અવતરણ

From Ekatra Wiki
Revision as of 07:20, 21 September 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
Avataran title-350x557.jpg


અવતરણ

રમણ સોની



‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.



લેખક-પરિચય


ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે. રમણ સોની





પુસ્તક-પરિચય


આ પુસ્તક(2016)માં ઉત્તમ વિવેચકો, વિચક્ષણ વિચારકો અને પ્રતિભાવંત સર્જકોના વિવિધ વિષયો પરના વિચારઅંશો ઝિલાયેલા છે. એથી આ નાનું પુસ્તક ખૂબ સમૃદ્ધ બન્યું છે. આ વિચારોની પસંદગી તથા વિષયક્રમને આધારે ઇચ્છિત મુદ્દો શોધીને વાંચી શકવાની યોજના આ સંગ્રહને વિશિષ્ટ બનાવે છે. એક બીજા અર્થમાં આ સંપાદન મુક્ત સંચય છે. એથી નિજાનંદે કોઈપણ પાનું ખોલીને કોઈપણ વિચારને માણવાની અહીં સગવડ છે. વૌવિધ્ય અને વ્યાપ એકસાથે રજૂ થયાં હોવાથી વિવેચન અને વિચારનું એક ગતિશીલ ચિત્ર અહીં પ્રાપ્ત થાય છે.

વળી દરેક પાને તે તે વિચારના લેખક, એ અંશ જેમાંથી લીધેલો છે એ પુસ્તકનું નામ, પ્રકાશન વર્ષ – જેવી વિગતો નોંધેલી હોવાથી વધુ જિજ્ઞાસુ અભ્યાસીને મૂળ ગ્રંથ સુધી જવાની સગવડ પણ મળે છે. પુસ્તકને અંતે આપેલી લેખક-અનુવાદકોની અને ગ્રંથ-સામયિકોની સૂચિ વાચકને સહાયક બને એવી છે. આ પુસ્તક સંપાદનની શાસ્ત્રીયતાનું અને સંપાદકની સજ્જતાનું નિદર્શન આપે છે. પુસ્તકની મુદ્રણ-સજાવટ પણ કલાત્મક છે. રમણ સોની




Avataran (Quotations by Prominent writers)
Edited by Raman Soni
Pratyaksha Prakashan, Vadodara, 2016


મુદ્રણ-અધિકાર : રમણ સોની
પ્રત : 500
પૃષ્ઠ : 12 + 100
કિંમત : રૂ. 80/-


પ્રકાશક :
શારદા સોની
પ્રત્યક્ષ પ્રકાશન,
18, હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, વડોદરા-15


મુદ્રણ-અંકન :
'મહેશ ચાવડા
દિયા અક્ષરાંકન, વાસણા(બો), તા. બોરસદ, જિ: આણંદ-388540
મો. 99091 00127


મુદ્રક :
ભગવતી મુદ્રણાલય અમદાવાદ 16.
ફોન 079 22167603



અર્પણ


હેમન્ત દવે અને હર્ષવદન ત્રિવેદીને –






આરંભે બે વાત …


ગુજરાતી તેમજ અન્યભાષી વિવેચકો-વિચારકો-સર્જકોના પ્રભાવક અને વિશિષ્ટ વિચારઅંશોનો આ સંકલિત સંચય છે. ‘પ્રત્યક્ષ’ના છેલ્લા પૂંઠે, આવા વિચારખંડો મૂકવાનું રાખેલું અને વાચકોને એમાં રસ પડેલો – એકાદ વાર, કોઈ કારણસર એ ખંડ મૂકવાનો રહી ગયેલો ને તરત કેટલાકે પૂછેલું, આ વખતે વિચારખંડ કેમ નથી? ત્યારથી વિચારેલું કે આ બધા વિચારખંડોનું સંપાદન કરવું જોઈએ.

છેક 1991થી આ ક્રમ ચાલતો રહ્યો છે – પહેલો જ વિચારખંડ નર્મદનો જાણીતો ‘ટીકાવિદ્યા’ વિશેનો હતો. વચ્ચે પાંચ-સાત અંકોમાં, છેલ્લે પાને જાહેરખબરો લીધેલી ત્યારે, એ ક્રમ અટકી ગયેલો તે (જાહેરાતો ત્રીજે પૂંઠે લેવાનું રાખીને) ફરીથી તરત શરૂ કરેલો.

