વંઠેલાં અને બીજી નાટિકાઓ/વંઠેલાં

From Ekatra Wiki
Revision as of 12:31, 12 October 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
વંઠેલાં


પાત્રો

પુરુષ
ભોળાનાથ : જ્ઞાતિના અગ્રેસર
અનંત : ભોળાનાથનો જુવાન પુત્ર
વૈદ્યરાજ, વીરેશ્વર,
    વિશ્વનાથ : જ્ઞાતિજનો
લક્ષ્મીધર : અનંતનો સસરો
આચાર્ય : સરસ્વતી વિદ્યાલયના ઉપરી
ચંદુ, મહેશ્વર,
    યદુનંદન : વિદ્યાલયના છાત્રો
શંકર : એક યુવક જમાદાર, પોલીસ, કલ્યાણ, રૂસ્તમ વગેરે.
સ્ત્રીઓ
કંચન : અનંતની પત્ની
ઉમા : અનંતની વિધવા બહેન

પ્રવેશ પહેલો

[સમય સૂર્યાસ્તનો. બજારના ખૂણા પરની એક સોડા-લેમનની દુકાને, પગથી ઉપર ઊભો ઊભો જુવાન અનંત એક હાથમાં લેમન–આઇસનો ગ્લાસ ઝાલી ધીરે ધીરે પીણું પીવે છે. બીજે હાથે ગજવાનો રૂમાલ ફરફરાવતો મોં પર પવન ઢોળે છે. બન્ને પગ સહેજ પહોળા છે. લજ્જતથી ઊભેલ છે. ટોપી બગલમાં મારી છે. સામી દિશામાંથી એના કરતાં સહેજ મોટી વયનો જુવાન કલ્યાણ આવે છે. કલ્યાણના દીદાર અનંતથી ઊલટા છે. કચ્છને બદલે આગળ-પાછળ પાટલીવાળું ધોતિયું, બફારો સિતમ હોવા છતાં પૂરાં પાંચેય બટને બીડેલો કોટ, માથાના વાળ જરીકે ન દેખાય તેમ બાંધેલો ફટકો, ને હાથમાં અભ્યાસમાં એની એકાગ્રતા બતાવતી એક ચોપડી.]

અનંત : કાં, વિસર્જન થઈ ગઈ ન્યાત?
કલ્યાણ : થવાની તૈયારીમાં છે. ફેંસલો અપાઈ ગયો.
અનંત : હા, એ તો અપાયો જ હશે ને! હું એ બધા ન્યાયધર્મના કડક વિચારની આગ સહન ન કરી શક્યો એટલે જ ઠંડો થવા સારુ વહેલો નીકળી ગયો. ફેંસલો તો શો, એ જ ને?
કલ્યાણ : હા, ભદ્રમુખની વહુને ધનેશ્વરજીએ પાછી ઘરમાં તો રાખવાની ના જ પાડી, ને ન્યાતે પણ એ વાજબી ઠરાવ્યું. મુસલમાનના ઘરમાં બે રાત એ રહી આવી...
અનંત : સાલાઓ! રહી આવી? કે જોરાવરીથી ગુંડાઓ ઉઠાવી ગયા? ને સગા સસરો-જેઠ પોતાની બારીમાંથી એને ચૂંથાતી જોતા રહ્યા! બારી બીડી દીધી!
કલ્યાણ : એ તો પ્રશ્ન નીકળેલો; પણ બધાએ કહ્યું કે ગમે તેમ, બાઈએ તો જીભ કરડીને મરવું જ જોઈતું’તું. બાકી એ જઈ આવી, કે એને જોરાવરીથી લઈ ગયા, બેઉનું પરિણામ તો એક જ ના? બાઈ ભ્રષ્ટ બની. માટે જો બાઈ સાચવીને એના પિયરમાં કે બીજે ક્યાંય બેસી રહે, તો માસિક રૂપિયા ત્રણની જીવાઈ ધનેશ્વરજીએ પૂર્યા કરવી. ને જો એને મુસલમાન કે કિરસ્તાન બની જવું હોય, તો પણ બેલાશક છૂટ છે.
અનંત : [દુકાનવાળાને] રહેમાનભાઈ, બીજો ગ્લાસ ભરી દેજો તો! તરસ છીપતી નથી. [જોરથી રૂમાલ ફરકાવે છે. કલ્યાણને પૂછે છે.] અને ભદ્રમુખ કશુંય ય ન બોલ્યો?
કલ્યાણ : નીચે મોંએ ધરતી ખોતરતો હતો. વહુની મા આવીને ઊભેલાં તેણે કહ્યું કે જમાઈનું પોતાનું મન શું છે? ત્યાં તો સહુ કાગારોળ કરી ઊઠ્યા કે બાઈ, જમાઈ આવી બાબતમાં કંઈ ન જાણે. ઘેર જાઓ. પછી તો એ ચંડિકા ઝાલી રહે? એ ‘મારા રોયાઓ! છાજિયાં લઉં તમારાં : ઠાઠડી નીકળે તમારી! વહુ-દીકરીઓ તમારી સહુની પણ આમ જ કળકળજો!’ એવું એવું કહેતી ને માથું કૂટતી સાસુ ચાલી ગઈ. ન્યાતીલા બધા પેટ પકડી પકડીને દાંત કાઢતા રહ્યા.
અનંત : રહેમાનભાઈ, ઝટ એક બીજો ગ્લાસ! [સ્વેદ લૂછે છે.]
કલ્યાણ : અનંત, દુકાનની અંદર બેસીને પી તો!
અનંત : કેમ? તો તું પણ લઈશ?
કલ્યાણ : ના, હું હવે જઈશ. [સામી બાજુએ કોલાહલ થતો હતો તે તરફ ચમકી ચમકીને નજર કરે છે.]
અનંત : કેમ ગભરાય છે?
કલ્યાણ : ન્યાત વાડીમાંથી નીકળતી લાગે છે. હું જાઉં છું. તું ભલો થઈને અંદર બેસીને પી.
અનંત : પણ શું છે તે?
કલ્યાણ : ત્યાં તારી વાત પણ છેલ્લે છેલ્લે નીકળી હતી. તારી આવી છાકટાઈ માટે બાપાને સહુએ ખૂબ ખૂબ ઝાડ્યા. કહે કે આજ તો આવી નફટાઈથી સોડા-લેમન પીવે છે, ને કાલે તો દારૂ-તાડી પણ પીવાનો.
અનંત : એ...મ? એટલી બધી મારા સદાચારની કાળજી? ઠીક, તું તારે જા, ભાઈ. તારે હજુ ઘણાં ભાંડરડાં વરાવવાં-પરણાવવાં બાકી છે ખરાં ને!

[કલ્યાણ ચાલી નીકળે છે. થોડે દૂર જાય છે ત્યાં —]

અનંત : અલ્યા કલ્યાણ, એક તાલ જોવો છે? ખૂણે છુપાઈને ઊભો રહે.

[ન્યાતીલાના ટોળાને સામેથી આવતું દેખે છે કે તરત ત્યાંથી થોડે દૂર આવેલી એક વિલાયતી દારૂવાળા પારસીની આલેશાન દુકાનના આગલા ઓટા પર અનંત ચડે છે, ખુરસી પર પગ પહોળા કરીને બેસે છે, અને વિસ્મય પામેલા દુકાનદારને કહે છે —]

રૂસ્તમજી દોસ્ત, જલદી જલદી, એક ગ્લાસ રાસ્પબરી અને આઇસ. ચોખ્ખો રાસ્પબરી, હાં? જરા ટીખળ.

[‘ટીખળ’ શબ્દની જાદુઈ અસર પામતો જુવાન રૂસ્તમજી લાલ ગુલાબી રાસ્પબરીનો ગ્લાસ અનંતને ભરી આપે છે.]

રૂસ્તમ : બે ડ્રોપ રમનાં મિલાવી આપું, દોસ્ત? તબિયત ખુસ બની જસે, ને તીખલ કમ્પ્લીટ બનસે, હાં ડીકરી!
અનંત : અરે નહિ રે યાર! હું તો શુદ્ધ બામણિયા ટિખળ કરવાનો છું. લે હવે ખસી જા બાજુ પર. જો અમારા સ્વર્ગના દ્વારપાળો આવે.

[જ્ઞાતિજનોનું ટોળું હસાહસ કરતું, પરસ્પર તાળીઓ દેતું, ભદ્રમુખની વહુને માટે પ્રાયશ્ચિત્ત હોય કે ન હોય તેના આધારના શ્લોકો બોલતું નજીક આવે છે. ‘तस्मात, इति, श्रुतिकार :’ એવા ગડબડાટ સંભળાય છે.]

એક જ્ઞાતિજન : પ્રાયશ્ચિત્ત તો હોવું જ જોવે. હમણાં જ વેશ્યાની સાથે વિવાહ કરનાર શ્રી દામોદરલાલજીને કેમ પ્રાયશ્ચિત્ત આપ્યું!
વૈદ્યરાજ : હવે તમે સમજો-કરો નહિ ને શી કૂટ કર્યા કરો છો, કાશીરામ? એ કિસ્સામાં પ્રથમ તો શ્રી દામોદરલાલજી પુરુષ યોનિ છે, ને વળી ધર્મના આચાર્ય છે. એની કક્ષામાં તમે ભદ્રમુખની બાયડી સૂરજને મૂકો છો! અને હંસા ભલે વેશ્યા હતી, પણ મુસલમાન થોડી હતી?
અનંત : [રાસ્પબરી પીતો પીતો] મુરબ્બીઓ! હું શ્રી દામોદરલાલજી, હંસા અને ભદ્રમુખના માનમાં આ પીઉં છું, હો કે?

[આખું ટોળું એ અવાજની બાજુએ તાકે છે. પેટ્રોમેક્સ બત્તીના પ્રકાશમાં અનંતના હાથનો ગ્લાસ ગુલાબી પીણાની પારદર્શકતા વડે દીપી રહે છે. અનંતની પીઠ જ આ ટોળા તરફ છે.]
‘શિવ! શિવ! શિવ!’ કરતું ટોળું નીચાં મોઢાં ઢાળી ચાલ્યું જાય છે.

