ભાષાવિજ્ઞાન/વાક્યવિચાર
વાક્યવિચાર
‘वाक्यं त्वाकाङ्क्षायोग्यतासन्निधिमतां पदानां समूहः ।’ ‘आकाङ्क्षा प्रतिपत्तुर्जिज्ञासा । योग्यता पदानां परस्परसम्बन्धे बाधाभावः । पदनामविलम्बेनोच्चारणं संनिधिः ।’
वाक्यभावमवाप्तस्य सार्थकस्यावबोधतः।
संपद्यते शब्दबोधो न तन्मात्रस्य बोधतः ॥
“Sentences have two other properties. The first of these is that they are composed of words, and have a meaning derivative from that of the words that they contain; the second is that they have a certain kind of unity, in virtue of which they are capable of properties not possessed by their constituent words.” —Bertrand Russel, An Inquiry into Meaning and Truth વાક્યનું તાત્ત્વિક સ્વરૂપ — ભાષા જેમ વાક્યસમૂહની બનેલી છે તેમ પદસમૂહથી વાક્ય બને છે. વૈયાકરણો પદોને ભિન્ન ભિન્ન પ્રકારોમાં વિભક્ત કરે છે, પણ વક્તાના મનમાં તો એ પદો પરસ્પર સુગ્રથિત, સુસંકલિત સ્વરૂપે — એક વિચારના પ્રતીક રૂપે — અવસ્થિત હોય છે. પરસ્પર વાતચીત કરતી વખતે મનુષ્યના વિચારની અભિવ્યક્તિનો ન્હાનામાં ન્હાનો પણ સ્વયંપૂર્ણ ખંડ તે વાક્ય. વાતચીતમાં એવાં એક કે અનેક વાક્યો આવે. કોઈ વાર્તા કહેવાતી હોય, કોઈ પ્રસંગનું વર્ણન થતું હોય, કે ભાષણ થતું હોય, ત્યારે એમાં અનેક વાક્યો હોય છે, જેમની વચ્ચે પરસ્પર કથાનો, પ્રસંગનો કે વક્તવ્યનો સૂક્ષ્મ અનુબંધ હોય છે. એ સર્વ—કથા, વર્ણન કે ભાષણ વક્તાનાં પૂર્વકથન સાથે સંબદ્ધ હોય છે—અર્થાત્, વક્તાની વિચારધારાનો એ એક અંશ છે. મનુષ્યની વિચારપ્રક્રિયા ઉપર પાછી સમાજની વિચારધારાની અસર પડે છે. આ રીતે, તાત્ત્વિક દૃષ્ટિએ, કોઈ પણ સંદર્ભમાં બોલાયેલું વાક્ય સમષ્ટિની વિચારધારાનું એક બિંદુ છે. વાક્યનો સમુચ્ચય તે ભાષા એ આપણે આગળ જોઈ ગયા. વાક્યઘટનાભેદે ભાષાનું સ્વરૂપ પણ ફરી જાય છે. જેમ માનસશાસ્ત્રીઓ માનવમનમાં ત્રણ તત્ત્વો—બુદ્ધિ, ઇચ્છા અને લાગણી—ની અવસ્થિતિ માને છે, તે પ્રમાણે ભાષાવૈજ્ઞાનિકો ભાષાનાં પણ તર્કબદ્ધ (logical), ક્રિયાશીલ (active), અને ઊર્મિશીલ (affective) એવાં ત્રણ સ્વરૂપો દર્શાવે છે. ભાષાનું વ્યાકરણનિબદ્ધ સ્વરૂપ તે તર્કબદ્ધ ભાષા (logical language); માનવભાષાના ઉદ્ગમ કાળે પરસ્પર જીવનવ્યવહારના અનુષંગમાં પ્રગટેલી સાહજિક વાણી૧[1] તે ક્રિયાશીલ ભાષા (active language)—જે વર્તમાન ભાષાઓમાં આજ્ઞાર્થક ક્રિયારૂપોમાં અને નામનાં સંબોધનરૂપોમાં અવશિષ્ટ છે; અને વિચારને માનવભાવો અને લાગણીઓનો પુટ આપતી ભાષા તે ઊર્મિશીલ ભાષા (affective language).
