પરિષદ-પ્રમુખનાં ભાષણો/૫.

Revision as of 09:56, 21 December 2021 by KhyatiJoshi (talk | contribs)


શ્રી નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનું ભાષણ

પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ: સુરત
મે ૧૯૧૫

સ્વ. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા
(ઈ.સ. ૧૮૫૯થી ૧૯૩૭)


“નાટક ને નવલકથા સિવાયનાં ઘણાંખરાં સાહિત્યનાં ક્ષેત્રોમાં લગભગ પચાસ વર્ષ સુધી એમની હાક વાગતી હતી. ઘણા વિષયોમાં એમનો નિર્ણય અંતિમ ગણાતો. શુદ્ધિ અને સત્યશોધનથી પ્રેરાયેલી આ ભીષ્મપિતામહની આણથી સાહિત્યકારો ને સાહિત્યરસિકો બંને ધ્રૂજતા હતા. ઘણી વાર તો જાણે અચળ ધ્રુવ હોય એમ એ આપણા સાહિત્યવ્યોમમાં શોભતા.”

આવા ઉજ્જવલ શબ્દોમાં શ્રી. મુનશીએ જેમનો પરિચય આપ્યો છે તે નરસિંહરાવભાઈની પ્રવૃત્તિ ગુજરાતી સાહિત્યને અનેક રીતે ઉપકારક બની છે. ૧૮૮૭માં ‘કુસુમમાળા’ પ્રગટ કરીને તેમણે ગુજરાતી કવિતાને નવી દિશામાં સંક્રમણ કરાવ્યું. તે પછી ‘હૃદયવીણા’, ‘નૂપુરઝંકાર’ અને ‘સ્મરણસંહિતા’ એ એમની કાવ્યસર્જન પ્રવૃત્તિનો પરિપાક છે. ગુજરાતી ગદ્યના વિકાસમાં એમનું નામ ઉજ્જલતાથી પ્રકાશશે. પાંડિત્યના ભારથી સહેજ પણ દબાઈ ગયા વગર એમનું ગદ્ય સંસ્કૃત ભાષાના ગૌરવ અને શિષ્ટતાને ધારણ કરે છે, અને ગૌરવની ગંભીરતામાં પણ એ વિશદતાનો ત્યાગ કરતું નથી. વિવેચન અને ચિન્તનના એમના અનેક લેખો આ સત્યની પ્રતીતિ કરાવતા ઊભા છે. ગુજરાતના વિવેચન સાહિત્યને એમણે ઘણી સમૃદ્ધિ અર્પી છે. સત્ય, નીડરતા, અભ્યાસદોહન, નિષ્પક્ષતા અને સાહિત્યનાં સાચાં તત્ત્વોની મુલવણીઃ આ બધું એમનાં નાનાંમોટાં વિવેચનોમાં પ્રત્યક્ષ થાય છે. ગ્રન્થકર્તાઓને સમજે તો ઉપકારક અને સાહિત્યના અભ્યાસીઓને અનેક રીતે માર્ગદર્શક બને એવાં એમનાં વિવેચનો છે. ગુજરાતી ભાષાનો શાસ્ત્રીય અભ્યાસ કરનાર ગુજરાતના આદિ પંડિત નરસિંહરાવ, એ પણ આજે સર્વવિદિત છે. આ વિષયમાં એમની ઝીણવટ, ચોકસાઈ અને સંશોધનશક્તિનો ગુજરાતને પરિચય થાય છે.

ત્રીજી અને ચોથી બંને સાહિત્યપરિષદોમાં એમનું નામ પ્રમુખપદ માટે સૂચવવામાં આવ્યું હતું. પુરોગામીઓ માટે ઉદારતાથી એ ખસી ગયા, અને સુરતમાં ભરાયેલી પાંચમી સાહિત્ય પરિષદના પ્રમુખપદે એમની વરણી થઈ. એમનું એ વખતનું ભાષણ આજે પણ અને સર્વદા અભ્યાસશીલ ગુજરાતીઓને ઉપયોગી થાય તેવું છે.



