સરળ અલંકાર-વિવેચન/ઉત્પ્રેક્ષા
જ્યારે ઉપમેય ઉપમાન હોવાની સંભાવના રજૂ કરવામાં આવે, અર્થાત્ ઉપમેય ઉપમાન જેવું (ઉપમા) કે ઉપમાનની સાથે અભેદ પામતું (રૂપક) ન બનાવતાં ઉપમેય ઉપમાન હોવાની કલ્પના કરવામાં આવે, ને તે માટે ‘જાણે,’ ‘રખે,’ ‘શકે,’ જેવા ઉત્પ્રેક્ષાવાચક શબ્દો વાપરવામાં આવે ત્યારે તે ઉત્પ્રેક્ષા કહેવાય. થોડાંક ઉદાહરણો જોઈએ :
નક્ષત્રોના ગણશું રજનીકાંત! શોભી તું રે’શે,
રાધા સાથે રમી હરિ બન્યા હોય શું ગૌર જાણે !
અહીં રાધા સાથે રમીને ગૌર બનેલા જાણે કૃષ્ણ ન હોય, એવો તું શોભી રહેશે, એમ કહ્યું છે માટે આ ઉત્પ્રેક્ષા છે.
નીલા આકાશમાં સોહે બિંબ શું મનભાવન
ઢળેલું કૃષ્ણના સ્કંધે જાણે રાધાનું આનન !
આ પણ ઉત્પ્રેક્ષાનું ઉદાહરણ છે. નીલ આકાશમાં શોભતું બિંબ કૃષ્ણના સ્કંધે ઢળેલું જાણે રાધાનું મુખ હોય એવી રમણીય કલ્પના અહીં કવિએ કરેલી છે. અથવા અસુંદરતામાં સુંદરતા સર્જતી આ હૃદયંગમ ને સચોટ ઉત્પ્રેક્ષા જુઓ:
જોજનના જોજન લગ દેખો;
એક નહીં ડુંગરને પેખો!
વિરાટ જાણે ખુલ્લી હથેલી સમથલ, ક્ષિતિજે ઢળતી,
આ ઝાલાવાડી ધરતી.
ઉત્પ્રેક્ષાની ચાલી આવતી પરંપરા, મનોરમ માળા જેવી, નીચેની કાલિદાસની રચનામાં જુઓ :– હે નિર્દોષ અંગવાળી સીતે! જો આ ગંગાના પ્રવાહમાં યમુનાના તરંગો ધસી જઈને એ પ્રવાહને ખંડિત કરે છે એ કેવું લાગે છે! ક્યાંક એવું ભાસે છે, જાણે મોતીની માળામાં પરોવેલા ઇંદ્રનીલ મણિ મોતીની પ્રભાને ઝાંખી કરી નાખે છે. ક્યાંક એવું ભાસે છે, જાણે ધોળાં કમળના હારમાં નીલ કમળ ગૂંથી દીધેલાં છે. ક્યાંક જાણે માનસસરોવર જતા શ્વેત હંસોની સાથે કાળા કદંબ ઊડી રહ્યા છે. ક્યાંક જાણે શ્વેત ચંદનથી લીંપેલી જમીન પર કૃષ્ણાગુરુનાં ચિતરામણ કર્યાં છે.
અથવા તો આ સચોટ ઉદારહરણ જુઓ : ત્યાં પણ નદીનાં પાણી બંને બાજુએ ફુલાતાં હતાં—જાણે પાડા પરની પખાલ !
નીચેના ઉદાહરણમાં ‘શું’નો પ્રયોગ છે, પણ એ રીતે ઉપમેય ઉપમાન હોવાની કલ્પના કવિએ કરી હોવાથી, ઉત્પ્રેક્ષા અલંકાર છે.
વિધિએ ભાગ્યરેખા શું દોરી કુંકુમકેસરે !
ઉજ્જવળા ભાલમાં એવી રેખા તિલકની તરે. (
બલિદાન સારુ પુષ્પ ચૂંટતી સીતાના હાથમાંથી આવ્યો ન હોય તેમ રાતો રંગ ત્યાંની લતાઓની કોમળ ડાળીઓ પર હજી ચળકે છે.
અહીં રાતે રંગ સીતાના હાથમાંથી આવ્યો હોય એવી મધુર ઉત્પ્રેક્ષા બાણે કરેલી છે. લોકસાહિત્યમાં પણ કેવી હાસ્યપ્રેરક માર્મિક ઉત્પ્રેક્ષા કરેલી છે!
વર તો જાણે આવળિયાને ઠુંઠો કે
વહુ તો જાણે આંબો લળકે રે !
વર તો જાણે તરબુચો ઠળિયો કે
વહુ તો જાણે મોતી ચળકે રે !
પ્રતીયમાન અથવા સૂચિત ઉત્પ્રેક્ષા : ઘણીવાર એવું પણ બને છે કે શકે, હોય, હોય શું, જાણે-જેવા કોઈ ઉત્પ્રેક્ષાવાચક શબ્દો ન વપરાયા હોય ને છતાં ઉપમેય ઉપમાન હોવાની કલ્પના થતી હોય. આવું બને ત્યારે ઉત્પ્રેક્ષા વ્યંગ્ય અથવા સૂચિત છે એમ કહેવાય. આપણે એવાં થોડાં ઉદાહરણો જોઈએ :
તને જોઈ જોઈ તોય તું અજાણી,
બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા,
ઝાઝેરો ઘૂમટો તાણી.
અહીં બીજી પંક્તિનો ભાવ આવો છે—જાણે કે બીજને ઝરૂખડે પૂર્ણિમા ઝૂકી હોય, ઝાઝેરો ઘૂમટો તાણ્યો હોય, એવી તું અજાણી લાગે છે. હવે આ ઉદાહરણ જુઓ : એના પર મૂઢ માર પડ્યો પણ એને કશું જ ન થયું. જોઈ લ્યો, કાચબાની પીઠ ! અહીં કહેવાનો આશય એ છે કે એને સખત માર પડવા છતાં કંઈ ઈજા ન થઈ, જાણે કે કાચબાની પીઠ ના હોય ! એ જ પ્રમાણે નીચેના ઉદાહરણમાં ઉપમેયને વિશે લલિત કલ્પના કરવામાં આવી છે પણ ઉત્પ્રેક્ષાવાચક કોઈ શબ્દ નથી; તેથી આ સૂચિત કે પ્રતીયમાન ઉત્પ્રેક્ષાનું ઉદાહરણ છે : સુવર્ણપુર, પશ્ચિમસાગરની સાથે ભદ્રા નદી સંગમ પામે છે ત્યાં આગળ આવેલું છે. સાગરે નદીરૂપ હાથ વડે કેડ ઉપર બાળક તેડ્યું હોય તેમ એક ટેકરીના ઢોળાવ ઉપર પથરાયેલો એનો વિસ્તાર લાગે છે.
અહીં સાગરે નદીરૂપી હાથ વડે (રૂપક) બાળકને (જાણે) કેડ પર તેડ્યું હોય એવો ટેકરી પરનો વિસ્તાર લાગે છે, એમ કલ્પના કરી છે; માટે આ સૂચિત ઉત્પ્રેક્ષા છે. જુઓ આને મળતું બીજું ઉદાહરણ : એક મોટા પુલ પર એક એકલ એંજિન સંભાળથી ધીમે શ્વાસે ચાલતું હોય, તેમ (એ) જવા લાગ્યો.