શાંત કોલાહલ/નિર્વાસિતનું ગાન

From Ekatra Wiki
Revision as of 15:20, 28 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with " <center>'''નિર્વાસિતનું ગાન'''</center> <poem> કાલ ઘરની દીવાલે હતી જિંદગી મૃત્યુની ચાદરે શ્વાસ લેતી, આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી. :::સોય ઉભી રહે એટલીયે ધરા નહિ ::::ન ભંડારની એક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નિર્વાસિતનું ગાન

કાલ ઘરની દીવાલે હતી જિંદગી મૃત્યુની ચાદરે શ્વાસ લેતી,
આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી.
સોય ઉભી રહે એટલીયે ધરા નહિ
ન ભંડારની એક કોડી
જીવથી થાય અળગી સગા બંધુને કાજ
તે નીકળ્યાં સર્વ છોડી;
જે ન આપદ કને હાઉ એનો લહીને નિરંતર ભયે વ્યસ્ત રે’તી;
આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી.

જન્મની ભૂમિમાંહી પરાયાં અમે ને અજાણ્યાં ધસે લાખ ટોળાં,
હાથનો કોળિયો હાથમાં રે’ અને ઊઘડ્યાં મુખ રહી જાય પ્હોળાં.
આગ આઘાત કેરી ઝડીથી લિયે
જાગતાં નેણ કંઈ માર્ગ ખોળી,
જે કલેજે હતું વહાલું રે એહની
ઊડતી રાખમાં અંગ રોળી;
કોઈ ઉલ્કા ધરાકંપ નહિ તોય તે છિન્નવિચ્છિન્ન પરિવાર વ્હોણાં,
જન્મની ભૂમિમાંહી પરાયાં અમે ને અજાણ્યાં ધસે લાખ ટોળાં !

દૂરની ક્ષિતિજ વીંધી અવિશ્રાંત ભ્રમણે લ્હ્યાં જગતનાં કોટિ ધામ :
સર્વને નેત્ર જાકાર જલતો, અમારે નહીં ક્યાંય ડેરા મુકામ :
રે નહીં ઘર, નહીં ગોત્ર, કોઈ
અમારે ન સંસ્કૃતિ, નહીં લોકસંઘ;
કર્મ અવકર્મને કોઈ વિધિ બાધ નહિ
રે ન સંસાર સંબંધ રંગ;
નિધન ચોમેરથી નિબિડ ઘેરો લગાવી રહ્યું; નેત્ર નિદ્રા હરામ :
પ્રાણને અશ્વ સંગ્રામમાં જિંદગી હોઠ ભીંસી રમે આઠ યામ.