધતિનો સંપર્ક સહજ છે. પ્રાચીન ભારતના સેમિટિક પ્રજાઓ સાથેના વેપારને કારણે બંને પ્રજાઓ વચ્ચે આ પ્રકારનો સંપર્ક થયાનાં ઉદાહરણો મળે છે. પુરાતન હિબ્રૂ અને સેમિટિક ભાષાઓમાં ઘણા પુરાતન ભારતીય આર્ય (Old Indo-Aryan) અને દ્રાવિડી શબ્દો પ્રવેશ્યા છે. ઉ. ત. ‘Kinnor’(=guitar – એક વાદ્યવિશેષ) (< સં. किन्नरी?), ‘qophim’ (=વાનર), ‘almuggim’ (=ચંપલ), ‘tukkiyim’ (=મરઘી), ઈ૰.૬૧

૬૦ આ લેખમાં લખાણ જમણી બાજુથી ડાબી બાજુ તરફ જાય છે. સરખાવોઃ Diringer, op. cit., p. 332. ૬૧ સરખાવોઃ Diringer, op. cit., p. 333.

આર્યોનો ભારતમાં ઇ. સ. પૂર્વેની બીજી સહસ્ત્રાબ્દિની અધવચમાં પ્રવેશ થયેલો સામાન્ય રીતે મનાય છે. ઇ. સ. પૂર્વેના સાતમા શતકમાં મગધના સામ્રાજ્યનો ઉદય થયો. પછીના સૈકામાં મહાન ધાર્મિક પરિવર્તન થયું, જેમાં લેખનકળાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હશે. આ ગાળામાં, ઇ. સ. પૂર્વે ૮ માથી ઇ. સ. પૂર્વે છઠ્ઠા સૈકા સુધીના સમયમાં બ્રાહ્મી લિપિ ભારતવર્ષમાં વિકસી હશે એમ માની શકાય. બ્રાહ્મીના ઉદ્ભવ સંબંધે ભિન્નભિન્ન મતો એડવર્ડ થૉમસ (Edward Thomas) બ્રાહ્મીનો કોઈ પુરાતન દ્રાવિડી લિપિમાંથી ઉદ્ગમ કલ્પે છે. કનિંગહૅમ (Cunningham) અને ડાઉસન (Dowson) માને છે કે બ્રાહ્મી લિપિ બ્રાહ્મણોએ ચિત્રલિપિ (picture-writing) માંથી સરજાવી છે. આ મતમાં ખાસ વજૂદ નથી. પ્રિન્સેપ (Princep), રૉશેટ (Rochette), મૂલર (Mueller), સેનાર(Senart) તેમજ કેટલાક અન્ય વિદ્વાનો બ્રાહ્મીની ઉત્પત્તિ ગ્રીક લિપિમાંથી થયેલી માને છે. આ મત સ્વીકાર્ય નથી. ભારતીઓને ગ્રીકોના આગમન પહેલાં અન્ય ઘણી પ્રજાઓ સાથે સંપર્ક થયો હતો. વેબર (Weber), બૂલર( Büehler) અને અન્ય વિદ્વાનોએ બ્રાહ્મીની ઉત્પત્તિ ફિનિશ્યન લિપિમાંથી કલ્પી છે. પરંતુ, ભારતીયો અને ફિનિશ્યનો વચ્ચે આ યુગમાં સીધો સંબંધ હોવાના પુરાવા ઉપલબ્ધ થતા નથી. ડીકે (Deecke) અને ટેલર (Taylor) દક્ષિણ સેમિટિકમાંથી અને રાઈસ ડેવિડ્ઝ (Rhys Davids) પ્રાક્–સેમિટિકમાંથી કીલાક્ષરલિપિમાંથી બ્રાહ્મીની ઉત્પત્તિ કલ્પે છે, એમાં વજૂદ નથી. ઉપરનામાંથી ઘણા વિદ્વાનોએ બ્રાહ્મી લિપિને સેમિટિક લિપિના કોઈ ને કોઈ પ્રકારમાંથી ઉદ્ભવેલી માની છે. બધી ઐતિહાસિક અને સાંસ્કૃતિક પશ્ચાદ્ભૂમિ લક્ષમાં લેતાં પુરાતન એરેમેઇક (Early Aramaic) લિપિને બ્રાહ્મીનું પ્રભવસ્થાન માનવું સયુક્તિક છે એમ આજે ઘણાખરા પાશ્ચાત્ય વિદ્વાનો માને છે.૬૨ ભારતનો આ સમયમાં ઈરાન સાથે સંબંધ હતો. અને ત્યાં એરેમેઈકનો (જે ઉત્તરીય સેમિટિક લિપિ છે) પ્રચાર હતો. બ્રાહ્મી અક્ષરોનું એરેમેઇક અક્ષરો સાથે કેટલુંક સામ્ય પણ જણાય છે એમ તેઓ જણાવે છે. આ મતનો પુરસ્કાર બ્યુલરે પોતાના Indian Paleography એ ગ્રંથમાં કર્યો છે. એરેમેઈકમાંથી કેવળ ધ્વન્યાત્મક લેખનની પ્રણાલી (idea) લઈને બ્રાહ્મણોએ આ ભારતીય રાષ્ટ્રીય લિપિનો વિકાસ કર્યો. એના ઘણા સંકેતો સેમિટિક સંકેતો સાથે મળતા આવે છે; એમ, બ્રાહ્મીની મૂળ જમણીથી ડાબી તરફ લખવાની પુરાતન પદ્ધતિ૬૩ પણ સેમિટિક અસર સૂચવે છે.૬૪ ભારતીય લિપિઓમાં બધા વ્યંજનોમાં અંતર્ગત રહેલો अ એરેમેઈક અસર દર્શાવે છે, જેમાં અંત્ય अ (aleph)નું પ્રાધાન્ય હતું. ૬૨ સરખાવો: Diringer, op. cit., p. 336. ૬૩ એરણ (Eran) ના લેખમાં જમણેથી ડાબી તરફ લખાણ છે. યેરાગુંદી (Yerragudi; Dt. Kurnol, Madras) ના અશોકના લઘુ શિલાલેખ (Minor Rock Edict) માં ૨૩ માંથી ૮ લીટીઓ જમણેથી ડાબી તરફ લખાયેલી છે. એ એમ દર્શાવે છે કે મૂળ બ્રાહ્મી એ પ્રમાણે લખાતી. પછી એમાંથી boustrophedon (દ્વિપાર્શ્વ) વારાફરતી પંક્તિઓમાં ચાલુ લખાણની માફક લખાતી થઈ. ૬૪ સરખાવો: “It was probably mainly the idea of alphabetic writing which was accepted, although the shapes of many Brahmi signs show also Semitic influence and the original direction of the Brahmi character, from right to left, was also of Semitic origin. It is generally admitted that the earliest known form of the Brahmi is a script framed by Brahmanas for writing Sanskrit, and it may be assumed that they were the inventors of this essentially national alphabet, regardless of the problem concerning the original source of the idea.” — Diringer, op. cit., p. 336




