ગુજરાતી ગઝલસંપદા/બાલાશંકર કંથારિયા

From Ekatra Wiki
Revision as of 14:51, 29 December 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| બાલાશંકર કંથારિયા |}} <poem> જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે; બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે.<br> અરે શું જાણશે લઝ્‌ઝત, પવિત્રીમાં પડી રહેતાં; પ્રિયાની પ્યાલીની મસ્તી તણો ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બાલાશંકર કંથારિયા

જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે;
બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે.

અરે શું જાણશે લઝ્‌ઝત, પવિત્રીમાં પડી રહેતાં;
પ્રિયાની પ્યાલીની મસ્તી તણો કંઈ બ્હાર જુદો છે.

ગણું ના રાવ રાયાને, ગણું ના આખી દુનિયાને;
પરંતુ જાન આ પર પ્યારીનો, અખ્ત્યાર જુદો છે.

હજારો બોધ મંદિરો મહીં નિત્યે ભલે થાજો;
અમો મસ્તાનના ઉસ્તાદનો દરબાર જુદો છે.

નથી તુજ બાપ માર્યો મેં, અરે મૂર્ખા કહાં નિંદે;
સમજ રે બેસમજ કે, પ્રેમીનો આચાર જુદો છે.

બધા પરકાર તોફાને થઈ ચંચળ ચૂકે નિશાન;
અમારા ચિત્તનો ચારુ અચળ પરકાર જુદો છે.

લીધો જે પંથ તે હું કેમ ત્યાગું છો ભર્યો દુઃખે;
પ્રિયાનો માહરી ગરદન ઉપર તો આ ભાર જુદો છે.

ઘડીભર બેશ બતલાવું શિખાવું પ્રેમનો જાદૂ;
અમો જાદૂગરોનો યાર, જો બાઝાર જુદો છે.

શીખે જો પ્રેમ પૂરો તો જ અચળ અભેદ પામે તું;
નથી ત્યાં પ્રેમ જ્યાં છે ભેદ, એ વ્યવહાર જુદો છે.

થશે શ્રીમંત ઇન્દ્રાદિ થકી, મુજ પંથ પર જાશે;
અરે એ કીમિયાનો યાર, જો કંઈ બહાર જુદો છે.

કરું શું મોતીમાલા હું? અનુપમ મારી પ્યારીએ,
કર્યો નક્ષત્રનો મારે ગળે શણગાર જુદો છે.

ભલે છો માહરા પંથે બધા એ દુઃખને દેખે;
મને તો સુખસાગર લહેરીનો કંઈ બ્હાર જુદો છે.

થયો જે પ્રેમમાં પૂરો, થયો છે મુક્ત સર્વેથી;
મહા મસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે.

નજર મારી પ્રિયા વિના, ન દેખે જગત આખે;
બીજાના બંધકારી પ્રેમનો તો જાર જુદો છે.

ગુરુઆદેશ છે અમને, અવળ પંથે પળ્યા જઈએ;
દુનિયાથી પછી આ ‘બાલ’ બેદરકાર જુદો છે.