સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા

From Ekatra Foundation
Revision as of 04:23, 19 July 2026 by Artimundra (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search




સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા
પરિદર્શન


દક્ષા વ્યાસ


પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો


કૃતિ-પરિચય

સુન્દરમ્ કૃત ‘અર્વાચીન કવિતા’ અને જયન્ત પાઠક કૃત ‘આધુનિક કવિતાપ્રવાહ’ સાથે અનુસંધાન રચતો આ ગ્રંથ મૂળે શ્રી દક્ષા વ્યાસે તેમના પીએચ.ડી.ના શોધનિબંધ માટે કરેલો અભ્યાસ છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાની રૂપરેખા આપતો આ વિવેચન ગ્રંથ ‘પૂર્વરંગ’ (૧૯૪૦–૧૯૫૫) અને ‘ઉત્તરરંગ’ (૧૯૫૬–૧૯૭૬) એમ બે ખંડમાં વિભાજિત છે. ‘પૂર્વરંગ’માં ૧૯૪૦થી — ‘બારી બહાર’ના પ્રકાશન વર્ષથી — લઈને ૧૯૫૫ સુધીની કવિતા અને ‘ઉત્તરરંગ’માં ૧૯૫૬થી — ‘છિન્નભિન્ન છું’થી— શરૂ કરીને ૧૯૭૬ સુધીની કવિતામાં પ્રગટેલા નૂતન આયામોની કૃતિ-કર્તાલક્ષી અભિગમથી વિવેચના થઈ છે. શરૂઆતમાં ૧૮૫૦થી ૧૯૪૦ સુધીની ગુજરાતી કવિતાની ભૂમિકા બાંધીને, પ્રથમ ખંડ ‘પૂર્વરંગ’માં ગાંધીયુગની ઓસરતી જતી પરંપરા અને તેની સમાંતરે પ્રગટેલો સૌંદર્યરાગી ઉન્મેષ અને નગરસંસ્કૃતિની કવિતાનો ઉદ્ભવ અહીં સસંદર્ભ સમજાવ્યો છે. દ્વિતીય ખંડ ‘ઉત્તરરંગ’માં આધુનિક (મોડર્ન) કવિતાપ્રવાહનો, એનાં પોષક પરિબળોની ચર્ચા સહિત, સમીક્ષાત્મક આલેખ આપવામાં આવ્યો છે. અહીં લેખિકાએ આધુનિક કવિઓના પ્રયોગોને સમભાવપૂર્વક ચકાસીને તેની યથોચિત સરાહના કરી છે તો સમાંતરે તેમની શિથિલતાઓ પણ ચીંધી બતાવી છે. દરેક કવિનાં પ્રતિનિધિ કાવ્યોમાંથી નમૂનારૂપ પંક્તિઓ ટાંકીને તેની સંવેદના, છંદ-લય, કલ્પન અને ભાષાકર્મ પરત્વે દેખાતા વિશેષોને અનુલક્ષીને જે તે કવિની સર્જકપ્રતિભા લેખિકાએ આલેખી આપી છે. જે તે કવિની સર્જકતાનું મૂલ્યાંકન અહીં ઉચિત સંદર્ભસહિત, કોઈ પણ પૂર્વગ્રહ વગર, સમતોલ દૃષ્ટિબિંદુથી, રસાળ શૈલીમાં થયું છે. — અનંત રાઠોડ