ભાષામાં તાર્કિક તત્ત્વ અને ઊર્મિતત્ત્વ બંને અનેક પ્રસંગે ઓતપ્રોત હોય છે. પ્રત્યેક વિચારની સાથે કંઈક ઊર્મિતત્ત્વ હમેશાં સંમીલિત હોય છે જ. માત્ર ઐતિહાસિક વર્ણનો આમાં અપવાદરૂપ છે—પુરાતન ભૂતકાળ સાથે એ સંબદ્ધ હોઈ વક્તાની ઊર્મિથી એ અલિપ્ત હોય છે. વક્તા બોલતો હોય ત્યારે આ ઊર્મિતત્ત્વ વિવિધ પ્રકારે—એના સૂરમાં, એના વાક્પ્રવાહના વેગમાં, ભિન્ન ભિન્ન શબ્દો ઉપર સહજ આવી જતા ભાર (stress) માં, અને ક્વચિત્ બોલતાં બોલતાં થતા એના અંગવિન્યાસ (gestures) માં—પ્રગટ થાય છે. કોઈ કુશળ અભિનેતાની વાક્છટામાં આ તત્ત્વોનો આપણને ઉત્કટ રીતે અનુભવ થાય છે. આ રીતે વાક્યનું સંપૂર્ણ કથયિતવ્ય કેવળ એના ઘટક શબ્દોના અર્થમાં સીમિત થઈ જતું નથી—એ સર્વથી અતિરિક્ત એવો ઊર્મિવત્ વિશેષાર્થ પણ એમાં અંતર્નિહિત હોય છે.ર[2]
ભાષામાં અંતર્હિત રહેલું ઊર્મિતત્ત્વ કેટલીક વાર ભાષાના રૂપબંધ ઉપર અસર કરે છે. આ અસર બે રીતે વ્યક્ત થાય છેઃ એક એના શબ્દકોશ(vocabulary)માં, અને બીજું એના પદક્રમ (syntax)માં. શબ્દોનાં અર્થપરિવર્તનમાં ઊર્મિતત્ત્વ કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે એ આપણે પૂર્વ પ્રકરણમાં જોઈ ગયા. ઊર્મિતત્ત્વનો પ્રભાવ કેટલીક વાર શબ્દના અનુસર્ગ-પ્રત્યયાદિકમાં પણ નિહિત હોય છે. ઉદાહરણ તરીકે, લઘુતાવાચક પ્રત્યયોથી બનેલાં રૂપો કેવળ લઘુતા જ દર્શાવતાં નથી હોતાં; અર્થ સાથે સુંદરતા, સુકુમારતા, અનુકંપા ઈ૰ ભાવો પણ એ ધ્વનિત કરતાં હોય છે. જેમકે, ફ્રેન્ચ maison (=house, home); maisonette (=bungalow); jardin (=garden), jardinet (=small garden) માં લઘુતાર્થ રૂપો કેવળ લઘુતા ઉપરાંત સુકુમારતા, સુંદરતા આદિ ભાવો પણ વ્યંજિત કરે છે.૩[3] અંગ્રેજી dear (< O. E. déore = beloved), darling (<O. E. déorling, = best loved); સં पुत्र, पुत्रक (= પ્રિય પુત્ર); नगर, नगरी; वघू, वधूटी (‘બિચારી, સુકુમાર, વધૂ’)૪[4] ગુજ૰ ‘મા’, ‘માડી’; ‘ભાઈ’, ‘ભાઈલો’; ‘બેન’, ‘બેનડી’; ‘આંખ’, ‘આંખડલી’; ‘રાત’, ‘રાતલડી’; ‘મોર’, ‘મોરલો’; ‘ઢેલ’, ‘ઢેલડ’; ‘પોપટ’, ‘પોપટજી’૫[5] ઈ.
વાક્યમાં પદક્રમ
વાક્યના પદક્રમનું વ્યાકરણમાં અત્યંત મહત્ત્વ છે. સામાન્ય રીતે કેટલીક ભાષાઓમાં પદક્રમ મુક્ત (free) હોય છે, તો અન્યમાં એ બદ્ધ કે સુનિશ્ચિત (fixed) હોય છે. ઉ. ત. સંસ્કૃતમાં કે ગ્રીક – લૅટિનમાં પદક્રમ મુક્ત છે; તો ચીનીમાં, અંગ્રેજી, ફ્રેન્ચ કે જર્મન જેવી યુરોપીય ભાષાઓમાં, કે ગુજરાતી – હિંદી જેવી વર્તમાન ભારતીય ભાષાઓમાં પદક્રમ સુનિશ્ચિત હોય છે. એમ છતાં સુનિશ્ચિત પદક્રમવાળી ભાષાઓમાં પણ અમુક અંશે મુક્તતા શક્ય છે – પદક્રમમાં ફેરફાર થતાં એ એકદમ દુર્ગ્રાહ્ય બની જતી નથી. (ઉ. ત. અંગ્રેજી Here he comes!; ગુજ૰ ‘આવી રહો તમે જલદી’). એથી ઊલટું, મુક્ત પદક્રમવાળી ભાષાઓમાં પદક્રમમાં સ્વૈર ફેરફાર ભાષાની પ્રકૃતિ કે પરિપાટી (genius) ને અનુકૂળ થતો નથી; એમાં પણ પદક્રમમાં ફેરફાર થતાં અર્થચ્છાયામાં કેટલેક અંશે પરિવર્તન થઈ જાય છે. ઉ. ત. લૅટિનમાં homo auarus est (=man avaricious is) એ પદક્રમવાળા વાક્યમાં homo (=man) ઉપર અર્થભાર (emphasis) છે; તો પદક્રમ ઉલટાવીએ તો auarus est homo એમાં auarus (=avaricious) ઉપર ભાર આવે છે. ब्रह्मदत्तो नाम राजा માં ब्रह्मदत्त ઉપર ધ્યાન કેન્દ્રિત થાય છે; राजा ब्रह्मदत्तो नाम માં राजा ઉપર ધ્યાન સવિશેષ કેન્દ્રિત થાય છે. આ પ્રકારનાં નામાત્મક વાક્યો (substantive sentences) માં ઉદ્દેશ્ય (subject) પ્રથમ આવ્યું હોય તો ઉદ્દેશ્ય ઉપર, અને વિધેય (predicate) પ્રથમ આવ્યું હોય તો વિધેય ઉપર અર્થભાર આવે છે.
ક્રિયાત્મક વાક્યો (verbal sentences) માં પણ સંસ્કૃત કે ગ્રીક લૅટિન જેવી ભાષાઓમાં પદક્રમ કેવળ મુક્ત નથી—એમાં પણ ઉદ્દિષ્ટ અર્થ પ્રમાણે કેટલેક અંશે સુનિશ્ચિત વ્યવસ્થા નજરે પડે છે. ઉ. ત. સામાન્ય વ્યવહારમાં સંસ્કૃતમાં કર્તા, કર્મ, ક્રિયાપદ એ વ્યવસ્થા બહુધા નજરે પડે છે – જોકે એમાં વક્તા ઈચ્છાનુસાર પરિવર્તન કરી શકે. તોપણ, यवनः साकेतम् अरुणत् એ સામાન્ય પદક્રમવાળું વાક્ય, અને अरुणद् यवनः साकेतम्૬[6] એ પરિવર્તિત પદક્રમવાળું વાક્ય બંનેમાં અર્થ-ભાવ-ચ્છાયા કેવળ સમાન નથી; પ્રથમ વાક્યમાં એક હકીકતનું વિધાનમાત્ર છે, જેમાં હુમલો કરનાર यवन હતા એવો નિર્દેશ છે, તો બીજામાં આશ્ચર્ય-આઘાતનો ભાવ પણ છે (કે ‘સાકેત જેવી નગરી ઉપર હલ્લો કરવાની યવનોની હિંમત ચાલી–શી વાત!’)
