આત્માની માતૃભાષા/15

From Ekatra Wiki
Revision as of 06:19, 16 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આસ્વાદોત્તર બીજી એકબે વાત| ઉમાશંકરની — ભાગ્યેશ જ્હા}} {{Poem2Ope...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આસ્વાદોત્તર બીજી એકબે વાત

ઉમાશંકરની — ભાગ્યેશ જ્હા

૧. છંદપ્રયોગ: ૬૮મી પંક્તિ ‘ખેલંદા હે શાન્ત તાંડવોના'માં ૭મી ગુરુશ્રુતિનો લોપ કર્યો છે એમાં ‘છંદનું માપ તૂટે છે’ એવી ટીકા બલવંતરાયે કરેલી. (‘આપણી કવિતાસમૃદ્ધિ’ (૧૯૩૯), પૃ.૧૨૮-૧૩૧). ઉમાશંકર ‘નિશીથ’ સંગ્રહની નોંધમાં કહે છે, ‘એમાં છંદોભંગ લેખવાની જેને ઇચ્છા હોય તે તેમ ગણે.’ ને પછી શાસ્ત્રાધાર આપે છે કે ‘રણપિંગળ'માં ૧૦ શ્રુતિનો ‘પંક્તિ’ નામનો છંદ છે — મતરગા. એ જુઓ તો આ છંદોભંગ કે શ્રુતિલોપ પણ નહીં લાગે. એમણે પોતે તો ઉપજાતિમાં વચ્ચે ‘એકવિધતા તોડવા માટે’ આવો પ્રયોગ કર્યો છે. ‘નિહારિકાનાં સલિલે ખેલનારો'માં ઉપેન્દ્રવજ્રાની ૮મી શ્રુતિ પછી, ૯મી ગુરુશ્રુતિનું, ઉમેરણ છે એને માટે પણ ઉમાશંકર શાસ્ત્રાધાર આપે છે ‘રણપિંગળ'માંના ૧૨ શ્રુતિના ‘જગતી’ છંદનો. એમને કહેવું તો એ હતું કે છંદોની લય-ભાતોને માટે, જોઈતો હોય તો, શાસ્ત્રાધાર તો મહદંશે મળી રહે પણ (એક બીજા કાવ્ય ‘ગ્રીષ્મપૂર્ણિમા’ અંગેની ટિપ્પણમાં તેઓ લખે છે કે) ‘સર્જનવ્યાપારમાં એકવિધતા ટાળવાને કલાકારનો લયલુબ્ધ કાન ક્વચિત્ નવું જ લયરૂપ સર કરે છે ત્યારે શાસ્ત્રાજ્ઞા માટે ઓછો જ રાહ જુએ છે?’ પણ આ શાસ્ત્રાધાર-નોંધ તો, તેઓ જરીક તારસ્વરે કહે છે કે, “ના, આ તો છંદોભંગ’ એમ અબ્રહ્મણ્યમ્ પુકારનારાઓને […] તુષ્યતુ દુર્જન: એ ન્યાયે’ કરેલી છે! ઉમાશંકરની આ રોષમુદ્રા આસ્વાદ્ય છે. પરંતુ — કદાચ એટલે જ — એક ગુસ્તાખી કરવાનું મન થાય. એમના જેવા છંદસમર્થમાં પણ ખાડાપૂરક વર્ણશ્રુતિઓ જડે, જેમકે, આ ‘ગ્રીષ્મપૂર્ણિમા'માં જ ‘કે જેવી દેવી ઉતરે સુમુક્તિની'માં ખાડાપૂરક ‘સુ —’ નંખાયો છે. બલવંતરાયે ‘નિશીથ'માં ‘સુનિશ્ચંચલ’ એ શબ્દપ્રયોગને, જરા જુદી રીતે, ‘વર્જ્ય’ ગણ્યો છે — ‘અતિસંસ્કૃત પ્રયોગ’ કરીને. અલમ્. ૨. ગાંધીયુગીન અભીપ્સા? યશવંત