કાવ્યચર્ચા/પરિચય

From Ekatra Wiki
Revision as of 08:52, 26 July 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પરિચય
સર્જક-પરિચય
Bholabhai-Patel-239x300.jpg
ભોળાભાઈ પટેલ (જ. ૭ ઑગસ્ટ ૧૯૩૪ – અવ. ૨૦ મે ૨૦૧૨)

સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચક અનુવાદક નિબંધકાર. એના મૂળમાં અભ્યાસીની જિજ્ઞાસા-વૃત્તિ અને સર્જકનું વિસ્મય એકસરખાં છે. હિંદીના અધ્યાપક, ગુજરાતીના લેખક. પ્રૉફેસર થયા પછી પણ ભણતા ગયા –અંગ્રેજીમાં એમ.એ., ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યું. સંસ્કૃત-બંગાળી-અસમિયા-ઓડિયા-ફ્રેન્ચ ભાષાઓ શીખ્યા. નવલકથા-નાટક-કવિતા-વિવેચનનાં પુસ્તકોના અનુવાદો કર્યા. વિવેચન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. પણ પ્રવાસરસિક ભોળાભાઈના સર્જનાત્મક નિબંધોમાં એમનું તાજગીભર્યું કુતૂહલ ને અખૂટ અભ્યાસવૃત્તિ એકસાથે ખીલી ઊઠયાં.

સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું ઘણાં વર્ષ સંપાદન કર્યું. અગ્રણી સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા.

ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર.
*
કૃતિપરિચય : દૃશ્યાવલિ

આ પુસ્તકમાં લાંબાં ભ્રમણવૃત્તોને બદલે ટૂંકાં પ્રવાસકથનો છે એ લલિત નિબંધનો પણ એક વિશેષ આહ્લાદ આપે છે.

હિમાલયની એક વિશિષ્ટિ ગિરિમાળા કૂર્માંચલ (કુમાઉ)નાં વિવિધ સ્થાનકો – નૈનિતાલ, રાનીખેત, બિનસર, કૌસાનીના આનંદવિહારોને લેખકની સૌંદર્યદૃષ્ટિ ઉલ્લાસથી આલેખે છે. ત્યાં એક શિખર સૂર્યોદય માટે જાણીતું છે. લેખક નિબંધને શીર્ષક આપે છે : ‘હિમશિખરો પર સૂર્ય મહારાજની સવારી’! સૂર્યના ઉદયની ક્ષણોનું આલેખન કરતાં લખે છે –પૂર્વની એક પહાડી પાછળથી સૂર્ય ડોકાયો.. પછી લખે છે – શિખરો પરથી પ્રકાશ ઢાળ પર પણ ઊતરે છે. સૌંદર્ય દર્શનની આ આખી વળાંકરેખા (કર્વ) બહુ આસ્વાદ્ય છે.

પ્રવાસનાં સ્થળોનું ફલક કેટલું તો મોટું છે – કુમાઉના પહાડોથી કોઈમ્બતુર સુધી, કલકત્તાથી ખેડબ્રહ્મા સુધી, ચિત્તોડગઢથી (દેશ કૂદી જઈને) જર્મનીની રોમન્ટિક સિટી હાઈડેલબર્ગ સુધી!

લેખકને તે તે સ્થળે ફરતાં સાહિત્યસ્વામીઓ અચૂક યાદ આવ્યા છે! – કૌસાનીમાં સ્વામી આનંદ, રોમમાં કીટ્સ, હાઈડેલબર્ગમાં કવિ ગેટે…

પુસ્તકનો પાછલો ભાગ અમેરિકા-પ્રવાસને નિરૂપે છે. ત્યાંનાં નાયગરા અને ગ્રાણ્ડ કેન્યાન જેવાં વિખ્યાત સ્થાનોની સાથે વેસ્તાલ અને દેન્દૂર જેવાં અલ્પપરિચિત સ્થળોને પણ એમણે પોતાની વિસ્મયદૃષ્ટિથી અજવાળ્યાં છે.

લાસ વેગાસનાં ભવ્ય જુગારથાનકો જોઈને ભોળાભાઈને આપણા યુધિષ્ઠિર યાદ આવી જાય છે એ કેવું રસપ્રદ છે!

તો આવા રસપ્રદ પુસ્તકમાં પ્રવેશવા સ્વાગત છે…

– રમણ સોની