કેલ્ટિક ભાષામાં અતિ પુરાતન આઇરિશ રચનાઓના સમયથી પદક્રમ સુનિશ્ચિત થયો છે—પ્રથમ ક્રિયાપુરઃસર્ગો (verbal prefixes), પછી ક્રિયાપદ, એ પછી કર્તા અને છેલ્લે કર્મ. ક્રિયાપુરઃસર્ગ અને ક્રિયાપદની વચ્ચે કેવળ નિર્દેશાત્મક, રિક્તવત્ બનેલાં (enclitic) સર્વનામો મુકાય છે. આ પદક્રમની વ્યવહારમાં કેટલીક મર્યાદાઓ હતી; તેથી કાળક્રમે એનું અનુવર્તન શિથિલ થતું ગયું.૭[7]
જર્મૅનિક ભાષાઓમાં પદક્રમની સ્થિતિ આથી જુદા પ્રકારની મળે છે. જર્મનમાં બે પ્રકારના સુનિશ્ચિત પદક્રમ—વાક્યના સ્વરૂપ અનુસાર—મળે છે: પ્રધાન વાક્યખંડ (principal clause) માં ક્રિયાપદનું સ્થાન બીજું હોય છે; કર્તા કે કર્મ (કે વિધેયાદિક) ક્રિયાપદની પૂર્વે કે પછી, વક્તાની ઈચ્છાનુસાર આવી શકે છે. ઉ. ત. ‘der König ist blind’ = the king is blind; અથવા ‘blind ist der König.’ પરંતુ, ગૌણ વાક્યખંડમાં ક્રિયાપદ હંમેશાં છેલ્લે—કર્તા અને કર્મ આદિની પછી આવે છે. ઉ. ત. [man weiss das] “der König blind ist,” =[(the)
man points out that] “the king blind is.”૮[8]
અંગ્રેજીમાં અને ફ્રેન્ચમાં પદક્રમ સુનિશ્ચિત હોય છે: કર્તા, ક્રિયાપદ, અને કર્મ (કે વિધેય). ઉ.ત. ફ્રેન્ચ ‘Pierre frappe Paul,’ (= Pierre hits Paul); અંગ્રેજી ‘Peter strikes Paul.’ આ પદક્રમમાં ફેરફાર કરીએ (ઉ.ત. ફ્રેન્ચ ‘Paul frappe Pierre,’ અંગ્રેજી ‘Paul strikes Peter), તો વાક્યાર્થ તદ્દન ફરી જશે. ગુજરાતી હિંદી જેવી વર્તમાન ભારતીય આર્ય ભાષાઓમાં કર્તા, કર્મ (કે વિધેયાદિક પદો) અને છેલ્લે ક્રિયાપદ એવો પદક્રમ સામાન્ય છે.
વાક્યપ્રકાર (sentence-types) એક જ ભાષામાં અર્થચ્છાયાના ભેદ અનુસાર વાક્યના પ્રભેદો સંભવે છે. અંગ્રેજીમાં સૂરભેદે ત્રણ વાક્યપ્રકાર (sentence-types) બને છે, જે ભિન્ન ભિન્ન અર્થચ્છાયા પ્રગટ કરે છે. ઉ. ત. છેલ્લે અવરોહાત્મક સૂરે (falling pitch) ઉચ્ચારાયેલું—John ran away[.]—એ વાક્ય નિશ્ચયાત્મક વિધાન દર્શાવે છે; છેલ્લે આરોહાત્મક સૂરે (rising pitch) ઉચ્ચારાયેલું એ જ વાક્ય — John ran away[!]— આશ્ચર્ય વ્યક્ત કરે છે; અને પ્રારંભે આરોહાત્મક વાક્ય —Who ran away[?]— પ્રશ્નાર્થ કે પૃચ્છા દર્શાવે છે.૯[9]
બધી ભાષાઓમાં વાક્યના બે મહત્ત્વના પ્રભેદ મળે છે: એક પૂર્ણ વાક્ય (full sentence), અને બીજું ગૌણ વાક્ય કે લઘુ વાક્ય (minor sentence). કેટલાંક વાક્યસ્વરૂપો ભાષાને અભિમત (favourite) હોય છે. એનાથી પૂર્ણ વાક્ય બને છે; અન્ય વાક્યસ્વરૂપો ગૌણ હોય છે. ઉ. ત. અંગ્રેજી ભાષામાં બે પ્રકારનાં વાક્યસ્વરૂપો સવિશેષ અભિમત છે: એક, કર્તા-કાર્ય (actor-action) રૂપના વાક્યખંડ (ઉ. ત. પૂર્વોક્ત ‘John ran away. Who ran away? આદિ); બીજું, કર્તાના નિર્દેશરહિત સામાન્ય રૂપનાં ક્રિયાપદો (infinitive verbs)થી બનેલાં આજ્ઞા- રૂપનાં વાક્યો (ઉ. ત. Come! Do this!). અંગ્રેજીની માફક કેટલીયે વર્તમાન ઇન્ડો-યુરોપિયન ભાષાઓમાં ‘કર્તા-કાર્ય’ રૂપનું વાક્યસ્વરૂપ અભિમત વાક્યરૂપ (favourite sentence) હોય છે. અંગ્રેજીમાં આના પણ પેટાભેદ મળે છે: ઉ. ત. સુવ્યક્ત કાર્ય (explicit action) દર્શાવતું વાક્ય (ઉ. ત. I did hear him; નકારાર્થ રૂપ I didn’t hear him.). નકારાર્થ રૂપનાં આવાં વાક્યરૂપો ફિનીશ, રશિયન, ચીની, તગલોગ આદિ ભાષાઓમાં પણ મળે છે.૧૦[10] અભિમત સ્વરૂપ સિવાયનાં ઈતર વાક્યરૂપને ગૌણ કે લઘુવાક્ય (minor sentence) કહે છે એ કોઈ વાર કેવળ ઉદ્ગારવાચક અવ્યયો (interjections) નાં બને છે. (ઉ.ત. Oh, hello, sir, yes; સં. युज्यते, अथ किम्, ગુજ૰ ઠીક, સારું, હાસ્તો, ઈ૰), તો કોઈ વાર એ ઉદ્ગારવાચક વાક્યખંડ (phrases) રૂપનાં બને છે. (ઉ. ત. ‘dear me!’ ‘goodness gracious’, ‘thank you’, ‘good-bye’; સં. को दोषः, कल्याणमस्तु, शतं जीव; ગુજ૰ ‘બહુ સારું’, ‘જાવ જાવ’, ‘હોય નહીં’, ઈ૰).
