અભિમન્યુ આખ્યાન/પ્રેમાનંદ

From Ekatra Wiki
Revision as of 05:56, 15 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|{{Color|Blue|પ્રેમાનંદ : સમય, જીવન અને સર્જન}}|}} {{Poem2Open}} '''૧. સમય''' મધ્યકા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રેમાનંદ : સમય, જીવન અને સર્જન

૧. સમય મધ્યકાળના કવિઓએ પોતાના જીવન વિશે ભાગ્યે જ કશું કહ્યું હોવાથી એ કવિ ક્યારે થઈ ગયા એ નક્કી કરવાનું બહુ મુશ્કેલ – ક્યારેક તો અશક્ય – બની જાય છે. જો કે એક એવી પરંપરા હતી કે કવિ કાવ્યના અંતની કડીમાં પોતાનું નામ ગૂંથતો (એને નામાચરણની પંક્તિ કહેવાય) ને આખ્યાન-રાસ-પ્રબંધ જેવી લાંબી કૃતિઓને અંતે કાવ્ય લખ્યાનાં સ્થળ ને સમયની તેમજ ક્યારેક પોતાના પરિચયની થોડીક વિગતો પણ મુકાતી. બધી કૃતિઓને અંતે આવા નિર્દેશો ન પણ થતા. પણ આવા નિર્દેશો થયેલા હોય તે આજે કવિનો સમય નક્કી કરવામાં આપણને ખૂબ જ મદદરૂપ નીવડે છે. પ્રેમાનંદની કેટલીક કૃતિઓને અંતે રચનાવર્ષના ઉલ્લેખો છે. જેમકે ‘મદાલસા-આખ્યાન’ ઈ.૧૬૭૨, ‘નળાખ્યાન’ ઈ.૧૬૮૬, વગેરે. એની પહેલી કૃતિ ‘ઓખાહરણ’ સંભવતઃ ૧૬૬૭માં અને ‘રણયજ્ઞ’ સંભવતઃ ૧૬૯૦માં રચાયેલી કૃતિઓ છે. ‘ઓખાહરણ’ પૂર્વે ૭-૮ વર્ષે એનું કાવ્યસર્જન આરંભાયું હોય ને ‘રણયજ્ઞ’ પછી ‘દશમસ્કંધ’ વગેરે કૃતિઓની રચનાનાં દસેક વર્ષ ગણીએ તો પ્રેમાનંદનો કાવ્યસર્જન સમય-કવનકાળ-ઈ. ૧૬૬૦ થી ઈ. ૧૭૦૦ આસપાસનો અનુમાની શકાય. પ્રેમાનંદે વીસેક વર્ષની વયે કાવ્યસર્જન આરંભ્યું હોય એમ ગણીએ તો પ્રેમાનંદનો જીવનકાળ ઈ. ૧૬૪૦ થી ઈ. ૧૭૦૦ સુધીનો – સત્તરમી સદીના ઉત્તરાર્ધનો – ગણાવી શકાય.