વૈદ્યરાજ : હું હજુ હમણાં જ નહોતો કહેતો? આ પરિણામ નજરોનજર દીઠું. હવે તો માનશો ને, કાશીરામ?
વિશ્વનાથ : વૈદરાજની ભવિષ્યવાણી જેવી વૈદકમાં અફર છે તેવી જ આંહીં પણ સિદ્ધ થઈ. અફર છે એની ગણતરી. દરદી પાંચમે દા’ડે મરી જશે એમ બોલે પછી છઠ્ઠો થાય નહિ. અનંતનું પણ લેમન સોડામાંથી દારૂએ ઊતરવાનું ખરું ભાખેલું, ભાઈ!
બીજો જ્ઞાતિજન : ભાઈ, આ વિષય એવા સંતોષનો નથી. આ તો ચોરી ઉપર શિરજોરી. ક્યાં છે અનંતના પિતા? દીઠાં કે નહિ એમણે દીકરાનાં પરાક્રમ? દેખાડો.
ચોથો જ્ઞાતિજન : ડોસા ક્યાંઈક પલાયન કરી ગયા. શું મોં લઈ ઊભા રહે?

[ટોળું અદૃશ્ય થાય છે. કેટલાક ખાસ રસિયાઓ આઘે આઘે ઊભીનેહજુ અનંત તરફજુએ છે.]

પહેલો જ્ઞાતિજન : મારો બેટો માણે છે ને! આપણું તો ચોરીછૂપીથી જ જીવવામાં જીવતર ધૂળ થયું.
બીજો જ્ઞાતિજન : ‘આવરદા વ્યર્થ વીતાવી’વાળા ગાયન જેવું.

[પછવાડે જોતા જોતા બધા વીંગમાં ચાલ્યા જાય છે.]

અનંત : રૂસ્તમ! કેટલા પૈસા?
રૂસ્તમ : અરે ચાલ રે પૈસાદાર મોટા! તારું તે લેવાય? સાથે ભનેલા, ને વલી આ તો તીખલ હૂતું!
અનંત : થેન્ક યુ, દોસ્ત! પણ કોર્ટમાં સાહેદી આપવી પડશે હો!
રૂસ્તમ : બેશક. સાલાઓને ત્હાં કોર્તમાં તો બરાબર બનાઉં. અમારે પારસાંની નાતમાં બી એ જ ધમરોલ છે, યાર! પેલી પારસન છોકરીને બસ ડંડા વતી આડા ફરીને પેલા એના દકસ્ની લવર સાથ ન જ અદરાવા દીધી. પેલો ત્રેન તલે ચગદાઈ મૂવો. નાતના ધમરોલ બી ગઝબ છે, ડીકરી.
અનંત : રૂસ્તમ! એક વાત પૂછું, દોસ્ત? તું કોઈ બામણીની સાથે શાદી કરે ખરો?
રૂસ્તમ : અરે બોલ ના, યાર! બાવાજી મારી જ નાખે! આટલું બધ્ધું તીખલ કે ડીકરી?
અનંત : રૂસ્તમ, ટીખળ નથી, અંદરની આગ છે. અમારી એક જુવાન રૂપાળી બાઈને આ ન્યાતીલાઓએ મળીને આજ વાઘ-દીપડાના મોંમાં ફેંકેલ છે. આ ટીખળની પછવાડે એ દાઝ ભરી હતી, ભાઈ! [ધીરે ધીરે ચાલી નીકળે છે.]
રૂસ્તમ : [સ્વગત] બચ્ચો ફોગટનો સલગે છે બીજાઓને વાસ્તે. અસલ જાને એન્જીનનું બચ્ચું! [હસે છે. પડદો પડે છે.]


પ્રવેશ બીજો

         સ્થળ : ભોળાનાથનું ઘર. સમય : તે જ દિવસ સાંજના આઠનો.

[ભોળાનાથની વિધવા પુત્રી ઉમા અને એની પંદરેક વર્ષની યુવાન ભાભી કંચન ઉંબરમાં બેઠેલ છે. ભોજાઈ પોતાની ગોરી હથેળીઓમાં દીવાની દીવેટો વણે છે, ને ઉમા ભાભીના માથા પર મીઠાશથી હાથ પંપાળે છે. ભાભીના હાથમાંથી વણાઈને નીચે પડતી વાટ્યો તરફ જોઈને —]

ઉમા : ખરે જ, ભાભી, રૂપાળી મોગરાની કળીઓ જેવી દીવેટો કરો છો, હો!
કંચન : બાપાજીને પૂજામાં ખૂબ ગમે તેવી કરવી જોઈએ ને!
ઉમા : તારો વર તો પૂજા-ફૂજાનો કટ્ટો વેરી નીકળ્યો છે. એ તને વઢતો નથી આ વાટ્યો સારુ?
કંચન : એનું વઢવું પણ જુદી જ જાતનું છે ને? બે વાટ્યો વધુ કરાવીને પછી રાતે દીવીમાં પેટાવી મારી જ આરતી ઉતારે છે. કહે કે બાપાજી પૂજે એની અંબાજીને, તો હું પૂજું મારી શીકોતરને!
ઉમા : રઢિયાળો! વહુ પાછળ તો ઘેલુડો જ ફરે છે. કેમ જાણે સાત અવતારે માંડ — [ભોળાનાથ દાખલ થાય છે.]
ભોળાનાથ : [હાંફળા ફાંફળા] ઉમા! કોઈ ન્યાતીલા આવ્યા હતા?
ઉમા : ના, બાપુજી.
ભોળાનાથ : અનંતીયો આવી ગયો?
ઉમા : ના, કેમ તમે આજ આકળા છો, બાપુજી?
ભોળાનાથ : ઉમા, વહુને અત્યારે ને અત્યારે એના બાપને ઘેર મૂકી આવો.
ઉમા : કેમ એમ? હજુ તો એ જમ્યાં ય નથી.
ભોળાનાથ : તો જમાડી લ્યો. અનંતના કૅફની હવે હદ થઈ ગઈ. પરણાવ્યો ત્યારથી બેઆબરૂના ગણેશ બેઠા છે. જ્યાં સુધી એની ઓરડીમાં પેસીને એનાં તેલઅત્તરો; પોમેટમો વગેરે એલફેલ ચલાવતો ત્યાં સુધી તો ફક્ત ઘર જ ગંધાઈ ઊઠતું. આજે હવે આખી ન્યાતમાં એની બદબો ઊઠી છે.
ઉમા : પણ બાપુજી, એમાં ભાભીનો શો ગુનો?
ભોળાનાથ : વહુએ એને વાર્યો જ નથી. વહુ થકી જ એનો ઉન્માદ પોષાયો. હવે દીકરાનો મદ ન ઊતરે ત્યાં સુધી વહુ પિયરમાં જ રહે. મૂકી આવો વેળાસર. વધુ પૂછશો નહિ.

[ભોળાનાથ અંદર ચાલ્યા જાય છે. પગનાં જોડાં ને હાથમાંની લાકડી, માથાની પાઘડી ને શરીર પરનાં લૂગડાં ઉતારીને જેમ તેમ ફગવતા હોય છે, તે દૃશ્ય દૂર દૂરથી દેખાય છે. નણંદ- -ભોજાઈ પણ અંદર જાય છે. બહારથી આવેલો અનંત વીંગની આડશે ઊભો ઊભો શાંતિથી હસે છે. એણે પિતાની કોપવાણી સાંભળી છે.]

અનંત : [માથાની વિખરાયલી લટો બાદશાહી રીતે હાથ ફેરવી સમારતો સમારતો સ્વગત] બાપુજી મારાં તેલ-અત્તરો અને પોમેટમોની પાંચ સીસી પર ઊતરી પડ્યા! ત્રણ પેઢીથી તમે બધા કેવળ છીંકણી, છાણના છોકા અને ઘીના દીવામાં જ તમારા જીવન-રસ રૂંધી રાખેલ છે ને, બાપુજી, તેનું આજે કુદરત મારી મારફત વૈર વાળે છે, હાં કે? બિચારાં મારાં બા : સાંભળું છું કે રાતે બાર વાગ્યા બાદ સાસુના પગ ચાંપીને પછી જ મેડીએ જઈ શકતાં, ને દિવસ બધાના વૈતરામાં ગંધાઈ ગએલો સાડલો પહેરીને જ સૂઈ રહેતાં. પવન પણ એ મેડીમાં પેસી શકતો નહિ. ચંદ્ર પણ ડોકિયું કરી શકતો નહિ. આજે એ જ મેડીમાં મારી કંચનને હું પવન અને ચંદ્રની લાજ કઢાવ્યા વગર હીંડોળે ઝુલાવું છું. માનાં દુઃખોનું વૈર વાળું છું. એ હીંડોળાના કિચૂડાટ પાડોશીઓનાં કલેજાંને કરડે છે...

[ઘરમાંથી ઉમા અને કંચન નીકળે છે. અનંતને દેખે છે.]

ઉમા : અનંતભાઈ, આવ્યા તમે? બાપાજી...
અનંત : હું બધું જ સાંભળી શક્યો છું, ઉમા! લાવ તો એ ફાનસ.


[ઉમાના હાથમાંથી ફાનસ લઈને જ્યોતને સતેજ કરે છે. કંચનના મોં સામે ધરે છે.]
         નહિ, નહિ, આ હરીકેનની ઘાસલેટિયા બત્તી શું તારી સુંદરતા બતાવી શકતી’તી?
[ખીસામાંથી. વીજળીની નાની ટોર્ચ કાઢીને ચાંપ દાબી કંચનના મોં પર રોશની ફેંકે છે.] બસ! હવે દેખી શકાય છે. આંસુની સુકાયેલ ધારા પણ સ્પષ્ટ છે.

ઉમા : અનંતભાઈ! ગાંડાં શું કાઢો છો? બાપાજી સાંભળશે.
અનંત : સાંભળશે તો સ્ત્રી પ્રત્યેની મારી લાગણીથી પ્રસન્ન થશે ને? બસ, જોઈ લીધી હવે. એ જ મુખ આજ રાતે મારા ભેગું જ રહેશે. જો, કંચન, ત્યાં તારા બાપને ઘેર તું મેડી પરથી મંગળના તારા સામે તાકજે, હું યે તાકીશ, આપણા બેઉની આંખોના કિરણો ત્યાં એકત્ર થશે — મંગળમાં. અને જો! [નજીક જઈને કાનમાં] કાલે સાંજે, જાગનાથની દેરીમાં બરાબર ચાલાકી કરીને આવજે, હાં? [કાનની બુટ તાણીને નાની-શી ટાપલી મારે છે.] પધારો હવે. નહિતર અનંતીયો વીફરી જશે!
પ્રવેશ ત્રીજો

         સમય : ઉપલો બનાવ બની ગયા બાદ કેટલાક દિવસે.

         સ્થળ : સરસ્વતી વિદ્યાલયનો નાનો-શો ઓરડો.

[અનંતના પિતા ભોળાનાથ અને વિદ્યાલયના આચાર્ય પ્રવેશ કરે છે.]