ઉપોદ્‌ઘાત


तेने ब्रह्म हृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयो


धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ।।

સાહિત્યસેવાપરાયણ અને વિદ્યાવિલાસી બન્ધુઓ તથા ભગિનીઓ! આપણી આ પાંચમી સાહિત્યપરિષદના પ્રમુખપદનું માન અને જવાબદારી મારે શિર અર્પવા માટે આપ સર્વનો હું અન્તઃકરણથી ઉપકાર માનું છું. ગુજરાતી સાહિત્યપરિષદ ભરવાની યોજના પહેલ પ્રથમ ઈ.સ. ૧૯૦૫માં અમદાવાદની સાહિત્ય સભાના તંત્રાધિકારીઓએ મારી આગળ વાતપ્રસંગે પ્રકટ કરી તે વખતે એ ઉચ્ચાભિલાષી પ્રયાસ માટે તે ક્ષણે તો સંકોચ, અશ્રદ્ધા અને કાંઈક અંશે સફળતાની સિદ્ધિ વિષે ભય – એવા ભાવ મારા મનમાં થયા હતા. થોડા સમયમાં જ એ પ્રથમ પ્રયાસના વિજયે એ લાગણીઓને શમાવી દીધી. એ પ્રથમ પરિષદનું પ્રમુખસ્થાન ગુર્જર વિદ્વાનો અને કવિઓમાં અગ્રેસર ગોવર્ધનભાઈને યથોચિત રીતે અપાયું હતું. એ પ્રસંગે મારા સ્વપ્નામાં પણ આવ્યું નહોતું કે ભવિષ્યમાં એ પદવીનું માન મને આપવામાં આવશે. કાલક્રમે અને કાલબળે ગુર્જર સાહિત્યના રસિક વર્ગે એ સ્થાનમાં મને બેસાડવાનું ઉચિત ધાર્યું તો એ પસંદગીને આજ્ઞારૂપ માનીને મારે કર્તવ્યનો ભાર સ્વીકારવા સિવાય બીજો માર્ગ જ નહોતો; મારી ઇચ્છાને ગૌણ સ્થાન આપી આપ સર્વની ઇચ્છાને પ્રધાનપદ આપ્યા વિના છૂટકો જ નહોતો; અહીં વિકલ્પને અવકાશ જ નહોતો, આ સ્થિતિમાં જેવો છું તેવો, આપ સર્વની સમભાવભરી સહાયતાથી, પાર પાડી શકાશે તો હું તત્કાળ કૃતકૃત્ય થયો એમ માનીશ. આ આપણા આરંભને સત્રનું નામ ભારે લાગે તો ક્ષણભર ચિન્તન કરી જોશો. પ્રાચીનકાળમાં આપણા પૂર્વજો જે યજ્ઞનાં સૂત્રો માંડતા હતા તે જેમ ઇષ્ટ દેવતાને પ્રીત્યર્થ યજ્ઞ કરતા હતા તેમ આજ આપણે આપણી ઇષ્ટ દેવતા – સરસ્વતી દેવી – ને આરાધવા શું એકત્ર થયા નથી? આપણા સત્રને વિશેષ રૂપ આપણે આપી શકીએ એમ છે. આ સત્રમાં યજ્ઞબલિ તરીકે દ્વેષ, ઈર્ષ્યા, અહંતા ઇત્યાદિ પશુઓને હોમી દઈશું; કીર્તિ, ધન, ઇત્યાદિ લાભને ઇષ્ટ લક્ષ્યની બહાર રાખીશું; અને કામ્ય કર્મ જેવી આ ઇષ્ટિ નહીં પણ નિષ્કામ સરસ્વતીપૂજા એ જ આ સત્રનું વિશિષ્ટ લક્ષણ બનાવીશું, આવા મહાન સત્રમાં ઋત્વિજોની પદવીમાં મારું સ્થાન બ્રહ્માના અધિકારનું આપે રાખ્યું છે તે એક દૃષ્ટિએ અલ્પ શ્રમના ભાગને