સામાન્ય રીતે ગૌણ વાક્યો પૂરકાર્થ (completive) કે ઉદ્ગારાર્થ (exclamatory) હોય છે. પૂરકાર્થ વાક્ય આગળના સંદર્ભમાં આવે છે ને પૂર્વકથનમાં અનુપૂર્તિ કરે છે. ઉ. ત. This one. To-morrow morning. Certainly. When?; ગુજ૰ હાસ્તો, ના ના, બહુ સારું, કાલે, ઈ૰ ઉદ્ગારવાચક લઘુવાક્યો અચાનક, કોઈ પ્રસંગના આવેશમાં, બોલાઈ જાય છે. ઉ.ત. અંગ્રેજી damn it! This way please!; સં. हा धिक्; इतो इतो भवती, ગુજ૰ ‘હાય હાય’, ‘આમ આમ(આવો)’ ‘પછી’? ઈ૰ ગૌણ કે લઘુવાક્યો ક્યારેક સૂત્રાત્મક રૂપનાં હોય છે; ત્યારે એ લગભગ પૂર્ણ વાક્યની ગરજ સારે છે. ઉ. ત. અંગ્રેજી ‘First come, first served’; ‘The more, the merrier’; ગુજ૰ ‘વહેલો તે પહેલો’; ‘નામ મોટાં, પણ દર્શન ખોટાં’ ઈ૰૧૧[11]
કથ્યભાષાની વાક્યઘટના પ્રત્યેક ખેડાયેલી ભાષામાં કથ્યભાષા, અર્થાત્ નિત્યવ્યવહારની, બોલચાલની ભાષા (spoken language) અને લિખિત ભાષા (written language) વચ્ચે ઘણું અંતર હોય છે. બોલચાલની ભાષાનો શબ્દકોશ, અને વિશેષતઃ તો એનો પદક્રમ લિખિત ભાષા કરતાં જુદો પડે છે, તેમ એનાં વાક્યો પણ ન્હાનાં ન્હાનાં હોય છે. ઉ. ત. લિખિત ભાષાનો વાક્યસમુચ્ચય (period)—એનાં અનેક પેટાવાક્યો, એમને સાંકળી લેતાં સંયોજકો ને સાપેક્ષ સર્વનામો ઈ૰નો પથરાટ—કથ્ય ભાષામાં સંભવતો નથી. ઉ. ત. નીચેનાં જેવું સંકુલ વાક્ય કથ્ય ભાષામાં ક્યાંયે મળશે નહીં. “When we have traversed the wood and reached the keeper’s house of which you know, with its ivy-hung walls, we shall turn to the left till we find a suitable spot in which to have our open-air lunch.”
એને બદલે બોલચાલની ભાષામાં એ ઘણુંખરું આવી રીતે બોલાશે: “We go through the wood, and then on to the house, you know the one—the keeper’s with ivy on the wall—and then off to the left, where we ought to find a nice place to picnic.”૧૨[12] જે વિચારખંડો લિખિત ભાષામાં એક એકમરૂપે બરાબર સુસંકલિત ગોઠવાયેલા હતા, તે બોલચાલની ભાષામાં છૂટા પડી ગયા છે, ને તેમનો ક્રમ પણ જુદો છે. એમાં વક્તાની દૃષ્ટિમાં વિચારોનું જે મહત્ત્વ છે તદનુસારનું સંયોજન છે. કથ્ય ભાષા વ્યાકરણશુદ્ધ સંકલનાનો સમાદર કરતી નથી; એની ઘટનામાં તરલતા અને વેગ હોય છે. જુદા જુદા વાક્યખંડો વચ્ચેનું સંકલન (bond) એ અતિ સહજ રીતે, ઋજુતાથી અને સંક્ષેપમાં જ કરી લે છે. ઈન્ડો–યુરોપિયન ભાષાઓના વિકાસક્રમમાં આરંભકાળે સૂર એક મહત્ત્વનું વાક્યસંકલનનું સાધન હશે એમ ધારી શકાય છે. પછી કેટલાંક અવ્યયોનું વાક્યે વાક્યે પુનરાવર્તન કરીને વાક્યસંકલનનો નિર્દેશ કરવામાં આવ્યો હશે એમ લાગે છે. મનમાંથી ઉત્કટ લાગણીને બળે વિચારોનો જે સ્વયંભૂ ધોધ વહી રહે તે સાહજિક વાક્પ્રવાહ એ જ કથ્યભાષા. એમાં વક્તાની ચેતનામાં જે શબ્દોનું મહત્ત્વ હોય છે તે પ્રધાન સ્થાને આવે છે; એમને ભાષાની પરંપરાનુગત તાર્કિક વ્યવસ્થામાં યથાસ્થિત ગ્રથિત કરવાને વક્તા પાસે અવકાશ હોતો નથી. એમાં કથ્ય ભાષા બાલભાષાને ખૂબ મળતી આવે છે.