મહામહોપાધ્યાય ગૌરીશંકર હીરાચંદ ઓઝા જેવા ભારતીય વિદ્વાનો, બ્રાહ્મીની વિદેશીય ઉત્પત્તિ સ્વીકારતા નથી. પ્રથમ તો એક જ સમયમાં એક જ વિદેશી મૂલમાંથી બે પ્રકારની, તદ્દન ભિન્ન ભિન્ન લેખનસ્વરૂપની, લિપિઓ–બ્રાહ્મી અને ખરોષ્ઠી–નીકળી એ સુસંગત નથી. ખરોષ્ઠીના અક્ષરો વધારે લાંબા ને વક્ર રેખાઓવાળા છે. અક્ષરોની આકૃતિ ને કદ એકસરખાં નથી, અને જમણી બાજૂથી ડાબી બાજૂ લેખન થાય છે. બ્રાહ્મી વર્ણોની રેખાઓ એકસરખી, ગોળાકારવાળી, સુંદર છે. એનું લખાણ ડાબી બાજૂએથી જમણી બાજૂ તરફ જતું હોય છે. સેમિટિકમાંથી બ્રાહ્મીની ઉત્પત્તિ કાઢતાં બ્યુલરે મૂળ સેમિટિક અક્ષરોને પુષ્કળ ઊલટસૂલટ કર્યા છે. આટલું બધું પરિવર્તન કરીને તો કોઈ પણ એક લિપિમાંથી બીજી લિપિનો ઉદ્ગમ દર્શાવી શકાય.૬૫ સેમિટિકમાંથી નીકળેલા ખરોષ્ઠી અક્ષરોનું મૂળ સેમિટિક અક્ષરો સાથે સુનિશ્ચિત સામ્ય છે; જ્યારે બ્રાહ્મીમાં માત્ર એક ग નું કંઈક અંશે, અને अ, त, थ, ल અને श નું અત્યલ્પ અંશે જ સામ્ય કદાચ બતાવી શકાય; બાકીના સર્વ બ્રાહ્મી અક્ષરો સેમિટિક અક્ષરોથી કેવળ જુદા પડી જાય છે.

૬૫ ઓઝાજીએ આ પદ્ધતિએ અંગ્રેજી A B C D E F માંથી સહેજસાજ વર્ણોનાં રૂપ ઊલટસૂલટ કરીને બ્રાહ્મી अ, ब, च, द, ए, फ વર્ણો વ્યુત્પન્ન કરી બતાવીને આ પદ્ધતિની અશાસ્ત્રીયતા સૂચવી છે. જુઓ: ઓઝા સદર, પૃ. ૨૬.