આચાર્ય : આપ આંહીં બેસો. હું બરાબર બંદોબસ્ત કરીને આવું છું. [મૂઠ્ઠી હલાવતાં] પાકા જાપ્તાની જરૂર છે. બહુ ગંધીલો છોકરો છે એ.
ભોળાનાથ : સાચી વાત છે. જાણશે તો ચેતી જશે.
આચાર્ય :

[આગળની વીંગ પાસે આવીને ત્રણ તાળીઓ પાડે છે. પટાવાળો આવે છે; પટાવાળાને ધીરે અવાજે, મોંની બન્ને બાજુ હાથનું મેગોફોન રચીને કહે છે.]

         દરવાજે બેસજો. અહીં કોઈને આવવા ન દેજો. હું આંહીં છું એ ખબર ન પડવા દેજો. કોઈ પૂછે તો કહેજો કે શહેરમાં ગયો છું.
[અંદર આવે છે. બારણું ભીડે છે. બાછલી બારી પણ બંધ કરે છે. પછી ભોળાનાથની પાસે આવે છે.]

આચાર્ય : જાપ્તાની બહુ જરૂર પડે છે. વિદ્યાલયનું કામ એવું કપરું છે. મન જાણે છે!
ભોળાનાથ : સાચું છે. અમે સમજીએ છીએ કે શહેરનાં સારાં માણસોને પેટની ઊંડી વાતો ખોલવાનું આ એક જ ઠેકાણું છે.
આચાર્ય : સારાં કે નરસાં જે આવે તેને સાંભળવાં પડે છે, ભાઈ! મૂંઝવણના માર્યા સરકારી અમલદારો પણ આવે છે, ને સ્ટેશન માસ્તરો પણ માર્ગ કઢાવવા આવે છે. ફસાઈ ગયેલી બહેનોને પણ કોણ જાણે કોણ બસ આંહીંનો જ [સ્તો બતાવી દે છે. ફાળા કરનારા પણ આવીને અમને જ મોખરે કરે છે.
ભોળાનાથ : એટલો વિસામો છે સૌ શહેરીઓને. આપ અને આપનું વિદ્યાલય તો છેક કલેક્ટરથી માંડીને જ્ઞાતિઓ લગી તમામ સમાજ વચ્ચેની જીવતી કડીરૂપ છો.
આચાર્ય : એ બધી ત્રાસદાયક અવસ્થા છે. પણ શું કરવું? હા, ચાલો હવે આપણે આપણી વાત કરીએ. [ભલભલાને પીગાળી નાખે તેવી છટાથી હાથ જોડીને] ફરમાવો.
ભોળાનાથ : અનંતનું કેમ ચાલે છે?
આચાર્ય : વિકટ મામલો છે. કાબુમાં હજુ આવતો નથી. એને વિશ્વાસમાં લેવા અમે ઘણું મથ્યા. પણ દિલચોરી રાખે છે.
ભોળાનાથ : પણ આ સંસ્થા તરફ તો એને ભારી આકર્ષણ હતું ને?
આચાર્ય : એ આકર્ષણ હતું અહીં મળતી છૂટનું, અમારું નહિ. એનાં પરાક્રમો વધ્યાં છે.
ભોળાનાથ : શું, છેલ્લું કંઈ બન્યું?
આચાર્ય : હા, કાલે શરદપૂર્ણિમા હતી. અમારું રસસમ્મેલન ચાલતું હતું. મારું ગીતા-પ્રવચન પૂરું થયું અને દૂધ-પૌંઆ પિરસાતા હતા તે કોલાહલમાં પોતાનો દૂધ-પૌંઆનો વાટકો લઈને એ સરકી ગયો. થોડી વારે અમને ભાન થયું. મારા સેન્ટ બર્નાર્ડના કુત્તા જેવા ચકોર જાસૂસ વિદ્યાર્થીઓ દોડ્યા. જઈને જોવે છે તો ભાઈસાહેબ જાગનાથની ઓસરીએ બેસી, એની પત્ની જોડે દૂધ-પૌંવા જમી રહેલ છે!
ભોળાનાથ : કોણ — કંચન! એ ક્યાંથી?
આચાર્ય : અમારા માથાનો છે. મારા જાસૂસો પર જાસૂસોની ગોઠવેલી જાળમાંથી પણ કોણ જાણે શી રીતે એક નાના વિદ્યાર્થી જોડે એણે પોતાને સાસરે ચિઠ્ઠી પહોંચાડી હશે.
ભોળાનાથ : ત્યારે તો રોગ વધ્યો. અહીં મૂકવાનું કારણ જ એ હતું.
આચાર્ય : શું?
ભોળાનાથ : આજ છ મહિનાથી વહુને પિયર વળાવેલ. પણ રોજ સાંજે બન્ને દૂધેશ્વર પર મળ્યે જ રહે. કોઈ વાર રાતનાં બાર વાગે વહુને તેડીને ઘેર આવી ઓચિંતો બારણાં ભભડાવે. અમારા તો હોશ ઊડી જાય. ફજેતીના ફાળકા થતા હતા. હાઈસ્કૂલમાં અનેક વાર ભણવા જવું છોડીને મેડી ઉપર વહુ પાસે પાઠ્યપુસ્તકોના પાઠ વાંચી સંભળાવતો. એટલે જ અહીં મૂકવો પડેલો.
આચાર્ય : આ વાત તો આપે મને અગાઉથી કરી નહોતી!
ભોળાનાથ : આપ કદાચ નહિ દાખલ કરો એ બીકે.
આચાર્ય : તે શું આપ એમ માનો છો કે અહીં આવનાર બધા વિદ્યાર્થીઓ ડાહ્યા-ડમરા ને સદાચારી છે? આપના જેવા ત્રાસી ગળે આવી ગયેલ પિતાઓના જ ધકેલી મૂકેલા એ બોજા છે. આ તો ઇસ્પિતાલ છે — માનસિક રોગ મટાડવાની.
ભોળાનાથ : ત્યારે હવે અનંતના માનસિક રોગનો ઉપચાર?
આચાર્ય : કરીશું. બધી જ ઔષધિઓ છે. અહીં અમારે તો वज्रादपि कठोराणि मृदुनि कुसुमादपिનો નિયમ રાખવો પડે છે.
ભોળાનાથ : પણ અહીં તો કડક પગલાં લેવાનો પ્રતિબંધ છે ને? મારપીટ, ધમકી, દમદાટી વગેરેની તો તમે વિરુદ્ધ છો ને!
આચાર્ય : પણ એથી વધુ ઉગ્ર ઈલાજો અમારી પાસે છે. અમારાં ચક્રો ચાલે છે, પણ મૂંગાં મૂંગાં અને અફર. તમે ગભરાશો નહિ ને?
ભોળાનાથ : શાથી? શું કરવા માગો છો આપ?
આચાર્ય : એનું માનસ એકાદ આંચકો અનુભવે તેવું કંઈક. મને એનો માનસિક રોગ ચિત્તભ્રમ તરફ જતો ભાસે છે.
ભોળાનાથ : શા પ્રકારનો ઈલાજ કરશો?
આચાર્ય : સાંજે આવીને નજરે જુઓ. બરાબર ચંદ્રોદય ટાણે.
ભોળાનાથ : કેમ તે ટાણે?
આચાર્ય : ભાઈ સાહેબે આજે પણ ચંદ્રોદયે એની વહુને તેડાવેલ છે મળવા. એની રસિકતાને મારે ઓચિંતો છાપો મારીને દબાવી દેવી છે. એને ભાન કરાવવું છે કે અમે અમારો ઉપલો વેશ ઢંગ બતાવે છે તેવા ભોળા ભગતડા નથી. કાલે સવારે જ તમે તમારા અનંતને ડાહ્યોડમરો દેખશો. અત્યારે તો આપણે છૂટા પડીએ.
ભોળાનાથ : મારશો-પીટશો તો નહિ ને, ભાઈસા’બ?
આચાર્ય : આંગળીનું ટેરવું સુધ્ધાં નથી અડકાડવું. મારપીટ તો અમાનુષી ઇલાજ છે. અમારે તો માનસશાસ્ત્રના કોયડા હળવે હાથે ઉકેલવાં છે. સાંજે ચંદ્રોદયે આપ આવજો અહીં. ને હું હવે તાકીદે બંદોબસ્ત કરું. રજા લઉં છું.
ભોળાનાથ : જય જય. [જાય છે.]

[આચાર્ય ત્રણ તાળીઓ પાડે છે. પટાવાળો આવે છે. ઘોર કાવત્રું કરવાનું હોય તેવા ધીમા સ્વરે કહે છે.]

આચાર્ય : મહેશ્વરને અને ચંદુને બોલાવ. ઇશારેથી. કોઈ ન જાણે તેમ. [પટાવાળો જાય છે.]
આચાર્ય : [સ્વગત] वज्रादपि कठोराणि... કૂણા ઉપચાર એળે ગયા પછી ઘણનો ઘા. બ્રેક ધ પ્યૂપિલ્સ વીલ! રવિશંકર રોજે રોજ પિરસતી વેળા રોટલી પાડી નાખતો. પછી એક દિવસ એ પાડી નાખેલી રોટલી રસ્તાની ધૂળમાં રગદોળીને એની જ થાળીમાં મુકાવી. કહ્યું કે ખાવ હવે તમે જ એ. કહે કે ભૂખ્યો રહું તો? કહ્યું, ના, એ તો એક વાર એ ખાવી જ પડશે! ખાધી. તે દિવસથી સીધા થઈ ગયા રવિશંકર. એટલે કે ખરી ‘સાયકોલૉજીકલ’ ક્ષણે એનો મદ ભાંગવો. બેશક ખરી ‘સાયકોલૉજીકલ’ ક્ષણ તપાસીને. આજે અનંતને માટે એ ક્ષણ છે ચંદ્રોદય કાળની. એને એ જ પળે ભાન થવું જોઈએ કે મનુષ્યના પોતાના આગ્રહ અને નિશ્ચય કરતાં બીજું બળવાન તત્ત્વ છે ખરું. બ્રેક હીઝ વીલ! બેશક ઠંડીગાર પદ્ધતિથી : વિધાતાનાં ચક્રો ચગદે છે તેવી અબોલ મૂંગી કઠોરતાથી.

