ખારાં ઝરણ/મૃત્યુ

From Ekatra Wiki
Revision as of 09:51, 13 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Replaced content with "{{SetTitle}} {{Heading|મૃત્યુ|}} <poem> હાથ એ લંબાવશે તો શું થશે? ના કહ્યે ધમકાવશે તો શું થશે? બેય પગ ચોંટી ગયા છે ભોંયમાં, દ્વાર એ ખખડાવશે તો શું થશે? હું નહીં ખોલી શકું કોઈ રીતે, એને ઓછું આવશે, તો શું થ...")
Jump to navigation Jump to search
મૃત્યુ

હાથ એ લંબાવશે તો શું થશે?
ના કહ્યે ધમકાવશે તો શું થશે?

બેય પગ ચોંટી ગયા છે ભોંયમાં,
દ્વાર એ ખખડાવશે તો શું થશે?

હું નહીં ખોલી શકું કોઈ રીતે,
એને ઓછું આવશે, તો શું થશે?

ખુલ્લી બારીમાંથી કરશે હાથ એ,
ને તને બોલાવશે તો શું થશે?

હું ઘણો વખણાઉં છું આતિથ્યમાં,
ધૃષ્ટ એ લેખાવશે તો શું થશે?

આંખ મીંચાતી વખતનું સ્વપ્ન આ,
પાંપણો ભીંજાવશે તો શું થશે?

શ્વાસને ‘ઈર્શાદ’ એક જ ડર હતો,
મોત પાછું ફાવશે તો શું થશે?

૨૬-૫-૨૦૦૭