ઓઝાજી જેવા અત્રત્ય વિદ્વાનો (તેમજ એડવર્ડ થૉમસ, ડાઉસન, કનીંગહૅમ વગેરે વિદેશી ઇતિહાસપુરાતત્ત્વવિદો) બ્રાહ્મી લિપિને ભારતવર્ષના આર્યોની સ્વકીય શોધ માને છે.૬૬ એની વિદેશીયતાનું કોઈ પ્રમાણ મળતું નથી. પ્રાચીન ભારતમાં ગ્રીક, ચીની, અરબી વગેરે વિદ્વાન યાત્રિકો આવી ગયા એમણે કોઇએ આ લિપિને વિદેશી ઠરાવી નથી. હાલને તબક્કે આ પ્રશ્ન સંબંધે નિશ્ચયાત્મક નિર્ણય કરવો અશક્ય છે. ઈ.સ. પૂર્વ ૩૫૦ પછી બ્રાહ્મીનાં બે સ્વરૂપો—ઉત્તરી બ્રાહ્મી અને દક્ષિણી બ્રાહ્મી નજરે પડે છે. અશોક પછી ઘણે સમયે લખાયેલા મદ્રાસ પ્રદેશના ભટ્ટિપ્રોલુના સ્તૂપ ઉપરના લેખની દક્ષિણી બ્રાહ્મીમાં અશોકની(ઉત્તરીય) બ્રાહ્મી લિપિ કરતાં કેટલીક ભિન્નતા તરત નજરે ચડે છે. એ ઉપરથી અનુમાન થાય છે કે એ ઉત્તરી બ્રાહ્મીમાંથી નીકળી નથી, પરંતુ ઉત્તરી અને દક્ષિણી બંને કોઈ પૂર્વકાલીન બ્રાહ્મીમાંથી ઉત્પન્ન થઈ છે. ललितविस्तरમાં દ્રાવિડ લિપિનો ઉલ્લેખ છે, તે કદાચ આ દક્ષિણી બ્રાહ્મી જ હોઈ શકે.

૬૬ જુઓઃ સક્સેના, સદર, પૃ. 213.

અશોકના શિલાલેખોની પૂર્વકાલીન મૌર્ય બ્રાહ્મી પછી કલિંગના ખારવેલના હાથીગુંફાના શિલાલેખમાં (ઈ.સ. પૂર્વે ૧૫૦) દ્રાવિડી સ્વરૂપ ગ્રહણ કરતી (કલિંગી) બ્રાહ્મીનું નિદર્શન મળે છે. પાશ્ચાત્ય કે આન્ધ્રદેશીય બ્રાહ્મીમાં સમ્રાજ્ઞી નાગાનિકાનો નાનાઘાટની ગુફાનો શિલાલેખ (ઈ.સ. પૂર્વે ૧૫૦), અને પછીના નાસિક, અજંતા આદિ સ્થળોના શિલાલેખો છે. ઉત્તરકાલીન મૌર્ય પદ્ધતિની બ્રાહ્મીનું નિદર્શન ગ્રીક-ભારતીય સિક્કાઓમાં (ઈ. સ. પૂર્વ બીજી સદી), અને શુંગકાલીન બ્રાહ્મીનું નિદર્શન રુદ્રદામનના ગિરનાર ઉપરના લેખમાં (ઈ. સ. ની બીજી સદી) મળે છે. લગભગ આ જ સમયના ગાળામાં ઉત્તરના ક્ષત્રપોની લિપિ, મથુરાના દેવાર્પણ (votive) લેખોમાં (ઈ. સ. પૂર્વે ૧લી સદી) અને કુશાન રાજાઓના શિલાલેખોની લિપિ વિકસી છે. ઉત્તરી બ્રાહ્મીમાંથી પ્રાદુર્ભૂત થયેલી લિપિઓ નીચે પ્રમાણે છે. ગુપ્ત લિપિનો પ્રચાર ઈ. સ. ની ચોથીથી છઠ્ઠી સદી સુધી રહ્યો હતો. ગુપ્ત સમ્રાટોએ ઉત્તર ભારતને રાજકીય એકતા આપી. ગુપ્ત યુગ એ પ્રાચીન ભારતનો સુવર્ણયુગ હતો; ધર્મ અને સાહિત્યમાં, શાસ્ત્ર અને કલામાં, અપૂર્વ પુનરુત્થાન થયું. પ્રાકૃત ભાષા પશ્ચાદ્ભૂમિમાં હઠી ગઈ અને સંસ્કૃત ભાષાનો સાહિત્યમાં પુનઃ સમાદર થયો. ગુપ્ત રાજાઓના શિલાલેખો આ લિપિમાં છે તેથી તેને ગુપ્ત લિપિ કહે છે. એમાંથી જ ભારતની મોટા ભાગની લિપિઓ નીકળી છે. સિદ્ધમાતૃકા અને કુટિલ લિપિ – ગુપ્ત લિપિના પશ્ચિમી રૂપમાંથી સિદ્ધમાતૃકા પદ્ધતિનો છઠ્ઠા સૈકામાં ઉદય થયો. એ કોણાકૃતિ (angular) લિપિ હતી. બોધિગયાનો મહાનમનનો શિલાલેખ (ઈ. સ. ૫૮૮-૯) આ લિપિમાં છે. ઈ. સ. ના સાતમા સૈકામાં કુટિલ લિપિ નીકળી, જેમાં વર્ણોના નીચેના છેડાઓ વાંકા વળી જતા હતા. નવમા સૈકા સુધી આ લિપિ પ્રચારમાં રહી. એને નાગરીનું પૂર્વરૂપ ગણી શકાય. નાગરી કે દેવનાગરી લિપિ એ ભારતની સૌથી મહત્ત્વની લિપિ છે. ગુપ્ત લિપિમાંથી સિદ્ધમાતૃકા દ્વારા એની ઉત્પત્તિ થઈ છે. એના નામની વ્યુત્પત્તિ અનિશ્ચિત છે. ‘નાગરિક જનોની (= નગરવાસીઓની) લિપિ તે નાગરી’ એવી વ્યુત્પત્તિ સંભવે છે. કોઇએ નાગર બ્રાહ્મણો કે નાગર અપભ્રંશ સાથે આ લિપિ જોડવાનો પ્રયાસ કર્યો છે. એ માટે કશો આધાર નથી. શામશાસ્ત્રીએ એક લેખમાં એમ સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે કે દેવમૂર્તિઓ બનતાં પહેલાં દેવની ઉપાસના સાંકેતિક ચિહ્નોથી થતી. ત્રિકોણ કે ચક્રો વચ્ચે (જેમને ‘દેવનગર’ કહેતા) સાંકેતિક ચિહ્નો લખાતાં. કાળક્રમે એ ચિહ્નો તે તે નામોનાં આદ્યાક્ષર બની રહ્યાં અને ‘દેવનગર’ની વચ્ચે એ લખાવાથી એ લિપિ દેવનાગરી કહેવાઇ. આ તર્ક માટે પણ કોઈ પ્રમાણ મળતું નથી. વસ્તુતઃ નગરજનોની સંસ્કારી લિપિ તે ‘નાગરી’, જેનો દેવવિષયક (ધર્મ)ગ્રંથોમાં ઉપયોગ થવાથી ‘દેવનાગરી’ કહેવાઈ–આ માન્યતા જ વધારે સુસંગત લાગે છે. સૌથી જૂના નાગરી લેખો ઈસવી સનના ૭ મા અને ૮ મા શતકના મળે છે. એના વર્ણો લાંબા અને છેડેથી વળેલા હોય છે અને પ્રત્યેક વર્ણનું નાની આડી લીટીથી માથું (शिरोमात्रा) બાંધેલું હોય છે એ એનું વિશિષ્ટ લક્ષણ છે. ‘સિદ્ધમાતૃકા’માં વર્ણને માથે કેવળ ખાંચો જ (wedge) પાડેલો હતો, તેને સ્થાને નાગરીમાં શિરોમાત્રા બંધાવા લાગી અગિયારમા સૈકા સુધીમાં તો ઉત્તર ભારતમાં એનું સર્વત્ર વર્ચસ્વ જામ્યું હતું. ગુજરાતમાં ખંભાત અને પાટણના જૈન ભંડારોમાં અને રાજસ્થાનમાં જેસલમેર આદિ પુરાતન ભંડારોમાં ૧૦ મા ને ૧૧ મા શતકમાં લખાયેલી સંખ્યાબંધ તાડપત્ર પ્રતિઓ મળી આવી છે.