કથ્યભાષાનું સાહજિક સ્વરૂપ આપણને પુરાતન લોકસાહિત્યમાં અને વિશેષતઃ કથાસાહિત્યમાં મળે છે. નીચેનાં ઉદાહરણો જુઓ:
“मगधदेसि राजगृहनगरि, श्रेणिक राजा । तेहनउ बेटउ अनइ मंत्रीश्वर अभयकुमार । ते चतुर बुद्धिनिधान । बापनउं राज्य वृद्धिवंतउं करइ । इसिइ श्रेणिकराजा कहइ–वत्स, तउं राज्य लइ । अभयकुमार पापभए बीहतउ राज्य न वांछइ ॥”
— सोमसुन्दरसूरिकृत ‘योगशास्त्रकथा’૧૩[13]
આ પ્રાચીન ગુજરાતી ગદ્યકથાનું (વિક્રમ સંવત ૧૫મા શતકનું) ઉદાહરણ છે.
બીજું, આ જ પ્રકારનું, રાજસ્થાની કથાનું ઉદાહરણ જુઓ:
“एक गांवमें रास मंडवा लागो । जाजम बिछाई । झालर बजाई । तर मरदंग्याने तस लगी । तर गांवका छोरा न पूछे । अरे डावड़ा पाणी री जुगत बताओ । तब छोरा कीयो । ऊ कूड़ो आंबा रुख हेरे छै । तब मरदंग्यो कूड़े गीयो । आगे देखे तो एक अस्त्री पांणी के किनारे रूठी बैठी छै । तब मरदंगे कैही—हे बाई तू कूणे छै । तब कन्या कही—हूँ महाजनका बेटाकी बहु छूं । तब मरदंगे कही—तू अठे कूं आई है ॥”
—फतहरामकृत ‘पंचाख्यान’૧૪[14]
હવે અવધી ભાષાની કથાશૈલીનું એક ઉદાહરણ જોઈએ. “एक राजा रहइँ अउ महतारी रहइ। अउ दुलहिन रहइ । महतारी रोजु छप्पन परकाल के भोजन बनावइ अउ अपना खाइ अउ अपने लड़िकन क खवावइ । दुलहिन खातिर एक बेझरि कि रोटी सेंकइ । आधी रोटी अउ लोनु सबेरे देइ अउ आधी संझक ॥” — गुलगुलावाली कथा૧૫[15] છેલ્લે વ્રજભાષાના કથાસાહિત્યમાંથી (૧૭મી શતાબ્દિનું) એક ઉદાહરણ લઈએ. “सो वह ब्रजवासी आन्योर में रहतो । सो एक समै वह अपने बेटाकों विवाह कै अपने घर बहू ले कै आयो । सो वह बहू बडी हुती । सो वाके सास-ससुरने वाकों श्री गुसांईजीसों नाम दिवायो । तब वह श्री गुसांईजीकी सेवकिनी भई । ता दिन तें वह बहू नित्य श्री गोवर्धननाथजीके दरसन कों जाँइ । सो बाकों श्री गोवर्धननाथजीमें आसक्ति भई । सो श्री गोवर्धननाथजीके दरसन किये बिनु अन्नजल न ले । ऐसी याकी टेक । सो वह बहू बड़ी भगवदीय भई ॥” —गो. श्री हरिरायजी प्रणीत, ‘दोसौ बावन वैष्णवनकी वार्ता.’૧૬[16] આ ઉદાહરણોમાં બોલચાલની ભાષાનું સ્વરૂપ છતું થાય છે. લાંબા વાક્યસમુચ્ચયને સ્થાને ન્હાનાં ન્હાનાં સાદાં વાક્યો—બહુધા કર્તા અને ક્રિયાપદનાં બનેલાં—સંયોજકને બદલે तव, सो, अउ જેવાં અવ્યયોથી એક વાક્યનું બીજા વાક્ય સાથે સંકલન, કેટલીક વાર પૂર્વ વાક્યનો કોઈ અંશ ઉત્તર વાક્યમાં બેવડાવવો, ઈ૰ વિશિષ્ટતાઓ ભિન્ન ભિન્ન ભારતીય આર્ય ભાષાઓમાંથી ઉદ્ધૃત કરેલાં આ ઉદાહરણોમાં નજરે પડે છે.
