ભાષાવિજ્ઞાન/પદવિચાર

Revision as of 03:13, 20 June 2026 by Meghdhanu (talk | contribs) (Removed reference numbers)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પ્રકરણ સાતમું
પદવિચાર

“It would be impossible for any language to express every concrete idea by an independent word or radical element. The concreteness of experience is infinite, the resources of the richest language are strictly limited. It must perforce throw countless concepts under the rubric of certain basic ones, using other concrete or semi-concrete ideas as functional mediators.”

— Edward Sapir, Language


व्याकरणात् पदसिद्धिः पदसिद्धेरर्थनिर्णयो भवति ।
अर्थज्ञानात् तत्त्वं तत्त्वज्ञानात् परं श्रेयः ॥

—सिद्धहेमचन्द्र, पुष्पक


પદરચના

પ્રાસ્તાવિક

આપણે વાક્યરૂપે વિચાર કરીએ છીએ. વાક્ય આપણા મનમાં રહેલી વિચારપ્રતિમાને ધ્વનિસમૂહ દ્વારા વ્યક્ત કરે છે. એનો અર્થ ગ્રહણ કરતાં બે વ્યાપારો એક પછી એક પ્રવર્તતા હોય છે. પ્રથમ તો મન વાક્યનું વિશ્લેષણ(analysis) કરીને એનાં ભિન્ન ભિન્ન ઘટકો (elements) છૂટાં પાડે છે અને એમનો પરસ્પર સંબંધ સમજી લે છે. પછી એમનો સમન્વય (synthesis) કરીને સમગ્ર વાક્યમાં અંતર્હિત વિચારપ્રતિમા (verbal image) ગ્રહણ કરે છે. માનવમનમાં આ સમન્વય કેવી રીતે થાય છે એનો વિચાર કરીએ.

અર્થતત્ત્વ અને સંબંધતત્ત્વ

વાક્યમાં બે તત્ત્વો સંમીલિત હોય છે: કેટલાંક તત્ત્વો વિચારો (concepts) નો અર્થ પ્રકટ કરતાં હોય છે; તો અન્ય તત્ત્વો એમનો પરસ્પર સંબંધ દર્શાવતાં હોય છે. વિચારોનો બોધ કરાવતાં, અર્થાત્ અર્થ પ્રકટ કરતાં તત્ત્વોને અર્થતત્ત્વ (semanteme) કહે છે; ભિન્ન ભિન્ન અર્થતત્ત્વો વચ્ચે સંબંધ દર્શાવનાર તત્ત્વોને સંબંધ તત્ત્વ (morpheme) કહે છે.[1]

“મહાભારત એ વ્યાસનું અમર સર્જન છે”— એ વાક્યમાં ‘મહાભારત’, ‘વ્યાસ’, ‘અમર’, ‘સર્જન’, એ અર્થતત્ત્વો છે – એ વિશિષ્ટ વિચારો(concepts)નો બોધ કરાવે છે. એ વાક્યમાં ‘એ’, ‘નું’, ‘છે’ એ કોઈ વિશિષ્ટ વિચાર પ્રકટ કરતા નથી, પરંતુ ઉપરનાં અર્થતત્ત્વોનો પરસ્પર સંબંધ દર્શાવે છે — ‘એ’ મહાભારતને ઉપલક્ષે છે, ‘નું’ વ્યાસ અને મહાકાવ્યનો કર્તૃત્વકૃતિ સંબંધ દર્શાવે છે; ‘છે’ એ આ સંબંધ તેમજ આ કૃતિનું વર્તમાનમાં અસ્તિત્વ છે એમ સૂચવે છે. આ પ્રમાણે સંબંધતત્ત્વો એ એવા ધ્વનિઘટકો (phonetic elements) છે કે જે વાક્યમાંના શબ્દો નામ છે કે ક્રિયાપદ છે કે વિશેષણ છે ઈ૰ દર્શાવે છે, અને એમનું વ્યાકરણાત્મક સ્વરૂપ (grammatical category) અર્થાત્, જાતિ, વચન, પુરુષ, પ્રગટ કરે છે, તેમજ વાક્યમાંના અન્ય શબ્દો સાથેનો એમનો સંબંધ સૂચવે છે.

સંબંધતત્ત્વના પ્રકારો

સંબંધતત્ત્વ (morpheme)ના ભાષાભાષાએ ભિન્નભિન્ન પ્રકાર હોય છે. (૧) સંબંધતત્ત્વ અર્થતત્ત્વથી સંપૂર્ણપણે અલગ હોય: ઉ. ત. સંસ્કૃત इति, अपि, चेत्, च, तु; ગુજ૰ જ્યાં, ત્યાં, જ્યારે, ત્યારે, પણ, જ; અંગ્રેજી a, the, in, out ઈ૰.[2] કવચિત્ એક સંબંધતત્ત્વ વ્યક્ત કરવાને બે શબ્દો આવે અને એ પણ વાક્યમાં ભિન્નભિન્ન સ્થાને પ્રયોજાતા હોય. ઉ. ત. જો...તો, અંગ્રેજી no sooner...than, ફ્રેન્ચ ne...pas. બધાં સર્વ નામો સંબંધતત્ત્વ દર્શાવે છે; એ પૂર્વકથિત નામને ઉપલક્ષતાં હોય છે.

(૨) સંબંધતત્ત્વ અર્થતત્ત્વ સાથે સંપૂર્ણ રીતે સંમીલિત હોય ને શબ્દના અંગરૂપ બની જાય. એ શબ્દને આરંભે, મધ્યમાં કે અંતે પણ આવી શકે. ઉ. ત. સંસ્કૃતના અનદ્યતન અને અદ્યતન ભૂતકાળનાં રૂપને આરંભે લાગતો, ભૂતકાલીન ક્રિયા સૂચવતો अ, (अगच्छत्, अगमत्), તેમ નિષેધાર્થક પૂર્વગ अ (अकर्म, अनिद्रा), પદની મધ્યમાં લાગતો કર્મણિરચનાસૂચક य (क्रीयते, गम्यते) કે પ્રેરણાર્થક अय (कारयति, गमयति); પદને અંતે લાગતા વિભક્તિપ્રત્યયો, આખ્યાત–પ્રત્યયો, ને કૃત્ આદિ પ્રત્યયો (रामाय, रामस्य, गच्छन्ति, गत) ઇ૰. ગુજરાતીમાં આરંભે આવતો નિષેધાર્થક अ (અગણિત, અજૂગતું), વચ્ચે લગાડાતો પ્રેરણાર્થક आव (કરાવવું, બોલાવવું), અને અંતે આવતા નારીજાતિના પ્રત્યયો आणी, अण, (ગોરાણી, ધોબણ), વિભક્તિ પ્રત્યય ए (ઘોડે, માથે, ઘરે) ઈ૰ આ જ પ્રકારના સંબંધ-તત્ત્વનાં ઉદાહરણ છે. સેમિટિક ભાષાઓમાં આ પ્રકારના સંબંધતત્ત્વનો અતિ પ્રચુરપણે ઉપયોગ થાય છે. એમાં અર્થતત્ત્વ વ્યંજનો દ્વારા – જે બહુધા ત્રણ હોય છે – દર્શાવાય છે, અને એ પ્રત્યેક વ્યંજનને ભિન્ન ભિન્ન સ્વરો લાગતાં ભિન્ન ભિન્ન રૂપો બને છે. ઉ. ત. હિબ્રૂ (Hebrew) ભાષામાં sh-m-r (= રક્ષણ કરવું) એ ધાતુમાં ભિન્ન ભિન્ન સ્વરોની મેળવણી કરીને shamar (=he has guarded), shomer (=guarding), shamur (=being guarded), shmor ([to] guard), ઈ૰ રૂપો સિદ્ધ થાય છે.[3] એજ પ્રમાણે અરબી क़्त्ल् (qtl) ધાતુમાં ભિન્ન ભિન્ન સ્વરોની ઉમેરણી કરીને क़ातिल (qātil, = killing), क़त्ल, (slaughter) मक़तूल, (maqtūl, = killed), क़ातल, (qātal, = he sought to kill), यक़तुलु, (yaqtulu, = he kills), क़ित्ताल ( = deadly), વગેરે રૂપો બને છે. આને આંતરિક રૂપસિદ્ધિ (internal inflection) કહે છે; એ સ્વરક્રમ (vocalic ablaut)થી સિદ્ધ થાય છે.

અરબી ભાષામાં નામના રૂપોની સિદ્ધિ પણ આ પ્રકારે જ થાય છે. જેમકે, અરબી हिमर (ગધેડું), हमीर (ગધેડાં).[4] અંગ્રેજીમાં સ્વરક્રમ વડે રૂપસિદ્ધિનાં ઉદાહરણો કોઈ કોઈ મળે છે. ઉ. ત. એક૰ man, બહુ૰ men; એક૰ foot, બહુ૰ feet; એક૰ goose, બહુ૰ geese; વર્ત૰ hold, ભૂત૰ held; વર્ત૰ sing, ભૂત૰ sang, નામ ‘song’. (૩) અર્થતત્ત્વના ધ્વનિઓમાં પરિવર્તન કરીને—એકાદ ધ્વનિને સ્થાને બીજો ધ્વનિ મૂકવાથી—પણ સંબંધતત્ત્વ દર્શાવાય છે. કેટલાક સંસ્કૃત તદ્ધિતાદિ પ્રત્યયો લાગતાં, અને ગુજ૰ પ્રેરક રૂપો તેમ એકમાંથી અન્ય જાતિનાં રૂપો સિદ્ધ કરતાં, આ પ્રક્રિયા નજરે પડે છે. ઉ. ત. સં. कुमार, कौमार; पितृ, पैतृक; मधुर, माधुर्य; पुत्र, पौत्र; ગુજ૰ મરવું–મારવું, પડવું-પાડવું, બળવું-બાળવું, મળવું–મેળવવું, છોકરો-છોકરી-છોકરું, ઈ૰.

અંગ્રેજીમાં પણ સહેજ ઉચ્ચારભેદે – વસ્તુતઃ વ્યંજનપરિવર્તન વડે – વ્યાકરણકોટિમાં પરિવર્તન થયાંનાં (–નામમાંથી ક્રિયાપદ બન્યાંનાં–) ઉદાહરણો મળે છે. ઉ. ત. Wreath (નામ)(ઉચ્ચાર, रीथ्) = ‘માળા’ કે ‘હાર’,[to] wreathe (ક્રિયાપદ) (ઉચ્ચાર, रीध्) = ‘હાર કે માળા ગૂંથવી’; house (નામ) (ઉચ્ચાર, हाउस्) = ‘ઘર’, [to] house (ક્રિયાપદ) (ઉચ્ચાર, हाउझ्) = ‘ઘરમાં રાખવું’.[5] (૪) અર્થતત્ત્વના ધ્વનિઓમાં સૂર (tone) કે બલાઘાત (stress)માં પરિવર્તન કરીને પણ સંબંધતત્ત્વ દર્શાવાય છે. અંગ્રેજીમાં બલાઘાત દ્વારા શબ્દ નામ છે કે ક્રિયાપદ તેનું જ્ઞાન થાય છે. ઉ. ત. ‘in-crease (નામ), in-।crease (ક્રિયાપદ), ।conduct (નામ), con।duct(ક્રિયાપદ), ।ex-tract(નામ), ex-।tract (ક્રિયાપદ). એ જ પ્રમાણે અંગ્રેજીમાં black bird એ બે પૃથક્ પૃથક્ શબ્દ (=કાળું પક્ષી) છે કે એક સમાસ છે (=એક પ્રકારનું ગાનારું પંખી) એ સૂરભેદ વડે દર્શાવાય છે. સંસ્કૃતમાં પણ સૂરભેદે અર્થભેદ થયાનાં ઉદાહરણો જાણીતાં છે; ઉ. ત. इ न्द्र शत्रु (=ઈન્દ્રનો હણનાર) અને इ।न्द्रशत्रु (= ઈન્દ્ર જેને હણનાર છે તેવો).

ચીની ભાષામાં તેમજ આફ્રિકાની કેટલીક ભાષાઓમાં સૂરભેદે અર્થભેદ થાય છે. ઉ. ત. ચીની ભાષામાં ba (ब) શબ્દનો ધીમા સૂરે ઉચ્ચાર કરતાં અર્થ થાય છે ‘સ્ત્રી’; ઉચ્ચ સૂરે ઉચ્ચારતાં એનો અર્થ થાય છે, ‘મરડવું’ ‘ખેંચવું’; અને ઉચ્ચતમ, તીવ્ર સૂરે ઉચ્ચારતાં અર્થ થાય ‘રાજાનો કૃપાપાત્ર.’ એજ પ્રમાણે feng સમ સૂરે (level tone) ઉચ્ચારતાં અર્થ થાય ‘પવન’; ધીમા સૂરે ઉચ્ચારતાં અર્થ થાય ‘સેવા કરવી’; chungનો સમ સૂરે ઉચ્ચાર કરતાં અર્થ થાય ‘મધ્ય’, નીચે સૂરે ઉચ્ચારતાં અર્થ થાય ‘મધ્યે લાગવું’;[6] mu (मु)ના ઉચ્ચારભેદે ‘આંખ’, ‘ખ્યાલ કરવો’, ‘મુખ્ય’, ‘આવશ્યક’ એ પ્રમાણે ભિન્ન ભિન્ન અર્થ થાય છે. ચીની ભાષાઓમાં આવા આઠ પ્રકારના સૂરભેદ ભાષાવૈજ્ઞાનિકોએ ગણાવ્યા છે. આફ્રિકાની ફુલ (Ful) નામની ભાષામાં मि वरत (mi warata) વાક્યમાં છેલ્લો अ-કાર અન્ય ધ્વનિઓ જેટલા જ સૂરે ઉચ્ચારાય તો એનો અર્થ થાય ‘હું મારી નાંખીશ’; પણ જો એ અંત્ય अ-ધ્વનિ એ વાક્યના બીજા ધ્વનિઓ કરતાં ઊંચે સૂરે ઉચ્ચારાય તો એનો અર્થ બિલકુલ ઊલટો–‘હું નહીં મારું’–એવો થાય.[7] આ ઉદાહરણોમાં સૂરભેદ એ જ સંબંધતત્ત્વ (morpheme) બની રહે છે. (૫) સામાન્ય રીતે અર્થતત્ત્વમાં સંબંધતત્ત્વરૂપ ધ્વનિઓ જોડવાથી, અથવા તો અર્થતત્ત્વના ધ્વનિઓમાં કોઈ પ્રકારનું આંતરિક પરિવર્તન કરવાથી રૂપો સિદ્ધ થાય છે; પણ ક્વચિત્ અર્થતત્ત્વમાં કોઈ પણ પ્રકારનો વિકાર ન કરવો – એનું સ્વરૂપ યથાવત્ રહેવા દેવું – એ પણ સંબંધતત્ત્વરૂપ બની રહે છે. ઉ. ત. સં. सरित्, हुतभुक्, ज्योतिः, यशः, वणिक् જેવાં વ્યંજનાન્ત નામોનાં પ્રથમા એકવચનનાં રૂપો, કે અંગ્રેજીનાં do, go, કે ગુજરાતી ‘કર’, ‘જા’ જેવાં આજ્ઞાર્થ બીજા પુરુષ એકવચનનાં રૂપોમાં અર્થતત્ત્વમાં કોઈ પ્રકારનો વિકાર થયો નથી, છતાં એ વ્યાકરણાત્મક સંબંધ દર્શાવે છે.

(૬) અર્થતત્ત્વનું વાક્યમાં સ્થાન (position of the semanteme), અર્થાત્ શબ્દક્રમ (word-order) એ કેટલીક વાર સંબંધતત્ત્વનો નિર્દેશક બની રહે છે. ઉ. ત. ગુજરાતીમાં ‘રવીન્દ્ર પુસ્તક વાંચે છે’, ‘એ પુસ્તક ખરેખર સુંદર છે’, એ વાક્યોમાં ‘પુસ્તક’ની વિભક્તિ(કારક) પદક્રમ દ્વારા જ વ્યક્ત થાય છે. એજ રીતે ફ્રેન્ચમાં પણ શબ્દક્રમ કર્તા અને કર્મના નિર્દેશ કરે છે.[8] અંગ્રેજીમાં John hit Bill અને Bill hit John, કે He is here અને Is he here એ વાક્યો સરખાવીએ તો પદક્રમ કારક અર્થ દર્શાવવામાં તેમજ વાક્યના વિધાનનું સ્વરૂપ પલટાવી નાંખવામાં કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે એનો ખ્યાલ આવે છે.[9] સંસ્કૃતમાં પણ સમાસમાં શબ્દના સ્થાન ઉપર શબ્દનો અર્થ અવલંબે છે. ઉ. ત. मेघलीन (‘મેઘ જેવો શ્યામ’—પુરુષ આદિ), नीलमेघ (‘શ્યામ મેઘ’), श्रीसौन्दर्य (‘લક્ષ્મીનું સૌન્દર્ય’), सौन्दर्यश्री (‘સૌન્દર્યની શોભા’), ग्रामसेवक (‘ગ્રામનો સેવક’), सेवकग्राम (‘સેવકોનું ગામ’) ઈ૰. અંગ્રેજીમાં નામને (ગુણધર્માદિકથી) વિશિષ્ટ કરતાં (વિશેષણરૂપ) તત્ત્વો નામની પૂર્વે જ આવે છે, પાછળ નહીં. આમ દરેક ભાષામાં અર્થવ્યક્તિ માટે પદક્રમનું વત્તેઓછે અંશે મહત્ત્વ રહે છે.

