સરળ અલંકાર-વિવેચન/વ્યાજસ્તુતિ

Revision as of 03:06, 24 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
(૩) વ્યાજસ્તુતિ :

અહીં વ્યાજનો અર્થ નિંદા છે. તેથી નિંદા દ્વારા સ્તુતિ કરવામાં આવે અથવા નિંદારૂપ સ્તુતિ થતી હોય-એટલે કે ઉપરથી સ્તુતિ હોય પણ ખરેખરી તો નિંદા જ હોય—તો આ બંને અર્થમાં વ્યાજસ્તુતિ અલંકાર થાય બીજી રીતે કહીએ તો અહીં રજુઆત એવી રીતે થઈ હોય છે કે ઉપરથી જે દેખાતું હોય તે કરતાં અંદરથી કંઈક જુદું જ નીકળે; જેમકે ઉપરથી સ્તુતિનો ભાવ હોય પણ અંદરથી-ધ્વનિતરૂપે-નિંદા જ ખરેખર કરેલી હોય; અથવા ઉપરથી નિંદા જેવું લાગતું હોય, પણ ખરેખર સ્તુતિ કરેલી હોય ત્યારે આ અલંકાર બને છે. આમ એક રીતે અહીં વિપરીત કથન હોય છે. માટે સમજવા ખાતર આપણે આ અલંકારને વિપરીતોક્તિ પણ કહી શકીએ. આપણે હવે બંને પ્રકારો જોઇએ :

(अ) સ્તુતિ દ્વારા કરાતી નિંદા :

ઘણું વાંકાંબોલાં સત્યભામા રે, આ શું ફુટડા મિત્ર સુદામા રે !
હરિ તેને ઊઠીને શું ધાયા રે ! ભલી નાનપણાની માયા રે.
ભલી જોવા સરખી જોડી રે, હરિને સોંઘો*[1]એને રાખોડી રે.

અથવા સુદામાનું આ વર્ણન જુઓ. ઉપરથી અહીં પ્રશંસા છે પણ વસ્તુતઃ કેવો સોંસરો ઉપહાસ છે !

રૂપ જોઈ જોવા સૌ મળે, ખીજવે બાળક પૂંઠળ પળે;
જાદવસ્ત્રી તાળી દઈ હસે, ધન્ય નગર આવો નર વસે.
કીધાં હશે વ્રત તપ અપાર, તે સ્ત્રી પામી હશે આ ભરથાર!
કોઈ કહે ઈંદુ, કોઈ કહે કામ, એને રૂપે હાર્યા કેશવરામ.
પતિવ્રતાનાં મોહશે મન, મર્મ વચન બોલે સ્ત્રીજન.
કાઈ કહે હાઉ આવ્યો વિકરાળ, દેખાડો રોતાં રહેશે બાળ !

જે ઇંદુ ને કામનેય લજાવે એવો જણાય છે તે વાસ્તવમાં કેવો છે? છેલ્લી લીટી આગળનો બધો મર્મ પાધરો કરી આપે છે. ‘નળાખ્યાન’માંથી એવું જ આ ઉદાહરણ જુઓ: કકેર્ટાક નાગ નળને ફુત્કારી તેનું રૂપ પલટી નાખે છે. બાહુક બનેલો નળ ત્યારે આ પ્રમાણે કહે છે :–

લાગી વિષજ્વાળ, દાધો ભૂપ, કાળી કાયા થયું કુબડું રૂપ.
કાજળપેં શ્યામતા વિશેષ, વાંકું મુખ, પંચવણ કેશ;
છતે દાંતે ડાચાં ગયાં વળી, નીસરી ખૂંધ, કટિ બેવડ વળી,
નળ કહે: ધન્ય કદ્રુકુમાર, ઘણો રૂડો કર્યો ઉપકાર;
તુંને મેં આપ્યું પ્રાણદાન, તેં હુંને કીધો સાહી સમાન.’

(ब) નિંદા દ્વારા કરાતી સ્તુતિ :

હે રાજન્! તારી સ્તુતિ થાય એવું તેં ક્યાં કશું રાખ્યું જ છે ? તેં ગાદીએ આવતાં વેંત શત્રુઓને કંપાવ્યા, તેમની પત્નીઓને વિધવા બનાવી, દુષ્ટો પર કેર વર્તાવ્યો, જુલમીઓનો વધ કર્યો, નિશાચરોને નામશેષ કર્યાં, લુંટારાઓને નગર બહાર તગડી મૂક્યાઃ ચારે બાજુ તેં હાહાકાર કરી મૂક્યો, ત્યાં તારી સ્તુતિ કઈ રીતે કરવી ?... અહીં રાજાએ કેવી કેવી સિદ્ધિ મેળવી તેનું નિંદા દ્વારા કવિએ સૂચન કર્યું છે. અથવા આપણા રોજિંદા વપરાશમાંના પ્રયોગો જુઓ : ઓહો ભાઈ! તમે તો ખૂબ હોશિયાર; એક કલાક સુધી માઝમ રાતે કેવું ભયંકર યુદ્ધ કરી તમે સાપને જેર કર્યો; જો કે નીકળ્યું તો કાળું રબર જ.

*

તમારી બુદ્ધિની શી વાત કરવી ? તમે તો હંમેશાં ડાબા હાથનો પહેલો નંબર રાખો છો.

*

એ પ્રખર વક્તાએ પંદર મિનિટના ભાષણમાં સાતેકવાર અટકીને, કાગળની ચબરખીની અદ્ભુત સહાય લઈને સૌને એવા ચકિત કરી દીધા, કે પંદર મિનિટમાં સોળવાર વિદ્યાર્થીઓએ એની “જય” બોલાવી.

*

પ્રસિદ્ધ નારાયણ નામનો નર, છે ચોર કોઈ પૃથિવી મહીં આ,
અનેક જન્માજિત પાપસંચયો, હરી લિયે સૌ સ્મૃતિમાત્રથી જ !


  1. * શરીરે ચોળવાનો સુગંધી પદાર્થ