*

24 વર્ષમાં આવા અવતરણ-ખંડોનું પ્રમાણ ઠીકઠીક થયેલું. સંકલિત કરવાનું આવ્યું ત્યારે જોયું કે એમાંનાં કેટલાંક અવતરણો, પ્રાસંગિક હોવાથી, ન સાચવીએ તો ચાલે એમ હતાં. એટલે એને સ્થાને કેટલાંક નવાં ઉમેરી લીધાં. ને એમ 96 અવતરણો સંકલિત કર્યાં.

અવતરણો એકસાથે સામે આવ્યાં ત્યારે ખ્યાલ આવ્યો કે વિચારોનું, વિષયોનું, અભિવ્યક્તિનું કેટલું બધું ચિત્તાકર્ષક વૈવિધ્ય એમાં આવેલું છે! વળી, એ વિષયોની – લેખકોનાં વક્તવ્યોમાંથી પ્રગટતા મુખ્ય સૂરોની – યાદી કરી ત્યારે એમ થયું કે આનો જો વિષયક્રમ કર્યો હોય તો અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી પણ નીવડે. આ વિષયક્રમને આધારે તે તે અવતરણ-ઘટક સુધી પહોંચી શકાય અને અભ્યાસની જરૂરિયાત મુજબ એ વિચારોનું સંકલન કરી શકાશે.

જોકે, આ અવતરણ-સંચયનો પહેલો અને રસપ્રદ ઉપયોગ તો નિજાનંદી વાચનનો જ છે. કોઈ પણ પાનું ખોલતા જાઓ અને એમાંના વિચાર-વિશેષને માણતા જાઓ.

પરંતુ, એમ યથેચ્છ વાંચતાંવાંચતાં પણ અભ્યાસી-વિદ્યાર્થીઓના મનમાં આપણાં વિચાર-વિવેચનની સમૃદ્ધિનો તૃપ્તિકર સંચાર થતો જાય, એ પ્રયોજન અગ્રસ્થાને રહ્યું છે. પછી એમાંથી જ સંદર્ભો તરફ જતો રસ્તો ખૂલે એવી વ્યવસ્થા કરી છે. પ્રત્યેક અવતરણમાં લેખકનામની નીચે પુસ્તક-નામ, એનું વર્ષ, બન્યું ત્યાં એનો પૃષ્ઠક્રમ પણ મૂકેલાં છે. એનો આધાર લઈને મૂળ સ્રોત સુધી પહોંચી શકાશે.

છેલ્લે બે સૂચિઓ પણ મૂકી છે. લેખક (કર્તા, અનુવાદક) સૂચિ અને ગ્રંથ-સામયિક સૂચિ. આ અવતરણ-સંકલનનો વ્યાપ એનાથી સૂચવાય છે ને વળી, એમાં એક પ્રકારની વાચક-સહાયકતા પણ છે – લેખક કે પુસ્તકના તંતુએ પણ વાચક અવતરણ-ઘટકોમાં જઈ શકશે.

એક હાથવગી પુસ્તિકારૂપે આ સંપડાવવું હતું, એથી પુસ્તકનું નામ પણ કશા ભારવાળું નહીં, પણ સહજભાવે જ ‘અવતરણ’ રાખ્યું છે.

આશા છે કે વાચકોનાં ચિત્તહૃદયમાં આ અવતરણો પ્રસન્નતાપૂર્વક ઝમતાં રહેશે.

– રમણ સોની

વડોદરા; નવું વર્ષ 2072; તા. 12 નવે. 2015

ramansoni46@gmail.com

ફોન 922 821 5275




અ વ ત ર ણ
સંપાદક
રમણ સોની



પ્રત્યક્ષ પ્રકાશન, વડોદરા

અ વ ત ર ણ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૧.
ટીકાવિદ્યાનું મહત્ત્વ

જે ગ્રંથો ઉપર ટીકા થાય છે, તે ગ્રંથો જો સારા હોય છે તો તે વધારે ખપે છે. અલબત્ત, થોડી સમજના અને થોડી વિદ્યાના પુરુષો ચોપડી કહાડીને મોટું માન મેળવી જાય તેનો અટકાવ થવો જોઈએ. જે ડાહ્યો ગ્રંથકાર છે અને જેને સુધરવાની ઇચ્છા છે, તે તો પોતાના ગ્રંથો પર સારી અથવા નરસી ટીકા થઈ જોવાથી ટીકા કરનાર ઉપર દ્વેષ રાખતો નથી, પણ ઊલટો એનો આભાર માને છે. જે ટીકા કરાવવાથી બીહે છે, તે અધૂરો છે. પણ ટીકા કોણે કરવી? જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી, તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય.