આ રીતે ભિન્ન ભિન્ન પ્રકારે સંબંધતત્ત્વ વ્યક્ત કરવાને કારણે ભાષાઘડતરનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો નજરે પડે છે. કોઈ કોઈ ભાષાઓમાં અર્થતત્ત્વ અને સંબંધતત્ત્વ સંપૂર્ણપણે એકરૂપ (one unit) થઈ ગયેલાં હોય છે. સંસ્કૃત, અને અરબી જેવી સેમિટિક ભાષાઓ આ પ્રકારની છે. સેમિટિક ભાષાઓમાં બહુધા સ્વરક્રમ વડે (જેની સાથે અનુગોનો પણ વિનિયોગ થયેલો હોય છે), અને સંસ્કૃતાદિ પ્રાચીન આર્ય ભાષાઓમાં શબ્દના આદિ, મધ્ય કે અંતમાં પ્રત્યય લગાડીને સંબંધતત્ત્વ વ્યક્ત કરવામાં આવે છે. કેટલીક ભાષાઓમાં તદ્દન અલગ શબ્દોથી સંબંધતત્ત્વ વ્યક્ત કરવામાં આવે છે. ચીની ભાષા પદક્રમ ઉપરાંત કેટલાક અપૂર્ણ કે રિક્ત શબ્દો (empty words) દ્વારા સંબંધતત્ત્વ વ્યક્ત કરે છે. અર્થતત્ત્વવાળા શબ્દો પૂર્ણ (full words) કહેવાય છે. ઉ. ત. ti (ति) સંબંધદર્શક રિક્ત શબ્દ છે: wo ti ul-tsu = ‘મારો પુત્ર’ (wo = મને; ul-tsu = પુત્ર). અહીં tiનું સ્થાન અંગ્રેજી ષષ્ઠી-પ્રત્યય s જેવું છે. આવા પ્રત્યય કે અનુગનું કામ સારતા અન્ય કેટલાક શબ્દો ચીનીમાં છે. ઉ. ત. ch’u (=-ness, ‘પણું’); hău(=good), hăuch’u (=goodness); ch’áng (=long), ch’āngch’u (=length). આ રિક્ત શબ્દો પૂર્ણ શબ્દોથી સંપૂર્ણપણે અળગા રહે છે. એ મૂળ પૂર્ણ શબ્દોના ઘસાઈ ગએલાં રૂપો છે. શબ્દકોશમાં એના કોઈ વિશિષ્ટ અર્થ મળતા નથી. અન્ય ભાષાઓમાં પણ કોઈ કોઈ રિક્ત શબ્દોનાં ઉદાહરણો મળે છે. ઉ.ત. સંસ્કૃતમાં इति, કે અંગ્રેજીના shall, will, do, એ રિક્ત શબ્દો છે.[10] કેટલીક બાન્ટૂ જેવી ભાષાઓમાં સંબંધતત્ત્વ પ્રકટ કરવાને ઘણા નિર્દેશક શબ્દો (classifiers) વપરાતા હોય છે. ઉ. ત. બાન્ટૂ સમૂહની Soubiya ભાષામાં ba એ બહુવચન-નિર્દેશક છે.[11] ‘છોકરીઓ ચાલે છે’ એ વાક્ય ‘ba-kazana ba-enda’ એ રીતે નિર્દેશક ba શબ્દે શબ્દે જોડીને દર્શાવાય છે. બાન્ટૂમાં ૧૭ જેટલા નિર્દેશકો મળે છે, અને એના કેટલાક ભાષાપ્રભેદોમાં તો ૨૩ જેટલા હોય છે.[12]

એથી બરાબર ઊલટી પરિસ્થિતિ કેટલીક અમેરિકન ભાષાઓમાં પ્રવર્તે છે. એમાં પ્રથમ બધાં જ સંબંધતત્ત્વો વાક્યમાં આગળથી જ કહી દેવામાં આવે છે, અને એ પછી મહત્ત્વનાં પદો, ને છેલ્લે નામો મુકાય છે. ઉ.ત. અમેરિકાની Chinook ભાષામાં ‘The man has killed the woman with a knife’ એ વાક્યનું સ્વરૂપ આ રીતનું બનશે: he-her-that-with || to kill-man-woman -knife.[13] બાન્ટૂ ભાષાઓમાં પણ મહત્ત્વનાં બધાં વ્યાકરણાત્મક સંબંધતત્ત્વો શબ્દમૂળ (radical element)ની પૂર્વે જ આવી જાય છે. ઉ. ત. te-s-e-ya-te એ Hupa ભાષાના વાક્યમાં ya = ‘જવું’ એ શબ્દમૂળ છે; અન્ય સર્વ સંબંધતત્ત્વો છે.[14] એથી ઊલટું Nootka ભાષામાં કે મિસિસિપીની ખીણની Fox ભાષામાં એક જ શબ્દમૂળ (radical element)ને સ્વકીય સ્પષ્ટ અર્થવત્તાવાળાં થોડાં કે ઘણાં સંબંધતત્ત્વો(suffixes) જોડવામાં આવે છે, જે શબ્દમૂળ સાથે અવિશ્લેષ્યપણે જડાયેલાં હોય છે.[15]

કેટલાક ભાષાપરિવારોમાં (ફિનીશ, ઉગ્રિઅન, તુર્કી, તાર્તરી આદિમાં) સંબંધતત્ત્વ અર્થતત્ત્વની સાથે લાગેલું હોય છે, પરંતુ એને અર્થતત્ત્વથી અતિ સરળતાથી જુદું પાડી શકાય છે. ઉ. ત. તુર્કીમાં kiz = પુત્રી, kizi = તેની પુત્રી, kizlari = તેની પુત્રીઓ (-lar બહુવચન દર્શાવે છે). ev = ઘર, ev-den = ઘરમાંથી, ev-im = મારું ઘર, ev-lar-im-den = મારાં ઘરોમાંથી. તુર્કીમાં અનુગો પ્રકૃતિરૂપ શબ્દો સાથે અતિ શિથિલ બંધથી જોડાયેલા હોય છે.[16] ઉ. ત. Sevmišlerdir (= they have loved). Sevmišdirler એ રીતે પણ આવી શકે છે. કેટલીક ભાષામાં વાક્યના આ પ્રમાણે વ્યાકરણાત્મક અંશો જ ઘટાવી શકાતા નથી. ઉ. ત. ગ્રીન્લેન્ડની એસ્કિમો બોલીમાં એક એક વાક્ય એક એક શબ્દરૂપે વ્યક્ત થાય છે.[17] ભાષા ઉપર દર્શાવેલા પ્રકારેમાંથી કેવળ એક જ પ્રકારનું અવલંબન કરી રહેતી નથી. એક પ્રકારના સંબંધતત્ત્વનું એમાં પ્રાચુર્ય હોય છે,[18] તો અન્ય પ્રકારના સંબંધતત્ત્વોનાં ઉદાહરણો પણ એમાં મળતાં હોય છે.[19] ઉ. ત. સેમિટિક ભાષામાં સ્વરક્રમની સાથે જ શબ્દની પછી (કે ક્વચિત્ પૂર્વે) અનુગો (કે પૂર્વગો) લગાડેલા મળે છે. [20] ગુજરાતી ભાષાનું જ ઉદાહરણ લઈએ તો એમાં સંસ્કૃતની માફક ઘણા શબ્દોમાં સંબંધતત્ત્વ અર્થતત્ત્વની સાથે પૂર્ણપણે સંમીલિત હોય છે, તો ચીનીની માફક સંબંધતત્ત્વ દર્શાવતા અલગ શબ્દો પણ પ્રયોજાયેલા મળે છે. કેટલીક વાર એક કરતાં વધારે શબ્દોથી પણ સંબંધતત્ત્વ દર્શાવાય છે (ઉ. ત. ‘જો...તો’); તો, ઘણાયે શબ્દોમાં તુર્કી કે ફીનીશ ભાષાની માફક સંબંધતત્ત્વ અર્થતત્ત્વની સાથે બહુ શિથિલ બંધથી જોડાયેલ હોય છે.

શબ્દ અને પદ— સંસ્કૃત વૈયાકરણોએ વાક્યમાં પ્રયોજાયેલા શબ્દને પદનું નામ આપ્યું છે. સાર્થક ધ્વનિસમૂહ તે શબ્દ; એને પ્રત્યયાદિક લગાડીને વાક્યમાં પ્રયોજવા યોગ્ય બનાવીએ ત્યારે એ પદ બને છે. [21] જ્યાં સુધી શબ્દ (प्रकृति)માં પ્રત્યય લગાડાતો નથી ત્યાં સુધી એનો કશો અર્થ થતો નથી એમ વૈયાકરણો માને છે.[22] એથી (तदा, उच्चैः જેવાં) અવ્યયોને પણ પ્રત્યય લાગે છે અને એ પ્રત્યયનો પછી તત્કાલ લોપ થાય છે એવી કલ્પના એમને કરવી પડી છે. આટલી સૂક્ષ્મતા છોડી દઈને, વાક્યપ્રયોગ માટે સિદ્ધ થયેલ શબ્દને પદ કહીએ અને અસિદ્ધને શબ્દ કહીએ એ અનુચિત નહીં ગણાય.

ગ્રીન્લેન્ડની એસ્કિમો બોલીમાં એક પદ (શબ્દ) જ પૂરું વાક્ય બની રહે છે, અથવા સમગ્ર વાક્ય જ એક પદ (શબ્દ) બને છે, એ આપણે આગળ જોઈ ગયા. ચીની ભાષામાં પણ કોઈ કોઈ વાર એક કરતાં વિશેષ શબ્દો મળીને અર્થતત્ત્વ બને છે. ઉ. ત. ई + फ़ु (= કપડું); फ़ु + च्श (= પિતા). तुंग –ह्सी (tung – hsi = વસ્તુ) એ બે એકાક્ષરી શબ્દો tung (= પૂર્વ) અને hsi (પશ્ચિમ) એકત્ર થઈને બન્યો છે.[23] ચીનીમાં બે શબ્દો એકત્ર થઈને પદ બન્યાંનાં અન્ય ઉદાહરણો મળે છે. આમ ભાષાએ ભાષાએ શબ્દનું સ્વરૂપ જુદું પડશે. ઉપરની સર્વ ચર્ચાને લક્ષમાં રાખીને પદની નીચે પ્રમાણે વ્યાખ્યા આપી શકાય: “વાક્યમાં ભાષાની પરંપરા અનુસાર જે ધ્વનિસમૂહ સંબંધતત્ત્વ, અર્થતત્ત્વ, કે બંનેને વ્યક્ત કરે તે પદ. એમાં એક કરતાં વધારે અંશો હોય તો એ એકસાથે કે અલગ અલગ પણ રહી શકે.”[24]

પદસ્વરૂપનું વિશ્લેષણ – વ્યાકરણાત્મક કોટિઓ

સંબંધતત્ત્વો (morphemes) જે વિશિષ્ટ અર્થ વ્યક્ત કરે છે તેને વ્યાકરણાત્મક કોટિઓ (grammatical categories) કહેવામાં આવે છે. આ રીતે જે જે ભાષાઓમાં જાતિ, વચન, કારક (કર્તા, કર્મ, કરણ આદિ), પુરુષ (૧લો, ૨જો, ૩જો), કાળ (ભૂત, વર્તમાન, ભવિષ્ય), અર્થ (moods), પ્રશ્ન, નિષેધ આદિ, વિશિષ્ટ સંબંધતત્ત્વથી વ્યક્ત કરવામાં આવતાં હોય ત્યાં ત્યાં, એ વ્યાકરણાત્મક કોટિઓ બને છે. જ્યાં આ રીતે વિશિષ્ટ અર્થ વ્યક્ત કરવાને વિશિષ્ટ સંબંધતત્ત્વનો વિનિયોગ થતો હોતો નથી ત્યાં એ વ્યાકરણાત્મક કોટિ લુપ્ત થઈ ગઈ છે એમ કહેવાય. ઉદાહરણ તરીકે ગુજરાતી કે હિન્દીમાં ક્રિયાપદના રૂપમાં કર્તાની જાતિ અનુસાર વિકાર થાય છે. (ઉ. ત. ‘રવીન્દ્ર અભ્યાસ કરતો હતો’, ‘રમા વાંચતી હતી’), તેમ બંગાળીમાં કે અંગ્રેજી સમી કેટલીયે વિદેશી ભાષાઓમાં થતું નથી. ગુજરાતીમાં પ્રાકૃત-અપભ્રંશ દ્વારા ઊતરી આવેલી એ કોટિ જળવાઈ રહી છે, જ્યારે અન્ય ભાષાઓમાંથી એ લુપ્ત થઈ ગઈ છે. સંસ્કૃતમાં વિશેષણ વિશેષ્યની જાતિ ગ્રહણ કરતું હતું (ઉ. ત. विद्वान् पुरुषः, विदुषी नारी; चतुरः जनः, चतुरा स्त्री). વર્તમાન ભારતીય ભાષાઓમાં અધિકાંશ વિશેષણો અવિકારી છે સંસ્કૃતમાં આશીર્લિંગ અને વિધ્યર્થમાં ભિન્ન ભિન્ન રૂપો થતાં; પ્રાકૃતોમાં એ એકરૂપ થઈ ગયાં, અને ગુજરાતી જેવી વર્તમાન ભારતીય ભાષાઓમાં એમાં આજ્ઞાર્થનાં (તેમ સંકેતાર્થનાં) રૂપો પણ ભળી ગયાં. (ઉ. ત. ‘ઇશ્વર તમને સુખી રાખે’ (આશીર્વાદાર્થ); ‘વિદ્યાર્થીઓ ખંતથી અભ્યાસ કરે’ (વિધ્યર્થ); ‘તેઓ જલદી તૈયારી કરે’ (આજ્ઞાર્થ); ‘જો તેઓ સોંપેલું કામ કરે’ (સંકેતાર્થ). આ રીતે એમ કહી શકાય કે ગુજરાતી જેવી વર્તમાન ભારતીય ભાષાઓમાં આશીર્વાદાર્થ, વિધ્યર્થ અને આજ્ઞાર્થ માટે ભિન્ન ભિન્ન કોટિઓ નથી. એ જ પ્રમાણે પ્રાચીન ગ્રીક ભાષામાં ઇચ્છાદર્શક અર્થ (optative) હતો તે ફ્રેન્ચ જેવી વર્તમાન યુરોપીય ભાષાઓમાં સંકેતાર્થમાં વિલીન થઈ ગયો, અને અદ્યતન અને પૂર્ણ ભૂતકાળ એકરૂપ થઈ ગયા.[25] આ પ્રમાણે વ્યાકરણ-કોટિનું સ્વરૂપ ભાષાએ ભાષાએ જુદું પડે છે, એટલું જ નહિ પણ એક જ ભાષાની ઉત્ક્રાન્તિના ભિન્ન ભિન્ન ક્રમે પણ એમાં રૂપાંતર થતાં રહે છે. આથી સામાન્ય રીતે કોઈ એક જ ભાષાનું અને તે પણ એની ઉત્ક્રાન્તિમાં કોઈ એક જ વિશિષ્ટ સમયનું વ્યાકરણાત્મક અધ્યયન કરી શકાય. અહીં આપણે ઘણી ભાષાઓમાં પ્રાપ્ત થતી કેટલીક સર્વસામાન્ય વ્યાકરણ કોટિઓની (જાતિ, વચન, કારક, કાળ, અર્થ ઈ૰ની) ચર્ચા કરીશું અને એમાં અંતર્ગત સામાન્ય સિદ્ધાંતો(principles)ની સમીક્ષા કરીશું. જાતિ— વ્યાકરણમાં શબ્દોની ત્રણ જાતિઓ હોય છે—નર, નારી અને નાન્યતર. આદિમ ઇન્ડો-યુરોપિયન અને પ્રાચીન સેમિટિક ભાષાઓના સમયથી જાતિ શબ્દ સાથે સુદૃઢપણે સંકળાયેલી મળે છે. બોલનારના મનમાં શબ્દ સ્ફુરતાં સાથોસાથ એ શબ્દની વિશિષ્ટ જાતિનો પણ તત્ક્ષણ ખ્યાલ આવી રહે છે. જાતિ શબ્દની સાથે જ, એના લક્ષણરૂપે સંકલિત હોય છે.