કથ્ય ભાષાની આવી વિશેષતાઓનું સાહિત્યસ્વામીઓએ યથાપ્રસંગ અનુકરણ કરીને પોતાની રચનાઓમાં નવીનતાનું, ભાવોદ્રેકનું વાતાવરણ ઉત્પન્ન કરે છે. કવચિત્ એમાં કોઈ શબ્દ કે વાક્યખંડને યથાસ્થાન કરતાં આગળ ખેંચ્યો હોય છે, તો કોઈક વાર પાછળ ધકેલ્યો હોય છે, તો ક્વચિત્ વાક્યને અર્ધેથી અટકાવીને એથી વિલક્ષણ સ્વરૂપનું અન્ય વાક્ય એની પછી શરૂ કર્યું હોય છે. એથી ભાષાશૈલીમાં નાવીન્યને કારણે સચોટતા, તરલતા, વેગ આવે છે. નીચેનાં ઉદાહરણો જુઓ: “ચંદરભાઈ, તમને લૂટવા નથી; હું તમને ઓળખું છું. મારે તમારું કામ છે આમની સાથે જાવ –
જા! જાય છે કે નહીં? ચંદન, ખેંચી જા આ જુવાનને! સખત જાપતો રાખજે! એકદમ ચલાવ હથિયાર, ન માને તો. સાળી બ્રાહ્મણની જાત! — માર વગર માને જ નહીં ને!’’૧૭[17] અહીં આગળનાં વાક્યોનો વ્યવસ્થિત ક્રમ ધીમેથી સમજાવટ દર્શાવે છે. એનો અનાદર થતાં, પછી ન્હાનાં ન્હાનાં વાક્યો, એમાં આજ્ઞાર્થ ક્રિયાપદોનું બાહુલ્ય, પદક્રમનો વ્યત્યય, ઈ૰ ત્વરા, ધમકી, કઠોર આજ્ઞા, ઈ૰ સૂચવે છે. બીજું ઉદાહરણ જુઓ: “મોઈ રાંડ, કોણ જાણે ક્યાંયે હશે ને શરીર પર દાગીના છે!” “મનહરપુરી પાસે છે એટલે હરકત નથી.” “બાયડીની જાત—કાયા ને માયા બેનો ભો.” “રાંડ, આજ ઠીક પાંશરી થશે.” “ક્યાં આ બહારવટીઆમાં રોતી રખડતી હશે?” “બધાને પૂરી પડે એવી છે.” “કાચી માયા છે?” “મોઈ રાંડ.” “એનું શું થશે? હેં—મને એના જેવી બીજી નહીં મળે?” “છો રાંડ અથડાતી—ગાંઠ કરીને બેઠી છે તે.”૧૮[18] એમાં અતિ ટૂંકાં વાક્યો, નિશ્ચયાર્થ અને પ્રશ્નાર્થનું પરસ્પરાનુવર્તન (alternation) વિતર્ક – પ્રથમ ચિંતા અને પછી એનું સમાધાન – સૂચવે છે.
વાક્યની ઊર્મિવત્ વ્યાકરણકોટિઓ
વાક્યઘટનાની વિલક્ષણતા કેવી રીતે ભાવ કે ઊર્મિતત્વ પ્રગટ કરે છે તેની આપણે ચર્ચા કરી. પણ કેટલીક સામાન્ય વ્યાકરણ–કોટિઓનો ઉદ્ગમ જ ઊર્મિવત્ ભાષામાંથી થાય છે. ઉ. ત. ક્રિયાપદોના કાળમાં ભવિષ્યકાળમાં સવિશેષ ઊર્મિતત્ત્વ નજરે પડે છે. ભૂતકાળ તો એક સિદ્ધ થયેલો, અપરિવર્ત્ય, પરોક્ષ સ્વરૂપનો કાળ છે—એ કદીયે પાછો આવતો નથી, તેમ આપણો એના ઉપર કશો અધિકાર ચાલતો નથી. ભવિષ્યકાળમાં અનેક સંભાવનાઓની શક્યતા છે. તેથી એમાં અપેક્ષા કે આશંસા, ઈચ્છા, આશા, ભય ઈ૰ લાગણીઓને અવકાશ રહે છે. ઉ. ત. ‘એ કામ હું કાલે કરીશ’ (કે, ‘કરનાર છું’, ‘કરવાનો છું’)—એ વાક્યમાં આવતી કાલ વડે નિર્દિષ્ટ સમયાવધિમાં એ કામ કરવાની ‘મારી ઈચ્છા છે’, ‘મારી ધારણા છે’, ‘મારી સંમતિ છે’ એવા અર્થ પ્રગટ થાય છે. એથી ભવિષ્યકાળનાં રૂપો સામાન્ય રીતે ઇચ્છા કે ખુશી પ્રદર્શિત કરે છે. ઉ. ત. અંગ્રેજીમાં ‘I will go to-morrow’, ‘I shall do that’ એ રીતે; ચીનીમાં (ક્રિયાપદને ‘yao’=to will લગાડીને) ‘wo yao lai’ (=I will come); બલ્ગેરિયનમાં chotěti (=to will) એ સાહાય્યકારક ક્રિયાપદ વડે૧૯[19]—આમ ભિન્ન ભિન્ન ભાષાઓમાં ભવિષ્યકાળનાં રૂપોમાં ઈચ્છાદર્શક તત્વ સંમીલિત છે.
શબ્દ કે શબ્દાંગનું પુનરાવર્તન–અભ્યાસ (duplication)નો ઉદ્ગમ પણ ભાષાના ઊર્મિતત્ત્વમાંથી છે. ઘણી ભાષાઓમાં સર્વાધિકતા (superlative) વિશેષણ બેવડાવીને દર્શાવાય છે. ઉ. ત. અંગ્રેજી ‘It is very very good’, ફ્રેન્ચ ‘c’est beau, beau’ (= ‘that is exceedingly good’ – lit. ‘good, good’); સં. मन्दं मन्दं (नुदति पवनः); ગુજ૰ ‘એ તો ખુશ ખુશ થઈ ગયો,’ ઈ૰ ઈન્ડો–યુરોપિયન ને સેમિટિક ભાષાઓમાં ક્રિયારૂપોમાં ધ્વનિનું પુનરાવર્તન ઊર્મિતત્ત્વ દર્શાવે છે. ઉ. ત. ઈન્ડો–યુરોપિયન ભાષાઓમાં ધાતુના આદિ ધ્વનિનો અભ્યાસ (duplication) પૂર્ણ થયેલી ક્રિયા દર્શાવે છે. પ્રાચીન ગ્રીક કે સંસ્કૃતમાં પરોક્ષ ભૂતકાળ આ રીતે બન્યો છે. સેમિટિક ભાષાઓમાં ક્રિયાપદનો વ્યંજન(બહુધા મધ્ય વ્યંજન) બેવડાવવાથી તીવ્રતાવાચક અર્થ નિષ્પન્ન થાય છે. ઉ. ત. અરબી chábat (=he struck), chábbat (=he struck hard); kásar (=he broke), kassar (=he broke into pieces),૨૦[20] ઈ૰.