નર્મદ
[‘ટીકા કરવાની રીત’ – ‘નર્મગદ્ય’(1865)માંથી]




૨.
વિવેચકનું કર્તવ્ય

વિવેચક જૂના શિષ્ટ ગ્રંથોનું ઉત્તમ વિવેચન આપે એટલું જ પૂરતું નથી, એની શક્તિની કસોટી તો રચાતા આવતા સાહિત્યને તારતમ્ય બુદ્ધિએ તપાસી એની અંતર્ગત શક્યતાઓ અને સિદ્ધિઓ પોતાની ઘડાયેલી રુચિ વડે ઓળખી કાઢી એની સાચી મુલવણી કરવામાં છે. પ્રચલિત પરંપરાગત રૂપોની ઓળખ તો સામાન્ય ભાવકોને પણ હોય. પણ પરંપરાના શેરડા કાળે કરીને ઊંડા ચીલા બની ગયા હોય ત્યારે આડેધડે રસ્તો કરતા નવયાત્રીઓની પ્રવૃત્તિઓ પર જે નજર રાખતો રહે અને એ પ્રવૃત્તિઓ કેટલે અંશે ખરેખર કાર્યસાધક છે એ દર્શાવતો રહે એ સૌ ભાવકોનો અગ્રેસર એવો વિવેચક ગણાય.

ઉમાશંકર જોશી
[‘શૈલી અને સ્વરૂપ’(1960)માંથી]



3.
વિવેચન અને ગ્રંથકાર

આપણામાંના ઘણાને વારંવાર જે વિચારો આવતા હોય છે, પણ મન મોકળું મૂકીને કહી નાખવાની હિંમત ચાલતી નથી, તે વિચારો રોબર્ટ લિન્ડના નીચે લખ્યા લેખમાંથી સાંપડે છે :

ગ્રંથકાર બનવાનો પ્રારંભ કરતાં પહેલાં છાતી લોખંડે મઢી લેજો. આટલી વાતની ગાંઠ વાળજો :

1. જેમ લેખકને, તેમ વિવેચકને પણ છૂટથી બોલવાનો હક છે.

2. જેમ લેખકોમાં, તેમ વિવેચકોમાં પણ સારા, નરસા ને વચલા એવા ત્રણેત્રણ વર્ગો હોય છે.

3. વિવેચક દ્વેષ કે કૂડ વગર ગ્રંથકાર પર કડક કલમ ચલાવી શકે છે.

4. રાજકારણમાં આપણે સૌએ એકમત બનવું જોઈએ એમ કહેવું જેટલું હાસ્યાસ્પદ છે, તેટલું જ હાસ્યાસ્પદ આપણે સાહિત્યમાં એકમત બનવું એમ માનવા-મનાવવા નીકળવું તે છે.

5. ટીકા કે વિવેચનથી મુક્ત રહેવાનો ઘમંડ આજે તો સરમુખત્યાર સિવાય કોઈ ન સેવી શકે.

ઝવેરચંદ મેઘાણી
[‘કલમ અને કિતાબ’, સંપા. મહેન્દ્ર મેઘાણી (1987)માંથી]