શબ્દની વ્યાકરણાત્મક જાતિ (grammatical gender)ની પાછળ કોઈ તર્કબદ્ધ કારણ હોતું નથી. નૈસર્ગિક પુરુષત્વ કે સ્ત્રીત્વ સાથે શબ્દોની જાતિ સંકળાયેલી નથી. ઉદાહરણ તરીકે, સંસ્કૃતમાં ‘સ્ત્રી’નો અર્થ દર્શાવતા શબ્દો ત્રણે લિંગ (જાતિ)માં મળે છે: पत्नी स्त्री भार्या (સ્ત્રીલિંગ); दाराः (પુંલિંગ); कलत्रं (નપુંસકલિંગ). એ રીતે સંસ્કૃત, ગુજરાતી, હિન્દી જેવી ભારતીય આર્ય ભાષાઓમાં, તેમજ ફ્રેન્ચ, જર્મન જેવી યુરોપીય ભાષાઓમાં કે અરબી સમી સેમિટિક ભાષામાં નિર્જીવ પદાર્થો દર્શાવતા શબ્દોમાંથી કોઈ નર-જાતિના હોય છે, તો કોઈ નારી જાતિના હોય છે. ઉ. ત. સંસ્કૃત वायुः (પું.), मृद् (સ્ત્રી.) (=માટી); ગુજ૰ ‘ચાહ’ (સ્ત્રી.) ‘સોપારી’ (સ્ત્રી.), ‘ઘડો’ (પું.); ફ્રેન્ચ ‘la table’(= ‘the table’; fem.), ‘une pomme’ ( =‘an apple’; fem.), ‘le tabouret’ (=‘the stool’; masc.), ‘un arbre’ (=‘a tree’; masc.);[26] જર્મન ‘der stuhl’ (=‘the chair’; masc), ‘die Uhr’ (=‘the clock’; fem.); અરબી कुर्सी (fem. ‘throne’), संग (masc. ‘a stone’), खाना (masc. ‘a house’). મુંડા ભાષાઓમાં પુંલિંગ અને સ્ત્રીલિંગનો ભેદ નથી.[27] જ્યાં નૈસર્ગિક જાતિ બતાવવાની જરૂર પડે ત્યાં અર્વાચીન ફારસીની માફક ‘નર’ અને ‘માદા’ના અર્થ દર્શાવતા શબ્દો જોડવામાંવે છે. ઉ. ત. आंडिया कूल (= વાઘ); एंगा कूल (= વાઘણ).[28] (સરખાવો અંગ્રેજી bull-elephant, cow-elephant; he-goat- she-goat; lady-students).

દ્રાવિડી ભાષાઓમાં નામના બે પ્રકાર પડે છે – ઉચ્ચજાતિયુક્ત અને જાતિવિહીન. નર અને નારી જાતિ દર્શાવવી આવશ્યક હોય ત્યાં ફારસીની માફક નર અને નારી સૂચક શબ્દો જોડવામાં આવે છે. અંગ્રેજીમાં ક્યારેક નિર્જીવ પદાર્થોમાં પણ પુરુષત્વ અને સ્ત્રીત્વનો આરોપ થયેલો મળે છે. ઉ. ત. the sun (masc.); the moon (fem.); the ship (fem.); the train (fem.). આઇરિશ ભાષામાં પણ આવશ્યક હોય ત્યાં શબ્દોની પૂર્વે સ્ત્રી-વાચક શબ્દાંગ જોડીને નારીજાતિનો શબ્દ બનાવવામાં આવે છે. ઉ ત. ban-dia (= goddess; અહીં ‘ban’ સ્ત્રી-વાચક શબ્દાંગ જોડવામાં આવ્યો છે), ban-file (= poetess).[29] ઈન્ડો–યુરોપિયન ભાષાઓમાં નાન્યતર જાતિ (=નપુંસકલિંગ) નૈસર્ગિક જાતિઓ કરતાં સ્વાભાવિક રીતે જ જુદી પડે છે, અને એનું વ્યાપન મર્યાદિત છે. પુંલિંગ અને સ્ત્રીલિંગની એ પૂર્તિ કરે છે. એ બહુધા અચેતન અને વ્યક્તિત્વ સામર્થ્ય (personal power)નું આરોપણ ન કરી શકાય એવા પદાર્થો દર્શાવે છે તેમજ સમૂહનો અર્થ વ્યક્ત કરે છે. કેટલીક અમેરિકાની અને આફ્રિકાની બોલીઓમાં જાતિવ્યવસ્થા સાવ જુદા પ્રકારની મળે છે. ઉ. ત. એલ્ગોન્કિન (Algonkin) ભાષામાં બે જાતિઓ છે—ચેતન અને અચેતન. ચેતનમાં પ્રાણીઓ ઉપરાંત વૃક્ષો, પત્થરો, સૂર્ય, ચન્દ્ર, તારાઓ, ગાજવીજ, બરફ, અનાજ, રોટી, તમાકૂ, ચકમક ઈ૰નો સમાવેશ થાય છે.[30] એ જ પ્રમાણે આર્મેનિયન(Armenian) ભાષામાં ચેતન અને અચેતન પદાર્થોની ભિન્ન ભિન્ન જાતિ હોય છે. પૂર્વ આફ્રિકાના મસાઈ લોકોની ભાષામાં જે જે મોટું અને પ્રબળ હોય તેની એક જાતિ, અને જે જે ન્હાનું અને નિર્બળ હોય તેની બીજી જાતિ—અર્થાત્, સબળ જાતિ, અને નિર્બળ જાતિ—એમ બે જાતિઓ મળે છે. આફ્રિકાની બાંટૂ ભાષાઓમાં જાતિને એક વર્ગ (class) ગણવામાં આવે છે. આવા અનેક વર્ગો એ ભાષાઓમાં હોય છે, જે વિશિષ્ટ પુરઃસર્ગ (affix)થી દર્શાવાય છે.

આ ઉદાહરણો ઉપરથી જાતિનિર્ણયની પાછળ રહેલી તાર્કિક ભૂમિકા કલ્પી શકાય છે. નરજાતિના શબ્દોનો નારીજાતિમાં, કે નારીજાતિના શબ્દોનો નરજાતિમાં પ્રયોગ થયો હોય તો તે પુરુષ-જાતિમાં સ્ત્રીના કોઈ વિશિષ્ટ ગુણો અને સ્ત્રીજાતિમાં પુરુષના ગુણો હોવાનું સૂચન કરે. સ્ત્રીને માટે સં. दाराः એ નરજાતિનો શબ્દ એની ગૃહવ્યવસ્થાના સામર્થ્યને ઉપલક્ષે છે. એ જ પ્રમાણે સજીવ વ્યક્તિ માટે નપુંસકલિંગ (નાન્યતરજાતિ)નો પ્રયોગ એની નિર્બળતાનો સૂચક છે. ઉ. ત. સં. कलत्रं (સ્ત્રી.) એ સ્ત્રીના અબલત્વનો દ્યોતક છે. નિર્જીવ પદાર્થ માટે નરજાતિ કે નારીજાતિનો પ્રયોગ એમાં સજીવતાનું આરોપણ સૂચવે છે. સંસ્કૃતના अग्निः, दहनः એ નરજાતિના શબ્દો બલ-સામર્થ્યના દ્યોતક છે, અને आप: (સ્ત્રી.) ઈ. શબ્દો શાન્તિદાયિત્વ, માર્દવ સૂચવે છે. આ રીતે શાંતિ, સૌકુમાર્ય દર્શાવતા પદાર્થો માટે સ્ત્રીલિંગનો અને તેજ, પ્રબલત્વ દર્શાવતા પદાર્થો માટે પુંલિંગનો પ્રયોગ થયો હશે એમ માનવું સમુચિત છે. પછી કાળક્રમે આ રીતે અન્ય પદાર્થોમાં પણ પુરુષલિંગ અને સ્ત્રીલિંગનું આરોપણ થયું હશે એમ કલ્પી શકાય છે. આજે તો હવે આ જાતિઓ શબ્દોનાં અંગ સમી બનીને શબ્દાર્થ સાથે દૃઢપણે સંકલિત થઈ ગઈ છે. વચન— જાતિ કરતાં વચન અને કાળ જેવી વ્યાકરણકોટિઓમાં વિશેષ વાસ્તવિકતા છે. જગતની ઘણીખરી વર્તમાન ભાષાઓમાં એકવચન અને બહુવચન વ્યક્ત કરી શકાય છે. પરંતુ કેટલીક ભાષાઓમાં એ ઉપરાંત દ્વિવચન પણ મળે છે. ઉદાહરણ તરીકે, ઈન્ડો-યુરોપિયન ભાષાઓમાં વૈદિક અને શિષ્ટ સંસ્કૃત કક્ષાએ દ્વિવચન હતું, જે પછીથી પ્રાકૃત અને પાલિમાં લુપ્ત થઈ ગયું. પ્રાચીન ફારસી ઝંદની ભાષામાં દ્વિવચનનો વ્યવસ્થિતપણે ઉપયોગ થતો હતો, પણ એમાંથી ઉદ્ભવેલી પહેલવી ભાષામાં એ મળતું નથી. આર્મેનિયન અને લૅટિનમાં દ્વિવચન નહોતું, પણ પુરાતન સ્લાવોનિકમાં એ હતું. ગૉથિકમાં સર્વનામ અને ક્રિયાપદોનાં રૂપોમાં દ્વિવચન દર્શાવાતું હતું, અને પુરાણી આઈરિશ ભાષામાં નામનાં દ્વિવચનનાં રૂપો મળે છે. પ્રાચીન ગ્રીકમાંથી એ ક્રમે ક્રમે લુપ્ત થઈ ગયું.[31] દ્વિવચનનો પ્રાદુર્ભાવ બે સમાન વસ્તુઓના નિત્ય સહઅસ્તિત્વના દર્શનમાંથી થયો હશે. ઉ. ત. બે આંખ, બે હાથ, બે પગ, ઈ૰. એ પછી ધીમે ધીમે સમાન નહીં છતાં નિરંતર સાથે રહેનારી વસ્તુઓ કે વ્યક્તિઓ માટે એનો પ્રયોગ થવા શરૂ થયો હશે. ઉ. ત. मित्रावरुणौ, द्यावापृथिवी, पितरौ, दंपती, ઈ૰. પછી તો દ્વિવચનનો પ્રયોગ કેવળ સામાન્ય બની ગયો—કોઈ પણ બે વ્યક્તિ કે વસ્તુઓ માટે એ વપરાતું થઈ ગયું. ઉત્તરકાળમાં પાલિ અને પ્રાકૃતમાંથી એ લુપ્ત થઈ ગયું. એ સમયે દ્વિવચનના વિશિષ્ટ અર્થનો ઉપયોગ રહ્યો નહીં હોય અને નામાદિક પૂર્વે સંખ્યાવાચક ‘બે’ મૂકીને બહુવચનનો પ્રયોગ કરવાથી કામ નભી રહ્યું હશે. આફ્રિકાની કેટલીક ભાષાઓમાં ત્રિવચન પણ મળે છે. ત્યાં ત્રણ ત્રણ પદાર્થો કે વ્યક્તિઓનો અર્થ વિશિષ્ટપણે વ્યક્ત કરવાની જરૂર પડી હશે. સંસ્કૃતાદિ આર્ય ભાષાઓમાં બહુવચનનો પ્રયોગ કર્યા વિના સમૂહવાચક શબ્દ જોડીને પણ બહુવચનનો અર્થ દર્શાવી શકાય છે. એમાં બહુત્વ કરતાં સમૂહનો અર્થ વિશેષ ઉદ્દિષ્ટ હોય છે. ઉ. ત. गण, जन, मण्डल, त्रितय, चतुष्टय, ડઝન, કોડી, સેંકડો, ઈ૰

કાળ — કાળ ક્રિયાપદના રૂપ વડે વ્યક્ત થાય છે. કાળનો ભાવ વર્તમાન ભાષાઓ જેટલી સ્પષ્ટતાથી વ્યક્ત કરે છે તેવી રીતે પ્રાચીન ભાષાઓમાં વ્યક્ત થતો નહોતો. ઉદાહરણ તરીકે, ઈન્ડો-યુરોપિયન ભાષાઓ કાળ કરતાં ક્રિયાસાતત્ય (duration) વિશેષપણે દર્શાવતી. એને વ્યાકરણમાં aspect (ક્રિયાસ્વરૂપ) કહેવામાં આવે છે. ઈન્ડો-યુરોપિયન ભાષાઓમાં કોઈ કાર્ય ભૂત, ભવિષ્ય કે વર્તમાનના અમુક કાળબિંદુએ થાય છે એ કરતાં એ ચાલુ છે કે સંપૂર્ણ થયું છે, ક્યારે પૂર્ણ થયું, એક વાર થયું કે ફરીફરીને એનું આવર્તન થયું, ઈ૰ (aspects) દર્શાવવા તરફ વિશેષ વલણ હોય છે. ઉદાહરણ તરીકે, સંસ્કૃતમાં ભૂતકાળના ત્રણ પ્રકાર મળે છે: અદ્યતન કે સામાન્ય ભૂતકાળ (Aorist), અનદ્યતન ભૂતકાળ (Imperfect), અને પરોક્ષ ભૂતકાળ (Perfect). એ ક્રિયા આજ પૂર્ણ થઈ, કે (વક્તાએ નહીં જોયેલા કોઈ) પુરાતન કાળમાં થઈ હતી એમ દર્શાવે છે. પ્રાચીન ગ્રીક ભાષામાં પણ, આ રીતે, ક્રિયાસાતત્ય દર્શાવતો અપૂર્ણ-ભૂતકાળ (Imperfect), સામાન્ય ભૂતકાળ (Aorist), અને ક્રિયાસમાપ્તિ દર્શાવતો પૂર્ણ ભૂતકાળ (Perfect) હતા. લૅટિનમાં આમાંથી બે કાળ—ચાલુ ક્રિયા દર્શાવતો અપૂર્ણ ભૂતકાળ (Imperfect) અને સામાન્ય (non-durative) ભૂતકાળ (Perfect)—મળે છે.[32] ઈન્ડો-યુરોપિયન વર્ગની આ સર્વ પુરાતન ભાષાઓમાં કાળ કરતાં ક્રિયાસમાપ્તિની અભિવ્યક્તિ પ્રધાન રહે છે. પુરાતન સ્લાવોનિક ભાષાઓમાં પણ ક્રિયાના કાળ કરતાં સાતત્યદર્શન (aspect)નું પ્રાધાન્ય હતું, જેના અવશેષો (traces) વર્તમાન રશિયન જેવી ભાષાઓમાં આજે પણ મળે છે. સેમિટિક ભાષાઓમાં વસ્તુતઃ બે જ કાળ છે —અપૂર્ણ (Imperfect) અને પૂર્ણ (Perfect), જે અપૂર્ણ ને પૂર્ણ ક્રિયા દર્શાવે છે.[33] પરંતુ, એ ભાષામાં ક્રિયાનાં વિવિધ સ્વરૂપો—પ્રેરિત, ઇચ્છાદર્શક, તીવ્રતયા થતી ક્રિયા—અનેક રીતે દર્શાવી શકાય છે.

