સૌરાષ્ટ્રની રસધાર/સિંહનું દાન

Revision as of 16:12, 22 February 2022 by KhyatiJoshi (talk | contribs)


સિંહનું દાન

મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને ચાંચોજી એકસાથે ગોમતીજીમાં નાહવા ગયા હતા. ગોમતીજીમાં સ્નાન કરતી વખતે ધ્રાંગધ્રાના તથા ધ્રોળના દરબારે કાંઈક વ્રતો લીધાં; પણ ચાંચોજીએ તો એવું વ્રત લીધું કે ‘મારી પાસે જે કાંઈ હશે તે હું મારા જાચનારને આપીશ.’ ત્રણેય જાત્રાળુઓ ઘરે આવ્યા. બે મોટા દરબારોનાં વ્રત થોડે વખતે છૂટી ગયાં, પણ ચાંચોજીની પ્રતિજ્ઞા તો જીવસટોસટની હતી. હળવદ દરબારે પોતાના દસોંદી ચારણને ઉશ્કેર્યા. વચન આપ્યું કે પરમારનું નીમ છોડાવ તો તું જે માગે તે તને આપું. ચારણ કહે : “પરમારનો પુત્ર હું માથું માગીશ તો માથુંયે વધેરી દેશે.” દરબાર કહે : “એવું કંઈક માગ કે પરમારને ના પાડવી પડે.” ચારણ મૂળી આવ્યો. ભરકચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા. ચાંચોજી કહે : “કવિરાજ, આશા કરો.” “બાપ! તમથી નહિ બને.” “શા માટે નહિ? માંડવરાજ જેવો મારે માથે ઘણી છે. આ રાજપાટ ઉપર તો એની ધજા ફરકે છે, મારી નહિ. કોઈ દિવસ આ રાજપાટનાં ગુમાન કર્યાં નથી; માંડવરો ધણી એની લાજ રાખવા જરૂર આવશે.” “અન્નદાતા, મારે તારી રિદ્ધિસિદ્ધિની એક પાઈયે નથી જોતી. તારા લાખપશાવ પણ ન ખપે. તારા માથાનો પણ હું ભૂખ્યો નથી.” “જે માગવું હોય તે માગો.” ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો કે :


અશ આપે કે1 અધપતિ, દે ગજ કે દાતાર,
સાવઝ દે મું સાવભલ2 પારકરા પરમાર!

[કોઈ રાજા ઘોડાનાં દાન કરે, તો કોઈ હાથી આપે. પણ હે સહુથી ભલા રાજા, તું મને જીવતો સાવજ આપ.] “સાવજ!” સભાનો અવાજ ફાટી ગયો. “હા, હા, જીવતો સાવજ!” ચારણે લલકાર કર્યો :


જમીં દાન કે દે જબર, લીલવળું લીલાર,
સાવઝ દે મું સાવભલ, પારકરા પરમાર!