આકૃતિ ૧૭ મી (બ્રાહ્મીમાંથી દેવનાગરીનો ઉત્ક્રાન્તિક્રમ)


પ્રાચીન નાગરીની પૂર્વીય શાખામાંથી અગિયારમા સૈકાના અંતભાગમાં બંગાળી લિપિ નીકળી. ‘કૈથી’ કે ઉત્તર ભારતના કાયસ્થોની લિપિ, મહાજની કે રાજસ્થાનના મારવાડી વેપારીઓની લિપિ, એને મળતી આવતી મહારાષ્ટ્રની વ્યાપારલિપિ ‘મોડી’ અને ગુજરાતી લિપિ, એ સર્વ નાગરીમાંથી ઉત્પન્ન થયેલી લિપિઓ છે. દક્ષિણમાં નંદિનાગરી લિપિ એ નાગરીનું જ સ્વરૂપ છે. એમાં અક્ષરોના છેડા જમણી તરફ વાંકા વળતા નથી. એનું ઉત્તરકાલમાં વિકસિત સ્વરૂપ કન્નડ પ્રદેશના ૧૩મા થી ૧૬મા સૈકાના શિલાલેખોમાં નજરે પડે છે. શારદા લિપિ એ ગુપ્ત લિપિના પશ્ચિમી સ્વરૂપમાંથી, અર્થાત્ ‘કુટિલ’ લિપિમાંથી લગભગ ૮મા સૈકામાં વિકસી છે. કાશ્મીરમાં આજે પણ એ પ્રચારમાં છે. ગુરુમુખીના ઘણા અક્ષરો એમાંથી લેવામાં આવ્યા છે. બરાબર દેવનાગરી જેટલા જ વર્ણો એમાં છે, પરંતુ એમની આકૃતિઓ દેવનાગરીથી ખૂબ જુદી પડે છે. (પ્રાચીન) બંગાળી લિપિનો ઉદ્ભવ નાગરીના પૂર્વીય સ્વરૂપમાંથી લગભગ ૧૧મા સૈકામાં થયો. મહિપાલ ૧ લાના (ઈ.સ. ૯૭૫ – ૧૦૨૬ આશરે) બનગઢના દાનપત્રમાં એનું પ્રથમ નિદર્શન મળે છે. એના ગોળાકૃતિ અક્ષરો, અને વર્ણના દંડની ડાબી બાજુએ બનતા ત્રિકોણથી એ તરત જુદી પડી આવે છે. એમાંથી નેપાલી, વર્તમાન બંગાલી, મૈથિલી અને ઉડિયા લિપિઓ નીકળી છે. આ ઉપરાંત બ્રાહ્મી લિપિનાં નીચે પ્રમાણે રૂપો મળી આવે છે. પશ્ચિમી – ગુજરાત, સૌરાષ્ટ્ર, નાસિક, ખાનદેશ, હૈદ્રાબાદ, કોંકણ અને મહિસૂરના શિલાલેખોમાં ૫ મી થી ૯ મી સદી સુધી મળે છે. ૫ મી સદીથી એનો રાજસ્થાન અને મધ્ય ભારતમાં થોડોક પ્રવેશ થયો છે. મધ્યદેશીય – હૈદરાબાદનો ઉત્તરભાગ ને બુંદેલખંડમાં ૫મીથી ૮ મી સદી સુધી મળે છે. આ અક્ષરોનાં માથાં પેટીની આકૃતિનાં હોય છે. તેલુગુ-કન્નડ – હૈદરાબાદના દક્ષિણ ભાગમાં ને કર્ણાટકમાં તથા મદ્રાસના ઈશાન પ્રદેશમાં ૫ મી સદીથી મળે છે. વર્તમાન તેલુગુ અને કન્નડ લિપિઓ એમાંથી જ નીકળી છે. ગ્રન્થ લિપિ – મદ્રાસમાં મળી છે. ૭ મી સદીથી ૧૫ મી સદી સુધી એ વિકસતી ગઈ. એમાંથી હાલની મલયાલમ અને તુળુ લિપિઓ નીકળી છે. મદ્રાસમાં, જ્યાં તામિલ લિપિનો પ્રચાર છે ત્યાં પણ, સંસ્કૃત ગ્રંથો આ લિપિમાં લખાતા રહ્યા છે તેથી એનું નામ ‘ગ્રંથ’ લિપિ પડ્યું છે. કલિંગ લિપિમાં ૭મી થી ૧૧મી સદી સુધી લેખો મળે છે. એના પ્રાચીન લેખો મધ્યદેશીયને અને પાછળના નાગરી, તેલુગુ, કન્નડ ને ગ્રંથને મળતા આવે છે. તામિલ લિપિ – ૪ થા કે ૫ મા સૈકાની