મેઘાણીની સમગ્ર નવલિકા/અભિસાર

From Ekatra Wiki
Revision as of 06:00, 4 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અભિસાર|}} {{Poem2Open}} મથુરા નગરીના ગઢની રાંગે એક સંન્યાસી સૂતેલા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અભિસાર

મથુરા નગરીના ગઢની રાંગે એક સંન્યાસી સૂતેલા છે. એનું નામ ઉપગુપ્ત. શ્રાવણ મહિનાની ઘોર રાત્રિ જામતી હતી. નગરનાં દીવા પવનને ઝપાટેઝપાટે બુઝાતા હતા. ગામના દરવાજા ધીરેધીરે બંધ થવા લાગ્યા. નગરને કાંગરે દીવા નથી. ઘનઘોર આકાશમાંયે તારા નથી. એકાએક એ સૂતેલો સંન્યાસી અંધારામાં કેમ ઝબકી ઊઠ્યો? ઝાંઝરના ઝંકાર કરતો એ કોનો મધુર ચરણ એની છાતી સાથે અફળાયો? ક્ષમાથી ભરપૂર એ યોગીની આંખો ઉપર એક ગુપ્ત દીવાનું આસમાની અજવાળું પડ્યું. એ કોણ હતું? એ તો મથુરાપુરીની સર્વશ્રેષ્ઠ નટી પેલી વાસવદત્તા: આજ અંધારી રાતે એ કોઈ પ્રિયતમની પાસે જવા નીકળી છે. એના આસમાની ઓઢણાની અંદરથી યૌવન ફાટફાટ થતું તોફાને ચડ્યું છે. અંગ ઉપર આભૂષણો રણઝણી રહેલાં છે. મદોન્મત્ત એ રમણી આજ તો વળી વહાલાને ભેટવા સારુભાન ભૂલેલી છે. પૂરજોશમાં એ ધસ્યે જાય છે. અચાનક અંધારામાં એના કોમળ પગ સાથે સંન્યાસીનું શરીર અફળાયું. વાસવદત્તા થંભીને ઊભી રહી. ઓઢણાના છેડામાં છુપાવેલો ઝીણો દીવો ધરીને એ સુંદરી સાધુના મોં સામે નિહાળી રહી. સુકુમાર ગૌર કાંતિ: હાસ્યભરી એ તરુણાવસ્થા: નયનોમાં કરુણાનાં કિરણો ખેલે છે: ઉજજ્વળ લલાટની અંદર જાણે ચંદ્રની શીતળ શાંતિ દ્રવે છે. શાં અલૌકિક રૂપ નીતરતાં હતાં! હાય રે રમણી! આવું રૂપ આજે ધરતી ઉપર રગદોળાય છે! એને ઢાંકવા પૂરાં વસ્ત્રો પણ નથી. તું શું જોઈ રહી છે? શામાં ગરક થઈ ગઈ છે. હે નારી? પગ ઉપાડ, પગ ઉપાડ. રાજમહેલનો નિવાસી કોઈ પ્રેમી તારી વાટ જોતો ઝરૂખામાં ઊભો તલખતો હશે. સંન્યાસીનાં ચરણ સ્પર્શીને વાસવદત્તા દીન વચને બોલી: “હે કિશોરકુમાર! અજાણ્યે આપને વાગી ગયું. મને માફ કરશો?” કરુણામય કંઠે સાધુ બોલ્યા: “કંઈ ફિકર નહિ, હે માતા! સુખેથી સિધાવો. તમારે વિલંબ થતો હશે.” તો યે આ અભિસારિકા કાં હટતી નથી? એના પગ કોણે ઝાલી રાખ્યા છે? ફરી વાર એ દીન અવાજે બોલી: “હે તપસ્વી! આવું સુકોમળ શરીર આ કઠોર ધરતી ઉપર કાં રગદોળો છો? નિર્દય લોકોએ કોઈએ એક સુંવાળું બિછાનું ય ન કરી આપ્યું?” સાધુએ અબોલ રહીને હસ્યા જ કર્યું. “મારે ઘેર પધારશો? એકાંતમાં પથારી કરી આપીશ. પધારો, હું પાછી વળું.” “હે લાવણ્યના પુંજ! આજે તો જેનો વારો છે તેની પાસે જ જઈ આવો. એક દિવસ મારો પણ વારો આવશે ત્યારે હું વિનાબોલાવ્યો તમારી કુંજમાં ચાલ્યો આવીશ. આજે તો સિધાવો જેને કોલ દીધો છે તેની પાસે.” એટલી વારમાં તો અંધારેલાં વાદળાં તૂટી પડ્યાં. આકાશનું હૃદય ચીરીને વીજળી જાણે ઘર છોડી અભિસાર કરવા નીકળી પડી. ઘોર ગર્જના થઈ. જાણે પ્રલયના શંખ ફૂંકાયા. ત્રાસથી એ રમણી કંપી ઊઠી. કોને માલૂમ છે કે ક્યાં સુધી એ કોમલાંગી ભિંજાણી હશે, થરથર કંપી હશે ને રડી હશે! એનો અભિસાર એ રાત્રીએ અધૂરો રહ્યો.

