સરળ અલંકાર-વિવેચન/અતિશયોક્તિ

From Ekatra Foundation
Revision as of 02:07, 24 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
(૧૭) અતિશયોક્તિ:

અતિશયોક્તિ અલંકારમાં પણ સામ્યભાવ તો રહેલો છે જ. પણ તેના જુદા જુદા પ્રકારો છે. (૧) જેમાં ઉપમેયનો લોપ થયો હોય ને માત્ર ઉપમાન જ હોય-અર્થાત્ જ્યાં ભેદ છતાં અભેદ દર્શાવાયો હોય, (૨) જેમાં વસ્તુતઃ અભેદ હોવા છતાં ભેદ દર્શાવાયો હોય, (૩) જેની વચ્ચે સંબંધ જ ન હોય તેવી વસ્તુઓને સંબંધવાળી દર્શાવી હોય (૪) અથવા જ્યાં સંબંધ હોવા છતાં અસંબંધ દર્શાવ્યો હોય (૫) અને કારણ પછી કાર્યના સ્વાભાવિક ક્રમને બદલે કાર્યને કારણની પહેલાં કે તેની સાથે જ બનતું દશાવ્યું હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર થાય છે. આપણે આ પાંચે પ્રકારે વિવિધ દૃષ્ટાન્તોથી જોઈએ :

આશા ઈષ્ટની સોડમાં ઊભી,
મુમુક્ષુ મુક્તિને ઉમ્મર ઊભો.

(ચિત્રદર્શનો)

અહીં આશાના ઉપમાન દ્વારા સ્ત્રી ને ઇષ્ટના ઉપમાન દ્વારા પુરુષ સૂચિત છે-સૂચિત એટલા માટે કે સ્ત્રી ને પુરુષ–એ બંને ઉપમેયનો અહીં લોપ થયો છે; તે માટે આ પહેલા પ્રકારની અતિશયોક્તિ છે. અથવા આ ઉદાહરણ જુઓ :

પદ આગળથી તેના ગંગા ફૂટતી.
આબાલ વૃદ્ધ સકલ રાજ્યલોક
બારે માસ તેનું પાણી પીતા.

(ચિત્રદર્શનો)

અહીં રાજાના પગ આગળથી ગંગા ફૂટતી, એમ કહેવાનો શો અર્થ ? ગંગાનો જન્મ એવી રીતે ક્યાં થયો છે? વાસ્તવમાં કવિને વિવિક્ષિત છે કલ્યાણગંગા. અહીં કલ્યાણનો-ઉપમેયનો-લોપ થયો હોવાથી અતિશયોક્તિ છે. ‘નળાખ્યાન’માંથી એવું જ સચોટ ઉદાહરણ જુઓ :

સામસામા રહ્યા શોભે, વ્યોમ ભોમ બે સોમ;
ઇન્દુમાં બિન્દુ બિરાજે, જાણે ઉડુગણ ભોમ.

અહીં પહેલી લીટીમાં ધરતી પર ને આકાશમાં બે ચંદ્ર સામસામા શોભે છે એમ કહ્યું છે. આકાશનો ચંદ્ર તો સાચો, પણ ધરતી પરનો ચંદ્ર કયો? દમયંતીના વદન રૂપી ચંદ્ર. અહીં આમ વદનનો-ઉપમેયનો લોપ થયો છે-માટે આ પણ પહેલા પ્રકારની અતિશયોક્તિ છે. ભેદ હોવા છતાં પણ અહીં મુખ અને ચંદ્રનો અભેદ છે, એમ દર્શાવાયું છે. એવાં જ આ ઉદાહરણો જુઓ :

બજતાં બજતાં જ તાર આ
બટક્યો: ને રણકાર એહના
હજીયે શ્રવણે રમ્યા કરે !
મળ્યું કેવું વરદાન આપને ?

(મનસુખલાલ ઝવેરી)

ફોકલેન્ડ રોડ પર વારવનિતાઓને જોઈને કવિ કહે છે :

રે સૂર્યમાં માછલીઓ તરી રહી !

(પ્રિયકાંત મણિયાર)

(૨) હવે બીજો પ્રકાર જોઈએ :

જુદી જ કો જગહિતાર્થ જગે પ્રવૃત્તિ,
ને સાવ જુદી રચના વચનાવલીની;
લોકોત્તરા સુકૃતિ, આકૃતિ આર્તહૃદ્યા,
વિદ્વાનનું સકળ એમ ચરિત્ર અન્ય.