તર્કબદ્ધ ભાષા ઘસાઈને ઊર્મિઉદ્ગારમાં રૂપાન્તર—આ ઉદાહરણોમાં ઊર્મિતત્ત્વ ભાષાના બંધારણમાં સ્થાન પામ્યું છે. આથી ઊલટી પરિસ્થિતિ પણ ભાષામાં કેટલીક વાર નજરે પડે છે. ઉ. ત. એવા કેટલાયે ન્હાના ન્હાના શબ્દો આજે ભાષામાં વપરાતા હોય છે, જે મૂળ તર્કબદ્ધ ભાષાના અંગરૂપ હતા, પણ પછી ઘસાઈ ઘસાઈને કેવળ ઊર્મિઉદ્ગાર સમ બની ગયા એમાં અતિ પ્રયોગને કારણે મૂળ અર્થ કેવળ ઘસાઈ ગયો હોય છે. આવા શબ્દોમાંથી ઊર્મિતત્ત્વ પણ ધીમે ધીમે ક્ષીણ થઈ જાય છે અને એ કેવળ રિક્તાર્થ, વાક્યટેકણ સમાં (punctuation) બની ગયાં છે. ઉ. ત. અંગ્રેજી ‘You see’, ‘I mean’; ફ્રેન્ચ ‘allez-y’ કે ‘penses-tu’ (= you know); સં. तावत्, तु, हि, किल; ગુજ. ‘જાવ જાવ’, ‘મેં કહ્યું’ (સૂરતી બોલીમાં ‘મકું’) ‘છે તે’; ‘બળ્યું’, ‘બા’ (સ્ત્રીઓની ભાષામાં); ‘जो’ (રાજસ્થાનીમાં); हिंदी तब, फिर, ઈ૰
દાર્શનિકો અનુસાર શબ્દ અને વાક્યનું સ્વરૂપ
પ્રાચીન ભારતીય દાર્શનિકોએ શબ્દોના ચાર વિભાગ પાડ્યા હતા — જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્ય. વૈયાકરણોએ શબ્દોના નામ, સર્વનામ, કૃદંત (ક્રિયાદર્શક પદો), તદ્ધિત અને અવ્યય એવા પ્રકારો પાડ્યા છે. ઍરિસ્ટોટલે વાક્યનાં પદોના ચાર વિભાગ પાડ્યા હતા—નામ, વિશેષણ, ક્રિયાપદ અને અવ્યય—જેમાંથી આગળ જતાં પેટાપ્રભેદો પડતાં દસ વિભાગ થયા. આમ વાક્યના શબ્દોનું ભાષાભાષાએ ભિન્ન ભિન્ન પ્રકારે વિશ્લેષણ થયું છે; પણ એમાંથી કોઈ પ્રકાર સર્વમાન્ય થઈ શકે તેવો નથી. વાક્યનાં પદોનો યોગ્ય અન્વય (concordance) થવો જોઈએ. અન્વય એટલે પદોની સંગતિ. પ્રત્યયાત્મક ભાષાઓમાં પદોનો પરસ્પર અન્વય અત્યાવશ્યક છે. ઉ. ત. સંસ્કૃતમાં વિશેષણ વિશેષ્યનાં જાતિવચનવિભક્તિ સાથે અન્વિત હોવું જોઈએ (निबिडात् बनात्; रूपवतीं कन्यकाम्); તેમ કર્તરિ પ્રયોગમાં ક્રિયાપદનો કર્તા સાથે, કર્મણિ પ્રયોગમાં કર્મ સાથે અન્વય થવો આવશ્યક છે.
વાક્યનાં પદોમાં પરસ્પર આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિ એ ત્રણ ગુણો આવશ્યક છે. આકાંક્ષા શ્રોતાની જિજ્ઞાસાને પૂર્ણ કરે છે. ઉ. ત. ‘ઘોડો’ એ એક જ પદ વપરાયું હોય તો તેથી સાંભળનારની જિજ્ઞાસા પૂરી થતી નથી. ‘ઘોડો દોડે છે’, ‘દોડતો ઘોડો’, કે ‘ધોળો ઘોડો’ ઈ૰ એમ અન્ય પદો આવે ત્યારે જ શ્રોતાની જિજ્ઞાસા પૂર્ણ થાય છે, અને સમુચિત અર્થગ્રહણ થઈ શકે છે. અર્થદૃષ્ટિએ પદોની પરસ્પર સંગતિ કે ઔચિત્યને યોગ્યતા કહે છે. ઉ. ત. वह्निना सिश्चति એમ કહેવામાં કશી સંગતિ નથી – એથી સમુચિત અર્થપ્રતીતિ થતી નથી; એને બદલે पयसा सिज्चति એમ કહીએ તો યોગ્ય અર્થપ્રતીતિ થાય છે. વાક્યનાં અંગભૂત પદોનું વચ્ચે અકારણ વિલંબ વિના ઉચ્ચારણ કરવું એને સંનિધિ (=‘પદોનું પરસ્પર સામીપ્ય’) કહે છે. ઉ. ત. गाम् એમ એક શબ્દ કહ્યા પછી કેટલોક સમય જવા દઈને आनय કહેવાથી શ્રોતાના મનમાં અર્થગ્રહણ થતું નથી.૨૧[21] વાક્યનાં અંગભૂત પદો સાથેજ—અણઘટતા વિલંબ વિના—ઉચ્ચારાય ત્યારે એમાંથી એ બધાં પદોના અર્થસમુચ્ચય ઉપરાંત, એનાથી અતિરિક્ત કોઈ વિશેષાર્થ પણ પ્રતીત થાય છે એમ મીમાંસકો માને છે. કાવ્યની વ્યંજના વાક્યની આવી વિશેષાભિવ્યક્તિ ઉપર પૂર્ણપણે નિર્ભર છે.