બ્રાહ્મીમાંથી ઉદ્ભવી છે. એના ઉપર ગ્રંથ લિપિની પુષ્કળ અસર છે. ૧૫ મા સૈકા સુધીમાં એનો સંપૂર્ણ વિકાસ થયો હતો. એમાં ૭ મી સદીથી ગ્રંથો મળે છે. વર્તમાન તામિલ લિપિ એમાંથી જ ઉદ્ભવી છે. દેવનાગરી લિપિનું વર્ચસ્વ ભારતમાં મધ્યકાળથી રહ્યું છે. સંસ્કૃત ગ્રંથોનું લેખન એમાં જ થતું આવ્યું છે. સંસ્કૃત ભાષાના વિદ્વાન બ્રાહ્મણ વૈયાકરણોને હાથે એ ઘડાઈ છે એમાં શંકા નથી. આજે મરાઠી અને હિંદી ભાષાઓ એ લિપિનો જ વ્યવહાર કરે છે. નેપાલની એ રાજલિપિ છે. બંગાળ, મિથિલા, ગુજરાત આદિ પ્રદેશોમાં એનો સમાદર છે. સંસ્કૃત ગ્રંથોનું મુદ્રણ આજે પણ દેવનાગરી લિપિમાં જ થાય છે. ભારતની આજે એ રાષ્ટ્રીય લિપિ છે, જેને માટે એ સર્વથા સુયોગ્ય છે. દસમી સદી પછી એનો સંપૂર્ણ વિકાસ થયો. અગિયારમી સદીની નાગરી વર્તમાન નાગરીને ઘણી મળતી આવે છે; બારમી સદીથી નાગરીનું વર્તમાન સ્વરૂપ સંપૂર્ણ બંધાયેલું મળે છે. એનાં પરસ્પર થોડીક ભિન્નતાવાળાં બે સ્વરૂપો મળે છે—પૂર્વીય અને પશ્ચિમી. પશ્ચિમી સ્વરૂપ, જે ગુજરાત-મહારાષ્ટ્રમાં પ્રચલિત છે એથી આપણે સુપરિચિત છીએ. પૂર્વીય સ્વરૂપમાં अ, भ, झ જેવા કેટલાક વર્ણોની આકૃતિ થોડીક જુદી પડે છે. મુંબઈના ‘નિર્ણયસાગર’ પ્રેસમાં કે પૂનાના ‘આર્યભૂષણ’ પ્રેસમાં છપાયેલા સંસ્કૃત ગ્રંથોને કલકત્તામાં કે કાશીમાં (ચૌખમ્બા આદિ શ્રેણીમાં) છપાયેલા ગ્રંથો સાથે સરખાવતાં આ ફરક તરત નજરે પડે છે. ધ્વન્યાત્મક લેખન માટે આ એક સર્વોત્તમ લિપિ છે. એની મુખ્ય અપૂર્ણતા હોય તો એટલી જ છે કે પ્રત્યેક વ્યંજનસંજ્ઞામાં अ સ્વર અંતર્ગત રહેલો છે. તાડપત્ર આદિ લેખનસાહિત્ય કષ્ટપ્રાપ્ય હોઈ, સ્થળસંકોચને કારણે ઘણી પ્રાચીન હસ્તપ્રતોમાં ઉપરની માત્રા આગળ—વર્ણની ડાબી બાજુએ—અને હ્રસ્વ ઉ તથા દીર્ઘ ઊનાં ચિહ્નો પાછળ—વર્ણની જમણી બાજુએ—લગાડેલાં મળે છે. આશરે ઈ. સ. ૧૭૦૦ પછી ધીમે ધીમે માત્રા દર્શાવવાની આ રીતનો પ્રચાર લુપ્ત થયો છે. મુદ્રણકળાના પ્રચાર પછી સંયુક્તાક્ષરો ઉપરનીચે લખાતા ધીમે ધીમે બંધ થયા અને મુદ્રણસૌકર્ય માટે સાથેસાથે લખાવા શરૂ થયા. વર્તમાન નાગરીમાં વર્ણોનું લેખન ધ્વનિક્રમ અનુસાર થાય છે—માત્ર હ્રસ્વ इ વર્ણની પૂર્વે અને र्-કાર(રેફ) પછીના વર્ણ ઉપર લખાય છે. ऐ, ओ, औની માત્રાઓ વર્ણની ઉપર લખાય છે, અને उ, ऊ, ऋનાં ચિહ્નો વર્ણની નીચે અંકિત થાય છે. દંડ વિનાના વ્યંજનોમાં (ઉ.