૨. જીવનસંદર્ભ અને કૃતિઓ જે કૃતિઓને નિશ્ચિતપણે પ્રેમાનંદની જ ગણી શકાય એમ છે એ કૃતિઓમાંના ઉલ્લેખોને આધારે એટલું તારવી શકાય છે કે – પ્રેમાનંદ વડોદરાનો વતની હતો. (‘વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ’); એના પિતાનું નામ કૃષ્ણરામ હતું ને એ મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિનો હતો. ‘ઉદરનિમિત્તે સેવ્યું સૂરત ને ગામ નંદરબાર’ એવી એની પંક્તિને આધારે કહી શકાય કે જીવનનિર્વાહ માટે (‘ઉદરનિમિત્તે’) એણે આખ્યાનકારનો વ્યવસાય સ્વીકારેલો ને વડોદરાથી સુરત ને છેક ખાનદેશના નંદરબાર સુધી અનેક ગામોમાં ફરીને એણે આખ્યાન-કથન-ગાન કર્યું હતું. નંદરબારના એક પ્રતિષ્ઠિત આગેવાન શંકરદાસ દેસાઈનો એને આશ્રય મળ્યો હતો. એ રામભક્ત અને કૃષ્ણભક્ત હતો. છેલ્લે ‘દશમસ્કંધ’ની રચના ને એનું કથન-ગાન એણે વ્યવાસાય માટે નહીં પણ અંગત ભક્તિ-ભાવ માટે કરેલાં. એ કાવ્યમાં એક પંક્તિ છેઃ ‘રામચરણ-કમળ-મકરંદ, લેવા ઇચ્છે પ્રેમાનંદ.’ કવિ નર્મદે જાતે તપાસ કરીને કેટલીક માહિતી મેળવેલી એ મુજબ પ્રેમાનંદના દાદાનું નામ જયદેવ હતું; માતા-પિતાના અવસાન પછી એ માસીને ત્યાં ઊછરેલો અને આખ્યાનકાર - માણભટ્ટ તરીકે એણે સારું એવું દ્રવ્ય એકઠું કરેલું, કેમ કે કવિ નર્મદના સમયમાં એના વારસો પ્રેમાનંદે બંધાવેલા ઘરમાં રહેતા. એ સમયે એ ઘરની કિંમત ૧૦,૦૦૦રૂ. જેટલી હતી એવું નર્મદે નોધ્યું છે. પરંતુ પ્રાચીન ભક્તો - કવિઓ વિશે અનેક દંતકથાઓ પણ પ્રચલિત હોય છે એવી પ્રેમાનંદ વિશે પણ હતી : પ્રેમાનંદ જડબુદ્ધિ હતો પણ કોઈ મહાત્મા ગુરુની કૃપાથી એને કવિત્વશક્તિ મળી હતી. (કાલિદાસ વિશેની આ પ્રકારની દંતકથા પણ સૌને યાદ હશે જ!) વળી, પુરાણીઓ સામે સ્પર્ધા કરવા એણે સંસ્કૃતમાં પુરાણો વાંચવાનું છોડીને ગુજરાતીમાં આખ્યાન-કથા કરવાનું શરૂ કરેલું. આવી દંતકથાઓ ઉપરાંત અર્વાચીન કાળમાં (ઈ. ૧૮૮૪થી) હરગોવિંદદાસ કાંટાવાળાના સંપાદનમાં વડોદરાથી પ્રગટ થવા માંડેલાં ‘પ્રાચીન કાવ્યત્રૈમાસિક’ તથા ‘પ્રાચીન કાવ્યમાળા’માં, વડોદરાના ને ગુજરાતના કવિ પ્રેમાનંદનું ગૌરવ અનેકગણું વધારી દેવા માટે, કેટલીક કૃતિઓ એને નામે છાપીને પ્રકાશિત કરવામાં આવી. એટલું જ નહીં, કોઈ ‘પ્રેમાનંદસુત વલ્લભ’ને નામે પણ કેટલીક કૃતિઓ પ્રકાશિત કરવામાં આવી. આ બનાવટી કૃતિઓમાં પ્રેમાનંદના જીવન વિશેની કેટલીક ઉપજાવી કાઢેલી વિગતો મળે છે એ ટૂંકમાં મૂકીએ તો –(૧) પ્રેમાનંદ હિંદીમાં રચનાઓ કરતો. એને કોઈ ગુરુએ કહ્યું કે તું ‘ઉંબર મૂકીને ડુંગરને’ કેમ પૂજે છે? ત્યારથી એણે ગુજરાતીમાં લખવા માંડ્યું ને ગુજરાતી ભાષાનું ગૌરવ સ્થાપિત ન થાય ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી. (૨) પ્રેમાનંદનું બહોળું શિષ્યમંડળ હતું ને એમાં સ્રીઓ પણ હતી. એ શિષ્યોને એણે ગુજરાતી રચનઓ કરવાનું કહી અન્ય ભાષાઓ કરતાં ગુજરાતીની કવિતા ચડિયાતી બનાવવા સંકલ્પ કરેલો. (૩) પ્રેમાનંદને તથા (પ્રેમાનંદસુત ગણાવાયેલા) વલ્લભને શામળ સાથે ઝઘડો થયેલો એના ઉલ્લેખો પણ, પ્રેમાનંદ તેમજ વલ્લભને નામે થયેલી એ બનાવટી રચનાઓમાં આવે છે. આખ્યાનો જ નહીં, નાટકો પણ પ્રેમાનંદને નામે છપાવીને ચડાવી દેવામાં આવ્યાં હતાં. ને એમ પ્રેમાનંદને નામે ૪૫ થી ૫૦ કૃતિઓ પ્રગટ થયેલી છે. પરંતુ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આમાંની ઘણી આખ્યાનકૃતિઓ (ને બધાં જ નાટકો) કોઈ અર્વાચીન વિદ્વાનોએ પોતે લખીને પ્રેમાનંદને નામે ચડાવી દીધેલાં! એમાં સૌથી વધુ શંકા ગયેલી છોટાલાલ ભટ્ટ નામના વિદ્વાન(!) વિશે. વિચક્ષણ વિદ્વાન નરસિંહરાવ દીવટિયાને સૌ પ્રથમ, આ કૃતિઓની ભાષા-શૈલી વિશે શંકા થયેલી ને એમણે ‘પ્રાચીન કાવ્યત્રૈમાસિક’ અને ‘પ્રાચીન કાવ્યમાળા’ના સંપાદકો પાસે મૂળ હસ્તપ્રતો માગેલી પણ એ આપી શકેલા નહીં. એ પછી કેશવલાલ ધ્રુવે પણ ઘણી કૃતિઓની પ્રમાણભૂતતા વિશે શંકા ઉઠાવેલી. બીજી કેટલીક કૃતિઓમાં ભેળસેળ પણ થઈ છે એટલે કે એમાં કેટલાક અંશો (જેમકે માર્કેડેય પુરાણમાં મદાલસા આખ્યાન) પ્રેમાનંદની રચના હોય ને બાકીનું એને નામે ચડાવી દેવામાં આવ્યું હોય. પરિણામે વિદ્વાન સંશોધકોએ સતત શુદ્ધ ને પ્રમાણભૂત (વિશ્વાસપાત્ર) કૃતિઓ શોધવા મથવું પડ્યું છે. ડૉ. પ્રસન્ન વકીલે ‘પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓ’ વિશે ઉત્તમ સંશોધનગ્રંથ પ્રકાશિત કરેલો છે. એ પછી પણ કેટલીક વિગતો પ્રકાશમાં આવતી રહી છે. પ્રેમાનંદને નામે બતાવવામાં આવેલી કેટલીક કૃતિઓની હસ્તપ્રતો મળી છે પણ એ કૃતિઓ અન્ય પ્રાચીન કવિની રચનાઓ સાબિત થઈ છે.

