ગુજરાતી ગઝલસંપદા/બાલાશંકર કંથારિયા

Revision as of 14:54, 29 December 2022 by Kamalthobhani (talk | contribs)


બાલાશંકર કંથારિયા

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.

દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વસે છે,
જરાએ અંતરે આનંદ ના ઓછો થવા દેજે.

કચેરીમાંહી કાજીનો નથી હિસાબ કોડીનો,
જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે.

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે,
ન સારા કે નઠારાની જરાયે સંગતે ર્‌હેજે.

રહેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે,
દિલે જે દુ:ખ કે આનંદ કોઈને નહિ ક્‌હેજે.

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે,
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે.

રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે,
પીયે તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે.

કટુ વાણી સુણે જો કોઈની, વાણી મીઠી ક્‌હેજે,
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે.

અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો,
ન માગે દોડતું આવે ન વિશ્વાસે કદી ર્‌હેજે.

અહો શું પ્રેમમાં રાચે નહીં ત્યાં સત્ય પામે તું?
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણે નેજે.

લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો ર્‌હેજે,
અરે એ કીમિયાની જે મઝા છે તે પછી કહેજે.

વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,
વફાદારી બતા’વા ત્યાં નહિ કોઈ પળે જાજે.

રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે,
જગત બાજીગરીના તું બધા છલબલ જવા દેજે.

પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું,
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રિતે દેજે.

કવિરાજા થયો શી છે પછી પીડા તને કાંઈ?
નિજાનંદે હમ્મેશાં ‘बाल’ મસ્તીમાં મઝા લેજે.