મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨૨.સહજસુંદર-ગુણરત્નાકર છંદ

From Ekatra Wiki
Revision as of 06:10, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૨.સહજસુંદર-ગુણરત્નાકર છંદ

સહજસુંદર(૧૬મી સદી) ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથસ્વામીની પરંપરા સાથે સંબંધિત ઉપકેશગચ્છના રત્નસમુદ્રના શિષ્ય સહજસુંદર જૈન પરંપરાના એક તેજસ્વી કવિ છે. તેમણે રચેલી કૃતિઓ આલંકારિકતા તેમ જ સપ્રમાણ નિરુપણથી આકર્ષક બને છ.ે તેમની પરદેશી રાસ, રત્નસારકુમાર રાસ, શુકરાજ સાહેલી રાસ, જંબુસ્વામીરાસ, પ્રસન્નચંદ્ર રાજાર્ષિ રાસ અદિ નોંધપાત્ર કૃતિઓ છે.

એમાં ગુણરત્નાકર છંદવધુ મહત્ત્વની છે.

ગુણરત્નાકર છંદ-માંથી

(આ કૃતિ પ્રસિદ્ધ નાયક સ્થૂલિભદ્રના જીવનને ચારણી શૈલી અને અર્થાલંકાર સઘન પદ્ધતિની આલેખે છે.)

ષટ્પદ

પૂછઈ સહીઅરસાથિ ઇંદ્ર અવતર્યઉ કિ. ના ના,
પારવતી-ભરતાર ચંદ્રસૂરિજ કઈ ના ના,
નવકુબ્બર કઈ ધનદ કઈ સુરતિવલભ ના ના,
ભરહેસર હરિચંદ દેવ નારાયણ કિ ના ના,
પંખીઉ પુરુષ પરવસિ થઈ અક્કાવારી નવિ રહઈ,
સગડાલપુત્ર મ મ ઝંખિ તું સખી એમ ના ના કહઈ. ૫૬

ગદ્યાનુવાદ: સહિયરોનો સાથ પૂછે છે કે ‘શું ઇદ્ર અવતર્યો?’ ‘ના રે ના’ ‘શું એ પાર્વતી પતિ (શંકર) છે કે ચંદ્ર સૂરજ?’ ‘ના રે ના.’ ‘શું એ નલકુબેરનો (પુત્ર), કુબેર કે સુરતિલ્લભ (કામદેવ) છે?’ ‘ના રે ના’ ‘શું એ ભરતેશ્વર, હરિશ્ચંદ્ર કે નારાયણદેવ છે?’ ‘ના રે ના.’ પુરુષને જોયો ને (કોશા) પરવશ થઈ: વડીલ વેશ્યા (અક્કા)ની વારી ન રહી. એ શકટાલપુત્રને તું ઝંખીશ નહીં, સખી!’ એમ અક્કા ‘ના ના’ કહે છે,

સખી સુણ્યઉ જે શ્રવણિ, સગુણ નર સોભઇ કિ હા હા,
પિંગલ ભરહ કવિત્ત ગીત ગુણ જાણ કિ હા હા,
વિજ્જાહલ વ્યાકર્ણ્ણ લહઈ પારસી કિ હા હા,
ચઉરાસી આસન્ન કોકરસ લહઈ કિ હા હા,
સુકબહુત્તરી વિનોદકથા સવિ કહઈ કિ હા હા,
કવિ કહઈ સહજસુંદર સદા કરઈ ગોઠિ મીઠી ઘણી
પ્રસ્તાવ ભાવ વેલા લહઈ બોલિ બોલિ હા હા ણી. ૫૭

ગદ્યાનુવાદ: ‘સખી, કાને જે સાંભળ્યો તે જ આ સગુણ પુરુષ કે?’ ‘હા હા’. ‘પિંગળ, ભરત (નૃત્ય-નાટ્ય), કવિત ગીતના ગુણો જાણકાર કે?’ ‘હા હા.’ ‘ફલવિદ્યા (જ્યોતિષ), વ્યાકરણ, પારસી જાણે છે તે જ કે?’ ‘હા હા.’ ‘ચોર્યાસી ભોગાસન, કામક્રીડાનો રસ જાણે છે તે કે?’ ‘હા હા.’ ‘શુકબહોંતેરી, વનોદકર્થા સર્વ કહે છે તે કે?’ ‘હા હા’ કવિ સહજસુંદર કહે છે કે. ‘તે સદા મીઠી ગોષ્ઠી કરે છે? વિવિધ વિષયો ને ભાવોનો સમય ઓળખે છે? કહે કહે ‘હા હા’ બોલી.

સઘલી ગણિકા માંહિ, કોસિ મૂલગી સપલ્લવ,
રણઝણતા નર ભમર, ફિરઈ પાખતી નરાહિવ,
નાહણ સોવિન ખાલિ, ભમર ગુંજારવ મંડઈ,
રયણીનઉ એક લક્ષ, રાય રાણા પરિ ડંડઈ,
ભૂભંગિ ભાવઈ જગ ભોલવ્યઉ છલ્યા લોક છંદા કરી,
શ્રી થૂલીભદ્ર પેખી કરી થઈ વેશિ તે કિંકરી. ૫૮

ગદ્યાનુવાદ: સઘળી ગણિકાઓમાં કોશા મુખ્ય પલ્લવિત છોડ છે; (જેના ઉપર) નર-ભ્રમરો રણઝણે છે (ગુંજારવ કરે છે.) જેની આસપાસ નરાધિપ (રાજા) ફરે છે. સ્નાનજળની સોનેરી ખાળે ભ્રમર ગુંજારવ માંડે છે. -રાજારાણાની પેઠે (કોશા) રાત્રિનો એક લાખ દંડ કરે છે (દ્રવ્ય વસૂલ કરે છે.) જેણે ભ્રૂ-ભંગ વડે ભાવથી જગતને ભોળવ્યું અને ચેષ્ટાઓ (હાવભાવ) કરીને લોકને છતર્યા તે વેશ્યા શ્રી સ્થૂલિભદ્રને જોઈને એની દાસી બની.

ગોત્રજ ગઉરિ, ગણેશ, મયા મુઝ ઝાઝી કરયો,
થૂલિભદ્ર વસિ કરું, વિઘન સઘલાં પરિહરયો,
દેયો બુદ્ધિપ્રકાશ, હાથિ માહરઈ જિમ આવઈ,
છયલ પુરુષ છઈ કોડિ, સખી પણિ એ મુઝ ભાવઈ,
સંસાર માહિં જોતાં ઈસ્યઉ, સજ્જન કો દીસઈ નહીં,
જાગિયો દેવદેવી સહૂ, આસ એહ પૂરુ સહી. ૫૯

‘હે ગોત્રજ, ગૌરી, ગણેશ, મારી ઉપર ઝાઝી કૃપા કરજો, હું સ્થુલિભદ્રને વશ કરું એમાં સઘળા વિઘ્નો દૂર કરજો. મને એવો બુદ્ધિપ્રકાશ દેજો જેથી તે મારે હાથ આવે. છેલછબીલા પુરષો તો કરોડો/ક્રોડો છે, પણ હે સખી, મને તો એ જ ગમે છે. સંસારમાં નજર કરતાં એવો સજ્જન કોઈ દેખાતો નથી. હે સહુ દેવદેવીઓ જાગજો, મારી એ આશા જરુર પૂરી કરો.’