એટલે, જેને પ્રેમાનંદની જ કહી શકાય એવી ખાતરીપૂર્વકની, પ્રમાણભૂત કૃતિઓ આ મુજબ તારવી શકાય એમ છે : ઓખાહરણ (૧૬૭૧), અભિમન્યુ આખ્યાન (૧૬૭૧), ચંદ્રહાસ આખ્યાન (૧૬૭૧), મદાલસા આખ્યાન (૧૬૭૨), હૂંડી (૧૬૭૭), શ્રાદ્ધ (૧૬૮૧), સુદામાચરિત (૧૬૮૨), મામેરું (૧૬૮૩), સુધન્વા આખ્યાન (૧૬૮૩), રુક્મણીહરણનો શલોકો (૧૬૮૪), નળાખ્યાન (૧૬૮૬), રણયજ્ઞ (૧૬૯૦), એ ઉપરાંત, રચનાવર્ષ ન દર્શાવતાં, દશમસ્કંધ, શામળશાનો વિવાહ, રુક્મણીહરણ, વામન કથા, દાણલીલા, ભ્રમર પચીસી, પાંડવોની ભાંજગડ તેમજ સ્વર્ગની નિસરણી, ફૂવડનો ફજેતો, વિવેક વણઝારો (રૂપક કાવ્ય), વિષ્ણુસહસ્રનામ, બાળલીલા-વ્રજવેલ, મહિના. આ કૃતિઓમાં પણ ક્યાંક, છપાતી વખતે, ઉમેરણ - ફેરફારો થયા હોવાનો સંભવ છે. તેમ છતાં આ કૃતિઓ પ્રેમાનંદની હોવા વિશે એકમતી પ્રવર્તે છે.
૩. પ્રેમાનંદની સર્જકપ્રતિભા

આખાયે મધ્યકાળમાં પ્રેમાનંદ સૌથી મોટો પ્રતિભાવાન આખ્યાનકાર છે. એની પહેલાંની કે એના પછીની આખ્યાન કવિતાએ આટલું ઊંચું શિખર બતાવ્યું નથી. એટલું જ નહીં, અન્ય આખ્યાન-કવિતા-શિખરો કરતાં એ ઘણું વધારે ઊંચું છે. કેમકે કથન-કળામાં તેમજ કાવ્ય-કળામાં પ્રેમાનંદની પ્રતિભા વધારે તેજસ્વી છે ને સમયથી આટલે દૂર આપણા સુધી પણ એની આભા ફેલાયેલી છે – આજના ભાવકની રુચિને પણ પ્રેમાનંદનાં આખ્યાનો સંતોષી શકે છે, બલકે ક્યારેક તો સંતર્પી પણ શકે છે. પ્રેમાનંદની આ સર્જકશક્તિના કેટલાક વિશેષો જોઈએઃ ૧ પરંપરામાં સર્જકતાનો સંચાર