- ↑ ૧ Active languageનો નૈસર્ગિક વાક્પ્રવાહ એકજ વિચારભાવને ભિન્ન ભિન્ન વ્યાકરણકોટિઓ વડે દર્શાવે એમ બને છે. ઉ. ત. ‘Be quiet’ (ક્રિયા૰), ‘Silence!’ (નામ), ‘Ssh!’ (ઉદ્ગારવાચક અવ્યય), કે ‘શાન્ત થાવ’, ‘શાન્તિ’, ‘ચૂપ’, એક જ વિચાર વ્યક્ત કરે છે.
- ↑ ર જુઓ : `आकाङ्क्षायोग्यतासंनिधिवशाद्वक्ष्यमाणस्वरूपानां पदार्थानां समन्वये तात्पर्यार्थो विशेषवपुरपदार्थोडपि वाक्यार्थः समुल्लसतीत्यभिहितान्वयवादिनां मतम्।’
સરખાવો : ``The complete content of a sentence, therefore, is not exhausted when the words composing it are known and its grammatical elements analysed. I still has an affective value which must be taken into account.’’
- ↑ ૩ સરખાવોઃ Vendryes, op. cit., p. 141.
- ↑ ૪ સરખાવોઃ `रथं वधूटीमारोप्य पापः क्काप्येष गच्छति।’
— भवभूतिकृत महावीरचरित, अङ्क 5, श्लो. 17
`अपि नाम न सृष्टा मम वधूटिका निशाचरेण।’
— जयदेवकृत प्रसन्नराघव, अङ्क 5 - ↑ ૫ સરખાવોઃ `બાંધવડે વિસારી એની બહેનડી’ (બોટાદકર, `રાસતરંગિણી’)
`બાપુને અંતરથી છૂટી બેટડી’ (બોટાદકર, `રાસતરંગિણી’)
`આંખલડીનાં આંસુ ખૂટ્યાં’ (કાન્ત, `પૂર્વાલાપ’)
`રૂપલા રાતલડીમાં ઊઘડે ઉરનાં બારણાં હો બ્હેન’ (ન્હાનાલાલ, `ન્હાના ન્હાના રાસ-1’)
`મનનો માનેલ મળ્યો મોરલો રૂપાળી રાત’ (બોટાદકર, `રાસતરંગિણી’)
`ઢેલડ ટહૂકો કરે’ (ન્હાનાલાલ, `જયા-જયન્ત’)
`આવ્યા ત્યાં કોક વનેથી ઊડતા પોપટજી રઢિયાળા’ (શેષનાં કાવ્યો, `કારમી કહાણી’) - ↑ ૬ पतञ्जलिविरचित व्याकरणमहाभाष्य ३-२-१११;
संपा० म. म. वासुदेवशास्त्री अभ्यंकर, भाग ३, पृ. २४६-२४७. - ↑ ૭ જુઓ: Vendryes, op. cit., p. 144.
- ↑ ૮ જુઓ: Vendryes, ibid., p. 144
- ↑ ૯ સરખાવો: Bloomfield, Language, pp. 170-171.
- ↑ ૧૦ સરખાવો: Bloomfield, op. cit., pp. 172-176.
- ↑ ૧૧ સરખાવો: Bloomfield, op. cit., pp. 176-177.
- ↑ ૧૨ જુઓ: Vendryes, op. cit., pp. 145-146.
- ↑ ૧૩ जुओ: ‘प्राचीन गुजराती गद्यसंदर्भ’, संपा० मुनिश्री जिनविजयजी, पृ. ११०-१११.
- ↑ ૧૪ આ ૧૯ મા શતકના રાજસ્થાની કથાસાહિત્યની પ્રસિદ્ધ રચના છે.
જુઓ: धर्मचन्द सन्त, ‘हिन्दी गद्यका आविर्भाव और विकास’ પૃ. ૧૧. - ↑ ૧૫ જુઓ: બાબૂરામ સક્સેના, सामान्य भाषाविज्ञान, પૃ. 165.
- ↑ ૧૬ जुओ: ‘दोसौ बावन वैष्णवनकी वार्ता’, द्वितीय खण्ड, संपा० गो. श्रीब्रजभूषण शर्मा, द्वारकादास परीख, प्रका० शुद्धाद्वैत एकेडेमी, कांकरौली, सं. २००९, पृ. २.
- ↑ ૧૭ ‘સરસ્વતીચન્દ્ર’, ભાગ-૨, પૃ. ૧૧.
- ↑ ૧૮ ‘સરસ્વતીચન્દ્ર’, ભાગ-૨, પૃ. ૨૦.
- ↑ ૧૯ જુઓઃ Vendryes, op. cit., p. 152
- ↑ ૨૦ જુઓઃ Vendryes, op. cit., p. 153.
- ↑ ૨૧ સરખાવો: विश्वनाथकृत साहित्यदर्पण, ed. P. V. Kane, 1923, Notes, pp. 34-35.