૪.
વિચારપરિવર્તન માટેના તરીકા

સાહિત્યના કેટલાક વૈષમ્યવીરોની એક દલીલ એવી હોય છે કે ગુજરાતની આ ઊંઘાળવી જડ પ્રજામાં જાગૃતિ આણવા માટે તેને શબ્દાર્થના વિષમ આઘાતો કરવાની આજકાલ ભારે જરૂર છે. એને લીધે કંઈક જાગૃતિ આવે છે, જીવન પ્રગટે છે, સજીવતાનો ફાલ તો ઊતરે છે, માટે અમે આઘાત કરીને પણ પ્રજોદ્ધાર જ કરીએ છીએ એવું કંઈક એ પક્ષનું મંતવ્ય છે. એ પદ્ધતિ ઊંઘતા માણસને ઉઠાડવા માટે ધોકાનો ઉપયોગ કરવા જેવી છે. અને તેમ કરતાં છતાંયે, શું આવા આઘાતો કદી પ્રજામાં સંગીન કે ચિરકાલીન જાગૃતિ આણી શકે ખરા? ન આણી શકે. એથી ઊલટું, જેમ જીવશાસ્ત્રના અભ્યાસી મૂએલા દેડકામાં વીજળીના પ્રવાહનો સંચાર કરીને તેને ચોમેર પગ ઉછાળતો બનાવી શકે છે, અને પ્રવાહ થંભતા એવી ‘સજીવતા’વાળા દેડકામાંથી પાછું મુડદું જ છેવટ થઈ જાય છે, તેમ સમાજના સૂક્ષ્મ શરીરને વીજળિક સાહિત્ય દ્વારા ઝટકા દેનારા માણસો ફક્ત નકામો તાત્કાલિક ખળભળાટ કરી જાય છે. જડ પ્રજાશરીરો અનામય બને છે તે એવા ઝટકાઓથી નહિ પણ વિચારનાં સાત્ત્વિક અને સંશુદ્ધિવંત પરિવર્તનોથી જ.

વિજયરાય ક. વૈદ્ય
[‘કૌમુદી’ સં. 1983, વૈશાખ (ઇ.1927)]



૫.
વિવેચકની સત્યનિષ્ઠા

વિવેચકમાં સત્યનિષ્ઠા હશે અને સારી સાહિત્યભક્તિ હશે તો સૌ સાહિત્યસર્જકો સાથે ભળતો છતાં તેમની કૃતિને મૂલવવાનું આવશે ત્યારે કૃતિને એમનાથી અલગ પાડીને એને વિશે વિચારશે અને કહેવા જેવું લાગે તે કહેશેય તે. એ કોઈની શેહ-શરમમાં પોતાનો ધર્મ ચૂકશે નહીં. નિષ્પક્ષતા, તટસ્થતા, સમતોલપણું, સ્પષ્ટ-વક્તૃત્વ, નીડરતા ઇત્યાદિ ગુણનામોનો જાપ ઘણીવાર વિવેચકનાં ગુણલક્ષણો વિશે બોલતાં-લખતાં થાય છે. એ બધા ગુણો સત્યનિષ્ઠામાં સમાઈ જાય. સત્યનિષ્ઠ હશે જો વિવેચક, તો એ નિષ્પક્ષ રહેવાનો અને સમતોલ પણ રહેવાનો. ‘સમતોલ રહેવાનો’ એનો અર્થ સમતોલ દેખાવા માટે ગુણ અને દોષ સામસામાં પલ્લાંમાં મૂકી વચ્ચેથી ત્રાજવાની દાંડી તે ઝાલવાનો, એમ નહીં; એનો અર્થ એટલો જ કે જો એને બીજી રીતે સત્ત્વશાળી કૃતિમાંય બેચાર દોષ દેખાયા હોય, અને કોઈ દોષપ્રધાન કૃતિમાં કંઈ ગુણાંશ દેખાયો હોય તો તે નિર્દેશ્યા વિના એ રહે નહીં.

અનંતરાય રાવળ
[‘સાહિત્યનિકષ’ (1958)માંથી]