પરંપરાનો પ્રત્યક્ષ-પરોક્ષ પ્રભાવ ઝીલવો એ આરંભે કવિમાત્ર માટે સહજ હોય છે ને મધ્યકાળમાં તો પરંપરાનો પ્રત્યક્ષ-સીધો જ - લાભ ઉઠાવવો એનો પણ કશો છોછ ન હતો. પ્રેમાનંદે આપણી પૌરાણિક કથાસાહિત્યની લાંબી અને સમૃદ્ધ પરંપરાનો પૂરો લાભ લીધો છે. સંસ્કૃત કવિતાના સીધા કે અનુશ્રુત (સાંભળેલા) સંસ્કારો પણ એની કવિતા પર જોઈ શકાય છે. એના પુરોગામી ગુજરાતી આખ્યાનકારો ભાલણ, નાકર, વિષ્ણુદાસ વગેરેનાં આખ્યાનોના પ્રસંગ-અંશો ને ક્યાંય કાવ્ય-અલંકારણો પણ એણે અંગીકાર કરેલાં છે. – કાચી સામગ્રી તરીકે એણે ઘણું સ્વીકાર્યું છે તો ક્યાંક, નાકર જેવા એની પહેલાં થઈ ગયેલા કવિમાંથી તો, એણે ‘પાકો માલ’ – સીધી પંક્તિઓની પંક્તિઓ રૂપે – પણ લીધો છે.*(આ નિરીક્ષણ ડૉ. ચિમનલાલ ત્રિવેદીએ વએમના શોધગ્રંથ ‘નાકર : એક અધ્યયન’માં કરેલું છે.) પૌરાણિક કથાનકોમાં મધ્યકાળના કવિઓએ જે પોતીકા ઉમેરા કરેલા છે એ પણ પ્રેમાનંદે એનાં આખ્યાનોમાં સામગ્રી લેખે ઉપાડી લીધેલા છે જેમકે એના ‘નળાખ્યાન’ માંના ખૂબ જાણીતા ઉમેરા –મત્સ્યસંજીવની અને હારચોરીના પ્રસંગો – સૌ પહેલાં નાકરમાં દેખાય છે ને પ્રેમાનંદે એ ત્યાંથી લીધેલા છે. જો કે પ્રેમાનંદે નમ્રતાથી પોતાના પુરોગામી આખ્યાનકારોની કવિતાનું આ ઋણ સ્વીકારેલું છે.

પૂર્વે જે જે કવિજન-વૈષ્ણવે કીધાં ચરિત્ર અપાર જી
તે સઘળાંનો જોડ કરીને બાંધું શુભ આખ્યાન જી
(‘હારમાળા’)

પરંતુ પ્રેમાનંદે એની સર્જકશક્તિથી આ પરંપરામાં પ્રાણ પૂર્યો છે – પ્રસંગની કથાકૌશલ વાળી ખીલવણીમાં, ચરિત્રોની બાહ્ય અને આંતરિક રેખાઓને નવાં રૂપો અને પરિમાણો આપવામાં, એને સમકાલીન જીવન-પ્રવાહનો સંસ્પર્શ આપવામાં ને કવિતાની સૂક્ષ્મ પણ તેજસ્વી લકીર ખેંચવામાં પે્રમાનંદે પોતાની આગવી શક્તિનો પ્રભાવક પરિચય આપેલો છે. નમૂના લેખે એક જ દૃષ્ટાન્ત લઈએ તો – ‘ચંદ્રાહાસ-આખ્યાન’માં, ચંદ્રહાસને ‘વિષ દેજો’નું ‘વિષયા દેજો’ કરવાનો જાણીતો પ્રસંગ છે. વિષયા એ પત્રમાં ‘યા’ કેવી રીતે ઉમેરે છે? ‘જૈમિનીય અશ્વમેધ’માં, આંબાના ઝાડનો રસ લઈ વિષયા નખથી એ અક્ષર ઉમેરે છે, એમ છે; નાકરમાં, દેવદારના વૃક્ષનું દૂધ કાઢીને એમાં ‘કાજલ કિંચિત્ નેત્રનું ઉમેરી, અક્ષર કીધું શુદ્ધ’ એવું આલેખન છે. આ કાજળવાળો વિચાર પ્રેમાનંદે નાકરમાંથી લીધો છ,ે પણ એનું આલેખન જુઓઃ

‘એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર;
તરણા વતે લખ્યું તારુણીએ ધરી હ્રદયા મધ્યે ધીર’
{{Right|(‘ચંદ્રહાસાખ્યાન’, કડવું ૧૫,કડી ૨૫)|