અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/અંધારા અજવાળાં
આંજી નાખે એવાં અજવાળાંનું તે શું કામ!
એ તો બીજું અંધારાનું નામ!
અજવાળાં તો શીળાં શીળાં સારાં
હળવે હાથે માંજે જે અંધારાં—
ઊઘડે ઝીણે અક્ષર લખિયાં
લખલખ ચૌદે ધામ!
અજવાળું અંધારું બંને સરખું
જો મોતી દોરો ના એમાં પરખું –
પરોવાય ના મોતનમાળા
સરખી જો અભિરામ!
અજવાળાં અંધારાં ઓરાં આવો
વારાફરતીનો ચખને દ્યો લ્હાવો –
ઉઘાડ મીંચમાં બાવન’બારી બારાખડીમાં
લખાયલું તે ભીતર વાંચું નામ!