શ્રાવણ મહિનો વીતી ગયો. ત્યાર પછી તો ઘણા યે મહિના આવ્યા ને ગયા. ચૈત્ર માસની સાંજ પડે છે. વ્યાકુળ બનીને વાયુ જાણે કોઈને ભટવા ચાલ્યો છે. માર્ગ પરનાં તરુવરોને કૂંપળો ફૂટી છે. રાજાજીના બગીચામાં આજે બોરસલ્લી અને પારિજાતકનાં અપરંપાર ફૂલો મહેકી ઊઠ્યાં છે. મથુરા નગરીના તમામ નરનારીઓ આજે મધુવનમાં વસંતોત્સવ કરવા ગયાં છે. નિર્જન એ નગરીના ઝરૂખાઓમાં ડોકિયાં કરીકરીને આકાશનો ચંદ્ર મલકી રહ્યો છે. દૂરદૂરથી ગળાઈને બંસીના સ્વરો આવે છે. ચંદ્રના એ અજવાળામાં નિર્જન રાજમાર્ગ ઉપર એ કોણ ચાલ્યો જાય છે? એ તો પેલો સંન્યાસી ઉપગુપ્ત, પણ એ સંન્યાસી રાત્રીએ કાં રખડે? દૂર દૂરથી બંસીના સ્વરો આવે છે: માથે વૃક્ષોની ઘટામાં કોયલ ટહુકે છે: સામે ચંદ્ર હસે છે: આજે એ તપસ્વીની અભિસાર-રાત્રિ આવી પહોંચી કે શું? નગર છોડીને તપસ્વી ગઢની રાંગે રાંગે ચાલ્યો. અજવાળું વટાવીને આંબાની અંધારી ઘટામાં પેઠો. એકાએક એના પગ થંભ્યા. એ પગની પાસે શુ પડ્યું હતું? દુર્ગંધ મારતું એક માનવશરીર: આખા અંગના રોમરોમમાં શીતળાનો દારુણ રોગ ફૂટી નીકળેલો છે. આખો દેહ લોહી-પરુમાં લદબદ થઈ ગેગી ગયો છે. કાયા સળગીને જાણે કાળી પડી ગઈ છે. ગામના લોકોએ ચેપી રોગમાં પિડાતી કોઈ બિચારી સ્ત્રીને ઘસડીને નગરની બહાર નાખી દીધેલી છે. પાસે બેસીને સંન્યાસીએ એ બીમારનું માથું ઉપાડી ધીરેધીરે પોતાના ખોળામાં ધર્યું, ‘પાણી પાણી’નો પોકાર કરતા એ બે હોઠ ઉપર શીતળ પાણી રેડ્યું, કપાળ ઉપર પોતાનો સુકોમળ શીતળ હાથ મેલીને શાંતિનો મંત્ર ગાયો, ચંદનનો લેપ લઈને એ સડેલા શરીરને અંગે પોતાને હાથે મર્દન કર્યું ને પછી દરદીને મધુર અવાજે પૂછ્યું: “કાંઈ આરામ વળે છે, હે સુંદરી?” “તમે કોણ, રે દયામય! તમે ક્યાંથી આવ્યા?” દુર્બળ અવાજે દરદીએ પ્રશ્ન કર્યો, એની આંખોમાંઓથી આંસુની ધારા છૂટી. મંદમંદ મુખ મલકાવીને સાધુ કહે છે: “ભૂલી ગઈ, વાસવદત્તા? શ્રાવણ માસની એ ઘનઘોર રાત્રીએ આપેલ કોલ શું યાદ નથી આવતો? આજે મારા અભિસારની આ મીઠી રાત્રી આવી છે, વાસવદત્તા!” આંબાની ઘટામાંથી મંજરીઓ ઝરી, કોયલ ટહુકી, ચંદ્ર મલક્યો, યોગીનો અભિસાર ઊજવાયો.