[મહેશ્વર અને ચંદુ નામના બે વિદ્યાર્થીઓ આવે છે. છૂપા હર્ષે પ્રફુલ્લિત છે બન્ને : શિકારીના શ્વાન સરીખા : આવીને ટેબલ પર અઢેલી ઊભા રહે છે. આચાર્ય બન્નેનાં ખભાં પર હાથ મૂકી કંઈક કહે છે. પણ શબ્દો ઝલાય તેવા નથી, માત્ર આચાર્યની આંખો ફરી રહી છે. શિષ્યોના ખભા પર આચાર્યના હાથ કશાક ભેદી નિશ્ચયના રૌદ્ર તાલ દઈ રહેલ છે. દીવા ઝાંખા પડે છે. પડદો એ ત્રણેયની સ્થિર થીજેલી કાળપ્રતિમાઓને ધીરે ધીરે કોઈ ગેબમાં જાણે કે ઢાંકી દેતો સરી જાય છે.]


પ્રવેશ ચોથો

સમય : સાંજ પડતી આવે છે. સ્થળ : વિદ્યામંદિરના છાત્રાલયની પોતાની ઓરડીમાં અંદરથી બારણું વાસીને અનંત કપડાં બદલે છે. એની જાળીવાળી બારીના સળિયા પાસે ચંદુ અને મહેશ્વર આવી ઊભા છે.

ચંદુ : રોજનો મેલોઘેલો આજે શી સફાઇથી શણગાર સજી રહ્યો છે!
મહેશ્વર : ફતન દેવાળિયો છે.
ચંદુ : નહિ. કપડાં તો રોજનાં હતાં તે જ છે. ફાટ્યાં હતાં ત્યાં સવારે થીગડાં દીધાં પોતાને હાથે જ. અને ધબધબાવી પણ હાથે જ નાખ્યાં —
મહેશ્વર : રોજ તો ધોતિયું ને બાંડિયું એમ ને એમ નિચોવી લેતો. કોણ જાણી શકે કે એની દેખીતી બેદરકારીની નીચે આટલી ચીવટ પડી હશે!
ચંદુ : જોયું! કપડાં પથારીનાં ઓશીકા હેઠળ દબાવેલાં, તે જાણે કે અસ્તરીબંધ કરીને બહાર કાઢ્યાં. ભારી કસબી છે : નાનકડી બે શીશીઓમાં કશીક વાદળી ભૂકીઓ રાખે છે. તેમાંથી ચપટી ચપટીનું અક્કેક ડોલ પાણી બનાવીને કપડાં બોળ્યાં, એટલે સુકાયા પછી બાસ્તા જેવાં ખીલી ઊઠ્યાં.
મહેશ્વર : માગી લઈશું એ ભૂકી?
ચંદુ : હા, પણ પહેલાં બાયલી સાંકળ ચડાવી દઈએ.

[અનંતના કમાડની બહારની સાંકળ ચડાવે છે.]

મહેશ્વર : અનંતકુમાર! ઉઘાડશો?
અનંત : [હસીને] અત્યારે તો નહિ મુલાકાત આપી શકું.
ચંદુ : હાં, હાં, એ તો બીજી વધુ મહત્ત્વની મુલાકાતની તૈયારી કરે છે. જુઓને કપડાં; બગલાની પાંખ જેવાં...
અનંત : ભૂલો છો તમે. એ ઉપમા અરસિક છે. વળી મારાં કપડાંમાં તો આસમાની છાંટ છે. કહો કે દૂધલિયાળી રાત જેવાં.
મહેશ્વર : અનંતકુમાર! એકલા એકલા જ એવાં કપડાં પહેરવાં છે ને?
અનંત : [ઊઠીને બન્ને શીશીઓ ઉપાડે છે : એક છે બ્લીચીંગ પાઉડરની, બીજી છે ગળીની. લઇને બારી કને જાય છે.] આ લો.
ચંદુ : નહિ નહિ, ચપટી ચપટી કાગળમાં આપો.
અનંત : ના, અનંત ચપટી ચપટી આપવા ટેવાયેલો નથી. આખી શીશીઓ જ લઇ જાઓ.
મહેશ્વર : ઠીક, પછી વાપરીને શીશી પાછી આપી દેશું, ચંદુ.
અનંત : નહિ જી. તકલીફ લેશો નહિ. છ મહિના સુધી શરીર પર ચાંદની પહેરીને ફરો. અનંત એ જોઈને હર્ષ લેશે.
ચંદુ : પણ તમારે કાલે નહિ જોઈએ?
અનંત : નહિ. કાલે તો ચંદ્રોદય દૂર ચાલ્યો જવાનો. પછી કોના સારુ પહેરું?

[ત્રીજો એક વિદ્યાર્થી સુખડના ભીના સાબુની આખી મોટી ગોટી લઈને આવે છે.]

વિદ્યાર્થી : અનંતકુમાર, આ તમારો સાબુ. ગજબ સરસ છે, હો. એક વાર લગાવ્યો ત્યાં તો બધા મારી આસપાસ ભમરાની માફક વીંટળાઈ વળ્યા. ક્યાંથી લીધો? શું બેસે છે?
અનંત : બેસે છે ફક્ત દિલનો પ્યાર. તને ગમ્યો એ જ એની કિંમત. લઈ જા, દોસ્ત.
વિદ્યાર્થી : [વિસ્મય પામીને] મશ્કરી કરો છો?
અનંત : અનંત મશ્કરી કરે છે માત્ર પોતાના દુશ્મનોની જ. લઈ જા એને. અને ખૂબ નહાજે. છાત્રપતિને ખીજ ચડે એની ખુશબોથી, ત્યાં સુધી ચોળજે, દોસ્ત.
વિદ્યાર્થી : પણ તમારે?
અનંત : મેં એક વખત ન્હાઈ લીધું. ગોટી ખૂટે ત્યારે મારી કનેથી માગી લેજે. હવે કજોડું કરીશ ના, યાર.

[‘બાપાના પૈસા!’ એવું કંઈક બબડતા ચંદુ-મહેશ્વર ચાલ્યા જાય છે.]

અનંત : ચંદુ-મહેશ્વર! સોગંદપૂર્વક કહું છું. બાપાના પૈસાની પાઈ યે પાઈનો હિસાબ રાખે છે અનંત. અને આંહીંથી છૂટીને ત્રણ વરસમાં જ વ્યાજ સહિત ભરી દેશે. અનંત ધર્માઉ સ્કોલરશીપ નથી ખાતો, તેમ બાપાની કેડ્ય પર પણ નથી જીવવા માંગતો.

[હસતા હસતા ચંદુ-મહેશ્વર વગેરે ચાલ્યા જાય છે, થોડીવાર સુધી ધોતિયાની પાટલી, માથાના વાળ, નખની સાફસૂફી વગેરેની ટાપટીપ કર્યા પછી સ્મિત કરતો કરતો અનંત, સૂર્યાસ્ત વેળાએ કમાડ ઉઘાડી બારણાં ખેંચે છે. ઊઘડતાં નથી. બારી પાસે આવીને સ્વસ્થતાથી ટેલતા ચંદુ — મહેશ્વર વગેરેને એક પછી એક કહે છે.]

ચંદુ, આ જરા ઉઘાડ તો!

[ચંદુ હસીને ચાલ્યો જાય છે.]

અરે મહેશ્વર! જરા ઉઘાડ તો, ભાઈ!

[મહેશ્વર ચાલ્યો જાય છે.]

યદુનંદન, જરા આ બહારની સાંકળ ખોલજે તો, ભાઈ. |મહેશ્વર : |[યદુનંદનને ખોલવા જતો અટકાવીને] યદુનંદન, તમારું કામ કરો. ત્યાં ન અડકશો.

યદુનંદન : કેમ?
ચંદુ : કેમ શું? ગુરુદેવની આજ્ઞા છે. ખોલશો તો મંદિરમાંથી હદપાર થશો.

[યદુનંદન વિસ્મયથી જોઈ રહે છે.]

અનંત : ઓહો! ગુરુદેવની આજ્ઞા છે? ક્યાં સુધીને માટે?
ચંદુ : ચંદ્રાસ્ત થતાં સુધીને માટે.
અનંત : ત્યારે કંઈ નહિ. યદુનંદન, ન અડકતા હો, ભાઈ!

[કશું બોલ્યા વિના પોતે ઓરડાની ભોંય પર બેસી જાય છે. ચંદુ-મહેશ્વર પરશાળમાં ટેલતા ચોકી કરે છે. ચંદ્રોદય થતાં આચાર્ય આવે છે.]

આચાર્ય : કેમ? જાપ્તો બરાબર?
ચંદુ-મહેશ્વર : બરાબર.
આચાર્ય : ખૂબ પછાડા મારીમારીને થાક્યો લાગે છે.
ચંદુ : જી ના.
આચાર્ય : કમાડ ભડભડાવીને ખેડવવાની કોશિશ નહોતી કરી શું?
મહેશ્વર : ના જી.
આચાર્ય : બારીના સળિયા ન હચમચાવ્યા?
ચંદુ : નહિ. જરીકે નહિ.
આચાર્ય : તમારા ઉપર દાંત તો ખૂબ કચકચાવ્યા હશે. ધમકી-બમકી દીધી હશે ખૂબ.
ચંદુ : જરીકે નહિ.
આચાર્ય : મને તો બે-ચાર ચોપડી હશે ને?
મહેશ્વર : એક શબ્દ પણ નહિ.
આચાર્ય : ત્યારે તો મંત્રવત્ અસર થઈ ગઈ. આ આવે એના પિતા. આવો, ભોળાનાથભાઈ! બહુ સહેલાઈથી પતી ગયું આ તો. પામી ગયો એ તો. ચાલો, આવો જોઈએ.

[બારી પર જઈને અંદર નજર કરે છે. પાછલી જાળીમાં થઈને ચંદ્રની કૌમુદી ઓરડીમાં લેપાઈ રહી છે. ભોંય પર અનંત ઝૂકીને પડ્યો પડ્યો એ ચાકના ટુકડા વતી અણધડ જેવી કોઈ સ્ત્રી-આકૃતિ દોરે છે.]

આચાર્ય : [બારી કને ઊભા ન રહેતાં બે-ચાર વાર ટેલતા ટેલતા નજર કરે છે. અને બોલે છે.] જોયું! ગળીને મીણ બની ગયો છે ના?

[ઓરડીમાંથી હસવાનો અવાજ સંભળાય છે. આચાર્ય, ભોળાનાથ અને અન્ય વિદ્યામંદિરવાસીઓ બારી સામે થંભી સાંભળે છે.]

અનંત : [પોતે દોરેલી આકૃતિ સામે હસતો હસતો] હા-હા-હા-હા! જુઓ પણ, બરોબર ચંદ્રોદયે આપણે બન્ને મળ્યાં ને? મળ્યાં, ખરું ને! બરાબર કૉલ પાળ્યો, ખરું ને?