ત. ट, ठ, छ, द આદિમાં) સંયુક્તાક્ષરો ઉપરનીચે જોડીને લખાય છે. હ્રસ્વ ऍ, र्ओ માટે અલગ વર્ણ કે ચિહ્ન નથી. ગુજરાતી લિપિ ગુજરાતી ભાષાના ઉદ્ભવકાળ પછીનાં કેટલાંયે સૈકાઓ સુધી ગુજરાતી ગ્રંથો માટે દેવનાગરી વપરાતી. ત્યારે આ જ લિપિ વ્યવહારમાં પણ સર્વત્ર વપરાતી હતી, કે પછી સંસ્કૃતના વિદ્વાન લહિયાઓને હાથે લિપિબદ્ધ થવાને કારણે જ આ ગ્રંથો દેવનાગરી લિપિમાં લખાયા હતા પણ વ્યવહારમાં કદાચ ‘મોડી’ કે ‘મહાજની’ જેવી ગોળાકાર, પરસ્પર જોડાયેલા અક્ષરોવાળી બીજી કોઈ લિપિ પ્રચલિત હતી–એ નક્કી કરવાનાં સાધનો ઉપલબ્ધ નથી. ગુજરાતી લિપિ બહુધા દેવનાગરી સમી જ છે; માત્ર નીચેના જેવા કેટલાક વર્ણોમાં થોડોક ફરક નજરે પડે છે: ઉ. ત. અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ક, ખ, ચ, જ, ઝ, ણ, ફ, બ, ભ, લ, ળ. ધીમે-ધીમે લેખનસૌકર્ય માટે દેવનાગરી વર્ણો ઝડપથી લખાતા આ અક્ષર-પરિવર્તનો થયાં. ઈ. સ. ના સોળમા સૈકાની બ્રાહ્મણ (જૈનેતર) પ્રતિઓમાં આ પરિવર્તનનો પ્રારંભ થાય છે. અઢારમા સૈકાની પ્રેમાનંદ, અખો આદિ કવિઓની રચનાઓની હસ્તપ્રતોમાં આ પરિવર્તન લગભગ સંપૂર્ણ થઈ ગયું જણાય છે, અને ગુજરાતી લિપિ એના વર્તમાન સ્વરૂપે આપણી પાસે પ્રકટ થાય છે. એમાં વાણિયાઓના ચોપડાઓમાં હોય છે તેવી સળંગ આડી રેખા અક્ષરો ઉપર દોરેલી હોય છે, એ અવશેષાત્મક (vestigial) સમજવાની છે. અક્ષરોની આકૃતિ સાથે એનો સંશ્લેષ અને સામંજસ્ય ઘટી ગયાં છે. એથી, મુદ્રણ માટે આવશ્યક બનતાં, આ લગભગ નિરર્થક બની ગયેલી શિરોરેખા સહજ રીતે છોડી દેવાઈ. દેવનાગરી શિરોરેખા ગુજરાતીમાં ગ્રંથો મુદ્રણ થવાનો પ્રારંભ થયો ત્યાં સુધી રહી. પ્રારંભના શિલાછાપના ગ્રંથો માટેની નકલમાં આખી પંક્તિ માટે એક જ સળંગ લીટી અક્ષરોની ઉપર દોરવામાં આવતી. ૧૯મી સદીની અધવચમાં લાકડાંનાં બીબાંથી છાપવાનો પ્રચાર થતાં મુદ્રણની અનુકૂળતા માટે એ પણ દૂર કરવામાં આવી અને વર્તમાન શિરોરેખાનાં બંધન વિનાની ગુજરાતી લેખનપદ્ધતિ પ્રચારમાં આવી. ત્યારથી ગુજરાતીને એનું વર્તમાન સ્વરૂપ પ્રાપ્ત થયું. કેવે ક્રમે દેવનાગરીમાંથી ગુજરાતી લિપિની ઉત્ક્રાન્તિ થઈ હશે એ નીચે દર્શાવી છે. એમાં પ્રથમ દેવનાગરી અક્ષર આપ્યો છે; પછી એમાંથી વિકસેલો ગુજરાતી અક્ષર દર્શાવ્યો છે, જે બહુધા ૧૪માથી ૧૭મા શતક સુધીની હસ્તપ્રતોની લેખનપદ્ધતિમાંથી ઉદ્ધૃત કર્યો છે. એ પછી શક્ય હતું ત્યાં ત્યાં ૧૭મા – ૧૮મા શતકની હસ્તપ્રતો તેમજ પ્રારંભકાળનાં મુદ્રિત પુસ્તકોમાં પ્રાપ્ત થતું અંતરાલ રૂપ આપ્યું છે, જે તે તે વર્ણનો કાલક્રમે થયેલો વિકાસ દર્શાવે છે. છેલ્લે વર્તમાન ગુજરાતી વર્ણ આપ્યો છે.