ઈન્ડો–યુરોપિયન વર્ગની વર્તમાન ભાષાઓમાં કાલવ્યવસ્થા વધારે સમૃદ્ધ છે. ફ્રેન્ચમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે પ્રભેદો છે, એટલું જ નહિ પણ એ દરેકમાં કાલભેદ દર્શાવી શકાય છે. ઉ. ત. ફ્રેન્ચ ભૂતકાલીન ભવિષ્ય કે ભવિષ્યકાલીન ભૂતકાળ દર્શાવી શકે છે. એથી ઊલટું જર્મનમાં સ્પષ્ટ કાળ એક ભૂતકાળ જ છે. જર્મન ભાષા ભવિષ્યને સ્થાને વર્તમાનકાળ વાપરે છે. એ જ પ્રમાણે રશિયન, વેલ્શ વગેરે ભાષાઓમાં પણ પુરાતન વર્તમાનકાળનાં રૂપો ભવિષ્ય માટે પ્રયોજાય છે. અંગ્રેજીમાં પણ ભવિષ્યકાળ વ્યક્ત કરવાને અલગ રૂપો નથી – ધાતુને વર્તમાનકાળનાં shall ને will નાં રૂપો લગાડીને ભવિષ્યકાળ બનાવવામાં આવે છે![34] અર્વાચીન હિંદીમાં વર્તમાનકાળ માટે ભૂતકાળનાં રૂપોને જોડીને ભવિષ્યકાળ બનાવવામાં આવે છે. ઉ. ત. जायगा (= તે જશે) એ ભવિષ્યકાળનું રૂપ जाए < સં. याति અને गा < સં. गतः સંલગ્ન થઈને બનેલું છે.[35] અર્વાચીન રશિયન ભાષામાં ક્રિયાપદો ઈન્ડો-યુરોપિયનની માફક કાળ(tense)ની સાથે ક્રિયાસ્વરૂપ (aspect) પણ પ્રકટ કરે છે. રશિયનમાં ત્રણ ક્રિયાસ્વરૂપો છે: ક્રિયાસાતત્યદર્શક (durative), તત્કાલીન ક્રિયાસૂચક (momentaneous), અને ક્રિયાવર્તનસૂચક (iterative). ઉ. ત. અંગ્રેજી pity ક્રિયાપદ ક્રિયાસાતત્યદર્શક રૂપથી દર્શાવાશે; take pity on તત્કાલીન ક્રિયાસૂચક રૂપથી વ્યક્ત થશે; અને beat (મારવું) એ ક્રિયાવર્તનસૂચક રૂપથી દર્શાવાશે.[36] રશિયનમાં ક્રિયાપદ તથા ત્રણમાંથી કોઈ પણ એક સ્વરૂપનું હોવું જ જોઈએ.[37]

ચીની ભાષામાં ક્રિયાપદનું રૂપ કોઈ કાળભેદ દર્શાવતું નથી; કાળ સૂચવવો હોય તો ‘હમણાં’, ‘કાલે’ એવા શબ્દો મૂકવામાં આવે છે. વાંકુવર (Vancouver Island) ની Nootka નામની ભાષામાં તો નામ અને ક્રિયાપદ વચ્ચે પણ ભેદ દર્શાવાતો નથી. ઉ. ત. inikw – શબ્દમૂળ (radical element) ‘અગ્નિ’ કે ‘બાળવું’ બંને દર્શાવે છે. એમાંથી કયો અર્થ ગ્રહણ કરવો તે સંદર્ભ ઉપરથી નક્કી કરવામાં આવે છે.[38] ક્રિયાપદોની કાળવ્યવસ્થા ઘણી રીતે અધૂરી છે. ઘણી ઈન્ડો-યુરોપિયન ભાષાઓમાં ભવિષ્ય અને ભૂતકાળ જે રૂપોથી દર્શાવવામાં આવે છે તે ભવિષ્યકાળ કે ભૂતકાળનાં હોતાં નથી. જર્મન ભાષામાં ભવિષ્યને સ્થાને વર્તમાન પ્રયોજાય છે. સામાન્ય રીતે ભાષાઓ વર્તમાન પાસેથી ભવિષ્યનો અર્થ કઢાવે છે. ઉદાહરણ તરીકે પુરાતન વર્તમાનકાળ (Old Present) હજી પણ રશિયન, વેલ્શ અને ગૅલિક ભાષામાં ભવિષ્યનો અર્થ વ્યક્ત કરે છે; જોકે, એથી ઊલટું, ફ્રેન્ચમાં સાદો ભવિષ્યકાળ (Simple Future) વર્તમાનને સ્થાને પ્રયોજાય છે. વર્તમાનકાળ ભૂતકાળનો અર્થ દર્શાવી શકે છે. ઐતિહાસિક કથનમાં તેનો વિશેષતયા ઉપયોગ થાય છે; એથી એને ઐતિહાસિક વર્તમાનકાળ (Historic Present) નું નામ આપવામાં આવ્યું છે. પુરાતન ગ્રીક ભાષામાં સર્વકાલીન સત્યકથનમાં વર્તમાનને સ્થાને ભૂતકાળ (Aorist) વપરાયેલો મળે છે. એને બોધાર્થક ભૂતકાળ (Gnomic Aorist) કહે છે, કારણ કે એ ત્રિકાલાબાધિત સત્યનો બોધ કરાવે છે.[39]

આ રીતે આધુનિક ભાષાઓમાં વર્તમાનકાળનાં રૂપો જ સુનિશ્ચિત સ્વરૂપનાં છે, ભૂતકાળનું સ્વરૂપ એટલું સ્થિર નથી હોતું. અંગ્રેજી કે ફ્રેન્ચ જેવી આધુનિક યુરોપિયન ભાષાઓમાં વર્તમાનનો પ્રસ્તાર કરીને ભવિષ્ય કે ભૂતકાળ વ્યક્ત કરી શકાય છે.[40] હિંદીમાં વર્તમાન સાથે ભૂતકાળનાં રૂપો જોડીને ભવિષ્યકાળ વ્યક્ત કરાય છે એ આપણે આગળ જોઈ ગયા. ફ્રેન્ચમાં સંકેતાર્થક ભૂતકાળ (Conditional Past) ભવિષ્યનો અર્થ દર્શાવી શકે છે: ઉ. ત. ‘If this matter were left to me, I should soon have finished it.’[41] ગુજરાતીમાં પણ સંનિહિત ભવિષ્યકાળ દર્શાવવાને વર્તમાન તેમજ ભૂતકાળનાં રૂપોનો ઉપયોગ થાય છે. ઉ. ત. ‘તમે ચાલતા થાઓ, હું આ આવ્યો.’ આ રીતે ભાષાઓની કાળવ્યવસ્થામાં અનેક સ્થળે સંકુલતા તેમજ અસ્પષ્ટતા નજરે પડે છે.

પ્રેરણાર્થક

સંસ્કૃત ભાષામાં કાળ કરતાં ક્રિયાના સ્વરૂપ ઉપર સવિશેષ દૃષ્ટિ હતી. કર્તા પોતે ક્રિયા કરતો હોય તો એને માટે એક રૂપ (करोति), અને અન્ય કોઈ એને પ્રેરીને એની પાસે ક્રિયા કરાવતો હોય તો બીજું રૂપ (कारयति) વપરાતું. એ પ્રમાણે કામ કરવાની ઇચ્છા કરવાને માટે જુદું રૂપ (चिकीर्षति-ते) હતું, તેમ વારંવાર કરવામાં આવતી ક્રિયા માટે વળી અન્ય રૂપ (लेलिह्यति-વારંવાર ચાટે છે; चङ्क्रम्यते – વારંવાર (વાંકાચૂંકો) ફરે છે; देदीयते–વારંવાર દાન કરે છે; देदीप्यते–ફરીફરીને, અત્યંત, પ્રકાશે છે) વપરાતું. વર્તમાન ભારતીય ભાષાઓમાંથી આ સર્વ વ્યાકરણ-કોટિઓ લુપ્ત થઈ ગઈ છે – આજે જુદા જુદા શબ્દો વડે એ વિચારવલણો દર્શાવવામાં આવે છે. ઉ. ત. ‘હું કરવા ઇચ્છું છું’, ‘એ ખૂબ ફરે છે’, ‘દીપક અત્યંત પ્રકાશે છે’, ‘મેં કરી નાંખ્યું’, ઈ૰. સંસ્કૃતનાં વિવિધ રૂપોમાંથી કેવળ પ્રેરણાર્થ (causal)નાં રૂપો વર્તમાન ભારતીય ભાષાઓમાં જળવાયાં છે. ઉ. ત. ‘કરવું’ – પ્રેરક ‘કરાવવું’; ‘ફરવું’ – પ્રેરક ‘ફેરવવું’; ‘પડવું’ – પ્રેરક ‘પાડવું’ ઈ૰. સંસ્કૃતમાં ધાતુઓના દસ ગણ પાડવામાં આવ્યા છે અને એ પ્રત્યેકને એના વિશિષ્ટ વિકરણ હોય છે (ઉ. ત. अ, य, अय, नु, उ, ना, ઈ૰), જે ધાતુને જોડીને પછી પ્રત્યયો લગાડવામાં આવે છે. આ વિકરણોના પૂર્વે કોઈ વિશિષ્ટ અર્થ થતા હશે એમ કલ્પી શકાય છે.[42] ઉપરાંત જે ગણોમાં ધાતુઓના આદિ વ્યંજન અભ્યાસ (આવર્તન) પામે છે તે પણ પૂર્વે વારંવાર થતી ક્રિયા દર્શાવતા હશે એમ માનવું સયુક્તિક છે. ‘जुहोति’ ‘ददाति’ ઈ૰ના ‘પૂર્વે’ ફરી ફરીને આહુતિ આપે છે’, ‘વારંવાર દાન કરે છે’ એવો અર્થ થતો હશે.[43]

કર્તરિ, કર્મણિ અને ભાવે પ્રયોગ

ક્રિયાપદોની ક્રિયાના કર્તા સાથેના સંબંધ ઉપરથી પ્રયોગનું સ્વરૂપ સમજાય છે. એ સંબંધ ત્રણ પ્રકારનો સંભવે છે—કર્તા પોતે જ ક્રિયા કરે, અથવા કર્તા થતી ક્રિયાનો અનુભવ કરે કે કર્તાને અનુલક્ષીને (અન્ય કોઈ દ્વારા) ક્રિયા થાય. આમ ગ્રીકમાં ત્રણ પ્રયોગ મળે છે—સક્રિય કે કર્તરિ(Active), ઉદાસીન કે મધ્ય (Middle), અને અક્રિય કે કર્મણિ (Passive). ઉ ત. ‘I wash’ (Active); ‘I wash myself’ (Middle); ‘I am washed’ (Passive).[44] ગ્રીકમાં પણ આ ત્રણે પ્રકારના પ્રયોગ વચ્ચે સુસ્પષ્ટ ભેદરેખા નથી જ.

સંસ્કૃતમાં ત્રણ પ્રયોગ મળે છે—કર્તરિ (કે કર્તૃવાચ્ય), કર્મણિ (કે કર્મવાચ્ય), અને ભાવે (ભાવવાચ્ય). કર્તરિમાં કર્તાના કર્તૃત્વ ઉપર જ ભાર હોય છે (ઉ. ત. ‘અવનીન્દ્ર પુસ્તક વાંચે છે’); કર્મણિમાં કર્મ ઉપર જ ભાર હોય છે (ઉ ત. ‘આ પુસ્તક ઘણું વંચાય છે’); ભાવે પ્રયોગમાં ક્રિયાનો ભાવ પ્રધાન હોય છે (ઉ. ત. ‘આમ વંચાય નહીં’). સંસ્કૃતમાં આ ત્રણે પ્રયોગો માટે અલગ અલગ રૂપો હતાં; વર્તમાન ભારતીય ભાષાઓમાં કર્મણિ અને ભાવે પ્રયોગનાં રૂપો સમાન છે, અને ઘણી ભાષાઓમાં સંયુક્ત ક્રિયાપદો દ્વારા એ દર્શાવાય છે. કર્તરિ પ્રયોગ સકર્મક અને અકર્મક બંને પ્રકારનાં ક્રિયાપદોમાં સંભવે છે, જ્યારે કર્મણિ પ્રયોગ કેવળ સકર્મક ધાતુઓમાં, અને ભાવે પ્રયોગ કેવળ અકર્મક ધાતુઓમાં જ થાય છે. જે ક્રિયાપદોની ક્રિયાનું ફળ વાક્યમાં વ્યક્ત કરેલું હોય તે સકર્મક ક્રિયાપદો છે, અને જે ક્રિયાપદોને વાક્યમાં એ રીતે ક્રિયાફળની અપેક્ષા હોતી નથી તે અકર્મક ક્રિયાપદો છે. ક્રિયાફળને અનુલક્ષીને સંસ્કૃતમાં ધાતુઓના બે વર્ગ પાડવામાં આવ્યા હતા—પરસ્મૈપદી અને આત્મનેપદી. જેમાં ક્રિયાનું ફળ કર્તાને પોતાને જ (आत्मने) મળતું હોય તે ક્રિયાપદ ‘આત્મનેપદી,’ અને જેમાં એ અન્યને (परस्मै) મળતું હોય તે ‘પરસ્મૈપદી’ હતું. ઉ. ત. यजमानः यजते અને ऋत्विक् यजतिः सूदः पचति (=‘રસોઈઓ [બીજા માટે] રાંધે છે’); ब्राह्मणः पचते (બ્રાહ્મણ [પોતાને માટે] રાંધે છે). આ રીતે ક્રિયાપદના પ્રયોગની વ્યવસ્થા ક્રમે ક્રમે શિથિલ બનતી ગઈ[45] અને પાલિ-પ્રાકૃતાદિમાંથી આ પદભેદ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયો.

આ જ પ્રકારે સંસ્કૃત, ગ્રીક, લૅટિન આદિ ઈન્ડો-યુરોપિયન ભાષાઓમાં આશીર્વાદાર્થ, વિધ્યર્થ, આજ્ઞાર્થ આદિ ભિન્ન ભિન્ન અર્થો (moods)માં ક્રિયાપદનાં ભિન્ન ભિન્ન વિશિષ્ટ રૂપો થતાં. ગુજરાતી-હિંદી વગેરે વર્તમાન ભારતીય ભાષાઓમાંથી એ લુપ્ત થઈ ગયાં છે, અને એમને સ્થાને બહુધા વર્તમાનકાળનાં રૂપો પ્રયોજાય છે. વિભક્તિ – વાક્યમાં પ્રયુક્ત થતાં નામ, સર્વનામ અને વિશેષણનાં જે જુદાં જુદાં રૂપો બને છે તેને વિભક્તિ કહે છે. અંગ્રેજીમાં બે વિભક્તિઓ છે (he, him); જર્મનમાં કેટલાંક ક્રિયાપદો પ્રયોજતાં આ ઉપરાંત સંપ્રદાન વિભક્તિ (Dative) પણ થાય છે (ઉ. ત. ‘er dankte mir’ = ‘he thanked me’); તો ફિનીશ જેવી ભાષાઓમાં વીસ વિભક્તિઓ મળે છે.[46] સંસ્કૃતમાં સાત વિભક્તિઓ છે. એમાં સંબોધન વિભક્તિ પ્રથમા વિભક્તિમાં અંતર્ગત છે. એને જુદી વિભક્તિ માનીએ તો આઠ વિભક્તિઓ થશે. એમાંથી પાલિની કક્ષાએ ચતુર્થી અને ષષ્ઠીનો ભેદ લુપ્ત થવાની શરૂઆત થઈ – ચતુર્થીની જગાએ ષષ્ઠી અને ષષ્ઠીની જગાએ ચતુર્થીના ઉપયોગનાં અનેક ઉદાહરણો મળે છે. પ્રાકૃતમાં ચતુર્થીનો લોપ થઈ ગયો અને એને સ્થાને ષષ્ઠીનો પ્રયોગ વ્યાપક બન્યો, એટલું જ નહીં પણ અન્ય વિભક્તિઓને સ્થાને ષષ્ઠીનો પ્રયોગ છૂટથી થવા લાગ્યો. અપભ્રંશના કાળમાં તો ધ્વનિવિકાસ નિયમાનુસાર પ્રત્યયો ઘસાઇને લગભગ સમરૂપ બની ગયા, અને તેથી તેમને સ્થાને અનુગોનો પ્રયોગ થવાનો પ્રારંભ થયો.

આજે ગુજરાતી હિન્દી સમી વર્તમાન ભારતીય ભાષાઓમાં ઘણાંખરાં નામોમાં બે જ વિભક્તિઓ અવશિષ્ટ રહી છે—એક અવિકારી (Direct), અને બીજી વિકારી (Oblique). અવિકારીમાં શબ્દનું મૂળરૂપ યથાવત્ રહે છે, વિકારીમાં એમાં ફેરફાર થાય છે. વિભક્તિઓનો અર્થ અનુગો દ્વારા દર્શાવાય છે. अ-કારાન્ત નામોનાં એકવચનનાં રૂપો અવિકારી હોય છે, અને બહુવચનનાં વિકારી હોય છે. અન્ય પ્રકારનાં નામોમાંથી કેટલાંકનાં—ગુજરાતીમાં ओકારાન્ત નામો જેવાંનાં—એકવચનમાં પણ વિકારી રૂપો થાય છે. કેટલીક વર્તમાન ભારતીય ભાષાઓમાં સર્વનામનાં બે વિકારી રૂપો મળે છે—એક ષષ્ઠીનું પૂર્વ ભાષામાંથી વ્યુત્પન્ન થએલું રૂપ, અને બીજું અન્ય વિભક્તિઓનું રૂપ. નીચેનાં ઉદાહરણ જુઓ:

અવિકારી રૂપ (Direct) વિકારી રૂપો (Oblique)
માણસ માણસો, માણસે
ઘર ઘરો, ઘરે
છોકરો છોકરાઓ
ગામડું ગામડાંઓ, ગામડે
હું, તું મ્હારું, મને; ત્હારું, તને
गाय (હિન્દી) गाएं, गायों
कोई (હિન્દી) किस
में (હિન્દી) मुझ, मेरा

ચીની ભાષામાં શબ્દક્રમ વડે—શબ્દોના પૌર્વાપર્યથી—વિશેષણરૂપ શબ્દને વિશેષ્ય શબ્દની પૂર્વે મૂકીને ષષ્ઠ્યર્થ દર્શાવવામાં આવે છે. ઉ. ત. Han tchaou (the Han dynasty).[47]

જ્યાં (સંસ્કૃત સમી ભાષાઓમાં) વિભક્તિઓનાં વિભિન્ન રૂપો મળે છે ત્યાં તે તે વિભક્તિઓના અર્થ વચ્ચે સ્પષ્ટપણે ભિન્નતા રહેલી છે એમ માની શકાય. ભાષાના ઉત્ક્રાન્તિક્રમમાં એ વિભક્તિઓ આજે લુપ્ત થઈ ગઈ છે એ એમ સૂચવે છે કે વર્તમાન ભાષાઓમાં વિભક્ત્યર્થો વચ્ચે પૂર્વવત્ ભિન્નતા રહી નથી. આજે ગુજરાતીમાં તેમ હિંદીમાં કરણ અને અપાદાન અર્થો વચ્ચે વિશેષ ભિન્નતા રહી નથી એમ બન્ને માટે એક જ પ્રત્યય-અનુગ ‘થી’ (હિન્દીમાં से)ના પ્રયોગથી સૂચવાય છે. એ પ્રમાણે સંબંધ, સંપ્રદાન અને કર્મના અર્થો વચ્ચે ખાસ ભેદ રહ્યો નથી. તેથી જ એ અર્થો ‘નો’, ‘ને’, જેવા સમરૂપ પરસર્ગો (suffix) થી વ્યક્ત થાય છે. એ એમ સૂચવે છે કે વિભક્ત્યર્થોનો સંસ્કૃત ભાષાભાષીઓના મનમાં જેટલો સૂક્ષ્મ ખ્યાલ હતો તેટલો વર્તમાન ભારતીય ભાષાઓ બોલનારના મનમાં નથી.

