મણિલાલ હ. પટેલનાં કાવ્યો/મરણ તરફ

Revision as of 15:52, 8 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મરણ તરફ

હાથમાંથી વાસણ પડી જાય એમ
આ જીવતર પણ પડી તો નહી જાય – ?
એવી બીક લાગે છે...
પળોજણોને પાળવાની ક્યાં સુધી?
આપણા વડે એમાંથી કોઈ નવી પૃથ્વી તો
જન્મી શકવાની નથી!
કંથેરના જાળામાં આકાશ ઈંડાં મૂકશે, તોય
પવન પાંખો આપીને ઉરાડી જશે પોતાની સાથે...

ભર્યા ફળિયામાં જીવતર અવાવરું અને પડતર;
ઘડતર ઘરેડ બની રુંધતું રહ્યું નવતર નાદને
ઓરડે ઓરડે અંધારાની રમત ચાલે છે
ચારેબાજુ કોઈ ચોકી કરે છે આપણી
નખશિખ નિર્જનતા ઘેરી વળે છે ત્યારેય
કોઈ ફર્યા કરે છે અંદર ને વળી અરવ...

બહુ દૂર નથી જવાનું આમ તો
ધૂળથી મૂળ સુધી ને
કૂંપળથી કળી સુધી
અંકુરથી સુક્કી સળી સુધીની આ યાત્રા
કાતરા કાપી ખાય છે નિત્ય ને નીરવ
શેરીના છેલ્લા ઝાડ પર ઘડીક
સૂનમૂન બેસીને તકડો ઊડી જાય છે
પછી પાંખો વીંઝતું કાળું કાળું પ્હાડ જેવું પંખી
પાસે ને પાસે બહુ પાસે – ચોપાસે...
બીકમાં ને બીકમાં
હાથમાંથી જમવાની થાળી છૂટી જાય છે
બા બૂમ પાડી ઊઠે છે, ને –
દીવો રામ થઈ જાય છે...