મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪)

From Ekatra Wiki
Revision as of 04:46, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૪)

નરસિંહ મહેતા

મહીડું મથવાને ઊઠ્યાં જશોદારાણી,
વિસામો દેવાને ઊઠ્યા સારંગપાણિ.

‘માતા રે જશોદા! તારાં મહીડાં વલોવું,
બીશો મા, માતાજી! ગોળી નહિ ફોડું.’

ધ્રૂજ્યો મેરુ રે, એને ધ્રાસકો લાગ્યો:
‘રવૈયો કરશે તો નિશ્ચે હું ભાંગ્યો.’

વાસુકિ ભણે: ‘મારી શી પેર થાશે?’
મારું નેતરું કરશે તો જીવડો જાશે.’

રત્નાકર કહે: ‘મુજમાં રતન નથી,
ઠાલો વલોવશે મુને ગોકુળપતિ.’

મહાદેવ જાણે, ‘મારી શી વલે થાશે,
હવેનું હળાહળ વિખ કેમ રે પિવાશે?’

બ્રહ્મા-ઇંદ્રાદિક વળતા લાગ્યા રે પાય:
‘નેતરું મૂકો, તમો ગોકુળરાય!’

જશોદાજી કહે: ‘હું તો નવનિધ પામી,
ભક્તવત્સલ મળ્યો નરસૈંયાનો સ્વામી.’