૬.
સંપાદનનું મહત્ત્વ

મારી કૃતિઓ ‘કુમાર’ જેવાં અગ્રગણ્ય માસિકોમાં છપાવી શરૂ થઈ તે પ્રારંભિક કાળમાં હું પ્રેરણા ઉપર ખૂબ મદાર બાંધતો. એક જ બેઠકે કોઈ ચેકાચેકી કર્યા વિના કૃતિ સર્જવાની શક્તિનો મને ફાંકો હતો. અને એ લખાયા બાદ ક્યારેય એક કાનોમાતર કે અલ્પવિરામ ફેરવવાની જરૂર ન પડી તે વાતનો વળી વધારે ફાંકો હતો. મને દહેશત છે કે આવી શક્તિનો ફાંકો હજી પણ કોઈ પુખ્ત ઉંમરના હિંદીઓ રાખે છે. પ્રેરણા જેવું સર્જનમાં બીજું કંઈ બળ નથી એ તો પુરવાર છે. અને પહેલા જોશમાં લખાયેલા પદ્યમાં કે ગદ્યમાં વસ્તુ અને શૈલીનો નૈસગિર્ક વિનિમય હોય છે. પણ તેમ છતાં સંપાદનનું મહત્ત્વ બહુ જ મોટું છે તે હું મારા આધુનિક અંગ્રેજી સાહિત્યપ્રવૃત્તિના સમાગમથી પકડી શક્યો. વાચકને મન, વિવેચકને મન તો અંત-કડીની જ, એટલે કે સર્વ પ્રયત્નોને અંતે પાકા માલની જેમ જે રજૂ થાય છે તેની જ સાથે નિસબત છે. લેખકે એ એક જ બેઠકે સર્જી હોય કે એ કૃતિના અનેક પાઠ બનાવ્યા હોય, એમાં કાપકૂપ કે ઉમેરણી કરી હોય, વાક્યોને અહીંતહીં સમાર્યાં હોય, ફકરાઓનું કે કડીઓનું શિલ્પ સુઘટિત કર્યું હોય – એ મુદ્દાની હોડ નથી. મૂલ્યાંકન તો થવાનું અંતે છપાયેલી, પીરસેલી, પ્રત ઉપરથી.

કૃષ્ણલાલ શ્રીધરાણી
[‘પુનરપિ’ (1961)ને અંતે ‘કાવ્યવસ્તુવિસ્તાર’ માંથી]



૭.
બાળવાર્તાની શોધ

બાલવાર્તાની શોધમાં ફરતાં હું બીજા દેશોના લોકસાહિત્યમાં પ્રવેશ્યો. વિશ્વના વિદ્વાનો ભારતને વાર્તાનું પિયર માને છે. દરિયો ખેડનારાઓ, કાફલાઓ લઈને હજારો ગાઉની ધરતીની ખેપ કરનારાઓ પોતાની સાથે કેવળ ધનમાલ નહિ, વાર્તા-સમૃદ્ધિ અને વાર્તા-સંસ્કૃતિ પણ લઈ જતા. મેં મનથી સાગરખેડુ, રણખેડુ, પહાડખેડુ બનીને દેશ-વિદેશની યાત્રાઓ કરી અને એમાં જે રત્નો મળ્યાં તે મેં પહેલ પાડીને, વાન અને વાઘો બદલવો પડે તો બદલીને ગુજરાતી બાળકોની આગળ રજૂ કર્યાં. આ વાર્તાઓમાંની ભાગ્યે જ કોઈ વાર્તા જે રૂપમાં મળી તે રૂપમાં મેં જેમની તેમ રજૂ કરી હશે, કારણ કે મારો એ ઉદ્દેશ નહોતો. હું પુરાતત્ત્વનો સંશોધક નથી કે લોકસાહિત્યનો તુલનાત્મક અભ્યાસી નથી. હું તો માત્ર બાળસાહિત્યનો લેખક છું. વસ્તુ બાળકની આગળ રજૂ કરવા જેવું છે કે કેમ તે હું પહેલું જોઉં. પછી તે કેવી રીતે રજૂ કરવું અને તેનો સંદેશો કેવી રીતે વ્યક્ત કરવો – ગૂઢ રાખીને કે અગૂઢ રાખીને, બોધનો ભાર મારા કે બાળકના માથે રાખ્યા વિના જ – તે વિચારી લઉં અને તે પ્રમાણે લખું.

રમણલાલ સોની
[‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ (1997)નું સ્વીકાર-વક્તવ્ય]



૮.
યંત્રવિજ્ઞાનની પરંપરા

યંત્રવિજ્ઞાનનો આ ઇતિહાસ પરિવર્તન, સર્જન અને સ્થળાંતરની એક અખંડ પરંપરા છે, આગળ કહ્યું તેમ યંત્રવિજ્ઞાન ભૌતિક વિશ્વનું, પ્રકૃતિનું, પદાર્થોનું પરિવર્તન કરે છે અને એ દ્વારા કૃત્રિમ પદાર્થોનું સર્જન અને સ્થળાંતર કરે છે. યંત્રવિજ્ઞાનની આ પ્રક્રિયા કોઈ કાળમાં, સંસ્કૃતિ યુગ પૂર્વે અને ઔદ્યોગિક યુગ પછી થયું હતું તેમ, ત્વરિત ગતિથી થાય છે તો કોઈ કાળમાં, સંસ્કૃતિ યુગથી ઔદ્યોગિક યુગ લગી થયું હતું તેમ, મંદ ગતિથી થાય છે – પણ એની એક અખંડ પરંપરા છે.

