ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બાપુ સાહેબ

From Ekatra Wiki
Revision as of 06:48, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બાપુ (સાહેબ) [જ. ઈ.૧૭૭૭/૧૭૭૯-અવ. ઈ.૧૮૪૩/સં. ૧૮૯૯, આસો સુદ ૧૧, બુધવાર] : જ્ઞાનમાર્ગી કવિ. જ્ઞાતિએ મરાઠા રજપૂત. પિતાનું નામ જીવનરાવ/યશવંતરાવ ગાયકવાડ. પિતાની બે પત્નીમાંથી એક રજપુતાણી તેમનાં તેઓ પુત્ર. બાળપણમાં ગુજરાતી-મરાઠી લખવા વાંચવાનું તથા ઘોડેસવારી-તલવારબાજી કરવાનું શીખ્યા. ગરાસની જમીન માટે ગોઠડા જવાનું થયું ત્યારે ત્યાં ધીરા ભગત સાથે અને પછી વડોદરા પાગાના જમાદારની નોકરી દરમ્યાન નિરાંત ભગત સાથે સંપર્ક. એ બંનેના સંસર્ગને લીધે મનમાં પડેલી વૈરાગ્યવૃત્તિ વધારે ખીલી ને દૃઢ બની. બંનેનું શિષ્યપદ એમણે સ્વીકાર્યું, અને કેટલાક સમય પછી રાજ્યની નોકરીની જંજાળમાંથી મુક્ત થઈ ભજનકીર્તન તરફ વળ્યા. હિન્દુ-મુસલમાન કે ઊંચનીચના ભેદભાવમાં તેઓ માનતા ન હતા તે કારણે સ્વજનવિરોધ સહેવાનો વખત આવ્યો તે તેમણે મક્કમપણે સહ્યો. તેમના શિષ્યવર્ગમાં તેઓ ‘બાપુમહારાજ’ નામથી જાણીતા હતા. પદ, ગરબી, રાજિયા, મહિના, કાફી સ્વરૂપે મળતી પદ પ્રકારની કાવ્યરચના કરનાર બાપુસાહેબ ધીરા-અખાની પરંપરાના જ્ઞાની કવિ છે. એમની રચનાઓમાં જ્ઞાની સંતના સરલતા, સહજતા, ઉદારતા, અનાસકિત, વૈરાગ્યભાવ વગેરે ગુણોને વર્ણવતી કાફી પ્રકારનાં ૨૪ પદોની ‘જ્ઞાનીનાં લક્ષણ’(મુ.) ને અણિમા, ગરિમા, મહિમા, લધિમા વગેરે ૧૮ યોગસિદ્ધિઓની નિરર્થકતા બતાવતી ૨૦ કાફીઓની ‘સિદ્ધિખંડન’(મુ.) વિશેષ ધ્યાનપાત્ર રચનાઓ છે. એ સિવાય એમની અન્ય પદ(મુ.) રચનાઓમાં ધર્મને નામે પાખંડ ચલાવતા પંડિત, બ્રાહ્મણ, મુલ્લા, ગુરુ વગેરે પર પ્રહારો કરતાં ને આત્મજ્ઞાન, સદ્ગુરુનો મહિમા કરતાં ૭૦ જેટલાં પદ; મનુષ્યને સ્ત્રી, ધન, પુત્ર ઇત્યાદિની આસકિતમાંથી મુક્ત રહેવાનો બોધ આપતી ૪૦ ગરબીઓ; માયાના બંધનમાં અટવાયેલા, મનના ૬ દુર્ગુણોથી યુક્ત ને સાચા જ્ઞાનને ભૂલી ગયેલા મનુષ્યની જીવનકથનીને વ્યક્ત કરતી ‘ષડ્રિપુના રાજિયા’; નિર્ગુણ ઈશ્વરનું વર્ણન કરતી ‘બ્રહ્મબોધ’ની ૨૪ અને ‘જ્ઞાનોપદેશ’ની ૬ કાફીઓ તથા બ્રહ્માનુભવના આનંદને વ્યક્ત કરતા ‘મહિના/જ્ઞાનના દ્વાદશ માસ’ (ર.ઈ.૧૮૩૪)નો સમાવેશ થાય છે. કવિના જ્ઞાનવૈરાગ્યના બોધમાં તત્ત્વચર્ચાનું ઊંડાણ ઓછું છે, પરંતુ આખાના છપ્પાની જેમ દૃષ્ટાંતો અને કટાક્ષનો આશ્રય લઈ પોતાની વાતને વેધક રીતે કહેવાની એમને વિશેષ ફાવટ છે. તળપદી ભાષાનું જોમ અને તત્કાલીન જીવનનું નિરીક્ષણ એમની શૈલીને આગવી લાક્ષણિકતા બક્ષે છે. ‘બૃહત્કાવ્યદોહન : ૩ અને ૫’માં મુદ્રિત મીયાંગામના વતની તરીકે ઓળખાવાયેલા બાપુની રચના આ કવિની જ છે. કૃતિ : ૧. ગુમુવાણી; ૨. પ્રાકામાળા : ૭ (+સં.); ૩. બૃકાદોહન : ૩, ૫. સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. આગુસંતો; ૩. કવિચરિત : ૩; ૪. ગુમાસ્તંભો; ૫. ગુસાઇતિહાસ : ૨; ૬. ગુસામાધ્ય; ૭. ગુસારસ્વતો; ૮. પ્રાકકૃતિઓ; ૯. સસામાળા;  ૧૦. ગૂહાયાદી.[દે.દ.]