[આચાર્ય ઝંખવાય છે. ભોળાનાથ ભયભીત બને છે. બન્ને હેરત પામીને સામસામા જોવે છે.]

અનંત : [આકૃતિ તરફ ઝળુંબીને] ઉલટાંના જાગનાથને બદલે આંહીં મારી ઓરડીમાં જ મળ્યાં. આ વિદ્યામંદિરને ય પાવન કરી શક્યાં, ખરું ને? મળવાના સાચા ઉત્સુકોને કોણ રોકી શકવાનું હતું, ભલા? આ બધા લોકોએ આપણો મેળાપ અટકાવવાનો જાપ્તો કર્યો બાપડાએ. પણ આપણે તો તેઓની હાંસી કરીને મળ્યાં.
ભોળાનાથ : આ તો ચક્કર ખસી ગયું દેખાય છે!
આચાર્ય : મને તો નફટાઈ લાગે છે.
અનંત : [આકૃતિ પ્રત્યે] જુઓ, તમે બોલો, બાપુજીને ખાત્રી આપો કે જરીકે ન ગભરાય. ચક્કર અનંતનું ન જ ખસે. અને ગુરુદેવને સમજાવો : પૂછો : પોતાનાં પરિણિતોને મળવું એ નફટાઈ ક્યાંની? ને હું તો પ્રગટ મળું છું ને? ક્યાં રાત્રિએ સહુ સૂતા પછી કમ્પાઉન્ડ ઠેકીને ભાગી જાઉં છું હું! ને હું તો માત્ર આ શરદ્પૂર્ણિમાની બે રાત પૂરતો તમને બે ઘડી મળી જાઉં છું, હું ક્યાં વ્હેલે પરોડિયે બિભત્સ રીતે ઘોરતો અમારા ચોકીદાર ગૃહપતિઓની આંખોને અને બત્તીને લજવું છું! આ વિદ્યામંદિરમાં જે રોજેરોજ બનતા બનાવો છે, તે માયલો શું મારો-તમારો આ મિલાપ છે? આપણો તો શાહુકારીનો સ્નેહ છે — ચોરીનો નહિ. પણ હું અહીંની વધુ બદબો નહિ ઉખેળું, માનસશાસ્ત્રના એ તમામ પ્રયોગો ને કોયડાઓ છેડતાં હું આ બધાની સામે ન અચકાઉં. પણ તમે, કંચનગૌરી, તમે ખાનદાન છો, વળી સ્ત્રી છો. તમારી મને લજ્જા રહે છે. નહિ તો —
આચાર્ય : ચાલો ચાલો. ડૉ. રાવને બોલાવીએ ઝટ. આને ડામ દઈ બ્લીસ્ટર ઉપડાવવાં પડશે.
અનંત : — નહિ તો હું કહેત કે આંહીં મુલાકાતે આવતાં મહિલા મંડળોનાં મુખ-કમલો સામે હું ક્યાં ભૂખ્યા શ્વાનોની માફક તાકી રહું છું? પૂછો આ બધાને — આ ચંદુને, મહેશ્વરને, આચાર્યજીને ખુદને : ઘેર પત્ની હોવા છતાં —
આચાર્ય : સહુ વિખરાઈ જાવ. અહીં ઊભા ન રહો. ચંદુ, દાકતર રાવને બોલાવો. કમાડ હમણાં ન ખોલશો.
અનંત : ખોલોને હવે! કશો વાંધો નથી. કંચનગૌરી તો જાય છે હવે. લ્યો, આવજો! આટલાં માણસોનાં દેખતાં ‘આવજો!’ કહેવા ઉપરાંત તો બીજું શું કરું?

[ધીરે ધીરે આકૃતિને ભૂંસી નાખે છે. પછી સૂવે છે.]


પ્રવેશ પાંચમો


         સ્થળ : ભોળાનાથનું ઘર. સવારનો સમય.

[વિધવા પુત્રી -ઉમા ટાઢમાં થરથરતી, માથાબોળ ભીને વસ્ત્રે બહારથી આવે છે. શંકર નામનો, ઘરનું શાકપાદડું ઈત્યાદિ ખરીદી લાવનારો એક જુવાન સંબંધી બીજી બાજુથી આવે છે.]

શંકર : ઉમાબહેન, લાવો, હું એ કપડાં સૂકવી નાખું. તમે કોરાં થાઓ. ટાઢ ચડશે.
ઉમા : [કપડાં ઝાટકતી] કંઈ ટાઢ નહિ ચડે, શંકર, અમને મડાંને વીજળીનો શો ભો! મરણાં તો રોજ થાય ને રોજ આભડવાનું આવે. [ધ્રૂજે છે.]
શંકર : એ ન્યાતસેવા કરવા તમે ઝાઝાં વર્ષ જીવો! માટે જ લાવો, હું સૂકાવું.
ઉમા : તને પુરુષને કંઈ બૈરાંનાં કપડાં સૂકવવાનું કહેવાય? તેં તો એવા કામની પ્રથમથી જ ના પાડેલી ને?
શંકર : તમારી પાસે મારા પુરુષત્વનો મદ ચાલ્યો જાય છે. લાવો કપડાં. [ઝૂંટવવા જાય છે.]
ઉમા : [ઝટ કપડાં છોડી દઈને અંદર જતી જતી : સ્વગત] જીવનમાંથી અવાજ ઊઠે છે : કોઈક ઝૂંટાઝૂંટી કરનાર, કજિયા ઉઠાવનાર, અરે, લાકડી લઈ મારનાર પણ જોઈએ છે જીવનને!
શંકર : [કપડાં સૂકવતો] આ ઊંચા ઘરની વિધવા. રોજ ઊઠીને ન્યાતના મરણામાં આભડવા જવું એ જ એનો ધંધો! મૂંડેલે માથે પણ મુખમુદ્રા કેવી દીપે છે! જીવશે ત્યાં સુધી પારકાંનાં શબો પછવાડે કૂટવાનું ને પછાડીઓ ખાવાનું એને!

[ઉમા વસ્ત્રો બદલીને આવે છે. હાથમાં થાળી છે. થાળીમાં દીવાનું કોડિયું, દીવાસળીનું બાકસ, ફૂલો વગેરે પૂજા- સામગ્રી છે. એક બેઠક ઉપર મૂકેલા તુળસીના રોપ પાસે જાય છે.]

શંકર : કેમ, ખરું ને, ઉમાબહેન! આજ કેટલા ચોકારા લીધા?
ઉમા : [તુળસીને પાણી રેડતી] ચોકારા તો લેવા જ પડે ને! જગત જીવતાનું જીવતર બગાડે છે, તેમ પાછું મરનારનું મરણું પણ શોભાવી આપે છે. ચૌટે ચૌટે એનાં યશોગાન કરવા અમને બૈરાંઓને જગતે ગોઠવી દીધાં છે.

[ઘીનો દીવો પેટાવે છે.]

શંકર : કંઈ નહિ. એ તો વરસ વળોટમાં તમને સદી રહેશે.
ઉમા : હા જ તો. વિષ્ટાનો કીડો વિષ્ટામાં ખદબદવા ટેવાઈ જશે.
શંકર : પછી તો તમે પણ એવાં પાવરધાં થઈ જશો કે ઉલટાનું ગમશે. પોટલું લઈ લઈને ઘેર ઘરે દોટ દેશો. બીજી અણશીખાઉને કાંડા ઝાલી ઝાલીને છાજિયાંમાં નાખશો.
ઉમા : માણસને ક્યાંઈક તો મોટાઈ માણવાના કોડ હોય જ ને? બીજી સ્ત્રીઓ કેમ ભાષણ કરે છે, જેલમાં જાય છે વાવટા ફરકાવે છે!
શંકર : એવું મન થાય છે ખરું?
ઉમા : [તુળસી સામે હાથ જોડતી] મનમાં શું શું થાય છે એની વાત ક્યાં જઈ કરવી? મન તો આભના તારા ઉતારવાનું થાય છે. પણ બાપના કુળની આબરૂ સાચવવી રહી.
શંકર : વિધવા દીકરીઓ તો બાપની આબરૂ સાચવવા માટે ગોદરેજની તિજોરીઓ જ છે ને!
ઉમા : શંકર, તું બેઠકમાં જા, બાપાજી આવશે.
શંકર : મારાથી બીઓ છો?
ઉમા : બીવાનો તો અમારો ધર્મ ઠર્યો. હમણાં હમણાં તો હું તારાથી બહુ બીઉં છું.
શંકર : હવે જરૂર નહિ રહે.
ઉમા : કેમ? તું આપઘાત તો નથી કરવાનો ને?
શંકર : ના, મેં મારી બદલી એડન કરાવી છે. ત્યાં હમણાં સોર્ટરોને સારો પગાર મળે છે.
ઉમા : [ચિંતાયુક્ત નેત્રે જોતી] સારું, શંકર! સુખી થજે. [જોરથી ઉધરસ ખાય છે.] પાછો ક્યારે આવીશ? લગ્ન કરવા તો ઊતરીશ ને?
શંકર : ના, ઘર પણ વેચી કરીને જ જાઉં છું. પાછા આવવું નથી.
ઉમા : પરણવા માટે ય નહિ?
શંકર : મને પરણાવવામાં કોને રસ હોય!
ઉમા : મને તો છે જ.
શંકર : ના, તમને પવિત્ર વિધવાને એવો રસ લેવાનું ન શોભે.

[ઉમા ઉધરસ ખાય છે.]

શંકર : ત્યાં જઈને વટલી જવા ઈચ્છા છે.
ઉમા : વટલી જવા — અરર, શંકર!
શંકર : હા, બ્રાહ્મણ જ્ઞાતિ મને કન્યારત્ન આપતી નથી, કેમકે મેં મારા બાપનું બારમું નથી જમાડ્યું, ને ભાઈનાં લીલ નથી પરણાવ્યાં. મુસલમાન કોમમાં હું લાખોનો બંધુ બનીશ ને મારું ઘર બંધાશે.
ઉમા : શંકર! આ શું બોલે છે! આ તુળસીમા સળગી જશે.

[તુળસી સામે મસ્તક ઢાળે છે.]