કારક – વિભક્તિઓના ક્રિયાની સાથેના સંબંધને સંસ્કૃત વ્યાકરણોમાં કારક કહે છે. ઉદાહરણ તરીકે પ્રથમા વિભક્તિ ક્રિયાના કર્તાનો અર્થ દર્શાવે છે, દ્વિતીયા ક્રિયાનું કર્મ(ક્રિયાફલ) વ્યક્ત કરે છે, તૃતીયા ક્રિયાનું કરણ (સાધન) દર્શાવે છે, તો ચતુર્થી સંપ્રદાન (ક્રિયાફલ ગ્રહણ કરનાર વ્યક્તિ) નો ઉલ્લેખ કરે છે. પંચમી અપાદાન (=છૂટા પડવા) ના સ્થળ માટે અને સપ્તમી અધિકરણ (=ક્રિયાનું સ્થાન, અધિષ્ઠાન) માટે પ્રયોજાય છે. ષષ્ઠી વિભક્તિનો ક્રિયા સાથે કોઈ સંબંધ નથી; એ કોઈ નામ કે સર્વનામના અન્ય નામ કે સર્વનામ સાથેના ભિન્ન ભિન્ન પ્રકારના સંબંધો વ્યક્ત કરે છે. એથી એને કારક ન કહેતાં વિશેષણ વિભક્તિ કહે છે.

પદરૂપોની તાર્કિક ભૂમિકા – સૂક્ષ્મતાથી પદવિશ્લેષણનો વિચાર કરતાં એમ અવશ્ય લાગે છે કે આ સર્વ વ્યાકરણકોટિઓ (grammatical categories) સ્વાભાવિક પણ નથી, તેમ તેમના વિકાસ પાછળ કોઈ તાર્કિક ભૂમિકા (logical system) રહેલી નથી. ઉદાહરણ તરીકે કેટલીયે આર્યકુલની ભાષાઓમાં નિર્જીવ પદાર્થોમાં નરજાતિ કે નારીજાતિનું આરોપણ કરેલું મળે છે, જે અસ્વાભાવિક અને અનાવશ્યક છે. પ્રાચીન ઈન્ડોયુરોપિયનમાં ક્રિયારૂપોમાં કાળ કરતાં ક્રિયાસ્વરૂપની અભિવ્યક્તિ ઉપર સવિશેષ ભાર રહેતો; મલય (Malay) ભાષામાં પ્રેરક અર્થ વ્યક્ત કરવાને વિશિષ્ટ ક્રિયારૂપો નથી. ફિલિપ્પાઈન ટાપુની તગલોગ (Tagalog) ભાષામાં ઉદ્દેશ્ય (subject) અને વિધેય (predicate) માટેનાં રૂપો સમાન છે—એ બંને કોટિઓ પદક્રમ ઉપરથી અને પૂર્વે લગાડવામાં આવતા, બંને માટે જુદાજુદા પુરઃસર્ગ (particle) ઉપરથી નિર્ણીત થાય છે. ang પુરઃસર્ગ કર્તા કે ઉદ્દેશ્યને લાગે છે અને ક્રિયા કે વિધેયને ay લગાડવામાં આવે છે.[48] આવી ઊણપો દૂર કરવાને જૂની કોટિઓનો લોપ કરીને ભાષા નવીનવી કોટિઓ સરજાવે છે. આમ ક્રમે ક્રમે વિકાસ કરતાં વર્તમાન ઈન્ડો-યુરોપિયન ભાષાઓમાંથી પુરાતન દ્વિવચન, વાચ્ય કે પ્રયોગના ભેદ લુપ્ત થયા છે, અને ક્રિયાસાતત્ય (aspects) દર્શક કોટિઓને લોપ થઈને તેને સ્થાને કાળ (tenses)ની સુરેખ અભિવ્યક્તિ આવી છે. એ જ રીતે સામાન્ય રીતે જગતની ભાષાઓના વિકાસક્રમનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને ભાષા-વૈજ્ઞાનિકોએ એવો મત બાંધ્યો છે કે માનવમન ક્રમશઃ સ્થૂલ વિચારધારામાંથી સૂક્ષ્મ તરફ પ્રગતિ કરતું રહ્યું છે.[49] આવો વિકાસ સ્વાભાવિક પણ છે. પદાર્થવિશેષ કે વ્યક્તિવિશેષને જોઈને માનવ-મનમાં તે તે પદાર્થનું કે વ્યક્તિનું સામાન્ય રૂપ (general concept) બંધાય છે. ભિન્ન ભિન્ન ગુણધર્મવાળા પદાર્થો કે વ્યક્તિઓનું અવલોકન કરીને તે તે ગુણધર્મનું અમૂર્ત સ્વરૂપ માનવમન ગ્રહણ કરે છે. આ વિકાસનું પ્રતિબિંબ ભાષાની વ્યાકરણ-કોટિઓની ઉત્ક્રાન્તિમાં પણ પડ્યું હોય છે. ઉ ત. પ્રાચીન ઈન્ડો-યુરોપિયનમાં ‘હું કરું છું,’ ‘હું બોલું છું,’ એ પ્રકારનાં રૂપો હતાં, પણ સામાન્ય ક્રિયાવાચક નામ (Infinitive) – ‘કરવું’ (to do), ‘બોલવું’ (to speak) ઈ૰ અમૂર્ત વ્યાકરણકોટિ નહોતી. ધીમે ધીમે પ્રત્યેક ઈન્ડોયુરોપિયન ભાષામાં એ વિકસી. આ મૂર્તમાંથી અમૂર્તની અભિવ્યક્તિ તરફ એક મહત્ત્વનું પુરસ્ક્રમ (step forward) હતું.

સામાન્ય રીતે માનવમનની વિચારધારાના વિકાસની ભૂમિકામાં એક વ્યવસ્થિત તાર્કિકતા રહેલી છે. એમાંથી ભાષાની ભિન્ન ભિન્ન વ્યાકરણકોટિઓનો વિકાસ થયો છે. પરંતુ, ઘણીવાર તાર્કિક વિચારધારા (logical category) અને વ્યાકરણધારા સમાન્તરપણે વિકસી નથી હોતી. ભાષાભાષાએ બંને વચ્ચે જે વિસંવાદ કોઈ કોઈ વાર નજરે પડે છે તેનું કારણ આ છે. વ્યાકરણકોટિઓનું પ્રભવસ્થાન સામાજિક જીવન છે. એમાં પરિવર્તન થતાં ભાષાની કોટિઓમાં પણ સહજ રીતે જ પરિવર્તન થાય છે.

પદવર્ગીકરણ

પદોનું વ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરવું અતિ મુશ્કેલ છે. ગ્રીક વૈયાકરણોએ દસ વિભાગમાં પદોનું વર્ગીકરણ કરેલું. એ એટલું બધું અપૂર્ણ છે કે પ્રાચીન ગ્રીક ભાષા પણ એ વ્યવસ્થામાં યથાસ્થિત ગોઠવાઈ શકતી નથી. એ કરતાં સંસ્કૃત વૈયાકરણોએ કરેલું પદવર્ગીકરણ વધારે સમુચિત છે.

તદનુસાર પદોના બે મુખ્ય વર્ગ પડે—અવ્યયો અને તે સિવાયનાં અન્ય, વ્યયી (= વાક્યમાં પ્રયોજાતાં જેનાં રૂપોમાં વિકાર થાય છે તેવાં) પદો (અર્થાત્ નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ ઇ૰).

અવ્યયના પણ કેટલાક પ્રકાર પડે છે: ઉદ્ગારવાચક કે વિસ્મયબોધક અવ્યયો (interjections), સંયોજક કે સમુચ્ચયવાચક અવ્યયો (conjunctions), પુર:સર્ગો (prepositions), પૂર્વગ-ઉપસર્ગો, અનુગો, ઈ૰.

ઉદ્ગારવાચક અવ્યયોનો વાક્યનાં અન્ય પદો સાથે કશો સંબંધ હોતો નથી; એ વાક્યથી અળગાં રહીને કેવળ લાગણીના ઉદ્ગારો વ્યક્ત કરે છે. કેટલીક વાર તો એમનું ધ્વનિસ્વરૂપ પણ ભાષાની સામાન્ય વર્ણવ્યવસ્થા કરતાં જુદું પડે છે. ઉ. ત. કરુણ દૃશ્ય જોઈને મુખમાંથી સહસા નીકળતા અંતઃસ્ફોટાત્મક च् च् च् ધ્વનિ. આ અવ્યયોને ભાષાના બંધારણ (morphology) સાથે કોઈ પ્રકારનો સંબંધ હોતો નથી.

સંયોજક કે સમુચ્ચયવાચક અવ્યયો (‘અને’, ‘અથવા’, ‘કિંતુ’, ‘પણ’, ‘છતાં’, ઈ૰.), પુરઃસર્ગો (અંગ્રેજીના to, in, ઈ૰.), પૂર્વગ-ઉપસર્ગો, અને અનુગ-પ્રત્યાદિક વિશેષતઃ તો અર્થતત્ત્વો (semantemes) નો પરસ્પર સંબંધ વ્યક્ત કરે છે સ્વતઃ કોઈ સ્પષ્ટ વિશિષ્ટ અર્થ દર્શાવતાં નથી. પૂર્વગ-ઉપસર્ગનો એકલાં કોઈ વિશિષ્ટ અર્થ થતો નથી, પરંતુ ધાતુને લાગતાં એ ધાતુના અર્થમાં કેટલુંક પરિવર્તન કરે છે. અંગ્રેજીના આર્ટિકલ a, an, the મૂળ વિશેષણોમાંથી વ્યુત્પન્ન થયા હોવા છતાં આજે કેવળ સંબંધતત્ત્વરૂપ (morphemes) બની ગયા છે, અને નામાદિક પદોનાં વચન તેમ નિશ્ચિત-અનિશ્ચિતતાના નિર્દેશક (classifier) રૂપ છે.

આ પ્રમાણે સર્વનામો (હું, તું, કોઇ, જે, ઈ૰) પણ નામને સ્થાને પ્રયોજાવા છતાં સ્વતંત્ર અર્થવત્ પદો કરતાં બહુધા સંબંધ-તત્ત્વરૂપ જ છે.

અવિશષ્ટ રહેલાં પદોમાંથી વિશેષણ અને નામ વચ્ચે નહિવત્ ભેદ છે. ઈન્ડોયુરોપિયન ભાષાઓમાં બંનેનો વિકાસ એક સાથે થયો છે અને બંનેનાં રૂપો પણ એકસરખાં મળે છે. વૈદિક ભાષામાં સૂરભેદથી જ કોઈ પદ નામ છે કે વિશેષણ એ નક્કી કરી શકાય છે.[50] અર્વાચીન ભારતીય ભાષાઓમાં ઘણે સ્થળે નામને સ્થાને કેવળ વિશેષણ જ વપરાય છે. ઉ. ત. ‘મોટો એટલો ખોટો,’ ‘ગરીબને સૌ દબાવે.’ ‘મીઠી કેરી તું રાખ અને ખાટી મને આપી દે.’ ઈ૰. આ રીતે વ્યાકરણદૃષ્ટિએ નામ અને વિશેષણ વચ્ચે કોઈ સુરેખ ભેદરેખા જણાતી નથી, તેથી બંનેનો એક જ કોટિમાં – નામમાં સમાવેશ કરવો ઘટે છે.

આમ છેવટે બે જ મહત્ત્વનાં પદસ્વરૂપ બાકી રહે છે—નામ અને ક્રિયાપદ, જેમની વચ્ચે પરસ્પર મૌલિક ભેદ રહેલો છે. ઈન્ડો-યુરોપિયન ભાષાઓમાં બંને વચ્ચે તાત્ત્વિક ભેદ નજરે પડે છે.[51] સંસ્કૃતમાં નામને વિભક્તિપ્રત્યયો (सुप्; सु આદિ) અને ક્રિયાપદને આખ્યાતપ્રત્યયો (तिङ्; ति આદિ) લાગે છે. બંનેની રૂપરચના સ્વતંત્ર, પરસ્પરથી ભિન્ન છે.

પરંતુ, સેમિટિક ભાષાઓમાં નામ અને ક્રિયાપદ વચ્ચે આવો સુનિશ્ચિત ભેદ નથી. ઉદાહરણ તરીકે અરબી ભાષામાં નામ અને ક્રિયાપદનાં સમાન રૂપો મળે છે. ઉ. ત. નરજાતિનાં નામોનાં બહુવચનનો પ્રત્યય ऊन (ūna) ક્રિયાપદના નરજાતિના બીજા ને ત્રીજા પુરુષનાં અપૂર્ણકાળ (Imperfect)નાં રૂપો સિદ્ધ કરે છે. ફિનીશ-ઉગ્રિઅન ભાષાઓમાં નામ અને ક્રિયાપદ વચ્ચે એટલી બધી સમાનતા છે કે બંને વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ થઈ પડે છે. ઉ. ત. એ વર્ગની Wogulian ભાષામાં mimi (=તે જાય છે), ali (=તે મારે છે) એ ક્રિયારૂપો puri (=લેવું), uri (=પકડી રાખવું) એ નામરૂપોનાં જેવાં જ છે—બંનેને એક જ પ્રત્યય લાગ્યો છે, इ.[52] દૂર-પૂર્વની ભાષાઓના બંધારણમાં નામ અને ક્રિયાપદ વચ્ચેની અભિન્નતા એ તરી આવતું લક્ષણ છે. શિષ્ટ ચીની ભાષામાં એક જ શબ્દ નામ કે ક્રિયાપદ બંને માટે પ્રયોજી શકાય છે; ત્યાં એ નામ છે કે ક્રિયાપદ એ પદક્રમથી વ્યક્ત થાય છે. ઉ. ત. નીચેનું વાક્ય જુઓ: lao lao yeo yeou, (અર્થાત્, ‘વૃદ્ધો સાથે વૃદ્ધોચિત રીતે વર્તો, બાળકોની સાથે બાલોચિત રીતે’). અહીં એક જ શબ્દ lao (=વૃદ્ધ જન) કે yeo (=બાળક) પદક્રમ અનુસાર પ્રથમ નામ તરીકે અને પછી ક્રિયાપદ તરીકે વપરાયો છે.પર આવાં ઉદાહરણો વિરલ છે. ઘણુંખરું તો ચીનીમાં શબ્દ ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે એનો સૂર (tone) બદલાઈ જાય છે, અને તેને કારણે આવશ્યક હોય ત્યાં આદિ વર્ણમાં રૂપાન્તર પણ થાય છે. ઉ. ત. hao’ (=good), haó (=to love); tsáng (=treasure), ts’āng (=to hide). ઉપરાંત નામ અને ક્રિયાપદ દર્શાવવાને ભિન્ન ભિન્ન પુર:સર્ગો (affixes) વપરાય છે—નામ માટે eul કે tseu અને ક્રિયાપદ માટે cho (chao = ‘to apply or put’માંથી વ્યુત્પન્ન થયેલું છે). ચીની વૈયાકરણો ‘પૂર્ણ’ શબ્દોના એ ભેદ પાડે છે—‘જીવંત’ (living) અને ‘મૃત’ (dead). નામ અને વિશેષણો મૃત શબ્દો છે, જ્યારે ક્રિયાપદો, જે ક્રિયા દર્શાવતાં હોય છે તે ક્રિયાશીલ (active) કે જીવંત (living) ગણાય છે. જીવંત પદ સૂરભેદ કરવાથી મૃત પદ બની જાય છે.[53] અંગ્રેજીમાં પણ આને મળતી પરિસ્થિતિ છે. અંગ્રેજીમાં ઘણાં નામ ક્રિયાપદ તરીકે પણ વાપરી શકાય છે, એટલું જ નહીં પણ નામ તરીકે પ્રયોજાતું પદ વિશેષણ તરીકે પણ આવી શકે છે. ઉ ત. Fire is burning (નામ); I fire a pistol (ક્રિયાપદ); A fire-fly (વિશેષણ). અંગ્રેજીમાં કોઈ શબ્દ નામ છે કે ક્રિયાપદ એનો નિર્ણય બલાઘાત (stress accent)થી થાય છે. ઉ. ત. An ।in-crease, to in।crease.

