કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૪૬. વાડને વાચા થાય

From Ekatra Wiki
Revision as of 01:40, 21 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૬. વાડને વાચા થાય

સાંજ પડ્યે મારી વાડને વાચા થાય.
કિલકિલ કરતાં ચકલાંઓની
પાંદડાં વાડનાં પાંખો થાય.
મૂકને મળતા સૂર;
મૂળિયાં નાખતાં ઊડી શકે જે દૂર.
સાંજ પડ્યે મારા ઘરમાં વીજળી થાયઃ
ઝબકજ્યોતની જાત છતાં
જેનાં જાગરણ રહે વેરાઈ;
અંધારું ઊગતા ઊગતામાં બુઝાય.
વિશ્વપ્રકાશનો કટકો ચોરસ
ઓરડો મારો
રાત-પટારો સંઘરી રાખે.
પણ જ્યારે એકલતા અકળાય
ઓરડો મારો આંખ વીંચીને
સાગરે રાતના ડૂબકી ખાય;
તળિયું ના દેખાય.
ભોર ભયી
મારી વાડને વાચા થાયઃ
ઝાંખરે ઝાંખરે જીભ છૂટે
ને પાંદડાં પાંખો થાય.
રાતનાં પાણી ઓસરે
મારો ઓરડો આ દેખાય.
ચકલાં ઊડ્યાં,
રાત છુપાણી;
ઊભાં છે વાડ ને મારું ઘર.
મૂળિયાં ઊંડાં ઘરને મારા,
વાડને ઊંડા થર.

(પુનરપિ, પૃ. ૬૦-૬૧)