શંકર : એ તુળસીને માથે શું આર્યોએ વીતકો વીતાવવામાં બાકી રાખી છે! જલંધર હતો અજીત જોદ્ધો. એનો માર ખાતા આર્યોએ જાણ્યું કે જલંધરનું વીરત્વ એની સતી વૃંદાના શિયળમાં રહેલું છે. આર્યોના અગ્રેસર વિષ્ણુએ જલંધરનું રૂપ ધરી વૃંદાનું શિયળ હર્યું. એના ધણીને સંહાર્યો. અને આજ એ દુભાયલીના તુળસી-અવતારને આર્યો પાસે પૂજાવે છે. વિષ્ણુએ એને જોરાવરીથી પોતાની રખાત કરી રાખી છે ને તમારી પાસે એનાં પૂજન માટે પરાણે રંડાપા પળાવે છે.
ઉમા : [મોં ઊચું કરી : આંસુભર્યે નેત્રે] તું અહીંથી હવે જા, ભાઈ! મારા અજ્ઞાનનું કવચ ભેદીશ નહિ, ઓ શંકર!
શંકર : એક જ માગણી લઈને આવેલ છું. આ પોપટનું પાંજરું તમને ભળાવું છું. મારો મોતિયો તો કૂતરો છે, એટલે બાપજી અહીં નહિ રાખવા આપે. એને હું હસન જમાદારને ઘેર મૂકીશ. પોપટ તમે પાળજો. એ બામણ છે.
ઉમા : [હસીને] તારી જોડે રહીને વંઠેલો બ્રાહ્મણ!
શંકર : તો ય બામણની છાપ. અનેકને ન્યાત વેઠે છે.

[પોલીસના જમાદાર આવે છે.]

જમાદાર : ભોળાનાથભાઈ છે કે?
ઉમા : નથી. કેમ?
જમાદાર : આવે ત્યારે કહેજો, કે અનંત ગઈકાલે રાતે પેલી વંઠેલ મા-દીકરીની સાથે — ત્રિવેણી અને સૂરજની સાથે — રઝળતો હતો, ને રાતે ફૂટપાયરી ઉપર ઊંઘતો હતો. કહેજો કે સંભાળે એને. હું તો બામણનો દીકરો છું એટલે આટલું કહેવા આવ્યો છું.
ઉમા : સારું, કહીશ.

[જમાદાર જાય છે.]

ઉમા : શંકરભાઈ, આ શો ગજબ?
શંકર : કશો ગજબ નથી. અનંતભાઈ તો ખરો મરદ છે. બધાં જ બંધનો તોડી ફગાવી દીધાં. કાલ સાંજે એને વિદ્યાલયમાં કેદ પૂર્યો’તો, ગાંડો ગાંડો ઠરાવ્યો’તો, પણ એણે સહુને સામા ગમાર બનાવ્યા.
ઉમા : અરેરે, આમાં બાપાજીનું ને અનંતભાઈનું ગાડું કેમ ચાલશે?
શંકર : માટે જ ઈશ્વરે તમને વહેલું વૈધવ્ય આપીને ગાડાનાં ગાડીવાન બનાવ્યાં છે ને?
ઉમા : સાચું જ કહું છું, શંકર. હું યે અનંતની બહેન છું. અનંતભાઈએ અનેક રાત્રિઓ મારી કને બેસીને મને વંચાવ્યું-શીખવ્યું છે. અંદરથી મારી પાંખો ફફડે છે. પણ કેમ કરીને નીકળું? બાપાજીનું, અનંતભાઈનું, ને એ બેઉની વચ્ચે પીલાઈ રહેલ પારેવડી કંચનભાભીનું શું થાય?

[શંકર નિઃશ્વાસ નાખે છે. ખડકીમાંથી અનંતનો અવાજ સંભળાય છે.]

અનંત : ઉમા, ઉમા, જલદી ચોખા ને કંકુ લાવ. અમને વરઘોડિયાંને પોંખી લે. નવું લગ્ન! નવેસરનું લગ્ન!
ઉમા : ભાઈ, આવ્યા? [ઉતાવળી સામે જાય છે.]
અનંત : હા, કાશીએ જઈને પંડિત બની આવ્યો. મોકલ્યો મને ડાહ્યો કરવા, પણ ઊલટો ચસ્કીને આવ્યો.
ઉમા : ભાભી ય આવી? ક્યાંથી? [હર્ષ બતાવતી.]
અનંત : ક્યાંથી કેમ? એના બાપને ત્યાંથી તેડીને હું આવ્યો. એકલો રાતે આવું તો રાત કેમ જાય?
શંકર : એટલે જ રાત ફૂટપાયરી ઉપર વીતાવી ને!
અનંત : ઓહો શંકર! તું છે ને? તને ક્યાંથી ખબર પડી?
શંકર : પોલીસના જમાદાર કહી ગયા.
ઉમા : [કંચનને ભેટી પડતી.] દુત્તી ભાભી! છ મહિના લગી પિયર બેઠી રહી? જા હવે ઝટ મેડી પર. કપડાં બદલ. ને જો, પેલી વાદળી સાડી પહેરવાની, હો કે? અને માણેકનાં એરીંગ. અને શંકર, સાંજે એક વેણી લઈ આવજે. એક હાર પણ લાવજે. આજ જોઈ રાખજે, ભાભી, તને સુગંધથી ગૂંગળાવી જ નાખવાની હું. જા ઉપર.

[ભાભીને ધકેલીને મેડી પર મોકલે છે.]

અનંત : ઉમા! આ સાંભળ્યું? કે તું તો બસ ફૂલવેણી અને ફૂલહારની જ કૂટ કર્યા કરીશ? તું તો નવી નવાઈની નણંદ!
ઉમા : પ્રથમ ભાભીને ઠેકાણે પાડી લઉં. પછી તમારું સાંભળીશ. શું છે એવું?
અનંત : પોલીસ!!! આપણી પછવાડે પોલીસ લાગી પડી છે. ન્યાતમાં પોલીસ, વિદ્યાલયમાં પોલીસ ને આ તારી ભાભીની વેણીની પછવાડે પણ પોલીસ પડ્યા વિના નહિ રહે.

સર્વત્ર પોલીસરાજ! કેટલી જાતની પોલીસ ગોઠવાઈ ગઈ છે! અલ્યા શંકર, તું તો પોલીસ નથી ને? ને ઉમા, તું? }}

ઉમા : ભાઈ, પણ તમે શું એ ભ્રષ્ટાઓની સંગાથે પાટક્યા હતા?
અનંત : હા. મને તો હવે ભ્રષ્ટ માણસોની એક નોખી ન્યાત જ કરવાનું મન થાય છે.
ઉમા : પણ તમે રાત વેળાના શા સારુ ત્યાં ગયા?
અનંત : દિવસે ન્યાતીલાઓ દેખી જાય તે સારુ!
ઉમા : તમે અનંતભાઈ ઊઠીને સૂરજની સાથે ફર્યા?
અનંત : સૂરજ તો હવે ધીરે ધીરે ગાંડપણમાં જઈ રહી છે. ઉમા, સૂરજના મોં ઉપર મેં એ ચંદ્રને અજવાળે શી કરુણ નમણાઈ દીઠી! અરર! ભદ્રમુખને શું એનાં સ્વપનાં નહિ આવતાં હોય?
ઉમા : એ ભ્રષ્ટાનાં રૂપમાં મારો અનંતભાઈ ઊઠીને મોહાયો?
શંકર : ઉમાબહેન હવે મશ્કરીમાં કહેતાં નથી લાગતાં, હો અનંતભાઈ!
અનંત : તો શું સાચકલું કહે છે?
ઉમા : મશ્કરી વળી શાની? [દુભાય છે.]
શંકર : અનંતભાઈ, આશ્ચર્ય પામશો નહિ. ઉમાબહેનનો જીવ હજુ ઝોલાં ખાય છે પવિત્ર તુળસી વૃક્ષની ડાળ્યે. હજુ હમણાં જ એ બામણિયા ચોકારો લઈને ચાલ્યાં આવે છે.
અનંત : ઉમા! મેં તો જાણેલ કે તું ય વંઠેલાંની જમાતમાં આવી ગઈ છે. મને શી ખબર કે તું બ્રાહ્મણિયા બોલને હજુ બ્રહ્મવચન માની રહી હશે! સાવિત્રીભાભુની પુત્રી સૂરજને વંઠેલ મનાવનારાં તમામને સારુ એક આઠમી નરક બંધાય છે. રૌરવમાં એને સારુ જગ્યા નથી.
ઉમા : તમારા વિદ્યાલયના આચાર્ય શું જૂઠા?
અનંત : જૂઠ તો એમનાથી શરમિંદું બને, ઉમા! એવા છે એ.
ઉમા : થયું, ભાઈ! આપણા ઘર ઉપર આજ પોલીસનો ડોળો ફર્યો. અરે, બિચારા બાપાજીની ત્રણ પેઢીની કીર્તિ ઉપર આજ ઓછાયો પડ્યો.
અનંત : ઉમા! હું બા જેવી બાના ઉદરમાં આળોટ્યો છું, યાદ કર.
ઉમા : તે શું?
અનંત : બાને બામણી ન્યાતે ઓછાં દૂભવ્યાં હતાં એક વાર? બાપાજીને રાજની નોકરી અપાવનાર તો બાનું રૂપ છે એમ કહેતાં આંચકો લાગ્યો હતો એ કોઈની જીભને? બાએ વાળની લટો અને કપાળ બાળી નાખેલાં, યાદ છે?
ઉમા : આજ શા સારુ એ સંભારી આપો છો?
અનંત : એટલા માટે, બહેન, કે એ બાનો પુત્ર દુઃખિયારી સૂરજના ચહેરામાં કાલે રાતે મુવેલી બાનું મોં નિહાળી આવ્યો. [આંખો લૂછે છે.]

[ભોળાનાથ દાખલ થાય છે.]

