ગુજરાતી ગઝલસંપદા/વેણીભાઈ પુરોહિત

From Ekatra Wiki
Revision as of 02:48, 31 December 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| વેણીભાઈ પુરોહિત |}} <poem> જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે? મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?<br> આ આંખ ભટકતાં થાકી ગઈ, આ પ્રેમનો પોરો ખાવો છે, કોઈ દિલની સરાઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વેણીભાઈ પુરોહિત

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?

આ આંખ ભટકતાં થાકી ગઈ, આ પ્રેમનો પોરો ખાવો છે,
કોઈ દિલની સરાઈ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?

છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?

હું ઠપકો દઉં છું રોજ, હૃદયને રોજ દિલાસો આપું છું,
કે તુંય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?

સપનાનું રેશમ જાય બળીને આશાની મુરઝાય કળી,
કોઈ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?

જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુઃખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?

હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો શા માટે?