અહીં વિદ્વાનની પ્રવૃત્તિ, તેની વાણી, તેનાં કાર્યો, તેની આકૃતિ, તેમ જ ચારિત્ર્ય બધું સાવ જુદું જ ગણાવવામાં આવ્યું છે, પણ ખરું જોતાં તે જગતથી સાવ જુદું નથી. (જગતમાં વિદ્વાનોની શ્રેષ્ઠતા નિરૂપવા માટે કવિએ આમ કહ્યું છે.) એટલે અભેદ હોવા છતાં અહીં ભેદ દર્શાવેાયો હોવાથી આ બીજા પ્રકારની અતિશયોક્તિ છે. (૩-૪) ત્રીજા ને ચોથા પ્રકાર માટે નીચેનું ઉદાહરણ જુઓ :

ઇન્દુ ઇન્દીવરોવાળો હોય જે વ્યોમ-મંડળે,
સુમુખી સુલોચનાની તુલના તો જ સંભવે.

અહીં પહેલી લીટીમાં અસંબંધ છતાં સંબંધ ને બીજી લીટીમાં સંબંધ છતાં અસંબંધ દર્શાવાયો છે. કમળોને ચંદ્ર સાથે કંઈ સંબંધ નથી છતાં સંબંધ સૂચવાયો છે; ને મુખ સાથે ચંદ્રની સરખામણી શક્ય છે છતાં અશક્ય બતાવી છે માટે અહીં સંબંધ છતાં અસંબંધ છે.

અકલંક બને ચંદ્ર ખીલેલી ચાંદની મહીં,
પરાજિત બને તો જ સામ્યથી સુંદરી-મુખ.

અહીં કલંકનો ચંદ્ર સાથે સંબંધ હોવા છતાં શરતરૂપે અસંબંધ સૂચવાયો છે માટે સંબંધ છતાં અસંબંધ દર્શાવતી અતિશયોક્તિનો આ દૃષ્ટાંત છે; ને છેલ્લી લીટીમાં કશા કલંક વિનાનું મુખ ચંદ્ર સાથે આમ તો સંકળાયેલું ન હોવા છતાં તે ચંદ્ર સાથે સંકળાયેલું હોવાનું દર્શાવ્યું છે, માટે અસંબંધ હોવા છતાં સંબંધ દર્શાવતી ચોથા પ્રકારની અતિશયોક્તિ અહીં બને છે. સંબંધ ન હોવા છતાં (અસંબંધમાં) સંબંધ દર્શાવતી અતિશયોક્તિનું ઉદાહરણ નીચેના વર્ણનમાં પણ જણાશે :

સાંભળી લક્ષ્મણનો પ્રતિબોધ, શ્રીરામને ચડિયો ક્રોધ,
કી ધનુષ્ય તણો ટંકાર, તે શબ્દે ધ્રૂજ્યો સંસાર.
ડોલ્યા દિગ્ગજ, કાંપ્યા દિક્પાલ, ખળભળિયાં સાતે પાતાળ,
રાવણનું ડોલ્યું સિંહાસન, ધજા છત્ર થયાં પતન.

(રણયજ્ઞ)

અહીં ધનુષ્યના ટંકાર સાથે સંસારને, દિગ્ગજોને, દિક્પાલોને, પાતાળને, રાવણના સિંહાસનને કશો સંબંધ નથી, છતાં તે હોવાનું ને તેથી બધાં કાંપી ઊઠવાનું દર્શાવ્યું છે. અથવા આ ઉદાહરણ જુઓ:

રોયા વૃદ્ધ જોબન હો, રુવે બાળક બાડુઆં;
રોયા હય હસ્તી હો, રોયાં નગર ઝાડુઆં,
દેવકી રોતાં હો રોઈ પ્રજા ગામની.

(દશમસ્કંધ)

અહીં પણ દેવકીના વિલાપ સાથે હય, હસ્તી, નગરનાં ઝાડ વગેરેને કશો સંબંધ નથી, છતાં તે દર્શાવ્યો છે, માટે અસંબંધમાં પણ સંબંધ નિરૂપતી આ અતિશયોક્તિ છે. (૫) હવે પાંચમો પ્રકાર જુઓ;

પ્હેલાં જ વર્ષા થતી ને પછી જળ,
પ્હેલાં જ ફૂલો ત્યમ ને પછી ફળ;
વિરુદ્ધ રાજન ! અહીં તો દીસે ક્રમ,
સમૃદ્ધિ પહેલી, પછીથી તવ કૃપા.

કાર્યકારણ–ભાવ પ્રમાણે તો પહેલાં વર્ષા ને પછી જળ, પહેલાં ફૂલ ને પછી ફળ એમ હોય છે. પણ કવિ રાજાની સ્તુતિ કરતાં કહે છે કે હે રાજન ! તારી બાબતમાં કંઈ જુદું જ છે. તારી કૃપાને પરિણામે સિદ્ધિસમૃદ્ધિ વધવાને બદલે અહીં તો પહેલાં સિદ્ધિસમૃદ્ધિ વધે છે ને પછી તારી કૃપા વરસે છે !