આકૃતિ ૧૮ મી (ગુજરાતી લિપિનો વિકાસક્રમ)

વર્તમાન ગુજરાતી ‘ખ’ દેવનાગરી ‘ख’ માંથી નહીં પણ ष માંથી આવ્યો છે. મધ્યકાલીન પ્રતિઓમાં બહુધા ‘ખ’ને સ્થાને ष અંકિત થયેલો મળે છે, જેનો યજુર્વેદ પ્રાતિશાખ્યના સમયથી ‘ખ’ ઉચ્ચાર થતો હતો એ સુવિદિત છે. ળ દેવનાગરી ळ કરતાં દ્રાવિડી ભાષાઓની ળ સંજ્ઞામાંથી આવ્યો હોવાનું વિશેષ સંભવિત છે. લિપિઓની ઉત્ક્રાન્તિ શાસ્ત્રીય વિકાસપરંપરા અનુસાર થઈ છે. લેખનમાં ત્વરા, લેખનસૌકર્ય, લેખનસાહિત્યની મર્યાદા, ક્વચિત્ અન્ય સંસ્કૃતિની પ્રબળ અસર, એ સર્વ કારણો એમાં કારણભૂત હોય છે. ઉ.ત. અ, ઈ, ઉ, ક, જ, ળ આદિ વર્ણોનો વિકાસ લેખનત્વરા અને લેખનસૌકર્યને કારણે છે, તો મધ્યકાલીન પ્રતિઓમાં આડી માત્રા (‘પડિમાત્રા’) તાડપત્રાદિ કિમતી લેખનસાહિત્યનો સંભાળથી, કસરથી ઉપયોગ થાય એ કારણે પ્રચારમાં આવી છે. અન્ય સંસ્કૃતિ અને સાહિત્યની પ્રબળ અસર પણ લેખનપદ્ધતિને વિશિષ્ટ મરોડ આપી શકે. ઉદાહરણ તરીકે બે પેઢી પહેલાં સંસ્કૃત પ્રણાલિકામાં ઊછરેલા વિદ્વાનો ઊભી સીધી રેખાઓથી લખતા. કવિ દલપતરામે કે શાસ્ત્રી વ્રજલાલે શિલાછાપ માટે પોતે, તૈયાર કરેલી નકલો—જેનું શિલાછાપ એ અક્ષરશઃ રૂપાન્તર છે – જુઓ. આજે વર્તમાન લેખકોના લેખનમાં વર્તુલાકાર અક્ષરો પ્રધાનપણે નજરે પડશે. એનું કારણ વર્તમાન લેખકોનો રોમન લિપિમાં અંગ્રેજી લખવાનો મહાવરો એ છે. કૃત્રિમ રીતે લિપિને નવો ઘાટ આપી શકાતો નથી એ તાજેતરમાં કેટલાક વિદ્વાનોએ દેવનાગરીનું સંસ્કરણ અને સરલીકરણ કરવાનો પ્રયાસ પરિણામે કેવો નિષ્ફળ નીવડ્યો એ ઉપરથી જણાય છે. બેશક, ભાષા જીરવી શકે એવા સામાન્ય સુધારાઓ કરી શકાય – કાળે કાળે એ થતા આવ્યા છે. ઉર્દૂ અને રોમન – ભારતમાં બ્રાહ્મીથી ઉત્પન્ન નહીં થયેલી એવી બે લિપિઓ પ્રચારમાં છે તેની અહીં નોંધ લેવી ઘટે છે. એમાંની એક છે ઉર્દૂ, જે અરબીમાંથી ફારસી રૂપાન્તર દ્વારા મોગલ સમયની આસપાસ ઉત્પન્ન થઈ છે. એ જમણીથી ડાબી તરફ લખાય છે. ભારતીય વિશિષ્ટ વર્ણો માટે મૂળ ફારસી લિપિમાં એ મધ્યકાળમાં પણ કેવા સુધારા થઈ શક્યા હતા એનું એ ઉત્તમ નિદર્શન છે. ઉત્તર ભારતમાં અને અન્યત્ર મુસલમાનોમાં એનો સવિશેષ પ્રચાર છે. આજે એનું વર્ચસ્વ ઘટી ગયું છે. રોમન લિપિનો ઉપયોગ વિદેશી વિદ્વાનોના સંસ્કૃત ગ્રંથોમાં તેમ ભારતીય પુરાતત્ત્વના ગ્રંથોમાં વિશેષ થયો છે. એ સિવાયના સામાન્યરૂપના વ્યવહારમાં એ લશ્કરમાં હિંદી લેખન માટે, ગોવામાં કોંકણી લખવા માટે વપરાય છે. સ્વાતંત્ર્યોત્તર ભારતમાં હવે એનો વિશેષ પ્રચાર થવો શક્ય નથી.