ત્રિવેદીએ, ઘણુંખરું ‘ગ્રંથ'માંની મુલાકાતમાં ઉમાશંકર જોશીને પૂછેલું: ‘આપે ‘નિશીથ’ જેવું વિરાટ ફલક પર બળવાન કાવ્ય લખ્યું છે. પરંતુ પાંચ ખંડ સુધી શુદ્ધ કવિતાનું રૂપ જાળવ્યા બાદ આપ છઠ્ઠા ભાગમાં રાત્રિના શુદ્ધ રૂપને કોરે મૂકીને ત્યાં ગાંધીયુગના એક reformist (સુધારક) તરીકે […] દેશની મૂર્છના ટળે એવી અભીપ્સા પ્રગટ કરી બેઠા.’ ઉમાશંકરનો ઉત્તર હતો: “નિશીથ’ કાવ્યના અંત અંગે, એ ‘કુમાર'માં પ્રગટ થયું તે દિવસથી મારું ધ્યાન ખેંચનારા મિત્રો મળ્યા છે. હું હજી સમજી શક્યો નથી કે શા માટે માણસ કવિતામાં પોતાના જમાનાનો નિર્દેશ ન કરી શકે.’ (યશવંત ત્રિવેદી, ‘ઇન્ટરવ્યૂ', ૧૯૮૬). આ મુલાકાત ઉમાશંકર જોશીના મરણોત્તર પુસ્તક ‘થોડુંક અંગત’ (૧૯૯૯)માં પુન: પ્રકાશિત થયેલી છે. જુઓ એનાં પૃષ્ઠ ૧૦૨ અને ૧૦૩.) ઉમાશંકરનો આ ઉત્તર, કંઈક અનિચ્છાએ અપાયો હોય એવો, અપર્યાપ્ત ને અસ્પષ્ટ લાગે છે. ‘નિશીથ’ (૧૯૩૯)માંની પેલી વિગતવાર ટિપ્પણમાં પણ, ખંડ-૬ની, ‘મારા દેશે…'થી શરૂ થતી પહેલી ૯ પંક્તિઓ વિશે એમણે કશું જ નોંધ્યું નથી! બલવંતરાયે, આ ખંડ વિશે, ‘ગાંધીયુગીન’ કે ‘પોતાનો જમાનો’ — એ પ્રકારની કોઈ ટિપ્પણ કરી નથી. એમનો પ્રશ્ન તો બીજો જ છે: ‘પ્રકૃતિના કોઈ તત્ત્વને દેવાધિદેવ કલ્પી તેને આવી કોઈ પ્રાર્થના આપણા અર્વાચીન માનસને હવે શક્ય ખરી?’ (એમને તો સ્તોત્રકાવ્યનો આ પ્રકાર જ ‘કાલગ્રસ્ત (ઑબ્સોલીટ)’ લાગ્યો છે. એ અજ્ઞેયવાદીને અહીં ‘અદ્ભુતતા કરતાં કૃત્રિમતા’ વધુ લાગે છે (!). તેઓ કહે છે: ‘વેદનું નામ પડતાં ગાંડા બનતા પુરાભક્તોમાંનો હું નથી.’) ઉમાશંકરે આ ‘પ્રાર્થના'વાળી વાત અંગે જાણે ઉત્તર વાળ્યો છે એમની ટિપ્પણમાં — ‘નિશીથને ચિરંતન પ્રેરણાના મૂળ એવા પ્રબળ તત્ત્વ તરીકે જ અહીં ઉદ્બોધન છે’ […] એને દેવ ગણવા કે ગણાવવાની ઇચ્છા કે આસ્થા વગર જ.’ ઉમાશંકરના આ ‘જ'કારો પ્રબળ બચાવ (strong defence) જેવા લાગે છે, બાકી પ્રબળ તત્ત્વ તરીકે નિશીથના મૂર્ત આલેખનની વાત તો અસ્વીકાર્ય છે જ ક્યાં? બલકે, નર્તકથી વૈતાલિક સુધીનાં રૂપપરિવર્તનો બતાવતા નિશીથની પ્રબળ તત્ત્વ તરીકેની લીલાઓ આ કાવ્યને હ્ય્દ્ય અને પ્રભાવક બનાવે છે.