આમ કેટલીક ભાષાઓમાં નામ અને ક્રિયાપદનાં રૂપોમાં ભિન્નતા નથી હોતી એ ખરું; છતાં ક્રિયાત્મક વાક્ય (the verbal sentence) અને નામાત્મક વાક્ય (the substantive sentence) વચ્ચે તો પ્રત્યેક ભાષામાં ભેદ હોય છે.

ક્રિયાત્મક વાક્ય ક્રિયા દર્શાવે છે. એ ક્રિયા કોઈ સમયે, અમુક અવધિમાં, કોઈ કર્તાએ કરેલી, અને કેટલીક વાર કોઈક કર્મ (object, હેતુ)ની સિદ્ધિને અનુલક્ષતી હોય છે. ઉ. ત. ‘આ સંગીત સાંભળો’, ‘બાળકે જાંબુ ખાધાં’, ‘હવે ગાડીને એંજિન લાગશે’, આ સર્વ ક્રિયાત્મક વાક્યો છે. એમાં ક્રિયા—સાંભળવું, ખાવું, લાગવું—એ જ પ્રધાન તત્ત્વ છે. ક્રિયારૂપોમાં આજ્ઞાર્થ રૂપો ભાષા બંધારણની સીમાની લગભગ બહાર જ રહે છે—એમને સ્થાને નામ કે હેત્વર્થ મૂકીને પણ કામ ચલાવી શકાય. એ પછી નિશ્ચયાર્થનાં (વર્તમાન કે ભૂતકાળનાં) રૂપો આવે, જે માત્ર કોઈ બનાવ કે હકીકતનો નિર્દેશ કરે છે. છેલ્લે અન્ય અર્થો (moods)—વિધ્યર્થ, સંકેતાર્થ ઈ૰ આવે.

નામાત્મક વાક્યમાં નામ પ્રધાન તત્ત્વ છે, અને ક્રિયા એની સાથે વિશેષણના રૂપમાં રહે છે. સામાન્ય રીતે એમાં પ્રધાનતત્ત્વરૂપ નામને અનુલક્ષીને કોઈક ગુણનું આરોપણ હોય છે. ઉ. ત. ‘આ ઘર સુંદર છે’, ‘જમવાનું તૈયાર છે’, ‘દોડતો ઘોડો’, ‘અશોક મહાન રાજા હતો’, ઈ૰.

પ્રાચીન ઈન્ડો-યુરોપિયન ભાષાઓમાં પ્રધાન નામ અને એને વિશિષ્ટ કરનાર તત્ત્વ વચ્ચે પ્રારંભમાં તો સંયોજક ક્રિયા (copula) પણ મળતી નથી. ઉ. ત. વેદમાં अहं राजा वरुणो (=‘હું રાજા વરુણ છું’); अहमिन्द्रो वरुणः (=‘હું વરુણ ઇન્દ્ર છું’)[54] કે शं नो देवी-रभिष्टये । (=દેવી અમને કલ્યાણકારક અને રક્ષણકર્ત્રી[55][હો]) કે પ્રાચીન ઈરાનમાં manā pitā Vištāspa (=મારા પિતા[છે] વિશ્તાસ્પ).[56] પછીના સમયમાં બંને વચ્ચે સંયોજક ક્રિયા આવે છે; એ જેનો અર્થ ઘસાઈ ગયો છે એવાં ધાતુઓનાં રૂપ હોય છે. ઉ. ત. અંગ્રેજી ‘Life is short’.

ભારતીય ભાષાઓમાં અને આયર્લેન્ડની કેલ્ટિક ભાષામાં ક્રિયા-નામાત્મક વાક્ય (verbal-substantive sentence) આવે છે. સંસ્કૃતમાં છેક महाभारतના સમયથી ક્રિયાપદનાં પુરુષવાચક રૂપો (तिङन्त) ને સ્થાને शतृ (अत्-પ્રત્યયાન્ત પરસ્મૈપદી વર્તમાન કૃદંત), शानच् (आन અને अमान પ્રત્યયાન્ત આત્મનેપદી વર્તમાન કૃદંત), क्त (त-પ્રત્યયાન્ત કર્મણિ ભૂતકૃદંત), क्तवतु (तवत् પ્રત્યયાન્ત કર્તરિ ભૂતકૃદંત) આદિ કૃદંત રૂપોનો વપરાશ શરૂ થયેલો જણાય છે. ઉ.ત. क्व भवान् उषितः (= તમે ક્યાં રહ્યા હતા?),[57] क्व त्वमुषिता (= તું ક્યાં રહી હતી?) એ પ્રયોગોમાં ક્રિયાપદના પુરુષવાચક રૂપનું સ્થાન કૃદંતે લીધું છે, જે વિશેષણની માફક કર્તાનાં જાતિવચન ગ્રહણ કરે છે.[58] આવા પ્રયોગો ઉત્તરોત્તર વધતા રહ્યા છે, અને વર્તમાન ભારતીય ભાષાઓમાં તો ક્રિયારૂપો બહુધા સંસ્કૃત शतृ અને क्त પ્રત્યયાંત કૃદંત રૂપોમાંથી અવતીર્ણ થયાં છે. આનો ઉપયોગ કાળે કરીને વધતો ગયો, અને એને પરિણામે કર્તરિને સ્થાને કર્મણિ પ્રયોગનો વપરાશ પણ વધ્યો. ઉ ત. त्वयाઽपराद्धम् (= ‘તેં અપરાધ કર્યો છે’), मया वृतः उपाध्यायः (‘મેં ગુરુની વરણી કરી છે’) એ વાક્યોમાં કર્તરિ વિચાર કર્મણિ રચના દ્વારા વ્યક્ત કર્યો છે. મહાભારતમાં જ આવાં સંખ્યાબંધ ઉદાહરણો મળે છે.

હેત્વર્થ તેમ જ વર્તમાન અને ભૂતકૃદંત અંશતઃ નામ જેવાં અને અંશતઃ ક્રિયાપદ જેવાં છે. એમાં પ્રત્યયાદિક નામની માફક લાગે છે, જ્યારે ભાવ ક્રિયાનો વ્યક્ત થાય છે. ઉ.ત. ‘જમવામાં મિતાહારી રહેવું’, ‘જમતી વખતે મૌન ધારવું’, ‘જમેલો બ્રાહ્મણ પ્રસન્ન હોય છે’—આ વાક્યોમાં ‘જમવામાં’, ‘જમતી’, ‘જમેલો’ પદોમાં પ્રત્યયો નામાદિની માફક જ લાગેલા છે, પણ એ ભાવ વ્યક્ત કરે છે ક્રિયાનો.

નામની ઉત્પત્તિની વિચારણા કરતાં એનાં મૂળ ક્રિયારૂપોમાં મળે છે. ભજન, કાર્ય, ગમન, જમણ, રુદન, પૂજન, ઇ૰ ક્રિયાવાચક નામો જ નહીં, પણ ઘણા પદાર્થોનાં નામો કે પ્રાણીઓનાં નામો પણ પુરાતન ક્રિયારૂપોમાંથી નીકળેલાં માલૂમ પડે છે. ઉ. ત. લૅટિન serpens, સંસ્કૃત सर्प, (=સાપ) (=જે પેટે ઘસાઈને, સરીને ચાલે છે તે); સંસ્કૃત दंत, લૅટિન dens (=દાંત) (=જે ખાય છે તે); સં. रदन (=‘જે કરડે છે તે’; અર્થાત્, ‘દાંત’), સાધન (= ‘જેનાથી કાંઈ સિદ્ધ કરી શકાય છે તે’), ઈ૰

ગુણવાચક નામોની પણ પશ્ચાદ્ભૂમિમાં ક્રિયારૂપો મળશે. ઉ. ત. ‘ઉજળાપણું’ એ ‘ઊજળું’ વિશેષણ ઉપરથી નામ બન્યું છે, જે उज्ज्वल् ક્રિયારૂપ ઉપરથી નીકળેલું છે. એ પ્રમાણે रंग શબ્દ रज् ધાતુ ઉપરથી બન્યો છે. સંસ્કૃત વૈયાકરણોએ તો આ પ્રમાણે તમામ સંસ્કૃત શબ્દ ધાતુઓ ઉપરથી નિષ્પન્ન કર્યા છે. આવું વ્યાપક વિધાન કરવું વર્તમાન ભાષાવિજ્ઞાન માટે શક્ય નથી; તોપણ એટલું સામાન્ય રૂપે કહી શકાય કે આપણી ભારતીય ભાષાઓમાં મોટા ભાગના શબ્દોનાં મૂળમાં કોઈ ને કોઈ ધાતુઓ રહેલા છે, તેમાંથી આપણા શબ્દો (અર્થતત્ત્વો) ઘડાયા છે. ભાવવાચક નામ (abstract noun)ની ઉત્પત્તિ સામાન્ય રીતે નામાત્મક વાક્યમાંથી થયેલી છે. ઉ. ત. ‘ઈશ્વર દયાળુ છે,’ એ નામાત્મક વાક્યમાંથી સહજપણે ‘દયા’નો ભાવ નિષ્પન્ન થાય છે. ભાવવાચક નામમાંથી અમૂર્ત ભાવને સ્થાને એનું મૂર્ત અધિષ્ઠાન મૂકતાં સામાન્ય નામ બને છે. કોઇક વાર એક સમગ્ર વાક્ય નામ રૂપે પ્રયોજાય છે ઉ. ત. अहंपूर्वः (= હું પહેલો) એ ऋग्वेद (૧-૧૮૧-3) માં ‘રથ’નું નામ છે (=જે શરતમાં પહેલો આવવા મથે છે).[59] સં. अहमहिका (= હું, હું જ [સર્વ છું]) (= ગર્વ કે અહંકાર), स्वस्ति (સુ=મંગલ + अस्ति થાય) (=કલ્યાણ); પ્રા. અપ. सुहच्छडी (सुह < सुख + अच्छ < आस् ઉપરથી) (=કુશળવાર્તા; કલ્યાણ)—આ પ્રકારના વાક્યરૂપ શબ્દો છે. ઉપરના વિવેચન ઉપરથી જણાશે કે ઇન્ડો-યુરોપિયન વર્ગની ભાષાઓમાં પણ નામ અને ક્રિયાપદ વચ્ચે દેખાય છે એટલો સ્પષ્ટ ભેદ નથી. ક્રિયા નામ સાથે સંબદ્ધ છે, તેમ નામમાં વિશેષણ અંતર્ગત છે.[60] અર્થતત્ત્વો સંબંધતત્ત્વ (morphemes) કરતાં વિશેષ ધ્યાન ખેંચે છે; નામોનું ક્રિયાપદો કરતાં વિશેષ મહત્ત્વ રહે છે; અને એમાં પણ પદાર્થાદિકનાં સામાન્ય (concrete) નામોનું અમૂર્ત (abstract) નામો કરતાં સવિશેષ મહત્ત્વ છે. વ્યક્તિઓનાં અને સ્થળોનાં નામો આપણું સૌથી વધારે ધ્યાન ખેંચે છે. તો, એથી ઊલટું, વિશેષ નામો ભુલાઈ પણ સૌથી પહેલાં જાય છે. અમૂર્ત (abstract) નામો અને વિશેષણો કરતાં મૂર્ત (concrete) નામો સત્વર ભુલાઈ જાય છે. ક્રિયારૂપોમાં નિશ્ચયાર્થ (indicative) કરતાં નામરૂપ કૃદંત (तुमन्त—infinitive)ની છાપ વધારે દૃઢ રહે છે. વ્યાકરણાત્મક કોટિઓ મનમાં સૌથી વધારે ટકી રહે છે.

ટૂંકામાં ભાષાનાં મૂર્ત કરતાં અમૂર્ત તત્ત્વો મનમાં સવિશેષપણે અંકિત થઈ રહે છે, કારણ કે એનું ગ્રહણ મનમાં બૌદ્ધિક આયાસ પછી થયેલું હોય છે.

પદવિકાસનાં કારણો.

દરેક ભાષામાં નવાં પદરૂપો નિર્માણ થતાં જ રહે છે, જો કે એની સાથે અપવાદ રૂપે ઓછાવત્તા પ્રમાણમાં જૂનાં રૂપો પણ ચાલુ રહેતાં હોય છે. આની પાછળ બે વૃત્તિઓ કામ કરતી હોય છે—એક તો પદોમાં એકરૂપતા (uniformity) લાવવાની વૃત્તિ, જે નિરર્થક બનેલાં સંબંધતત્ત્વોનો લોપ કરે છે; અને બીજી સવિશેષ અભિવ્યક્તિની વૃત્તિ, જે નવીન સંબંધતત્ત્વોના નિર્માણમાં કારણભૂત બને છે. આમ એક તરફ પદોમાં એકરૂપતા આવે છે, તો બીજી તરફ, આ પ્રવૃત્તિને કારણે સમરૂપ બનેલાં પણ ભિન્નાર્થ પદો વચ્ચે સંભ્રાન્તિ ટાળવાને વિભિન્નતા આણવાને નવીન રૂપો સરજાય છે. દરેક ભાષામાં સામાન્ય પદરૂપોની સાથે જ એના અપવાદો પણ મળે છે, જે ઉપરની બંને પ્રવૃત્તિઓ ભાષામાં એકસાથે પ્રવર્તે છે એમ દર્શાવે છે.

પદરૂપોની એકતા સાધવામાં મહત્ત્વનું કારણભૂત તત્ત્વ શ્રમલાઘવ છે. શ્રમલાઘવની વૃત્તિ માનવમનમાં અતિ સહજ છે. એથી, જ્યાં ઘણાં રૂપો એક પ્રકારનાં હોય અને થોડાંક જ ભિન્ન પ્રકારનાં હોય ત્યાં એ થોડાંક રૂપોને ખાતર સ્મૃતિ ઉપર ઘણો બોજો પડે છે. એથી સ્મૃતિ એ અલ્પપ્રચારવાળાં થોડાંક રૂપો ખંખેરી નાંખે છે, અને એને સ્થાને અધિકાંશ પદોનાં સમરૂપ રૂપો સરજાવે છે. ઉ. ત. સંસ્કૃતમાં अકારાંત નામોની સંખ્યા ઘણી વિપુલ છે; તેથી બોલનારની સ્મૃતિમાં अકારાંત નામોની છાપ ઘણી દૃઢ હોય છે. इકારાંત, उકારાંત કે વ્યંજનાંત નામોનું પ્રાચુર્ય ને પ્રાબલ્ય પ્રમાણમાં ઓછું છે. તેથી પ્રાકૃતોમાં બધાં જ નામોનાં રૂપો अકારાંત પ્રમાણે થાય છે. ઉ. ત. नरस्स (< नरस्य), सव्वस्स (< सर्वस्य) તેમ अग्गिस्स (= સં. अग्नेः), भगवंतस्स (= સં. भगवतः). સંસ્કૃતમાં ધાતુઓના દસ ગણ છે, જેના વિકરણાદિક ભિન્ન ભિન્ન છે. પ્રાકૃતોમાં એ સર્વ ધાતુઓનાં રૂપો પ્રથમ ગણ (अ વિકરણ)ના भू આદિ ધાતુઓનાં રૂપો પ્રમાણે થાય છે. ઉ. ત. गृह्णाति (૯મો ગણ), करोति (૮મો ગણ)ને સ્થાને गहेइ કે करइ ઈ૰. અંગ્રેજીમાં વર્ત૰ work ના ભૂત૰નાં રૂપ wrought (જે ક્વચિત્ પ્રયોજાય છે)ની સાથેસાથે worked[61] રૂપ વિપુલ પ્રચારમાં આવ્યું છે,[62] એ આ એકરૂપતાની પ્રવૃત્તિનું ઉદાહરણ છે.