નિરંજન ભગત
[‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ (1975)]


૯.
વિવેચકનો કાવ્યવિવેક

અલબત્ત, દરેક વિવેચકની કવિતાવિવેકની વ્યવહારુ પ્રવૃત્તિની પાછળ એને અભિપ્રેત કાવ્યસિદ્ધાન્ત ડોકિયું કરવાનો જ. વારંવાર એને કોઈ ને કોઈ કાવ્યસિદ્ધાંતો સાથે મેળ કે વિરોધ દાખવવાના પ્રસંગો પણ આવવાના. ક્યાંક સીધી સિદ્ધાન્તચર્ચામાં ઊતરવાનો પણ પ્રસંગ આવે એ અસંભવિત નથી. વિવેચક હંમેશાં કાવ્ય ‘વિશે’ નહિ પણ કાવ્ય ‘સાથે’ મથામણ કરી રહ્યો હોય છે, એટલે કાવ્ય સાથેની પ્રત્યક્ષ મથામણમાં જેટલાં કાવ્યવિચારમંથનો મદદરૂપ થાય એવાં હશે તે બધાંનો એ જરૂર આદર કરવાનો. પણ સતત એણે કાવ્ય સાથે હાથ મિલાવેલા હશે અને એની ઉષ્મા અનુભવતાં અનુભવતાં જ – બલકે એ ઉષ્માધબકનો આનંદ બીજાઓને ઓળખાવવા-પહોંચાડવામાં ઉપકારક થાય એ પૂરતી – પરોક્ષ ચર્ચાને એ આવકારશે. કાવ્ય સાથેના પ્રત્યક્ષ સંબંધ સાથે સંકળાયેલા અનેક નાનામોટા પ્રશ્નોને તાત્ત્વિક દૃષ્ટિએ એણે ચર્ચવાના રહેવાના. પણ કાવ્યથી દૂર ચાતરી પરોક્ષ ચર્ચામાં જ વિવેચક ગૂંચાઈ જાય તો એણે સમજવું જોઈએ કે વિવેચનની નહિ પણ તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિ એ કરી રહ્યો છે. આ ભેદ ખ્યાલમાં રહેવો જોઈએ.

ઉમાશંકર જોશી
[ઠક્કર વસનજી વ્યાખ્યાનો, 1959: ‘કવિતાવિવેક’(1997)માંથી]


૧૦.
હકીકતની શુદ્ધિ

હકીકતની શુદ્ધિ માટે આપણે પૂરતો આગ્રહ કેળવી શક્યા નથી. આ વાતનું સમર્થન હું એક બીજી રીતે પણ કરવા ઇચ્છું છું. કોઈ પણ કામ સંપૂર્ણ શુદ્ધ રીતે કરવું ઘણું મુશ્કેલ હોય છે. નાનીમોટી થોડી ભૂલો રહી પણ જાય. પણ એ ભૂલોની જાણ થયા પછી એ સુધારવા માટે જે કંઈ ઉપાયો હાથમાં હોય તે ઉપાયો કરવાની તત્પરતા આપણે બતાવીએ છીએ ખરા? ભૂલો વધારે હોય તો થયેલા કામને રદ કરવાની આપણામાં હિંમત હોય છે ખરી? ગાંધીજીએ ગોખલેના લેખોના નબળા અનુવાદની છપાયેલી નકલો પસ્તીમાં પણ ન કાઢતાં બળાવી દીધેલી. અને આ એ ગાંધીજી હતા જે વપરાયેલાં કવરોને પણ ફાડીને ઉપયોગમાં લેતા હતા. પ્રજાને સાચું જ્ઞાન, સાચી માહિતી ન આપી શકીએ પણ ખોટું જ્ઞાન, ખોટી માહિતી તો કેમ અપાય?

જયંત કોઠારી
[‘સાહિત્યિક તથ્યોની માવજત’ (1989)માંથી]