અનંત : હું આવી ગયો છું.
ભોળાનાથ : ઉપકાર થયો.
ઉમા : ભાભીને પણ તેડી લાવેલ છે.
ભોળાનાથ : [કપડાં ઉતારી ઉતારી ફેંકતા ફેંકતા] એટલી વિશેષ મહેરબાની. [શંકરને] શંકર!
શંકર : જી.
ભોળાનાથ : ભાઈની મેડી સાફસૂફ કરી? જાઓ, કરો. ને અનંત, તમે બન્ને પણ મેડીએ જાઓ.
અનંત : સાવિત્રી ભાભુ અને સૂરજ ઉપર તો હવે બહુ જુલમ થાય છે, બાપાજી!
ભોળાનાથ : તું એમને રાહત દેવા ગયાની વાત મને જમાદારે હમણાં જ કહી છે. ફૂટપાથ પર ઠીક પડ્યું’તું ને?
અનંત : બાજુમાં એક ખસૂરીયું કૂતરું આખી રાત રડ્યું હતું....
ભોળાનાથ : [દાંત ભીંસીને] ઉમા! પાણી કાઢ ઝટ નહાવાનું. [પોતિયું પહેરીને જનોઈથી બરડો ખજવાળે છે.] ને જલદી રસોઈ કરી નાખો. મારે પહેલી ગાડીમાં દીવાન સાહેબને વળાવવા જવું છે. પછી વખત નહિ રહે, કેમકે બીજી મેઈલમાં વસૂલાતી સાહેબ આવે છે તેને લેવા જવું છે.
અનંત : મારે વિષે તો નિરાંતે વાત કરશું ને?
ભોળાનાથ : તારે વિષે હવે વાત કરવા જેવું નથી રહ્યું. પતી ગયું.
અનંત : કેમ એમ કહો છો?
ભોળાનાથ : [ચોટલી છોડીને ઝાપટતા ઝાપટતા] બસ, બાકી શું રહ્યું છે? એ નીચા કુળની કન્યાને દયા ખાઈને ઘરમાં લીધી એટલે જ આમ થાય ના! નીકર મારો ભોળાનાથનો દીકરો આજ આ દશાએ? સાત પેઢીની કુલિનતાના આજ આ હવાલ? પણ મારી જ ભૂલ થઈ. મેં દયાબુદ્ધિથી મારા ઘરમાં હલકટ ગોત્રની કન્યા ઘાલી એટલે —

[કંચન સુંદર વસ્ત્રો પહેરીને મેડીને પગથિયેએ કઠોડો ઝાલીને ઊતરતી થંભી ગઈ છે. એણે સ્હેજ ઘૂમટો રાખ્યો છે.]

ઉમા : બાપાજી, તમારે પગે પડું છું. ભાભીને ગાળો ન ભાંડો. એનો શો દોષ?
ભોળાનાથ : હા, પણ એનો શો દોષ? એના બાપે મને ફસાવ્યો. મારી સોનાની થાળીમાં લોઢાની મેખ મારી દીધી એ કુળહીણાએ....
કંચન : [પાસે ઊભેલી ઉમાનો પાલવ ઝાલી ઘૂમટામાંથી ધીરા અવાજે.] બહેન! બાપુજીને હું દેવસ્વરૂપ જાણી, હાથ જોડી કહું છું......
ભોળાનાથ : — કે? બોલો મારાં કુળઉદ્ધારણ! લાજઘૂમટા હવે શીદ કાઢવા? બોલો ઉઘાડેફાટ મ્હોંયે — કે?
કંચન : — કે મારા કટકા કરીને સુખેથી મને અહીં ભંડારી દો. પણ મારા નિરપરાધી માબાપને કશુંય શીદ કહેવું પડે છે?
ઉમા : બાપાજી, મારી સાસરીમાં તમારે નામે ય જે દી આવી ગાળો પડી’તી તે દિવસે તમારી ઉમાએ ત્યાં માથાં પછાડી પછાડીને લોહી છાંટ્યું’તું.
અનંત : બાપાજીને યાદ નથી રહેતું કે ઘેર ઘેર સર્વ માવતરોની ઉમાઓ જ વસે છે.
ભોળાનાથ : ફિકર નહિ. હું હવે તારા સસરાની જોડે જ ભરી પીશ. મને દીધેલ દગાનું હું વ્યાજ સાથે વેર વાળું તો જ હું વશિષ્ઠ વંશના પેટનો —

[કંચન ડૂસકાં ભરે છે. ઉમા આંખો લૂછતી લૂછતી કંચનને ગોદમાં ચાંપે છે. ભોળાનાથ અને અનંત સામસામા તાકી રહે છે.]


પ્રવેશ છઠ્ઠો


સંધ્યા સમયે : શ્રી માળનાથ મહાદેવને ઓટે. [ટોકરા બજે છે. જ્ઞાતિજનો દર્શન કરી કરી, ‘બોમ બોમ ભોળા!’ ઈત્યાદિ શિવ-સંબોધનો ગજવતા ઓટા પર આવીને બેસે છે. કોઈ છીંકણી સૂંઘે-સુંઘાડે છે. કોઈ હથેળીમાં ચૂનો-તમાકુ ઠાલવે છે, કોઈ ચોટલી ખંખેરે છે, વાતો ચાલે છે.]