લીધે, સુખકર છે, તેમ અન્ય દૃષ્ટિએ, यज्ञस्य हैष भिषग् ब्रह्मा એ બ્રહ્માનું કર્તવ્ય જોતાં વૈદ્યને શિર જે જવાબદારી રહે છે તેથી વિષમ કર્તવ્યથી ભરેલું પણ છે; આશા એટલી જ રાખું છું કે આપણા સત્રમાં એ વૈદ્યકાર્યનો પ્રસંગ જ થવા નહીં પામે; એ આશા સફળ થવી એ આપ સર્વના સૌજન્ય ઉપર આધાર રાખે છે. એ સૌજન્ય ઉપર મારો પૂર્ણ વિશ્વાસ છે. વળી યજ્ઞના સમારંભમાં બ્રહ્માની કને તો સર્વજ્ઞપણાની અપેક્ષા રખાય; તે વિષયમાં ઊનતા મારામાં જણાશે એ મને ભય રહે છે; પરંતુ તમારા સર્વના સ્નહેભાવનો વિચાર આવતાં એ ભયનું જોર બહુ અંશે નરમ થઈ જાય છે. આ સ્નેહભાવને સ્થળ, કાળ, પ્રસંગ ઇત્યાદિની મર્યાદા છે; અને તેથી તેટલા જ ઉપર આધાર ન રાખતાં જ્ઞાનના પ્રદેશમાં પરિક્રમણ કરનારાઓને ઉચ્ચ માર્ગમાં રાખનારી એક બીજી ભાવના ઉપર હું વધારે બળથી ભાર મૂકી તે તરફ આપ સર્વનું ધ્યાન ખેંચું છું. વિદ્યા, જ્ઞાન, સાહિત્ય – એ સર્વ માનવજાતિના બુદ્ધિરૂપ ઉચ્ચ વ્યાપારવિષયમાં પ્રત્યેક વ્યક્તિને સાચું પ્રેરક બળ શું છે? સત્યનું અન્વેષણ અનન્ય ભાવથી, સત્ય તરફ પ્રેમથી, અન્વેષણ – એ જ. તો અન્વેષણમાં જે જે અભ્યાસીઓ નિર્મમત્વથી પ્રવૃત્ત થાય છે તેમના મનમાં પરસ્પર સહકારિતાનું બળ – એ સહકારિતાના ભાનનું બળ – હોય તો અને તેથી જ એકબીજાની ઊનતાઓ બન્ધુભાવથી, સહકારિતાથી પૂરી શકાય છે. પ્રત્યેક જણ એ અન્વેષણમાં પોતપોતાની શોધક દીપિકા લઈને પગલાં ભરે છે, અને અન્ય દીપિકાથી તેમાં પ્રકાશ ઉમેરવો, ભયનાં સ્થાન, ખાડા, હોય તે દર્શાવવા, અથવા ખોટી દિશામાં અન્ય બન્ધુ જતો હોય તે માટે ચેતવણી આપવી – એ હેતુ જ પ્રેરક છે. આ દૃષ્ટિ રાખ્યાથી ભ્રમ, કલહ, માનવસ્વભાવને સુલભ રાગદ્વેષ, એ સર્વનો લોપ થાય છે. જ્ઞાન અને સત્યના અન્વેષણમાં સતત પ્રવૃત્તિ રાખનારાઓમાં આ ભાવના તરફ જ પ્રીતિ હોય છે, તો આજ આપણે એ વિષય માટે વિશેષ પ્રસંગનો સમારમ્ભ આદર્યો છે તેમાં એ જ પ્રેરક બળ – સત્યનું અન્વેષણ, એ અન્વેષણમાં સહકારિતાનો ભાવ, એ ભાવની અન્યતા એ પ્રેરક બળ-વિશેષ ઉલ્લાસથી આપણને પ્રવૃત્ત કરશે એ આશા વ્યર્થ નહીં ગણાય. આપણે સર્વ સરસ્વતી દેવીના સહયાજી ભક્તો છીએ, એ દેવીનો પ્રસાદ કોઈને વધારે મળે, કોઈને ઓછો મળે, કોઈને મળે નહીં એમ ચાલ્યું જાય. એક શ્રુતિવચન છે કેઃ