શરદપૂર્ણિમા, ૨૦૨૦
૧૦-૧૦-૧૯૬૫
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ અને
એ. એમ. પી. લૉ કૉલેજ, રાજકોટ


કાન્તિલાલ બ. વ્યાસ


  1. ૧ David Diringer, The Alphabet, p. 20
  2. ૨. J. Vendryes, Language, p. 319.
  3. 3 Cf. Diringer, op. cit., p. 21: “man began his writing with picture - writing.”
  4. ૪ સરખાવો: Tommy Thompson, The ABC of our Alphabet, pp. 8-9.
  5. ૫ Diringer, op. cit., pp. 23-24.
  6. ૬ Vendryes, Language, p. 320-321.
  7. ૭ સરખાવો: “Intrinsic phoneticism is still absent; it is only a semantic representation.”
    – Diringer, op. cit., p. 31


  8. ૮ જુઓ: Diringer, op. cit., p. 33.
  9. ૯ જુઓ: Thomson, ‘The ABC of our Alphabet’, p. 11.
  10. ૧૦ સરખાવો: Diringer, op. cit., p. 34.
  11. ૧૧ બ્લૂમફીલ્ડ ideographs (=‘વિચારસંકેત’) ને બદલે logographs (= word-writing, અર્થાત્, ‘શબ્દસંકેત’) નામ આપવાનું વધારે પસંદ કરે છે. જુઓ: Bloomfield, Language, p 285.
  12. ૧૨ સુમેરિયન પ્રજાનું આદિમ વતન કયું એ જાણી શકાયું નથી. સુમેરિયન (Sumerians) અને એક્કેડિયન (Accadians) ની લેખનપદ્ધતિ ઇજિપ્ત જેટલી જ પુરાતન છે, અને સ્વતંત્ર રીતે વિકસાવેલી છે. એની પદ્ધતિ જુદી છે, જો કે એમાં પ્રવર્તતો સંજ્ઞાભિવ્યક્તિવ્યાપાર સમાન છે. એમાં પોચી માટીમાં લોખંડની લેખણ (stylus) થી છીણીની માફક કાપીને અક્ષરો કોતરાતા. એથી બધા ગોળાકાર છોડી દઈને કેવળ ફાચર (wedge) જેવી લીટીઓ વડે મૂળ ચિત્રાકૃતિ સંકેતોનું કીલકાકૃતિ રેખાઓમાં રૂપાન્તર થતું. માટે એને ‘ક્યુનીફૉર્મ’ (cunei=of wedge’ ઉપરથી) લેખનપદ્ધતિ’ (=wedged letters) કહે છે.
    સુમેરિયનો પાસેથી એમના વિજેતા બેબિલોનિયન (Babylonians) અને એસિરિયનોએ (Assyrians) એ ગ્રહણ કરી.
  13. ૧૩ ક્રીટવાસીઓ અને હિટ્ટાઇટ લોકોની લેખનપદ્ધતિ પણ આ જ પ્રકારની હતી.
    સરખાવો: Diringer, op. cit., p 35
  14. ૧૪ જુઓ: Thompson, op. cit., pp. 12-13.
  15. ૧૫ જુઓ: Concise English-Chinese Dictionary, & Concise Chinese-English Dictionary, (Romanized) - James c Quo, pub. Charles E. Tuttle Co., Tokyo, Japan, 1959-1960.
  16. ૧૬ જુઓ: Thompson, op. cit., p. 45.
  17. ૧૭ Diringer, op. cit., P 37.
  18. ૧૮ E. H. Sturtevant, An Introduction to Linguistic Sicence, p. 26.
  19. ૧૯ સરખાવો: “The image and the sound could be substituted for one another.... The image could be treated, first as the emblem, then as the graphic transcription of the sound. Then, since the nature of the object was, in turn, linked with the object, this name came to be linked with the image which had invoked the idea. The sign representing the object likewise became the sign of the sound expressing the object. Phonetic writing had been created.”
    —J. Vendryes, Language, p. 323.

  20. ૨૦ જુઓ: Diringer, op. cit., p. 36.
  21. ૨૧ સરખાવો: Thompson, op. cit., p. 28.
  22. ૨૨ ‘Rebus’ = ‘representation of name, word etc. by pictures’.
  23. ૨૩ જુઓ: Vendryes, op. cit., p. 324.