ભોળાનાથ : તમે સહુ મારી એકની જ ગર્દન શાના ચીપો છો? દીકરા તો તમારા બધાના ય એ વંઠેલને ઘેર જાય છે! એકલા મારા અનંતને જ કેમ ભાળ્યો છે સહુએ? વૈદ્યરાજ : બીજા કોના દીકરા ગયા દીઠા? ભોળાનાથ : આ વીરેશ્વરભાઈનો ગજેન્દ્ર. દાક્તરીમાં પાસ થઈને આવ્યો છે તે દિવસથી રોજ ત્રણ વાર તો ત્યાં સાઈકલે ચડીને જતો એને હું જોઉં છું. વૈદ્યરાજ : એટલે જ અમે વૈદ્યો દાક્તરી કેળવણીથી વિરુદ્ધ પડીએ છીએ ને? મેડીકલ કૉલેજમાં છોકરાઓનાં ચારિત્ર્ય.... વીરેશ્વર : મારો ગજુ એવો ન્હોય. એ તો જાય છે દયાથી દ્રવીને ફ્રી વિઝિટ કરવા. સૂરજને ગાંડપણનું પાસું છે; જાણો છો ને? વિશ્વનાથ : ગજુ જાય છે દવા કરવા, ત્યારે ભોળાનાથભાઈનો અનંત શું માનસિક દવા કરવા જ નથી જતો ભલા? સૂરજને ઘેલછામાં આશ્વાસનની જરૂર નહિ કે? વીરેશ્વર : એ જ પ્રકારનું આશ્વાસન દેવા જનારા છોકરાઓ જ્ઞાતિમાં હમણાં હમણાં ઠીક ઠીક વધી ગયા છે. મને તમામ ખબર છે. તમારો અનંત, ત્રિપુરાશંકરનો દિગંત, મહેશ્વરનો દેવેન્દ્ર, બધાને હું ત્યાંથી નીકળતા જોઉં છું. કોઈ શાકપાદડું પહોંચાડે છે, કોઈ દાણાદૂણી લાવી આપે છે, કોઈ દાક્તરને તેડી જાય છે. મારા ગજુનો એકનો જ દોષ શા સારુ દઈ રહ્યા છો તમે? વૈદ્યરાજ : અમને તો કોઈ નથી તેડી જતું. શાના તેડી જાય? ઝટ દાક્તરોને કસ કાઢવો છે એવા અનાથો ઉપર પ્રયોગો કરી કરીને. [છૂરીની માફક હાથ ચલાવે છે.] ભોળાનાથ : તો પછી તમે તમારી મેળે જ કાં નથી જતા? વૈદ્યરાજ : શું જાય? ઈજ્જત આબરૂ આડી આવે છે ને, ભાઈ! ચારિત્ર્ય, ભોળાનાથભાઈ, ચારિત્ર્ય જેવું અમૂલ્ય જીવનરત્ન જોખમમાં મૂકું તેવો હું નહિ. અમે વૈદ્યો તો રાજદરબારનાં અંત :પુરોમાં જનારા : અમે દાક્તરો જેવા નહિ. વિશ્વનાથ : છતાં નવયુગના યજ્ઞોપવિત સમી સ્ટેથોસ્કોપની ભૂંગળીને તો ડોકમાં પહેરીને બપોર સુધી અળગી જ નથી કરતા, હો ધન્વંતરી! ગામડામાં જઈને ઈંજેકશનોના સોયા પરોવવાનું પણ ક્યાં ચૂકો છો? વાત પિત ને કફ ઉપરાંત હવે તો ‘જર્મ્સની થિયરીઓ’ પણ ક્યાં તમે નથી બાફતા? હાંકી શકાય તેટલું દાક્તરોનું પણ હાંકો છો તો ખરા! વૈદ્યરાજ : [ચિડાઈને] હવે એ બધું તો વિષયાન્તર થાય છે, ભોળાનાથભાઈ! ખરો મુદ્દો તો છે આપણા જ્ઞાતિના જુવાનિયાઓના સત્યાનાશને અટકાવવાનો. સાવિત્રીને અને સૂરજને ગામ છોડાવવું જ જોઈએ. નહિતર આપણા એકેએક જુવાનનું નિકંદન નીકળશે. ભોળાનાથ : પરંતુ એમાં વાંક કોનો? વિશ્વનાથ : બેશક, આપણા જુવાનિયાઓનો તો નહિ જ! ભોળાનાથ : વાંક ચોખેચોખો ધનેશ્વરભાઈનો. શા સારુ માસિક રૂપિયા ત્રણની જીવાઈ બંધ કરી? સૂરજે આજ લાજમરજાદ છોડી હોય તો એ જ કારણે. વૈદ્યરાજ : એમ ન કહો. પ્રથમ એ કુલટાઓએ લાજઘૂમટા છોડ્યા, જુવાનોને પોતાને ઘેર જતા-આવતા કર્યા, તે પછી જ ધનેશ્વરભાઈએ રૂપિયા ત્રણ બંધ પાડ્યા છે. અને જુવાનોને ત્યાં હેળવનાર તમારો અનંત છે, સમજ્યા, ભોળાનાથભાઈ! વીરેશ્વરના ગજેન્દ્રને ત્યાં વિઝિટે લઈ જનાર કોણ? અનંત, અનંત, ને અનંત જ! [ઓટા ઉપર હાથ પછાડે છે.] વીરેશ્વર : તમે પણ મોટા અફલાતૂન જેવી વાત કહો છો, હો વૈદ્યરાજ! દાક્તરી ભણેલ માણસ શું વિઝિટે ન જાય? વૈદ્યરાજ : જાય, પણ એવી જગજાહેર ભ્રષ્ટાને ઘેરે? એકાંતે? એના શરીર પર સ્ટેથોસ્કોપ લગાડે? એના પેટ પર આંગળીઓના ટકોરા મારે? એની આંખો તપાસવાને નિમિત્તે ગાલ પર હાથ અડકાડે? એને આશ્વાસન દેવાના ડોળ કરીને કપાળ પંપાળે? આ શું ચારિત્ર્ય તમારા દાક્તરોનું! વીરેશ્વર : ઓહોહોહો, ધન્વંતરી! ગજબ વર્ણનશક્તિ તમારી. જાણે નજરોનજર નિહાળતા હો તેવું વર્ણન! આટલું વિગતવાર ક્યાંથી જાણ્યું? વૈદ્યરાજ : જાણ્યું ગમે ત્યાંથી. પૂછો તમારા ગજેન્દ્રને. સાચું કે ખોટું? હું તો સહુને માપી રહ્યો છું, મુરબ્બીઓ! વિશ્વનાથ : વૈદ્યરાજના તો ડિટેક્ટિવો ફરે છે, ડિટેક્ટિવો! વૈદ્યરાજ : ફરેય તે. કેમ ન ફરે? એમ શું અમે ચારિત્ર્યહીન દાક્તરોને ફાવી જવા દેશું? વીરેશ્વર : પણ આ બધી બળતરા શાની? પૈસાની તો ન્હોય કારણ કે મારો ગજુ તો ફ્રી વિઝિટો આપે છે. તો પછી આ બળતરા એ બધા સુંવાળા સમાગમથી તમે વંચિત રહી જાઓ છો તેની જ સમજવી શું? [બધા ખડખડાટ હસે છે.] વૈદ્યરાજ : અમે આર્યપુત્રો છીએ. આયુર્વેદ તો છે એક પવિત્ર શાસ્ત્ર. એ તો છે ઋષિઓની જીતેન્દ્રિયોની ધર્મવાણી. એમાં લોલુપતાને સ્થાન ન્હોય. અમે તો માત્ર પેશાબ જોઈને પાંચ-પાંચ વર્ષના જૂના વ્યાધિઓ પારખનારા. અમારા વ્યવસાયમાં શારીરિક ગલીપચીના સંજોગો જ ન હોય. ચારિત્ર્યહીનો તો ફક્ત દાક્તરો જ હોઈ શકે. વિશ્વનાથ : હવે એ બધી લપ જવા દો, ને એક વાત ઉપર આવી જાઓ, કે ન્યાતના જુવાન છોકરાઓનાં શીલ, અભ્યાસ ઈત્યાદિ આ સાવિત્રી-સૂરજના ભ્રષ્ટવાડાને કારણે સંકટમાં આવી પડ્યાં છે. કેમ, ખરું ને, વૈદ્યરાજ! વૈદ્યરાજ : એ અને એ ઉપરાંત બીજું ઘણું ઘણું.... વીરેશ્વર : આપને કહેવાનું રહે છે તે કબૂલ : પણ હવે આ બાબતનું કરવું શું? ભોળાનાથ : રાજને — માજીસ્ટ્રેટ સાહેબને કશું પગલું લેવાનું કહેવું હોય તો હું તૈયાર છું. હું છેક કમિશ્નર સુધી જવા તૈયાર છું, કેમકે આપણી સમગ્ર જુવાન પ્રજા જોખમમાં છે. વીરેશ્વર : તે પહેલાં આપણામાંથી કોઈ ડાહ્યા અને પ્રૌઢ પુરુષોએ જઈને એ મા-દીકરીને જ સમજાવવાં, ચેતવણી દેવી, અને પોતાની મેળે જ ગામ છોડી ચાલ્યાં જાય તેવું ન કરવું જોઈએ? વૈદ્યરાજ : હા, એ ઠીક છે. બોલો, કોણ ત્યાં જવા તૈયાર છે? વિશ્વનાથ : [સહુની સામે મિચકારો કરી] ધન્વતરીજીને જ મોકલીએ. વૈદ્યરાજ : મને વાંધો નથી. હું જોખમ વહોરવા તૈયાર છું. પણ કોઈએ મારી જોડે આવવું જોશે. કાજળની કોટડીમાં એકલા જવું ઉચિત નથી. કેમકે આ તો છે ચારિત્ર્યનો સવાલ ભાઈ! ગળીનો ડાઘ બેસતાં શી વાર લાગે? ભોળાનાથ : તમારા વિશે એવી રંચ પણ શંકા લાવનાર પાપી આપણી ન્યાતમાં તો એક પણ નથી. વિશ્વનાથ : ને વળી તમે તો ઔષધ કરવાને બહાને પણ જઈ શકો છો. સ્ટેથોસ્કોપ ડોકમાં જ પહેરી રાખવું. નાડ્યને આંગળીઓ વચ્ચે ઝાલી રાખીને જ આ બધી વાત કરવી, એટલે કોઈ ઓચિંતાનું આવી ચડે તો ય ચિંતા નહિ. [બીજાઓ સામે જોઈ મોં મલકાવે છે.] વીરેશ્વર : વૈદક એ ખરેખર મોટી ઢાલ છે માણસને માટે. ભોળાનાથ : આપણે વૈદ્યો નથી એ દુર્ભાગ્ય છે આપણું. આટલી અવસ્થાએ પણ આપણાથી તો ખોંખારાનો ‘આલારામ’ (એલાર્મ) બજાવ્યા પછી જ કોઈના ઘરમાં પેસાય. ને મોટાં ફીંડલાં બાંધીએ, એટલે બૈરાં ઘૂમટા ય લાંબા તાણે. શી દશા છે! વીરેશ્વર : હાં-હાં-હાં ભોળાનાથભાઈ! પંચાવન વર્ષે ય આવા વલખાટ! અ હ હ હ! વિશ્વનાથ : જીવતો જીવ છે ને ભાઈ! પંદર વર્ષથી તો ઘરભંગ અવસ્થા : પછી કંઈ વાંક છે? જોવા-સાંભળવા અને વાતો કરવાની ક્ષુધા તો રહે જ ને? વીરેશ્વર : તો છો ને ભોળાનાથભાઈ પણ એ મા-દીકરીને મળી આવે! સમજાવી આવે, કે ઓ મારી માવડી! તમો બેઉનાં વશીકરણને કારણે તો આ ન્યાતના જુવાનોનું નિકંદન નીકળી રહેલ છે. વૈદ્યરાજ : ભોળાનાથભાઈની આ બધી વાતોચીતો પરથી હું તો માનું છું કે એમનું આ કામ નથી. ध्यायतो विषयान् पुंस : संगस्तेषूपजायते! વળી સામી વ્યક્તિઓ એવી રહી ખરી ને? વીરેશ્વર : કોણ? મા અને દીકરી બન્ને? વિશ્વનાથ : એ તો જેવી જેની ઉમ્મર. કેમ ખરું ને, ધન્વંતરી? [વૈદ્યરાજની સામે મોં મલકાવે છે.] ભોળાનાથ : એટલે વૈદ્યરાજની ઉમ્મર નાની તેથી શું થયું? આયુર્વેદનું કવચ તો અભેદ્ય છે, જાણતા નથી? વીરેશ્વર : હા, જોખમમાં તો રહ્યા બાપડા દાક્તરો જ! વૈદ્યરાજ : તમારા સહુના મનમાં સંશય હોય તો હું ત્યાં નથી જવાનો. આ પ્રશ્ન તો ચારિત્ર્યનો છે. વિશ્વનાથ : નહિ રે. આમાં કોઈએ કોઈના વિષે સંશય ઉઠાવવા જેવું જ નથી. આપણે સહુ એકબીજાને પૂરા પિછાનીએ છીએ. મુદ્દાનો સવાલ એક જ છે, કે આ મા-દીકરીના ફાંસલામાંથી આપણા નિર્દોષ ન્યાત-જુવાનોને તાબડતોબ ઉગારી લેવા : તેનો પહેલો કાર્યભાર ધન્વંતરીજીને જ સોંપીએ છીએ. વૈદ્યરાજ : હું તો બનતું કરી છૂટીશ. લ્યો ત્યારે, જે જે! [ઊઠે છે. મંદિરમાં ફરીવાર જઈ, ‘શિવોઽહં શિવોઽહં’ના પુકારો કરી ટોકરો વગાડી જાય છે.] [ભોળાનાથ અને વીરેશ્વર પણ ઊઠે છે. ઊઠતાં ઊઠતાં વાતો કરે છે.] ભોળાનાથ : પણ એવી તે કેવીક રૂપાળી એ છે બેઉ? વીરેશ્વર : ગજબ રૂડી છે; ન્યાતમાં કોઈ એનો જોટો નથી. તમારા સોગંદ! ભોળાનાથ : સાળું, ઘણીઘણી વાર પૂજા કરતે કરતે મને વિચાર આવી જાય છે, કે વિધવાલગ્નની છૂટ રાખી હોત મનુ મહારાજે! વીરેશ્વર : પણ શા સારુ? તમને કુંવારી કન્યા પરણવાની કોણ ના કહે છે? ભોળાનાથ : વિચાર થઈ પડે, ભાઈ, વિચાર! ઘરમાં બાળરંડવાળ દીકરી છે, બાપા! ઓલ્યું તો દીકરીને ઠેકાણે પાડી શકાય, ને પોતે ય સાવિત્રી જેવું કોઈક આધેડ ઘરમાં લાવી શકીએ. પંદર વરસની ઘરભંગ અવસ્થા અતિ દોહ્યલી છે. વીરેશ્વરભાઈ! તને એ દુઃખની કલ્પના ક્યાંથી આવે? વીરેશ્વર : હવે ભઈ, મારે ય છે તો દમલેલ ઠોઠિયું ને! ભોળાનાથ : ઠોઠિયું તો ઠોઠિયું, પણ એકબીજાની આળપંપાળ કરતે કરતે આયુષ્ય તો ખૂટે ને! આ તો, ભાઈ, એકલતા ખાઈ જાય છે. [નિઃશ્વાસ નાખે છે.] વિશ્વનાથ : [દાઢીને] અરરર! ભોળાનાથ : તારે હસવાનું થાય છે, ખરું ને વિશવા? [બેઉ જણા પાછું વાળી જોતા જોતા જુદા પડે છે.] વિશ્વનાથ : [પાછળ પાછળ એકલો ચાલ્યો જતો ને શિવલિંગ તરફ તાકતો] શંભો! બુઢિયા! સ્મશાનચારી જોગટા! જેવો તું, તેવા જ અમે. તેં એકને બેસારી છે ખોળામાં, ને બીજીને સંઘરી છે જટામાં. વાંક તારો નથી, તને ન સમજનાર તારા ધર્મિષ્ઠોનો છે. નીકર આજ તારા ઓટા ઉપર આ હાહાકાર શા સારુ હોય? તારી પેઠે સહુ પોતપોતાનું ફોડી ન લ્યે? પણ તું, ઓલ્યો વિષ્ણુ, તમે તમામ દેવો ને દેવીઓ ખરાં ધૂર્ત છો. પક્કાં પાજી છો. કોઈ ક્ષીરસાગરમાં ને કોઈ હિમાલયની ટોચે, મૉજ લૂંટો છો પડ્યાં પડ્યાં, મારાં વાલીડાંઓ! પવિત્રતાના ફાંસલા બસ પરોવ્યા છે તમે અમારે સહુને ગળે. શી પ્રકાંડ ધૂર્તતા! ને કેવું વિરાટ છલ! [જાય છે.]