પદોની એકરૂપતા સાદૃશ્યવ્યાપારથી સધાય છે. સંસ્કૃતનાં નામોનાં લિંગોમાં પ્રાકૃત – અપભ્રંશમાં આ કારણે જ પુષ્કળ રૂપાંતર થયું છે. ઉ. ત. પ્રાકૃતમાં अच्छी (< સં. अक्षि નપું.) (પ્રા. लच्छी < સં. लक्ष्मीના સાદૃશ્યે), जम्मो (< સં. जन्म નપું.) (પ્રા. धम्मो < સં. धर्मः ના સાદૃશ્યે), जसो (< સં. यशस् નપું.) (પ્રા. वंसो < સં. वंशः, પ્રા. सेसो < સં. शेषः ના સાદૃશ્યે); તેમ અપભ્રંશમાં अब्भा (પું.) (સં. अभ्राणि) (પ્રા. અપ. दब्भा < સં. दर्भाः ના સાદૃશ્યે), सिरु (પું.) (સં. शिरस् નપું.) (અપ. नरु, < સં. नरःના સાદૃશ્યે).[63] ગુજરાતીમાં ‘મિત્ર’, ‘પત્ર’ની નરજાતિ સમાનાર્થ ‘ભાઈબંધ’ ‘કાગળ’ ઈ૰ ની નરજાતિને કારણે છે, અને ‘વનસ્પતિ’ની નારીજાતિ इકારાંત નારીજાતિનાં નામોનાં સાદૃશ્યને કારણે છે.

સાદૃશ્યવ્યાપાર ભાગમાં પણ લગભગ ગણિતની માફક પ્રવર્તે છે. ઉ. ત.

૨ જી વિભક્તિનું રૂપ ૩ જી વિભક્તિનું રૂપ
मित्तं मित्तेण
पत्तं पत्तेण
कंतं कंतेण, તેજ પ્રમાણે
पवसंतं पवसंतेण
भगवंतं भगवंतेण

સમાન રૂપોના સાદૃશ્યને કારણે અહીં प्रवसता ને સ્થાને पवसंतेण અને भगवता ને સ્થાને भगवंतेण રૂપો સિદ્ધ થયાં છે. પણ આ રીતે સર્વત્ર ભાષામાં એકરૂપતા સધાતી નથી. એકરૂપતા સિદ્ધ કરતાં કરતાં વિભિન્નાર્થ પદો સમરૂપ ન બની જાય એ તરફ પણ ભાષાની દૃષ્ટિ રહે છે.

સાદૃશ્ય દ્વારા એકરૂપતાનાં ઘણાં ઉદાહરણો બાળકોની ભાષામાં મળશે. ઉ. ત. ‘કરી શકાતું નથી’, ‘ખાઈ શકાતું નથી’, ઈ૰ પ્રમાણે ‘શકી શકાતું નથી’ પણ બાળક બોલી નાંખશે. આવા ઘણા પ્રયોગો પછી એ વડીલો કે શિક્ષકની સૂચનાથી સુધારી લે છે, તોપણ કેટલાક પ્રયોગો — જે ભાષાની પરંપરામાં અત્યંત સુઘટિત હોય છે તે — યથાવત્ રહી જાય છે અને છેવટે ભાષામાં સ્થાન પામે છે. આવી રીતે ‘શાળાના સમારંભમાં ઘણા વાલીઓ અને બાળકો હતા’ જેવાં નિરનુસ્વાર રૂપો કે ‘બેસવું’, ‘ચાલવું’, ના સાદૃશ્યથી (સૌરાષ્ટ્રની ભાષામાં) ‘ઊભવું’, બાલભાષામાંથી શિષ્ટ ભાષા-પ્રયોગમાં સ્થિર થયેલાં રૂપો છે. ક્વચિત્ કોઈક કાળે સર્વ માણસો સમાન રીતે કોઈક ખોટો પ્રયોગ અપનાવી લે તો તે પણ પછીના સમયમાં શિષ્ટ ભાષામાં સ્વીકારાઈ જાય છે. જેમકે, એક સમયે સરકારી વાચનમાળાની લેખનપદ્ધતિની અસરથી ‘નાનું’, ‘મોટું’, કે ‘બહેન’, ‘કહેવું’, જેવાં રૂપો સૌ ભણેલા માણસો વાપરતા. એ રૂપો ગુજરાતી ભાષાની પરંપરાને અનુરૂપ નહીં હોવા છતાં શિષ્ટ ભાષામાં પ્રચલિત થઈ ગયાં. ઘણા લેખકો ચાલુ ક્રિયા દર્શાવવાને ‘કરે જવું’, ‘કર્યા કરે છે’, ‘બોલે ગયા’, ‘બોલ્યા કરે છે’, ઈ૰ પ્રયોગો શુદ્ધ ‘કર્યે જવું’, ‘કર્યાં કરે છે’ ‘બોલ્યે ગયા’, ‘બોલ્યાં કરે છે’ ઈ૰ ને સ્થાને કરે છે, એ ભાષામાં બહુજનસંમત ક્ષતિના સ્વીકારનું ઉદાહરણ છે.[64]

જે રૂપો આ પ્રમાણે સાદૃશ્ય-વ્યાપારની અસર નીચે આવતાં નથી તે અનિયમિત (irregular) કે સબળ (strong) રૂપો કહેવાય છે, અને જે સાદૃશ્ય-વ્યાપાર દ્વારા પરિવર્તન પામીને અન્ય રૂપો સાથે સમરૂપ બને છે તે નિર્બળ(weak) રૂપો કહેવાય છે. ભાષામાં વારંવાર પ્રયોજાતાં રૂપો સબળ રૂપો છે—સ્મૃતિ ઉપર એમની પ્રબળ છાપ હોય છે તેથી એ સચવાઈ રહ્યાં હોય છે. ઈન્ડો-યુરોપિયન ભાષાઓમાં સાહાય્યકારક ક્રિયાપદનાં રૂપ—ગુ૰ ‘છે’, મરાઠી असणे, હિંદી है નેપાલી छु, કાશ્મીરી छुह्, આસામી- બંગાળી आछि, ઓરિયા अछइ (સં. आक्षेति, પાલિ अच्छति, પ્રા. अच्छइ માંથી અવતીર્ણ થયેલાં)[65] તેમ અંગ્રેજી is, ફ્રેન્ચ est જેવાં રૂપો અન્ય ક્રિયારૂપોથી અતિ વિભિન્ન સ્વરૂપનાં હોવા (ઉ. ત. ગુજ૰ ‘છે’, ભૂત૰ ‘હતું’; હિંદી વર્ત૰ ‘है’, ભૂત૰ ‘था’) છતાં નિરંતર પ્રયોગને કારણે યથાવત્ સચવાઈ રહ્યાં છે. એકંદરે વર્તમાન ભારતીય ભાષાઓમાં કે અંગ્રેજી ફ્રેન્ચ જેવી યુરોપીય આર્યભાષાઓમાં સબળ ક્રિયારૂપો વિરલ, અપવાદરૂપ હોય છે.

ભાષાના ધ્વનિવિકાસમાં કેટલાંક અર્થતત્ત્વો (morphemes) એટલાં બધાં ઘસાઈ જાય છે કે એનો વિશેષ ઉપયોગ કરવો દુષ્કર બને છે. તેથી એમને કાં તો મૂળ સ્વરૂપે ફરી સ્થાપવાં પડે છે (restore), અથવા એમને સ્થાને બીજાં નવાં અર્થતત્ત્વો યોજવાં પડે છે. સંસ્કૃત કે લૅટિન જેવી પ્રત્યયાત્મિકા ભાષાઓમાં જ્યારે આ પ્રકારના ઘસારાથી છેલ્લા ધ્વનિઓ લોપાય છે ત્યારે સમસ્ત પ્રત્યય-વ્યવસ્થા બદલાવવી પડે છે. ઉ. ત. સંસ્કૃતમાં अકારાંત નામોનાં પ્રથમા અને દ્વિતીયાનાં બહુવચનનાં રૂપો पुत्राः અને पुत्रान् પ્રાકૃતોમાં અંત્યવ્યંજનલોપને કારણે સમરૂપ(પ્ર૰ पुत्ता, દ્વિ૰ *पुत्ता) બન્યાં હશે, જે દૂર કરવાને પ્રાકૃતોમાં દ્વિતીયાનું નવું રૂપ पुत्तें નિર્માણ થયું. મધ્યકાલીન ગુજરાતીમાં करि એ રૂપ ૩જો પુ. એક., આજ્ઞાર્થ રજો પુ. એક., તેમજ સંબંધક ભૂતકૃદંત ત્રણે સંબંધોમાં એકસરખું હતું. અર્વાચીન ગુજરાતીમાં વર્તમાનકાળના રૂપમાં સાહાય્યકારક ‘छे’ ઉમેરવામાં આવ્યું (‘કરે છે’), આજ્ઞાર્થનું રૂપ ધ્વનિવિકાસ દ્વારા कर બન્યું, અને સંબંધક ભૂતકૃદંતમાં સંયોજક ने જોડીને એનો ભૂતકાલીન અર્થ દૃઢાવવામાં આવ્યો. શિષ્ટ ગુજરાતીમાં નરજાતિ ને નારીજાતિ બંનેનાં પ્રથમા બહુવચનનો પ્રત્યય એક જ ओ છેઃ પુરુષ – પુરુષો, સ્ત્રી – સ્ત્રીઓ, ગાય – ગાયો, ઈ૰. સૌરાષ્ટ્રી બોલીમાં આ બંને વચ્ચેનો લિંગભેદ સુસ્પષ્ટપણે વ્યક્ત કરવાને એને બદલે उं પ્રત્યય મૂકવામાં આવે છેઃ ઉ. ત. ‘બાયડીઉં’, ‘ગાયું’, ‘દીકરીયું’.

આ પ્રમાણે સાદૃશ્યાદિને કારણે રૂપોમાં એકરૂપતા આવતી ટાળવાને નવાં રૂપો ઘડાય છે એમાં સંબંધતત્ત્વદર્શક અનુગો કે પરસર્ગો (suffixes) વિશિષ્ટ ઉલ્લેખનીય છે. ગુજ૰ ‘થી’–‘થકી’, ‘માં’, ‘નો’, ‘કને’, ‘પાસે’, કે હિંદી ‘में’, ‘का’, અંગ્રેજી a, an, –ly (<like), એ પૂર્વે તો સ્વતંત્ર શબ્દો હતા, જે ક્રમશઃ ઘસાઈને પોતાનો વિશિષ્ટાર્થ ખોઈ બેઠા અને કેવળ વ્યાકરણ-કોટિ બની ગયાં. ગુજ૰ ‘શું’ (‘ભાર લાગે શું?’) મૂળ વિશેષણમાંથી કેવળ પ્રશ્નાર્થસૂચક સંબંધતત્ત્વ, ‘છે ને...,’ ‘છે તે...’ જેવાં કેવળ વાક્યપ્રારંભક તત્ત્વો, ‘માળું’ એ મૂળ સર્વનામમાંથી હવે વિસ્મયબોધક તત્ત્વ, ઈ૰ પણ આ પ્રકારનાં ઉદાહરણો છે. સાહાય્યકારક ક્રિયાપદો આવા રિક્તાર્થ શબ્દો જ છે, જે હવે માત્ર વ્યાકરણસંબંધદર્શક તત્ત્વરૂપ બની ગયાં છે. ઉ. ત. Do you see? I don’t see—માં do નો, અને I will go, I shall see માં will અને અને shall નો સ્વકીય અર્થ લુપ્ત છે, અને એ કેવળ વ્યાકરણનાં સંબંધતત્ત્વો બની ગયાં છે. અંગ્રેજીમાં concerning, past (half past three) કે જર્મનમાં trotz ( = despite) પૂર્ણ શબ્દ કરતાં સંબંધતત્વરૂપ – પુરઃસર્ગ (preposition) રૂ૫ ગણવાં ઘટે છે. ફ્રેન્ચમાં વિશેષણને –ment પરસર્ગ લગાડીને ક્રિયા-વિશેષણો બનાવવામાં આવે છે એનો લૅટિન mente (mens = ‘મન’, એનું પંચમ્યન્ત—ablative—રૂપ)માંથી ઉદ્ગમ છે. આ પ્રમાણે શબ્દમાંથી પરસર્ગ બની જતાં પહેલાં શબ્દ ધીમે ધીમે અને અજ્ઞાતપણે પોતાનો સ્વકીય અર્થ ગુમાવતો જાય છે. [66] ઉ. ત. જર્મન Bergmann (=miner), Kaufmann (=merchant), કે સં. बन्धुजनः, सखीजनः, ગુજ. ‘અબળાજન’ (=સ્ત્રીઓ) ઇ૰માં mann ને जन પોતાનો સ્વકીય અર્થ છોડીને વ્યાકરણના સંબંધતત્ત્વ બનવાને પંથે છે. પોતાના અર્થનો લોપ થવા દઈને અનુગ કે પરસર્ગરૂપ બનેલા શબ્દો અમૂર્ત ભાવકોટિ વ્યક્ત કરવાને માટે સવિશેષ યોગ્ય હોય છે. એમાંના કેટલાક ગુણ કે સ્થિતિ દર્શાવતા હોય છે; તો અન્ય ક્રિયાત્મક (active) કર્તાર્થ (agental) નામોને લાગતા હોય છે. રિક્ત શબ્દનું લાક્ષણિક તત્ત્વ એની અમૂર્તતામાં રહેલું છે. એથી જ કેટલાક શબ્દો કેવળ બીજગણિતની સંજ્ઞા (algebraic symbols) સમ બની રહે છે. ઉ. ત. સં. इति, કે ફ્રેંચ પ્રશ્નાર્થક—ti. ઈન્ડો-યુરોપિયન અને સેમિટિક ભાષાઓના પ્રત્યયો મૂળ આ પ્રકારના સ્વતંત્ર શબ્દાંગો કે તત્ત્વો (elements) હતાં કે જે મૂળ અંગ કે પ્રાતિપદિક (stem) ની સાથે પ્રથમ શિથિલ બંધથી જોડાયેલા (agglutinated) હતા, ને કાળક્રમે એની સાથે સંપૂર્ણપણે ભળી ગયા.[67] જેમ જેમ એમનું ધીમે ધીમે સ્વતંત્ર અસ્તિત્વ ઘટતું ગયું તેમ તેમ એ કેવળ વ્યાકરણાત્મક કોટિ સમાં બનતાં ગયાં. ઈન્ડો-યુરોપિયન ભાષાના પ્રત્યયોનો ઇતિહાસ મહદ્ અંશે આ પ્રકારનો જ સંભવે છે.


  1. સરખાવો : “By semantemes we understand the linguistic elements which express the ideas of the concepts; and by morphemes we understand those elements which express the connexions between the ideas... The morpheme is generally a phonetic element (a sound, syllable, or even several syllables) indicating the grammatical relations between the ideas in the sentence.”
    —J. Vendryes, Language, p. 74


    પ્રસિદ્ધ અમેરિકન ભાષાવૈજ્ઞાનિક એડવર્ડ સેપિએ (Edward Sapir) એમના Language નામના પુસ્તકમાં શબ્દમૂળ કે ધાતુને radical concepts (ઉ. દા.[to] ‘farm’, ‘duck’), એમાંથી સાધિત શબ્દો બનાવતાં જે પ્રત્યયાદિક લાગે તેને derivational concepts (ઉ. ત. [farm]-er; [duck]-ling); અને વ્યાકરણ-સંબંધદર્શક પુરઃસર્ગ (the આદિ), પરસર્ગ કે પ્રત્યયાદિક (-s, -ed ઈ૰)ને relational conceptsની સંજ્ઞા આપી છે. કેટલીક વાર, સંક્ષેપમાં, એમણે અર્થતત્ત્વને radical elements કે main concepts અને ઈતર તત્ત્વોને માત્ર elements કે secondary concepts તરીકે વર્ણવ્યા છે.
    — જુઓ: Edward Sapir, Language, pp. 57, 59, 88.

  2. તિબેટન ભાષામાં ભારપૂર્વક બહુવચનતત્ત્વ દર્શાવવાને rnams જેવો બહુસંખ્યાસૂચક વિશિષ્ટ શબ્દ મુકાય છે. ઉ. ત. nga-s mi mthong (= ‘by me a man see [=is seen]’); nga-s mi rnams mthong (=‘by me men plural see).
    —જુઓ: E. Sapir, Language, p. 106

  3. જુઓઃ Edward Sapir, Language, p. 59
  4. સરખાવો:– “The peculiar way the Semitic languages have of expressing the fundamental idea by consonants and secondary modification by vowels brings about a system of internal inflection of words.” “An Arabic root is characterized only by its consonants. As to the vowels, every consonant in every root may be followed by ă, ā, ĭ, ī, ŭ, ū, or zero, and each of these seven serves to characterize the grammatical function.”
    — J. Vendryes, op. cit., p. 81


  5. જુઓઃ Edward Sapir, Language, p. 74
  6. જુઓ: Edward Sapir, Language, pp. 79-80.
  7. જુઓ: Vendryes, op. cit., p. 77-78.
    સરખાવો: ચીની ભાષામાં mai ઊંચે સૂરે (rising tone) ઉચ્ચારતાં અર્થ થાય = ‘ખરીદવું’; mai નીચે સૂરે (falling tone) ઉચ્ચારતાં અર્થ થાય = ‘વેચવું’.
    —જુઓ: Edward Sapir, Language, p. 80.

  8. જુઓ: Vendryes, op. cit., p. 79.
  9. સરખાવો: “Every language shows part of its meanings by the arrangement of its forms.”
    — Bloomfield, Language, p. 163.


    વળી સરખાવો: “The English principle of word-order is as potent a means of expression as is the Latin use of case-suffixes or of an interrogative particle. Here there is no question of functional poverty, but of formal economy.” —Edward Sapir, Language, p. 64.

  10. સરખાવો: Vendryes, op. cit., p. 84.
  11. આજ પ્રકારે Yana ભાષામાં ક્રિયાપદના ધાતુને -ba- અનુસર્ગ જોડીને બહુવચન દર્શાવવામાં આવે છે. ઉ. ત. Ya-hau-si (=‘It burns in the east’); Ya-ba-hau-si (=‘They burn in the east’).(ya ધાતુ છે).
    —જુઓ: Edward Sapir, Language, p. 105.

  12. સરખાવો: Vendryes, op. cit., p 86.
  13. જુઓ: Fr. Boas, Handbook of American-Indian Languages, (Washington, 1911), Introduction, p. 38.
  14. જુઓ: Edward Sapir, Language, p. 68.
  15. જુઓ: Edward Sapir, Language, pp. 66, 71.
  16. જુઓ: Sturtevant, op. cit., pp. 55-56.
  17. સરખાવો: Vendryes, op. cit., p. 89.
  18. સામાન્ય રીતે ભાષાઓમાં સંબંધતત્ત્વદર્શક રીતિઓમાંથી પૂર્વગ-અનુગાદિકનું સંયોજન(affixing)—અર્થાત્, પુરઃસર્ગ(prefix), અંતઃસર્ગ(infix), અને અનુસર્ગ કે પ્રત્યય(suffix)નો ઉપયોગ વિશેષતયા થતો હોય છે, અને તેમાં પણ અનુસર્ગ કે પ્રત્યયોનો ઉપયોગ સવિશેષપણે વ્યાપક હોય છે.
    લૅટિન કે રશિયન જેવી ભાષાઓમાં તો અનુસર્ગ(suffix) જ પદનો વાક્યગત અર્થ દર્શાવે છે, પુરઃસર્ગ(prefix) તો અર્થતત્ત્વને માત્ર વિશિષ્ટ કરતા હોય છે.
    —સરખાવો: Edward Sapir, Language, pp. 67-68.

  19. ઉદાહરણ તરીકે બ્રિટિશ કોલંબિયાની Nass નામની (આદિમ) Indian ભાષામાં બહુવચન ચાર પ્રકારે સિદ્ધ કરવામાં આવે છે: ઘણાંખરાં નામોના શબ્દમૂળના અંશનો અભ્યાસ (= આવર્તન) થાય છે (ઉ. ત. gyat = ‘person’; gyigyat = ‘people’); તો કેટલીક વાર પુર:સર્ગો (prefixes) લગાડવામાં આવે છે (ઉ.ત. an’on = ‘hand’; Ka-an’on = ‘hands’); તો કેટલાંક બહુવચનો આંતરિક સ્વરક્રમથી સિદ્ધ થાય છે (ઉ. ત. gwula = ‘cloak’; gwila = ‘cloaks’); તો વળી અન્ય પ્રકારનાં બહુવચનો વ્યાકરણાત્મક સંબંધતત્ત્વ લગાડીને (suffixing) બનાવવામાં આવે છે (ઉ. ત. waky = brother; wakykw = brothers).
    –જુઓ: Edward Sapir, Language, p. 60.

  20. ઉ. ત. અરબી ભાષામાં ભૂતકાળ (Imperfect) માં શબ્દને આરંભે પૂર્વગ કે પુર:સર્ગ (affix) લગાડેલો હોય છે. qtl નું ભૂતકાળ ૧ લો પુ૰ એક૰ નું રૂપ aqtulu, અને બહુ૰ નું રૂપ naqtulu થાય છે.
    — જુઓ: Vendryes, op. cit., p. 83.

  21. સરખાવો: सुप्तिङन्तं पदम् । ૧-૪-૧૪; The Ashṭādhyāyī of Pāṇini – ed. S. C. Vasu, 1962, Vol I, p. 173.
  22. સરખાવો: अर्थात् पदं साभिधेयं पदाद् वाक्यार्थनिर्णयः ।
    पदसंघातजं वाक्यं वर्णसंघातजं पदम् ॥
    —पुण्यराजकृत वाक्यपदीयटीका १-२६
  23. સરખાવો: Sturtevant, op. cit., p. 55
  24. સરખાવો: “A word is the result of association of a given meaning with a given combination of sounds, capable of a given grammatical use.” - M. Meillet. (cf. Vendryes, op. cit., p. 89.)
  25. જુઓઃ J. Vendryes, op. cit., p. 90.
  26. જુઓ: Edward Sapir, Language, (New York, 1949), p. 97.
  27. આ જ પ્રમાણે Yana ભાષામાં પણ જાતિની કોટિનો સર્વથા અભાવ છે. જુઓ: E. Sapir, ibid., p. 91.
  28. સક્સેના, सामान्य भाषाविज्ञान, पृ. 93.
  29. જુઓઃ J. Vendryes, op. cit., p. 93
  30. સરખાવોઃ J. Vendryes, op. cit., p. 95
  31. જુઓ: Vendryes, op. cit., p. 97
  32. જુઓ: Sturtevant, An Introduction to Linguistic Science, p. 59.
  33. આમ અરબીમાં અપૂર્ણ કાળ(Imperfect) સમાન રીતે ભૂતકાળ તેમજ વર્તમાનકાળ દર્શાવે છે. જુઓ: Vendryes, op. cit., p. 100.
  34. વસ્તુતઃ તો સંસ્કૃતમાં પણ ધાતુ અને વર્તમાનકાળના પ્રત્યયોની વચ્ચે स्य અંગ જોડીને ભવિષ્યકાળનાં રૂપો બનાવવામાં આવે છે.
  35. જુઓ: સક્સેના, એજન, પૃ. ૯૬.
  36. બીજું એક ઉદાહરણ લઈએ. ‘be crying’ એ ક્રિયાસાતત્યદર્શક (durative) રૂપથી, ‘cry out’ તત્કાલીન ક્રિયાસૂચક (momentaneous) રૂપથી, અને ‘cry now and again’ એ ક્રિયાવર્તનસૂચક રૂપથી દર્શાવાશે. આ ત્રણે aspects (ક્રિયાસાતત્યસ્વરૂપ) ના પણ પાછા કેટલાક પ્રભેદો છે.
    {{right|– જુઓઃ Edward Sapir, Langauge, p. 108 f.n.}]
  37. સરખાવોઃ Sturtevant, op. cit, p. 58
  38. સરખાવોઃ Sturtevant, op. cit, p. 59.
  39. સરખાવોઃ Vendryes, op. cit, p. 102.
  40. અંગ્રેજીમાં વર્તમાનકાલીન ક્રિયાપદ (ઉ. ત. He comes) સંદર્ભ અનુસાર ભવિષ્યકાળ વ્યક્ત કરી શકે છે (ઉ. ત. He comes tomorrow), તેમ અનિશ્ચિત કાળ પણ વ્યક્ત કરે છે (ઉ.ત. Whenever he comes, I am glad to see him).
    – જુઓઃ Edward Sapir, Language, p. 97.

  41. સરખાવો: Vendryes, op. cit., p. 102.
  42. સરખાવોઃ લૅટિન vin-co = `I conquer’, vic-i = `I conquered’. Bontoc Igorot નામની ફિલિપ્પાઈન ટાપૂની ભાષામાં in - અને um -- અંતઃસર્ગો (infix) વિકરણની માફક જ લગાડવામાં આવે છે, જેનાથી સ્પષ્ટપણે અર્થભેદ સધાય છે. ઉ. ત. Kaya = `wood’; kinayu = `gathered wood’; sad = ‘to wait’ sumid-ak = ‘I wait’.
    —જુઓઃ Edward Sapir, Language, p. 72

  43. જગતની ઘણી આદિમ ભાષાઓમાં શબ્દમૂળ (radical element)ના અંશનું આવર્તન કરીને ક્રિયાનું સાતત્ય કે આવર્તન દર્શાવવામાં આવે છે. ઉ. ત. Shilh ભાષામાં gen = ‘to sleep’, ggen = ‘to be sleeping’; Ful ભાષામાં fewa = ‘to lie’, fefeu- ‘be = ‘those who always lie; liars’; Nass ભાષામાં gyibayuk = ‘to fly’, gyigyibayuk = ‘one who is flying’.
    — Edward Sapir, Language, p. 78.

  44. સરખાવો: Vendryes, op. cit., pp. 102-3.
  45. શ્રેષ્ઠ સંસ્કૃત કવિઓએ પણ પોતાની રચનાઓમાં આ ભેદ જાળવ્યો નથી. कादम्बरी અને दशकुमारचरितમાં બંને પદો સમાન અર્થમાં વપરાયાંનાં અનેક ઉદાહરણો મળે છે.
    –સરખાવો: ડૉ. ભોળાશંકર વ્યાસ, संस्कृतका भाषाशास्त्रीय अध्ययन, पृ. २५६-२५७.
  46. જુઓ: Bloomfield, Language, p. 272.
  47. સરખાવોઃ Vendryes, op. cit., pp. 111.
  48. જુઓઃ Sturtevant, An Introduction to Linguistic Science, p. 60.
  49. જુઓઃ Vendryes, op. cit., p. 108.
  50. ઉ. ત. वर॑ નો અર્થ છે ‘ઈચ્છા’; જ્યારે (સૂરભેદે) व॒र નો અર્થ થાય ‘પસંદ કરનાર’. स्वंयवर માં પહેલો અર્થ છે; स्वयंवरा (पतिंवरा – स्वयंवरा क्लृप्तविवाहवेषा – रघुवंश सर्ग ૬-૧૦ टीका)માં બીજો અર્થ છે. એ જ પ્રમાણે शो॒क॑ = ‘પ્રકાશ’, शोक = ‘પ્રકાશમાન’. – જુઓ. ડૉ. ભોળાશંકર વ્યાસ, संस्कृतका भाषाशास्त्रीय अध्ययन, પૃ. ૧૪૨-૧૪૩.
  51. સરખાવો: “No language wholly fails to distinguish noun and verb, though in particular cases the nature of the distinction may be an elusive one. It is different with the other parts of speech. Not one of them is imperatively required for the life of language.”
    — Edward Sapir, Language, p. 119

  52. સરખાવોઃ Vendryes, op. cit., p. 118.
    પર જુઓઃ Vendryes, op. cit., p. 118--119.
  53. પદક્રમ, સૂરભેદ તેમજ રિક્ત શબ્દોની સહાયતાથી ચીની વાક્ય કર્તા, ક્રિયાપદ અને કર્મ એ ત્રણ જ કોટિઓ વ્યક્ત કરી શકે છે. નામરૂપ પદાર્થની નિશ્ચિતતા-અનિશ્ચિતતા, વચન, ક્રિયાના કર્તાનો પુરુષ, કાળ કે જાતિ દર્શાવવા એ સમર્થ નથી.
    — જુઓઃ Edward Sapir, Language, p. 92.

  54. જુઓ: ऋग्वेद-मं. ४-सू. ४२-ऋक् २-३.
  55. જુઓ: पतज्जलिविरचित व्याकरणमहाभाष्य, अध्याय 1, पद 1 – संपादित वासुदेवशास्त्री अभ्यंकर, भाग 1, पृ. 1; અને ऋग्वेद मं. 10-सू. 9-ऋक् 4.
  56. જુઓઃ Vendryes, op. cit., p. 122.
  57. સરખાવોઃ पतञ्जलिविरचित व्याकरणमहाभाष्य, अध्याय ३-पाद २ -सूत्र ११०; म. म. वासुदेवशास्त्री अभ्यंकर संपादित, भाग ३, पृ. २४६.
  58. વૈદિક ભાષામાં તો तुमन्त પદો (= હેત્વર્થ કૃદંતો) પણ નામની માફક જ વિભક્તિપ્રત્યયો ગ્રહણ કરે છે. ઉ.ત. पातवे (ऋग्वेद, मं. 1-सूक्त 116 – ऋक् 22), सर्तवै (ऋग्वेद मं. 3-32-6), अवितवे (ऋग्वेद मं. 7-33-1).
  59. वृष्णः॑ स्थातारा॒ मन॑सो॒ जवी॑यानहंपू॒र्वो य॑ज॒तो धि॑ष्ण्या॒ यः।
    —ऋग्वेदसंहिता (वैदिकसंशोधनमण्डलप्रकाशिता), मं. १-१८१-३, (पृ. १०७३).
  60. સરખાવો: “Our conventional classification of words into parts of speech is only a vague, wavering approximation to a consistently worked out inventory of experience.....We say ‘it is red’ and define ‘red’ as a quality word or adjective.....Yet we say ‘it reddens’. No one denies that ‘reddens’ is as good a verb as ‘sleeps’... ... ... Various parts of speech not merely grade into eachother but are to an astonishing degree actually convertible into eachother.”
    — Edward Sapir, Language, pp. 117-118

  61. ૬અંગ્રેજી ભાષાની ઉત્ક્રાન્તિના પ્રારંભકાળે drove કે sank જેવાં સ્વરક્રમથી સિદ્ધ થતાં ક્રિયાપદરૂપો worked કે killed જેવાં પ્રત્યયસાધિત રૂપો કરતાં અર્થમાં સહેજ જુદાં—ભલે અત્યંત સૂક્ષ્મ રીતે અત્યલ્પાંશે પણ જુદાં—પડતાં હશે એમ ભાષાવૈજ્ઞાનિકો માને છે.
    —જુઓ: Edward Sapir, Language, p. 98

  62. અંગ્રેજી નવલકથાઓમાં તો પાત્રોની બોલચાલની ભાષામાં આવાં, સાદૃશ્યવ્યાપારથી અન્ય પદરૂપો સાથે સમરૂપ બનેલાં અનેક પદરૂપો મળે છે. ઉ. ત. ‘Pickwick Papers’માં knowed (knewને બદલે) અને seed (sawને બદલે) રૂપો વપરાયેલાં મળે છે.
  63. સરખાવોઃ लिङ्गमतन्त्रम्। – सिद्धहेमचन्द्र 8-4-445
  64. આ જ રીતે અંગ્રેજીમાં બોલચાલની ભાષામાં It’s me; me, I like coffee, જેવા પ્રયોગો (વ્યાકરણશુદ્ધ I ને સ્થાને) ખૂબ જ પ્રચલિત છે, જેમને હઠાવવા દુષ્કરવત્ છે. સરખાવો :– E. H. Sturtevant, An Introduction to Linguistic Science, p. 54.
  65. જુઓ: R. L. Turner, Dictionary of the Nepali Language, London, 1931, p. 191.
    નરસિંહરાવ સં. अस्तिમાંથી ‘છે’ વ્યુત્પન્ન કરે છે (સં. अस्ति> * अस्सइ > अच्छइ > अछइ > छइ ‘છે’ એ ક્રમે).
    —જુઓ: Gujarati Language & Literature, Vol. I, 263
  66. ઉ. ત. ચીની અને કંબોડિઅન (Cambodgian) ભાષામાં ‘give’ ક્રિયાપદ અમૂર્ત અર્થમાં વપરાય ત્યારે લગભગ સંપ્રદાનનો (‘for’ જેવો) અર્થ દર્શાવે છે. અંગ્રેજીમાં full પ્રથમ ‘પૂર્ણતા’નો અર્થ દર્શાવતું (ઉ. ત. tea-spoonful); એ ક્રમે ક્રમે કેવળ સંબંધતત્ત્વ—અનુસર્ગ (suffix) રૂપ બની ગયું (ઉ. ત. dutiful).
    —જુઓ: Edward Sapir, Language, pp. 102-103
  67. ઉ. ત. ફ્રેન્ચ ભવિષ્યકાલીન રૂપો—irai = ‘I shall go’ જેવાં—મૂળ સ્વતંત્ર શબ્દો સંપૂર્ણપણે એકરૂપ થઈ જવાથી બન્યાં છે: ir a ‘i= ‘to-go I have.’ —Edward Sapir, Language, p. 112.